Search This Blog

13/03/2015

'સિલસિલા'('૮૧)

સિલસિલા : 'નીલા આસમાન સો ગયા...'ની ધૂન શમ્મી કપૂરે બનાવી હતી
ફિલ્મ : 'સિલસિલા'('૮૧)
નિર્માતા : યશ ચોપરા
સંગીત : શિવ-હરિ
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ : ૧૮ રીલ્સ : ૧૮૩ મિનિટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, રેખા, જયા ભાદુરી, શશી કપૂર, સંજીવ કુમાર, સુધા ચોપરા, દેવેન વર્મા, કુલભૂષણ ખરબંદા, સુષ્મા શેઠ, જગદિશ રાજ, વિકાસ આનંદ, રણવીર રાજ, શર્મિલા રૉયચૌધરી


ગીતો
૧. સરકે સરકે સરકે ચુનરીયા, લાજ ભરી અંખીયો સે....લતા મંગેશકર
૨. પહેલી પહેલી બાર દેખા, લડકી હૈ યા શોલા... લતા-કિશોર
૩. નીલા આસમાન સો ગયા, નીલા આસમાન....અમિતાભ બચ્ચન
૪. નીલા આસમાન સો ગયા, નીલા આસમાન .... લતા મંગેશકર
૫. દેખા એક ખ્વા બતો યે સિલસિલે હુએ, દૂર તક.... લતા-મંગેશકર
૬. મૈં ઔર મેરી તન્હાઇ...યે કહાં આ ગયે હમ...અમિતાભ-લતા
૭. રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે....અમિતાભ બચ્ચન
૮. જો તુમ તોડો પિયા, મૈ નાંહી તોડું રે, તોસો પ્રિત....લતા મંગેશકર

- અમિતાભ-રેખા વચ્ચે પ્રેમ કેટલો નિકટનો છે, એ આપણને બતાવવા બન્ને વચ્ચે ગીતો ઉપર ગીતો શેના માટે મૂકાયા છે ? એક ગીતમાં ય સાબિત કરી શકો કે, બન્ને વચ્ચે પ્રેમ છે. એના માટે ૮-૧૦ ગીતો ઘુસાડી મારવાના ન હોય ને ! મને કહો,

એ બન્ને યુરોપના નૅધરલેન્ડસના કૂકેનહૉફ ગાર્ડનમાં જાજમોની જેમ પથરાયેલા ટુલિપના ફૂલો વચ્ચે 
એ બન્નેની રંગરેલીયા જોવાનું આપણે શું કામ ?

લગ્ન પછી બહારના સંબંધો લોકમાનસમાં ચર્ચા કરતા ય ઘૃણામાં વધારે રહ્યા છે. કારણ કોઇ બી હો, સમાજ એને પસંદ નથી કરતો અને સમાજ બેવકૂફ કે વાંધાવચકાવાળો નથી હોતો. સદીઓના અનુભવે આવા સંબંધોના પરિણામો જોઇ લીધા પછી સમાજની આંખ લાલઘુમ થઈ છે. '૮૦ના દશકમાં અમિતાભ બચ્ચનનો સિક્કો પડતો હતો, છતાં ય પ્રેક્ષકોએ ફિલ્મ જ નહિ, અંગત જીવનમાં પણ રેખા સાથેના સંબંધોને થોડી બી માન્યતા ન આપી અને બધો ગુસ્સો ટિકીટબારી ઉપર ઉતાર્યો. ફિલ્મ ફૅઇલ ગઇ. યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાએ આ નિષ્ફળતાનું કારણ આપતા બહુ સરસ વાત કીધી, 'ખુદ ફિલ્મના દિગ્દર્શક (એનો પતિ યશ ચોપરા)એ આવા સંબંધોનો બચાવ કરતી ફિલ્મ ઉતારી, એમાં ફિલમ માર ખાઇ ગઇ. ફિલ્મમાં તો યશે અમિતાભના જયાભાદુરી સાથેના લગ્ન પછી રેખા સાથેના લગ્નેતર સંબંધો બાંધ્યા હતા અને પોતાના સગા ભાઇ (શશી કપૂર)ની પ્રસુતા પ્રેમિકા (જયા ભાદુરી)ની લાજ બચાવવા ન છુટકે જયા સાથે લગ્ન કરે છે. એટલે, ફિલ્મમાં તો અમિતાભને બચાવવા યશ ચોપરા સ્કીમ ઉપાડી લાવ્યા કે, ભ'ઇ...આવું હતું એટલે રેખા-અમિતાભ બન્નેને લગ્નેતર સંબંધો બાંધવા પડયા. પણ અંગત જીવનમાં બચ્ચનને અગાઉથી રેખા સાથે સંબંધો તો જાવા દિયો, ઓળખાણે ય નહોતી, છતાં જયાની છેતરપિંડી કરીને રેખા સાથે 'લફરૂ' કર્યું.... પ્રેક્ષકો ક્યાંથી માફ કરે ?

હું અંગત રીતે, આવા લગ્નેતર સંબંધોનો વિરોધ કોઇ સામાજીક જવાબદારીથી નહિ, પણ જાણકારીથી કરૂં છું. કારણ કે, બન્ને અથવા બેમાંથી એકે ય પક્ષ આવા લફરાં માટે જસ્ટિફાય થતો હોય, તો પણ મારી માન્યતા આવા સંબંધોને એટલા માટે નહિ કે એનું કોઇ પરિણામ સુખદ તો હોઇ જ શકતું નથી... ઓહ, કોઇ પરિણામ જ હોતું નથી. જે અંજામ આવે છે, તે બર્બાદીઓથી ભરચક હોય, પછી ભલે એક જ નહિ, બન્ને પાત્રોને મજબૂરીથી લગ્ન બહારના પ્રેમમાં પડવું પડયું હોય ! હીરોલોગ આવા સંબંધમાં ફિલ્મમાં સમાજ સામે લડી લેવાની જે હિમ્મત બતાવે છે તે વાસ્તવમાં સ્વીકારાતી નથી કારણ કે, કાયદો ખૌફનાક પરિણામો બતાવી દે છે. સમાજના લોકો ભલે ગમે તેટલા ઍડવાન્સ્ડ હોય, આવા પ્રેમીઓને ઑફિશિયલી પોતાના ઘરે બોલાવતા નથી, અર્થાત કોઇ સ્વીકૃતી મળતી નથી.

પતિ નપુંસક હોય, દારૂડીયો હોય, પૈસેટકે પાયમાલ હોય અથવા પત્નીને મારઝૂડ કરતો હોય, અથવા પત્ની નાલાયાક હોય, બીજા અનેક સાથે ફરતી હોય, સૅક્સમાં શૂન્ય હોય કે એવા પચાસ કારણોસર એનો પતિ અન્ય કોઇ સ્ત્રી સાથે પ્રેમસંબંધ બાંધી લે, તો ભલે આવા પ્રેમીઓને લફરાબાંજ, ચરીત્રહિન કે નાલાયક હું ભલે ન કહું, પણ બેવકૂફી બેશક કહું, કારણ કે પાત્રો બધી રીતે જસ્ટિફાઇડ હોય, છતાં આવા સંબંધનું આખરી પરિણામ શું ? મારામારી,કૉર્ટ-કચેરી, બદનામી કે પછી એ બન્નેના શક્તિશાળી પરિવારો જોરુલમથી એ લોકોને દૂર રાખે... બન્ને લગ્ન તો કરી શકવાના નથી. કાયદો મારી નંખાવે. તદઉપરાંત, 'સિલસિલા'માં રેખા-બચ્ચન વચ્ચે પ્રેમ કે ત્યાગ હોવાનું કારણ બતાવ્યું છે,તે નકરી છેતરપિંડી છે. આવા સંબંધોમાં પ્રેમ ક્યાંથી આવ્યો ? નકરૂં સેક્સ અને સેક્સની લાલસા જ ભરપૂર હોય છે...બૌધ્ધિક ધોરણે ભલે બન્ને એકબીજાની દોસ્ત પણ હોવાના દાવા કરે કે, એમનો પ્રેમ શુદ્ધ હોવાની વાતો કરે... સરવાળે લાલચ તો સેક્સની જ હોય... ભલે એમાં ય કાંઇ ખોટું ન હોય કે સેક્સનો વાંધો શું છે, એવા વાહિયાત સવાલો હોય...છેલ્લો સરવાળો પોલીસ સ્ટેશને આવીને ઊભો રહે છે કે જાહેર રસ્તા ઉપર મારામારી થાય, ત્યારે પહેલો જવાબ ફરી પાછો રિપિટ થાય કે, ''આટલા જોખમો ઉઠાવીને લગ્નેતર સંબંધો બાંધ્યા... પણ અંતે તો પોલીસ-સ્ટેશન જ ને ?''

'સિલસિલા'માં યશ ચોપરા જેવા પ્રણામયોગ્ય દિગ્દર્શકે બચ્ચનની દોસ્તી મજબૂત કરવા અથવા ફિલ્મના બહાને બન્નેને હજારો વખત પ્રાયવસી આપવા માટે આવી વાહિયાત ફિલ્મ ઉતારી. તમારે તો 'સિલસિલા' જોયે ૩૦-૩૨ વર્ષ થઇ ગયા હશે. એટલે પૂરૂં યાદ પણ નહિ રહ્યું હોય, એટલે યાદ કરાવી દઉં કે, યશ જેવો કાબિલ દિગ્દર્શક હોવા છતાં ફિલ્મની વાર્તા ફિલ્મ શરૂ થવાના સવા કલાક પછી તો શરૂ થાય છે. સો-કૉલ્ડ મેહમાન કલાકાર શશી કપૂરને ફૂટેજ આપવા, અર્થ વગરના કૉમિક દ્રષ્યો, લેવા-દેવા વગરના ગીતો અને મોટું ખૂન્નસ તો ત્યારે ચઢે કે, અમિતાભ-રેખા વચ્ચે પ્રેમ કેટલો નિકટનો છે, એ આપણને બતાવવા બન્ને વચ્ચે ગીતો ઉપર ગીતો શેના માટે મૂકાયા છે ? એક ગીતમાં ય સાબિત કરી શકો કે, બન્ને વચ્ચે પ્રેમ છે. એના માટે ૮-૧૦ ગીતો ઘુસાડી મારવાના ન હોય ને ! મને કહો, એ બન્ને યુરોપના નૅધરલેન્ડસના કૂકેનહૉફ ગાર્ડનમાં જાજમોની જેમ પથરાયેલા ટુલિપના ફૂલો વચ્ચે એ બન્નેની રંગરેલીયા જોવાનું આપણે શું કામ ?

યસ. દિગ્દર્શકના યશ ચોપરા લેવલના ય કેટલાક ડાયમન્ડસ છે, જેમ કે પોલીસ અધિકારી કુલભૂષણ ખરબંદાને હાથે આ બન્ને પ્રેમીઓ ઝડપાય છે, એ પહેલાની બન્નેની મનોદશા કેવી હોય, હાવભાવ કેવો હોય, 'હવે બધાને ખબર પડી જશે'વાળી ભીતી કેવી ખૌફનાક હોય, તે ચિત્રણ યશ ચોપરાએ આબેહૂબ કર્યું છે. જયા ભાદુરી પાસે અણમોલ અભિનય કરાવ્યો છે. તો રેખા પણ બે ઇંચ કમ નથી. બચ્ચનથી વધુ સારો 'ઍક્ટર' તો પૂરા ભારતમાં હજી સુધી થયો નથી, એટલે એ બાબતે તો કાંઇ કહેવાનું હોય નહિ. વળી તંગ પરિસ્થિતિઓમાં પાત્રો કેવું વર્તન કરે, એ ચરીત્રચિત્રણ ઘણા પરફૅક્શનથી યશે કર્યું છે. ફિલ્મમાં જ્યાં જ્યાં વાર્તા દેખાય છે, ત્યાં અનુભવાય પણ છે... ફિલ્મના સૅન્ટ્રલ-આઇડિયા સાથે તમે સહમત હો કે ન હો, એ અહી પ્રસ્તુત નથી. એક ફિલ્મ તરીકે ૭૦-ટકા ઘાણ તો કાચો અથવા વધુ પડતો તળેલો ઉતર્યો છે, પણ જ્યાં ઘટનાઓ બને છે, ત્યાં પરિસ્થિતિ અનુસાર યશ ચોપરાએ સમૃદ્ધ કામ કર્યું છે. આવા પ્રેમીઓ એક તો માંડ ગુપચુપ મળતા હોય ને મળે તે પહેલા બન્નેના અંગત દોસ્ત કબાબમાં હડ્ડી બનીને ઊભા રહે, દેવેન વર્મા દોસ્ત ભલે રહ્યો, પણ રેખા-બચ્ચનને સાથે જોઇ ગયા પછી બચ્ચનનું જીવવું હરામ કરી દે છે કે પછી પોતાના બચાવ અમિતાભ જયા ભાદુરી પાસે કરવા બેસે છે, એ વખતનો એનો કે જયાનો અભિનય કોઇ આસમાની બુલંદીઓને સ્પર્ષી શકે, એવો ઉત્કૃષ્ઠ થયો છે.

પણ ફિલ્મનો અંત કેવો બેહૂદો અને હાસ્યાસ્પદ આપ્યો છે. જસ્ટ બીકૉઝ, રેખાના પતિ સંજીવ કુમારને વિમાની-અકસ્માત થાય છે અને બચન બચાવી લે છે અને ભારોભાર પસ્તાવો કરતો બચ્ચન જયા પાસે પાછો શેને માટે આવે છે ? રેખાનું વર્ઝન શું સમજવાનું ? બેશક, યશ ચોપરાએ ખૂબ સફળતાપૂર્વક એક અત્યંત ફાલતું ફિલ્મ ઉતારી છે.

જયા ભાદુરી આજે તો એક તુંડમીજાજી સ્ત્રી તરીકે ટીવી-કૅમેરાઓની સામે છાપ ઊભી કરી ચૂકી છે. કોઇ ઍવોર્ડ-સમારંભમાં બહુ અણગમો ઊભો કરાવે, એવી ઢબે તાળીઓ પાડે છે...(કંઇ નવું કરવું...! જેથી સેલિબ્રિટી હોવાનો ફાયદો એ મળે કે, ભવિષ્યમાં બીજાઓ ય એવી તાળીઓ પાડવા જાય તો પ્રથમ યશ એમને મળે.)

પણ પૂનાની ફિલ્મ્સ ઍન્ડ ટૅલીવિઝન ઇન્સ્ટિટયૂટમાં ગોલ્ડ-મૅડલ જીતીને અનિલ ધવન અને શત્રુધ્ન સિન્હા સાથે ઍક્ટિંગ પાસ કરીને આવી ત્યારે તો એ નિહાયત બેનમૂન અભિનેત્રી હતી. આપણે સહુ કન્વિન્સ થઇ ગયા હતા કે, અગાઉના જમાનાની હીરોઇનોએ કેવળ ઍક્ટિંગ કરી છે, જ્યારે જયાએ સહેજ પણ ઍક્ટિંગ કરી ન હોય ને વાસ્તવિક એ રોલ જીવી હોય, એવું પ્રેક્ષકાને ફીલ કરાવ્યું. અમિતાભની અત્યંત ફાલતું ફિલ્મ 'શહેનશાહ'ની વાર્તા જયા ભાદુરીએ લખી હતી... જોયું ને, બહેનની પહોંચ ક્યાં સુધીની છે !) એના કરતા ઊલટા અને સારા ચમત્કાર મુજબ, 'સિલસિલા'માં બચ્ચને ખુદ ગાયેલું (જે પછી હઠ કરીને લતા મંગેશકરે ય પોતાના માટે સોલો ગાયું.) તે 'નીલા આસમાન, સો ગયા...'ની ધૂન શમ્મી કપૂરે આમ-અચાનક જ બનાવી દીધી હતી, જ્યારે એ અમસ્તો જ બચ્ચનને મળવા ફિલ્મ ઝંજીર'ના સેટ ઉપર ગયો. બચ્ચનને ધૂન ગમી ગઇ અને એણે ખુદ શિવ-હરિને એ સંભળાવી.

એક જમાનો હતો, જ્યારે લતા મંગેશકરે ઉઘાડેછોગ, પોતાને અમિતાભ બચ્ચન ખાસ કોઇ ઊંચા ગજાનો ઍક્ટર નહોતો લાગ્યો, એવું ઇન્ટરવ્યૂમાં કહી દીધેલું. પણ જેમ જેમ બચ્ચનની ઊંચાઇઓ આસમાનને આંબતી ગઇ, એમ લતાએ પણ હોડીના સઢ ફેરવી દીધા. આશ્ચર્ય અને આઘાત બન્ને લાગે કે, આ ફિલ્મનું મશહૂર ગીત, ''મૈં ઓર મેરી તન્હાઇ, અક્સર યે બાતે કરતે હૈ...'' યે કહા આ ગયે હમ, તેરે સાથ સાથ ચલતે...' યુગલ-ગીત હોવા છતાં લતા અને બચ્ચને જુદા જુદા રૅકૉર્ડિંગ કરાવ્યા હતા. એ વખતે લતા બચ્ચનને સહેજ પણ માન નહોતી આપતી.

ફિલ્મનું સંગીત પણ એને બનાવનારા મહાન શાસ્ત્રીય સંગીતકારો સંતુર વાદક પંડિત શિવકુમાર શર્મા અને બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસીયાના સ્થાનને વધુ ઉજળું બનાવે એવું હરગીઝ નહોતું, સિવાય કે, લતા મંગેશકરના પગ ધોઇને પીવાનું મન થાય, એ મીરાંબાઇનું આ બન્ને સંગીતકારોએ બનાવેલું, 'જો તુમ તોડો પિયા, મૈં નાહિ તોડું રે...'બહુ ઓછાને ખબર હશે, પણ આ કોલમમાં આપણે લખી ગયા છીએ કે, 'પંચમ' એટલે કે, રાહુલદેવ બર્મનના ખાસ દોસ્ત હોવાને નાતે શિવકુમાર શર્માએ, 'પિયા તોસે નૈના લાગે રે...'ગીતમાં તબલાંપં. શિવકુમાર જાતે વગાડયા છે- પોતે તો સંતુરવાદક હોવા છતાં ! જ્યારે શિવ-હરિના હરિપ્રસાદ થોડા જ વર્ષો પહેલા દેશભરના અખબારોમાં સનસનાટી મચાવી દીધી હતી, એવું કહીને કે, સ્ત્રીઓનો સંગ એમની કમજોરી છે. આ બન્ને દોસ્તોએ સિલસિલા ઉપરાંત, ફાસલે, વિજય, ચાંદની, લમ્હે, પરંપરા, સાહિબાન અને ડરમાં સંગીત આપ્યું હતું. નવાઇ નહિ, પણ આઘાત લાગે કે, આટલી ફિલ્મોમાંથી આજ સુધી યાદ રહી જાય, એવું એકે ય ફિલ્મનું સંગીત કેમ નહિ ?

આ એક જ ફિલ્મ એવી હતી કે શશી કપૂર અમિતાભનો મોટો ભાઇ બને છે. બાકીની બધી ફિલ્મોમાં અમિતાભ મોટો ભાઇ છે. મૂળ આ ફિલ્મમાં યશ ચોપરાએ અમિતાભની સાથે પદ્મિની કોલ્હાપુરે અને પરવિન બાબીને અનુક્રમે રેખા અને જયા રોલ માટે પસંદ કર્યા હતા, પણ અમિતાભે આગ્રહ કરીને આ બન્ને રોલ રેખા-જયાને અપાવ્યા હતા. ફિલ્મના ગીતકારોમાં અમિતાભના પિતા કવિવર શ્રી. હરિવંશરાય બચ્ચને 'રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે..' લખ્યું હતું. જાવેદ અખ્તર ઉપરાંત રાજીન્દર કિશન, નિદા ફાઝલી અને હસન કમાલના નામો પણ છે.

હિંદી ફિલ્મોની એક ખાસીયત છે. એનો હીરો ઍરફૉર્સમાં પાયલટ હોય, એટલે એ મરવાનો જ થયો હોય. બસ, દુશ્મનો સાથે લડતા લડતા એ શહીદ થઇ જાય. પણ ઍરફોર્સના કોઇ પાયલટને લાંબા લાંબા વાળ રાખવાની દુનિયાના કોઇ દેશમાં છુટ ન મળે, સિવાય હિંદી ફિલ્મના પાયલટ-હીરોને. એવી જ રીતે, આખી ફિલ્મમાં બચ્ચન ક્યો નોકરી-ધંધો કરે છે ને આખો દહાડો શું કરે છે, એ વાર્તામાં લેવાયું જ નથી. એને લેખક બતાવાયો છે, પણ ભારતના ક્યા લેખક પાસે આજની કિંમતમાં મિનિમમ રૂ.૨૦-૨૫ કરોડનો બંગલો હશે? (ઍટ લીસ્ટ, મારી પાસે તો નથી જ.) ફિલ્મમાં હ્યૂમરને નામે યશ ચોપરાએ અત્યંત બિભત્સ જોક કામે લગાવી દીધી છે. બચ્ચન અને શશી એક જ બાથરૂમમાં નહાતા હોય છે, ત્યારે શશીના હાથમાંથી સરકી ગયેલો સાબુ ઉપાડવા શશી અમિતાભને કહે છે...ને બચ્ચન કટાક્ષ સમજી જઇને એ સાબુ ઉઠાવવાની ના પાડે છે. આવી બિભત્સ જોક શું કામ મૂકવી પડે ? જયા અને અમિતાભ એકબીજાને ભેટીને ડાન્સ કરતા હોય છે. એમાં બન્નેની હાઇટ અંગે ઠીક-ચાલી જાય એવી જૉક બચ્ચને કરી છે કે, 'ઓહ...મૈ તો ફર્સ્ટ-ફ્લોર પે ડાન્સ કર રહા હૂં... આપ ક્યા ગ્રાઉન્ડ ફલોર પે હૈ ?'

1 comment:

taral mehta said...

chandani/lamhe/silsilla jevi films aaje pan music na lidhe yad karay che. shiv hari nu music surely remarkable kahi sakay ema