Search This Blog

18/03/2016

'પુનર્મિલન' ('૪૦)

- બૉમ્બે ટૉકીઝનું પુનર્મિલન

- ભલે આ ફિલ્મ વિશે તમે કાંઇ પણ સાંભળ્યું ન હોય, આ લેખ વાંચવાનું ચૂકશો નહિ !

રૅકોર્ડિંગ પતાવીને લતા સ્ટુડિયોની બહાર બૅન્ચ પર બેઠી હતી, ત્યાં મઘમઘાટ પરફ્યૂમ છાંટીને આવ્યા. ''અચ્છા ગા લેતી હૈ આપ...!'' લતાને ભ'ઇનો બાયોડેટા ખબર એટલે ઊભી થઇને જવા લાગી, તો પૂરા વિવેકથી રોકીને કહ્યું, ''આપને બખૂબી ગાયા.... મૈંને તારીફ કિ... ઇસ મેં કુછ બુરા તો નહિ કિયા... આપ બુરા ક્યું માન ગઇ ?... ખૈર, આપકી યે પૅન હમેં પસંદ આ ગઇ... આજ સે યે હમારી હો ગઇ...!'' 

**** 
ફિલ્મ : 'પુનર્મિલન' ('૪૦) 
નિર્માત્રી : દેવિકારાની (બૉમ્બે ટૉકીઝ)
દિગ્દર્શક : નઝમ નકવી
સંગીતકાર : રામચંદ્ર પાલ
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ ટાઇમ: ૧૪ રીલ્સ : ૧૪૪ મિનિટ્સ
થીયેટર : સેન્ટ્રલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : સ્નેહપ્રભા પ્રધાન, કિશોર સાહૂ, શાહ નવાઝ, અંજલી દેવી, મુમતાઝ અલી, પી.એફ. પીઠાવાલા, સુનલિની દેવી, એસ. બાબુરાવ, મુમતાઝ બેગમ અને મંગલે.


****
ગીતો 
૧.નાચો નાચો પ્યારે મન કે મોર, આજ મેરે જીવન મેં છાયા... અરૂણ કુમાર
૨.સુની સેજરીયા સૈંયા, તૂ એક બૈરી આજા, દિન નહિ ચૈન... રાજકુમારી
૩.હંસ લે જી ભર ભર કે હંસ લે, જાને કૌન કહાં ફિર... સ્નેહપ્રભા પ્રધાન
૪.કર લે કામ ભજ લે રામ, બોઝ ઉઠાકર ક્યા કોઇ તેરા... રામચંદ્ર પાલ
૫.ઓ જીનેવાલે, હંસતે હંસતે જીનામ આંસુ તેરે છલક ન જાયેં... અરૂણકુમાર
૬.મેરા ગીતભરા, સંગીતભરા, મનુવા નાચે, મેરી આંખોં મેં દુનિયા... સ્નેહપ્રભા
૭.નાચો નાચો પ્યારે મન કે મોર, આજ મેરે જીવન મેં છાયા... સ્નેહપ્રભા પ્રધાન
૮.આઓ બનાયેં ઘરવા પ્યારા, પ્યારાપ્યારા જગ સે ન્યારા... સ્નેહપ્રભા-કિશોર

ગીત નં. ૧, ૭ ના સ્વરકાર કવિ પ્રદીપ અને ગીત નં. ૬ ના સ્વરકાર સરસ્વતીદેવી : ૧ અને ૭ ગીતકાર પ્રદીપજી, ૨, ૪, ૬ ના ગીતકાર જમુનાસ્વરૂપ 'કશ્યપ', ગીત નં. ૩ આનંદ ૫ : પંડિત ઈન્દ્ર, ૮, ૯, ૧૦ ના ગીતકાર આનંદ.
*****
આ કોઇ ફિલ્મી બાતમી નથી. '૪૦ના દાયકા પછી મશહૂર નિર્માતા-દિગ્દર્શક-લેખક અને હીરો કિશોર સાહૂ (જેને તમે દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ'માં વહિદા રહેમાનના ઐયાશ પતિ તરીકે જોયો છે) એ મુંબઇની ભરચક અદાલતમાં નામદાર ન્યાયમૂર્તિને ચોખ્ખું ઈજન આપ્યું હતું, 'યૉર ઑનર... ઍન્ડ મૅમ્બરાન-એ-જ્યુરી... હું નપુંસક છું માટે મારી અભિનેત્રી પત્ની સ્નેહપ્રભા પ્રધાને માંગેલા છુટાછેડા કાયદેસર છે. મિ. લૉર્ડ, આ વાત ન્યાયથી બિલકુલ વિપરીત છે. હું સહેજ પણ નપુંસક નથી. નામદાર ઈચ્છે તો હું મારૂં શિષ્ન આપ સાહેબના ટૅબલ પર પછાડી શકું એમ છું.'

નામદારને 'એટલી' ઊંડી તપાસ કરવાની જરૂર ન પડી.

આ કિશોર સાહૂએ પછી તો બીજા લગ્ન કર્યા અને કૉર્ટમાં એની જુબાની સાચી હતી, તે પુરવાર પણ થયું. એમને બે-ત્રણ સંતાનો થયા, એમાંની પહેલી દીકરી નયના સાહૂને લઇને ફિલ્મ 'હરે કાંચ કી ચૂડીયાં' ('પંછી રે ઓ પંછી, ઊડ જા રે ઓ પંછી') બનાવી અને બીજો દીકરો વિમલ સાહુ, જેને તમે અમિતાભના પાંચમા નંબરના ભાઇ 'શુક્ર' તરીકે ફિલ્મ 'સત્તે પે સત્તા'માં જોયો છે. કિશોર પોતે છત્તીસગઢ રાજઘરાણાનું ફરજંદ હતા.

તો બીજી તરફ, બહેનજી ય ગાંજ્યા જાય એમ નહોતા. આમ તો સ્નેહપ્રભા પ્રધાન બહુમુખી પ્રતિભા-માત્ર ફિલ્મ ઍક્ટ્રેસ નહિ. ખૂબ ધનિક અને શિક્ષિત પરિવારમાંથી આવતી હોવા ઉપરાંત ઈંગ્લિશ ઉપર એનો પ્રભાવ ભલભલા અંગ્રેજ પાસે છકડી છંડાવતો. સુંદરતા આણામાં આવી હતી. ગર્વિષ્ઠ એવી કે, પોતાની ફિલ્મોના કલાકારો સાથે વાત ન કરે.

આ સંજોગોમાં જે.નખ્શબ નામનો ગીતકાર એને લપટાવી ગયો. પહેલી જ મુલાકાતમાં નખ્શબે એને પલંગમાં ખેંચી લીધી. આ નખ્શબ દાવા સાથે કહેતો કે, મારા બિસ્તર પર રોજ એક સુંદરી જોઇએ જ... અને એ ખોટું નહોતો બોલતો. મૂળ ફિલ્મ ઍક્ટ્રેસ નાદિરાને પરણેલો નખ્શબ ફિલ્મ 'મહલ'ના ગીતોના રૅકોર્ડિંગ વખતે લતા મંગેશકરને પોતાની જાળમાં ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યો હતો.

રૅકોર્ડિંગ પતાવીને લતા સ્ટુડિયોની બહાર બૅન્ચ પર બેઠી હતી, ત્યાં મઘમઘાટ પરફ્યૂમ છાંટીને આવ્યા. ''અચ્છા ગા લેતી હૈ આપ...!'' લતાને ભ'ઇનો બાયોડેટા ખબર એટલે ઊભી થઇને જવા લાગી, તો પૂરા વિવેકથી રોકીને કહ્યું, ''આપને બખૂબી ગાયા.... મૈંને તારીફ કિ... ઇસ મેં કુછ બુરા તો નહિ કિયા... આપ બુરા ક્યું માન ગઇ ?... ખૈર, આપકી યે પૅન હમેં પસંદ આ ગઇ... આજ સે યે હમારી હો ગઇ...!''

હજી ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવેલી લતાએ રડવાના અવાજે રીક્વૅસ્ટ કરી, ''નહિ નહિ... યે મુઝે કિસી ને ગિફ્ટ મેં દિ હુઇ હૈ... યે નહિ દે સકતી!'' પણ નખ્શબને ક્યાં પૅનમાં રસ હતો. એ તો લઇને ચાલવા માંડ્યો.

બીજા દિવસથી લતા રડી રડીને અધમૂઇ થઇ ગઇ કે, પેલા નાલાયકે આખી ફિલ્મનગરીમાં એવી વાત ઉડાડી કે, ''હું ને લતા પ્રેમમાં છીએ... જુઓ, બતૌર નિશાની એનું નામ લખેલી આ પૅન...!''

અશોક કુમારે એના જાણિતા અંદાઝથી નખ્શબને બરોબરનો આડેહાથ લીધો, ત્યારે વાત થાળે પડી.

આ નખ્શબ ખૂબ કિંમતી કપડાં પહેરવાનો (અને કાઢવાનો ય) શોખિન હતો. અનેક સ્ત્રીઓના પતિદેવોએ તેને ઊભીબજારે અનેક વખત પેટ ભરીને ફટકાર્યો પણ હતો. પણ એનામાં સ્ત્રીઓને ફસાવવાની અજીબ આવડત હતી. એણે લખેલા ગીતો કાફી મશહૂર થયેલા. મધુબાલા-અશોક કુમારની ફિલ્મ 'મહલ'ના ગીતોથી એ વધુ ઉચકાયો. 'જે' એટલે 'જારચવી' નખ્શબે ફિલ્મ 'નગ્મા' ખાસ નાદિરાને ફસાવવા માટે બનાવી હતી. નાદિરા માટે ફસાવવું કોઇ મુશ્કિલ વાત નહોતી. અશોક કુમાર હીરો અને સંગીત 'નાશાદ' (નૌશાદ નહિ) સાથે એક ગીત તો આજ સુધી મશહૂર છે, 'બડી મુશ્કિલ સે દિલ કી બેકરારી કો કરાર આયા...'

ફિલ્મ 'પુનર્મિલન' ૧૯૪૦માં બની હતી, એટલે એ જમાનાનું મુંબઇ અને રસ્તાઓ જોવાની લજ્જત આવે છે. ઈવન, કાર પણ આવી ગઇ હતી. ફિલ્મની વાર્તા આજે તો આપણને શું ઈમ્પ્રેસ કરે ! પોતાના પિતા (મુમતાઝ અલી)એ કરેલા ખૂનનો બદલો પોતાને માથે લઇલઇને હીરો કિશોર સાહૂ રખડતો-કૂટાતો કંગાળ બની જાય છે, ત્યાં શેરીઓમાં નૃત્ય-ગીત દ્વારા ભીખ માંગતી સ્નેહપ્રભાના સંપર્કમાં આવે છે. સ્નેહનો પિતા (પી.ઍફ. પીઠાવાલા) છે. ૧૯૩૫માં એ 'જવાની કી હવા'માં પ્રથમવાર આવ્યો પછી બૉમ્બે ટૉકીઝની બધી ફિલ્મોમાં એ હોય. અશોક કુમારની ફિલ્મ 'કિસ્મત'માં એ રાનીનો પિતા બને છે.

સંગીત રામચંદ્ર પાલનું છે અને ખાસ તો અશોક કુમારના ભાણેજ અરૂણ કુમારે ગાયેલું 'નાચો નાચો પ્યારે મન કે મોર' આજ પર્યંત મશહૂર છે. આ ગીત સ્નેહપ્રભાએ પણ સોલો ગાયું છે. ફિલ્મ આજથી ૭૬ વર્ષ પહેલા બની હોવા છતાં બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ પ્રિન્ટ ખૂબ સારી હોવાને કારણે જોવી ગમે છે.

No comments: