Search This Blog

31/08/2011

શિક્ષકોનું હનીમૂન

કોકને ધમ્મ કરતું ‘આઇ લવ યૂ’ કહી દેવાતું નથી. ભલે ને એ તમારી સગ્ગી પ્રેમિકા હોય કે દૂરની વાઇફ થતી હોય ! એ કહેવા માટે છાતીમાં હિમ્મત, પ્રેમનો ઊભરો, સામે સુંદર ચેહરો અને રૂમનું એ.સી. ચાલુ હોવું કાંઇ જરૂરી-બરૂરી હોતું નથી. કહેવું હોય તો કહી દેવાનું. ગભરાવાનું નહિ. બીક લાગે તો બાને બોલાઈ આવવાના....!

પણ આમાં સાચવવું બહુ પડતું હોય છે, ખાસ કરીને પહેલીવાર હનીમૂન માટે જતા હો.

પહેલીવારનું ‘આઇ લવ યૂ’ કહેવા માટે ક્યારેક તો બાજુમાંથી રીક્ષાની માફક આખો જમાનો પસાર થઇ જતો હોય છે ને આપણે ના કહીએ, એમાં કોઇ બીજો કોઇ રીક્ષામાં બેસી જતો હોય છે. આવી ભૂલ હનીમૂનમાં ન થવી જોઇએ. ઘણા ડરતા હોય છે કે, એકવાર કહી તો દઇએ, પણ હાળું કંઇ આડું ફાટ્યું તો ‘આઇ લવ યૂ’ તો દૂર રહ્યું, છ મહિના સુધી કોઇને ‘જય જીનેન્દ્ર’ કહેતા ય બંધ થઇ જઇએ. બીક તો લાગે, પણ સમય બી ન વેડફાય. વળી, ઉંમરના અમુક તબક્કા સુધી આવા ‘આઇ લવ યૂઓ’ ફક્ત એક જ વ્યક્તિને કહેવાના હોય છે. સામે જે મળ્યું એને કહી દેવાના ન હોય.

અલબત્ત, ડરના માર્યા કેટલાંક તો છેક મઘુરજની એટલે કે, હનીમૂન સુધી પહેલીવારનું ‘આઇ લવ યૂ’ ય પતાવતા નથી. આળસ જ મનુષ્યનો મહાશત્રુ છે. ધંધામાં હજી ‘કહીએ છીએ... કહીએ છીએ... શું રહી જાય છે ?’ ચાલે... હનીમૂનોમાં ન ચાલે.

હનીમૂનો માટે તમને અનુભવી હનીમૂનકાર મળી રહે, એ શક્યતા ઓછી છે. ફિલ્મોના હનીમૂનો જોઇજોઇને જેટલું શીખ્યા હો, એટલું કાફી છે....! કન્યાએ રાબેતા મુજબનો ધૂમટો તાણીને લટકાઇ રાખવાનો. એનો તાજો-ફ્રેશ ગોરધન દરવાજાને સ્ટૉપર મારીને સ્માઇલો સાથે દાખલ થાય. ટેબલ પર દૂધનો ગ્લાસ તૈયાર પડેલો હોય, એ ઉઠાવવાનો. ઉપલા હોઠ પર સફેદ મૂછો ન જામે, એનું ઘ્યાન રાખીને એકાદ ધુંટડો પી લેવાનો. સમયસર પહોંચી જવાનું પણ, અત્યારે પેલી એસ.ટી.ની પૂછપરછની બારી પર બેઠી નથી, તે આમાં લાઈન જેમ જેમ આગળ વધે, એમ વરરાજાએ ધીમે ધીમે ખસવાનું હોય. તો શાસ્ત્રો એવું ય કહે છે કે, કબડ્‌ડી રમતા હો, એટલી સ્પીડથી પણ પલંગના પાટાને અડીને પાછા આવતા રહેવાનું નહિ.

પછી તો પલંગ પર ફક્ત એક ઢીંચણ વાળીને, બીજો પગ ભોંય પર લટકતો રાખીને વરરાજાએ પેલીની બાજુમાં બેસી જવાનું હોય છે. પહેલું ‘આઇ લવ યૂ’ અહીં કહેવાનું. જમણા હાથની પહેલી આંગળી વડે એનો ધૂંઘટ ઊંચો કરીને જેવું એનું સુહાનુ-સુહાનુ મોંઢું દેખાય ત્યારે બોલવાનું, ‘‘...શરમા રહી હો ?’’ આપણે હિંદીમાં નહિ બોલવાનું. ઇન ફૅક્ટ, એવું કાંઇ બાફી નહિ મારવાનું, નહિ તો પેલીને ડાઉટ પડે કે, આ તો પહેલીવાર હનીમૂન કરતો લાગે છે. કાંઇ આવડતું-બાવડતું લાગતું નથી. લગ્નની પ્રથમ રાતે જ એકબીજાને ડાઉટો પડે એવું નહિ કરવાનું...બા ખીજાય !

પણ તો ય, સમાજના વિભિન્ન ઘટકોને હનીમૂનો કરતા જોયા પછી સંસ્થા એ તારણ પર પહોંચી છે કે, હનીમૂનો કરવા એ કાંઇ નાની માં કે મોટી માંના ખેલ નથી. ભલભલાની ખેંખડી ઉતરી જાય છે. જુઓ. આ સાથે એ ઘટકોની હનીમૂન કરવાની પદ્ધતિઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

બિલ્ડરનું હનીમૂન

મકાનોનું બાંધકામ કરીને અબજોપતિ થયેલા હજારો બિલ્ડરો આવા પવિત્ર કામે પણ પોતાનો ધંધો આઘો મૂકી શકતા નથી. હોટેલની રૂમમાં આવતાની સાથે કન્યાનું બાંધકામ તપાસી લે છે-કાચું છે કે પાકું. પેલીને એકવાર પલંગ ઉપર આખી ઊભી કરીને સ્લૅબ બરોબર ભરાયો છે કે નહિ, તેની મદદનીશ ઍન્જીનિયરોને બોલાવીને તપાસ કરી જુએ છે. પણ બધાનો સરવાળો મૂકો તો એને કન્યાના પ્લિન્થ-લૅવલથી આગળ કોઇ સમજ પડતી નથી. આ હનીમૂન છે, ફ્‌લૅટ બાંધવાનું રમણીય સ્થળ નથી, એટલે ઍરપૉર્ટથી ફક્ત ૩ કી.મી.ના અંતરે, સુસંસ્કારી વિસ્તારમાં અને જૈન દેરાસરની બાજુમાં હનીમૂન ગોઠવવાની જરૂર નથી. આમાં તો આ બઘું કાંઇ ન હોવું જોઇએ.

‘ભાઇલોગ’નું હનીમૂન

પેલી તો પહેલેથી મહીં પલંગ ઉપર બેઠી હોય, પણ ‘ભાઇ’ એમ કાંઇ સીધેસીધા રૂમમાં ના આવે. પાછળ હૉરર મ્યુઝિક વાગતું હોય. એના ચમકદાર બૂટ સાથે હોટેલનો દાદરો ચઢતા પહેલા ફક્ત બન્ને પગ દેખાય. કાંડા ઉપર સોનાની ચૅઇન લટકતી દેખાય. રૂમની બહાર ઊભા રહી પહેલા તો ‘ભાઇ’ સિગારેટના કશ ખેંચતા મોબાઈલ પર પૂછી લે, ‘‘માલ પહુઁચ ગયેલા હૈં...?’’ સામેથી હા આવે, તો રીવૉલ્વરના એક ભડાકે દરવાજાની સ્ટૉપર ખોલવાની. રીવૉલ્વરના નાળચામાંથી નીકળતા તાજા ઘૂમાડાને ફૂંક મારવાની. પેલી ફફડતી હોય એના ધૂંઘટને એ જ રીવૉલ્વર વડે ઊંચો કરીને ‘ભાઇ’ પૂછે, ‘‘ઉઠાતી હૈ ધૂંઘટા યા, દું થોડા ખર્ચા-પાની....?’’

ડૉક્ટરનું હનીમૂન

ડૉક્ટરોના કૅસમાં સ્વચ્છતા પહેલી જોઇએ. પોતાના જ નહિ, કન્યાના તનબદન ઉપર પરફ્‌યૂમને બદલે સ્પિરિટ છંટાવ્યું હોય. એટલે સુધી કે, ચૂંબન કરી લીધા પછી ડૉક્ટર તરત જ સનમના હોઠ પર સ્પિરીટનું પૂમડું ફેરવી દેશે... બૅક્ટેરીયા ન આવે ! બીજી એક વાત સ્પષ્ટ છે. હનીમૂન સ્વિત્ઝરલૅન્ડની હોટેલમાં હોય કે જામખંભાળીયામાં... પલંગની ચાદર સફેદ અને પડદા લીલા જ રાખવાના. આટલો મોટો ડૉક્ટર પૅશન્ટ (આઇ મીન, પત્ની)ને કાંઇ જાતે ન સુવડાવે, નર્સ સુવડાવી આપે. વાઇફને ચુંબન કરવાનું હોવા છતાં ડૉક્ટર પહેલા એનું મોંઢું ખોલાવીને, ‘આઆઆઆઆ...’ કરાવે. પછી મોંઢા ઉપર લીલાં કપડાંનો માસ્ક પહેલીને ચુંબન કરે. મૅઇન ‘ઓપરેશન’ પછી શરૂ થાય. ઓ.ટી. એટલે કે ઑપરેશન થીયેટરની બહાર ‘સાયલન્સ પ્લીઝ’નું બૉર્ડ હોવું આવશ્યક છે. અત્રે યાદ રહે કે, દુનિયાભરના એકે ય ડૉક્ટર કદી એકલા-એકલા ઑપરેશન કરતા નથી. સાથે અન્ય ડૉક્ટરો અને નર્સો જોઇએ જ. અલબત્ત, હનીમૂનોમાં ઑપરેશન વખતે વધારાના સાધનોની જરૂર પડતી ન હોવાથી અત્યાર પૂરતા ડૉક્ટર સ્વાવલંબી બનશે. હનીમૂન પતી ગયા પછી કન્યાને કોઇ રીઍક્શન તો નથી આવતું ને, એ જોવા સ્ટ્રેચર પર ૧૦-મિનિટ સુવડાવી રાખવી પડે.

કરૂણતા ફક્ત એક જ વાતની થાય કે, ‘બીજી વાર બતાવવા આવો ત્યારે આ કાગળ સાથે લાવવો,’ એ પદ્ધતિ કન્યાને હનીમૂનની બીજી રાત્રે અકળાવી મૂકે કે ના મૂકે ?...કોઇ પંખો ચાલુ કરો.

શિક્ષકનું હનીમૂન

શાળા તરફથી જેટલું પ્રવાસભથ્થું માન્ય થતું હોય, એટલા જ આઘા હિલ સ્ટેશન પર વાઇફને હનીમૂન માટે લઈ જવાની, હોવાથી શિક્ષકો હનીમૂનો માટે માઉન્ટ આબુથી બહુ આઘે જઇ શકતા નથી. અલબત્ત, પ્રવાસમાં રાત્રિ-ભથ્થું શામેલ હોય તો જ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે ગોઠવાય છે, નહિ તો માઉન્ટ આબુમાં પણ બપોરે ૨-થી-૩ની રીસેસ દરમ્યાન હનીમૂન પતાવી લેવું પડે.

ત્યાં હોટલ પર પહોંચ્યા પછી હનીમૂનમાં શું શું કરવાનું છે, તેની માહિતી કન્યાએ હોટેલના નોટિસ-બોર્ડ પર વાંચી લેવાની. એ વાત તો ધોરણ ૬-બ નું નાનું છોકરૂં ય સમજે છે, શિક્ષક એમની વાઇફને અહીં પણ ફૂલ-યુનિફૉર્મમાં જ પ્રવેશ આપશે. પલંગ પર બેઠેલી કન્યાનો ધૂંઘટ વિજ્ઞાન અને ભૂમિતીના નિયમાનુસાર ઉઠાવવામાં આવશે. તે પહેલા શિક્ષકે કાઢેલા પ્રશ્નપત્ર મુજબ, કન્યાએ કાગળની એક બાજુ સ્વચ્છ અક્ષરે જવાબો લખવા બેસવાનું. સવાલો કંઇક આવા હશે.

પ્રશ્નપત્ર મુજબ, કન્યાએ કાગળની એક બાજુ સ્વચ્છ અક્ષરે જ જવાબો લખવા બેસવાનું. સવાલો કંઇક આવા હશે.

(૧) આપનું આ હનીમૂન પહેલી વારનું છે કે અહીં અવારનવાર આવો છો ? (ટૂંકમાં જવાબ આપો.)
(૨) બે આંખોને એક નાક વડે ભાગો, એમાં ચાર પાંસળી ઉમેરો અને જે વધે એમાંથી એક ઢીંચણ બાદ કરો, તો હનીમૂનના સંદર્ભમાં શેષ શું વધે ?
(૩) ચુંબન અને બચકું ભરવા વચ્ચે કોઇ તફાવત હોય તો ૨૦-શબ્દોમાં જણાવો.
(૪) ‘મઘુરજનીમાં દૂધના ગ્લાસનું મહત્વ’ વિશે ૪૦૦-શબ્દોમાં નિબંધ લખો.
(૫) હનીમૂનની પૂર્વ તૈયારીરૂપે તમે કોના ટ્યુશનો લેતા હતા ? (જે તે ‘સર’નું નામ અને ઉંમર જણાવો)

(નોંધ : હવે પછી અન્ય કોઇ માસ્તરનું કે માસ્તરોના ટયુશનો રાખી શકાશે નહિ. ગ્રૂપ ટ્યૂશન્સ તો હરગીઝ નહિ. આ અંગે રૂ. ૧૦૦/-નું સ્ટૅમ્પ-પૅપર વાલીની સહિ સાથે મોકલવું.)

શાળાના નિયમાનુસાર, શિક્ષકશ્રીએ મઘુરજનીના પલંગ બાજુમાં બ્લૅક-બૉર્ડ પણ મૂકવું પડશે. હનીમૂનના કેટલાક નિયમો થીયરીથી ન સમજાય તો બ્લૅક-બૉર્ડ પર ચિત્રાવલી દ્વારા ‘વિષય’ની સમજણ સ્વયં શિક્ષકે આપવાની રહેશે.

આમ તો બઘું બરોબર ચાલશે પણ અડધા હનીમૂને, હોટેલનો રૂમબૉય બહારથી કૉલબૅલ વગાડે, તો ઘંટ વાગ્યો અને પીરિઅડ પૂરો થયો સમજીને માસ્તર ઊભા થઇ જશે....અને બાકીનું કામ કાલે સવારે હૉમવર્ક તરીકે પતાવીને લાવવાનું કન્યાને કહેશે.

બસ. શાળા છુટી ગયા પછી શિક્ષક એમને ઘેર ને વિદ્યાર્થિની એને ઘર.

સિક્સર
"He is better than me." આ વાક્યમાં કોઈ ભૂલ છે ખરી ?
ન પણ હોય ને હોય તો કઈ ?

28/08/2011

ઍનકાઉન્ટર : 28-08-2011

* સ્ત્રીએ પાંચે આંગળીએ ગોરમાંને પૂજ્યા હોય, તો સારો ગોરધન મળે, તો પુરુષને...?
- પુરૂષો ગમે ત્યાં આંગળી કરી આવતા હોય છે....
(મધુકર પી. માંકડ, જામનગર)

* બૉબી દેઓલના સસુરજી રૂ. ૩૦૦-કરોડના આસામી છે... આપના સસુરજી ?
- લોકો વાઇફો બદલવાના આગ્રહી હોય છે....આવા કૅસમાં હું સસરો બદલવા તૈયાર છું ! 
(વલ્લભ પારેખ, કાલોલ) 

* રાજ કપૂર સાથે નામ ફક્ત નરગીસનું બોલાય છે.... સીમી, વૈજ્યંતિ, પદ્મિનીનું કેમ નહિ ?
- અહીં અમારા નામો હકી સિવાય કોઈની સાથે નથી બોલાતા, તો અમારે જીવો બાળવાના....? 
(સુબોધ નાણાવટી, રાજકોટ) 

* મારે પણ ‘ઍનકાઉન્ટર’ કરવું છે...  મદદ કરશો ?
- ઍનકાઉન્ટરો કરવા માટે મદદોની નહિ, સામે કોઇ બોકડો ઊભો હોવાની જરૂર પડે છે. 
(શર્લી કાનાબાર, અમદાવાદ) 

* વાહનોથી થતા પ્રદુષણનો કોઇ ઇલાજ ?
- સાયકલ. 
(અમોલી શાહ, મોરબી) 

* તમારી દ્રષ્ટિએ ઢંગધડા વગરનો સવાલ કોને કહેવાય ?
- મારો ઇન્ટરેસ્ટ ફક્ત ‘ઢંગધડા વગરના’ જવાબો પૂરતો છે. 
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા) 

* ક્યારેય કોઈ લેખકનું અપહરણ થતું સાંભળ્યું નથી....!
- આ ફરિયાદ છે કે દિલાસો...? 
(ગૌતમ દોશી, અમદાવાદ) 

* ડિમ્પલ કાપડીયાના મામલે રાજેશ ખન્ના અને અક્ષયકુમારની તમને બીક નથી લાગતી ?
- એ લોકોની તો હું જાન છોડાવી રહ્યો છું....! 
(દર્શના ધવલ શાહ, વડોદરા) 

* ખૂબસુરત સ્ત્રી બાબતે વઘુ નસીબદાર કોણ ? પતિ કે પડોસીઓ ?
- હું એકાદ આંટો વડોદરે મારી જઉં, પછી ખબર પડે ! 
(ધવલ એ. શાહ, વડોદરા) 

* પહેલાના જમાનાના ફિલ્મ કલાકારો અપ-ટૂ-ડેટ થઇને બહાર નીકળતા... આજે લઘરા જેવા કપડા, દાઢા વધારેલા ને ફાલતુ બનીને બહાર નીકળે છે... સુઉં કિયો છો? 
- હજી અમારા સાહિત્યકારોને તમે જોયા નથી... જમાનો પહેલાનો હોય કે આજનો.... સાલાઓ સાવ સાહિત્યકારો જેવા થઈને બહાર નીકળે છે ! 
(સુરેશ આચાર્ય, અમદાવાદ) 

* તમે મારા સવાલનો કદી જવાબ કેમ આપતા નથી ?
- તમે સવાલ પૂછો છો કે હપ્તે-હપ્તે આત્મકથા લખીને મોકલો છો, તેની ખબર પડતી ન હોવાથી ! 
(સોનલ પટેલ, અમદાવાદ) 

* ‘રામબાણ’ ઇલાજ એટલે શું ?
- જુલાબ. 
(લલિત ઓછા, જૂનાગઢ) 

* હકીભાભી વારેઘડીએ લંડન કેમ જતા રહે છે ?
- અમદાવાદમાં શાંતિ સ્થાપવા. 
(મણીબેન પટેલ ઊંટડી-વલસાડ) 

* તમારૂં ઍનકાઉન્ટર વાંચીને ઢળી પડેલાઓનું પછી શું થાય છે ?
- એમને બસ... કાઢી જાય છે ! 
(મૌલિક જોશી, અમદાવાદ) 

* સલમાન અને કૅટરીના કૈફ લગ્ન કયારે કરશે ?
- પેલો શર્ટ પહેરશે ને આવી આ કાઢશે ત્યારે. 
(મયૂર જે. ચાવડા, રાણાવાવ) 

* સૅક્સ રૅકૅટ પકડાય ત્યારે પકડાયેલી સ્ત્રીઓ હવે શેને માટે મોંઢા ઢાંકે છે ?
- એમને પબ્લિસિટીનો મોહ નહિ ને....! 
(ચંદ્રેશ વી. કાચા, મોરબી) 

* Buy One, Get One Freeનો સહિ ફાયદો ક્યારે મળશે ?
- લગ્નનું ગોઠવાતું હોય ત્યારે આ સ્કીમ લાગુ પડે ત્યારે. 
(મીસીસ પૂનમ ખોસલા, મુંબઈ) 

* ગઇ રક્ષા બંધનમાં તો તમારો હાથ રાખડીઓથી ભરાઇ ગયો હશે, નહિ ?
- નહિ. કોઇ મને ભાઇ બનાવવા રાજી નથી. 
(શૈલેષ ભાનુશંકર જોશી, મહુવા) 

* નવરાત્રી દરમ્યાન સહુના વજન ઘટવાના કારણો કયા ?
- કેટલાકના પછી તો બહુ વધી જાય છે ! 
(પરિન્દા અનુપમભાઈ પટ્‌ટણી, અંજાર) 

* ઇશ્વરે પશુઓને આડા બનાવ્યા છે, છતાં સીધા ચાલે છે ને માણસોને ઊભા બનાવ્યા છે, છતાં આડા ચાલે છે....કારણ શું ?
- મને પણ ઊભા ઊભા લખતા નથી ફાવતું. 
(અલ્પા બી. ચાવડા, ચલાલા) 

* ગુજરાતમાં પાણીની તંગીવાળા અનેક ગામડાઓમાં દારૂ છુટથી મળે છે...શું સમજવું ?
- સમજવાનું કાંઇ નહિ. દારૂ ભરીને લોટે-લોટે નહવાય નહિ ! 
(જીતેન્દ્રસિંહ આર. રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ) 

* ‘આઇ.પી.એલ.’માં રમવાનો તમને ચાન્સ મળી જાય તો ?
- પૈસા ‘આઇ.પી.એલ.’માં રમવાથી કમાવાતા નથી....એની બહાર રહીને કમાવાય છે. 
(હુઝેફા હકીમ સવઇ, મુંબઈ) 

* ‘માય નૅઇમ ઇઝ અશોક દવે’નામની ફિલ્મ બને તો તમે એમાં ક્યો રોલ કરો ?
- એના બાપનો ! 
(રશીદા હકીમ સવઇ, મુંબઈ) 

* દરેક શુભ પ્રસંગે શ્રી ગણેશજીને બેસાડવામાં આવે છે, તો શિવ-પાર્વતિના લગ્નપ્રસંગે ક્યા ભગવાનને બેસાડેલા ?
- હું એ પ્રસંગે જરા મોડો પહોંચેલો, એટલે ખબર નથી ! 
(ધર્મિષ્ઠા અનિરૂદ્ધ જાદવ, કોદરામ-વડગામ) 

* આપણા સ્વામીઓ, ગુરૂઓ કે સંતો આતંકવાદીઓના વિસ્તારોમાં આશ્રમ કેમ બાંધતા નથી ?
- બધે એમ કાંઇ દાનવીર બોકડાઓ ના મળે....! 
(નયન ખત્રી, રાજકોટ) 

* સતકર્મી દુઃખી અને દુષ્કર્મી સુખી કેમ ?
- આ બન્નેમાંથી તમે મને શેમાં ગણ્યો છે ? 
(સૈયદ મુકદ્દમ, પાલનપુર)

26/08/2011

યે રાસ્તે હૈં પ્યાર કે

ફિલ્મ : ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (’૬૩)
નિર્માતા : સુનિલ દત્ત
દિગ્દર્શક : આર. કે. નૈયર
સંગીત : રવિ
ગીતો : રાજેન્દ્ર કૃષ્ણ
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
કલાકારો : અશોક કુમાર, સુનિલ દત્ત, લીલા નાયડુ, શશીકલા, રહેમાન, રાજેન્દ્રનાથ, મોતીલાલ, હરિ શિવદાસાણી, ઇફતેખાર, બૅબી ફરીદા અને મનમોહન

ગીતો
૧ રૂહ ખત્મ હો ગઈ, દિલ તબાહ હો ગયા આશા ભોંસલે
૨ કોઈ મુઝસે પૂછે કે તુમ મેરે ક્યા હો મુહમ્મદ રફી
૩ જાને જહાં પાસ આઓ ના, ક્યા કહા આશા-સુનિલ દત્ત
૪ યે ખામોશીયાં, યે તન્હાઈયાં, મુહબ્બત કી આશા-રફી
૫ આજ યે મેરી જીંદગી, દેખો ખુશી મેં ઝૂમતી આશા ભોંસલે
૬ યે રાસ્તે હૈં પ્યાર કે, ચલના સમ્હલ સમ્હલ કે આશા ભોંસલે
૭ તુમ જીસ પે નજર ડાલો, ઉસ દિલ કા ખુદા મુહમ્મદ રફી

તા. ૨૭મી એપ્રિલ, ૧૯૫૯ના રોજ મુંબઈ ખાતે કમાન્ડર કાવસ માણેકશા નાણાવટીએ પોતાની પત્નીના પ્રેમી પ્રેમ આહુજાનું ખૂન કરી નાંખ્યું અને એને ફાંસીની સજા થઈ. છેવટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરતા એની સજા માફ થઈ હતી, એ કૅસ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આપણામાંથી તો ઘણાને એ યાદ પણ હશે કે, રોજ સવારે છાપુ ખોલીને, ‘... પછી કોર્ટમાં આગળ શું થયું ??’ એવી કુતૂહલતા ઘરઘરમાં વ્યાપક હતી. બાય ધ વે, ‘જ્યુરી’ સાથે કેસ ચાલ્યો હોય, એવો આ ‘આહૂજા ખૂન કૅસ’ ભારતીય અદાલતોનો છેલ્લો ટ્રાયલ હતો. એ પછી જ્યુરી ટ્રાયલ્સ બંધ થઈ ગઈ.

એ જ કૅસનો આધાર લઈને સુનિલ દત્તે પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ બનાવીને દેશમાં જામેલા તહેલકાનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. ફિલ્મ ક્યાંક ક્યાંક સુપ્પર-ડુપર હિટ સાબિત થઈ. સુનિલ દત્તને બીજો ફાયદો આ ફિલ્મની હીરોઈન લેવા બદલ થયો. લીલા નાયડૂએ જમાનાની ઇન્ડિયન બ્યુટી-ક્વીન હતી અને વિશ્વવિખ્યાત ફૅશન મૅગેઝિન The Vogueના ટાઈટલ-પૅઈજ પર ચમકીને બેશક એણે ભારતનું નામ રોશન કર્યું હતું. વિશ્વની સર્વોત્તમ ૧૦-સુંદર સ્ત્રીઓના લિસ્ટમાં ૧૯૫૪-ની ‘ફૅમિના મિસ ઇન્ડિયા’ બનેલી લીલા નાયડૂની સાથે ચમકનાર બીજી ભારતીય સ્ત્રી હતા જયપુરના મહારાણી ગાયત્રીદેવી. એ કેવો યોગાનુયોગ હશે કે, લીલા નાયડૂ પણ મુંબઈમાં એ જ દિવસે ગુજરી ગઈ-૨૮ જુલાઈ, ૨૦૦૯, જેના એક દિવસ પહેલા મહારાણી ગાયત્રીદેવી ગુજરી ગયા. The Vogueજેવા વર્લ્ડ-ક્લાસ મૅગેઝિનમાં ચમકવું, એ પણ મોટી સિદ્ધિ હતી.

(ગુજરાતમાં અમારા મગન-માઘ્યમને કારણે ઇંગ્લિશ બહુ આવડતું નહિ, એટલે આ ‘વૉગ’ માટે અમે બધા ‘વૉગ્યૂ-વૉગ્યૂ’ બોલતા. Torque (ટૉર્ક) માટે ટૉર્ક્યુ, Fatigue(ફટિગ) માટે ‘ફટિગ્યૂ’ બોલતા એટલે કંટાળીને કોઈ અમારી સામે ‘આર્ગ’ (Argue) નહોતા કરતા...!)

અફ કોર્સ, લીલા નાયડૂને કેટલા ટકા ઇન્ડિયન કહેવી, એ ગણતરીનો વિષય ખરો કેમ કે, આપણે ભણવામાં આવતા તે વૈજ્ઞાનિક મૅડમ ક્યૂરીના આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા ભારતના એવા જ આદરપાત્ર સાયન્ટિસ્ટ ડૉ. પટ્ટીપતિ રમૈયા નાયડૂ પરણ્યા હતા સ્વિત્ઝર્લેન્ડ-ફ્રાન્સના વતની ડૉ. માર્થીને, જેમનું સંતાન એ આપણી ‘લીલા’.

ઇન ફૅક્ટ, આ ફિલ્મમાં લીલા નાયડૂએ બેવફા પત્નીનો રોલ કર્યોછે, જે કેટલેક અંશે એના અસલી જીવનમાં પણ વાસ્તવિક બન્યો હતો. (એક વાત પણ નોંધી લો. હિંદી બોલતી ફિલ્મો ૧૯૩૧-માં શરૂ થઈ ત્યારથી આજ સુધીની સૌથી હૉપલેસ એક્ટ્રેસ, જેને ઍક્ટિંગનો ‘અ’ ય આવડતો નહોતો, તેમાં લીલા નાયડૂનો નંબર પહેલો જ આવે.) દેશની બહુ જાણીતી ‘ઓબેરોય હૉટેલ્સ’ના માલિક તિલકરાજ (ઉર્ફે ‘ટીક્કી’) સાથેના લગ્નથી બે જોડકી દીકરીઓ ‘માયા’ અને ‘પ્રિયા’ થઈ, પણ પતિ-પત્ની બન્ને એકબીજા સાથે જોડાઈ ન શક્યા ને છૂટાછેડા લીધા. એ પછી લંડનમાં લીલા મહાન ચિંતક જે. કૃષ્ણમૂર્તિના વિચારોથી પ્રભાવિત થઈ. પણ મુંબઈ આવીને ઇંગ્લિશમાં કવિતાઓ લખતા આપણા દેશી કવિરાજ ડોમ. મોરાયસના પ્રેમમાં પડીને લગ્ન કરી લીધા. આ છોકરીનું રૂપ એનું દુશ્મન બનતું હતું. એમાં અત્યંત વહેમી બનેલા ગોરધન સાથે લીલાને રોજેરોજના ઝગડા થવા માંડ્યા. કહે છે કે, ડોમ મોરાયસ લીલાને સખ્ત મારઝૂડ કરતો હતો, એમાં કંટાળીને લીલા નાયડૂ ઘર છોડીને મુંબઈના કોલાબામાં એકલી રહેવા આવી ગઈ હતી.... તમે જોઈ શકો છો કે, આ કહેવાતી ‘પેઈજ થ્રી’ સોસાયટીમાં પણ કલ્ચર તો ઝોંપડપટ્ટીનું પણ હોઈ શકે છે !

(આ સાથે ગુજરાતભરની સુંદર સ્ત્રીઓને ચેતવવામાં પણ આવે છે કે, પ્રેમોમાં પડવું, તો કદી કવિઓમાં ન ઝંપલાવવું.. માર ખાવો પડે !) કવિઓ સિવાય બીજા નથી દેખાતા ?

લીલા નાયડૂએ ફિલ્મો બહુ ઓછી કરી હતી. ઍક્ટ્રેસ તરીકે કોઈ અસરકારક નહોતી, છતાં ૧૯૬૦-માં ૠષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનુરાધા’માં બલરાજ સાહની સાથે એ હીરોઈન બની. (યાદ છે ને, લતાના ચારે ચાર સુપરહિટ ગીતો... પં. રવિશંકરના સંગીતમાં !) એ પછી જૉય મુખર્જી અને અશોકકુમાર સાથેની ફાલતુ ફિલ્મ ‘ઉમ્મિદ’માં એ ચમકી. એમ તો ઇંગ્લિશ ફિલ્મ પણ મળી. શશી કપૂર સાથે ફિલ્મ ‘હાઉસહોલ્ડર’, જેમાં એનું કામ જોઈને સત્યજીત રેએ ‘ધી જર્ની’ નામની ઇંગ્લીશ ફિલ્મ માર્લૉન બ્રાન્ડો, શશી કપૂર અને લીલા નાયડૂને લઈને બનાવવાનો વિચાર કર્યો. અલબત્ત, આપણા દેશમાં વિચાર કરવાનો બહુ ખર્ચો આવતો નથી, એટલે એ ફિલ્મ પડતી મૂકાઈ.

સરપ્રાઈઝિંગલી, વિજય આનંદ ફિલ્મ ‘ગાઈડ’માં રોઝી માર્કોવાળો વહિદા રહેમાને કરેલો રોલ ફક્ત અને ફક્ત લીલા નાયડૂને જ આપવા પાગલ થઈ ગયો હતો.. કમ કે સદનસીબે, આ રોલ માટે જરૂરત એક ટ્રૅઇન્ડ-ડાન્સરની હોવાથી લીલાને બદલે વહિદાને લેવાઈ. લીલા નાયડૂની હીરોઈન તરીકે છેલ્લી ફિલ્મ પ્રદીપકુમાર સાથેની (અમદાવાદની અશોક ટૉકિઝમાં આવેલી) ફિલ્મ ‘બાગી’ હતી, જેમાં રફી સાહેબનું ‘બહાર નઝર કરું, અપના પ્યાર નઝર કરું, જો તુમ કહો તો નઝર કા ખુમાર નઝર કરું’ યાદ હશે. છાતીમાં સાબુના ફીણ વળવા માંડે, એવા એક સમાચાર એ પણ છે કે, મહાન શૉમેન રાજ કપૂરને લીલા નાયડૂ હદ બહારની ગમી ગઈ હતી, તે એટલે સુધી કે, ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ સહિતની પોતાની ચાર ફિલ્મોમાં લીલાને જ લેવા માટે બહુ સમજાવતા રહ્યા હતા, પણ શક્ય છે લીલાને અસલી રાજકપૂરની ખબર પણ હોય, એટલે એક પણ ફિલ્મ સ્વીકારી નહિ.

સામે છેડે રાજ કપૂરના કટ્ટર (છતાં છૂપા) દુશ્મન સુનિલ દત્તની આ ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ સ્વીકારીને લીલાએ એ જમાના ફિલ્મી મૅગેઝિનોને ચગાવવા માટે મોટી સ્ટૉરીઓ આપી હતી. આ તો આપણા મીડિયાએ યોગ્ય ભાડું લઈ લઈને અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘ઝંઝીર’ પછી ‘ઍન્ગ્રી યંગ મૅન’ બનાવી દીધો. ઇન ફૅક્ટ, હિંદી ફિલ્મોમાં સર્વ પ્રથમ ઍન્ગ્રી યંગમૅન તો મહેબૂબખાનની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નો સુનિલ દત્ત હતો. એ પછીની દત્ત સાહેબની અનેક ફિલ્મોમાં એમણે આવા જ રોલ કર્યા છે, ‘મુઝે જીને દો’ હોય કે આ ફિલ્મ ‘યે રાસ્તે...’ હોય. સરસ હાઈટ-બૉડી અને પહોળા ખભાવાળી એની શારીરિક પર્સનાલિટી અને હૅન્ડસમ છતાં લશ્કરી ચહેરો એક જૂદી ઇમેજનો માલિક હતો. ઍક્ટર તરીકે બહુ સારો તો ન કહેવાય પણ એને માફક આવે એવી ‘આવી’ ફિલ્મો માટે તો એ સાચ્ચે જ બહુ સારો ઍક્ટર કહેવાય. બેવફા પત્ની ઉપર ગુસ્સો આવે છે, એનું ગળું દબાવી નાંખવાનું ખૂન્નસ પણ ઉપડે છે, છતાં સમસમીને ચૂપ રહી જવાની લાચારી દત્ત સાહેબે માર્વેલસ દર્શાવી છે. રહેમાનની અદ્‌ભૂત પર્સનાલિટી એનો USP હતો, ખાસ કરીને બદમાશ દોસ્તનો રોલ હોય. એ કદી સારો માણસ લાગી જ ન શકે. અહીં પરદેશ ગયેલો દોસ્ત (સુનિલ દત્ત) પોતાની પત્નીનું ઘ્યાન રાખવા સગા ભાઈ જેવા આ દોસ્તને સોંપી જાય છે, તો રહેમાન દોસ્તીની પત્નીનું દસે દિશાઓથી ઘ્યાન રાખે છે. શશીકલા એની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મનો પણ ઇન્ટેગ્રલ પાર્ટ છે. એના વગર કોઈ ફિલ્મ આગળ ન વધે. અહીં પણ એ દરેક ફિલ્મની જેમ વહાલી લાગે એવી વૅમ્પ બની છે. આપણા પોપટલાલ ઉર્ફે રાજેન્દ્રનાથ સગપણના ધોરણે, રાજ કપૂરના સાળા થાય, પણ ખાસ યાદ નથી કે, રાજ કપૂરે એમને ક્યારેય યાદ કર્યા હોય, પણ સુનિલ દત્તના એ નિકટના દોસ્ત હોવાને કારણે એમની અજન્તા આર્ટસની તમામ ફિલ્મોમાં પોપટ હોય. અફ કૉર્સ, ફિલ્મના અસલી હીરો તો આપણા દાદામોની છવાઈ જાય છે. કોર્ટમાં એમની સામે એવા જ અસરદાર મોતીબાબુ એટલે કે મોતીલાલ હોય, પછી સમજી શકો છો કે, ફિલ્મમાં કૉર્ટના દ્રશ્યો જોવા/સાંભળવાના કેવા કેવા ટેસડાઓ પડી ગયા હશે ! દાદામોની એટલે કે અશોકકુમાર જેવો ‘અભિનેતા’ તો દિલીપકુમારે ય નહિ અને અમિતાભ બચ્ચને ય નહિ.. અને એ તો જેમણે એમની ફિલ્મો જોઈ હોય, એમને ખબર પડે. બધાએ ઝંડા ઊંચા કરવાની જરૂર નથી.

યસ. ફિલ્મના સંદર્ભમાં રાજેન્દ્ર કૃષ્ણએ ગીતોમાં સાચ્ચે જ બહુ મોટા મોર માર્યા છે. અદ્‌ભુત લખ્યું છે. ઉર્દુનો લેવા-દેવા વગરનો વઘુ પડતો મારો કરવામાં એ સાહિર લુધિયાનવી જેટલા લોકપ્રિય ન થઈ શક્યા. સાહિર તો મુસલમાન હતા, છતાં હિંદીને એમણે ઇકવલ ન્યાય આપ્યો હતો. રાજેન્દ્ર કૃષ્ણ બેશક મોટા ગજાના ગીતકાર, પણ દેશભરના હિંદુઓ કાંઈ ઉર્દૂ માઘ્યમની સ્કૂલોમાં ભણ્યા નથી, એટલે ઉત્તમ હોવા છતાં બધા ફિલ્મ રસિકો એમના ગીતો સમજી ન શકે. આઘાત એ વાતનો લાગે છે કે, ફિલ્મ હિંદી હોય, વાર્તાના તમામ પાત્રો સંપૂર્ણપણે હિંદુ હોવા છતાં, ફિલ્મના ગીતો શેને માટે બૉમ્બાસ્ટિક ઉર્દુમાં લખવામાં આવે ? કોઈ ચાર જણાએ વખાણ કર્યા એટલે રાજેન્દ્ર કૃષ્ણ જેવા શાયરો પણ આડેધડ ઉર્દુ લખવા મંડી પડે, એમાં તમે એવી દલિલ ન કરી શકો કે, રાજેન્દ્ર કૃષ્ણએ ભજનો પણ લખ્યા છે ! ફિલ્મ ‘પાકિઝા’ કે ‘મુગલ-એ-આઝમ’માં ફક્ત ઉર્દુ જ આવે અને કેટલું મીઠું લાગે છે ! પણ ફક્ત હિંદુ બેકગ્રાઉન્ડ ધરાવતી બાકીની ૯૮-ટકા ફિલ્મોના ગીતોમાં ઉર્દુ વાપરીને એ ગીતકારોએ લોકપ્રિયતાના માપદંડ પર પોતાની કબરો ખોદી છે. સાહિરને જુઓ. જ્યાં ઉર્દુ જ ચાલે, ત્યાં બેમિસાલ ભાષાપ્રયોગ કર્યો છે, ‘હયા સે ઇતની બગાવત હમેં પસંદ નહિ’, તો એ જ સાહિરે જ્યાં સંસ્કૃત મઢ્‌યું હિંદી વાપરવાનું હતું ત્યાં, ‘યે ભોગ ભી એક તપસ્યા હૈ, તુમ ત્યાગ કે મારે ક્યા જાનો...’ થૅન્ક ગૉડ, ‘ચિત્રલેખા’ના ગીતો રાજેન્દ્ર કૃષ્ણો, હસરત જયપુરીઓ અને મજરૂહોને લખવા નહોતા અપાયા ! યસ. ઉર્દુ સમજાતું હોય અને ફિલ્મમાં જરૂરત હોય તો રાજેન્દ્ર કૃષ્ણના ગીતોને સરતાજ કહેવા પડે, એવા ઉત્કૃષ્ટ હતા. એ સહેજ પણ સામાન્ય ગીતકાર નહતો. ઓમપ્રકાશની ફિલ્મ ‘જહાનઆરા’ના તમામ ગીતો સામે. અશોક દવે સર ઝુકાવે છે, ‘યે લોગ ક્યું મેરે આગે હૈં શમ્મા લાયે હુએ...?’ આ ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’માં ખાસ કરીને ‘કોઈ મુઝ સે પૂછે કે, તુમ મેરે ક્યા હો, મેરે પ્યાર કી ઇક હંસિ ઇલ્તજા હો’ માં સરસ બારિક નક્શીકામ થયું છે.

સંગીતકાર રવિને જ્યારે જ્યારે પણ આવા મૂડની વાર્તાઓ ઉપર કામ કરવાનું મળ્યું છે, ત્યારે એ છવાઈ ગયા છે. આ ફિલ્મની સફળતામાં રવિના ગીતોનો જબરદસ્ત ફાળો છે. અલબત્ત, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોઈનું નથી, નહિ તો ઓપી નૈયરને બાદ કરતા એકમાત્ર રવિ એવા સંગીતકાર હતા, જેમણે જૂજ અપવાદો બાદ કરતા આશા ભોંસલેને મૅક્સિમમ માઈલેજ આપીને લતા મંગેશકર વગર ચલાવી બતાવ્યું છે. આમ છતાં, પોતાના કોઈ ઇન્ટરવ્યૂમાં આશાબાઈએ ઉછળી ઉછળીને રવિનો આભાર કે વખાણ કર્યા હોય, એ મને અને આશા ભોંસલે-બન્નેને યાદ આવતું નથી.

પણ ભાઈ... ભાઈ... ભાઈ ! જરા રસ્તો કરી આપો, બાજુ ખસો.. સવારી મુહમ્મદ રફી સાહેબની આવે છે. આખી ફિલ્મ ઉપર સાહેબ એવા છવાઈ ગયા છે, એમનું એકાદ ગીત જ યાદ કરો ને ! ‘તુમ જીસ પે નઝર ડાલો, ઉસ દિલ કા ખૂદા હાફિઝ...’ પણ આ ફિલ્મના થીમ સૉંગ ‘કોઈ મુઝ સે પૂછે કે, તુમ મેરે ક્યા હો’ ઘ્યાનથી સાંભળો, તો જે વેદના એક લાચાર પતિની રફીએ પોતાના કંઠ દ્વારા અનુવાદિત કરી છે, તે ભારતના અન્ય કોઈ પણ ગાયકના બસની બહારની વાત છે. ગીતમાં, ‘... મેરે પ્યાર કી, ઇક હંસિ ઇલ્તજા હો’ દરમિયાન બેવફા પત્નીના પતિની કાંઈપણ કરી શકવાની લાચારી રફીના કંઠમાં કેવી કરૂણતાથી વ્યક્ત થાય છે, તો એ જ ગીતમાં આવા પતિને ગૂસ્સો આવતા, ‘મેરી ખામોશ સી દુનિયા મેં હૈ ક્યું આજ ખલલ. મૈંને દેખા હૈ કહીં તૂટા હુઆ તાજમહલ...’ ગુસ્સો ય વ્યક્ત થાય છે. હકીકતમાં, રફી અને રવિની જોડીએ રફી સાહેબના ઉત્તમોત્તમ ગીતો આપ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી સાધનાના ગોરધન આર. કે. નૈયરે કર્યું છે. પોતાની તમામ ફિલ્મોના નામોમાં ‘પ્યાર’ શબ્દ તો આવવો જ જોઈએ, એ હઠ લઈને છેવટે પસ્તાયેલા નૈયર સાહેબે આ ફિલ્મમાં બેશક સુંદર દિગ્દર્શન આપ્યું છે. ફિલ્મની વાર્તા તો સમજ્યા કે, સત્યઘટના પરથી લેવાઈ છે, છતાં હિંદી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી પ્રેમમાં બેવફાઈની વાર્તાઓમાં સ્ત્રીઓને હંમેશા નિર્દોષ કઈ કમાણી ઉપર બતાવવામાં આવે છે, તે નથી સમજાતું. અનુભવીઓ તો એવું કહે છે કે, પ્રેમના મામલે સ્ત્રીઓ પરફૅક્ટ ફરેબી હોય છે. સાડી બદલતા વાર લાગે, પ્રેમી બદલતા નહિ ! અહીં જો કે, એને નિર્દોષ તો નથી બતાવાઈ, પણ પ્રેક્ષકોની સતત સહાનુભૂતિ લીલા નાયડૂને મળતી રહે, એવી વ્યવસ્થા સાહજીકતાથી કરવામાં આવી છે. બાય ધ વે, આ વાંચતી સ્ત્રીઓમાંથી એક પણ સ્ત્રી હાલમાં પોતાના ગોરધન સિવાય બીજા કોઈના પ્રેમમાં પડી ચૂકી હોય કે પડુ-પડુ થતી હોય, તો આ ફિલ્મ ‘યે રાસ્તેં હૈં પ્યાર કે’ બેશક જોઈ લેવા જેવી છે.. શક્ય છે, તમારું જીવન અને પેલાના પૈસા બચી જાય ! 

24/08/2011

મળવા જેવો માણસ, સ્વ. મૂકેશ

આ આપણો મૂકેશ... ગાયક મૂકેશ, આપણી આંખોમાં પાણી આવી જાય, એવો ભોળિયો હતો. હીરોથી માંડીને સંગીતકારોએ એના અપમાનો કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. લોકોએ એનો જ લાભ લીધો છે. એ પોતે લતા મંગેશકર તો હતા નહિ કે, રાજ એનું બરકરાર રહે અને બીજા રફીઓ, કિશોરો કે મન્ના ડેઓ ફેંકાઈ જાય ! ઇન ફૅક્ટ, આવું પૉલિટિક્સ તો એ જમાનામાં એક ય પુરુષ ગાયકમાં હતું નહિ. રફી સાહેબે ધાર્યું હોત તો એમના નક્શે કદમ પર ચાલેલો ફક્ત મહેન્દ્ર કપુર જ નહિ, ખુદ મૂકેશ- મન્ના ડેને ય મળ્યા છે, એટલા ગીતો મળ્યા ન હોત. બહુ સૌજન્યશીલ માણસો હતા એ બધા.. ને વિચાર કરો કે એક વ્યક્તિ તરીકે મૂકેશ જો ઇવન આ બધાથી પણ બે દોરા ઉપર હોય, તો પર્સનલી કેવો મળવા જેવો માણસ હશે, મૂકેશ ? 

સુરૈયા સાથેની ફિલ્મ ‘માશૂકા’ દરમ્યાન આંધળા વિશ્વાસ (અને... કદાચ, બેવકૂફીથી...!) એણે એક એવા કૉન્ટ્રેક્ટ ઉપર સહી કરી દીધી, જેના પરિણામે, જ્યાં સુધી ‘માશુકા’ પૂરી ન થાય, ત્યાં સુધી એ બીજી કોઈ ફિલ્મમાં ગાઈ ન શકે. (બાય ધ વે... દુનિયાભરની કોઈ માશુકા આજ સુધી પૂરી થઈ છે ખરી... ? આપણને પલભરમાં પૂરા કરે, એ તો એના જન્માક્ષરમાં ય લખ્યું હોય ! સુઉં કિયો છો ?) એને ખબર પણ નહોતી કે, વાંચ્યા- ફાંચ્યા વગર સહી કરી નાખવામાં એ કેટલી મોટી પનોતિ નોંતરી રહ્યો છે ! મોટો વિસ્ફોટ રાજ કપૂરની બની રહેલી ફિલ્મ ‘શ્રી. ૪૨૦’માં થયો. મૂકેશે હજી માંડ એકાદ-બે ગીત ગાયા હતા, ને એ કૉન્ટ્રેક્ટ કરી બેઠો. શું થાય ? રાજ કપૂરને પણ ના પાડવી પડી અને ‘‘રાજ કપૂરને પણ ના પાડવી પડી...’’ શબ્દોનો અર્થ હું અને તમે માનીએ છીએ એના કરતા ઘણો ખતરનાક હતો. રાજ મૂકેશ પર અતિશય ગુસ્સે ભરાયો. ન કહેવાના શબ્દો કીધા. ગીતો મન્ના ડે પાસે ગવડાવવા પડ્યા... ઇવન રાજ-નરગીસ, શંકર - જયકીશનની બાંધેલી ફિલ્મ હોવા છતાં મદ્રાસની ફિલ્મ ‘ચોરી ચોરી’માંથી પણ મૂકેશની બાદબાકી થઈ ગઈ. 

વાત ત્યાં પતતી નથી. મૂકેશના કમનસીબે ‘માશુકા’ લંબાતી ગઈ. પૂરી જ નહોતી થતી. એક તરફ મૂકેશના ગીતો બંધ, એમ રૂપિયાની આવક પણ બંધ. અને એ દિવસો કંઈ એવા નહોતા કે, એક રીયાલિટી- શૉમાં હાજરી આપી આવો, તો ય કરોડ રોકડા મળે કે ફિલ્મનું એક ગીત ગાવાના (આજના ભાવ પ્રમાણે) કોઈ લાખ- બે લાખ મળે. ખુદ લતા મંગેશકરને એક ગીતના રૂા. ૨૦૦/- મળતા હોય, ત્યાં મુકેશ- તલત તો કઈ વાડીના... ? (અહીં કોઈ સબ્જી- ફબ્જીનું નામ મૂકવાનું હોય છે... મને યાદ નથી. હાલમાં હું સ્વ. મૂકેશજીના ગીતો યાદ કરવામાં બિઝી છું, શાકભાજીઓના નામો નહિ !) 

પૈસેટકે મૂકેશની બર્બાદી ત્યાં સુધી આવી ગઈ કે, સ્કૂલમાં બાળકોની ફીઓ ભરવાના પૈસા નહોતા, ભ’ઈ પાછા મોંઢાના મોળા નહિ ? કોઈની પાસે વાતે ય ના કરે ! 

... અને વાત કરી હોય તો ય, અમારા ખાડીયાની ભાષામાં કહીએ તો કોઈ શું ઉખાડી લેવાનું હતું, જ્યાં રાજ કપૂર જ વાઘ જેવો સામે પડ્યો હતો ! ઇન ફૅક્ટ, મૂકેશ મોડો મોડો ય ‘માશુકા’વાળી ટ્રબલમાંથી બહાર આવ્યો, ત્યાં તોતિંગ ભરડો ભરવા માટે ઍનાકૉન્ડા તૈયાર જ હતો. રાજ કપૂરે શરત મૂકી કે, હવે મારી સાથે ગાવું હોય તો, મારા સિવાય બીજા કોઈ હીરોને તારે પ્લૅબેક નહિ આપવાનું... મંજૂર હોય તો બોલો, વર્ના ‘જય રામજી કી !’ 

વિશ્વાસ ખાતર આંખ મીંચીને સહી કરી આપવાની કેટલી મોટી સજા મૂકેશ ભોગવી રહ્યો હતો... ! અનિલ બિશ્વાસ અને સલિલ ચૌધરીને બાદ કરતાં બીજા કોઈ સંગીતકારોનો માનીતો હતો નહિ અને આ બન્નેને પણ મૂકેશની જરૂરત પોતાની જરૂરતો પૂરતી જ હતી. ફિલ્મ નગરીમાં એકબીજા માટે જાન આપી દે, એવી તો એકે ય દોસ્તી આજની તારીખ સુધી નોંધાઈ નથી....! મૂકેશની લાચારી અને બેબસી એના તમામ કરૂણ ગીતોની સાહેદી પૂરે છે. 

મૂકેશને માફ કરી દેવા માટે, કોણે રાજ કપૂરને બહુ વિનયપૂર્વક સમજાવ્યો અને એ માની ગયો, એની બાતમી પાકી તો નથી, પણ જે થયું એ સારું થયું સમજોને. લગભગ ’૫૮ની સાલ સુધી મૂકેશની બર્બાદી રહી. અફકૉર્સ, મૂકેશ, તલત, હેમંત કે મન્ના દા એ લેવલના ગાયકો નહોતા કે, રફી- કિશોરની જેમ એક મોટું વાવાઝોડું આવે અને પૈસાનો મોટો સપાટો બોલાવી દે. (પાઇ પાઇના મોહતાજ રહ્યા પછી, ફિલ્મ ‘આરાધના’ સાથે કિશોરે જે હલચલ મચાવી, તે આજની તારીખમાં પણ બેમિસાલ છે. જિંદગીભર નહોતું કમાયો, એટલું તો એ પ્રારંભના ૨- ૩ વર્ષોમાં કમાઈ બેઠો. (આજે પણ આપણને ગળું સારું નહિ હોવાનો અફસોસ ખરો...!) 

અફસોસ તો મૂકેશને એ વાતનો પણ થવો જોઈતો હતો કે, એક શમશાદ બેગમને બાદ કરતાં આપણા લતા, રફી, તલત, મન્ના ડે, કિશોર, આશા, ભોંસલે, ગીતા દત્ત કે હેમંતકુમાર... બધા કરતા હિન્દી ફિલ્મોમાં સૌથી સીનિયર મુકેશ. આ બધા ’૪૫- ’૪૬માં આવ્યા, જ્યારે મૂકેશ ૧૯૪૧માં પહેલું ગીત રેકોર્ડ કરાવી ચૂક્યો હતો. ‘દિલ હી બુઝા હુઆ હો તો ફસલે બહાર ક્યા’ એ ફિલ્મ ‘નિર્દોષ’માં એ નલિની જયવંત સામે હીરો પણ હતો. થૅન્ક ગૉડ, આપણને ઉત્તમ ગાયક મળ્યો અને નબળા હીરોમાંથી બચી ગયા. પણ આખી લાઇફમાં ભલે એણે બઘું મળીને હજાર ગીતો આપ્યા. પણ એક એક ગીત કેવું ટકોરાબદ્ધ છે ? પ્રેમમાં તાજા જ સફળ થયા હો તો ગાઓ, ‘અય સનમ જીસને તુઝે ચાંદ સી સૂરત દી હૈ...’ તાજા નિષ્ફળ ગયા હો તો બાજુવાળા પાસે ગવડાવો, ‘સજનવા બૈરી હો ગયે હમાર’, પગનો નખ ઉખડી ગયો હોય ને પાકેલો અંગૂઠો બહુ દુઃખતો હોય તો, નજર અંગૂઠા સામે રાખી હાર્મોનિયમની પેટી મંગાવીને ગાઓ, ‘મેરે તૂટે હુએ દિલ સે, કોઈ તો આજ યે પૂછે, કે તેરા હાલ ક્યા હૈ’ ફલેટના ચોથા માળવાળીએ ઉપરથી આડેધડ કચરો સીધો તમારા માથે પછાડ્યો હોય ને છાનીમાની મહી જતી રહી હોય તો ઉપર જોઈજોઈને ગાઓ, ‘આસમાં પે ખુદા, ઔર ઝમીં પે હમ, આજકલ ઇસ તરફ વો દેખતા હૈ કમ’ કે પછી ધંધામાં કરોડ બે કરોડનું ઉલાળીયું થઈ ગયું હોય તો બાલ્કનીમાં સારા દિવસો પાછા આવવાની (તમારા સારા દિવસો... તમારી વાઇફના નહિ... ઝપો છાનામાના !) આશામાં ઊભા ઊભા ગાઓ, ‘વો સુબહા કભી તો આયેગી, વો સુબ્હા કભી તો આયેગી... હોઓઓઓ....’ 

જો કે, ગાવાના ડોડળીયા ઉપડ્યા હોય, તો રફી કે મન્ના ડે આપણા કોઈ કામના નહિ. એવું બઘું અઘરું-અધરું આપણને ન ફાવે. આપણને તો ચોખ્ખી વાત કરવા જોઈએ. મૂકેશનું શું કે, એ આપણા જેવા સારા ગાયકો માટે બહુ ગળાવગો રહેતો. ગાતી વખતે એ પોતે બહુ ખેંચતો નહિ ને આપણને ખેંચવા દેતો નહિ. હા, ‘દિલ જલતા હૈ તો જલને દે’ જેવા ખરજીયા ગીતમાં અવાજ નાભિમાંથી કાઢી બતાવવાનો હોય, તો ‘બાબા... છૂટા નથી.... આગળ જાઓ’ એવું કોઈ આપણને સંભળાવી જાય, કે વખત છે ને કોઈની બી બા ખીજાય, એવું ગાવું જ શું કામ ? મૂકેશે આપણી કરિયરને બહુ વાંધો ન આવે, એવા કોઈ હલકા-ફૂલકા ગીતો ય ગાયા છે, એમાં એની પોતાની કરિયરને ય વાંધો નહોતો આવ્યો જેમ કે, ‘તેરે પ્યાર કો ઇસ તરહ સે ભૂલાના, ન દિલ ચાહતા હૈ, ન હમ ચાહતે હૈ’ કે પછી ‘જો પ્યાર તુમને મુઝકો દિયા થા, વો પ્યાર તેરા મૈં લોટા રહા હું...’

ઉફ... હવે તો બે-ચાર દહાડામાં મૂકેશની વિદાયને ૩૫- ૩૫ વર્ષો થશે ને છતાં ય રૂઆબ જુઓ એ નરગીસી અવાજનો કે, એના એકે ય ગીતે આજ દિન સુધી આપણાથી છૂટવાનું નામ નથી લીઘું. 

સિક્સર 
‘માઇલ સ્ટોન્સ’ પર લખેલા કિલો મીટર્સ, ફક્ત જીલ્લા પંચાયતના મકાનથી ગણવામાં આવે છે. જીલ્લા ન હોય તો તાલુકા કે ગ્રામ પંચાયત. ખાત્રી કરવી હોય તો અમદાવાદના ભદ્રના કિલ્લા સામે આવેલી જીલ્લા પંચાયતના બિલ્ડિંગ સામે રોડ પર લોખંડની The Standard Mile Stone નામનો પથ્થર ખોડવામાં આવ્યો છે. હાઇ-વે- પર મૂકેલા માઇલ સ્ટોન્સ પર લખેલા કિ.મી. અહીંથી ગણાય, કોઈ પોસ્ટ ઓફિસ, એસ.ટી. બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશનથી ન ગણાય. 

21/08/2011

ઍનકાઉન્ટર 21-08-2011

* ઇંડા-ઑમલૅટની લારીઓ ફૂલીફાલી કેમ છે ?
- એનો વિરોધ કરનારઓએ જ ઇંડાના ભાવો વધાર્યા છે.
(નૈમિષ સિદ્ધપુરા, મૅલબોર્ન-ઑસ્ટ્રેલિયા)

* ધારાસભ્ય કે સંસદસભ્ય બનતા પહેલા ‘સચ કા સામના’ જેવો નાર્કો ટેસ્ટ લેવામાં આવે તો પરિણામ શું આવે ?
- ‘નાર્કો ટેસ્ટ કૌભાંડ’માં શરદપવારે ૮,૦૦૦ કરોડ બનાવ્યા...’’
(હેમેન્દ્ર એસ. નાણાવટી, જૂનાગઢ)

* અહીં ભાવનગરમાં ‘સ્વ અશોક દવે માર્ગ’ છે. આપના જામનગર કે અમદાવાદમાં ફક્ત ‘અશોક દવે માર્ગ’ ક્યારે બનશે ?
- ભાવનગર આવીને હું મારા નક્શે-કદમ પર ચાલીશ પછી...!
(ધરતી ભટ્ટ, ભાવનગર)

* કહે છે કે, અમદાવાદમાં ચા તો શું, કોઈ પાણીનો ભાવ પણ પૂછતું નથી...
- બે અલગ અલગ ભાવો ના પૂછાય.. ચામાં પાણી આવે જ.
(શાંતિલાલ ચંદારાણા, પોરબંદર)

* ‘બીગ બોસ’માં તમે કેટલા દિવસ ટકી શકો ?
- મારો ટેસ્ટ એટલો બધો નીચો નથી.
(ધીમંત એ. ભાવસાર, બડોલી)

* ભાર વગરનું ભણતર તો ન આવ્યું, પણ ભાર વગરનું દફતર ક્યારે આવશે ?
- સ્કૂલેથી ઘરે પહોંચ્યા પછી.
(અર્શ એ ઇસ્માઈલી, અમદાવાદ)

* આતંકવાદીઓ તમારું અપહરણ કરીને ગાઢ જંગલમાં લઈ જઈને કહે, ‘અમને હસાવો’ તો તમે શું કહેશો ?
- ‘તમારા બાપાનો માલ છે... ?’ એવું કહીશ... (મનમાં)
(શ્રીમતી ફિઝ્‌ઝા એમ. આરસીવાલા, મુંબઈ)

* તમે કદી ભૂત જોયું છે ?
- હું પરણેલો છું.
(મનોજ એમ. ઝાલા, સિહોર)

* મારા માટે મલ્લિકા શેરાવતનું માગું આવે તો તમને કોઈ વાંધો ખરો ?
- પહેલા એ મહિલાને મારે પૂરી તપાસવી પડે... એમને એમ કોઈને માલ ભટકાડી ન દેવાય.
(પરિમલ સોલંકી, અમરેલી)

* બુરખો પહેરેલી એક જ સાઈઝની બે વ્યક્તિઓમાંથી પુરૂષ કોણ અને સ્ત્રી કોણ, એની ખબર કેવી રીતે પડે ?
- ‘તમારી મૂછો દેખાઈ ગઈઈઈઈઈ... !’ એવું ચપટી વગાડીને બોલવું... તરત રીઝલ્ટ !
(ભારતી સી. કાચા, મોરબી)

* પાકિસ્તાનની સરકાર તમને ત્યાં આવવાનું આમંત્રણ આપે તો જાઓ ખરા ?
- લોકો કહે છે, જ્યાં મારા પગલાં પડે છે, ત્યાં સ્વર્ગ બની જાય છે... હું નર્કને સ્વર્ગ બનાવવા શું કામ જઉં ?
(ઉર્વી રાવલ, મહેસાણા)

* ‘ચેતતો નર સદા સુખી’. આવું નારી માટે કેમ નથી કહેવાતું?
- નારીથી ચેતતો નર સદા સુખી.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* વક્તા બધા જ... શ્રોતા બનવું કેમ કોઈને ગમતું નથી ?
- સુઉં કીઘું... ? જરા મોટેથી બોલો તો...!
(દર્શિની ક્લાર્ક, સુરત)

* જાહેરમાં ચૂંબન ગૂન્હો ખરો, પણ ‘ફ્‌લાઈંગ કિસ’માં કોઈ વાંધો આવે ?
- ભાઈ, હું એમાંનો નથી.
(ફિરોઝ ડી ગાર્ડ, અમદાવાદ)

* સારા માણસ બનવા માટે આપનું કોઈ સૂચન...?
- કોઈ સારા માણસને પૂછો.
(કપિલ રોકડ, સુરત)

* ગાંધીબાપુના ત્રણ વાંદરાઓનો ઉપદેશ લોકો કેમ ભૂલી ગયા છે ?
- કયા વાંદરાઓ...?
(રાજુ શાહ, સુરત)

* ઇર્ષારૂપી આગ ઠારવાનો લ્હાયબંબો ક્યાં છે ?
- હળગી ગયો !
(રાજેન્દ્ર શાહ, સુરત)

* શરદ પવારને કાઢવાનું કોંગીજનોને કેમ નહિ સૂઝતું હોય ?
- આ તો હાળું મને ય નથી સૂઝ્‌યું...! હું તો કોંગ્રેસને કાઢવાની જ સૂઝાસૂઝી કરતો’તો !
(ડૉ. અબ્દુલગની મહેસાણીયા, સુરત)

* વ્યસન હાનિકર્તા છે. મને ‘એન્કાઉન્ટર’નું વ્યસન થઈ ગયું છે. શું કરવું ?
- વ્યસનમુક્તિ અભિયાન સ્વામિનારાયણ મંદિરવાળા સંભાળે છે... ત્યાં તપાસ કરી જુઓ.
(અફરોઝબેન મિરાણી, મહુવા)

* સ્ત્રીને સમજવી મુશ્કેલ છે, પણ કહે છે કે, એને સમજાવવી તો ઓર મુશ્કેલ છે. તમારો અનુભવ ?
- બુદ્ધિ વગરના આ બન્ને કામો હું કદી કરતો નથી.
(શૈલવ સંજીવ છાયા, વડોદરા)

* મને સ્વાભાવિક ઢબે કોઈ સવાલો થતા નથી, પણ તમારા લેખો વાંચીને સવાલો શરૂ થઈ જાય છે. કારણ શું હોઈ શકે ?
- તમે પ્રખર બુદ્ધિશાળી છો.
(શીતલ મિસ્ત્રી, ભરૂચ)

* ભગવાન પ્રસન્ન થઈને તમને કોઈ વરદાન માંગવાનું કહે, તો શું માંગો ?
- મારી ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે, એ પહેલા શોધી આલ...!
(સ્વીટી એસ. ચંદારાણા, પોરબંદર)

* ભૂતકાળના રાજા-રજવાડાઓ અને હાલના નેતાઓમાં ચઢિયાતું કોણ ?
- ઉફ...! રાજા-મહારાજાઓની સરખામણી ભિખારીઓ સાથે કેમ કરો છો ?
(ઓ. વી. સાગર, રાજકોટ)

* કોઈ સ્ત્રી તમારી સાથે વિશ્વાસઘાત કરે, તો શું કરો ?
- મારા સંપર્કમાં આવેલી સ્ત્રી એટલી નબળી ન હોય !
(વિધિ નારાયણદાસ, વડોદરા)

* સાચા ગોરધનનો સ્વભાવ અને સ્વરૂપ તમારી દ્રષ્ટિએ કેવા હોઈ શકે ?
- સાચો કે ખોટો, ગોરધન બબ્બે કદી ન રખાય...! આ તો એક વાત થાય છે !!
(લીલાધર જી. ભારદીયા, પૂના-મહારાષ્ટ્ર)

* પ્રેમની પ્રસાદી પામવા કયા સરોવરમાં ડૂબકી મારવી ?
- એ પહેલા મ્યુનિના નળ નીચે અડધો કલાક નાહી નાંખો.
(સુમન એમ. વડુકૂળ, રાજકોટ)

* તમારું આટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને હાસ્યવૃત્તિ માટે તમારા પૂજ્ય માતૃશ્રી તરફથી ગળથૂથીમાં શું પીવડાવ્યું હતું ?
- એનું દૂધ કાફી હતું.
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ)

19/08/2011

‘‘પ્યાસા’’ (’૫૭)

ફિલ્મ : ‘‘પ્યાસા’’ (’૫૭)
નિર્માતા-દિગ્દર્શક : ગુરૂદત્ત
સંગીતકાર : સચિનદેવ બર્મન
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ. ૧૪૬-મિનિટ્‌સ.
કલાકારો : ગુરૂદત્ત, વહિદા રહેમાન, માલા સિન્હા, જ્હૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મીશ્રા, મેહમુદ, શ્યામ, મૂલચંદ, દિલીપ દત્ત.


ગીતો
૧. જાને ક્યા તુને કહી, જાને ક્યા મૈંને સુની, બાત કુછ...ગીતા દત્ત
૨. જાને વો કૈસે લોગ થે જીનકે પ્યાર કો પ્યાર મિલા...હેમંતકુમાર
૩. સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાય, આજા પ્યારે...મુહમ્મદ રફી
૪. હમ આપકી આંખોં મેં, ઇસ દિલ કો બસા લે તો ?....ગીતા-રફી
૫. આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે....ગીતાદત્ત
૬. યે કૂચે યે નીલામઘર દિલકશી કે, યે લૂટતે હુએ કારવાં....મુહમ્મદ રફી
૭. યે મહેલોં યે તખ્તોં યે તાજોં કી દુનિયા, યે ઇન્સાં કે...મુહમ્મદ રફી
૮. ૠત ફિરે પર દિન હમારે.....ગીતાદત્ત.
૯. હો લાખ મુસિબત રસ્તે મેં, પર સાથ ન અપના છૂટે....રફી-ગીતા દત્ત
આસિસ્ટન્ટ સંગીતકાર તો સુહ્રિદકર હતા, પણ ગીત નં.૩-ની ઘૂન રાહુલદેવ બર્મને બનાવી હતી. સુહ્રિદકર એટલે જેમણે ફિલ્મ ‘‘કાંચ કી ગુડીયા’’માં આશા-મૂકેશનું મશહૂર યુગલ ગીત ‘‘સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કીસે અબ ચૈન કહાં’’ બનાવ્યું હતું. ગીત નં.૮ ફિલ્મમાંથી કાઢી નાંખ્યું હતું.

એ વાત તો હજી મારા ય માનવામાં નથી આવતી કે, લગભગ એકોએક હિંદી ફિલ્મો જોઇ ચૂકેલા મેં હજી ‘‘પ્યાસા’’ એકપણ વાર જોઇ નહોતી. એ રીલિઝ થઇ ત્યારે હું પાંચ વર્ષનો હતો, એમાં મારો વાંક નથી, પણ એ પછી તો અમદાવાદમાં રીપિટમાં એ અનેક વાર આવી ગઈ, તો ય જોઇ નહોતી.

...આજે જોઇ ત્યારે ભાન થયું કે, બીજી એકે ય ફિલ્મ ન જોઇ હોત ને એકલી ‘‘પ્યાસા’’ જ જોઇ હોત, તો મને મારા ઉપર માન વઘુ હોત!....‘પ્યાસાઓ’ વારંવાર નથી બનતી.

જેમાં એકવાર પોતાનું નામ પણ છપાય, તો દુનિયાભરમાં માન વધે, એવા સપના ડૉ. મનમોહનસિંહોથી માંડીને આપણા રણછોડભ’ઇ મફાભ’ઈ પટેલોને પણ આવતા હોય છે, તે અમેરિકાના ‘ટાઇમ’ મૅગેઝિને ફિલ્મ ‘પ્યાસા’ને આજ સુધી વિશ્વમાં બનેલી ૧૦૦-ઉત્તમોત્તમ ફિલ્મોમાં સ્થાન આપ્યું છે, એટલું જ નહિ, વિશ્વની આજ સુધીની સર્વશ્રેષ્ઠ ૨૫-રૉમેન્ટિક ફિલ્મોમાં પણ સ્થાન આપ્યું. વધારે તંદુરસ્ત ઘટના એ બની કે, એ જ ‘ટાઇમે’ દુનિયાભરના પોતાના અબજો વાચકો પાસે સર્વે કરાવ્યો, તો એ લોકોએ આજ સુધીની સર્વશ્રેષ્ઠ ૧૦-ફિલ્મોમાં ‘પ્યાસા’ને સ્થાન આપ્યું છે.

મૂળ આ ફિલ્મનું નામ ફક્ત ‘પ્યાસ’ રખાયું હતું, પણ ગુરૂદત્તે છેલ્લી ઘડીએ ‘પ્યાસા’ કરી નાંખ્યું. મૂળ ફિલ્મના અંતમાં ગુરૂદત્ત એકલો જ કોઇ અગમ્ય દુનિયામાં ચાલી નીકળવાનો હોય છે, પણ ફિલ્મના વિતરકો (distributors) ની જીદને કારણે વહિદાને પણ સાથે લેવામાં આવી. વાર્તા મુજબ, ફિલ્મને અંતે ગુરૂદત્તનો જે કવિતા સંગ્રહ બહાર પડે છે, તેનું નામ ‘પરછાઇયાં’ છે. હકીકતમાં એ એ સમયે સાહિર લુધિયાનવીએ બહાર પાડેલા પોતાના કવિતા સંગ્રહનું આ નામ છે.

બાય ધ વે, ભારતભરના થીયેટરોમાં ફિલ્મો રીલિઝ થાય છે, એ આ વિતરકો કરે છે. એ હિસાબે ફિલ્મમાં શું ચાલશે અને શું નહિ ચાલે, એટલે સુધી કે, કોઇ હીરો-હીરોઇનનું માર્કેટ ડાઉન હોય, તો વિતરકો ફિલ્મ લેવાની જ ના પાડી દે. મતલબ, દરેક નિર્માતો વિતરકોથી દબાએલો હોય છે. ફિલ્મ રીલિઝ થયા પહેલા મુંબઈમાં ખાસ શો રાખીને પહેલા એ ફિલ્મ વિતરકોને બતાઈ દેવી પડે છે...ને પછી વિતરકો ‘‘બતાઈ દે છે’’....!

રફી સાહેબ અને ગીતાદત્તનું યુગલ ગીત ‘હમ આપકી આંખોં મેં, ઇસ દિલ કો બસા લે તો’ મૂળ ફિલ્મમાં હતું જ નહિ, પણ આખી ફિલ્મ તૈયાર થઈ ગયા પછી ડિસ્ટ્રીબ્યુટરોને બતાવવામાં આવી, ત્યારે એ બધાએ એકી અવાજે કીઘું તેમ, મૂળ ભારે નિરાશાવાદી સબ્જૅક્ટ હોવાથી વચમાં આવું એક હળવું ગીત ઉમેરાવવું જોઈએ.

‘પ્યાસા’ની વાર્તા રેડ-લાઇટ ઍરીયા સાથે સંબંધિત હોવાથી કલકત્તાના વેશ્યાબજારમાં એક્ચ્યૂઅલ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પણ ત્યાંના ભડવાઓ (pimps) એ ચાલુ શૂટિંગે બહુ મોટી તોડફોડ કરી શૂટિંગના સભ્યોને માર્યા, એટલે તાબડતોબ શૂટિંગ આટોપી લઈને મુંબઈના સ્ટુડિયોમાં કોલકાતાના એ જ વેશ્યાબજારનો સેટ ઊભો કરીને શૂટિંગ કરવું પડ્યું. કોઈપણ શૂટિંગ શરૂ કરતા પહેલા, જે તે લોકેશન કે સેટના એકલા ફોટા પાડી લેવામાં આવે છે, ઇવન કૅમેરાની સામે આવનાર તમામ નાનામોટા કલાકારોના પૂરા કદના ફોટા પાડવામાં આવે છે, જેથી અડઘું બાકી શૂટિંગ ગમે ત્યારે શરૂ કરવું હોય, ત્યારે કોણે શું પહેર્યું હતું, લાઇટિંગ કેવું અને કેટલું હતું, તે ફોટામાં જોઇને આગળ વધાય. ફિલ્મોની ભાષામાં આને Continuity કહે છે.

હજી હમણાં એટલે કે, ઇ.સ. ૨૦૦૨-માં ગૂજરી ગયેલા હિમાચલ પ્રદેશના લેખક ચંદ્રશેખર ‘પ્રેમી’ની પોતાની જીવનકહાની પરથી એમણે લખેલી વાર્તા ઉપરથી ગુરૂદત્તે આ ફિલ્મ બનાવી છે, જેને પૂરી વાર્તાના રૂા. ૫૦૦/- આપી દીધા હોવાથી ‘‘પ્યાસા’ના લેખક તરીકે મૂળ લેખકનું ક્યાંય નામોનિશાન નથી. એ વાત જુદી છે કે, દેવ આનંદની ફિલ્મ ‘ગાઇડ’માં વહિદા રહેમાનના ગોરધન બનતા કિશોર સાહુએ ઠેઠ ૧૯૪૩-માં બનાવેલી ફિલ્મ ‘રાજા’ પણ આ જ થીમ પર બનાવાઇ હતી.

આ ફિલ્મમાં માલા સિન્હા અને વહિદા રહેમાનને બદલે મૂળ તો નરગીસ અને મઘુબાલાની પસંદગી થઇ હતી, પરંતુ એકસામટી બન્ને નક્કી કરી શકી નહોતી કે, કોણે ક્યો રોલ લેવો ? તે તકરારમાં ગુરૂદત્તે આખરે માલા-વહિદાને લીધા. એ તબક્કે બન્ને તદ્દન નવી હીરોઇનો હતી. એવો જ કબાડો દિલીપકુમારનો થઇ ગયો. હીરોનો રોલ દિલીપને ઑફર થયો હતો, પણ એણે રાબેતા મુજબના નખરા શરૂ કર્યા, એટલે ગુરૂદત્તે પોતે એ રોલ કર્યો...દિલીપ આજની તારીખ સુધી આવી ગોલ્ડન ઑફર ઠૂકરાવવા બદલ પસ્તાયો છે.

ગુરૂદત્તની જ મશહૂર ફિલ્મ ‘‘કાગઝ કે ફૂલ,’’ ‘પ્યાસા’ની સરખામણીમાં કોઇ બેહતરીન ફિલ્મ નહોતી અને ખૂબ પિટાઇ ગઈ હતી. ગુરૂદત્તે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ માટે રાષ્ટ્રપતિ ભવનમાં ‘‘કાગઝ કે ફૂલ’’નો શો રાખ્યો, તેમાં આવા થર્ડ-કલાસ વિચારોવાળી ફિલ્મ જોઇને ઉકળી ઉઠેલા રાજેન્દ્રબાબુએ ધમધોકાર ગુસ્સે થઇને અડધેથી ફિલ્મ બંધ કરાવી દઈને ઊભા થઈ ગયા હતા. દિલ્હીના થીયેટરોમાં આવી બંડલ ફિલ્મ જોઇને અડધેથી ગુસ્સે થયેલા પ્રેક્ષકોએ થીયેટરની મોટાભાગની ખુરશીઓ અને ફર્નિચર તોડી નાંખ્યા હતાં.

કલકત્તામાં સાડા ત્રણ વર્ષ ચાલીને મોટા રેકોડ્‌ર્સ કરનાર બોમ્બે ટૉકીઝની ફિલ્મ ‘કિસ્મત’ના દિગ્દર્શક જ્ઞાન મુકર્જીની પણ ‘કિસ્મત’ પછીની કોઇ એકાદી ફિલ્મ ફલૉપ ગઇ, એમાં એમની સાથે બહુ બુરો વ્યવહાર કરીને બૉમ્બૅ ટૉકીઝ જ નહિ, આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ એમને કાઢી મૂક્યા ને જ્ઞાન દા બર્બાદ થઈ ગયા, એ સત્યઘટના ઉપરથી ગુરૂદત્તે ‘કાગઝ કે ફૂલ’ બનાવી અને આ ફિલ્મ ‘પ્યાસા’ જ્ઞાન દા ને સમર્પિત કરી છે, માટે ફિલ્મના ટાઇટલ્સ પહેલા એમનો આવો ઉલ્લેખ છે.

ફિલ્મમાં માલા સિન્હાએ ગુરૂદત્તની કૉલેજકાળની પ્રેમિકાનો રોલ કર્યો છે, જેણે પૈસા ખાતર ગુરૂને છોડી દીધો, પણ ફિલ્મ હીરો અને નિર્દેશક તરીકે ગુરૂદત્ત દુનિયાભરમાં મશહૂર થઈ ગયો, એનાથી અંજાઇને માલા સિન્હા પાછી આવવા માંગતી હતી, તે વાસ્તવમાં ગુરૂદત્તની અંગત સ્ટોરી છે. પૂનામાં વિજયા દેસાઇ નામની છોકરી સાથે ગુરૂદત્તને પ્રેમ હતો અને આ સ્ટોરી એની છે. એવું બહુ વર્ષો સુધી મનાતું રહ્યું, પણ વાસ્તવમાં એ જમાનાના ‘ફિલ્મ-ઇન્ડિયા’ના ફાયર-બ્રાન્ડ પત્રકાર-તંત્રી બાબુરાવ પટેલ (જેમના એ વિવાદાસ્પદ મૅગેઝિન ‘ફિલ્મ ઇન્ડિયા’ પરથી આપણી આ કૉલમનું નામ પસંદ કરવામાં આવ્યું છે.) તેની નિષ્ફળ હીરોઇન-કમ-વાઇફ સુશીલારાની પટેલની સગી બહેન ગુરૂદત્તના પ્રેમમાં હતી અને એણે ગુરૂદત્તને આવો દગો દીધા પછી ગુરૂદત્તની પ્રસિદ્ધીથી અંજાઇને પાછી આવવા માંગતી હતી. ‘પ્યાસા’નો માલા સિન્હાવાળો રોલ એ છોકરીની વાસ્તવિક ઘટના પરથી બન્યો છે. પણ. આવી સર્વાંગસુંદર ફિલ્મમાં તો એકપણ ભૂલ ચલાવી ન લેવાય, છતાં ગુરૂદત્તને કરવી તો પડી છે. ફિલ્મના પ્રારંભમાં ગુરૂદત્ત અને માલા સિન્હા કૉલેજીયનો બતાવે છે અને કલાસમાં ટુનટુન પણ કૉલેજીયન...! જોવાનું દુઃખ એ વાતનું થાય કે, ગુરૂદત્તની કલાસમાં બેઠેલા બાકીના તમામ વિદ્યાર્થીઓ (?) સાચા અર્થમાં દાદા-દાદીની ઉંમરે પહોંચી ગયેલા લાગે છે. આપણે આ લોકોને કૉલેજીયનો તરીકે કેવી રીતે સ્વીકારી શકીએ ? બીજું, વિલન તરીકે ચિતરાયેલા ગુરૂદત્તના બે ભાઇઓ (મેહમુદ અને રાધેશ્યામ) ઘરમાં આજ સુધી એક રૂપિયો ય કમાઇને લાવ્યા વગર મફતના રોટલા ખાતા ગુરૂદત્તને કાઢી મૂકે છે, એ તો જસ્ટિફાઇડ છે ને ? પેલા લોકો ય કોઇ અંબાણી-અદાણીઓ નહોતા. પાછળથી એ ભાઇઓ નાલાયક સાબિત થાય છે, એ જુદી વાત છે. હીરો પોતે શાયર છે, કવિતા-ફવિતાનો શોખિન છે, એ જ પ્રમાણપત્ર ઉપર એ રૂપિયો ય કમાય નહિ, એ ક્યા ભાઈઓથી શું કામ બર્દાશ્ત થાય ? અહીં ગુરૂદત્તનો મેહમુદ ઉપરાંત બીજો ભાઇ બનતો કલાકાર રાધેશ્યામ છે, જેને તમે ફિલ્મ ‘જ્હૉની મેરા નામ’માં ‘ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો’ ગીત ગાતા પૂજારી તરીકે જોયો છે.

ફિલ્મમાં જશ કોઇ એક જણ લઇ જઇ શકે એવું નથી. સાહિર લુધિયાનવીની નઝમોનો ગુરૂદત્ત પાગલ શોખિન હતો. રફી સાહેબના મારા જેવા એવા જ પાગલ શોખિનો માટે તો આ ફિલ્મમાં એવું ઘણું બઘું છે જે બજારમાં ભાગ્યે જ મળે. રફીની બે-ચાર મીટરલૅસ નઝમો સાંભળવા મળશે. ‘ગમ ઇસ કદર બઢે કે મૈં, ઘબરા કે પી ગયા’...! ફિલ્મની શરૂઆત જ રફી સાહેબની ઑલમોસ્ટ મીટરલૅસ નઝમથી થાય છે. ગુરૂદત્ત ખુલ્લા બગીચામાં ફૂલો ઉપર મંડરાતા પતંગીયા કે ભ્રમરોને જોઇને રોમાંચિત થઇ જાય છે, તેમાં જીવતા પતંગીયા કે ભમરાને દોરીથી બાંધીને પરાણે ફૂલ પર બેસાડ્યા છે, તે દોરી કે વાયર કૅમેરામાં આસાનીથી દેખાઇ જવા છતાં નહિ ગુરૂદત્તે કે નહિ કૅમેરામૅન વી.કે. મૂર્તિએ દરકાર લીધી નથી. ફિલ્મમાં આવી goofs ઘણી છે.

સાહિરે એકાદ વર્ષ પછી ફરી વાપરેલો મિસરો ‘ફિર ના કિજે મેરી ગુસ્તાખ નિગાહીં કા ગીલા, દેખીયે આપને ફિર પ્યાર સે દેખા મુઝકો’ અઙીં પહેલા વાપરી લીધો છે. ફિલ્મમાં વહિદા રહેમાનની ઍન્ટ્રી જ આ મિસરો ગાઇને થાય છે.

‘‘જીન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ...’’ આ શબ્દો સૂઝવા, એ જ એક મોટી ઘટના હતી, બડો વિસ્ફોટ હતો. ૫૦-૬૦ વર્ષ પહેલા લખાયેલા આ શબ્દો આજે પણ કેટલા પ્રસ્તુત છે !

ગીતા દત્તના શોખિનોને વાંચવી ન ગમે એવી એક વાત. ગીતા દત્તના ચાહકોની સંખ્યા ય કોઇ નાની નથી. મુંબઇના મુ.નારણભાઈ મુલાણી તો ગીતાના ગીતો માટે એટલે સુધી ફૅનેટિક કે એ કદી ય નામ ગીતા ‘દત્ત’ નહિ બોલે...ગીતા ‘રૉય’ બોલશે. એમની વાતમાં જસ્ટિફિકેશન છે કે, ગુરૂદત્તની લાઇફમાં આવ્યા પહેલા ગીતા રૉય ઑલરૅડી સુપરસ્ટાર હતી. નામની જરૂરત ગુરૂને હતી...નૉટ ધી અધરવે રાઉન્ડ....! છતાં આ સ્ત્રીએ લગ્નજીવનના દિવસો દુઃખમાં જ પસાર કર્યા છે. નજર સામે વહિદા રહેમાન સાથે પોતાના પતિના લફરાં જોયે રાખવાના. એક તબક્કે તો આ વ્હિમ્ઝીકલ પતિએ ગીતાને બહારના ગીતો ગાવાનો પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. અને છતાં ગીતારૉયના ગીતોની ઉચ્ચતા તો જુઓ...મુલાણી સાહેબ નારાજ થાય, એ ખોટું નથી. કમનસીબે, ગીતારૉયનું આ જ ફિલ્મ ‘પ્યાસા’નું એક સર્વાંગ સુંદર ગીત ‘ૠત ફિરે પર દિન હમારે, ફિરે ના, ફિરે ના, ફિરે ના...’ ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હોય, કારણ કે ફિલ્મમાંથી તો કાઢી જ નાંખવામાં આવ્યું હતું, પણ એની રૅકૉડ્‌ર્સ પણ બજારમાં ભાગ્યે જ ઉપલબ્ધ હતી. મારી નસેનસમાં ગીતાના દસ ગીતો વહેતા મૂકવા હોય તો, આ કરૂણ ગીત હું ઑલરેડી મૂકી ચૂક્યો છું.

આખી ફિલ્મ ક્યાંય લાઉડ નથી થઇ. ‘જાને વો કૈસે લોગ થે જીનકે પ્યાર કો પ્યાર મીલા...’ નઝમ સાંભળો તો, હેમંતકુમારથી વધારે મીઠડો બીજો કોઇ ગાયક જ નથી, એ મનમાં ઠસી જાય. બર્મન દાદાને સવા તોલો સોનાની સલામ. ‘સલામ’ છેકી નાંખીને ‘પ્રણામ’ વાંચી લેજો, કેમ કે કાકા બર્મન ઉર્દુ તો જાવા દિયો... પૂરૂં હિંદી ય સમજી શકતા નહોતા. સાહિર હોય કે બાહિર, એમને ગીતના મીટર પૂરતી લેવા દેવા. (મીટર એટલે, ગીતની પહેલી પંક્તિ કે વચ્ચેના અંતરાના અક્ષરોની સંખ્યા જળવાવી જોઇએ, નહિ તો ધૂન બનાવવામાં તકલી પડે.) પણ કાકા ગીતના મૂળ ભાવને અન્ય કોઇ સંગીતકારો જેટલો જ સમજી શકતા. એટલે સુધી કે, એમનો સુપુત્ર પંચમ (રાહુલદેવ) જે કારણે પીટાઇ જઈને ફેંકાઈ ગયો, એ હાથમાં જેટલી આવે એટલી ફિલ્મો ફેણવાની વાત કાકામાં નહિ. પહોંચી વળાય (અને સમજી શકાય એવી જ) ફિલ્મોનું સંગીત આપવાનું. મેહમુદ.. ફોર એ ચૅઇન્જ... વિલનના રોલમાં છે. જો કે, એ તદ્દન નવો નિશાળીયો હતો, એ હિસાબે એની પાસે વિલન કે કૉમેડિયન બનવાની ચોઇસ નહોતી. વિલનમાં ઍક્ટિંગ સારી નહિ કરી હોય, એટલે કૉમેડીના ધંધે લાગી ગયો હોય. રહેમાન ખૂબ પ્રભાવશાળી લાગે છે, કારણ કે મૂળથી એ પ્રભાવશાળી હતો જ. એનો અવાજ, રૂક્ષ છતાં હૅન્ડસમ ચેહરો ફિલ્મમાં પરાણે ધુસાડવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા સાથે એને કોઇ લેવા-દેવા નથી. આવી ઉત્તમોત્તમ ફિલ્મ તમે ન જુઓ, તો ઘરમાં તમારી બા ના ખીજાય...?

17/08/2011

આ દાળ દાળ જાણે કે, વાડકા વસંતના, ખાંડવી એ બીજું કંઈ નથી, પગલાં વસંતના

કોકને મૂકીને આયા પછી ડાધુઓ સર્કલમાં બેઠા હોય, એમ મને અને મારા ફૅમિલીને એમના ડાઈનિંગ-ટેબલ પર સેટ કરી દેવાયા હતા. વર્ષોથી ચીરૂભ’ઈ - મીનુબેનનો આગ્રહ હતો કે, ‘અમારે ત્યાં ડિનર પર આવો.’ અમને બહુ સારું લાગ્યું. કારણ કે એ લોકો અમને બોલાવતા’તા... અમારે ઘેર આવવાના નહોતા. અમે પેલ્લેથી આવા લોકો બહુ ગમે, જે આપણા ઘેર ડિનર પર આવવાને બદલે આપણને બોલાવે. આપણા ઘેર તો કેટલી બધી તકલીફો પડે ? આ બનાવો, ને તે બનાનો, આ લઈ આવો ને તે લઈ આવો ને પાછું રસોઈ તો બનાવવાની જ. ડિનર-ટેબલ ગોઠવવામાં મુશ્કેલીઓ કાંઈ ઓછી પડે છે ? મહેમાનો ગયા પછી નોકર-બોકર ના આયો હોય તો પ્રોબ્લેમ નહિ ? આપણે એ લોકોના ઘેર જમી આઈએ, તો આ બધી બબાલો તો નહિ ! આ તો એક વાત છે. હવે તો, નવી વસ્તીગણતરી મુજબ પણ, આવા લોકો બહુ ઓછા રહ્યા છે. હું તો આદતન, મને જમવા બોલાવનાર તમામના ફોટાઓનું કલેક્શન કરું છું, જેથી વખત આવે મારા ગામના પાદરે એમના પાળીયા બનાવી શકાય કે, જમાડવાના ઇતિહાસમાં આ લોકો અમર થઈ ગયા. 

બહું મોટું મન રાખીને એ ઘરવાળા ય, ઘર જાણે એમનું હોય એમ અમારી સાથે ટેબલ પર બેસી ગયા હતા. આપણને એનો શું વાંધો હોય ? કોઈને પોતાના ઘેર જમવા બોલાવીને, પોતે ય સાથે બેસી જાય, એ મને બહુ ન ગમે, પણ આપણું ચારે બાજુથી મોટું મન... ચલાવી લીઘું ! ચીરૂભ’ઈ અને મીનુબેનના ઘરમાં બાથરૂમની સાઈઝનું અને જેવું ડાઈનિંગ-ટેબલ હતું. જમવાનું પતી ગયા પહેલા આ લોકો નહાતા પણ આની ઉપર હશે, એવું આપણને લાગે. 

ડિશો પિરસાતા ખુશ્બૂ તો સારી આવતી હતી એટલે બઘું બહારથી મંગાવ્યું હશે, એટલી તો ખાતરી થઈ ગઈ, ઘણીવાર સમાજમાં એવું થતું હોય છે કે, એકવાર માણસું જમી જાય, એમાં ઘેર ગયા પછી અડધા ઢબી ગયા હોય ને બાકીના ભીંટે ચોંટી જાય, એવા માંદા પડી જાય. એટલે બીજી વાર ત્યાં ગુડાવાનું કોઈ રિસ્ક ના લે. પણ શ્રીકૃષ્ણના સુદર્શન-ચક્ર જેવી પહેલી ડિશ આવી, ત્યાં જ એમણે બીવડાવી માર્યા, ‘આજે તો બઘ્ઘું ઘેર જ બનાવ્યું છે... અમારા અશોકભ’ઈને ખાંડવી બઉ ભાવે, એટલે આજ તો ડબ્બલ ખવડાવવી છે...!’ 

મેં તપેલીમાં ચોંટેલી ખાંડવી જોઈ. હજી ઉખાડવાની બાકી હતી. ત્યાં જ જીવ ઊડી ગયો. ખાંડવીને બદલે ગૂમડે ચોપટવાનો પીળો મલમ લઈ આવ્યા હોય, એવો એ પદાર્થ લાગતો હતો... સમજો ને, અમારે દાઝ્‌યા પછી લગાડવાનું બર્નોલ ખાંડવી સમજીને ખાવાનું હતું. પણ એમ પાછો હું સ્પૉર્ટી ... ! (કોઈએ હસવું નહિ !) આપણને ખબર કે, ખાંડવી બનાવવી કેટલી અઘરી પડે છે. નાનીમોટી ભૂલ થઈ બી જાય. આપણે એના આકાર ઉપર નહિ જવાનું, સ્વાદ અને જથ્થા તરફ જવાનું. એમ પાછો હું બહુ વિવેકી ય નહિ, એટલે જેવી એની ડિશ આવી કે તરત જ મેં પહેલો લબ્દો ઉપાડ્યો અને મ્હોંમાં મૂક્યો. 

ચાવવાની દુનિયામાં જેમના નામો અમર થયા છે, એ બધા કહે છે કે, જમવા માટે મ્હોંમાં કાંઈ પણ મૂકો, એટલે તમારું જડબું ઓટોમૅટિકલી ચક્કરચક્કર હરતું-ફરતું થઈ જાય. જોનારને ખબર પડે કે, ભાઈ કાંઈ ચાવી રહ્યા છે. 

અહીં જલા ઊલટું થયું, ખાંડવીનો પહેલો જ ઘાણ મોંઢામાં મૂકતાની સાથે જીભ ચાળવામાં ચોંટી ગઈ. કહે છે કે, જેની ઉન્નતિ છે, એનું પતન છે જ. જે ઉપર જાય છે, એ નીચે આવે જ છે, પણ સદરહુ કૅસમાં ઉપર ગયેલું જડબું નીચે પાછું ન આવ્યું. સાલુ, જીભ ગાલની બહાર હોત તો જરી ખેંચીને ય નીચે લાઈએ... આ તો જડબામાં મજબુત દાંતોની પાછળ કેદ હતી. મારું આવું જડબું જોઈને આવી કળા કરી જનાર મોરલી મીનુબેન હસી પડી. મારા સૌરાષ્ટ્રની ભાષામાં આને ‘પડ્યા ઉપર પાટું’ કિયે...! મારું તો નમ્રપણે માનવું છે કે, આમ કોઈનું જડબું ચોંટી ગયું હોય ત્યારે તમારાથી હસાય તો નહિ જ. ‘કૈદ મૈં હૈ બુલબુલ સૈયાદ મુસ્કુરાયે, રહા ભી ન જાય કુછ સહા ભી ન જાયે... હોઓઓઓઓ !’ 

તાળવે ચોંટેલી જીઉ છુટી પાડવામાં, કહે છે કે ઍક્સપીરિયન્સ બહુ જોઈએ. આમાં તો અગાઉ હજારો વખત જીભો ચોંટી ગયેલી હોય, એવાઓનું જ કામ. આમ મોંઢા વડે ડચડચડચ કરતા ડચકારા બોલાવતા રહો, એમાં કાંઈ ન વળે. કેટલાક લુહારભાઈઓનું માનવું છે કે, બહારથી ઊંધો તવેથો ય મોંમાં ન ખોસાય, નહિ તો અન્ય ડબ્બા, પેટી, ઢાંકણા કે સજ્જડ પદાર્થો ખોલવા માટે આ પદ્ધતિ ખોટી નથી... એમાંય પેલીનો ગોરધન સાલો સલાહ આપે, ‘અશોકભાઈ, તમે બેઠા બેઠા ખાંડવી ગળી નહિ જવાની... ચાવવાની ! આ ચ્યૂંઈગ-ગમ નથી, ખાંડવી છે...!’ 

તારી ભલી થાય, ચમના, ગાડીની સીટનું રૅક્ઝિન સજડસંબ ચોંટાડવું હોય, તો આ તારી ખાંડવી કામમાં આવશે, એ તું મને ખવડાવે છે ? ચંપક મહારાજ તને કદી માફ નહિ કરે ! પાછું, એમના જ ઘરમાંથી કોક સજેશન કરે, ‘દાદુ... સાબુના પાણીના કોગળા કરો. બે મિનિટમાં જડબું ક્લીયર !’ સાલી હું અહીં ખાંડવી ખાવા આયો છું કે, મોંઢામાંથી પરપોટા કાઢવા, એની ખબર પડતી નહોતી. કાંઈક બાકી રહી જતું હોય, એમ મારી વાઈફે સલાહ આપી, ‘અસોક.... એમ તમે મોઢા ફૂલાય-ફૂલાય નો કરો.. જરી ધીરજું રાખો.. શવાર શુધીમાં જડબું ખુલી જાસે, તંઈ હું તમને નવીનક્કોર ખાંડવીયું બનાવી દઈશ...’ 

દરમિયાન ચોંટી ગયેલા જડબા સાથે હું સહેજ બી હૅન્ડસમ નહોતો લાગતો. મને જોઈને તો મને ય હસવું આવતું હોય, ત્યાં બૃહદ સમાજના મોંઢે ક્યાંથી તાળા મારવા ? હું નવરો બેઠો બેઠો આપબળે જડબું ખોલવાના ટ્રાયો મારતો હતો. એમાં સૌ પ્રથમ ખોલાય એટલા હોઠ ખોલવાના.. છેલ્લી બન્ને દાઢો દેખાય એવા. પછી દાંતો ખોલવા માટે જોર મારવાનું. આવું આઠેક હજાર વખત કરવાથી... કહે છે કે, જડબાં ખુલી જતા હોય છે. પણ હોઠો ય ખોલીખોલીને તમે કેટલા ઉઘાડબંધ કરો ? એમાંય ફક્ત બંધ ફૅક્ટરીની બહાર લોખંડની રૅલિંગ જેવા આપણા દાંત જ દેખાય. 

ડૉ. મનમોહનસિંઘ જેવું મારું જડબું પર્મેનૅન્ટલી સિવાઈ તો નહિ જાય ને, એ ફફડાટે તાબડતોબ ડૉક્ટરને બોલાવાયા. એમણે આઈને પહેલું પૂછ્‌યું, ‘કાંઈ ખાવા-બાવામાં કચરાપટ્ટી આઈ ગઈ’તી...?’ 

સૌજન્ય ખાતર એમના માટે ય ખાંડવીની એક ડિશ ખાવાના ઉપયોગ માટે મંગાવવામાં આવી. ડૉક્ટર માટે તો પ્લૅટમાં બે કિડનીઓ મંગાવાઈ હોય, એવું મોંઢું બગાડીને એમણે ના પાડી. પણ ડૉક્ટર, ડૉક્ટર હોવા છતા ભણેલો-ગણેલો જરૂર હોવો જોઈએ. એણે તરત કહી દીઘું, ‘આમાં કોઈ દવા-ફવા કરવાની જરૂર નથી. પાંચેક મિનિટમાં એની મેળે ખુલી જશે. તમે અડઅડ ના કરો...’ (શું ના કરો ? જવાબ : અડઅડ ના કરો. જવાબ પૂરો.) 

પછી તો, હરએક શામ કી એક સુબહા હોતી હૈ, એમ એ મંગળ ઘડી પણ આવી. ટૅબલ-ટેનિસના બૉલ જેવા અવાજ સાથે જડબું ખુલી ગયું. 

હું મારા જ કર્મો ભોગવી રહ્યો છું. મારા કોઈ લેખમાં એક વાર મેં લખી શું નાખ્યું કે, મને સૌથી વઘુ ખાંડવી ભાવે છે કે, મને ઓળખીતાઓ મને જીવતો મૂકતા નથી. મને જોતાં જ એ લોકોને ખાંડવી યાદ આવે છે. આજે તો મારું કે મરું, એવા ઝનૂન સાથે મારી પાછળ ખાંડવીના તગારાં લઈને દોડે છે. 

‘ખાંડવી’ વિશેની મારી વિશ્વવ્યાપી જાહેરાત પછી મારી પત્તેડી ઝીંકાઈ ગઈ. મને જોતા વ્હેંત મહિલાઓને પોતાના ઘરમાં ગઈ કાલની પડી રહેલી ખાંડવી યાદ આવે. બહુ વધી હોય તો નાંખી દેવા કરતા કોક બિચારાના પેટમાં જાય તો આપણને પુણ્ય મળે ને બિચારાની આંતરડી ઠરે, એટલે મને મોકલાવે છે. જગતભરમાં આજ સુધી કોઈને ખાંડવી ખવડાવવાના SMS હજારોની સંખ્યામાં નહિ મળ્યા હોય. કેટલીક સાહિત્યપ્રિય સ્ત્રીઓએ તો ખાંડવી સાથે મારું નામ જોડતી શાયરીઓ ય લખીને મોકલી હતી. 

‘આ દાળ દાળ જાણે કે, વાડકા વસંતના,
ખાંડવી એ બીજું કંઈ નથી, પગલાં વસંતના’ 

એ તો મને પછી ખબર પડી કે, ‘વસંત’ એના ગોરધનનું નામ હતું. સાલાએ પોતાના પગલાં પાડેલી ખાંડવી મને ખવડાઈ દીધી હતી. કેટલીક મહિલાઓએ તો ઓફર કરી, ‘અશોકજી, અમારી ખાંડવી ખઈ લીધા પછી તમારી ‘બુધવારની બપોરે’માં લખજો કે, ખાંડવી તો પદ્મિની પટેલની જ.’ કેટલાક ડાયનિંગ-હૉલમાં એમની ખાંડવીઓ સાથે મારું નામ જોડાયું, ‘એન્કાઉન્ટર-ખાંડવી’, (એમાં જે લોકો જમવા ગયા’તા, એ ય બંધ થઈ ગયા !) રોજ સાંજે કોઈને કોઈના ઘેરથી મારા ઘેર ખાંડવી ભરેલું ‘ગીફટ-પૅકેટ’ પડ્યું જ હોય. ઘર આખું ખાંડવી, ખાંડવી ને ખાંડવીથી ભરેલું. પડોસીઓ ફરિયાદ કરવા ગયા કે, ‘આખા ફલેટમાં ખાંડવીની ખૂશ્બુ એવી ફેલાઈ ગઈ છે કે, અમારા આઈસક્રીમો કે રસમલાઈઓમાંથી ય એનો સ્વાદ આવે છે. અમે નહાવા બેસીએ ત્યારે ય સાબુને બદલે શરીર પર ખાંડવી ચોપડતા હોઈએ એવી બીકો લાગે છે. અમારી દીકરીના રિસેપ્શનમાં ૨૮૦-ગિફટ પૅકેટો ખાંડવી ભરેલા આયા છે... અમારે ચાટવાના...? કૃપા કરી આ બંધ કરો.’ 

તો સમજીને, આપણે ખાંડવી બંધ કરીએ. 

સિક્સર 
હાઈ-વે પર ‘માઈલ’ સ્ટોન્સ પર ‘કિ.મી.’ લખેલા હોય છે... વૅરી ફની... ! પણ કોકને જરા પૂછી જુઓ, એ કી.મી. તમારા શહેરના કયા સ્થળથી ગણાય ? ૯૮-ટકા લોકોને આનો જવાબ આવડતો નથી ને ખોટી ઠોકાઠોક કરે છે... (જવાબ : આવતા અંકે) 

14/08/2011

ઍનકાઉન્ટર : 14-08-2011

* ગુજરાતી કવિઓ પોતાની કવિતા સંભળાવવા હવે જેલમાં કેમ જવા માંડ્યા છે ?
- કવિ- સંમેલનો કરતા જેલમાં વઘુ શાંતિ મળશે, એવા ભ્રમમાં એ લોકો અહીં આવ્યા હોય... 
(ચંદુ મેહસાનવી, અમદાવાદ)


* સાસરે તમારી આગતાસ્વાગતા કેવી થાય છે ?
- ત્યાં જવા જેવું નથી... બન્ને ઉપર છે !
(શાહ ગોવિંદલાલ બળદેવદાસ, પૂના) 

* લાદેન મરાયા પછી, હવે દુનિયામાં શાંતિ સ્થપાશે ખરી ?
- યુદ્ધ પહેલાની શાંતિ છે જ...!
(કાવ્યા ગણેશન, અમદાવાદ) 

* હવે પહેલા જેવી બાળવાર્તાઓ કેમ નથી આવતી ?
- બાળવાર્તામાં શીલા કે મુન્નીને મૂકવી પડે, તો છોકરૂં સાંભળે છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા) 

* શું લોહીપિપાસુ બિન લાદેનની લાશ ખરેખર ઢાળી દેવામાં આવી છે ? અમેરિકા માટે તમારું શું કહેવું છે ?
- અમેરિકાના બાપની ય તાકાત નથી કે, આપણા ‘કસાબજી’ને હાથ પણ અડાડી શકે...! કોંગ્રેસજીનો જય હો.
(ઝુબેદા યુ. પુનાવાલા, કડી) 

* લગ્ન વખતે વરરાજાને ઘોડે બેસાડવાનું કારણ ?
- તમને વાંધો વરરાજા સામે છે કે ઘોડા સામે ?
(રેનિશ આર. ગોટેચા, ધોરાજી) 

* અગાઉના સમયમાં દુશ્મનો સામે લડવા ગઢવીઓ અને ચારણો રાજા- મહારાજાઓને શૂરાતન ચઢાવતા દુહાઓ અને ગીતો લલકારતા... આજના ત્રાસવાદ સામે લડવા આવું કાંઈ થઈ શકે ? 
 - એ રાજાઓ, એ ગઢવીઓ અને ચારણો દેશભક્ત હતા... આજે તો આપણે બ્રાહ્મણો, જૈનો, વૈષ્ણવો અને દલિતો છીએ... કોઈ એક ભારતીય તો બતાવો !
(સાધના પી. નાણાવટી, જૂનાગઢ) 

* લોકો આપત્તિના સમયમાં જ ભગવાનને યાદ કેમ કરે છે ? સુખના સમયમાં કેમ નહિ?
- લોકોને બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?
(ઓમકાર કે. જોશી, ગોધરા) 

* નવી વહુ નવ દહાડા, તો જૂની કેટલા દહાડા ?
- એકનો એક ગોરધન નવી લાયો હોય તો જૂનીના આંટા આઇ ગયા કહેવાય !
(રેખા કે. કહાલીયા, દોલતગઢ- રાણાવાવ) 

* દાઉદના પુત્રના લગ્નમાં મનમોહનસિંઘજી કેમ નહોતા ગયા ?
- કસાબના લગ્નની તૈયારીમાં હતા ?
(સુરેશ પટેલ, નવસારી) 

* શું આપણા દેશમાં રામરાજ્ય ફરી આવશે ખરું ?
- (હ)રામ રાજ્ય પૂરૂં થાય પછી ખબર પડે.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ) 

* શ્રી. પરશુરામના પુરૂષાર્થોને જીવંત રાખવા બ્રાહ્મણોનો આદર્શ શું હોવો જોઈએ ?
- અત્યારે બ્રાહ્મણ હોય કે જૈન, દેશની સુરક્ષા સિવાય બીજો કોઈ વિચાર જ ન આવવો જોઈએ. દેશ બચશે તો આપણે બચવાના છીએ.
(અરૂણ વ્યાસ, અમદાવાદ) 

* કાગડાને તેનું દહીંથરૂ મળી ગયા પછી મળ્યાનું ગૌરવ કાયમ કેમ નથી રહેતું ?
- ગામમાં હવે પચ્ચા જાતના દહીથરાં મળે છે...!
(મીનાક્ષી નાણાંવટી, રાજકોટ) 

* અમેરિકા ઓસામાને ખતમ કરવામાં સફળ થયું, પણ ભારત કસાબને ખતમ કરવામાં હજી નિષ્ફળ કેમ ?
- કોંગ્રેસ- ભાજપ બ્રાન્ડની બિનસાંપ્રદાયિકતા.
(સલમા મણિયાર, વીરમગામ) 

* આજકાલ ઇવન પરિણીત સ્ત્રીઓ પણ મોબાઇલ ફોન પર ચોંટેલી ને ચોંટેલી કેમ રહે છે ?
- જેને ચોંટવાનું છે, એના ફોનને ચોંટેલી રહે એ જરૂરી પણ છે.
(હિના નાણાવટી, રાજકોટ) 

* આપની આટલી બધી લોકપ્રિયતા છતાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવો તો કરોડો બનાવી શકો કે નહિ ?
- હું તો કરોડોને પણ બનાવી શકતો નથી !
(શશિકાન્ત મશરૂ, જામનગર) 

* લોકોને પૈસા ગણતી વખતે કદી ઘ્યાન બીજે જતું નથી, પણ માળા ફેરવતી વખતે ઘ્યાન કેમ ફંટાતું હશે ?
- એક મણકો ઓછો ગણાયો તો સો- બસોની ચોંટતી નથી...
(નૈષધ દેરાશ્રી, જામનગર) 

* ઉંમર વધવાની સાથે તમને કોઈ કાકા, વડીલ કે દાદા કહે તો કેવું ફીલ કરો ?
- ઓહ દાદાજી... હું તો હજી ‘કાકા’ના સ્ટેજ પરે ય માંડ પહોંચ્યો છું...!
(અખિલ મહેતા, અમદાવાદ) 

* સવાલના જવાબો આપવામાં તમે કોની નકલ કરો છો ?
- મારા પુત્રની.
(પરિમલ કે. રાજદેવ, સુરેન્દ્રનગર) 

* લોકોને મૂર્ખ બનાવવાનો અભિનય કોણ વઘુ સારો કરી શકે ? નેતા કે અભિનેતા ?
- અફકોર્સ અભિનેતા...! નેતાઓ અભિનય નથી કરતા.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા) 

* મોના લિસાની મુસ્કાનનો ભેદ મને ખબર નથી... રફી સાહેબની મુસ્કાનનો ભેદ તમને ખબર છે ?
- ‘હર ફ્રિક કો ઘૂંએ મેં ઉડાતા ચલા ગયા..!’
(રમેશ ગઢવી, પોરબંદર) 

* રીયલ અને સીરિયલ વચ્ચે શું તફાવત ?
- (સી)રીયાલિટીનો.
(મયુરી ભાવેશ વોરા, જોરાવરનગર) 

* ગુજરાતમાં જ સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ઉપેક્ષા કેમ થઈ રહી છે ?
- આજકાલ તો મારો ય કોઈ ભાવ પૂછતું નથી...!
(હર્ષદ સી. મંડોરા, વડોદરા) 

* તમારા વાઇફને તમારા બન્નેની લગ્નતિથિ વખતે શું ભેટ આપશો ?
- એક નવી વાઇફની... (ના અપાય !)
(આનંદ ચાંગાણી, રાજકોટ) 

* આપણા સપનામાં આવેલી વ્યક્તિ એ જ સમયે બીજાઓના સપનામાં પણ આવતી હોય તો... ?
- ‘આપ ક્યૂ મેં હૈ... કૃપયા પ્રતિક્ષા કીજીયે.’
(નટરાજ ત્રિવેદી, વડોદરા)

12/08/2011

‘ઇત્તેફાક’ (’૬૯)

ફિલ્મ : ‘ઇત્તેફાક’ (’૬૯)
નિર્માતા : બી. આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : સલિલ ચૌધરી
સંવાદ : અખ્તર-ઉલ-ઇમાન
રનિંગ ટાઇમ : ૧૦૪-મિનીટ અને ૧૨-રીલ્સ.
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : નંદા, રાજેશ ખન્ના, બિંદુ, મદન પુરી, સુજીતકુમાર, ઇફતેખાર, જગદિશરાજ, ગજાનન જાગીરદાર અને મેહમાન ભૂમિકામાં અલકા.

સાલ બરોબર એ જ... ૧૯૬૯-ની, પણ રાજેશ ખન્નાને સાતમા આસમાન પર બેસાડનારી ફિલ્મ ‘આરાધના’ હજી રીલિઝ નહોતી થઇ. એટલે બી.આર. ચોપરાની આ ‘ક્વિકી’ ખન્ના માટે થોડી ય સુપરહિટ થઇ, એનો ફાયદો ‘આરાધના’ને મળ્યો. (‘ઇત્તેફાક’ અમદાવાદના કૃષ્ણ સિનેમામાં આવ્યું હતું, તેના થોડા જ વખત પછી ‘આરાધના’ સામે જ આવેલી રૂપમ સિનેમામાં આવ્યું હતું. લોકોને ખન્નો ગમવા માંડ્યો હતો. ‘ઇત્તેફાક’ એને ફળી. ચોપરાને વધારે ફળી કારણ કે, એમની રાબેતા મુજબની મોટા બજેટની ફિલ્મોના શિરસ્તા મુજબ, ધર્મેન્દ્ર-સાયરા બાનુ-ફિરોજખાનવાળી ફિલ્મ ‘આદમી ઔર ઇન્સાન’ હજી તો બની રહી હતી, ત્યાં જ સાયરા બાનુને મોટી સર્જરી કરાવવાની આવી. ચોપરાનું તો પોતાનું પ્રોડકશન હાઉસ છે, એટલે કર્મચારીઓ-કારીગરોને પગારો ચાલુ રાખવા પડે. એટલે ખર્ચાને પહોંચી વળવા ફકત ૨૮-દિવસના શૂટિંગમાં ‘ઇત્તેફાક’ ઉતારી નાંખી. શૂટિંગના પહેલા દિવસથી ગણીએ તો બરોબર ત્રીજા મહિને તો ફિલ્મ રીલિઝ થઇ ગઇ. આમાં આનંદ કહો કે ચોંકવા જેવું એ હતું કે, એ જમાનાની જ નહિ, ઇવન આજે પણ ફિલ્મ ફલૉર પર જાય (એટલે કે, શૂટિંગનો પહેલો દિવસ) એના બબ્બે-ત્રણ ત્રણ વર્ષે ફિલ્મ થીયેટરમાં પહોંચે છે. જસ્ટ થિન્ક ઓફ ઇટ, બૉય... રાજ કપૂરની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ ૧૯૬૦-માં રીલિઝ થઈ, એ પછી ‘સંગમ’ ઠેઠ ’૬૪-ની સાલ સુધી બનતી રહી.. ‘મેરા નામ જોકર’ પૂરી થતા છ-વર્ષ લાગ્યા, એટલે કે ’૭૦-માં આવી.

બી.આર. ચોપરાએ એમની ફિલ્મોમાં કંઇક નવું તો આપ્યું જ છે. કોક ઇશ્યૂ લઇને એમની ફિલ્મ બની હોય, જેમ કે, ‘ફિલ્મ ‘સાધના’માં વેશ્યાઓના પુનઃસ્થાપનનો પ્રશ્ન હતો, ‘નયા દૌર’માં સમાજના મશિનીકરણ સામે વિદ્રોહ હતો, ‘વક્ત’માં સમયને માન નહિ આપનારાઓ સામે લાલબત્તી હતી, તો પુરાવાના અભાવે મોટે ભાગે તમામે તમામ બળાત્કારીઓને નિર્દોષ છોડી મૂકવાની અદાલતની લાચારી સામે એક સુંદર ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝૂ’ બનાવી હતી. ‘કાનૂન,’ ‘ઇત્તેફાક’ કે ‘હમરાઝ’ જેવી ફિલ્મો થ્રિલર હતી. એમાં મૅસેજ મૂકવાની આવશ્યકતા રહેતી નથી. વાર્તા સારી હોવી જોઈએ અને વાર્તા ચોપરાની ફિલ્મોનો USP (એટલે કે Unique Selling Point એટલે કે, કોઇપણ માલ વેચવા માટે જે તે પ્રોડકટની મુખ્ય ખાસીયત) રહેતો.

પણ, એ તો કહેવાય એવું કે, બી.આર. ચોપરાની ફિલ્મોની વાર્તાઓ માટે એક અલગ સ્ટૉરી-ડીપાર્ટમેન્ટ ચાલે છે (ટાઇટલ્સમાં એનો ગર્વપૂર્વક ઉલ્લેખ થાય !), બાકી આ આખી ફિલ્મ ‘ઇત્તેફાક’ બ્રિટનમાં હજી પાંચ જ વર્ષ પહેલા ઉતરેલી ફિલ્મ ‘Signpost to Murder’ ની બેઠી કૉપી હતી, જેમાં નંદાવાળો મૂલ રોલ બ્રિટિશ ઍકટ્રેસ Joanne Woodwards (ઉચ્ચાર : જોઍન વૂડવર્ડઝ) કર્યો હતો. મુંબઇની નાટ્યસંસ્થા આઇ.એન.ટી.એ આ જ ફિલ્મ પરથી નાટક ‘ઘૂમ્મસ’ બનાવ્યું હતું, જે જોયા પછી ચોપરાએ એ નાટકના હીરો અરવિંદ જોશીને જ ફિલ્મ ‘ઇત્તેફાક’માં રાજેશ ખન્નાવાળો રોલ આપવાના હતા. કેમ ના આપ્યો... ‘હમેં કુચ્છ પતા નહિ, ઠાકૂર... !’ જો કે, હવે શર્મન જોશીના ફાધર તરીકે ઓળખવા પડે, એ નાટકોના કલાકાર અરવિંદ જોશીને આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેકટરોની પંગતમાં બેસવા મળ્યું હતું.

આપણે ત્યાં દેસી ભાષામાં આવી ફિલ્મોને બહુ જાણિતા શબ્દમાં ‘સસ્પૅન્સ ફિલ્મ’ કહેવાતી. ઍકચ્યૂઅલી, એને થ્રિલર ફિલ્મ કહેવાય-થ્રિલર્સ. બહુ સાચું પૂછો તો, ઇવન હજી ય આપણે ત્યાં આવી થ્રિલર્સ ભાગ્યે જ બને છે. જે બને છે, તેમાં કોઇને પૂછી જોવાનું હોય જ નહિ કે, કઇ ઇંગ્લિશ ફિલ્મમાંથી સીધી ઉઠાંતરી કરી છે ? એ તો કરી જ હોય. વર્ષો પહેલા એક ધોળીયો માથાનો ભટકાયો હતો, ૧૯૫૪-માં ફિલ્મ ‘નૉક ઓન વૂડ્‌સ’ બનાવનાર દિગ્દર્શક મૅલ્વિન ફ્રૅન્કે આપણા દેસી નિર્માતા નરેન્દ્ર સૂરીને અમેરિકાની કૉર્ટમાં ઘસડી જઈ, આ ભ’ઇ ખાલી થઇ જાય, એટલી મોટી રકમની નુકસાનીનો દાવો માંડ્યો હતો. યાદ હોય તો ફિલ્મના પરદા પર જે ગીત સંગીતકાર (શંકર) જયકિશન ગાય છે, તે મૂકેશનું ‘અય પ્યાસે દિલ બેઝુબાં, તુઝ કો લે જાઉં કહાં’ ઉપરાંત હીરો કિશોરકુમારનું હિચકીવાળું ગીત ‘આજ ન જાને પાગલ મનવા કાહે કો ઘબરાયે, હિચહિચ હિચકી આયે, તબિયત ખીચખીચખીચ જાયે’ જેવા મઘુરા પણ નકલીયા ગીતો હતા. કિશોરકુમાર તેનું જાણિતું ‘યૉડેલિંગ’ આ ફિલ્મ ‘નૉક ઑન વૂડ્‌સ’ના હીરો-ગાયક ડૅની કે ની નકલ મારીને શીખ્યો હતો. થીયેટરોમાં હાર્ડલી કોઇ ૧૦-દિવસનો બિઝનૅસ કર્યા પછી હૉલીવૂડના નિર્માતાઓએ ભારતની આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવ્યો, તે એટલે સુધી કે, ‘બેગૂનાહ’ના ગીતો હજી હમણાં ૪-૫ વર્ષથી જ મળવા માંડયા છે અને તે પણ બજારમાં તો હજી નહિ... મારા-તમારા જેવા શોખિનો ક્યાંથી લઇ આવ્યા હોય તો.

એ વાતે ય પાછી એટલી જ સાચી કે ‘ઇત્તેફાક’ જેવી થ્રિલર ચોપરા જ ઉતારી શકે. અગાઉ એમને અશોકકુમાર- નંદા- રાજેન્દ્રકુમાર વાળી ફિલ્મ ‘કાનૂન’ સફળતાપૂર્વક ઉતારવાનો અનુભવ હતો. ચોપરા હિંમતવાળો માણસ હતો કે, ગીતો વગરની ફિલ્મ કોઇ વિતરક Distributors લે જ નહિ, તો ય ‘કાનૂન’ હિટ ગયું. એની જેમ જ, આ ફિલ્મ ‘ઇત્તેફાક’ પણ ગીતો વગરની બનાવી. બંનેના સંગીતકાર સલિલ ચૌધરી. બંને ફિલ્મોમાં ગીતો નહિ, પણ ગીતો વગરની ફિલ્મમાં ફક્ત બૅકગ્રાઉન્ડ-મ્યુઝિક આપવું બહુ કઠિન પડે. ફિલ્મના દ્રષ્ય અનુસાર દર્શકને ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સેકન્ડે સંગીતના માઘ્યમથી આંચકો આપવો, ખુશ કરી દેવો, હસાવવો કે ધ્રૂજારી ઉત્પન્ન કરવી આપણે માનીએ એટલું સહેલું નથી. સલિલ દાની તો માસ્ટરી હતી, ગીત વગરની ફિલ્મોમાં સંગીત આપવાની. (કેટલીક વખત તો ફિલ્મ વગરના ગીતોમાં ય એ સંગીત આપતા...) અફ કૉર્સ, આ ફિલ્મમાં કેટલીક જગ્યાઓએ ખાલીપીલી ઘોંઘાટીયું સંગીત વગાડીને દાદાએ બૉર કર્યા છે.

બી. આર. ચોપરાએ એમના નાના ભાઈઓને બેફામ મદદ કરી છે. ધરમ ચોપરાને એમની મોટા ભાગની ફિલ્મોનું કૅમેરા કામ સોંપ્યું. તો બીજા નાના ભાઇ યશ ચોપરાને ડાયરેકશનો આપ્યા. એ તો આજે મોટું નામ છે, પણ આ ફિલ્મ ‘ઇત્તેફાક’માં ભ’ઇ નવાસવા હોવાનું દેખાઈ આવે છે. ફિલ્મની શરૂઆતના દ્રષ્યોમાં કયા કારણથી અડધી રાત્રે પોલીસવૅન કે મૉટર-સાયકલોની ભાગમભાગ બતાવે છે.. નો આઇડીયા. ગાંડાની હૉસ્પિટલમાંથી ભાગેલો રાજેશ ખન્ના અડધી રાત્રે ખૂબ દોડતો રહે છે - પાછળ પોલીસ. આપણે કંટાળી જઇએ ત્યાં સુધી દોડાદોડી અટકતી પણ નથી. ઇન્ટરવલ સુધીમાં ખન્નો ન પકડાય, તો આપણે પોલીસને હવાલે થઇ જઈએ, એવા ઝનૂનો ઉપડે, છતાં આ દ્રષ્યો લંબાયે રાખ્યા છે. ફિલ્મની વાર્તા મુજબ, આ દ્રષ્યો પ્રતિકાત્મક બતાવી શકાયા હોત. કહેવાનું તો એટલું જ હતું કે, ખન્નો ભાગ્યો છે, તો પછી શું કામ મગજની મેથી મારે છે, ભ’ઇ ?

ફિલ્મનો પ્લૉટ બહુ નાનો છે, એટલે બીજી ફિલ્મોની જેમ કોઈ ૧૭-૧૮ રીલ્સની આ લાંબી ફિલ્મ નથી કારણ કે, ગીતો પાછળ વેડફાતો સમય અહીં બચાવાઇ લેવાયો છે, પણ તો ય ૧૨-રીલ્સમાં ય ફિલમ પૂરી કરવી પડે, એટલે દિગ્દર્શક યશ ચોપરાને નવું કાંઇ ક્રિયેટિવ નાંખવાનું ન સૂઝયું, એઠલે સાવ ફાલતુ દ્રષ્યો લંબાવી-લંબાવીને ફિલ્મની પટ્ટી વેડફી બહુ નાંખી છે. એક નાનો દાખલો આપું. ઇન્સ્પેકટર સુજીતકુમારના ખિસ્સામાંથી નીકળેલું લાઇટર કોણે આપ્યું હતું, એ જાણવા અડધી રાત્રે બિંદુને ફોન કરવાનો છે. અહીં બીજો કોઇ સમર્થ ડાયરેકટર એના મદદનીશને, ઇવન ઇશારાથી પણ કહી શકે - બિંદુને બોલાવવા માટે. એ પછીના તરતના શૉટમાં બિંદુ સાથે સીધી પૂછપરછ થતી જ બતાવવાની હોય. એને બદલે, અહીં જન્મ્યા પછી સીધો પોલીસ-ઇન્સ્પૅકટર તરીકે જ બહાર પડેલો બારમાસી પોલીસ-ઇન્સ્પૅકટર ઇફતેખાર એના જેવા જ બારમાસી સબ-ઇન્સ્પૅકટર જગદિશ રાજને બિંદુને બોલાવવાની સૂચના આપે. બેવકૂફીની હદ ત્યાં આવે કે, આઠ ડિજીટનો બિંદુનો ફોન નંબર ધુમાવે, બિંદુના ઘરમાં ઘંટડી રણકે, ગાડી લઇને એ ઘરની બહાર નીકળે, નંદાના ઘરની બહાર ગાડી ઊભી રાખીને અંદર જતી બતાવાય.. વૉટ નૉન-સૅન્સ ! 

બીજી, બેવકૂફી તો માફ કરી ન શકાય એવી છે. ફિલ્મમાં આ બે મોટા ગજાના પોલીસ-અધિકારીઓ ઉપરાંત પો.સ.ઇ. લૅવલનો સુજીતકુમાર ઉપસ્થિત હોવા છતાં હૉસ્પિટલના ડૉક્ટર ગજાનન જાગીરદાર ખૂનની તપાસાર્થે પોલીસની સાથે સાથે બધે માત્ર ફરે નથી રાખતા.. પોલીસે હવે શું કરવું, એની સૂચનાઓ પણ આપે રાખે છે. વળી કોઇ ખૂન કરનાર પોલીસ પોતે હોય તો જગતભરના કોઇ પોલીસ-ખાતાનો એવો કોઇ ડોબો પોલીસ હોય ખરો કે, બંગલામાં આખી રાત લાશ પડી હોવા છતાં અને એ બંગલામાં પોતાની ગેરકાયદેસરની પ્રેમિકા (નંદા) હોવા છતાં ન એક ફોન કરે, ન પોતે આવે... જાણે કાંઇ બન્યું જ નથી એમ ! અને તે પણ લાશ આખી રાત એ ઘરમાં જ પડી રહી હોય ત્યારે ? ભારતભરની ફિલ્મોમાં દરેક પોલીસવાળો હાથમાં લાકડી શેની રાખતો હોય છે.... અને રાખે તો બીજા હાથમાં પછાડ પછાડ શેની કરતો હોય છે, એની તમને ખબર હોય તો મને જણાવજો. આમ તો, પોલીસ સાથે ભાઇબંધી રાખવી પડે. એવા દિવસો આવ્યા નથી, એટલે હું તો નહિ પૂછી શકું, પણ તમારામાંથી કોઇને પર્સનલી ‘અંદર-બહાર’ થવાનો અનુભવ હોય તો એ ય પૂછી લાવજો કે, દરેક ફિલ્મમાં ભાગતા ખૂની કે ચોરની પાછળ પોલીસો દોડતા બતાવાય છે, એ વાસ્તવમાં એક પણ... રીપિટ.... ‘એક પણ’ પોલીસવાળો વીસ-ફૂટે ય દોડી શકે એટલો તંદુરસ્ત છે ખરો ? આ તો ચોર-પોલીસ દોસ્ત હોય પછી દોડવાની જરૂર જેનો માલ ગયો હોય એને પડે... આ બંને દોસ્તોને નહિ ! સુઉં કિયો છો ?

ખન્નો અને યશ ચોપરા આ ફિલ્મથી દોસ્ત બન્યા, એટલે બનતા સુધી યશે પહેલી ફિલ્મ ‘દાગ’ બનાવી, તે પ્રોડકશન-હાઉસનું નામ ‘યશ-રાજ ફિલ્મ્સ’માં રાજ એટલે રાજેશ ખન્ના પણ ભાગીદાર બન્યો, જે આજ સુધી ચાલે છે. એક જમાનાનો સુપર સ્ટાર હોવા છતાં ખન્નો ફેંકાયો એના સ્વભાવ અને ચમચાઓને કારણે. જેલસ બહુ હતો, એટલે અમિતાભ બચ્ચનનો ઉદય જોઇ ન શકયો. એની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એના ખાસ ચમચા સુજીતકુમારને લેવાનો આગ્રહ એનો હોય. સુજીત એક જમાનામાં તો પોતાને ભોજપુરી ફિલ્મોનો દિલીપકુમાર કહેવડાવતો... એ વાત જુદી છે કે, દિલીપ પોતાને હિંદી ફિલ્મોનો સુજીતકુમાર કહેવડાવે તો ઘેર જઇને આપણે પંખો ચાલુ કરી દેવો પડે...!

મદન પુરીને ય ચોપરાની લગભગ બધી ફિલ્મોમાં કામ મળ્યું છે. ઍકટર તો સારો હતો જ, પણ અત્યંત પ્રભાવશાળી અવાજ અને કદરૂપા ચહેરાને કારણે એને લાયક રોલ ખૂબ મળી રહેતા. ચોપરાની ફિલ્મોમાં અલબત્ત ,એની શક્તિને દાદ મળે, એવા રોલ્સ મળતા હતા. બહેન બિંદુ હંમેશની જેમ અહીં પણ કાળા કામો કરે છે છતાં લાગે છે, થોડી પણ બહેન ન કહેવાય એટલી સુંદર.

ફિલ્મની વાર્તા તો થ્રિલર્સમાં કહી દેવાની ન હોય (જેને Spoilers કહે છે.) પણ ફિલ્મનો સસ્પૅન્સ-બસ્પૅન્સ ખોલ્યા વગર-ખાસ તો જેમને આ ફિલ્મ જોયે વર્ષો થઇ ગયા છે અને જરા યાદ અપાવવું હોય તો, સાળી (બિંદુ)ની હાજરીમાં પત્ની (અલકા)નું ખૂન કરીને ભાગી જવાનો જેના ઉપર આરોપ છે તે દિલીપ રૉય (રાજેશ ખન્ના) ભાગતા ભાગતા અજાણતામાં નંદાના બંગલામાં ભરાય છે. બંગલામાં સાવ એકલી નંદા ગભરાઈ જાય છે, પણ ખન્નો જબરદસ્તીથી એનું મોંઢું બંધ રખાવે છે. બસ, આખી રાત ચાલેલા આ નાટકના અંતે એક સાથે બંને ખૂનોના ખુલાસા થાય છે.

આ ફિલ્મ જોવાના હો, તો એક મઘુર સમાચાર : ખન્નો નવોસવો હોવાથી આ ફિલ્મમાં એના રાબેતા મુજબના આંખના ઝટકા કે દેવ આનંદની માફક મોઢું હલાય-હલાય કરવાનું કે એવા કોઇ મૅનરિઝમ્સ જોવા નહિ મળે, સહેજ પણ ગભરાયા વિના આ ફિલ્મ જોજો. માં અંબા બધા સારાવાના કરશે.