Search This Blog

24/08/2016

એક ખુલ્લો પત્ર, મોદી સાહેબને

૨૦ ઑગસ્ટ, ૨૦૧૬

આદરણીય મોદી સાહેબ,

દેશની પ્રજાએ તમને ખોબા નહિ, ખોળા ભરીભરીને વોટ આપ્યા છે અને પરદેશમાં વસતા ભારતીયોએ આજ સુધી અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરને ન આપ્યો હોય, એટલો અને આવકાર આપ્યો છે. હું તિરંગાનું પૂર્ણ સન્માન કરનારો ભારતીય હોવાના નાતે આપને થોડી વાતો કહેવા માંગુ છું.

સર, ટી.વી. પર જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે, રોજના સરેરાશ પાંચ ભારતીય લશ્કરના સૈનિકોને આતંકવાદીઓ ખતમ કરીને આરામથી જતા રહે છે. સામે એમનું નસીબ હોય તો વળી એકાદો ઝડપાય. આ ક્યાં સુધી ચાલે રાખવાનું ? આપણે સામે એમના પચાસ સૈનિકોને કેમ મારી શકતા નથી ? ભારતીય લશ્કરમાં મરવા માટે જ જોડાવાનું હોય છે ? સરહદ પર કે હવે તો શ્રીનગરમાં મરતો એક એક સૈનિક મને/ તમને આતંકવાદીની ગોળી ન વાગે, એ માટે ઊભો છે. એને પર્સનલી, પાકિસ્તાની સૈનિકો માટે કોઈ દુશ્મનાવટ નથી,પણ એ હરામજાદાઓએ છોડેલી ગોળી મારી કે તમારી છાતીમાં ન વાગે, એટલે એ પોતે ઝીલવા ઊભો છે. આપણે તો એને શહીદ કહી દીધો, એટલે આજની ડયુટી પૂરી, પણ જેનો દીકરો, પતિ કે નાના બાળકનો યુવાન બાપ મરે છે, એને માટે તમે તો શું, આખા દેશની પ્રજા ય હવે તો આંસુ સારતી નથી. એ શહીદના પરિવારને કેટલા લાખ નુકસાનીના વળતર પેટે મળ્યા, એ તો કૉમેડીનો વિષય છે.

તો દવે સાહેબ, તમે શું ઇચ્છો છો, હું પોતે હાથમાં રાયફલ પકડીને લડવા જઉં ?

સર્ટેઇન્લી નૉટ સર ! કમસે કમ, અમારી દેશદાઝ ટકી રહે અને 'અમે ભારતીય છીએ', એવું કહેતા 'ડરીએ નહિ', એવી મર્દાનગીભરી બે વાતો તો કરો ! દેશ માટે ફના થઈ જવા કયો ઇન્ડિયન તૈયાર નથી. બધા દેશ માટે મરી ફીટવા તૈયાર બેઠા છે. એમની કમનસીબી એટલી છે કે, કોઈ એમને પાનો ચઢાવનાર નથી. અમદાવાદમાં પાકિસ્તાનનો ઝંડો ફરકશે તો એ ઝૂંટવી લેનારની રક્ષા કરનાર કોઈ નથી. એ તો મરવાનો જ થયો છે, ત્યારે તમારી પાસેથી એટલી અપેક્ષા રાખી શકાય કે, દેશ માટે અમે મરી પડીએ, એવું જોમ, ઝનૂન અને તાકત તમે અપાવો.

તમે તો સ્વચ્છતા અને શૌચ માટે ય આશા અમારી પાસે રાખો છો. જ્યારથી આપશ્રીએ સ્વચ્છતાનું અભિયાન હાથમાં લીધું છે, ત્યારથી આજ સુધી અમારા એકે ય શહેરમાં કચરાપેટીનું એક ડબલું ય જોયું નથી, નવી મૂતરડીઓ જોઈ નથી ને જે છે, ત્યાં ગયા પછી એકી બંધ થઈ જાય એટલી ગંદી બૂ મારતી હોય છે ને તમે 'જહાં શૌચ, વહાં શૌચાલય'ની વાતો કરો છો. હજી એકવાર સ્વચ્છતા અભિયાનનું બ્યુગલ તમે વગાડી દો,કે તરત જ તમારા બધા મંત્રીઓ સ્વચ્છ, સફેદ કપડા પહેરીને હાથમાં ઝાડૂ સાથે ટી.વી.- ન્યૂસકેમેરાવાળાના આવવાની રાહ જોતા ઊભા રહી જશે. સ્વચ્છતા તો છાપા - ટી.વી.માં ચમકવાનું એક સાધન થઈ ગયું છે.

કહે છે કે, અમેરિકા- ઇંગ્લૅન્ડ જેવી અદ્ભુત ટ્રાફિક વ્યવસ્થા મોટા ભાગના દેશોમાં છે... ને આપણે ત્યાં ? આ સવાલ વાંચતા વાંચતા જ કેટલાક વાચકો આવડી મોટી 'હંભળાવશે'. નવા નિયમો ક્યાં કરવાના છે ? જે છે, એનો અમલ કરાવો, એમાં ક્યાં ગાદી જતી રહેવાની છે ? રસ્તા ઉપર થૂંકનાર કે પિચકારી મારનારને સ્થળ ઉપર હજાર રૂપિયાનો દંડ કરાવો ને પકડાયેલાઓના નામો છાપા- ટી.વી. ઉપર પ્રસિદ્ધ કરાવો... મહિનામાં અડધો દેશ ચોખ્ખો થઈ જશે. કાયદા તો ઘણાં છે ને લાગતા- વળગતાને તો આમાંથી ય પૈસા મળી જશે, પણ એ બહાને ટ્રાફિક વ્યવસ્થા જેવું કંઈક તો દેખાશે !

એક તો આપણા શહેરોનું ટાઉન-પ્લાનિંગ પહેલેથી જ નબળું ને એમાં ય ગીચ રસ્તાઓની વચ્ચોવચ ફ્રી-પાર્કિંગની સગવડ તો કેવળ આપણા દેશમાં જ મળે, એનો આનંદ છે. અમે તો છાપા રોજ વાંચીએ છીએ ને એટલે ખબર પડે છે કે, અમારા શહેરોમાં રોડ-એક્સિડેન્ટથી સરેરાશરોજના એકાદ-બે તો મરે જ છે, ચૅઇન સ્નેચિંગ થાય છે, ચાર રસ્તાઓ ઉપર શોભાના ગાંઠીયા જેવા લટકાઈ રાખેલા સીસીટીવી કેમેરાઓ ટ્રાફિકના કામમાં આવે એમ ન હોય તો લગ્નપ્રસંગોએ ભાડે આપવાનું રાખો, પણ એનો કોઈ ઉપયોગ તો કરાવો.

ભારત દેશની સુપ્રીમ કૉર્ટના વડા ન્યાયમૂર્તિને આખો દેશ જોતો હોય ત્યારે ટી.વી. સામે હિબકાં ભરીભરીને રડવું પડે, ને એ ખોટું બોલતા હોય તો એમને સજા કરો ને ? છાતી ફાટી જાય એવી એક વાત એ કહેતા ગયા છે કે, અંગ્રેજોના જમાનામાં ય એક કૅસ મેક્સિમમ ૧૦ વર્ષ ચાલતો ને આજે... ?

આ લખાય છે ત્યાં સુધી, ઑલિમ્પિકમાં સાક્ષી કે પુરસલા સિંધૂ સિવાય કોઈ મેડલ મેળવી ન શક્યું, એમાં ભલે શોભા ડેને અમે ઝાટકી નાંખી હોય પણ એની વેદના ય વિચારવા જેવી તો છે ને ? કે સવા કરોડની વસ્તીમાં દેશને ૨૦- ૨૫ મેડલો અપાવી ન શકે, એમાં શું એકલા રમતવીરોનો વાંક છે ? તદ્દન નાનકડા ટાન્ઝાનિયા જેવા દેશને પણ મેડલો મળતા હોય ત્યાં આપણે એક-બે મેડલોથી ખુશમખુશ રહેવાનું ? એક રાજ્યના તો કોઈ ૮- ૯ સરકારી સાહેબો રિયો-ડી-જાનેરો કરોડો રૂપિયાનો દેશને ખર્ચો કરાવીને પહોંચી ગયા. તો કાન તમારે આમળવો ન જોઈએ, જે તે રમતના સરકારી ખેરખાંઓનો ?

મોદી સાહેબ, હજી આગામી ચૂંટણીઓ બે-ત્રણ વર્ષમાં આવવાની છે. કૉંગ્રેસ સરકાર કોઈ કામ નહોતી કરતી, 'માટે' ગઈ. આપણે આંકડાઓના તો મહારાજા છીએ, પણ પ્રજાને દેખાય એવું ય કંઈક કરવું તો પડશે ને ? અત્યાર સુધીની 'સિદ્ધિઓ'થી તમે કન્વિન્સ હો કે, પ્રજા ખુશ છે, તો મારે કાંઈ કહેવું નથી. ફરીથી લોકસભાની ચૂંટણીમાં તમને આવી વિરાટ જીત મળશે, એવી ગણત્રીઓ શરુ થઈ ગઈ હોય, તો ય મારે કાંઈ કહેવું નથી. આ તો હજી ચેતી જવા જેવું છે કે, તમારી કટ્ટર દુશ્મન કૉંગ્રેસમાં તો પહેલા ય પાણી નહોતું ને અત્યારે છે, એ ય આ મા-બેટાની ભાગીદારીમાં નીચોવાઈ ગયું છે, પણ દરેક વખતે આટલા નમાલા દુશ્મનો નહિ મળે. અને એ તો દેશનું ય કમનસીબ છે કે, સારી લોકશાહીમાં વિરોધ પક્ષ સૉલ્લિડ હોવો જોઈએ, એનેબદલે કૉંગ્રેસ પાસે ભાજપને કે તમને ગાળો દેવા સવાય બીજો નાનકડો ય કોઈ પ્રોગ્રામ નથી કે, 'ચલો, મોદી કે ભાજપને વોટ નહિ આપીએ... પણ તમને શું કામ આપીએ, એનું એક નાનકડું કારણ તો બતાવો. તદ્દન મફતમાં કૉંગ્રેસને આટલું બધું ટી.વી.- કવરેજ મળે છે, છતાં ભાજપને ભાંડવા સિવાય એક નાનકડી દેશની વાત જ નહિ ? પાકિસ્તાન કે આતંકવાદ સામે કૉંગ્રેસે કંઇ નહિ બોલવાનું ? તમે સત્તા ઉપર આવો તો શું કરી શકો એમ છો - ભાજપને ભાંડવા સિવાય, એવી સલાહ આપનાર તમારી પાસે ય કોઈ નેતા નથી ?'

મોદી સાહેબ, ગુજરાતમાં કે પાર્લામેન્ટમાં, દેશની પ્રજાએ તમને બહુ આશાઓ સાથે લેન્ડ-સ્લાઇડ વિક્ટરીઓ આપી છે. હું તો ઇચ્છું કે, આપ અમર રહો અને જીવો ત્યાં સુધી દેશ પર કેવળ તમારું જ રાજ રહે, પણ રોજના પાંચ સૈનિકો મરતા રહે અને તમે એક શબ્દ ય બોલી ન શકો, તો પ્રજા ય તમારી તાકાતને હવે સમજે છે. આપણે શાંતિદૂત છીએ, એ બધી વાતો સર આંખો પર, ને ભલે પાકિસ્તાનનો કોઈ સૈનિક ન મારો.. કમસે કમ આપણો તો મરવા ન દો.

જે વાત અંગ્રેજોના સંદર્ભમાં કહેવાતી હતી કે, 'મફતમાં મળેલી આઝાદીની કોઈ કિંમત નથી,' એવી વાત તમારા પક્ષની સત્તાને માટે ય કહેવાતી ન થાય, એનું ધ્યાન રાખવા બીજો તો કોઈ મોદી આવવાનો નથી... આપે જ બધું કરવાનું છે અને આખો દેશ જાણે છે કે, દેશમાં અત્યારે કોઈ ચમત્કાર લાવી શકે તો એક માત્ર નરેન્દ્ર મોદી જ છે !

અમારી એ અપેક્ષાને તૂટવા ન દો.

આપનો
અશોક દવે

સિક્સર
- સલમાન ખાને ઑલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ટીમના દરેક ખેલાડીને એક- એક લાખ રૂપિયા આપ્યા !
- બજરંગી ભાઈજાન, નામનો જ સુલતાન નથી !

6 comments:

Anonymous said...

Tamara modi saheb ne Patra Na madhaya thi modi saheb ne Sara saval puchaya.
Joiye chiae k modi saheb aa Patra vachine aapana Bharat desh ane sainiko mate su Kare che?

Sachin Desai, Dahod said...

कोई शब्द ज नथी...લાજવાબ કમાન્ડ સાથેનો વિવેકપૂર્ણ પત્ર "પોટલામાં બાંધેલી પાંચશેરી"ની ગરજ સારે છે. અદભૂત લેખ બદલ અભિનંદન અશોકભાઈ.

Anand said...

Excellent article sir, its voice of India, hope Namo will read it soon and reply to you personally too !!
Keeeeeeep writing !

hsodagar said...

Ashok bhai you have written a letter which I believe every Indian wants to write to PM .. thanks for taking this initiative on everyone's behalf and hope to everyone's benefit

Anonymous said...

Very true

Unknown said...

Ashokbhai,

This is "Man ki baat" of all Indians.

Respected Narendra Modi,

Please Read / Listen and react.

Jai Hind.