Search This Blog

09/12/2016

મુગલ-એ-આઝમ ભાગ-૨.



(ગયા અંકથી ચાલુ)
વાર્તા મુજબ  : શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરને એમના પછી હિંદુસ્તાન ઉપર હુકુમત ચલાવવા એક પુત્રની જરૂર હતી, જે ન હોવાથી એ ઉઘાડા પગે ચાલતા હઝરત શેખ સલિમુદ્દીન ચિશ્તીની દરગાહ પર મન્નત માંગવા જાય છે. ફિલ્મનો આટલો મોટો અને સન્માન્નીય હીરો હોવા છતાં પૃથ્વીરાજ કપૂરને ઉનાળાની બપોરના ધગધગતા રણમાં ખુલ્લા પગે ચાલવાનું હોવાથી એમના પગ દાઝી જતા અને પગે ફોડલાં પડી જતા હતા. આવા મહાન કલાકારનો જુસ્સો ભાંગી ન પડે, એ માટે કે.આસિફ પણ એમની સાથે સાથે (કૅમેરાની ફ્રેઇમની બહાર) ઉઘાડા પગે ચાલ્યા હતા.

એક દાસી (જીલ્લોબાઇ) એમને સારા સમાચાર આપે છે, એના બદલામાં ખુશ થઇને અકબરે જીંદગીમાં એક વાર એ જે માંગશે, તે આપવામાં આવશે-નું વચન આપે છે. હિંદુસ્તાનના તખ્ત પર રાજ કરનાર પુત્ર શક્તિશાળી હોવો જોઇએ, એ ધોરણે અકબર એના આ કુચ્છંદે ચઢી ગયેલા પુત્ર સલિમને હિમ્મત અને શિસ્ત શીખવવા યુધ્ધમાં મોકલે છે. ૧૪ વર્ષ પછી સલિમ નશામાં ધૂર્ત અને સ્વચ્છંદી બનીને પાછો આવે છે, ત્યારે એનું સ્વાગત શાહી થાય છે. સલિમ શાહીદરબારની નૃત્યાંગના નાદિરાને જોઈને મોહી પડે છે. બન્ને પ્રેમમાં પડે છે, એનાથી અજાણ અકબર નાદિરાને 'અનારકલી'નો ખિતાબ અતા કરે છે.

નાદિરાનું નામ અનારકલી (દાડમની કલી) રાખવામાં આવે છે. પણ રાજદરબારની સીનિયર ડાન્સર 'બહાર' (નિગાર સુલતાના) આ બન્નેને પ્રેમ કરતા જોઈ જાય છે અને અકબરના કાન ભંભેરે છે, જેથી અનારકલીને મૌત અને પોતાને હિંદુસ્તાનની મલિકા બનવા મળે. અકબરને જાણ થતા એ અનારકલીની ધરપકડ કરાવે છે, જેથી ઘૂંઘવાયેલો સલિમ પિતા સામે યુધ્ધ છેડે છે અને હારી જાય છે.

અકબર એની સજાના બદલામાં એ વખતે સંતાડી રાખેલી અનારકલીને સોંપી દેવા અને પોતાનો છુટકારો મેળવવાની સ્કીમ જાહેર કરે છે. અનારકલી સલિમને બચાવવા જાતે જ શહેનશાહ પાસે પકડાઈ જાય છે, જેને જીવતી દિવાલમાં ચણાવી દેવાની સજા મળે છે. મૂળ વાર્તામાં નાટકીય ફેરફાર કરીને ફિલ્મનો સુખદ અંત લાવવા આ ફિલ્મમાં અનારકલીને જેલમાંથી ભૂગર્ભ રસ્તે સદા ય ને માટે દેશની બહાર ઇરાન મોકલી દેવામાં આવે છે, જેની બેહાશ બનાવવામાં આવેલા સલિમને કદી જાણ થતી નથી.

આ રીતે અકબરી-ઇન્સાફ અને વર્ષો પહેલા અનારકલીની માં ને આપેલા વચનને પૂરૂં કરવાની અકબરી-નેમ પણ જળવાઈ રહે છે. સાહિત્યના શોખિનો નહિ, જાણકારો માટે ફિલ્મનો સાચો હીરો ગીતકાર શકીલ બદાયૂની છે. મને જે કાંઈ સમજ પડે છે, એ ઉપરથી હું એમ કહી શકું છું કે,

હિંદી ફિલ્મોમાં પરફૅક્ટ શાયરો માત્ર બે જ. પહેલે નંબરે સાહિર લુધિયાનવી અને બીજે શકીલ બદાયૂની. શકીલ 'ફિલ્મી' ગીતો આબાદ લખી શક્તા. ફિલ્મી એટલે સાર્વત્રિક ચાલે એવા નહિ, જે તે ફિલ્મની વાર્તા સાથે સંકળાઈ શકે, એ ફિલ્મી. એમાં ય આ ફિલ્મમાં તો મોટી કમાલો કરી છે. 'અંજામ-એ-મુહબ્બત ક્યા કહીએ, લય બઢને લગી અરમાનોં કી...' ઉત્તર પ્રદેશના બદાયૂનમાં તા. ૩ ઓગસ્ટ, ૧૯૧૩માં જન્મેલા શકીલ મોટા ભાગના શાયરોની જેમ નિશાળના ઠોઠીયા કે અભણ નહોતા... બાકાયદા ગ્રૅજ્યુએટ હતા.

એમના વાલિદ (પિતા) મૌલાના હોવાથી શકીલને ઉર્દુ, ફારસી અને અરબીનું પૂરતું જ્ઞાન હતું પણ એથી ય વધુ પોતાના રાજ્ય યુ.પી.ની દેશી બોલીઓ ભોજપુરી, પૂરબી, મગધી અને અવધી ઉપર એમનો મીઠડો કાબુ હતો. ફિલ્મ 'ગંગા-જમુના'નું 'નૈન લડજઇ હૈ તો મનવામાં કસક હુઇ બેકરી' પૂરબી ભાષનું હતું.

નૌશાદ અને એ.આર.કારદારે શકીલને એક મુશાયરામાં સાંભળીને પોતાની ફિલ્મો માટે પસંદ કરી લીધા, એમાં ટુનટુન (ઉમાદેવી) અને શકીલનો પ્રારંભ ફિલ્મ 'દર્દ'ના 'અફસાના લિખ રહી હૂં, દિલે બેકરાર કા...'થી થયો. મુંબઇમાં ૨૦ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ ગુજરી ગયેલા શકીલ બદાયૂનીએ નૌશાદ ઉપરાંત સચિનદેવ બર્મન, રવિ, સરદાર મલિક, સી. રામચંદ્ર, ગુલામ મુહમ્મદ, અલ્લારખા કુરેશી અને હેમંતકુમાર ઉપરાંત થોડા સંગીતકારો માટે ગીતો લખ્યા છે.

અલબત્ત, 'મુગલ-એ-આઝમ'માં શકીલે લખેલા તમામ ગીતોમાં ચમત્કૃતિઓ આવે રાખે છે. 'ઐસે મેં જો પાયલ તૂટ ગઈ ફિર અય મેરે હમદમ ક્યા હોગા ?', 'હૈ વક્તે-રૂખ્સત ગલે લગા લો, ખતાએં ભી આજ બખ્શ ડાલો, બિછડનેવાલા કા દિલ ન તોડો, જરા મુહબ્બત સે કામ લેલો', 'જીયે તો મગર ઝીંદગાની પે રોયે', 'હૈ વક્તે-મદદ આઇય બિગડી કો બના લે, પોશિદા નહિ આપ સે ઇસ દિલ કે ફસાને, ઝખ્મોં સે ભરા હૈ કિસી મજબુર કા સીના'... વાહ શકીલભાઇ... અદબ સાથે સલામ ! (પોશિદા એટલે 'જાણ બહાર')

આ ગ્રેટ ફિલ્મ વિશેની નાનીનાની માહિતીઓ ઉપરે ય એક આખી ફિલ્મ બને એવું છે.

(
૧) મુંબઇના મરાઠા મંદિર (સિનેમાનું નામ છે, કોઈ જે-શી-ક્રસ્ણવાળા મંદિરનું નહિ !)માં તા. ૫ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ રોડ ઉપર મિનિમમ એક લાખની ભીડ વચ્ચે આ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો, ત્યારે ફિલ્મની પ્રિન્ટના ઍલ્યુમિનિયમના ગોળ ડબ્બા શણગારેલા હાથીની અંબાડી ઉપર મૂકીને બ્યુગલ અને શેહનાઇઓથી વાજતે-ગાજતે લાવવામાં આવ્યા હતા.

પ્રિમિયર શોના આમંત્રણો શાહી ફરમાન લાગે એવા (સ્ક્રોલ) ગોળ પિંડલા વાળેલા અને ઉર્દુમાં લખેલા શાહી-ખતની જેમ મોકલવામાં આવ્યા હતા. સિનેમાનું ફોયર એટલે કે લોબી કોઈ મોગલ શહેનશાહના મહેલ જેવી દરબારી બનાવવામાં આવી હતી. મરાઠા મંદિરની બહાર પૃથ્વીરાજ કપૂરનું ૪૦ ફૂટ ઊંચું કટ-આઉટ પોસ્ટર મૂકવામાં આવ્યું હતું.

ફિલ્મમાં વપરાયેલ અસલી શીશમહલનો પૂરો સેટ અહીં સિનેમા સુધી લાવવામાં આવ્યો હતો જેથી ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો એ પણ જોઈ શકે. લગ્નો કરવામાં પણ મહારથ હાંસિલ કરનાર કે.આસિફે આ ફિલ્મ બનતી વેળા જ દિલીપ કુમારની સગી બહેન અખ્તર સાથે પ્રેમમાં પડી લગ્ન કરી લીધા હોવાથી દિલીપે એ બન્નેને માફ કર્યા નહોતા અને દિલીપ પ્રીમિયરમાં આવ્યો નહતો.

(
૨) એ જમાનામાં એક નવી ફિલ્મ રીલિઝ થાય, એટલે કોઈ ચોક્સ ટૅરીટરી (દા.ત. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ થીયેટરો)માં ફિલ્મ રીલિઝ કરવાના પ્રોડયુસરને ૩થી ૪ લાખ મળતા. 'મુગલે-આઝમ' માટે કે.આસિફે ડિસ્ટ્રિબ્યુટરો પાસે સાત લાખની જંગી રકમ માંગી... એ વાત તો ભૂલાઈ ગઈ અને આસિફને સાતને બદલે પૂરા સત્તર લાખ એકએક ટેરેટરીના મળ્યા. આટલી જંગી રકમ ત્યાં સુધીની કોઈ હિંદી ફિલ્મને મળી નહોતી.

(
૩) ફિલ્મ રિલિઝ થવાના આગલે દિવસે મરાઠા મંદિરની બહાર ઍડવાન્સ બુકિંગ માટે લગભગ એક લાખ લોકો આવી ગયા હતા. દરેક ટિકીટ મેળવનાર ભાગ્યશાળીને ટીકીટની સાથે ફિલ્મની ટેકસ્ટ, ફોટોગ્રાફ્સ અને નાની મોટી માહિતીઓનું એક ડોકેટ ભેટ આપવામાં આવ્યું હતું.

(
૪) 'મુગલ-એ-આઝમ' પછી કે પહેલાની બીજી કોઈ પણ ફિલ્મ કરતા આ ફિલ્મની કમાણી અથવા સૌથી વધુ ચાલવાનો રૅકોર્ડ ધરાવે છે. અંગ્રેજી અખબાર 'ધી હિંદુ'ના જણાવ્યા મુજબ, હાલના મલ્ટિપ્લૅક્સ થીયેટરોની ટિકીટોના મનગમતા ભાવ પછી ફિલ્મો ૧૦૦-કરોડ કે ૩૦૦ કરોડ કરે અને એક સાથે શહેરના ૪૦-૫૦ થીયેટરોમાં રીલિઝ થાય,

તો બન્ને સમયની સરખામણીમાં હજી પણ 'મુગલ-એ-આઝમ'ને કોઈ ફિલ્મ હંફાવી શકી નથી. મલ્ટિપ્લૅક્સ થીયેટરવાળાઓને ખુદ સરકારે જ ઑફિશિયલ 'બ્લેક' કરવાની છુટ આપી છે ! બન્ને સમયની વસ્તી, રિલીઝ થયેલા થીયેટરોની સંખ્યા તથા ફૂગાવા વગેરેના ગુણાંકો સરખાવ્યા પછી આ ફિલ્મને કોઈ પાછળ રાખી શક્યું નથી.

(
૫) ફિલ્મને કલર બનાવવાનું નક્કી થયું, ત્યારે સાઉન્ડટ્રૅકને પણ નવેસરથી બનાવવામાં આવ્યો, જેમાં ગાયકોના કંઠ એના એ જ રાખીને સંગીતકારો પાસે લાઈવ ઓરકેસ્ટ્રા ફરી વગાડીને ડૉલ્બી-સાઉન્ડમાં રૅકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

(
૬) વિખ્યાત ઇતિહાસશાસ્ત્રી ઍલેક્સ વોન ટ્રન્ઝલમૅનના લખવા મુજબ, અસલી સલિમ ૧૮ વર્ષની ઉંમરે ચિક્કાર દારૂડીયો હતો અને અફીણ વિના એને ચાલતુ નહિ. ફિલ્મમાં બતાવ્યા મુજબનો સલિમ રોમેન્ટિક નહિ, પણ પોતાના માણસો મરી જાય ત્યાં સુધી મારીને એમના ઉપર ઢોરજુલમ આચરતો. સલિમે તેના પિતાને પણ નહોતા છોડયા અને એમને ઉથલાવવા અકબરના દોસ્ત અબુ-અલ-ફઝલને મારી નંખાવ્યો હતો.

(
૭) વાસ્તવમાં અનારકલી નામની કોઈ વ્યક્તિ પેદા થઇ હતી કે કેમ, એ મોટો કોયડો છે. શેહજાદા સલિમમાંથી શહેનશાહ બનેલા જહાંગિરે પાકિસ્તાનના લાહૌરમાં અનારકલીના નામની એક કબર ઇ.સ. ૧૬૧૫માં ચણાવી છે, જેની ઉપર પોતાના પ્રેમનો સંદેશો પર્શિયનમાં લખ્યો છે કે, 'મારી પ્રેમાળ પત્નીનો ચેહરો હું એકવાર મારી હથેળીમાં લઇ શકું તો કયામત સુધી હું અલ્લાહનો આભારી રહીશ.'

૧૮મી સદીના ઇતિહાસકાર અબ્દુલ્લા ચુગતાઇએ લખ્યા મુજબ, આ કબર અનારકલીની હતી જ નહિ, પણ જહાંગિરની પ્રેમાળ પત્ની સાહિબ-એ-જમાલ બેગમની હતી. ઇતિહાસકાર ઇમ્તિયાઝઅલી 'તાજ'ના જણાવ્યા મુજબ, અનારકલી અકબરની એક બાંદી હતી, જેને રખાત વધુ કહેવાય. એ અનારકલીને સલિમ સાથે આંખ મીંચકારતા અકબર જોઈ ગયેલા, એમાં એને જીવતી ચણાવી દેવાનો હુક્મ આપ્યો હતો.

(
૮) જોધાબાઈ જન્માષ્ટમીએ બાળકૃષ્ણને હિંચકો નાંખે છે, એ મૂર્તિ શુધ્ધ સોનાની હતી. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મમાં માટીની મૂર્તિ મૂકી શકાઈ હોત, પણ આસિફના કહેવા મુજબ, દુર્ગા ખોટે હિંદુ હોવાથી ઝૂલો ઝુલાવતી વખતે શુધ્ધ સોનાની મૂર્તિ જોઇને એમને ભાવ પણ એવા જ માતૃતુલ્ય આવે. એક દ્રષ્યમાં ફ્લોર પર મૂકેલા કેમેરામાં સામે વિરાટ દરવાજામાંથી સલિમ ચાલતો આવે છે, એમાં આસિફે જીદ કરીને સલિમની મોજડી એ જમાનામાં (આજની કિંમતે ગણીએ તો) એક લાખની મોજડી પહેરી હતી. નૌશાદ અને ખુદ દિલીપ કુમારે હસી પડીને પૂછ્યું, 'આ તો નકરૂં પાગલપન છે.

કેમેરામાં ક્યાં આટલી મોંઘી મોજડી દેખાવાની છે ? આસિફે જવાબ પણ શહેનશાહને છાજે એવો આપ્યો હતો કે, 'યુસુફ (દિલીપ) આટલી મોંઘી મોજડી પહેરશે, તો સલિમ બનશે ને ? આવી મોજડી પહેર્યા પછી એની ચાલમાં શેહજાદો દેખાશે... નહિ તો યુસુફને સ્લિપર પહેરાવી જુઓ અને પછી એની ચાલ કેવી આવશે, એ જુઓ !''

મૂળ ફિલ્મમાં સલિમે એ જ મોંઘી મોજડી પહેરી છે, જે આપણે જોવા ઇચ્છીએ તો ય એની કિંમત સમજાય એમ નથી ! યુધ્ધ ભૂમિ પર સફળતાના ઝંડા ગાડીને શેહજાદો સલીમ ૧૪ વર્ષે પાછો આવે છે, એના પૂરબહાર ઉમંગમાં માતા જોધાબાઈ ખુશીઓથી મહેલમાં મોતીઓ લૂટાવે છે, એ મોતીઓ કોઈ કાચના નકરા ટુકડાં નહોતા... 'સાચા મોતી' હતા. આસિફનું કહેવું હતું, રાજમહલની સંગેમરમરની ફર્શ પર જે અવાજ સાચા મોતીઓ વેરાવાનો આવે, તે કાચના ટુકડાઓમાં ન આવે.

(
૧૦) કૈદખાનાની જંઝીરોથી જકડાયેલી અનારકલીને આસિફે અસલી લોખંડી વજનદાર સાંકળો પહેરાવી હતી, વાસ્તવિક્તા લાવવા ! હૃદયમાં કાણું હોવાથી અમથી ય બિમાર મધુબાલા માટે આટલું વજન શૂટિંગમાં રોજેરોજ ઉચકવું વસમું હતું ને તો ય એણે કોઈ ફરિયાદ નહોતી કરી.

(
૧૧) કરીમુદ્દીન આસિફ મુંબઇના ભીંડી બજારની ફુટપાથ ઉપર કોહવાયેલા લાકડાના પાટીયાંની બનેલી લારી જેવી દુકાનમાં દરજીનો ધંધો કરતો હતો, એ દરમ્યાન (આમ તો ખાસ કાંઈ ભણેલો ન હોવા છતાં) એના વાંચવામાં ઇતિહાસકાર ઇમ્યિયાઝઅલી 'તાજ' લિખિત 'મુગલે-એ-આઝમ' પરનું 'નાટક' વાંચવામાં આવ્યું. વાત હશે ૧૯૪૨-ની ! અને તરત જ એના ઉપર ફિલ્મ બનાવવાનો નિર્ણય લઇ લીધો. અલબત્ત, આ જ વખતે એણે પૃથ્વીરાજ કપૂર, સુરૈયા અને દુર્ગા ખોટેને લઇને ખૂબ સફળ ફિલ્મ 'ફૂલ' બનાવી દીધી હતી.

'
મુગલે-એ-આઝમ' બનાવવા માટે અનારકલી તરીકે નરગીસ અને શહેનશાહ અકબર તરીકે દીપડાં જેવી ખૂંખાર પણ ચમકતી આંખોવાળા ચંદ્રમોહનને પસંદ કરી લીધો હતો. શેહજાદા સલિમનો રોલ સપ્રૂને અપાયો હતો. આ દરમ્યાન ચંદ્રમોહનનું અવસાન થઇ જતા આસિફે આ પ્રોજેક્ટ અભેરાઇએ ચઢાવી દીધો અને નવરા બેસી રહેવું ન પડે એ માટે દિલીપકુમાર અને મધુબાલાને લઇને એણે ફિલ્મ 'હલચલ' બનાવી, જેનો પેલો ફેમસ કિસ્સો બધાને મોંઢે છે કે, દરેક વાતમાં પોતાની હુકુમત ચલાવવા કુખ્યાત બનેલા દિલીપ કુમારે અહીં પણ માથાફરેલ પરંતુ યશસ્વી સંગીતકાર સજ્જાદ હુસેનની ધૂનમાં બે-ત્રણ વખત ફેરફારો કરવાના સૂચનો કર્યા.

(
દિલીપ કરે એ સૂચન ન હોય, હૂક્મ હોય !) અકળાયેલા સજ્જાદે બધાની વચ્ચે સંભળાવી દીધું, 'યુસુફ, હું તને ઍક્ટિંગ શીખવવા આવું ત્યારે તું મને સંગીત શીખવવા આવજે... ત્યાં સુધી મારા કામમાં ટાંગ અડાડીશ નહિ !' સમસમી ગયેલા દિલીપકુમારે ફરિયાદ સીધી કે.આસિફને કરી, જેણે ચોખ્ખો જવાબ આપ્યો, 'એની વાત તો સાચી જ છે ને ? તારા કામમાં ક્યાં માથું મારવા આવે છે ?' ગીન્નાયેલા દિલીપે સીધી ફિલ્મ છોડી દેવાની ધમકી આપી. કે.આસિફે નવા કોઈ હાવભાવ લાવ્યા વિના કહી દીધું, 'તારી મરજી.' ફિર ક્યા...? દિલીપે પોતાની મરજી છુપાવી દીધી.

(
૧૨) ૧૯૬૦માં રીલિઝ થયેલી આ ફિલ્મનું પહેલું શૂટિંગ ૧૯૪૬માં શરૂ થઇ ગયું હતું, પણ સંજોગો ઉપરાંત આસિફની કામ કરવાની મંથર ગતિને કારણે ફિલ્મ નિર્માણ આટલું લાંબુ ચાલ્યું. એ દરમ્યાન વાસ્તવિક જીવનમાં મધુબાલા-દિલીપકુમાર વચ્ચેનો પ્રેમ અને કાયમી તિરાડ શામેલ હતા. મોટા ભાગના શૂટિંગ દરમ્યાન મધુ-દિલીપ વચ્ચે બોલવાના સંબંધો રહ્યા નહોતા.

(
૧૩) અત્યારે દેશના ઔદ્યોગિક ફલક ઉપર રતન તાતા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે કૉલ્ડ-વૉર ચાલી રહી છે, તે સાયરસ શાપુરજી પેલોનજી મિસ્ત્રીનો સુપુત્ર થાય. અલબત્ત, જરા મૂંઝવણમાં પડી જવાય એવી વાત એ છે કે, એક બાજુ ૧૯૬૦માં રીલિઝ થયેલી ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ને ૧.૫ કરોડનું ફાયનાન્સ શાપુરજી પેલોનજીએ કર્યું હતું અને અત્યારે ઠેઠ ઇ.સ. ૨૦૧૬ની સાલમાં ય નામ તો શાપુરજી પેલોનજીનું જ વંચાયા કરે છે, તો શું એ '૬૦-વાળા શાપુરજી (એ વખતે મિનિમમ ૨૫ વર્ષની ઉંમરના ગણીએ તો) અત્યારે હયાત છે ? સૉરી... નો ! ઇન ફૅક્ટ, એ વખતના શાપુરજી અને આજના શાપુરજી વચ્ચે પોતા-દાદાનો સંબંધ છે - નામ ભલે બન્નેના શાપુરજી રહ્યા !

(
૧૪) અનારકલીનો કિરદાર અગાઉ સુરૈયાને સોંપાયો હતો, પણ મધુબાલાને ત્યાં સુધી કોઈ અર્થપૂર્ણ રોલ મળ્યો ન હોવાથી, યેનકેન પ્રકારેણ આસિફને સમજાવીને એ રોલ પોતે લીધો. એવી જ રીતે, નાના સલિમનો રોલ ધી ગ્રેટ તબલાંનવાઝ ઉસ્તાદ ઝાકીર હુસેનને સોંપાયો હતો, જે કોઈ કારણવશ કોમેડિયન આગાના મરહૂમ પુત્ર જલાલ આગાને આપી દેવાયો હતો. જ્હોની વૉકરનો નગણ્ય રોલ આ ફિલ્મમાં એક પાવૈયાનો છે, જે માંડ આઠ-દસ સેકંડ માટે પરદા ઉપર આવે છે.

(
૧૫) હૉલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મો 'એ બ્રિજ ઓન ધ રિવર ક્વાઇ', 'ડો. ઝીવાગો', અને 'લૉરેન્સ ઓફ અરેબીયા' જેવી સુંદર ફિલ્મો બનાવનાર સર ડૅવિડ લિને મુંબઇમાં 'મુગલ-એ-આઝમ'ના સૅટની મુલાકાત લીધી, ત્યારે શીશમહલનો સૅટ બનાવવો શક્ય જ નથી, એવું કહી દીધું હતું,

બૅલ્જીયમના કાચ પરથી ફિરોઝાબાદના કારીગરોએ બનાવેલા આ સેટમાં લાઇટના રીફ્લૅકશન્સ આવી જતા હતા, પણ ફિલ્મના સિનેમેટોગ્રાફર આર.ડી.માથુરે કાચ ઉપર મીણ ચોપડીને  'ગ્લેર' ઓછા કરી દઇને શૂટિંગ ખૂબ સફળતાથી કરાવ્યું હતું.

(
૧૬) મૂળ ફિલ્મ ૫ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ અને પ્રોસેસ કરેલું એનું રંગીન વર્ઝન ૧૨ નવેમ્બર, ૨૦૦૪ના રોજ રીલિઝ થયું હતું. નવાઇ નહિ પણ આઘાતની વાત છે કે, ફિલ્મ રંગીન થયા પછી માર્કેટમાં આ જ ફિલ્મની બ્લૅક-એન્ડ-વ્હાઇટ ડીવીડી ભાગ્યે જ મળે છે અને જે મળે છે તે બાકીની તમામ ડીવીડીઓ કરતા ચાર-પાંચ ગણા ભાવે વેચાય છે. અફ કોર્સ, ફિલ્મ જોવાનો અસલી મજો તો કાળાધોળામાં જ આવે છે.

(
૧૭) આખેઆખી બ્લૅક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ રંગીન બનાવવામાં આવી હોય, એ વિશ્વનો આ સૌથી પહેલો કિસ્સો હતો.

અગાઉ હૉલીવૂડની ફિલ્મો રંગીન બની હતી, પણ એ હોમ-વીડિયો પૂરતી જ !
(ત્રીજો ભાગ આવતા અંકે)

No comments: