Search This Blog

03/08/2014

ઍનકાઉન્ટર : 03-08-2014

* બેશરમ હોવું, એ ખૂબ શરમજનક કહેવાય. સુઉં કિયો છો?
- એ તો જે હોય, એને ખબર પડે!
(રમેશ સુતરીયા 'ટ્રોવા', મુંબઇ)

* તમને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂંક કરે, એ પૉસિબલ છે. શું ઇચ્છા છે?
- હું ૩૬ વર્ષથી પરણેલો છું. સલાહો લઇ લઇને ટીચાઇ ગયો છું. મારી સલાહો તો ઘરમાં ય કોઇ માનતું નથી. વડાપ્રધાન વાઇફ વગરના છે. એમને સલાહોની જરૂર ન પડે... આપણને પડે!
(ડૉ. ક્રિશ્ના-ડૉ. વિશુ ટીલ્વા, નગર પિપલીયા-રાજકોટ)

* જૂની ક્લાસિક ફિલ્મોની રીમૅક બનાવનારાઓ આપણા જૂના કલાકાર કસબીઓનું અપમાન નથી કરતા?
- એમનું ચાલે તો પોતાના ડોહા-ડોહીઓની ય રીમૅક બનાવે! આપણે વચમાં નહિ પડવાનું!
(જયેશ અંતાણી, ભાવનગર)

* નળમાંથી પાણી ઉકળતું આવે છે. શું કરવું?
- નહાવાનું ઉનાળો પતે પછી રાખજો.
(હેતુ ટેલર, હિમતનગર)

* આવતા જન્મે તમને બોલીવૂડના મહાન કલાકાર બનવા મળે, તો કયા કલાકારનો પુનર્જન્મ લેશો?
- બસ. ધી ગ્રેટ અશોક કુમાર આવતા જન્મે 'અશોક દવે' બને.
(ધનેશ મિસ્ત્રી, નડિયાદ)

* ન્યૂયૉર્કની પ્રાયમરી સ્કૂલોમાં સંસ્કૃત ફરજીયાત છે, એ વાત સાચી?
- ત્યાં તો ભણવું ય ફરજીયાત નથી... આપણી જેમ!
(નટુભાઇ ચૌહાણ, રાજકોટ)

* આ વખતે ડિમ્પલજીની બર્થ-ડે ઉપર શું ગીફટ આપશો?
- આપણે તો 'અલ્ટિમેટ' ગિફ્ટ જ આપવાની હોય ને?
(સમીર શાહ, શિકા-ધનસુરા અને જયમીન ઠક્કર, અમદાવાદ)

* બળાત્કારો કરવામાં યુ.પી. બેફામ ને એનાથી ય બેફામ અખીલેશ-મુલાયમના નિવેદનો. આ લોકો શું સમજતા હશે?
- ઈશ્વર ન કરે ને એમની પોતાની વાઇફ-દીકરી ઉપર બળાત્કાર થાય તો ય નિવેદનો તો આ જ રહેવાના... હઓ!
(સપના મેહતા, અમદાવાદ)

* મારે પણ હાસ્યલેખક બનવું છે, શું કરવું?
- જીવનમાંથી ઇર્ષા કાઢી નાંખો.
(મેહુલ સોની, રણમલપુર-ધ્રાંગધ્રા)

* આપની કૉલમમાં મધુબાલા વિશે આપના વિચારો જાણ્યા. આપ પણ એને ચાહો છો?
- જબાન સંભાલો, ચંદુ... 'મધુભાભી' લખો.
(ચંદ્રકાંત બગડીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* મારે તમને મળવું છે. સરનામું આપશો?
- ક્યા કરોગે, મેરી દર્દભરી દાસ્તાન સુન કે..? મુઝે મેરે હાલ પે છોડ દો.... હોઓઓઓઓ!
(લવ પટેલ, વિસનગર)

* હવે તમે ઈ-મૅઈલ શરૂ કર્યા. શું પોસ્ટખાતા તરફથી મળતું કમિશન બંધ થઇ ગયું?
- રોજ રાત્રે ઈસબગુલના બે ફાકડા મારીને સૂઇ જજો.
(જગજીવન ગોહિલ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'ના જવાબો આપવાની તમે તાલીમ લીધી હતી કે વાઈફે બધું શીખવાડયું?
- પરણેલાની આવી મશ્કરી ન કરાય, ભાઇ!
(પ્રિયાંક જાની, ગાંધીનગર)

* અમેરિકામાં ઓબામા સાથે ડિનર લીધું?
- જાતનો બા'મણ છું. જે બોલાવે એના ઘેર ઓડકારો ખઇ આવવાના. ઓબામા કે કોઇની બામાં ભોજન અંગે પક્ષપાતી નથી.
(જયમીન ઠક્કર, અમદાવાદ)

* દાદુ, એવું નથી લાગતું કે, રાજકારણીઓ પાસેથી કામ કઢાવવું, એટલે અજગર પાસે ચાકરી કરાવવી?
- ધેટ્સ ફાઇન, પણ રાજકારણી પાસે તમે કિંગ કોબ્રાની છાપ પાડો, તો અબઘડી કામ થઇ જાય!
(કિશોર મકવાણા, ગોંડલ)

* મનોજ બાજપાઇની જેમ ટીવી પર તમે ઍનકાઉન્ટર કરો તો?
- મને ગોળી કયા હપ્તામાં વાગવાની છે, એ જોયા પછી જવાબ આપું.
(નિશિથ પંચોલી, મુંબઇ)

* માણસ મરે ત્યારે કેમ કોઇ કૅક કાપતું નથી?
- મરી ગયા પછી કાપાકાપી ના સારી લાગે.
(રાકેશ રાઠોડ, કૂકરવાડા-જૂનાગઢ)

* ફૂટબૉલ માટે આપનો ઈન્ટરેસ્ટ કેટલો?
- બસ. આવતો વર્લ્ડ-કપ સ્પૉન્સર કરવાનો વિચાર છે.
(માલા દેસાઇ, સુરત)

* જન્મ અને મરણથી છુટકારો કેવી રીતે પામી શકાય?
- જન્મની તો બહુ ખબર નથી, બાકી મરણના મામલે તો એક વાર મરો પછી કંઇ કહેવાય!
(ધર્મદીપ ડૉડીયા, અમદાવાદ)

* કોઇ પણ સ્ટોરીની શરૂઆત, ''એક ગરીબ બ્રાહ્મણ હતો...''થી કેમ થાય છે?
- કારણ કે, અંતમાં, '...અને ખાધું, પીધું ને 'રાજ' કર્યું' લખી શકાય માટે.
(સિધ્ધિ જોશી, પોરબંદર)

* નેતાઓના દેહો જ કેમ પંચમહાભૂતોમાં વિલીન થતા હોય છે?
- માણસો તો એમને સંઘરે નહિ...!
(મોહિત મર્થક, રાજકોટ)

* આજના શિક્ષકો વિશે આપનો શો અભિપ્રાય છે?
- મા-બાપ જેટલો જ આદર શિક્ષકોનો કરવો જોઇએ.
(રાજેશ ભાવસાર, સુરત)

* માણસ પાસે બધું છે, છતાં દર વખતે કંઇક 'ઍકસ્ટ્રા'ની લાલચ કેમ રાખે છે?
- કારણ કે, ઘણાના હાથમાં ફક્ત ઍક્સ્ટ્રા જ આવે છે... 'બધું' બીજા લઇ જાય છે.
(પલક ગોસ્વામી, મહેસાણા)

* 'કભી ખુશી, કભી ગમ' એટલે શું?
- કભી કરણ, કભી જોહર.
(કિશન પાડવી, મોરંબા)

* 'આયે હો મેરી ઝિંદગી મેં, તુમ બહાર બન કે...'
- મારાથી કોઇ ભૂલબૂલ થઇ ગઇ છે?
(દીપ દવે, અમદાવાદ)

* આલીયા ભટ્ટ વિજય માલીયાના છોકરા સાથે લગ્ન કરે, તો 'આલીયા-માલીયા' કહેવાય કે નહિ?
- વગર લગ્ન કરે, બન્ને બાપ-દીકરો અત્યારે 'આલીયા-માલીયા'ના નામે ઓળખાય છે.
(મન ઠૂમ્મર, સુરત)

No comments: