Search This Blog

18/01/2015

એનકાઉન્ટર : 18-01-2015

૧. અંગ્રેજો ભારતનો કોહિનૂર હીરો લઈ ગયા, છતાં ભારતીયોને એ હીરો જોવાના પૈસા આપવા પડે છે, એ કેવું ?
- અંગ્રેજો ના લઈ ગયા હોત તો કોહિનૂર નેહરૂ-ફેમિલીની ખાનગી મિલ્કતમાં પડયો હોત !
(યશ પટેલ, ગાંધીનગર)

૨. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે, તો 'શપથ ગ્રહણ'નો આટલો મહિમા કેમ ?
- દેશને 'શપથ ગ્રહણ' જેટલા સૂર્ય કે ચંદ્રગ્રહણો નડતા નથી.
(રોહિત પ્રજાપતિ, ઉદલપુર-વિસનગર)

૩. નીતિશ કુમારને નરેન્દ્ર મોદીથી આટલી જલન કેમ થાય છે ?
- 'હાથ ન આયા ખટ્ટા હૈ... !'
(નિશાંત ટેલર, સુરત)

૪. આપ ડૉક્ટર હોત તો ?
- આ 'હોત તો... ?' વાળી ધારણાઓમાં હજી ઘણા મને પૂછે છે, 'આને બદલે તમે હાસ્યલેખક થયા હોત તો ?'
(રાજેશ બી. દરજી, અમદાવાદ)

૫. પ્રાઈમ મિનિસ્ટરના સ્વચ્છતા અભિયાનમાં તમારૂં યોગદાન શું ?
- હું ભવાઈ કલાકાર નથી.
(ગજેન્દ્ર એ. રાવલ, મહેસાણા)

૬. ડૉક્ટરોના અક્ષરો ખરાબ જ કેમ હોય છે ?
- એ લોકોનું 'એબ્સ્ટ્રેક્ટ-ડ્રોઈંગ' વધુ સારૂં હોય છે.
(માધવ ધૂ્રવ, જામનગર)

૭. તમારા જીવનમાં આજ સુધીની ખુશીની સૌથી મોટી પળ કઈ ?
- ભારતે પાકિસ્તાનને કારગીલમાં રગદોળી નાંખ્યું હતું એ.
(દક્ષેશ ચૌધરી, બારડોલી)

૮. જો અશોક દવે ડૉ. મનમોહનસિંઘ હોત તો જીવનમાં કઈ ભૂલ થવા દીધી ન હોત ?
- રાહુલ જેવા ૮-૧૦ પુત્રો કે વાડ્રા જેવા ૧૦૦-૨૦૦ જમાઇઓ ઘરમાં ચોક્કસ ફિટ કરાવ્યા હોત.
(વિવેક શુકલ, અમદાવાદ)

૯. લોકોને તમને સવાલ પૂછવામાં રસ છે કે, પોતાનું નામ 'ગુજરાત સમાચાર'માં છપાવવામાં ?
- 'ગુજરાત સમાચાર'માં નામ છપાવામાં તો ખુદ મને ય રસ છે... એક જ વાર આ ગ્રેટ અખબારમાં તમારું નામ છપાઈ જાય, એમાં તો આખા ગામમાં હીરો બનીને ફરી શકો છો.
(જનક આર. શિયાણી, પોરબંદર)

૧૦. એસ.ટી. બસોમાં ઘણા ડ્રાયવર-કન્ડક્ટરો યુનિફોર્મ નથી પહેરતા એનું કારણ ?
- એમના સાહેબો લહેર કરતા હશે.
(પ્રહલાદ રાવળ, રાજપિપળા)

૧૧. શેરબજારમાં તમારે કેમનું છે ?
- નસીબ ઉપર જીવવામાં નથી માનતો.
(શફિનરઝા રૂપાણી, સાંગલી-મહારાષ્ટ્ર)

૧૨. સત્ય અને હાસ્ય સાથે ન રહી શકે. તમે સત્ય માટે હાસ્યનો સાથ છોડો કે એથી ઊલટું?
- હું ને મારી પત્ની ૪૦ વર્ષથી સાથે રહીએ છીએ.
(અનિલ ગઢવી, એસકેવી નગર-લખપત, કચ્છ)

૧૩. આજે ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' બનાવાય તો ચાલે કે નહિ ?
- આઈટમ સૌંગ્સ ઉમેરવા પડે.
(ભાવિક રાઠોડ, પાલડી-વિસનગર)

૧૪. આજના ગાયકોમાં રફી, મુકેશ કે કિશોર જેવો કલાસ કેમ નથી ?
- માં-બાપે માં-બાપે ફેર તો પડે ને !
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)

૧૫. મોદી અને ઓબામા વચ્ચે શું તફાવત ?
- ઓબામાની વાઈફનું નામ જશોદાબેન નથી.
(શ્રુતિ અલ્પેશ ગજ્જર, નડિયાદ)

૧૬. પેટને 'પાપી પેટ' કેમ કહેવામાં આવે છે ?
- જમેલું-પીધેલું બધું ખભા કે ઢીંચણમાં જમા નથી થતું, માટે.
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

૧૭. દિલીપ, રાજ અને દેવ... અભિનય ક્ષમતાની દ્રષ્ટિએ તમે એમને ક્યા ક્રમમાં ગોઠવો?
- આપણે ત્યાં સરખામણીની પ્રથા દુઃખદાયક છે. ફિલ્મ 'ગંગા જમુના' જેવું કામ રાજ-દેવ કરી ન શકે. 'જ્વેલ થીફ'માં તમે દિલીપ-રાજનો વિચારે ય કરી ન શકો ને 'જાગતે રહો' જેવો અભિનય કરવા માટે દેવ-દિલીપ-બન્ને બસ્સો જનમ ઓછા પડે.
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૮. ગૌહત્યા રોકવા સરકાર કાયદો ક્યારે બનાવશે ?
- પૃથ્વી પરનો કોઈ પણ માણસ ગાયના દૂધ વિના ઉછર્યા નથી. માત્ર પૈસા કમાવવા એની હત્યા કરો, તો ઉપર બધો હિસાબ આપવાનો છે, એ ન ભૂલશો.
(જીજ્ઞોશ કાકડીયા, મુંબઈ)

૧૯. તમે કેવા વાચકોથી અકળાઈ જાઓ છો ?
- ઘણા... ! ડોબાઓને હજાર વાર કહ્યું કે, અગાઉ તમે ભલે અનેકવાર સવાલો પૂછ્યા હોય, નામ, સરનામા કે મોબાઇલ નંબર દરેક વખતે ફરજીયાત લખવો જ પડે. છતાં, 'આપણને તો અશોક દવે ઓળખે જ છે ને ?'ના ભ્રમમાં વાચકો પોતાની વિગતો લખતા નથી, એમાં સારા સારા સવાલો મારે ગૂમાવવા પડે છે, ત્યારે અકળાઈ જઉં છું.
(સૌજન્યા વિપુલ શાસ્ત્રી, વડોદરા)

૨૦. અમારા ભાવનગરમાં 'અશોક દવે માર્ગ' છે... તમારે ત્યાં છે કે નહિ ?
- મને નાનકડા માર્ગોમાં રસ નથી... કહે છે કે, પુરાણકાળમાં મારા નામની એક 'વાટિકા' લંકામાં હતી, જ્યાં સીતામાતાને રાખવામાં આવ્યા હતા.
(રૂપેશ પી. વાજા, ભાવનગર)

૨૧. તમને ખબર પડે કે, આવતી કાલે દુનિયાનો નાશ થવાનો છે, તો પહેલું કામ ક્યું કરો?
- કેલેન્ડરમાં વર્ષ બદલી નાંખું.
(અર્પિત કે. શાહ, વડોદરા)

૨૨. આજના યુવાનો હરદમ' ફેસબૂક' અને 'વોટ્સએપ' પર જ કેમ ચોંટી રહે છે ?
- ચોંટવા માટે બીજું કંઈ સારૂં મળી જશે, પછી નહિ ચોંટે.
(રશ્મિરા યાદવ, વડોદરા)

૨૩. જગતનું મોટું આશ્ચર્ય કર્યું ?
- સ્મશાનમાં ડોહાને લાકડાઓની વચ્ચોવચ ફિટોફિટ ગોઠવવામાં આવ્યા હોય, છતાં અચાનક એકાદું લાકડું હાલે તે !
(કાલીદાસ ઠાકર, અમદાવાદ)

૨૪. વિરાટ કોહલીના લગ્ન અનુષ્કા સાથે થશે ખરા ?
- સીધો ડાઉટ મારા ઉપર આવે છે ને... ?
(સંગીતા રબારી, વડોદરા)

૨૫. આ પાકિસ્તાન રોજ આપણા સરહદના ગામો ઉપર ફાયરિંગ કરી જાય છે, છતાં આપણે ચૂપ કેમ ?
- આપણા કરતા એ લોકોના સરહદના ગામો જંગી સંખ્યામાં ખાલી કરવા પડયા છે... આપણા જવાનોને કમ ન આંકશો.
(પૂજા રાઘવ પટેલ, નડિયાદ)

૨૬. આ આનંદીબેન કદી હસતા કેમ નથી ?
- કામ કરવાને હસતા મોંઢા સાથે શો સંબંધ ? હું હાસ્ય લેખક છું, છતાં ભાગ્યો જ મને કોઇએ હસતો જોયો છે !
(નિયતી સી. શાહ, અમદાવાદ)

No comments: