Search This Blog

26/01/2016

ઍનકાઉન્ટર : 24-01-2016

* દેશની સરહદો પર જે થઈ રહ્યું છે, તે એમની અવળચંડાઇ છે કે આપણી ભલમનસાઇ ?
– નપુંસકાઇ.
(નયન બ્રહ્મભટ્ટ, વડોદરા)

* આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થયા, પણ નહેરૂ પરિવારની ગુલામીમાંથી ક્યારે આઝાદ થશું?
– હાલ પૂરતાં તો એ લોકો આઝાદ થઇ ગયા છે.
(સંદીપ એચ. પટ્ટણી, રાજકોટ)

* શ્રેષ્ડ સવાલ પૂછનારને ઇનામ કેમ નહિ?
– ‘ગુજરાત સમાચાર’માં નામ છપાય, એ માટે મોટા ચમરબંધીઓ વલખાં મારતા હોય. તમને તો એમનાથી ય મોટું ઇનામ મળ્યું છે.
(ધ્વનિલ શાહ, રાજકોટ)

* વાઇફને ખુશ રાખવા શું કરવું જોઇએ?
– રોજ જાતે નહાવું જોઇએ.
(જે જે ભોલા, મોરડીયા – ગીર સોમનાથ)

* ઝેરની ‘એક્સપાયરી ડૅટ’ જતી રહ્યા પછી એ અસર કરે ખરૂં ? ?
– એ જોવા માટે ચા–દૂધમાં નાંખીને ન પીવાય. .
(અશરફ ગોધરાવાલા, ઇખર)

* તમારા મતે ભારતની સૌથી સારી અને ખરાબ ઘટના કઇ ?
– ઘણા લોકો એના જવાબમાં મારો જન્મ ગણાવે છે.
(કોશાલ છાપીયા, જામનગર)

* ‘સ્માર્ટ સિટી’ એટલે શું ?
– જ્યાંના લોકો ડફોળ ના હોય એ !
(હાર્દિક ભટ્ટ, દાહોદ)

* કાયમ મીસ કોલ કરનારા લોકોને તમારી શું સલાહ છે ?
– સલાહ એમને ન અપાય, તમને અપાય. સામા તમે ય મીસ કોલ ઠોકો .
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમારા હિસાબે ભવિષ્યમાં ભારતની વસ્તી કેટલી હશે?
– હિસાબ રાખનારાઓ વસ્તી ન વધારી શકે.
(કિશન મોરણીયા, દહીસર)

* જે ઝનૂનથી લોકો ન્યાતજાત માટે નીકળી પડે છે, એ ઝનૂનથી દેશ માટે ક્યારે નીકળશે?
– લોકો તો ટ્રાફિક–જામમાં ય ઝનૂનો વાપરી કાઢતાં હોય છે.
(દિલીપ રૂગવાણી, ધોળા જંક્શન)

* મારે સુરતનો ‘ડોન’ બનવું છે... શું કરવું ?
– એમ પૂછીને થવાય નહિ ‘ડોન’ .
(સાગર ગોસ્વામી, સુરત)

* તમે મુખ્યમંત્રી હોત તો ?
– અત્યારે હું નથી, ત્યારે આવું પૂછો છો ને ?.
(હરપાલસિંહ વાલા, કોડિનાર)

* પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે તમારો અભિપ્રાય ?
– બસ. પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ, એટલું બસ... એમને યાદ આવે !
(હર્ષ શાહ, ખંભાત)

* શુક્રવારની સાંજ, શનિવારની સુપ્રભાત કે રવિવારની રાત નામ રાખો તો પંખો ચાલુ રાખવો નહિ પડે. બુધવારની બપોરે અમેરિકામાં મંગળવારની રાત હોય છે.
– હું ઓબુ (ઓબામા સાથે) વાત કરી જોઇશ.
(જ્યોતિ બી. દેસાઇ, ટેક્સાસ, અમેરિકા)

* કવિઓ અને શાયરો પોતાના અસલી નામ બદલી કેમ નાંખે છે ?
– એમને પોતાના નામનો મોહ હોતો નથી. ઉપનામનો હોય છે.
(અફરોઝ મીરાણી, મહુવા)

* તમે ગયા જન્મમાં બિરબલ તો નહોતા ને ?
– થોડું થોડું યાદ આવે છે. હું શહેનશાહ અક્બર હતો.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* ડૉ. મનમોહનસિંઘે આટલા કોઠાકબાડા કર્યા છતાં એમને કેમ ઉઘાડા પાડવાની કાર્યવાહી કેમ થતી નથી ?
– રાજકારણમાં એવા વેરઝેર ન હોય...!.હું તારૂં સાચવી લઉં છું... વખત આવે તું મારૂં સાચવી લેજે .
(અજીત દોશી, હિમ્મતનગર)

* તમારા મતે તમે જોયેલી આજ સુધીની સર્વોત્તમ ફિલ્મ કઇ ?
– ‘મુગલ–એ–આઝમ’
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* તમારી રેન્જ મધુબાલાથી મુમતાઝ સુધીની છે. સુંઉં કિયો છો ?
– બસ... છેલ્લા નામમાં લોચા માર્યો !
(બી. એસ. વૈદ્ય, વડોદરા)

* લગ્ન પછી ઘણી સ્ત્રીઓ પોતાના નામની સાથે બબ્બે અટકો કેમ રાખતી હોય છે ?
– ... તો ય ભૂલી જાય છે કે, આમાંથી ફાધરવાળી કઇ ને ગોરધનવાળી કઇ ?.
(મધુકર માંકડ, જામનગર)

* તમારા પત્ની તમને ‘અશોક’ ને બદલે ‘અસોક’ નામે બોલાવે છે, છતાં ચલાવી કેમ લો છો ?
– લગ્ન પછી બધુ ‘ચલાવી લેવાનું’ આખું પેકેજ ચલાવી લેવું પડતું હોય છે !... કોઇ પંખો ચાલુ કરો.
(મહેન્દ્ર પરીખ, દહીસર)

* આપણે જીવવા માટે કામ કરીએ છીએ કે કામ કરવા માટે જીવીએ છીએ ?
– ગયા મહિનાનો પગાર થયો નથી લાગતો !
(વાહિદ સૈયદ, ધંધુકા)

* અમારા સંસદ સભ્ય પરેશ રાવળનું સરનામું મુંબઇથી અમદાવાદ – પૂર્વમાં ફેરવવા શું કરવું જોઇએ ?
– કોઇ સારૂં મકાન જોઇને એક વખત ‘બાનું’ આપી આવો... પછી આગળ વધીએ .
(મુકેશ પડસાળા, અમદાવાદ)

* આજકાલ પરવિણ ચડ્ડી ક્યાં છે ?
– ચડ્ડીમાં .
(પ્રશાંત એમ. મહેતા, સિહોર)

* આજે તો હીરોલોગ જ કોમેડી કરવા લાગ્યા છે, એમાં કોમેડિયનોનું અસ્તિત્વ જ મટી ગયું ને ?
– ઓહ... તો તમે મને હીરો માનો છો.
(મિલન પરમાર, ગાંધીનગર)

No comments: