Search This Blog

31/01/2014

'આંધીયાં' ('૫૨)

ફિલ્મ - 'આંધીયાં' ('૫૨)
નિર્માતા - નવકેતન ફિલ્મસ
દિગ્દર્શક - ચેતન આનંદ
સંગીતકાર - ઉસ્તાદ અલીઅકબરખાન
ગીતકાર - પંડિત નરેન્દ્ર શર્મા
રનિંગ ટાઈમ - ૧૭-રીલ્સ : ૯૬ મિનિટ્સ
થીયેટર - લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારો - દેવ આનંદ, કલ્પના કાર્તિક, નિમ્મી, ર્જ્હાની ર્વાકર, કે. એન. સિંઘ, પ્રતિમાદેવી, લીલા મીશ્રા, દુર્ગા ખોટે, ભગવાન સિન્હા, એમ. એ. લતિફ



ગીતો

૧. હૈ કહીં પે શાદમાની ઔર કહીં નાશાદીયાં (૩ ભાગમાં) - લતા મંગેશકર
૨. ઘનશ્યામ કો હૈ... નૈન મન મોર બના મોર - લક્ષ્મીશંકર
૩. વો ચાંદ નહિ હૈ દિલ હૈ કિસી દીવાને કા - આશા ભોંસલે-હેમંત કુમાર
૪. દિલકા ખઝાના ખોલ દિયા, દિલ લૂટાને આઈ હૂં - આશા-કોરસ
૫. દર્દ બંટ રહા હૈ, કિસે દર્દ ચાહિયે - આશા-કોરસ
૬. મૈં મુબારકબાદ દેને આઈ હૂં - સુરિન્દ્રર કૌર

બૅક ગ્રાઉન્ડ મ્યુઝિક
૧. સરોદ - ઉસ્તાદ અલીઅકબરખાન
૨. સિતાર-સૂરબહાર - પંડિત રવિશંકર
૩. સારંગી - રામનારાયણજી
૪. બાંસૂરી - પન્નાલાલ ઘોષ
૫. સૂર મંડલ - જયદેવ વર્મા
૬. તબલા - સુદર્શન અધિકારી

વિશ્વવિભૂતિ સિતારવાદક પંડિત રવિશંકરે ભલે કોઈ બે-ચાર હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું કે છેલ્લે છેલ્લે બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસીયા અને સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માએ થોડી ઘણી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું, પણ ભારતીય શાસ્ત્રીય સંગીતના વર્લ્ડ-ક્લાસ વાદકો હોવા છતાં 'ફિલ્મો જેવા' છિછરા માધ્યમમાં વગાડે... એ પ્રબુદ્ધોને માન્ય નહોતું. છતાં ઉસ્તાદ અલી અકબરખાને દેવ આનંદને તેની ફિલ્મ 'આંધીયા'માં સંગીત આપવાની હા કહી. એવું કોઈ જોરદાર અને સદીઓ સુધી યાદ રહી જાય એવું સંગીત તો બેશક નહોતું. સિવાય કે, ફક્ત જાણકારો માટે લતા મંગેશકરનું 'હૈ કહીં પે શાદમાની, ઔર કહીં નાશાદીયાં...' અને ખાસ તો હેમંત કુમારના ચાહક હો તો, આ ફિલ્મનું 'વો ચાંદ નહિ હૈ દિલ હૈ કિસી દીવાને કા...' આશા ભોંસલે સાથે યુગલમાં હેમંત કુમારે ગાયું હતું, બસ એટલું (... અને મોટા ભાગની ડીવીડીઓમાં બનતું હોય છે તેમ, 'આંધીયાં'ની ડીવીડીમાં પણ એનું સૌથી વધુ પ્રસિદ્ધ ગીત 'વો ચાંદ નહિ હૈ, દિલ હૈ કિસી દીવાને કા...' આશા-હેમંત) ગાયબ છે.

પંડિત શિવકુમાર શર્માએ તો ફિલ્મ 'ગાઈડ'ના 'પિયા તોસે નૈના લાગે રે...' ગીતમાં જાતે તબલાં વગાડયા છે, ભલે એ તો સંતૂરવાદક હતા, પણ પંચમ, એટલે કે રાહુલદેવ બર્મન સાથેની દોસ્તીને કારણે અવારનવાર મળવા રેકોર્ડિંગ વખતે જઈ ચઢતા. આ ગીતમાં જે કોઈ તબલચી હતો, તે શિવકુમારની દ્રષ્ટિએ પરફેક્શન લાવી શકતો નહતો. પંચમે તરત જ દોસ્તી વટાવી લીધી, 'પંડિતજી... આપ હી તબલે બજાઈયે, ના...!' અને એમ વાત બની.

મૈહર ઘરાણાના પદ્મવિભૂષણ ઉસ્તાદ અલીઅકબરખાન સાહેબ આજના મશહૂર સરોદવાદક ઉસ્તાદ અમજદઅલીખાનની જેમ સરોદના વિશ્વવિખ્યાત સંગીતકાર હતા. પંડિત રવિશંકરના પત્ની અન્નપૂર્ણાદેવી અલીઅકબરખાનના સગા બહેન થાય. અન્નપૂર્ણાદેવી સુરબહાર વગાડવામાં પૂરબહાર પ્રસિદ્ધ હતા. એ તો બધા જાણે જ છે કે, પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલીઅકબરખાનની અનુક્રમે સિતાર અને સરોદની જુગલબંદીએ અનેક વખત દુનિયાને મંત્રમુગ્ધ કરી હતી.

તમને શંકર-જયકિશનની ફિલ્મ 'સીમા'માં લતા મંગેશકરે ગાયેલું, 'સુનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની...' યાદ હોય તો ગીતના પ્રારંભથી જ જે સરોદ વાગે છે, તે ઉસ્તાદ અલીઅકબરખાને વગાડી છે. એમને નામે એક અનોખી સિદ્ધિ પ્રમાણિત થયેલી છે. રાગ ચંદ્રનંદન એમની શોધ છે, જેમાં એમણે સાંજના રાગો માલકૌંસ, ચંદ્રકૌંસ, નંદકૌંસ અને કૌશી કાનડાનું મિશ્રણ કરીને રાગ ચંદ્રનંદન બનાવ્યો હતો. આ અનોખા પ્રયોગની રેકોર્ડ પણ બહાર પડેલી છે. આ લાઈનની થોડી જાણકારી હોય તો 'યૂ ટયૂબ' પર ઉસ્તાદજીએ પંડીત શંકર ઘોષની તબલાંસંગત સાથે વગાડેલો રાગ માંજ ખમાજ સાંભળવા જેવો છે. પ્રસન્નતા... પ્રસન્નતા... ને બસ, નકરી પ્રસન્નતા આવી જશે!

મૂળભૂત કુંડળીમાં શાસ્ત્રીય સંગીતકાર તરીકે પંકાયેલા ગુરુઓ ફિલ્મી સંગીતમાં જામ્યા નહિ (ફિલ્મ 'અનુરાધા'નો એક અપવાદ બાદ કરતા) તેના કારણો દેખિતા છે. એકલા વિલંબિતમાં જ દસ-વીસ મિનિટો ખર્ચતા આ મહાન સંગીતકારો કે ગાયકોને ફિલ્મી ગીત કેવળ ત્રણ મિનિટમાં પતાવવું પડે. 'આંધીયા'નો ય અંજામ કોઈ જુદો નહોતો. આમ તો ચેતન આનંદ કોઈ ફિલ્મ હાથમાં લે, એટલે એનું સત્યાનાશ વાળી નાંખવાનો કસબ પહેલેથી ઘડાઈ ચૂક્યો હોય. દા.ત. દેવ આનંદને લઈને પહેલી ફિલ્મ 'અફસર' બનાવી, એમાં જ (સુરૈયાના ગીતો સિવાય) કોઈ ઠેકાણા નહોતાં, ત્યાં રહી ગયા હોય એમ બન્ને ભાઈઓ વચ્ચે અનેક વર્ષો પછી સમાધાન થયું, એટલે એ જ 'અફસર'ને ફરી બનાવીને ફિલ્મ 'સાહિબ બહાદુર' નામ આપ્યું. કહે છે કે, આનાથી વધુ ભંગાર ફિલ્મ તો ઉત્તર ધ્રૂવના ટુન્ડ્ર પ્રદેશમાં ય નથી બની. આપણને દેવ આનંદના ચાહકોએ એ વાત પર ખુશ થવાનું કે, આ ફિલ્મની હીરોઈન કલ્પના કાર્તિક સાથે દેવને આ ફિલ્મથી પ્રેમસંબંધ બંધાયો અને બન્નેએ લગ્ન કર્યા.

કલ્પના કાર્તિકને દેવ 'મોના' કહીને બોલાવતો, એમાં તથ્ય ખરું. કલ્પના તો ફિલ્મી નામ હતું. અસલી નામ 'મોહના સિંઘા'હતું, એ 'મોહના'નો નાનકડો અપભ્રંશ કરીને દેવે જ ઈંગ્લિશ જેવું 'મોના' કરી નાંખ્યું. મોના પણ દેવ આનંદની જેમ પાકિસ્તાનના લાહૌરમાં ઉછરી હતી. જન્મ પણ ત્યાં જ, જીતેન્દ્રકુમારના ઘેર તા. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ. મોના આજે હયાત છે અને હિંદી ઉપરાંત ઉર્દુ, ફ્રેન્ચ, પંજાબી અને ઈંગ્લિશ પરફેક્ટ અને ફલ્યૂઍન્ટલી બોલી શકે છે. સુરૈયા સાથે દેવના પ્રેમપ્રકરણને કલ્પનાએ જીંદગીભર પચાવ્યું, પણ એ બહુ અઘરું ન પડયુ કારણ કે, દેવ આનંદ માટે રોજ એક નવી સુરૈયા તૈયાર જ હતી. દેવે પોતાની આત્મકથા 'રૉમાન્સિંગ વિથ લાઈફ'માં મોનાની હાસ્યવૃત્તિ વિશે લખ્યું છે. દેવ બાથરૂમમાં નહાતા નહાતા લપસી પડયો. ધબાકો થયો, તે સાંભળીને મોનાએ બૂમ પાડી, 'શું થયું?' દેવે કહ્યું, 'પડી ગયો...!' મોનાએ તરત પૂછ્યું, 'ફરી એક વાર...?? 'આપણે તો કલ્પના કાર્તિક એટલે કે મોનાને ફિલ્મ 'બાઝી', આંધીયાં 'હમસફર', 'ટેક્સી ડ્રાઈવર', 'ઘર નં. ૪૪' કે 'નૌ, દો, ગ્યારહ'માં જોઈ હોય, પણ એ પછી આજે એ હયાત છે. છતાં એ કદી જાહેરમાં દેખાઈ જ નહિ. ક્યારેક કોઈ ફિલ્મી પાર્ટીમાં એ દેવની સાથે આવી હોય તો મોટા ગોગલ્સ અને પરિધાનને કારણે કોઈ એને ઓળખી ન શકતું. એ તો બહુ ઓછાને ખબર હોય કે મોના જન્મે ક્રિશ્ચિયન હતી. ફિલ્મ 'આંધીયાં' અમૃતસરમાં બનેલી સત્યઘટના પર આધારિત ફિલ્મ છે.દેવ આનંદ એક મિડલકલાસ વસ્તીમાં રહેતો પ્રામાણિક વકીલ છે. એમ. એ. લતીફ નામના સામાન્ય વેપારીની દીકરી કલ્પના કાર્તિક સાથે પ્રેમમાં છે. દેવ લતીફનો લીગલ ઍડવાઈઝર પણ છે. બન્નેના પ્રેમનો એમ.એ. લતીફ કે દેવ આનંદના ઘરમાં કોઈને વિરોધ નથી અને આ ભવ્ય જોડાણની પાર્ટીથી ખુશ મોહલ્લાવાળાઓ ય જશ્ન મનાવે છે. (આ લતીફ ફિલ્મ 'કાલાપાની'માં દેવ આનંદનો કાલાપાનીની સજા પામેલો બાપ બને છે.) આ જશ્નમાં ફક્ત બે જણાને આનંદ નથી. એક સૅકન્ડ હીરોઈન નિમ્મી, જે નાનપણથી દેવના પ્રેમમાં છે, પણ આજ સુધી કહી ન શકી, એમાં લટકી ગઈ. દેવ આનંદના મુન્શીની ગરીબ ભત્રીજી હોવાને કારણે આવા હૅન્ડસમ અને શિક્ષિત દેવ આનંદ સાથે તો પોતાનો ટાંકો કેવી રીતે ભીડી શકે, એ ખૌફથી મનમાં ને મનમાં નિમ્મી રાજીનામું જ આપી દઈ, દેવ-કલ્પનાના સુખે સુખી રહેવાનો મનસુબો ઘડે છે. બીજો નારાજ છે કે. એન. સિંઘ, જે દેવ આનંદની મંગેતર કલ્પનાના ફાધરની ઉંમરનો હોવા છતાં કલ્પના સાથે પરણવાના મનસૂબાઓ ઘડતો રહે છે ને એમાં સફળ પણ થાય છે. એમ.એ. લતીફની પત્ની લીલા મીશ્રા ગંભીર બિમારીમાં પટકાય છે અને દીકરીના લગ્ન માટે બચાવેલી તમામ માલ-મિલ્કત બિમારીમાં ખર્ચાઈ જાય છે. એમ.એ. લતીફ મદદ માટે કે.એન.સિંઘ પાસે જાય છે, જે પૈસા આપવાની તો ચોખ્ખી ના જ પાડે છે, પણ જૂનું કરજ બાકી છે, તે તાબડતોબ વસૂલ કરવા ધમકીઓ આપે છે. કાં તો દીનદયાલે એટલે કે, લતીફે પોતાનું બધું વેચીને દેવું ભરવું અને કાં તો કલ્પના કાર્તિક સાથે પોતાના લગ્ન કરાવવા. કલ્પના પોતાના વહાલા માં-બાપના પૈસા અને આબરૂ બચાવવા કે.એન.સિંઘ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. બીજી બાજુ, આવા નફ્ફટ લગ્ન રોકવા માટે મોહલ્લાવાળાઓ નિમ્મી, દેવ આનંદ અને તેની માં (દુર્ગા ખોટે)ની આગેવાની હેઠળ કે.એન.સિંઘનું દેવું ચૂકવવા તનતોડ મહેનત કરીને પૂરા પૈસા ભેગા કરી લે છે, પણ મોડા પડે છે. લગ્નના છેલ્લા ફેરા ફેરવાઈ ગયા હોય છે. કલ્પનાને કે.એન.સિંઘ સાથે પરણવું જ પડે છે.પછી, ફિલ્મનો અંત તો સુખદ લાવવો જ પડે! નિમ્મી એવો પ્લોટ ઘડી કાઢે છે કે, કે.એન.સિંઘનું સઘળું જે સી ક્રસ્ણ થઈ જાય અને દેવ-કલ્પના ભેગા થઈ જાય. એ પોતે કે.એન.સિંઘનું ખુન કરી આવે છે ને ફિલ્મનું સત્તરમું રીલ પૂરું થવા આવ્યું હોવાથી અદાલતમાં જ કાયમ માટે ઢળી પડે છે, જેથી કલ્પના-દેવનો મારગડો મોકળો થાય.

ફિલ્મની વાર્તા ચેતન આનંદે પોતે લખી હતી. સ્વયં દેવ આનંદે પોતાની આત્મકથા 'રોમૅન્સિંગ વિથ લાઈફ'ના ૧૨૭માં પાના ઉપર લખ્યું છે તેમ, ફિલ્મ કંટાળાજનક બની હતી અને આખા દેશમાં પિટાઈ ગઈ હતી. આખી ફિલ્મમાં છેલ્લે છેલ્લે અદાલતના દ્રષ્યોને બાદ કરતા દેવ આનંદનો કોઈ રોલ જ અર્થપૂર્ણ નથી. બે ભાઈઓ વચ્ચે જુદા પડવાનું તય હોય એમ દિગ્દર્શક ચેતન આનંદે જેમાં દેવની અદાકારી હતી, તે અદાલતના ૯૫ ટકા દ્રષ્યો કાપી નાંખ્યા. ચેતનની હકાલપટ્ટી નિશ્ચિત બની.

નાનપણથી હીરોને પ્રેમ કરતી હોવા છતાં ફક્ત કહી ન શકવાને કારણે પર્મેનેન્ટ લટકી જવાનું નિમ્મીને તો ફિલ્મે ફિલ્મે ફાવી ગયું હતું. એના લગભગ બધા રોલ આવા જ હોય! નિમ્મી રાજ કપૂરની શોધ હતી અને નામ 'નિમ્મી' પણ રાજે આપ્યું હતું, એટલા માટે કે, રાજને આ નામ પાછળ પાગલપન પહેલેથી હતું. નિમ્મી છેલ્લે છેલ્લે બે-ત્રણવાર ગુજરાત આવી ગઈ. એ હિન્દીમાં નહિ, દિલીપકુમારની જેમ ઉર્દુ-અરબી-ફારસીમાં જ બોલે છે. પોતાની કરિયર બનાવવાનો પૂરો યશ તે રાજ કપૂરને આપે છે. આજે આટલી ઉંમરે પણ તેના વાળ ઢીંચણ સુધી લાંબા છે. યાદશક્તિ હજી ય ૨૪ વર્ષની છોકરી જેવી પાવરફૂલ છે. વર્ષો પહેલાં અમદાવાદની 'ગ્રામોફોન કલબ' હું ચલાવતો, ત્યારે અમે પૂરજોશ મળેલા. મેં એનો ઈન્ટરવ્યૂ લીધો હતો, એ બધી વાતો વર્ષો પછી એ જામનગરમાં શ્રી ચંદુભાઈ બારદાનવાલાની પાર્ટીમાં મળી ત્યારે એને મારૂં જ નહિ, મારી પત્નીના નામ સાથે સઘળું યાદ હતું. લક્ષ્મીશંકરનું નામ આમ તો ગાયિકા તરીકે મશહૂર છે, પણ આ ફિલ્મમાં નૃત્ય નિર્દેશન પણ એમનું છે. સુરિન્દર કૌરને ગાયિકા તરીકે બહુ ઓછા ચાહકો જાણતા હોય, કારણ કે એમાં જાણવા જેવું કાંઈ હતું પણ નહિ. આ ફિલ્મમાં લક્ષ્મીશંકરની જેમ એને પણ એક ગીત ગાવા મળ્યું છે.

દેવ આનંદની તમામ ફિલ્મોમાં એની પર્મેનેન્ટ ટીમ તો હોય જ. પ્રતિમાદેવી ફિલ્મ 'જ્વેલ થીફ'માં એની માં બને છે, તે અહીં કે.એન.સિંઘની પહેલી પત્ની બને છે. બહુ કદરૂપા ચેહરાવાળો હબીબ અહીં પહેલવાનના રોલમાં છે. દેવ આનંદનો બનેવી (શેખર કપૂરના પિતા) પણ આ ફિલ્મમાં કે.એન.સિંઘના ડ્રાયવર-કમ-મુન્શીના રોલમાં છે. ભગવાન સિંહા પણ સરકારી વકીલ છે. દેવના બીજા બે પર્મેનેન્ટ દોસ્તો જગદીશ રાજ અને રાશિદ ખાન પછી આવ્યા. બહુ ઉતરતી કક્ષાની ફિલ્મ તો ખુદ દેવે જ કીધી છે, છતાં ય તમારે જોવી હોય તો ભોગ તમારા...! (સીડી સૌજન્ય : શ્રી ભરત દવે, સુરત.)

29/01/2014

બ્રાહ્મણો... લઘુમતિ બની જાઓ...!

જૈનોને લઘુમતિનો દરજ્જો કોંગ્રેસ સરકારે અપાવ્યો, એનાથી સૌથી મોટો આનંદ એક બ્રાહ્મણ તરીકે મને થયો છે કે, ચલો... આ સરકાર ગરીબોનું ધ્યાન રાખવા માંડી છે. મને તો આજ સુધી એમ જ હતું કે, પૈસેટકે જૈનોની પાસે બ્રાહ્મણોના કોઇ ચણા ય ના આલે. આજે ખબર પડી કે, આ એક ભ્રમ હતો. બ્રાહ્મણોની સરખામણીમાં જૈનો તો ખૂબ દુઃખી પ્રજા છે. પારસી, સિંધી, પટેલ કે વૈષ્ણવોની સરખામણીમાં જૈનો આ દેશમાં આવી કફોડી હાલતમાં જીવતા હતા કે, મુસલમાન અને હરિજનોની જેમ એમને ય લઘુમતિનો દરજ્જો મળવા લાગ્યો. કોંગ્રેસ સરકારે આ એક સ્તૃત્ય પગલું ભર્યું છે. જે લાભો મુસલમાનો અને હરિજનોને મળશે, એ હવે જૈનોને ય મળશે. ત્રણે ય આર્થિક દ્રષ્ટિએ કેવી કફોડી હાલતમાં જીવે છે ! એ તો કેટલાક જૈનોએ કીધું કે, અમારે એવા કોઇ આર્થિક લાભો માટે લઘુમતિનો બિલ્લો લટકાવવો નથી. અમને ધાર્મિક દ્રષ્ટિએ લઘુમતિને મળવા પાત્ર હક્કો મળે, માટે આ અભિયાન ચલાવતા હતા.....! જૈનોમાં હાસ્યનવૃત્તિ ઘણી તગડી !

થૅન્ક ગૉડ... આવું જે બે-ચાર જૈનોએ કીધું હોય, એટલા પૂરતો મતલબ એ થયો કે, કાલ ઉઠીને જૈન બાળકને શિક્ષણ કે નોકરીમાં લઘુમતિના લાભો જોઇતા હશે, તો એવા લાભો મળતા હશે તો ય નહિ લે. અનુસૂચિત જાતિ/ જનજાતિના ''સમૃધ્ધ'' નાગરિકો ય આવો લાભ નહિ જ લેતા હોય, એમ જૈનો પણ ૫૯ ટકે ઍડમિશન અટક્યું હોય પણ હવે લઘુમતિનો દરજ્જો મળી ગયા પછી સ્વમાન ખાતર પણ પેલો લાભ નહિ લે અને ૫૯ ટકે ય વગર ઍડમિશને પાછા આવશે.

સાચું ખોટું તો ભગવાન મહાવીરજી જાણે, પણ હમણાં કોઇ જૈન શ્રેષ્ઠીએ એક, બે, ત્રણ નહિ... પૂરા રૂ.૧૦૦/- કરોડનું દાન કોઇ જૈન ધર્મસ્થાનમાં આપ્યું, જેથી ભક્તોને રહેવા-જમવાની કોઇ મુશ્કેલી ન પડે.

સો કરોડ...!! કેવી સુંદર જ્ઞાતિભક્તિ ? અમારા તો સંખ્યામાં ૧૦૦ કરોડ બ્રાહ્મણો ભેગા થઇને એક-એક રૂપિયો ઉઘરાવે, તો ય આંકડો ૧૦૦ કરોડ ઉપર ન પહોચે..એક કહેશે અમે ઔદિચ્ય, બીજો કહેશે અમે બાજ ખેડાવાળ, ત્રીજો કહેશે અમે મોઢ... ચોથો કહેશે અમે નાગર... અમે સૌથી ઊંચા બ્રાહ્મણ... લઘુમતિનો પહેલો લાભ અમને મળવો જોઇએ. અમે તો અંદરોઅંદર પતી જવા માટે ય સમર્થ છીએ.

પણ આ શ્રેષ્ઠીએ જૈનો માટે જ ૧૦૦ કરોડ ખર્ચીને જૈનોની કેવી ઉમદા સેવા કરી છે...! કેટલાક વાંકદેખાઓ કહે છે, સેવા ભલે જૈનોની જ કરવી હતી તો આટલા પૈસામાં તો એક ઇન્ડસ્ટ્રી સ્થાપી શકાય ને ભલે એમાં નોકરી જરૂરમંદ ગરીબ જૈનોને જ આપો, તો કમ-સે-કમ દેશના વિકાસમાં તો કોઇ ફાળો આપી શકાયો હોત ! પણ એ લલ્લુઓને ખબર નથી કે, ધર્મ નામની બી કોઇ ચીજ છે. પોતાનો પરિવાર, શહેર કે દેશ... સહુ પહેલા ધર્મ આવે ને તો જ દેશનો વિકાસ થાય. બીજા કયા ધર્મો દેશના વિકાસમાં એક રીંગણું ય આપે છે ?

પણ હવે સવાલ ઊભો થવાનો બાકીની લઘુમતિઓનો, પારસીઓનો ! પારસીઓના આમ તો કોઇ દુશ્મન હોય નહિ, એવી સન્માન્નીય કૌમ છે, છતાં એમના દુશ્મનોએ પણ કબુલ કરવું પડે કે, બધી જ રીતે જરૂરતમંદ કોમ પારસીઓની છે. લઘુમતિના લાભો એમને મળવા જોઇએ. સિંધીઓ તો એથી ય વધુ ખરાબ હાલતમાં છે. જૈનોની જેમ એમનામાં ય હશે કોઇ દસ-બાર ટકા અબજોપતિઓ, પણ બાકીના કૂચે મરે છે. બ્રાહ્મણોની જેમ ! વૈષ્ણવો તો બિચારી કેવી શાંત પ્રજા છે. જે કાંઇ હોય, ''અમારો શામળીયો સંભાળી લેશે.'' એ લોકો ડૉ.મનમોહનને શામળીયો સમજતા હશે.

છતાં સ્વમાન અને ખુમારી ખાતર અથવા તો ભીખના ટુકડાઓ ઉપર જીવવાનું પસંદ ન હોવાથી આ લોકોએ તો કદી પોતાને લઘુમતિમાં મૂકવાનો અણસારો સુધ્ધા આપ્યો નથી. જે કાંઇ છે, તે અમારી પોતાની મેહનતનું છે !

બેવકૂફો છે..! અરે બેવકૂફો, વિચાર તો કરો... જે કાંઇ જાહેજલાલી છે, એ બધી લોકસભાની ચૂંટણીઓ સુધી જ છે. વૈષ્ણવો પોતાનો હક્ક નહિ માંગે તો અમે બ્રાહ્મણો, પારસીઓ, લોહાણાઓ, સિંધીઓ અને પટેલો તો લઘુમતિનો દરજ્જો લઇને જ રહેવાના...હે વૈષ્ણવો... તમારે એકલાએ સવર્ણ ગણાઇને ક્યા લાટા લેવાના ? પછી તો અમે બધા બીસીઓ (બૅકવર્ડ ક્લાસીયાઓ) તમારી સાથે પૈણવા-પૈણાવવાનો વ્યવહારે ય નહિ રાખીએ. જાગો વાણીયાઓ જાગો...! એક વાણીયો તો ધમાચકડી સાથે જાગીને સુખી થઇ ગયો છે. તું વૈષ્ણવ થઇને 'વણજોતું નવ સંઘરવુ..'ની લ્હાયમાં ક્યાંય ખોવાઇ જઇશ, એ ખબરે ય નહિ પડે, ભ'ઇ !

અને પોતાની કૌમને લઘુમતિમાં મૂકાવવી, એ કાંઇ ખોટું ય નથી. ક્યા રાહુલ ગાંધીને એના ખિસ્સામાંથી આપવાના છે ! જૈનો ખૂબ મોટી સંખ્યામાં છે, એમના સડેડાટ બધા વૉટ હવે કોંગ્રેસની ઝોળીમાં આવી જવાના ? તો બ્રાહ્મણો ય આખા દેશમાં કોઇ નાની સંખ્યામાં નથી. સમય આ જ છે, લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવાનો ! ચૂંટણી પહેલા માંગો એ મળશે, તો શા માટે આપણે પણ ભારતના તમામ બ્રાહ્મણો ભેગા થઇને માત્ર કોંગ્રેસ પાસે જ જઇએ ? ભીખ જ માંગવાની છે તો દાનવીર ભાજપ છે કે કોંગ્રેસ શું ફરક પડે છે ? સોનાના તાંસળામાં ભીખ માંગો તો ય મળે છે ને ફાટેલા કપડાંની ઝોળીમાં ય મળશે.. પણ એ તો કોંગ્રેસ માઇ-બાપ છે ત્યાં સુધી..બોલો, જયહિંદ.

આ કૉલમ રૅગ્યુલર વાંચનારાઓ ભભૂકી ઉઠશે કે, હું કોંગ્રેસનો (કે ભાજપનો) પ્રખર ટીકાકાર છું, છતાં લઘુમતિની વાત આવી, એમાં રાતોરાત તમે કોંગ્રેસની વાહવાહી કરવા માંડયા...? થૂ...થૂ... થૂ...!!

યસ. આખિર, મૈં ભી એક ઇન્સાન હૂં. મારે ય બાલબચ્ચાઓ છે. નોકરી કે શિક્ષણમાં ઍડમિશનો મારે ય અલાવવાના છે. વૉટોની સંખ્યાને ધ્યાનમાં લઇને કોંગ્રેસે લઘુમતિ દરજ્જાની છૂટા હાથે લ્હાણી કરવા માંડી છે તો, અમે બ્રાહ્મણો કોઇ બિલ ગૅટ્સ કે અંબાણીઓ જેટલું કમાતા નથી. મફતનું મળે તો ઓહીયા કરી નાંખવાની ટેવ હવે અમારે ય પાડવી પડશે અને એ ય ચૂંટણી પહેલા. પછી તો, આપણે ય જાણીએ છીએ કે કોંગ્રેસ જીતવાની નથી ને સરકાર કોઇ પણ આવે, એ લઘુમતિના આપેલા દરજ્જાઓ પાછા ખેંચવાની નથી કે નવા આપવાની નથી.

એમની તો ખુદની મોટી સરકારો છે, એટલે માની લઇએ કે સ્વામીનારાયણવાળા ભક્તોને લઘુમતિ દરજ્જો મેળવવાની જરૂર નહિ પડે, પણ ધર્મને આધારે જ સરકાર લ્હાણી લૂંટાવવા બેઠી હોય તો હજી ગરીબ રહી ગયેલા સ્વામીનારાયણ ભક્તોને લાભ લેવા દો ને ! આવા પંથ જેવા કેવળ ધર્મને આધારે આપણા દેશમાં તો કેટલા બધા પંથો છે... અત્યારે સમય છે, ''નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !''

રહી વાત અસલના લઘુમતિઓની...એટલે કે, મુસલમાનો અને અનુસૂચિત જાતિ/ જનજાતિઓની.

અરે દોસ્તો, તૂટી જ પડવા જેવું છે નવો દરજ્જો માંગવા માટે ! એમને 'સુપર લઘુમતિ'નો દરજ્જો આપો. જૈનો અમારી સમકક્ષ ગણાય, એ અમને અન્યાયકર્તા છે. અમે એમના કરતા વધારે જરૂરમંદ છીએ. હવે અમને સો એ સો ટકા અનામત આપો. અમારામાંથી વધતું ઘટતું જો કાંઇ હોય તો બાકીની લઘુમતિઓને આપો. મહાત્મા ગાંધી કેવળ અમને બન્નેને 'જરૂરતમંદ' કહેતા ગયા છે, બીજાઓને નહિ ! જૂની વાર્તાઓમાં, 'એક ગરીબ બ્રાહ્મણ હતો...' એવું આવે છે....'એક ગરીબ જૈન હતો' એવું ક્યાંય સાંભળ્યું ?

હવે એવું રોજ સાંભળવા મળશે.

ઓહ...પછી તો કેવા નિર્મળ ભારતનું દ્રષ્ય હશે ? કોઇ પણ ઑફિસમાં કોઇ પણ પોસ્ટ ઉપર...એક હરિજન હશે, એક મુસલમાન, એક જૈન, એક બ્રાહ્મણ.....

બસ, ભારતવાસી કોઇ નહિ હોય !

સિક્સર

- જોયું ને ? ઇન્ડિયા ઘરમાં જ સિંહ.. બહાર બકરી !! વન-ડેમાં નંબર વન ગયો !!

- જસ્ટ શટ અપ !... આ જ ટીમ વિદેશોમાં પણ ખૂબ જીતી છે, ત્યારે નંબર વન બની હતી, ભારતીય બનો અને દેશની ટીમનો લિહાજ કરો !

27/01/2014

ઍનકાઉન્ટર : 26-01-2014

* તમે બધાના ઍનકાઉન્ટરો કરો છો, પણ તમારું ઍનકાઉન્ટર એક કૂતરૂં કરી ગયું...? (કૂતરાવાળા લેખમાં ખૂબ હસ્યા.)
- ના. માણસ ધારે છે કંઈક... પણ કૂતરા કરે એમ જ થાય છે. નાલાયક કૂતરૂં વાઈફને કઈડયા વગર જતું રહ્યું...! આજકાલ તો કૂતરાઓ ઉપરે ય કાંઈ ભરોસા થાય છે, ભાઈ?
(પરેશ પટેલ, ગાંધીનગર)

* ચૂંટણી પ્રચારમાં નેતાઓ એકબીજાને ખુલ્લા કેમ પાડે છે?
- બેવકૂફો છે. એક નાગાને એક ઇંચ પણ વધારે નાગો કરી શકાતો નથી.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

* તમને 'તારક મેહતા કા ઊલટા ચશ્મા'માં અભિનય માટે બોલાવે તો જશો ખરા?
- શું કામ આટલી સુંદર સીરિયલને ગ્રહણ લગાડો છો?
(વત્સલ કલ્પેશભાઈ, સુરત)

* કૌભાંડીઓ પકડાય, એ સાથે જ એમને છાતીમાં દુઃખાવો કેમ ઉપડે છે?
- મને એ બન્નેમાંથી એકે ય નો અનુભવ નથી.
(જયેશ અંતાણી, ભાવનગર)

* રેલ્વે સ્ટેશન માટે પ્લૅટફોર્મ પાસ લેવો પડે... બસ સ્ટેશન માટે કેમ નહિ?
- અચ્છા અચ્છા... મતલબ કે, રેલ્વે સ્ટેશનમાં પ્લૅટફોર્મ પાસ લઈને જવાનું હોય છે, એમ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* એસ.ટી. બસોમાં અગાઉ તો સ્વાતંત્ર્ય-સેનાનીઓ માટે અનામત બેઠકો રખાતી... હવે કેમ નહિ?
- મોટા ભાગનાઓ પતી ગયા છે... જે બાકી છે, એમના ઘરમાં એમની બેઠક અનામત રહે, એ ઈશ્વરની કૃપા.
(સલમા મણિયાર, વિરમગામ)

* આજના બાળકોના મગજ તેજ કેમ હોય છે?
- ફાધર ઠંડા હોય ત્યાં આવું રહેવાનું!
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* દેશમાં આટલો ભ્રષ્ટાચાર હોવા છતાં... 'મેરા ભારત મહાન' કઈ રીતે?
- દેશ તો બેશક મહાન છે જ... મુઠ્ઠીભર બદમાશોને લઈને દેશ આખો મૂલ્યાંકિત ન થાય.
(ભાવિન પડિયા, ગોંડલ)

* ઈન્કમટેક્સના રીટર્ન્સ પણ ન ભરનારા કે 'પાનકાર્ડ' પણ ન કઢાવનારા નેતાઓને ત્યાં સરકારના કોઈ દરોડા પડતા નથી... અન્ય ધંધાર્થીઓની પાછળ ટૅક્સવાળાઓ કેમ પડી જાય છે?
- સરકારી અધિકારીઓના ઘેરે ય છોકરાછૈયા તો હોય ને?
(નેહા પી. પ્રજાપતિ, અમદાવાદ)

* આપને નથી લાગતું કે દેશમાં કરોડો રૂપિયાના વહિવટી ખર્ચા બચાવવા રાષ્ટ્રપતિની પોસ્ટ જ નાબુદ કરી દેવી જોઈએ?
- મારાથી જવાબ અપાય એમ નથી. હવે પછીના રાષ્ટ્રપતિ બનવા માટે મને આમંત્રણો મળી રહ્યા છે.
(અરવિંદ ટી. પટેલ, ભાવનગર)

* આજની યુવતી 'હાય'નો જવાબ 'બાય'માં કેમ આપે છે?
- હું તમારો ખભો પંપાળવા તૈયાર છું.
(મધુકર પી. માંકડ, જામનગર)

* આપ વાચકોના મોબાઈલ નંબરનો આગ્રહ રાખો છો, પણ જે લખે છે, તે સાચા છે, તેની ખરાઈ કરવા એમને ફોન કરી જુઓ તો?
- અમારૂં ડીપાર્ટમૅન્ટ એ કામ કરે જ છે. એક જ વખત ખોટો મોબાઈલ નંબર કે ઍડ્રેસ જણાશે તો કાયમ માટે 'ઍનકાઉન્ટર'માં સ્થાન નહિ મળે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* દેશના પ્રશ્નોના ઉકેલ માટે સાધુસંતો પાસેથી અપેક્ષા રાખી ન શકાય?
- એકેય સાધુસંતને દેશની વાત કરતા સાંભળ્યો?
(કોકિલા બી. પંડયા, ભાવનગર)

* આતંકવાદધારા હેઠળ પત્નીઓને આવરી ન લેવાય?
- અબળાઓ... આતંકવાદી...??? હે પ્રભુ, આના કરતા તો મારૂં કૂંવારાપણું પાછું આપ...!
(ડૉ. મિલિન્દ સહસ્ત્રબુધ્ધે, વડોદરા)

* રામને નામે પથ્થરો તરી ગયા... દેશના નેતાઓ કોના નામે તરી ગયા?
- રામ(દેવ), આસા(રામ) અને છેલ્લે 'હે રામ' તો કામમાં આવે જ છે!
(મૂકેશ ચંદારાણા, મીઠાપુર)

* 'ઍનકાઉન્ટર'માં સવાલો પૂછનારાઓના નામો તમને યાદ રહે છે ખરા?
- મારી યાદશક્તિમાં પડવા જેવું નથી. એક વાર પત્નીને પૂછાઈ ગયું હતું, 'બેન, તમને ક્યાંય જોયા હોય એવું લાગે છે...!'
(પન્ના સી. પરીખ, સુરત)

* લગ્નમાં સાસુ નાક ખેંચે ને સાળી બૂટ સંતાડે, છતાં ય દુલ્હો મલકાતો કેમ રહે છે?
- ના મલકાય તો પેલા લોકો માથે બૂટ પછાડે...!
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

* ન્યાયતંત્ર કમજોર માનવીને જ કેમ મારે છે?
- ના ભ'ઈ ના... મને હમણાં જ ટ્રાફિક પોલીસે રૂ. ૧૦૦/-નો દંડ ફટકાર્યો હતો!
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

* કોકવાર અઘરા સવાલમાં ફસાઈ જાઓ તો લાઈફ લાઈન કઈ વાપરો છો?...પત્નીને પૂછી જુઓ છો?
- મારા માટે એ જ એક અઘરો સવાલ છે.
(હુસેન હુઝેફા મર્ચન્ટ, નાસિક)

* 'કોઈ પથ્થર સે ન મારે મેરે દીવાને કો...' અર્થાત્, લાકડી-બાકડીથી મારે તો વાંધો નહિ?
- એ મહિલાનું ખસી ગયું છે. એક તો પેલાને ગાંડો કહે છે ને બીજી બાજુ બચાવવાની અપીલ કરે છે. આપણા જેવાને ગણે ડાહ્યા ને પછી ટીચાઈ નાંખે છે...!
(અનિલ પોપટ, વડોદરા)

* આપને ક્યારેય પસ્તાવો થાય છે ખરો?
- હમણાં જ થયો... દુશ્મનને દોસ્ત ગણી લેવાનો! હું એ ધારણાથી જીવું છું કે, ઉપર જવાનો સમય નજીક આવતો જાય, એમ માથા પરથી ભાર ઓછો કરવો. ઉપર ગયા પછી નીચેવાળા કોઈને સીધા કરી શકાય એમ નથી, તો જતા પહેલા બધા સાથે પ્રેમ-આદર રાખવો... પણ દુશ્મન આખરે દુશ્મન જ રહે છે.
(કેશવ બી. કક્કડ, અમદાવાદ)

* 'કાળા માથાનો માનવી ધારે તે કરી શકે.' એટલે?
- વેસ્ટ ઈન્ડિયનોની વાત થાય છે.
(નિલેશ પ્રજાપતિ, માણસા)

* અમે દસ પોસ્ટકાર્ડસ લખીએ, એમાંથી જવાબ એકનો જ આવે છે...
- એક દિવસના દસ લખો તો એવું થાય. દસ દિવસના દસ લખો તો કદાચ દસ જવાબો મળે!
(પરાગી પટેલ, અમદાવાદ)

* છોકરી જોવા જઈએ ત્યારે ધ્યાન શું રાખવાનું?
- એ છોકરી છે કે નહિ, એ જોઈ લેવાનું.
(તાહા કુશલગઢ, દાહોદ)

24/01/2014

'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)

ફિલ્મ : 'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)
નિર્માતા : પર્વત ફિલ્મ્સ
નિર્દેશક : ભપ્પી સોની
સંગીત : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : પ્રકાશ ટોકીઝ (અમદાવાદ)
કલાકારો : સુનિલ દત્ત, વહિદા રહેમાન, જ્હોની વૉકર, ધુમાલ, ડેવિડ અબ્રાહમ, રાશિદ ખાન, વીર સખૂજા, મુમતાઝ બેગમ, ટુનટુન, મોહન ચોટી, કૃષ્ણ ધવન, કન્હૈયાલાલ, ઈકબાલસિંઘ.


ગીતો
૧. સમ્હલ કે કરના, જો ભી કરના પાંવ લચક ના જાયે... - મુકેશ
૨. બનવારી રે જીને કા સહારા તેરે નામ રે, મુઝે... - લતા મંગેશકર
૩. તીરછી નજર સે યૂં ન દેખ પલટ કે... - મુહમ્મદ રફી
૪. ઓ બોમ્બે શૅલ... ઓ બેબી ઓફ બોમ્બે... - ઈકબાલ સિંઘ
૫. દિલ એ દિલ બહારોં સે મિલ, સિતારોં સે... - લતા-તલત મેહમૂદ
૬. મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાય, ઇન કદમોં પે... - મૂકેશ
૭. ઓ મેરી બેબી ડોલ, હાં યા ના કર... - મુહમ્મદ રફી
૮. સોચ રહી થી કહું ન કહું, પર આજ કહુંગી... - લતા મંગેશકર
૯. આંખો મેં રંગ ક્યું આયા, બોલો નશા સા... - લતા મંગેશકર-મૂકેશ

૧૯૬૦માં સફળતાપૂર્વક બનેલી આ ફિલ્મ 'એક ફૂલ ચાર કાંટે'ની બેઠી નકલ આપણા ડેવિડ ધવને સલમાન ખાન અને કરિશ્માકપૂરને લઇને 'દુલ્હન હમ લે જાયેંગે' બનાવીને પોતાનો મોક્ષ કર્યો. અહીંના ચાર કાંટાઓ જહૉની વૉકર, ડેવિડ, રાશિદખાન અને ધુમાલને બદલે આ લોકોએ અનુપમ ખેર, ઓમપુરી અને પરેશ રાવલને લીધા હતા. પેલી આજે ૫૩ વર્ષો પછી ય ગીતો સાથે સહુને યાદ છે, જ્યારે ડેવિડ ધવનવાળી ફિલ્મ કોઇને યાદ પણ રહી નથી. (ડેવિડ ધવન જૂના ફિલ્મ હીરો અનિલ ધવન ('ચેતના'વાળા)નો સગો ભાઈ થાય.)

ખાસ વાત એ હતી કે, 'એક ફૂલ ચાર કાંટે'ની સ્ટાર કાસ્ટ ઉપરાંત દિગ્દર્શક ભપ્પી સોનીની માવજત મોટું કામ કરી ગઈ, (આ ભપ્પી સોની એટલે ફિલ્મ 'જાનવર'માં રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે, તે માધવીનો પતિ) પણ સરીયામ તમામ ગીતો સુપરહિટ આપવા માટે મશહૂર શંકર-જયકિશન અહીં ૨૦ ટકા જ સફળ થયા હોવા છતાં બે ગીતો એવા બનાવતા ગયા કે, ફિલ્મ આજે પણ શંકર-જયકિશનના નામથી ઓળખાય છે. કેટલાક નિરાશોએ આ ફિલ્મને શંકર-જયકિશનના પતનની શરૂઆત ગણાવી હતી, એ ગલત છે. કબુલ કે, આ ફિલ્મમાં બે જ ગીતો એમના નામને લાયક હતા, 'બનવારી રે' અને 'મતવાલી નાર'. મૂકેશ બહુ ગમતો હોય એવાને જ લતા સાથેનું 'આંખો મેં રંગ ક્યુ. આયા...' યાદ હોય, પણ આ બન્ને ગ્રેટ મ્યુઝિક-ડાયરેકટરોની '૬૦ પછીની ફિલ્મોગ્રાફી તપાસો તો ચોંકી જવાય એવું છે કે, '૭૦ના અંત સુધી આ લોકોએ સાતત્ય જાળવી રાખ્યું હતું.

મૂકેશનું 'મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાય...' બે-ત્રણ વાતે ધ્યાન ખેંચે છે. એક તો મૂકેશના બહુ ઓછા ગીતો આલાપ સાથે શરૂ થાય છે, એમાંનું એક આ. બીજું એક યાદ આવે છે, ઉષા ખન્નાના સંગીતમાં, 'ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...' આવા આલાપથી શરૂ થતા ત્રીજા, આઠમાં કે ૫૦-મા ગીત માટે વાચકો જાતે મેહનત કરી લે એવા છે, પણ આ ગીત રાગ મારૂ બિહા પર આધારિત છે, એમાં આ રાગની વિશિષ્ટતા માટે વડોદરાના હિંદી ફિલ્મી ગીતોના શાસ્ત્રીય રાગો અંગેના એનસાયક્લોપીડિયા ગણાતા શ્રી રશ્મિકાંત બી. શેઠના દાવા અનુસાર મારૂ બિહાગ દુઃખ ભૂલાવવાનો રાગ છે. એમાં એ અસર છે, જે સાંભળીને દર્દ ઓછું લાગે. યાદ હોય તો 'ચમન કે ફૂલ ભી તુઝકો ગુલાબ કહેતે હૈ' કે, મુકેશનું જ પેલી કઇ ફિલ્મ...? હા, 'હમ મતવાલે નૌજવાન'નું 'બનકે ચકોરી ગોરી ઝુમઝુમ નાચોરી,'ફિલ્મ 'સેહરા'નું 'તુમ તો પ્યાર હો સજના, મુઝે તુમસે પ્યારા ઓર ન કોઈ...' મારૂ બિહાગની રચના છે. આ 'મતવાલી નાર...' ગીતના ફિલ્માંકનમાં વહિદાનો ઉત્કૃષ્ટ ડાન્સ મદ્રાસના નૃત્યગુરૂ કૃષ્ણ કુટ્ટી કરાવ્યો છે.

ગુજરાતના બહુ ઊંચા સંગીતજ્ઞોમાં જેમનું નામ છે, છતાં બને ત્યાં સુધી અજ્ઞાત રહેતા શ્રી મનિષ કાપડીયાના જણાવ્યા મુજબ, લતા મંગેશકરનું 'બનવારી રે જીને કા સહારા તેરે નામ રે...' રાગ પિલુની રચના છે. નૌશાદના આ પ્રિય રાગમાં 'ચંદન કા પલના, રેશમ કી ડોરી, ઝૂલા ઝુલાયે નીંદિયા કો તોરી...', 'મોરે સૈયાજી ઉતરેંગે પાર હો નદીયા ધીરે બહો...' કે રાજેશ રોશનનું 'કા કરૂં સજની આયે ન બાલમ...' પણ પિલુની મહેરબાનીઓ છે. આમ નૌશાદના નામ પર ચઢેલા ફિલ્મ 'ગંગા જમના'ના લતાના બે ગીતો 'દો હંસો કા જોડા બિછડ ગયો રે...' અને 'ઢુંઢો ઢુંઢો રે સાજના ઢુંઢો, કાન કા બાલા...' વાસ્તવમાં નૌશાદે નહિ, એમના આસિસ્ટન્ટ મુહમ્મદ શફીએ બનાવ્યા છે. ફિલ્મ 'આદમી'નું 'કારી બદરીયા, મારે લહેરીયા' પણ શફીની જ ધૂન.'મુગલ-એ-આઝમ' જેવી નૌશાદની અનેક ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શફીએ આપ્યું હતું. ફિલ્મ 'સોહની મહિવાલ'ના તો તમામ ગીતો નૌશાદે નહિ, મુહમ્મદ શફીએ બનાવ્યા હતા. બિમારીને કારણે નૌશાદ કામ કરી શકે એમ નહોતા. મશહૂર સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાનના એ સગા ભાઈ થાય. આ શફી ગુમનામીમાં ગુજરી ગયા.

આ કોલમ નિયમિત વાચનારાઓ અગાઉ પણ જાણી ચૂક્યા છે કે, જયકિશન સાથે લતા મંગેશકરના સૂરો ઘણા માધુર્યથી મળ્યા હતા. બન્ને વચ્ચે કાયમની નોંકઝોંક એ વાતે કે, જય લતા માટે હાઈપિચની (તારસપ્તકની) ધૂનો બનાવતો, એમાં લતા મીઠાશથી ખીજાતી પણ ખરી. આ ફિલ્મમાં એનું 'સોચ રહી થી કહું ન કહું...' આવા જ ઊંચા સૂરનું ગીત છે.

ઓકે. ફિલ્મની વાર્તા ય રસ પડે એવી હતી. કોઈ ગ્રેટ વાર્તાઓ તો અમથી ય આપણે ત્યાં કયાં બની છે, પણ જે કાંઈ માલ પડયો હતો એમાંથી 'એક ફૂલ ચાર કાંટે' માણવી ગમે એવી હતી.

માં-બાપ ગુમાવી ચૂકેલી યુવાન વહિદા રહેમાનને તેના ચાર કાકાઓ ઉછેરે છે અને એની માવજતમાં કોઈ કમી રહી ન જાય, માટે ચારે લગ્ન પણ નથી કરતા. વહિદા સુનિલ દત્તના પ્રેમમાં પડે છે, પણ ચારે ય કાકાઓની આકરી પરીક્ષામાંએ નાપાસ થાય છે. ધુમાલ ધાર્મિક સંત જેવો કાકો છે, જે વહિદાને આધ્યાત્મિક જ્ઞાન આપતો રહે છે. મતલબ, એને પરણનારને રામાયણ-મહાભારત આવડવા જોઇએ. ડેવિડ પોતાને મહાન અભિનેતા માને છે ને જમાઈબાબુ પણ નાટય-કલાકાર જ જોઇએ. જ્હૉની વોકર આમ કૂંવારો છે પણ ક્લબમાં નાચગાના ઉપરાંત છોકરીઓનો શોખિન છે, એટલે રોક-એન-રોલ આવડે એવો જ જમાઈ જોઇએ, જ્યારે રાશિદખાન યોગાચાર્ય છે. જમાઈને યોગાસનો બધા આવડવા જોઇએ. પાછું, એના પોતાના બૉડીના કોઈ ઠેકાણા નહિ. માંડમાંડ પોતાના વકીલ સુપુત્રને વહિદા સાથે પરણાવવા તૈયાર થઈ ગયેલા ફાધર (બીર સખૂજા) અને પહેલેથી તૈયાર મધર (મુમતાઝ બેગમ) પણ ચોંકી જાય છે, પોતાના દીકરાને જમાઈ બનાવવા માટે આવી જરૂરિયાતોથી. પણ આ બાજુ સુનિલ દત્ત આ ચારે ય કલાઓ વારાફરતી શીખી લઇને ચારે ય કાકા-સસરાઓને ખુશ કરી વહિદાને પરણે છે.

એક પણ વિલન વગરની ફિલ્મો એ જમાનામાં ય બહુ કમ બનતી. આવી ફિલ્મો જોવાની મોકળાશ બહુ રહે. આ ફિલ્મમાં ય કોઈ વિલન નથી અને ૨૧ વર્ષની વહિદા પૂરબહાર યુવાન અને સુંદર લાગે છે. સુનિલ દત્ત આ ફિલ્મ વખતે ૩૧ વર્ષનો હતો. બન્નેએ સાથે બહુ ઓછી પણ મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાં કામ કર્યું છે. 'રેશ્મા ઔર શેરા', 'મેરી ભાભી', 'મુઝે જીને દો.' અને બહુ ઓછાએ જોયેલી 'જીંદગી જીંદગી' મારી પસંદગીની સર્વોત્તમ ૨૫ ફિલ્મોમાં આવે છે. બર્મન દાદાએ આ ફિલ્મના બનાવેલા ગીતો સાલા લોકોમાં ઉપડયા નહિ, નહિ તો ક્યું ગીત ક્ષણભર પણ વિસરાય એવું હતું ? સ્વયં મન્ના ડે દાદાએ મને ઓન રેકોર્ડ કહ્યું હતું, એમની પસંદગીના સર્વોત્તમ ૧૦ ગીતોમાં આ ફિલ્મનું 'મેરા સબ કુછ મેરે ગીત રે, ગીત બીના કૌન મેરા મિત રે...' બર્મનદાદાના પોતાના બે ગીતો, 'જીંદગી ઓ જીંદગી, તેરે હૈ દો રૂપ' અને 'પિયા તૂને ક્યા કિયા...' કિશોરનું 'તુને હમેં ક્યા દિયા રી જીંદગી' ઘણું ભાવુક ગીત હતું.સુનિલ અને વહિદાની ફિલ્મ 'મુઝે જીને દો'નો સમયગાળો ગુરૂદત્ત અને વહિદા વચ્ચેના ડીઝાસ્ટર પછીનો હતો. શરાબ પીને એક વાર ગુરૂદત્ત વહિદાને મનાવવા આ ફિલ્મના સેટ પર આવી ચઢ્યો હતો અને રાડો મચાવ્યો. સુનિલે એક સીનિયર આર્ટિસ્ટને અપાય એટલું સૌજન્ય જાળવી જોયું પણ ગુરૂ ન માન્યો, એટલે બધાની વચ્ચે સુનિલે ગુરૂદત્તને લાફો મારીને સેટની બહાર કાઢી મૂક્યો હતો. યસ. વહિદા પાછળ સર્વસ્વ હોમી ચૂકેલા ગુરૂદત્તને વહિદાએ પૂરો નવડાવીને નિચોવી નાંખ્યો હતો. વહિદા જેના પ્રેમમાં પડતી, એની સામે એક જ શરત હોય, 'તું ઇસ્લામ અંગીકાર કરી લે, તો જ પરણું' ગુરૂદત્ત પછી વિજય આનંદે પણ આ માંગણી ન સ્વીકારી, એટલે એને પડતો મૂક્યો. શશી રેખી દિલ્હીનો બિગ શોટ વેપારી હતો. એ ફિલ્મોમાં હીરો તરીકે પણ આવતો. ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'નું લતા રફીનું 'દિલ તોડનેવાલ, તુઝે દિલ ઢુંઢ રહા હૈ' આ કમલજીત અને કુમકુમ ઉપર ફિલ્માયું હતું. શશી બદલીને ફિલ્મો માટે નવા કમલજીત રાખ્યું, પણ વહિદાએ તેને મુસ્લિમ બનાવ્યો. એ તો પરણ્યાના થોડા જ વખતમાં એને ભૂલ સમજાઈ ને પાછો હિંદુ ધર્મ સ્વીકારી લીધો, એમાં બન્ને વચ્ચે મોટી તિરાડ પડી. પછી તો શશી ગૂજરી પણ ગયો. વહિદાની એક દીકરી કાશ્વી અમેરિકાના સિયાટલ શહેરમાં રહે છે.આમ તો 'એક ફૂલ ચાર કાંટે' ફિલ્મમાં કામ કરવાનો સુનિલ-વહિદા બન્નેનો હેતુ એક જ હતો. ફિલ્મોમાં આવ્યા ત્યારના બન્ને રોતડી ફિલ્મો જ કરતા હતા... બધા હીરો-હીરોઇનોની માફક. આ ફિલ્મમાં કોમેડી હતી અને કામ પણ હળવાશથી કરવાનું હતું.
ફિલ્મોવાળાઓની અનેક વાતો સામાન્ય ચાહકની સમજની બહાર હોય છે. સુનિલ દત્તની છાપ આમ તો જેન્ટલમેનની હતી, પણ એક જમાનામાં પોતાનાભાઈ સોમ દત્તને લીના ચંદાવરકરની જેમ પહેલી વાર ચાન્સ આપીને ફિલ્મ 'મન કા મિત' બનાવ્યા પછી બે ભાઈઓ વચ્ચે જે કાંઈ થયુંહોય... આજ દિન સુધી આ સોમ દત્તનો કોઈ પત્તો નથી. નરગીસના મૃત્યુ કે સંજયદત્તના જેલ-પ્રકરણ જેવી ઘટનાઓમાં સોમ દત્ત ક્યાંય દેખાયો નથી. આવું જ, અમિતાભના ભાઈ અજીતાભનું પણ છે.

'૬૦ની સાલમાં સુનિલ દત્તની ચાર ફિલ્મો આવી હતી, 'ઉસને કહા થા' (નંદા), એક ફૂલ ચાર કાંટે (વહિદા) અને દુનિયા ઝુકતી હૈ (શ્યામા), જ્યારે વહિદા રહેમાનની આ ઉપરાંત 'ચૌદહવી કા ચાંદ' (ગુરૂદત્ત) આવી હતી. વહિદા તો હજી ફિલ્મોમાં આવતી રહે છે. શું લેવાનું હજી બાકી રહી જતું હશે કે, ચેહરો કરમાઈ ગયો હોવા છતાં ફિલ્મોનો મોહ છુટતો નથી. એના જ સમયની નંદા, સિન્હા કે સાધનાની જેમ ગ્રેસફૂલી નિવૃત્તિ કેમ લઇ લેતી નહિ હોય ?

22/01/2014

પોલીસ પકડે ત્યારે....

હું એક હાથે ગાડી ચલાવી શકું છું, પણ વાઇફ બાજુમાં બેઠી હોય ત્યારે બે હાથ અને બે પગ ભેગા કરીને પણ કાર ચલાવી શકતો નથી....

હજી મને માથાથી હૉર્ન વગાડતા આવડતું નથી ! ને છતાં ય, છેલ્લા ૩૭ વર્ષથી મારૂં ઘર ચલાવું છું.... 'હમ તો બરસોં સે અપની મૌત કા સામાન લે ચલે હૈં... ઓઓઓ!'

લક્ષ્મણ સીતા મૈયાને સમજાવે કે, હું કે મોટાભાઇ પાછા ન આવીએ ત્યાં સુધી લક્ષ્મણરેખાની બહાર પગ ન મૂકશો, પણ બહેને મૂક્યો જ, એમાં રાવણ સીતાજીને ઉઠાવી ગયો. આને પણ હું સદીઓથી સમજાવતો આવ્યો છું કે, જ્યારે પણ ગાડી લઇને જતા હોઇએ ને પોલીસ ઊભા રાખે, ત્યારે તારે ચૂપ રહેવું. જે દિવસે તેં આ 'અશોક-રેખા' ઓળંગી, એ દિવસે રાવણ નહિ, પણ પોલીસવાળો તને નહિ, પણ મને ઉઠાવી જશે ને નાંખી દેશે ગાયકવાડની હવેલીમાં.... (અહીંના એક પોલીસ-સ્ટેશનનું નામ છે.)

મારો રાવણ દંડનો ચોપડો લઇને મારી સામે ઊભો હતો. અમારા સીતા મૈયાને એટલી ધરપત કે, આ વખતે રાવણ એને ઉપાડી જશે તો ભેળા રામને ય લઇ જશે, એટલે એમના મુખ પર બફાટ સિવાયનો કોઇ ભાવ નહતો.

''સાહેબ, તમારૂં લાયસન્સ બતાવશો?'' રાવણે અતિ નમ્રતાથી મને કીધું.

રામાયણ પત્યા પછી રાવણ શહેર પોલીસ ખાતાની ટ્રાફિક શાખામાં જોડાઇ ગયો હતો ને સાલો અમને જ ભટકાયો હતો. હું ને રાવણ બન્ને જન્મે બ્રાહ્મણો, એટલે આપણને ખૌફ વધારે લાગે કે, બ્રાહ્મણ તો કદી બીજા બ્રાહ્મણના કામમાં આવે નહિ.... ઉપરથી હલવાડી દેશે! ભગવાનશ્રી રામ ક્ષત્રીય હતા ને એટલે જ હું અને અજીતસિંહ ભેગા થઇએ છીએ ત્યારે અયોધ્યાના નગરજનો માની જાય છે કે, 'રામ અને રાવણ ભેગા થયા છે.'

શહેરનો કોઇ પોલીસવાળો ફાંદ વગરનો નથી. આની ફાંદ પહેલા શરૂ થતી હતી ને શરીર પછી. આપણી પાસે કોઇ ઠોસ પુરાવો તો નથી, પણ માની ચોક્કસ શકાય કે, જન્મ સમયે બીજા બધાનું માથું પહેલા બહાર નીકળે છે ને પછી આખું બૉડી. આ રાવણની પહેલા ટમી બહાર નીકળી હશે.... હઓ! ટમી પછીનું શરીર જોવા માટે આ પોલીસવાળો મોટો અરીસો વાપરતો હશે, બોલો!

'અસોક.... આના હાથમાં રૂપીયો-બે રૂપીયા પકડાવી દિયો ને અટલે ઈ વયો જાય!' એવું એની સમજ મુજબ એ બહુ ધીમેથી બોલી, પણ પોતાની સાઇઝ જેટલો જ ધ્વનિ કાઢી શકવાનું એને વરદાન હોવાથી એ આ બોલી, ત્યારે બાજુની ફૂટપાથ પર જતા વટેમાર્ગુઓ પણ સાંભળી શક્યા. ગભરાઇ તો હું ગયો કે, આપણે આવું મોટેથી બાફી માર્યું છે એમાં પેલો બગડશે મારા ઉપર. પત્નીની વાત હજી અધૂરી હતી, જે એણે પૂરી કરીઃ

''જોવો શાહેબ... અમે રોંગ શાઇડમાં ઘુઇસાં, ઇ વાત શાચી, પણ અટાણે મોડી રાતે ૩૧ ડીશેમ્બરની પાર્ટીમાંથી આઇવા છીં... એટલે... યુ શી, એમણે તો ફક્ત બે જ ઘુંટડા માઇરા છે.... ઇ કોઇ 'દિ રૅગ્યુલર નથ્થી લેતા...!''

''આ તું શું બાફે છે...?'' મેં ખરેખર પેલાને ન સંભળાય એવા છપછપ અવાજે ગુસ્સે થઇને વાઇફને કીધું. હું કાંઇ આગળ માટે પણ એને ચૂપ રહેવા કહું, ત્યાં એણે નવી ઑફર મૂકી.

''હું જ એમને કે 'દિ ની કીધે રાખું છું કે, તમારૂં ડ્રાયવિંગ લાઇશન્શ તઇણ વરહથી પૂરૂં થઇ ગીયું છે, ઈ રીન્યુ કરાવી લિયો.... પણ મારૂં કોઇ માને તો ને---?''

''તું આમ કેમ ફાટી છો?... છાની મર ને..?'' મારા અવાજમાં આ વખતે ગુસ્સા કરતા યાચના વધારે હતી. મેં રાવણ સામે જોઇને કીધું.

''જુઓ સાહેબ, કબુલ કે, હું રૉંગ-સાઇડમાં ઘુસ્યો હતો, પણ આપણો ઈરાદો એવો નહિ...! ભૂલમાં જ---''

''હવે ભૂલું દેખાણી....? હું કે 'દિ ની વાંહે પઇડી છું કે, પીવાની હું ના નથી પાડતી.... પીઓ ઘરે જેટલું પીવું હોય એટલું.... પણ આમ ગાડીમાં બોટલું લઇને નો ફરાય...! કોક 'દિ એવા લાગી જાસો કે----''

આટલું ઓછું હોય, એમ અત્યારે અમારી ગાડીમાં પણ બૉટલો પડી છે, એ આ બહેને સામેથી કહી દીધું. તો ય, મેં એનું કાંડુ જોરથી દબાવ્યું, ચૂપ રહેવાના સંકેત સાથે, પણ આ બાજુ, રામ લક્ષ્મણના ખભે હાથ મૂકતા હોય એમ જમાદારે મારા ખભે હાથ મૂકતા કહ્યું, ''સાહેબ, જરા ગાડીમાંથી બહાર આવશો?''

''સર-જી... કબુલ કે મેં ગૂન્હો કર્યો છે... તમતમારે જે રસીદ બનાવવાની હોય, એ બનાવી લો. હું દંડ ભરવા તૈયાર છું.''

''એ તો તમો ભરશો જ... પણ પેલી બૉટલો તમે જાતે આપી દો છો કે હું ગાડી ચૅક કરી લઉં...?''
''સર.... અરવિંદ કેજરીવાલ અમારા સગામાં થાય.... એ જો ગણત્રીમાં લેતા હો તો----'' મેં એક પાસો ફેકી જોયો.

''આસારામ બાપુ અમારા સગામાં થાય, બોલો હવે?'' એવું પેલાએ રૂક્ષતાથી કહ્યું.

''શર.... તમે એમની વાતુમાં નો પડતા... ઇ મને રશ્તામાં જ કે'તા'તા કે... આવું કાંય થાય તો કોક મોટા માણશનું નામ દઇ દેવાનું....''

''આ તમારા વાઇફ છે...?''

''ઓહ... રહેવા દો ને, સાહેબ.... આખું કૂરિયર જ ખોટું છોડાવાઇ ગયું છે.... આપ મારી વાત સાંભળો ને!''

''આ તમારા વાઇફ છે?''

''સો એ સો ટકા વાઇફ છે, સર...! તમને જો કે એ અમારી બાજુવાળી જેવી લાગતી હશે, પણ સર... હું '''' ટાઇપનો નથી.''

''દેખાવમાં તો મને ઊલટું લાગે છે.... શેઠાણી જેવા તો એ લાગે છે....! બોલો સાહેબ, આ કોના વાઇફ છે?''

હું તો કેમ જાણે એ જ પોલીસવાળાની વાઇફ ઉઠાવી લાવ્યો હોઉં ને હવે પાછી આપવા આવ્યો હોઉં, એવા ગભરાટથી એણે મારી પત્ની સામે જોયું. પણ આપણને એમ કે, કોણ બીજાની બબાલમાં પડે, એટલે મેં વિશેષ નમ્રતાથી કહ્યું.

''સર-જી, આપ પણ શું લાંબુ ખેંચી રહ્યા છો...'' વચમાં મેં આંખ મારી અને કહ્યું, ''જે સમજવાનું હોય એ સમજી લો ને?''

તો એણે પોતાનો હાથ છોડાવીને - થોડા અકળાઇને કહ્યું, ''સાહેબ, હું 'એવો' નથી.... અને સમજી લો મિસ્ટર, હવે તો સુપ્રીમ કૉર્ટે પણ પ્રતિબંધ મૂકી દીધો છે... હવે ચૂપ રહો ને મને તમારી પીવાની પરમિટ બતાવો.''

''સર, 'પરમિટ લઇને કે લીધા વગર, ક્યાં ચાલે છે કોઇને પીધા વગર...?''

''શાહેબ, એમની વાતુંમાં નો પડતા.... ચઢી હોય તંઇ ઈ સાયરીયું પર ચઢી જાય છે...!''

''સાહેબ, તમને વધારે ચઢી ગઇ લાગે છે... તમારૂં ડ્રાયવિંગ-લાયસન્સ બતાવો.''

ગભરાટમાં મારા હાથમાં જે આવ્યું, તે બતાવી દીધું, એમાં પેલો ખીજાણો, ''હું ક્યારનો તમને 'સાહેબ-સાહેબ' કહી રહ્યો છું ને તમે જેમ ફાવે તેમ નખરા કરે રાખો છો? આ ધોબીનું બિલ છે, લાયસન્સ નહિ!''

''અસોક...'' મારી નજીક આવીને પત્નીએ ફરી મને હળી કરી. આમે ય, ભૂતકાળમાં એ જ્યારે જ્યારે મારી નજીક આવી છે, ત્યારે ઘટનાઓ તો મોટી જ બની છે, પણ એ તો હવે ભૂતકાળ થઇ ગયો-એમ સમજીને મેં એની ઓફર સાંભળી, ''અસોક... એને કિયો ને કે, અમે કાઠીયાવાડના ભા'મણ છીએ. બવ ગરીબ છીએ.... અને રાજપુતો તો હંમેશા ભા'મણોની રક્સા કરતા હોય...!''

''બેન...'' એ સાંભળી તો ગયેલો જ. ''બેન, હું ય ભા'મણ છું... હવે મારૂં કામ કરવા દેશો કે, જીપ બોલાવીને સાહેબને અંદર કરી દઉં...?''

નસીબજોગે, પેલી ચપ્પા-ચપ્પા છાન મારવાવાળી તલાશી લેવા છતાં ગાડીમાંથી કોઇ બોટલ-ફૉટલ મળી નહિ. પત્ની તો સ્ત્રીઓને લગતું કારણ આપીને સીટ પરથી ઊભી જ ન થઇ. રોંગ-સાઈડમાં અમે આવ્યા જ નહતા. પેલાએ તો રૅગ્યુલર ચૅકિંગ માટે અમને ઊભા રાખ્યા હતા. પોરસ સિકંદરને ફરી એક વાર મુક્ત કરતો હોય, એમ પોલીસવાળાએ અમને જવા દીધા. હું સાલો ટૅન્શનમાં કે, ગાડીમાં બૉટલ તો બેશક પડી હતી. પેલાએ આકરી તલાશી પણ લીધી હતી, છતાં એને મળી કેમ નહિ?

''તમે ય સું સમજો છો, અસોક...? ઈ ગધનો ગમે એટલા ફાંફા મારે... બૉતલ કિયાંથી મલે? હું દબાવીને જ એના માથે બેશી ગઇ'તી.... દિયો તાલી...!''

''હા પણ.... આપણા બન્નેના મોબાઈલો અને અહી લૅપટૉપ પડયું હતું, એ ક્યાં ગયું?''

એ પોલીસવાળો જ નહતો.

સિક્સર
- માયાવતિએ લખનૌની પોતાની રેલીમાં પોતે દેશના મહાનુભાવોને યાદ કરીને પ્રણામ કરે છે, એ યાદીમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉ. આંબેડકર કે કાંશીરામજીના નામો લીધા.... મહાત્મા ગાંધીનો ઉલ્લેખ માત્ર નહિ, જે વ્યક્તિએ અસ્પૃષ્યતા નિવારણ માટે જીવન ખર્ચી નાંખ્યું.
- કોઇ ભારતીયનો જીવ બળશે ખરો?

20/01/2014

ઍનકાઉન્ટર : 20-01-2014

* ક્રોધ ભગવાન શંકરનો, તોફાન શ્રીકૃષ્ણનું, શાંત પ્રકૃતિ ભગવાન શ્રીરામની, તો હાસ્ય ક્યા ભગવાનનું ?
- ભગવાન મહાવીર સ્વામીનું... જેમાં વેદના પણ સંમિલીત છે.
(રોહિત આઇ.દવે. હાલોલ)

* દીકરી પારકી થાપણ, તો દીકરો ?
- દીકરો સર્વોત્તમ છે.. ગામની કોકની સૌથી વધુ સંસ્કારી દીકરીને પરણીને આપણા ઘેર લાવ્યો છે.
(રણજીતસિંહ ગોહિલ, રાજકોટ)

* 'બુધવારની બપોરે' ટેસ્ટ મૅચ, 'ફિલ્મ ઇન્ડિયા' વન-ડે મૅચ જેવી અને 'ઍનકાઉન્ટર' ટી-૨૦, તો તમે ?
- મૂક પ્રેક્ષક.
(કરૂણા ઓ. પટેલ, સુરત)

* કીડીઓમાં કીડી જ કેમ ? એકે ય કીડો ન હોય ?
- કીડાઓને ચટકા ભરવાની હૉબી નહિ ને !
(જીનેશ એન.મહેતા, જામનગર)

* હાસ્યકલાકાર તરીકે સ્ત્રીઓ કરતા પુરૂષો જ વધારે કેમ ?
- પુરૂષો પોતાની મજાક ઉડાવી શકે છે.
(એન.એમ.ઠક્કર, જામનગર)

* નાઇટ વૉચમૅનો દિવસે શું કરતા હોય છે ?
- નાઇટ- વૂમનો સાથે લહેર કરતા હોય !
(મોહન બદીયાણી, જાનગર)

* રસ્તામાં પાડા પર બેઠેલા યમરાજા મળીને તમારૂં જ સરનામું તમને પૂછે, તો શું કરો ?
- ''શું ભાવે આલ્યો આ પાડો ?'' એવી ઓફર મૂકી જોઉં. માને તો ઠીક છે, નહિ તો પાડાને પૂછું, ''શું ભાવે આવ્યો આ ડોહો...?''
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* પુરૂષોને પારકી ચીજો જ સુંદર કેમ લાગે છે ?
- હું તો હજી સુધી ફૂલટાઇમ પુરૂષ છું.. ?
(ડૉ.વી.પી.કાચા, અમદાવાદ)

* ભ્રષ્ટાચાર કે મોંઘવારી નહિ ઘટવાનું કારણ શું ?
- આ બન્ને કોઇને નડતા હોય એવું તમે ક્યાંય ભાળ્યું ?
(સુફીયાબેન મીર, છાપી- બનાસકાંઠ)

* ઍક્સીડૅન્ટ્સ શું 'બીએમડબલ્યૂ' ગાડીઓને જ થાય છે ? બીજી કારોને નહિ ?
- ઓ બેન.. સાયકલવાળો અથડાય એમાં કોને રસ પડે ?
(દેવયાની ઠક્કર, જામનગર)

* બેઇમાનો વધુ સુખી હોવાનું કારણ શું ?
- આ સવાલ પૂછવામાં તમે ફક્ત હજાર વર્ષ મોડા પડયા !
(તરલ પરિમલ મેહતા, ભાવનગર)

* મારી પત્ની બહુ વખતથી મને રસોયણ રાખી લેવાની ફર્માઇશ કરે જાય છે.. શું કરૂં ?
- આવી ખેલદિલ પત્ની તો કોઇ લાખોમાં એકને જ મળે, ભાઇ..! તાબડતોબ રાખી જ લો.. એના રસોઇયાને વાંધો ન હોય તો !
(ભરત શાહ, અમદાવાદ)

* મારા પતિદેવ ઘરના બજેટમાં કોઇ વધારો કરી આપતા નથી, તો શું કરવું ?
- તમે જૂનાગઢની સિંહણ છો... એમના ખભે આઆઆ..વડું મોટું બચકું તોડી લો..!
(અમિતા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આખરે ડૉ.મનમોહને મૌન તોડયું... હવે શું થશે ?
- એ મૌન તોડવામાં એમણે જે બે-ત્રણ ઉધરસો ખાધી. એમાં ય સ્પૅલિંગની ભૂલો હતી.
(સૈયદ અકબરઅલી, ઇલોલ- હિમતનગર)

* માનવી પોતાના સ્વાર્થને ખાતર બીજાને દુઃખી કેમ કરે છે ?
- ઉકાળેલા દૂધમાં ગંઠોડા અને એક ચમચી દિવેલ નાંખીને પી જાઓ..બધું ઠીક થઇ જશે !
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

* સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપની પાછળ એવો કોનો હાથ છે ?
- હાથ જ નહિ, પગ પણ છે !
(બકુલ મોલાડીયા, જતના- ખેરવા)

* ઘણા નામો સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ તેની જોયા વગર ખબર ન પડે.. જેમ કે, મધુ, ભાનુ, મણી..! ગેરમસજ અટકાવવાનો કોઇ ઉપાય ?
- એમને એક વાર અડી જોવું.
(ટી.એસ.પરમાર, આણી- આણંદ)

* ચૂંટણીઓ વખતે જાહેરસભામાં અભિનેતાઓને બોલાવવાનું કારણ શું ?
- નેતાઓની બાઓએ ખાસ કીધેલું હોય છે માટે !
(મહેન્દ્ર જે.ગાંધી, સુરેન્દ્રનગર)

* કોંગ્રેસ સર્કસના જોકર દિગ્વિજયસિંઘ હમણાં કેમ દેખાતા નથી ?
- એ લોકો કોંગ્રેસને જીતાડવા માંગે છે.
(એચ.જે. રાવલ, જામજોધપુર)

* લગ્નના રીસેપ્શન વખતે સ્ટેજ પર ત્રણ કલાક બનાવટી સ્માઇલ સાથે ફોટા પડાવવાનો આપનો અનુભવ કેવો છે ?
- હા, એક હજાર ફોટાઓમાંથી એકાદમાં મારો હસતો ફોટો આવ્યો તો ખરો!
(રીશીત/તેજલ/તેજસ, મહેસાણા)

* એક તરફ સ્ત્રીને જગતજનની કહે છે ને બીજી બાજુ સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ કહે છે. આપનો અભિપ્રાય સ્પષ્ટ કરશો.
- મારી પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ માતા સમાન છે. હવે તમે કહો. મારી બુધ્ધિ પગની પાનીએ લાગી ?
(મીતા વી.દવે, કોલવડા- ગાંધીનગર)

* રાહુલબાબાની ભાવિ વડાપ્રધાન તરીકે તાજપોશી થશે ?
- થાય એ વધારે સારૂં છે. કોંગ્રેસ તો આમે ય હારવાની છે !
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)

* 'ઍન્કાઉન્ટર' કૉલમના ગોરધનો માટે આપ એક નવી પાર્ટી શરૂ ન કરી શકો? જીપીપી... એટલે કે, 'ગોરધન પરિવર્તન પાર્ટી'?
- સામે એમની વાઇફો ય જીપીપી જ શરૂ કરાવે એવીઓ છે...ગોરધન પછાડ પાર્ટી.
(ચિંતન પરમાર, અમદાવાદ)

* આપના મતે લગ્ન પહેલાની દિશા સારી કે લગ્ન પછીની દશા સારી ?
- તમે એ બન્નેની વચ્ચે ભરાયા લાગો છો..? માં અંબા તમારૂં ભલું કરે.
(અતુલ જી. મહેતા, રાજકોટ)

* શ્રી વજુભાઇ વાળા ય તમારા જેવી અઘરી સિક્સરો ફટકારે છે. સુઉં કિયો છો?
- એમની સિક્સરો છાતીની આરપાર નીકળી જાય છે. મારા વાળી હાળી છાતીમાં ભરાઇ જાય છે.
(ભૂવન રાજેશભાઇ પટેલ, ગાંધીનગર)

17/01/2014

'ચાર દિલ, ચાર રાહેં' ('૫૯)

ફિલ્મ : 'ચાર દિલ, ચાર રાહેં' ('૫૯)
નિર્માતા-દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસ
સંગીત : અનિલ બિશ્વાસ
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ-૧૬૦-મિનિટ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારા : રાજ કપૂર, મીના કુમારી, શમ્મી કપૂર, નિમ્મી, કુમકુમ, અજીત, બદ્રીપ્રસાદ, જગદિશ કંવલ, પી.જયરાજ, બેબી નાઝ, નાના પળશીકર, રાશિદ ખાન, ડેવિડ અબ્રાહમ, અનવર હુસેન, શકુંતલા અને અચલા સચદેવ.



ગીતો
૧. નહિ કિયા તો કર કે દેખ, તુ ભી કિસી પે - મુકેશ
૨. કોઈ માને ન માને, મગર જાને મન, કુછ - લતા મંગેશકર
૩. ઈન્તેઝાર ઓર અભી, ઓર અભી ઓર અભી - લતા મંગેશકર
૪. કોઈ દિલ કોઈ ચાહત સે મજબુર હૈ - લતા મંગેશકર
૫. સ્ટેલા ઓ સ્ટેલા, તેરા જાની થા - મીના કપૂર-મહેન્દ્ર કપૂર
૬. કચ્ચી હૈ ઉમરીયા કોરી હૈ ચુનરીયા - મીના કપૂર-સાથી
૭. સાથી રે સાથી રે, કદમ કદમ સે દિલ સે દિલ - મુકેશ-મન્ના ડે

શમ્મી કપૂરને તો કાયદેસરની નોટીસ આ ફિલ્મ 'ચાર દિલ, ચાર રાહેં'ના નિર્માતા-દિગ્દર્શક ખ્વાજા એહમદ અબ્બાસે મોકલી હતી. શમ્મીએ આ ફિલ્મના એક ગીતમાં ઍક્ટિંગ કરવાની ધરાર ના પાડી દીધી હતી. કારણ તો ભ'ઈ... આજ સુધી કોઈને ખબર નથી ને સમાધાને ય કેવી રીતે થઈ ગયું, એની તો ક્યાંથી ખબર હોય, પણ આ ઘટના પછી કે.એ. અબ્બાસે હવે પછી ક્યારેય મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ નહિ બનાવવાનો નિર્ણય લઈ લીધો. નહિ તો રાજ કપૂરના ઘણા ડ્રીમ-પ્રોજેકટ્સ, ફિલ્મ 'શ્રી. ૪૨૦', 'આવારા', 'મેરા નામ જોકર', 'બૉબી' અને 'હિના' પણ અબ્બાસે લખ્યા હતા. એક જોતાં, વર્ષો અગાઉ લીધેલો આ નિર્ણય કમ-સે-કમ અમિતાભ બચ્ચનને બહુ ફળ્યો. અબ્બાસે બનાવેલી ફિલ્મ 'સાત હિંદુસ્તાની'નો એક હિંદુસ્તાની બનવાનું સદભાગ્ય બચ્ચન બાબુને મળ્યું. નહિ તો એમાં ય સાત મોટા સ્ટાર્સ લીધા હોત તો બચ્ચન બાબુની ઍન્ટ્રી થોડી મોડી થઈ હોત ને ખાસ તો... અમિતાભ બચ્ચન જેવા ભારતના એક માત્ર સુપરસ્ટારને પહેલો બ્રેક આપવાનો યશ અબ્બાસને ન મળ્યો હોત! એ પાછી બહુ ઓછાને ખબર હોય કે, અમિતાભના માતૃશ્રી (જે સીખ હતા) અને ઈંદિરા ગાંધી વચ્ચે ફાટફાટ દોસ્તી હોવાને કારણે ઈંદિરાજીએ કે.એ.અબ્બાસ પર ભલામણ-ચિઠ્ઠી લખી આપી હતી, એને આધારે બચ્ચનને 'સાત હિંદુસ્તાની'માં ચાન્સ મળ્યો હતો.

આમ તો, રાજ કપૂર, શમ્મી કપૂર, મીના કુમારી અને નિમ્મી જેવા એ જમાનાના સાચ્ચા સુપરસ્ટાર્સ જે ફિલ્મમાં હોય એ તો ધમધોકાર ઉપડવી જોઈતી હતી, પણ કેવી પિટાઈ ગઈ હશે, એનો ઘચરકો એક વાતથી જ આવી જાય છે કે, આપણા બધાના આ માનિતા હીરો-હીરોઈનો અને ભારતશ્રેષ્ઠ સંગીતકાર અનિલ બિશ્વાસ હોવા છતાં, ખુદ આપણામાંથી જ ભાગ્યે જ કોઈએ આ ફિલ્મનું નામ કે એકે ય ગીત સાંભળ્યું હોય તો, આપણામાંથી જ કોઈની છેલ્લા ડચકાં ખાતી સાસુ મરે, ભઈ'શાબ... ! આમ તો, આ જ વર્ષે રાજ કપૂરની પાંચ ફિલ્મો રીલિઝ થયેલી, 'કન્હૈયા', 'મૈં નશે મેં હૂં', 'દો ઉસ્તાદ', 'અનાડી' અને આ... 'ચાર દિલ, ચાર રાહેં.' એમાંની આ એક જ પિટાઈ ગઈ. દેવ આનંદની તો એક જ ફિલ્મ આવી, 'લવ મેરેજ' સુપરહિટ ગઈ. આખા વર્ષના તમામ રેકોર્ડ તોડનારી વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગે' તો અમદાવાદની મૉડેલ ટૉકીઝમાં એક વર્ષ પૂરું કર્યું. અમે મૉડેલ ટૉકીઝની સામે જ રહીએ, એટલે રોજ એકવાર તો 'ફોટા' જોવા જવાનું જ! શમ્મી કપૂરની ચાર ફિલ્મો, 'મોહર' (જેનું મદન મોહને બનાવેલું લતાએ ગાયેલું કર્ણમધુર ગીત યાદ છે ? 'તુમ હો સાથ રાત ભી હસિન હૈ, અબ તો મૌત કા ભી ગમ નહિ હૈ...', બીજી ફિલ્મ 'રાત કે રાહી', 'દિલ દે કે દેખો' અને 'ઉજાલા' છેલ્લી બન્નેએ બૉક્સ ઑફિસ છલકાવી. ગુરૂદત્તની 'કાગઝ કે ફૂલ'ના કાગળ જેવા ડૂચા નીકળી ગયા. દિલીપ કુમારની ફિલ્મ 'પૈગામ' પણ આ જ વર્ષમાં અને એ ય... ટિકિટબારી ઉપર બર્બાદીનો પૈગામ આપીને હોલવાઈ ગઈ.

મૂળ તો અબ્બાસને ફિલ્મ બનાવતા જ આવડી નહોતી. એક ફિલ્મમાં છ-છ જણાની ત્રણ લવ-સ્ટોરીઓ વારા ફરતી ચાલે. એમાં ક્યા દહાડે પતે? પાછું, ત્રણમાંથી એકે ય જોડીને એકબીજા સાથે લેવાદેવા નહિ. ત્રણે વાર્તાઓ જુદી જુદી હાંકે રાખે. તારી ભલી થાય ચમના... હજી બીજી વાળીમાંથી કળ વળી ન હોય ત્યાં તું પહેલી બતાવે ને એ સમજવામાં મહિનો-બે મહિના કાઢી નાંખીએ ત્યાં ત્રીજી ઊભી હોય! બફાટમાં કંઈ હજી બાકી રહી જતું હોય તેમ, વાર્તાને અંતે આમતેમ ગુંચળું વાળીને ત્રણે જોડીઓને ભેગી કરી દીધી છે, જેને સ્ટોરી સાથે બાય ગૉડ... કોઈ લેવાદેવા નહિ !

ત્રણ સ્ટોરીઓ એટલે પહેલી રાજ કપૂર-મીના કુમારીની સ્ટોરી. માથે ફાળીયાવાળો રાજ કપૂર અને કાલીકલૂટી મીનાકુમારી ચમારની દીકરી. એ બન્ને વચ્ચે પ્રેમ નાનપણનો, પણ મોટા થયા ત્યાં સુધીમાં રીન્યૂ કરાવવાનો રહી ગયેલો, એટલે મીના તો કોઈ ઈન્કમટેક્સની ઓફિસ ખોલીને થોડી બેઠી હતી તે જૂનો ટેક્સ પણ ભૂલે નહિ. એ બિચારી તો બધું ભૂલી ગયેલી, પણ રાજ કપૂર આપણો માનવંતો ગ્રાહક છે, એમ સમજીને પેલો પ્રેમ રીન્યૂ કરાવવા આવ્યો, તો કરી આલ્યો. આમે ય, એની આગળ-પાછળ કોઈ ભટકતું નહોતું, એમાં રાજનું કાર્ડ રીન્યૂ થઈ ગયું. પણ ગામ આખું વિરોધમાં-ઈવન, ફાધર-મધર કે ચમારની દીકરીની તો સામું ય ન જોવાય, ત્યાં રાજ તો મીનાએ ખાધેલી કાચી કેરીઓને ય બચકાં ભરી આવતો... પછી તો બા ખીજાય જ ને ? યસ. એ જમાનામાં હજી ઉંચનીચના ભેદભાવો વ્યાપક હતા.

રાજ કપૂર અને મીના કુમારીએ ઝાઝી ફિલ્મો સાથે નથી કરી... સમજો ને, માંડ બે-ત્રણ હશે. પહેલી તો મદ્રાસના એલ.વી. પ્રસાદની ફિલ્મ 'શારદા.' બીજી આ અને આના સિવાય ત્રીજી મોટા ભાગે તો નથી. રાજ કપૂરની માફક દેવ આનંદ પણ મીના કુમારી સાથે ફિલ્મો સ્વીકારતો નહતો. 'તમાશા', 'બાદબાન', 'સનમ' અને 'કિનારે-કિનારે'... હજી એકાદી રહી જતી હોય તો મોબાઈલ પકડીને જ બેઠો છું... કહી દો. યસ. દિલીપ કુમાર સાથે એ સરસ ફિટ થતી હતી. પણ ફિલ્મોની સંખ્યા બહુ નહિ. 'કોહિનૂર', 'યહૂદી', 'આઝાદ', 'ફૂટપાથ'. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો, મીના એક જ એવી હીરોઈન કહેવાય, જેણે આ ત્રણે મોટા સ્ટાર્સની પરવાહ કર્યા વગર બી-ગ્રેડના હીરોઝ સાથે જ વધુ ફિલ્મો કરી. ફિલ્મો ય એવી પસંદ કરી, જેની વાર્તા હીરોઈન ઉપર આધારિત હોય ! હવે તાળો મળી જાય કે, વાર્તા હીરોઈન ઉપર આધારિત હોય ત્યાં પેલા ત્રણ મોટા બ્રાહ્મણભ'ઈઓ શું કામ શીંગડામાં માથાં ભરાવવા આવે ?

બીજી લવ સ્ટોરી શમ્મી કપૂર અને કુમકુમની સાયમલટેનીયસલી ચાલતી હતી. ને ત્રીજી સ્ટોરી અજીત અને નિમ્મીની. આમાં, ફિલ્મ જોતાં જોતાં તમારાથી આ ત્રણ ચોકઠાં આઘાપાછા થઈ ગયા તો રાજ કપૂર નિમ્મીમાં ભેરવાઈ જાય, શમ્મી કપૂરને મીના કુમારી સાથે વળી ક્યાં મેળ પડવાનો હતો... એનો બાબો હોય એવું લાગે, પણ ત્રણ સ્ટોરીની ગુચડમગુચડીમાં આવું થઈ શકે ને ફિલ્મ જોઈ લીધા પછી ચિંતા તમે કરો કે, અજીત અને કુમકુમ છેલ્લે પઇણ્યા કેમ નહિ ? આ તો એક વાત થાય છે !

આ 'ફિલ્મ ઈન્ડિયા' કૉલમ આટલા વર્ષોથી ચાલે છે, એમાં એક આ ફિલ્મ એવી આવી કે એક તબક્કે અધૂરી છોડી દેવાનું ખૂન્નસ ચઢ્યું. પણ લખવું તો પડે, એટલે ફિલ્મ વગર જોયે કે અધૂરી જોયે લેખ લખી નાંખવાની બેઈમાની કરી નહિ, એમાં મગજની નસો તંગ થઈ ગઈ. સાલી અત્યંત ફાલતુ ફિલ્મ !

'ચાર દિલ, ચાર રાહેં'માં સંગીત અનિલ બિશ્વાસનું હતું. જૂની ફિલ્મોના શોખિન ખરા, પણ એટલા બધા નહિ કે વાત અનિલ દા કે સી.રામચંદ્ર સુધી પહોંચે ! અનિલ દા સંગીતની એ ઊંચાઈઓ પર હતા, જ્યાં એ પછીના નૌશાદ. શંકર-જયકિશન કે બાકીના તમામ સ્થાપિત સંગીતકારો અનિલ દા ને ગુરૂભાવે જુએ. લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતોમાં કદાચ કોઈની પસંદગીમાં એમનું નામ ન આવે, પણ લતાના અપ્રતિમ ચાહકો માટે લતા-અનિલ બિશ્વાસની જોડીના ગીતો પછી જ સી.રામચંદ્ર કે મદન મોહનના ગીતોનો નંબર આવે. અને જુઓ જરા. આ ફિલ્મમાં અનિલ દા ને છાજે એવું એક માત્ર ગીત લતા મંગેશકરનું 'ઈન્તેઝાર ઓર અભી, ઓર અભી...' જે ત્રણ-ચાર રાગોમાં બન્યું છે. દુ:ખદ વાત એ છે કે, આવું સુંદર ગીત ફિલ્મમાં નિમ્મી ઉપર મુજરા ડાન્સ તરીકે ફિલ્માયું છે. બીજું વધારે ઉપડયું, અનિલ દા ના પત્ની મીના કપૂરે ગાયેલું અને સ્ક્રીન પર મીના કુમારીએ ગાયેલું 'કચ્ચી હૈ ઉમરીયા...' કંઈક રાહતભર્યું છે. બાકી અનિલ બિશ્વાસની ઢળતી કારકિર્દીનો આસાર આ ફિલ્મથી આવી ગયો હતો. બહુ સામાન્ય કક્ષાના ગીતો બનાવ્યા, એનો મતલબ એ થયો કે, કાકા પાસે એમનો અસલી માલ ખૂટી ગયો હતો. તો પછી અનિલ બિશ્વાસ ચાલ્યા કેમ નહિ ? કેમ એમનું નામ એ વખતના સફળ સંગીતકારોમાં હજી ય નથી મૂકાતું ? મને બે-ત્રણ કારણો આવડે છે. એક તો, અનિલ બિશ્વાસની ફિલ્મોની સંખ્યા નાની સૂની તો નહોતી, છતાં આઉટરાઇટ તો જવા દો... એમના સંગીતને કારણે જ ધૂમધામ સફળ થયેલી ફિલ્મોનું લિસ્ટ મારીમચડીને બનાવવું પડે ને એમાં ય વાતમાં વજન તો લતા મંગેશકરના પ્રવેશ પછી જ પડે. મતલબ, સ્ટ્રાઈક-રેટ નબળો. એક ફિલ્મના ૮-૧૦ ગીતોમાંથી કેટલા લોકજીભે ખૂબ ચઢ્યા અને એ પછી એવી કેટલી ફિલ્મો આવી... એને સ્ટ્રાઈક-રેટ કહેવાય. ત્રીજું કારણ એ પણ ખરૂં કે, એમના ગીતોની રચના સામાન્ય ગાયિકાઓ માટે આ ભાવમાં પરવડે એવી નહોતી. લતાએ એમના કમ્પોઝીશનમાં ગાયેલું ગીત આપણી વાઇફ ગાવા જાય તો કાં તો વચમાં આપણે હસી પડીએ ને કાં તો અંદરના રૂમમાં લઈ જઈને, ખાનદાન કી ઇજ્જત બચાવી લેવા આપણે જ એને સમજાવવી પડે. નૌશાદ કે શંકર-જયકિશનની તરજો લોકભોગ્ય અને ગાવામાં સરળ પડે.

અનિલ દા જેવો બીજો દાખલો સંગીતકાર જયદેવનો. એમના સંગીતલાલિત્ય વિશે કોઈ શંકા નહિ, પણ ખુદ લતા-આશાએ કબુલ કર્યું છે કે, જયદેવની ધૂન પર ગાવું અમને પણ કઠીન પડતું.

ફિલ્મ 'ચાર દિલ ચાર રાહેં'માં એ સમયની મશહૂર ત્રિપુટી મુખ્ય ભૂમિકાઓમાં હતી. રાજ-મીના તો સમજ્યા, પણ અજીત અને નિમ્મી બન્ને આમ તો સેકન્ડ-કલાસ સિટિઝન્સ કહેવાય. એમનું કોઈ માર્કેટ નહિ. એમાં ય, શમ્મી કપૂર તો અડધી ફિલ્મ પછી આવે છે અને ફિલ્મનો અસલી હીરો ય એ જ છે. રાજ કપૂર અને મીના કુમારી કે પેલા બન્ને ફિલ્મની શરૂઆતમાં નામ પૂરતા આવે છે, બાકી ફિલ્મ શમ્મીએ ઉપાડી છે. શમ્મી બહુ અન્ડરરેટેડ હીરો હતો. માત્ર 'હીરો' તરીકે જ નહિ, 'ઍક્ટર' તરીકે ય એની પૉટૅન્શિયાલિટી રાજ-દિલીપ કે દેવ કરતા સહેજ બી ઉતરતી નહિ, પણ પહેલેથી જ એને ઉછલમ-કૂદમનો હીરો બનાવી દેવાયો, એટલે એક છાપ જ ખોટી પડી ગઈ કે શમ્મી એટલે 'તારીફ કરૂં ક્યા ઉસકી...'ના ઠેકડાવાળો !

અજીત પઠાણ હતો-હૈદરાબાદ (ભારત)નો. મૂળ નામ હમીદઅલી ખાન. આંધ્રપ્રદેશના વરંગલ જીલ્લામાં ગોલકુન્ડામાં એ જન્મ્યો હતો. હિંદી ફિલ્મોમાં 'નાસ્તિક', 'બડા ભાઈ', 'ઢોલક' અને 'બારાદરી' જેવી એક પછી એક ફાલતુ ફિલ્મોમાં કામ કરવા બદલ હીરો તરીકે જલ્દી ફેંકાઈ ગયો. મૂકેશનું પેલું ગીત, 'મુફ્ત હુએ બદનામ, કિસી કે હાય દિલ કો ચુરા કે...', પરદા પર એણે ગાયું હતું, ફિલ્મ 'બારાત'માં પણ સાઇડ-હીરોમાં ઠીક ઠીક ચાળ્યો. 'મુઘલ-એ-આઝમ' અને 'નયા દૌર'માં એ વધુ જાણિતો થયો. જોવાની ખૂબી એ છે કે, શરૂઆતના દોઢ-બે દસકાઓમાં હીરો કે સાઈડ હીરો તરીકે બધું મળીને ૫૭-ફિલ્મો તો માંડ કરી, એ પછી વૈજ્યંતિમાલા અને રાજેન્દ્ર કુમાર સાથે સત્તાવાર વિલન તરીકે ફિલ્મ 'સૂરજ'માં પહેલી વાર આવતા વ્હેંત છવાઈ ગયો. પછી તો એ જીવ્યો ત્યાં સુધી ફિલ્મ 'ઝંજીર'ના તેજાના અપ્રતિમ રોલને કારણે બધું મળીને અઢી સો ફિલ્મો કરી દીધી. એની સફળતા એ વાત સુધી જાય છે કે, એણે ભજવેલા 'લૉયન'નું પાત્ર અનેક જૉક્સમાં વપરાતું થઈ ગયું.

કમનસીબે, આ ફિલ્મ 'ચાર દિલ ચાર રાહેં'માં દિલાવરખાન પઠાણનો એનો રોલ (અને ઍક્ટિંગ)ને કારણે આ ફિલ્મ હતી, એના કરતા ય વધુ ફાલતુ બની. એક અભિનેતા તરીકે અજીત મોટું મીંડુ હતો.

(સીડી સૌજન્ય : શ્રી. ભરત દવે-સુરત)