Search This Blog

30/06/2013

ઍનકાઉન્ટર 30-06-2013

* 'અશોકનો શિલાલેખ' જૂનાગઢમાં કેમ? અમદાવાદમાં કેમ નહિ?
- એ રિસ્ક લેવાય એવું નથી. બાકીની શીલાઓ પહેલી શીલાને મચડી નાંખે એવી છે!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ડિમ્પલ કાપડીયાના તમારા પ્રકરણમાં સની દેવલને ખબર પડશે તો?
- આપણે ક્યાં એનો ચાંદલો લેવો છે?
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* જાન લઈને જતા વરરાજાને 'જાનવર' કહેવાય કે નહિ?
- એની 'અણવર'ને ખબર... 'અણઆવડતવાળો વર!'
(દર્શના ધવલ શાહ, વડોદરા)

* મહાન શિવભક્ત રાવણે સીતાજીને 'અશોકવાટીકા'માં બંદી બનાવ્યા પછી ઊંચી આંખ કરીને પણ જોયું નથી. અર્થ?
- બ્રાહ્મણ હોય કે વાટીકા 'અશોક'ની હોય... પરસ્ત્રી સાથે જબરદસ્તી કરે, એને માફ ન કરી શકાય!
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

* યુવતીઓમાં સાડીથી હવે હાફ-પૅન્ટ...? આ બધું ક્યાં અટકશે?
- જુઓ ભ'ઈ... વિકાસના કામોમાં વિરોધો તો થવાના... પણ એથી કાંઈ પ્રગતિ અટકાવી ન શકાય!
(અરવિંદ પંડયા, ભાઈંદર-થાણા)

* દેશમાં વધી રહેલી અરાજકતાને નાથવા ફરજીયાત લશ્કરી તાલીમ જરૂરી નથી લાગતી?
- લશ્કરી તાલીમ...? ગુજરાત સિવાયની વાત કરો, ભ'ઈ!
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* દિલ્હીમાં કમળ ખીલી ઉઠશે એવું લાગે છે ખરું?
- કમળ તો કાદવમાં જ ખીલે ને?
(મુબારક તાજખાન, ભરૂચ)

* આપણો દેશ કાયમ વિકાસશીલ દેશ તરીકે જ ઓળખાશે? ...વિકસિત ક્યારે?
- દિલ કો બહેલાને કે લિયે 'ગાલિબ', યે ખયાલ અચ્છા હૈ!
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* મોરારી બાપૂ, ઓશો અને અમિતાભ બચ્ચન... ત્રણેયમાં વધુ સફળ કોણ છે?
- અફ કૉર્સ, અમિતાભ બચ્ચન.
(કાજલ પૂજારા, રાજકોટ)

* આખરે આ જગતમાંથી આપણે મેળવવાનું શું છે?
- તમારી તો ખબર ન હોય, પણ મારે હજી આ મહિનાનો પગાર મેળવવાનો બાકી છે!
(પ્રેમિલા એન. ત્રિવેદી, જામનગર)

* ખાનગી ટીવી ચેનલો સામે સરકારી દૂરદર્શનો કેમ ચાલતા નથી?
- ચાલે તો છે... કોઈ જોતું કેમ નથી, એમ પૂછો?
(સાધના નાણાવટી, જામનગર)

* સુખ લગ્ન પહેલા આવે છે કે લગ્ન પછી?
- લગ્નને સુખ સાથે શો સંબંધ?
(વિનુભાઈ ભટ્ટ, બાબરા-અમરેલી)

* પુરૂષ સ્ત્રીને તેની બુધ્ધિને બદલે દેખાવથી કેમ માપે છે?
- પુરૂષમાં પોતાનામાં જે ન હોય, તેની અપેક્ષા રાખે !
(ભરત ડી. સાંખલા, ડિસા)

* લવ મૅરેજ કર્યા પછી 'લવ' ગાયબ થઈ જાય ને ફક્ત 'મૅરેજ' જ રહે, એવું શાથી?
- આવું તો નસીબદારોને જ હોય... ઘણીઓને તો આખેઆખા વરો જ ગાયબ થઈ જતા હોય છે...!
(સંગીતા અલ્કેશ પટેલ, દુધવાડા-પાદરા)

* સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન કેમ હોય છે?
- હું તો પુરૂષ છું.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* શું આપણા દેશમાં એકેય માનવતાવાદી રાજકારણી છે જ નહિ?
- રાજકારણને માનવતા સાથે કોઈ સંબંધ...???
(ડૉ. ભાર્ગવી પરાગ પંડયા, રાજકોટ)

* શું તમે ભગવાનના માણસ છો?
- આવું હાળું... ભગવાને ય એકવાર મને પૂછતા હતા...!
(લલિતા ઓઝા, જુનાગઢ)

* રોતા રોતા હસવાનું ને હસતા હસતા રોવાનું... તમને આવો કોઈ અનુભવ?
- સૉરી... હું મનમોહનને ટીવી પર પણ જોતો નથી.
(મસઉદ એફ. લક્ષ્મીધર, મહુવા)

* રાજા, વાજા અને વાંદરા... હવે કોઇ બાકી?
- રાજાઓને આની ખબર ન હોય!
(જી.એચ. પટેલ, અંકલેશ્વર)

* અંગ્રેજી ભાષાનું પાગલપન જોયા પછી શું લાગે છે?
- મને કાંઈ લાગતું નથી, પણ આપણા તોફાની કવિ હરદ્વાર ગોસ્વામીનો શે'ર કામમાં આવે એવો છે :
'એના કરતા તો હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું ય ગુજરાતી કરવાનું?'
(પી.કે. બિપીન, વસઇ)

* ફિલ્મસ્ટારો એમની જન્મ તારીખ સાથે વર્ષ કેમ નથી લખતા?
- એને માટે સંવાદ લેખક મળતા ન હોય!
(હેમંત સરખેદી, ભાવનગર)

* પ્રભુ શ્રીરામને મૃત્યુ પછી ('રામ બોલો ભ'ઈ રામ') યાદ કરવામાં આવે છે... એ પહેલાના એકે ય શુભ પ્રસંગે કેમ નહિ?
- પ્રભુ શ્રી ગણેશજીમાં તમામ દેવો સમાવિષ્ટ થઈ જાય છે... ને કોઈપણ પ્રસંગે ગણેશજી સર્વ પ્રથમ સ્મરણમાં આવે છે.
(રાજેશ કે. ખાંદલા, સરધાર-રાજકોટ)

* ધીરજના ફળ મીઠા હોય પણ વિલંબના ફળ કેમ ખાટાં હોય?
- વિલંબની ચિંતા સ્ત્રીને વધુ હોય, માટે એને ખાટું ખાવાના મનો થાય છે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ગરીબી દૂર કરવા ગરીબોએ ઉત્પાદક ન બનવું જોઈએ?
- એ લોકો ઢેર સારા બાળકો ઉત્પાદન કરીને ગરીબ રહે છે!
(પલક નાણાવટી, ઓખા)

* સ્વર્ગમાં ભગવાન હોય તો નર્કમાં કોણ હોય?
- ગયા પછી મને જણાવો.
(વિનોદ જી. પરમાર, અંકલેશ્વર)

* 'નો લાઈફ વિધાઉટ વાઈફ' કેટલે અંશે સાચું?
- હું વિધાઉટવાળો નથી.
(બિપીન આર. સંઘવી, આણંદ)

No comments: