Search This Blog

25/05/2015

એનકાઉન્ટર : 24-05-2015

૧.કેજરીવાલથી એક વાર છેતરાઈ ચૂકેલી દિલ્હીની જનતાએ એમને બીજી વાર કેમ તક આપી ?
-એમ કાંઈ એકાદવાર છેતરાઈ જવાથી આપણે હિમ્મત હારી ન જવાય... આપણે ઈન્ડિયન છીએ.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

૨.રાજા-મહારાજાઓ એક કરતા વધુ રાણીઓ રાખતા હતા... સુઉં કિયો છો ?
-હવે એવું કરવા માટે રાજા-મહારાજા બનવાની જરૂર નથી પડતી.
(જગદિશ ભાનુશાળી, અમદાવાદ)


૩.'એનકાઉન્ટર'માં સવાલો મોકલવાની તમામ પૂર્વશરતો માન્ય... પણ મોબાઈલ નં. લખવાની શી જરૂર ?
-તમે તમારો બેન્ક-એકાઉન્ટ નંબર તો આપવાના નથી... !
(પ્રતિક સોની, વલસાડ)


૪.રાહુલ ગાંધીને ટુંકમાં 'રાગા' કહેવાય છે, તો આ નવા રાગને નામ શું આપીશું ?
-સંગીતનું અપમાન ન કરો.
(સિદ્ધાર્થ છાયા, અમદાવાદ)

૫.તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવવામાં આવે તો ?
-ક્યાંથી બનાવશો ? હું ઈન્ડિયા પાછો આવું તો ને ?
(પરીક્ષિત ત્રિવેદી, કપડવંજ)

૬.સાલું આ વાંચેલું યાદ કેમ નથી રહેતું ?
-શું યાદ નથી રહેતું ???
(મિનેષ રોહિત, કણભાઈપુરા)

૭.અશોક દવે અને 'અશોક ચક્ર' વચ્ચે શું તફાવત ?
-અશોક દવેઓ બીજા સવા સો કરોડ મળી રહેશે... વિશ્વનું સૌથી તેજસ્વી ચક્ર, 'અશોક ચક્ર' બીજું ક્યાંય નહિ મળે.
(હિરેન સોની, સાઠંબા - અરવલ્લી)

૮.ઘરમાં ઝગડો ન થાય, એ માટે શું કરવું જોઈએ ?
-સહન.
(વિપુલ એમ. ગોલે, વિસનગર)

૯.તમારૂં નામ 'અશોક દવે' કોણે રાખ્યું અને શા માટે ?
-'અશોક' તો મામાએ, પણ 'અશોક દવે' તમે બધાએ... જગતનું એ સર્વશ્રેષ્ઠ નામ છે માટે.
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

૧૦.નરેન્દ્ર મોદી સાથે બેઠક થાય તો ચર્ચાનો મુદ્દો શું હોય ?
-એક જ ! પાકિસ્તાનને જવાબ ક્યારે અને શું આપો છો ?
(ઋષિલ ડોડીયા, વડોદરા)

૧૧.તમે ભૂતપ્રેતમાં માનો છો ?
-ક્ષમા કરજો. હું બીઝી છું. હાલમાં મારા સ્વર્ગસ્થ સાસુ-સસરા મળવા આવ્યા છે.
(અર્થવ ધીમંત ભાવસાર, બડોલી)

૧૨.તમને ખબર છે ખરી કે, આ જગતનો અંત ક્યારે આવશે ?
-બુદ્ધિમાન લોકો જગતના 'પ્રારંભ'નો વિચાર કરતા હોય છે... અંતનો નહિ !
(હર્ષિલ ઠક્કર, અમદાવાદ)

૧૩.મારી 'સેન્સ' ઓફ હ્યૂમર મારી પત્ની પચાવી શકતી નથી. શું કરવું ?
-બેમાંથી એકને માંડી વાળો... કાં તમારી હ્યુમરને, ને કાં પત્નીને !
(મહેન્દ્ર પરીખ, મુંબઈ)

૧૪.લગ્ન સમયે ગોર મહારાજ 'કન્યા પધરાવો, સાવધાન' કહે છે, 'વર પધરાવો' કેમ નહિ ?
-વરને વધેરવાનો હોય, પધરાવવાનો ના હોય !
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)

૧૫.ધો.૯ને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં લઈ જવાનો નિર્ણય બરોબર છે ?
-ધો. ૯ સુધી ભણેલા કોઈને આ સવાલ પૂછો.
(ચેતન શાહ, ઝાનોર-ભરૂચ)

૧૬.સની લિયોની પી.ટી. ટીચર બને તો વિદ્યાર્થીઓ માટે ક્યો યુનિફોર્મ આવે ?
-મને ચિંતા વિદ્યાર્થીઓની નહિ... બાકીના સ્ટાફની થાય છે !
(મધુકર માંકડ, જામનગર)

૧૭.ડિમ્પલ કાપડીયા સાથે કેવી ફિલ્મ કરવાનું પસંદ કરો ?
-ફિલ્મ 'મુગલે-એ-આઝમ'... (મારે સલીમનો રોલ કરવાનો હોય... શહેનશાહ અકબરનો નહિ... અને ડિમ્પલે અનારકલી બનવાનું હોય... એની બા નહિ !)
(કૌશિક એસ. શાહ, ભાવનગર)

૧૮.રવિ પૂર્તિનું છેલ્લું આખું પાનું 'એનકાઉન્ટર'નું કેમ નથી રાખતા ?
-પહેલા તો, રોજે રોજના સોળે સોળ પાનાં 'એનકાઉન્ટર'ના રાખવાનો વિચાર હતો... ! પણ પછી ખબર પડી કે, આખા સપ્તાહમાં સૌથી વધુ બુદ્ધિશાળી વાચકો ૨૫-જ હોય છે, એટલે ફક્ત રવિવારે !
(હાર્દિક ક્યાડા, નિકોલ-અમદાવાદ)

૧૯.જાહેર રસ્તાઓ ઉપર નીકળતા તમામ વરઘોડા કે ધાર્મિક-યાત્રાઓ બંધ કરી ન દેવા જોઈએ ?
-સાલાઓ એક પણ સરઘસ દેશભક્તિ ઉજાગર કરવા માટે કાઢતા નથી... ને પોતાના ધર્મના પ્રચાર માટે સેંકડોની સંખ્યામાં નીકળી પડે છે. હવેના યુદ્ધમાં પાકિસ્તાન આપણને હરાવશે, તો મને નવાઈ નહિ લાગે.
(રોહિત યુ. બૂચ, વડોદરા)

૨૦.લગ્નના ૨૫-વર્ષ પૂરા કરનાર પતિને તમે શૂરવીર કહેશો કે કાયર ?
-'પતિ' કહો, એમાં બધું આવી ગયું.
(જયેશ અંતાણી, ભાવનગર)

૨૧.પુત્રના લક્ષણ પારણે, વહુના લક્ષણ બારણે, તો દોસ્તના લક્ષણ ?
-પહેલા બન્નેમાં ય સમાજ ફેઈલ ગયો છે... 'પારણું'ને 'બારણું'... પ્રાસ બેસાડવા સિવાય કાંઈ લાગુ પડતું નથી.
(રૂપેશ પટેલ, કોલક-વલસાડ)

૨૨.તમારો તકીયા-કલામ, 'તારી ભલી થાય ચમના...'ને કારણે ચમનલાલો શું પ્રતિક્રિયા આપે છે ?
-એ જ કે, આખા ગુજરાતમાંથી મારી ભલી વિચારનારો એક માત્ર અશોક દવે નીકળ્યો.
(ઉમંગ કક્કડ, રાજકોટ)

૨૩.આપનું 'એનકાઉન્ટર' મુંબઈની લોકલ ટ્રેનમાં વાંચી રહ્યો છું. પણ રવિવારે મુંબઈ ખાલી કેમ લાગે છે ?
-પણ તો ય, ટિકીટ લઈને બેસવું સારૂં !
(સનત પટેલ, મુંબઈ)


૨૪.શું ઇન્ડિયાની ક્રિકેટ ટીમ હવે પછીનો વર્લ્ડ-કપ જીતવાની ક્ષમતા ધરાવે છે ?
-અચ્છે દિન ''જાનેવાલે'' હૈં... !
(પરેશ મોદી, સુરત)

૨૫.કોંગ્રેસ ફોર્મ વગરની થઈ ગઈ છે... એમાં એન્ટ્રી લેવાય ?
-તો તો પછી મારે તમારા અને રાહુલબાબામાં કોઈ ફરક જ ન સમજવો ને ?
(જયેશ સુથાર, કણજરી-નડિયાદ)

૨૬.બધા લાભો 'ઓપન'માં આવનારાને કેમ નહિ ?
-ઓહ... અંકલેશ્વરમાં હજી 'ઓપન-બંધ' ચાલે છે ?
(રચના ગાંધી, અંકલેશ્વર)

૨૭.ગત તા. ૩જી મે, ૨૦૧૫ના રોજ 'વર્લ્ડ-લાફટર ડે' હતો, તો ય કોઈ હસાવવા ના આવ્યું... !
-આ જવાબ હું 'વર્લ્ડ-હસબન્ડ ડે'ના રોજ આપી રહ્યો છું !
(ડૉ. અશ્વિન પટેલ, કેટ્સકિલ-ન્યુયોર્ક)

No comments: