Search This Blog

03/08/2012

‘નઈ ઉમર કી નઈ ફસલ’ (’૬૫)

નિર્માતા-નિર્દેશક : આર. ચંદ્રા
સંગીત : રોશન
ગીતો : પ્રો. ગોપાલદાસ નીરજ
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર :
કલાકારો : તનૂજા, રાજીવ, લીલા ચીટણીસ, રેણુકા રોય, એસ.કે. પ્રેમ, ઉલ્હાસ, ભલ્લા, રાજકિશોર, ખુર્શિદ બાવરા, એમ.એ. લતીફ અને શોભના સમર્થ. 

ફિલ્મો શરૂ થઈ ત્યારથી આજ સુધી વત્તે-ઓછે અંશે કામ બધા વિષયોમાં ઉત્તમથી માંડીને ઘણું થર્ડ-કલાસ પણ થયું છે. આપણે ત્યાં સર્વોત્તમે ય મળે અને રદ્દી કચરો ય મળે. પણ સરવાળે, સારૂં કામ વધારે થયું છે. નહિ તો ફિલ્મની ક્વોલિટી, ગીત-સંગીત, અભિનય, ફાલતુ હીરો-હીરોઈનો અને ઢંગધડા વગરના ગીતો ય આપણે ત્યાં જ બન્યા છે. એક અપવાદ એમાં મોટા ભાગના ફિલ્મી ગીતો પૂરતો છે કે, ગણ્યા ગાંઠ્યા ગીતોને બાદ કરતા માત્ર જોડકણાં જ લખાયા છે. સાહિર લુધિયાનવી, ‘નીરજ’, રાજીન્દર ક્રિશ્ન, પંડિત દીનાનાથ મધોક અને ક્યાંક શકીલ બદાયૂનીને બાદ કરતા આપણે સરેઆમ ઈમ્પ્રેસ થઈ જઈએ, એવા ગીતો લખાયા નથી. તમને કોઈ ગીત કે ગીતકાર ગમતો હોય, એ તમારો અંગત મામલો છે. ક્યારેક તો તદ્દન ફાલતુ ગીતકારોએ પણ હવાફેર માટે એકાદ-બે સારા ગીતો લખ્યા છે, પણ એ અપવાદોના લિસ્ટમાં આવે. સાહિર અને નીરજ, આ બે જ ફિલ્મી ગીતકારો હતા, જેમની રચનાઓમાં સાહિત્ય હતું. એ ગીત ટેબલ પર મૂકીને એના વિશે તમે ચર્ચા જ નહિ, વિવાદ પણ કરી શકો. તમારી ભાષામાં એનો અનુવાદ કરો, ત્યારે આપણી મુગ્ધતાઓ ઘોડાઓની માફક છુટે. હયા સે ઈતની બગાવત હમેં પસંદ નહિ...એવું સાહિર લખે, એમાં તો સવાર સુધી પાગલ થઈ જવાય કે, કોઈ વ્યક્તિ નોન-સેન્સ વર્તન કરતી હોય તો સાહિરે કેવું છાતીવઢ લખી નાંખ્યું છે કે, ‘હયાએટલે લાજશરમ અને બગાવત એટલે બળવો.... અહીં જુઓ તો ખરા કે, ‘બળવોશબ્દ કેવો સનનનન.... કરતો છાતીની આરપાર નીકળી ગયો છે ! 

અને આ બાજુ, ફિલ્મ નઈ ઉમર કી નઈ ફસલના કવિ નીરજનો આ જ સંદર્ભમાં ઉકળાટ વાંચો....

ગીત અશ્ક બન ગયે, છંદ વો દફન ગયે
સાથે કે સભી દિયે ઘૂંઆં પહેન પહેન ગયે,
ઔર હમ ઝૂકે ઝૂકે, મોડ પર રૂકે રૂકે
ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે... 
કારવાં ગૂઝર ગયા, ગુબાર દેખતે રહે...’ 
(અશ્ક એટલે આંસુ) 

બાકીના ઓલમોસ્ટ તમામ ગીતકારો ફિલ્મીગીતકારો હતા, કવિઓ કે શાયરો નહિ. એમના ગીતોમાંથી દિલ, મુહબ્બત, ખુદા, જવાની, સનમ, જાનેમન, દિલરૂબા કે પ્યાર-વ્યાર જેવા શબ્દો કાઢી નાંખો, તો આમાંના એકે ય ગીતકાર પાસે પોતાને પુરવાર કરવા સિલકમાં કાંઈ બાકી ન રહે. સાહિરનો એક જ ટુકડો લો, ‘‘વો અફસાના જીસે અન્જામ તક લાના ન હો મુમકીન, ઉસે એક ખૂબસુરત મોડ દેકર છોડના અચ્છા...’’ આ વાસ્તવિક અને રોજબરોજના કોઈના પણ જીવનમાં વાપરી શકાય એવો માલ છે. આપણે ય સ્વીકારીએ છીએ કે, ફિલ્મી ગીતકારોને સાહિત્ય સાથે નહિ, ગીતના મીટરપ્રમાણે લખવાનું હોય છે, એટલે સંગીતકારે બનાવેલી તરજ પ્રમાણે એમના શબ્દો ગોઠવાય, એને મીટર કહે છે. 

બાકી અહીં આ બાજુ આવી જાઓ અને તપાસવા માંડો, લખાઈને આવેલું આ પેપર... ‘‘મેરી મુહબ્બત જવાં રહેગી, સદા રહેગી, તડપ તડપ કર યહી કહેગી, સદા રહેગી, સદા રહેગી...’’ કેટલા ઈમ્પ્રેસ થયા તમે એ કહો, એટલે તમારૂં ય માપ નીકળે. અને હવે તો સ્ટેટસ ખાતરે ય જેનું નામ દેવું તમને ગમે છે, એ ગુલઝારના શબ્દો વાંચો, ‘‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેંકતી ખુશ્બુ, હાથ સે છુકે ઈસે રિશ્તોં કા ઈલ્ઝામ ન દો...’’ પહેલા બોલે જ ગોટાળો. કવિઓને મન ફાવે ત્યાં વિહરવાની છુટ આપી છે, એનો મતલબ એ નથી કે, શબ્દોના ગણિત સાથે કે અર્થોના વ્યાકરણ સાથે એ પોતે ઉલ્લુ બને અને આપણને ય બનાવે. ખુશ્બુ એટલે જ મહેંકતી હોય, ખુશ્બુ ગંધાતી કે સુગાળવી ન હોય. ખુશ્બુની આગળ વિશેષણ તરીકે મહેંકતીક્યાંથી વપરાય, ચિમન...? વળી ખુશ્બુને માણી શકાય, હાથથી અડવાનો સવાલ જ ઊભો થતો નથી. સાહિત્યિક રીતે પણ હાથથી અડેલી ખુશ્બુનો કોઈ અર્થ થતો નથી. પણ ગુલઝારે અક્કલની ઉજાણી તો કરાવી છે, ‘રિશ્તોં કા ઈલ્ઝામ ન દો...માં. રીશ્તા એટલે સંબંધનું મૂલ્યાંકન કે અર્થઘટન કોઈ કાળે ય આક્ષેપ’ (ઈલ્ઝામ) ના સંદર્ભમાં વાપરી કેવી રીતે શકાય ? રીશ્તો મુલાયમ હોઈ શકે, ભંગારના પેટનો હોઈ શકે, નિર્માલ્ય હોઈ શકે, શાશ્વત હોઈ શકે, પણ એને આક્ષેપના સ્વરૂપમાં તમે ઈચ્છો તો ય ગોઠવી ન શકો... તારી ભલી થાય, ચમના... આવું બઘું તું ક્યાથી ઉપાડી લાયો...

અને આ બધાની સામે આવો તમે પ્રો.ગોપાલદાસ નીરજના કાવ્ય-ઉપવનમાં. 

‘‘એક દિન મગર યહાં, ઐસી કુછ હવા ચલી
લૂટ ગઈ કલી કલી કે ધૂટ ગઈ ગલી ગલી
ઔર હમ લૂટે લૂટે, વક્ત સે પિટે પિટે
સાંઝ કી શરાબ કા ખુમાર દેખતે રહે...’’ 

પણ... પણ... પણ, આ જ ગીત, ‘કારવાં ગૂઝર ગયા...છેલ્લા ૪૫ વર્ષોથી આપણે કેવા લાગણીમય થઈને સાંભળતા હતા, યાદ છે? આ ગીત રેડિયો પર આવે, એટલે ક્યારેક તો આંખો ભીની થઈ જતી. રોશનના દિલદાર સંગીત, રફી સાહેબનો કરૂણ કંઠ... એન્ડ એબોવ ઓલ... નીરજના ભાવવાહી શબ્દો. ફિલ્મ તો આપણામાંથી કોઈએ જોઈ નહોતી, એટલે શબ્દો મુજબ, માની જ લેતા હતા કે

માંગ ભર ચલી કે એક જબ નઈ નઈ કિરન
ઢોલકે ઘૂનક ઉઠી, ઠૂમક ઉઠે ચરન ચરન
શોર મચ ગયા કે લો ચલી દુલ્હન, ગાંવ સબ ઉમડ પડા
બહેક ઉઠે નયન નયનપર તભી ઝહેર ભરી ગાજ (વીજળી) એક વહે ગીરી,
પૂછ ગયા સિંદૂર તાર તાર હુઈ ચૂનરી, ઔર હમ અજાન સે
દૂર કે મકાન સે પાલકી લિયે હુએ, કહાર દેખતે રહે...

વાહ... આપણે ફિલ્મ નહોતી જોઈ, પણ ધારી લેતા હતા કે, ફિલ્મની વાર્તા મુજબ કેવી કરૂણ સિચ્યુએશન હશે કે... વાંચી જુઓ શબ્દો ફરીથી...! 

પણ... ફિલ્મ જોઈ તો એના દિગ્દર્શકને કબરમાંથી ખોદી કાઢીને સાલાને ફરીથી દાટી દેવાનો ગુસ્સો આવે, એટલો બિભત્સ ઉપયોગ આવા સુંદર શબ્દોનો કર્યો છે. તમે માની શકો ખરા કે, આ આખું ય ગીત વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવાર માટે લખાયું છે? ‘માંગ ભર ચલી કે એક જબ નઈ નઈ કિરન...એટલે વિધાનસભાની ચૂંટણીનો યુવાન ઉમેદવાર... ઢોલક ઘૂનકી ઉઠ્યા, એટલે એના પ્રચાર સરઘસને જોવા આખું ગામ ઊમટી પડે... અને આખા ભારત-બંધનું એલાન આપવાની ટીગળી તો ત્યારે ચસકે કે, ‘...પર તભી ઝહેર ભરી ગાજ એક વહે ગીરી...એટલે આ લોકોએ ક્યો અર્થ વાપર્યો છે, ખબર છે? ઈ ચૂંટણી હારી ગયા, કપડાં ફાટી ગયા (...તાર તાર હુઈ ચૂનરી) ને હારેલો ઉમેદવાર (ફિલ્મનો હીરો રાજીવ) પોતાના ઘરમાંથી વિજેતા ઉમેદવારનું ઢોલનગારા સાથેનું સરઘસ જતું જુએ, એટલે પાલકી લિયે હુએ, કહાર દેખતે રહે...!કેવો પ્રચંડ ગુસ્સો ચઢે આપણને આવા લાગણીસભર શબ્દોનો આવો ઉપયોગ જોયા પછી...

ફિલ્મના દિગ્દર્શક આર. ચંદ્રાએ પ્રયત્ન પણ નથી કર્યો શબ્દોને સમજવાનો અને તે મુજબનું ફિલ્માંકન કરવાનો. મત મહાવર રચાઓ બહોત પાંવ મેં, ફર્શ કા મરમરી દિલ બહેલ જાયેગા...એમાં કહેવાનો અર્થ કેવો સેક્સી અને મઘુરો-મઘુરો હતો કે, સુંદર સ્ત્રીના પગની ગુલાબી પાની આરસ-પહાણની લાદી ઉપર કેવી સોહામણી લાગે? એમાં ઝાંઝર પહેરીને પગનો થનગનાટ ન કર... ફર્શનું આસરપહાણી હૃદય પણ એકસાઈટ થઈ જશે...! અહીં તો ભઈને કેમેરો ફેરવતા જ આવડ્યો નથી, એટલે શબ્દોમાં જે જે સ્થળો આવતા જાય, એમ એમ કેમેરા ફરતો જાય. ફર્શલખ્યું હોય તો લાદી બતાવવાની, પહાડ લખ્યું હોય તો પહાડ બતાવવાનો... તારી ભલી થાય ચમના... આમાં તારી બા ય ખીજાતી નથી? અલબત્ત, ભારતના ફિલ્મી ચાહકોને સારા-નરસાની એ જમાનામાં તો ખબર પડતી હતી, એટલે નઈ ઉમર કી નઈ ફસલઅમદાવાદમાં... મને યાદ છે ત્યાં સુધી થીયેટરમાંથી બે-ત્રણ દિવસમાં તો ઉતારી લેવી પડી હતી. ક્યું થીયેટર એ યાદ નથી. આમે ય, ફિલ્મ ન જોવામાં કશું ગૂમાવવા જેવું ય નહોતું, એ તો મારે આ ફિલ્મ માત્ર એના ગીતો માટે જોવી પડી, ત્યારે ખબર પડી કે હું તો બહુ સહનશક્તિવાળો માણસ છું, ભાઇ!

એક ખોટી ખબર પકડાઈ. ફિલ્મ નહોતી જોઈ, ત્યાં સુધી મારી પાસે માહિતી એવી હતી કે, ફિલ્મનો હીરો રાજીવ એટલે પછીથી આપણી ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે આવેલ સ્વ. રાજીવ હશે, પણ આ તો કોઈ બીજો જ રણછોડ નીકળ્યો. ભારત ભૂષણ, પ્રદીપકુમાર, મનોજકુમાર અને રાજેન્દ્રકુમાર એમ ચારેયને ભેગા કરીને જે કડવી દવા બનાવો, એ દવા આ રાજીવ નામની બને. તનૂજાએ કઇ હિમ્મતથી આને હીરો તરીકે સ્વીકાર્યો હશે

મતલબ, ફિલ્મના ગીત-સંગીત અને તનૂજાને બાદ કરતા પૂરી ફિલ્મમાં જોવા માણવા જેવું કશું નહોતું. અલબત્ત, આવી વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો દિગ્દર્શકનો હેતુ ઘણો ઉચ્ચ હશે કે, ‘નઇ ઉમર...એટલે આજના યુવાનોની જે ફસલ ઉતરી છે, તે દેશની સેવા કરવાના માર્ગે પણ વળે અને યુવાની વેડફી ન નાંખે, એ આ ફિલ્મનો સેન્ટ્રલ આઈડીયા બેશક સલામને કાબિલ છે, પણ પછી એને ફિલ્મની પટ્ટી પર ઉતારતા ય આવડવું જોઈએ ને? નથી આવડ્યું. જીવ તો હજી બળી જાય છે કે, રફી સાહેબના મારા ટોપ ટેન ગીતોમાં જેનું ઘણું પવિત્ર સ્થાન છે તે, ‘આજ કી રાત બડી શોખ બડી નટખટ હૈ...ગીતનો આ ભાઈએ ફિલ્મમાં ઘણો કચરો કરી નાંખ્યો છે. હું ક્યારેક મારા સ્ટેજ પ્રોગ્રામોમાં કેવા ઉત્સાહથી સમજાવતો કે, કોઈ પહાડની તળેટીમાં આવેલા એકાકી બંગલામાં તમે એકલા બેઠા બેઠા સાંજની વેળાએ ભીના વરસાદની મૌસમમાં, કોઈનો ભરચક ઇન્તેઝાર કરતા હો,ત્યારે દિવાલની છત પર વરસાદનું પાણી સરકતું જુઓ, પહાડ પર સોનું પિગળ્યું હોય, એમ વીજળીના ચમકારા જુઓ, જે ચમકારા નિસ્તેજ આંખોમાં કોઇ અચાનક યાદ આવી જવાથી અચાનક શક્તિ પ્રગટે, ત્યારે પ્રિયતમાને આ માહૌલનો મતલબ સમજાવવામાં સમય ન બગાડાય (એટલી ડોબી એ ન હોય - ન હોવી જોઈએ!) કારણ કે, વાત હૃદયની છે, તે હોઠથી સમજાવીને ખોટું પેટ્રોલ ન બાળવાનું હોય... પેલીએ આવા મૂડની બધી સઘળી સાધન-સામગ્રી સાથે લઈને જ આવવાનું હોય... સુઉં કિયો છો

એને બદલે, અહીં તો સ્ટુડીયોમાં પહાડ, વીજળી, ઝાડી-ઝાંખરા ને રાત... બઘું બઘું ભેગું કરીને આખા ગીતની સગપણમાં જે કોઈ બહેન થતી હોય, એ પરણાવી દીધી છે. 

વરસાવતાં પ્રેમીઓ સિરિયલનો ટીઆરપી વધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. વાદળોનો ગડગડાટ વીજળીના ચમકારા અને ધોધમાર વરસાદ સાથે ભીના વસ્ત્રોમાં જોવા મળતી નાયિકા નાયકના મનને બેતાબ બનાવે છે. તેમાં વળી મેઘગર્જના થતાં ડરને કારણે નાયિકા આપોઆપ નાયકના બાહુપાશમાં પહોંચી જાય છે. 

સિરિયલની અભિનેત્રીઓ પણ આવા દ્રશ્યોને ભજવવા આતુર હોય છે. ફિર સુબહ હોગીની અભિનેત્રી ગુલકી જોશી કહે છે કે મારે રોમેન્ટિક દ્રશ્ય ભજવવાનું હોય છે ત્યારે હું છોછ અનુભવું છું .આવા સમયે વરસાદ મારી મદદે આવે છે. આ ૠતુમાં બધા જ રોમેન્ટિક બની જતાં હોય છે એટલે તે ન ગમવાનો તો સવાલ જ પેદા થતો નથી. 

રંગ બદલતી ઓઢણીની અભિનેત્રી યશશ્રી મસુરકર પણ જણાવે છે કે મને વરસાદી દ્રશ્યનું શૂટિંગ કરવું ખૂબ ગમે છે કારણકે વર્ષા ૠતુ મારી મનગમતી ૠતુ છે. તેમાં રોમાન્સ ભળતા સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ થાય છે. 

કેટલાક કલાકાર માટે વરસાદમાં ભીંજાવવા જેવી મજા જીવનમા બીજી કોઇ નથી જયારે અન્ય કેટલાકને તે શૂટિંગ સેશન અત્યંત કંટાળજનક લાગે છે. ના બોલે તુમ ન મૈંને કુછ કહાંનો અભિનેતા કુણાલ કરણ કપૂર કહે છે કે મને વરસાદી દ્રશ્ય ભજવવું ગમતું નથી. આમાં તમારે કલાકો સુધી ભીના રહેવું પડે છે. ઘરમાં બેસીને બારીમાંથી વરસતાં વરસાદને જોવો અલગ બાબત છે અને વરસતાં વરસાદમાં શૂટિંગ કરવું તદ્‌ન જુદી વાત છે. 

બાલિકા વઘૂનો અંજુમ ફારુકી પણ મેહુલિયો વરસતો હોય તે માહોલને કંટાળાજનક ગણે છે. તેના મતે વરસાદી દ્રશ્ય કલાકારની કસોટી કરે છે. તેમાં લાંબો સમય ભીના રહેવાનું તથા લાગણીસભર અભિનય કરવાનો હોય છે. દિવસને અંતે થાકી જવાય છે. આ ઉપરાંત આવું દ્રશ્ય ભજવવા માટે જે પાણી વાપરવામાં આવે છે તે પણ સારું હોતું નથી .જો કે મને તેનાથી કોઇ સમસ્યા થતી નથી એટલું સારું છે એમ તે કહે છે. 

અંજુમ ની વાત સાથે સંમત થતાં એક હઝારોંમેં મેરી બહેના હૈનો કરણ ઠાકર કહે છે કે મને વરસાદ ગમે છે પણ વરસાદી દ્રશ્યનું શૂટિંગ કરવું ગમતું નથી. લાંબા કલાકો સુધી ભીના રહેવાનું મુશ્કેલ થાય છે. 

જો કે દર્શકોને તો વરસાદી દ્રશ્યો જોવા ખૂબ ગમે છે. પરંતુ તેનું શૂટિંગ કરવું ખરેખર મુશ્કેલ હોય છે. નવ્યાના નિર્માતા આ વાત કબૂલતાં કહે છે કે સામાન્ય દ્રશ્યો કરતાં વરસાદી દ્રશ્યોના શૂટિંગ માટે વઘુ પ્લાનિંગ કરવું પડે છે. આ માટે પાણીના ટેંકરો મગાવવા પડતાં હોવાથી નિર્માણ ખર્ચ પણ વધી જાય છે. આવા દ્રશ્યોનું શૂટિંગ કરવા માટે કુદરતી વરસાદની રાહ જોઇને બેસી રહેવાતું નથી. આ ઉપરાંત કૃત્રિમ વરસાદને નિયંત્રિત કરી શકાય છે એટલે કુદરતી વરસાદ આવતો હોય તો પણ અમારે કૃત્રિમ વરસાદમાં જ શૂટિંગ કરવું પડે છે. પાણી લાઇટ કે કેમેરા પર ન પડે તેનું ઘ્યાન રાખવું જોઇએ. જો પાણી સાધનોમાં જાય તો શોકસર્કિટ થવાનો ભય રહે છે એટલે અમારે ખૂબ જ સાવધ રહેવું પડે છે અને આ કારણે અમારું હલનચલન પણ મર્યાદિત થઇ જાય છે.

01/08/2012

ઇશ્કે–મિજાજી....!

ગયા સપ્તાહે શુક્રવારની મારી કૉલમ ફિલ્મ ઇન્ડિયામાં દેવ આનંદની ફિલ્મ તીન દેવિયાં વિશે લખતા, એમાં ન લખાય પણ અહીં લખાય  અહીં જ લખાય, એવો સબ્જૅક્ટ હાથ લાગ્યો. ઉંમરના તકાજા મુજબ, એ વખતે તો ફિલ્મ ખાસ કાંઇ ગમી નહોતી, પણ ફરીથી જોઇ, ત્યારે ચોંકી જવાયું કે, એ સમયના ભારતીય કલ્ચર કરતા બહુ વહેલી બનેલી એ બૉલ્ડ ફિલ્મ હતી. બૉલ્ડ એટલા માટે કે, ફિલ્મનો હીરો દેવ આનંદ એક નહિ, બે નહિ ને ત્રણ ત્રણ યુવતીઓના (નંદા, સીમી અને કલ્પના) એક જ સમયે પ્રેમોમાં પડે છે અને ત્રણેના મનમાં એવું ઠસાવી દે છે કે, લગ્ન એ એની સાથે જ કરશે. લો બોલ્લો. આમાં શું નવી વાત આવી. આમાં બૉલ્ડે ય શું આવ્યું ?

બૉલ્ડ મૅસેજ એ હતો કે, ફિલ્મ દ્વારા પ્રેક્ષકોને એવું ઠસાવવામાં આવ્યું હતું કે, આવું તો બધાની જીંદગીમાં થાય. નિષ્ઠા ખોટી ન હોય, છતાં એક કરતા વધારે સ્ત્રીઓ સાથે દિલ લાગી ગયું હોય ને નિર્ણય ન લઇ શકાતો હોય, ત્યારે વિટંબણા ઊભી થાય છે. સ્ત્રીઓને પણ અફ કૉર્સ આવું બને જ. પુરૂષો બધા કૅરેક્ટરના રમતીયાળ માણસો અને સ્ત્રીઓ પવિત્રતાની મૂર્તિ... એવું કાંઇ ના હોય કાંઇ...! સુઉં કિયો છો ?

પણ ફિલ્મ તીન દેવીયાંનો સેન્ટ્રલ આઇડિયા આપણને પર્સનલી ક્યાં અડે છે, એ જોવાનું જરા ઈન્ટરેસ્ટિંગ છે. 

દેવ આનંદની એ ઉંમર અને અનુભવોમાંથી યથાશક્તિ આપણે સહુ પસાર થઇ ગયા છીએ કે, ‘મૈં ઇધર જાઉં, યા ઉધર જાઉં... ?’ એક સાથે ૩  ૪ કે તેથી વધુ ( જેવી જેની શક્તિ, ઈ!) માટે નિર્ણય લેવાનો હોય છે. બધાને અફ કોર્સ, આ જાહોજલાલી નથી મળતી. (કેટલાકને તો પરણ્યા પછી ય નથી મળતી, બોલો !) પુરૂષ હોય કે સ્ત્રી, પરિણિત હોય કે કુંવારા... એક સાથે નક્કી થઇ ગયા પછી બીજા બધા મારા માટે ભબાપ કે માંબેન બરોબર, એવું કોઇને થતું નથી. પર્મૅનૅન્ટ નહિ તો ટૅમ્પરરી, બીજામાં ધ્યાન અથવા ધ્યાનો ચોંટે તો છે જ. બધા આગળ નથી વધતા, એના કારણોમાં (૧) સંસ્કાર (૨) લાચારી (૩) અણઆવડત (૪) બજારમાં માલની અછત (૫) ડરપોક સ્વભાવ અને (૬) ઘરમાં સૌથી મોટો વાઈફનો (કે ગોરધનનો ડર...!)

આપણે આ તમામ મુદ્દાઓ તપાસીને, ભેગાભેગું તમારૂં ય કૅરેક્ટર જોઇ લઇએ.

(૧) સંસ્કાર : દોસ્તો સાથે કે ઈવન વાઈફની હાજરીમાં સુંદર સ્ત્રીઓ સામે ટગર ટગર જોઇએ કે મસ્ત મજાની ટીખળ કરીએ, એટલામાં સંસ્કાર ખરાબ થઇ જતા નથી, એવું માનનારો વર્ગ મોટો છે. એ લોકો એવું ય માને છે કે, આટલામાં કાંઇ બા ના ખીજાય, ને સાલાઓ સાચું માને છે . આટલામાં ખરેખર બા ના ખીજાય, પણ વાઈફોનું કાંઈ નક્કી નહિ. એ સાલી જાણતીઓ હોય કે, ઠીક છે, બે ઘડી આંખમટક્કા કરી લે, પણ મારો ગોરધન એવો નથી. અને ખરેખર પેલો એવો સીધો માણસ જ હોય. પણ,  એવા સીધાને જ એમની વાઈફો ટેન્શનમાં મૂકી દેવાની મજ્જા લેતી હોય છે. ‘‘કોણ હતી એ ?’’ પેલો નિર્દોષ જ હોય, એટલે ચોખ્ખો અને સંસ્કારી હોવાને નાતે ગામ આખામાંથી પુરાવાઓ લઇ આવે, એમ પેલીને મજ્જા પડતી જાય...! એક પછી એક પુરાવાઓ માંગતી જાય ને પેલો ગધેડો આપતો જાય.

માટે જ સંતશ્રી.અશોકજીએ કોક જનમમાં કીધું છે કે, પતિ બન્યા પછી ફક્ત સીધા હો, એ ન ચાલે... સ્માર્ટ પણ હોવું જોઇએ.

ઈતિ પ્રથમ અધ્યાય સમાપ્તમ !

(૨) લાચારી : કહે છે કે, સારા ઘરના સંસ્કારી પતિદેવો હૅન્ડસમ, ખૂબ ધનવાન અને સ્માર્ટ હોવા છતાં જીવનભર અન્ય સ્ત્રીઓનો વિચારમાત્ર કરતા નથી. ભક્તો, સંતશ્રી અશોકજી પોતાને બહુ પ્રામાણિકપ્રામાણિક કીધે રાખતા હોય, ભલે જીવનભર લાંચ લીધી ન હોય, પણ તો કસોટી તો ત્યારે થાય કે, જરૂરત બહુ બુલંદ પડી હોય, ઘરનું જ કોઇ હૉસ્પિટલમાં ખતરનાક રીતે બિમાર હોય, ખર્ચો તોતિંગ આવવાનો હોય ને ઘરમાં પૈસો ન હોય, ત્યારે કોઇ જંગી રકમની લાંચ આપવા આવે... છતાં સ્વીકારે નહી, તો પ્રામાણિક કહેવાય. બાકીના તો, ‘હાથ ન આયા, ખટ્ટા હૈ જેવો મામલો હોય. મોટા ભાગનાઓને તો લાંચ મળે, એવું ટૅબલ જ મળ્યું ન હોય ને પોતાને પ્રામાણિક કીધે રાખે, ઐ ન્યાય નથી, સંતો. એમ... પેલા સંસ્કારી ગોરધનને ધંધામાંથી ટાઇમો ન મળતા હોય, સ્ત્રીઓ સાથે ઇચ્છે તો ય કોઇ સંપર્ક ન હોય, એમાં એને એકપત્નીવ્રતધારી  ન કહેવાય.... મજબૂરીનું નામ મહાત્મા, ન ચાલે. બોલો જયઅંબે...! (આ વાંચતા વાંચતા તમામ નિર્દોષ પતિઓએ મોટેથી જય અંબે બોલવાનું છે. )

ઘણાના થોબડાના ઠેકાણા નહિ ને શુધ્ધ ચરીત્રના વાવટા લઇને ફરતા હોય. પ્લૅનમાં બાજુમાં બેઠો હોય ત્યારે આખું વિમાન ગંધાય, એટલી વાસ મોંઢામાંથી મારતી હોય ને નીચે ઉતરીને કહે, ‘‘ચરીત્ર આદમી કી સબ સે બડી પૂંજી હૈ ’’. ૫૫  મિનીટના પ્રવાસમાં મેં એક પણ વખત ઍરહૉસ્ટેસની સામે પણ નથી જોયું. આખિર, કૅરેક્ટર ભી કોઇ ચીજ હૈ...’’ તારી ભલી થાય ચમના... તેં ભલે ન જોયું, પણ પેલીને તારી બાજુમાં બેહાડી હોત તો, ઍર હૉસ્ટેસ છે, તો એને તો હક્ક મળે ચાલુ વિમાને દરવાજો ખોલવાનો..... સાલીએ એ દરવાજો ખોલાવીને ઉપરથી ભૂસકો માર્યો હોત.. અમથે અમથી  કૅરેક્ટરની ડાગલીઓ ના વગાડ, વાંદરા....! (વાંચકો, મારૂં ઝનૂન બરોબર છે ને...?) લાચારીથી તારૂં ચરીત્ર શુધ્ધ રહેતું હોય, એ સિધ્ધિ નથી.... સમજાવટ છે.

() અણઆવડત કેટલાક લોકોને મનમાં ફૂદુકફૂદુક બહુ થતું હોય, બૈરૂં જોયું નથી ને કમરેથી વાંકા વળવા માંડ્યા નથી! કોઇ એક (અથવા અનેક) આરાધ્યદેવી(ઓ)ને ધારી લઇને રાતોની રાતો પડખાં બદલે રાખતા હોય, પણ હાથમાં કાંઇ આવતું ન હોય. એમ તો ચેહરેમોહરે ભાઇ ઠીકઠીક હોય, ક્યાંક મહિલાઓને ય એ ગમતા હોય, પણ ભાઇમાં પાછો બીજો કોઇ શક્કરવાર ન મળે, એટલે મનડું મોહ્યું હોવા છતાં વાત માત્ર અણઆવડતના ધોરણે આગળ ન વધે. વાતવાતમાં બી એટલા જતા હોય કે, પેલી આમંત્રણના ભાવથી આની સામે સ્માઈલોના સ્માઈલો ઠોકે જતી હોય છતાં, ‘‘સામે આપણે શું કરવું?’’ એનો અંદાજ ન હોય, આવડત ન હોય. સ્માઈલના બદલામાં ભાઈ ગભરાઇ જતા હોય કે, ‘‘ આ કદાચ પેલાવાળું સ્માઈલ ન હોય તો?’’

આવી અણઆવડતોમાં ભઇના કૅરેક્ટરો સચવાઈ જાય છે.

(૪) બજારમાં માલની અછત પોતે ફીલ્ડમાં જ એવા પડ્યો હોય, જ્યાં દૂર દૂર સુધી કાંઈ દેખાતું જ ન હોય. મોરલો સોળે કળાએ ખીલી શકે એવો મોહક હોય, છતાં સામે કોઇ હોવું તો જોઈએ ને ?  જે દેખાતી હોય, એ ભાઇના ચોકઠાંમાં બરકરાર હોય કે, ‘‘કન્યા તો જ્ઞાતિની જ હોવી જોઇએ, ભણેલી, સુંદર, પૈસાવાળી અને સંસ્કારી હોવી જોઇએ.’’

હવે.... આવા ફૂલપૅકિંગનો માલ તો ચવાણાવાળાની દુકાનમાં ય મળતો નથી.... કાંઇક ઓછું કરી આલો’’ની રિક્વૅસ્ટ તો ગ્રાહક પોતે ય કરતો હોય છે. પણ ભાઈના પૂરા કમનસીબ કે, ઘરવાળા લીધી હઠ છોડે નહિ....! એક તો જ્ઞાતિ નાનકડીબબૂકડી, એમાં ધંધો પહેલો ને ભણતર ગયું એની બૉન... આઇ મીન, આમાંને આમાં ભાઇલાને ઉંમર ચઢતી જાય. ક્યાંય ડાળે વળગાય એવું ન રહ્યું હોય ત્યારે પેલાની ૩૨૩૫ વર્ષની ઉંમરે ઘરવાળા નાનકડી છૂટ મૂકે, ‘‘ચાલો, વધારે નહિ તો એમ.બી.એ. સુધી ભણેલી ચલાઇ લઇશું...!’’

આમાં ગગો રહી જાય કૂંવારો.

(૫) ડરપોક સ્વભાવપુરૂષ હોય કે સ્ત્રી, પરણેલા હોય કે કૂંવારા, શહેરોમાં એકબીજાને લુક્કાછુપી મળી શકાય, એવા સ્થળો જ ઠેઠ મુગલઆઝમના વખતથી મળતા નથી. સલીમઅનારકલીને ય કોક જોઇ જનારૂં હતું, એમાં બધો કબાડો થઇ ગયો, ત્યાં આ બિચારો સ્કૂટર પર ને પેલી ૩.૪૫ની વાસણાલાલ દરવાજાવાળી બસમાં બેસીને આવે, એમાં ચારે બાજુ મુગલઆઝમો જ પડ્યા હોય. ગાર્ડનમાં ભરબપોરે આવા તડકામાં ય લુખ્ખાઓ અને પોલીસો (બન્નેનો અર્થ એક ન સમજવો !) હેરાન કરવા આવે. બેસવા ન દે. કોઇ અંધારા ખૂણામાં બન્ને તૂટેલાઓ સ્કૂટર પાર્ક કરીને માંડ ગોઠવાયા હોય, ત્યાં પોલીસની જીપ આવીને ઊભી રહે. હોટેલના વૅઈટરો ય સમજી ગયા છે, એટલે ગમે તેટલી ટીપો ઍડવાન્સમાં આપો ને... દર ત્રીજી મિનીટે, ‘‘ઓર કુછ લાઉં, સાબ...?’’ની આજીજી સાથે ભિખારીઓની માફક આવે રાખે, એમાં પેલો બિચારો સૅટ જ ન થાય. આમાં ડરી ડરીને પેલો એવો ડરપોક બની ગયો હોય કે, એના ઑફિશિયલ હનીમૂન વખતે હજી તો માંડ ઘૂંઘટ ઊંચો કર્યો હોય, ત્યાં ય એ ફફડી જાય કે, કોઇ આવીને પૂછશે, ‘‘....ઓર કુછ લાઉં, સાબ....?’’

આવા જાતકોને એ પછી જેટલાં સંતાનો થાય એ બધા જન્મે ત્યારે બહાર પણ ફફડતાફફડતા જ આવે! કોઇ પંખો ચાલુ કરો.

(૬) ઘરમાં સૌથી મોટો વાઈફનો (કે ગોરધનનો) ડર....: આ વાત પરિણિતોને જ લાગુ પડે છે. દુનિયાભરના સ્ત્રીપુરૂષો માને છે કે, ‘મને પરણ્યા પછી મારૂં પાત્ર બીજે ક્યાંય ફરકવું જ ન જોઇએ. નૈતિક રીતે વાત બિલકુલ સાચી છે, પણ વ્યાવહારિક રીતે સહેજ પણ નહિ. એ વાત જુદી છે કે, ઉપર દર્શાવેલા કારણોસર ઘણા બધાના કૅરેક્ટર સચવાઇ જાય છે, બાકી મોકો મળે તો કોઇ ચૂકે એવા હોતા નથી. વળી, પરણ્યા પછીના પ્રેમો આયોજિત ન હોય. થતા થઇ જાય, પણ એકવાર થઇ ગયા પછી પરમેશ્વર સિવાય કોઇ બહાર કાઢી ન શકે. આની જાણ થતાં જ, ઝનૂની પતિદેવો કે પત્નીઓ પોતાના પાત્ર સાથે ગુસ્સો, મારપિટ, અબોલા, આપઘાત કે છુટાછેડા સુધી પહોંચી જાય છે, પણ આ બધામાં સહન તો એણે એકલાને જ કરવાનું છે. યસ. એ વાત પણ બિલકુલ સાચી કે, જ્યાં સુધી આવા પરણ્યા પછીના પ્રેમો કરવામાં વાઈફનો કે ગોરધનનો ડર રહે છે, એ સારૂં જ છે.... આ જ કારણે, ઘણા બધા ઘરોમાં શાંતિ જળવાઇ રહી છે, પણ.....

ઇશ્કેમિજાજી તો સ્વભાવમાં ન હોય, તો ભઈમાં પ્રોબ્લેમ સમજવો. બાકી નૉર્મલ સ્ત્રીપુરૂષ તો રંગીન હોવાના જ અને હોવા પણ જોઇએ. જે જાતકોને સંસારમાંથી રસ ઊડી ગયો હોય, એ લઘરાં જેવા રહેતા હોય, કપડાં ગમે તેવા પહેરતા હોય, ભૂંડાભૂખ જેવા લાગતા હોય તો ય માથે વાળ કાળા ન કરતા હોય, ને એવી સ્ત્રી માથામાં ચકાચક તેલો નાંખતી હોય. સ્વભાવે પણ આ લોકો ચીડિયા અને ગુસ્સેલ થઇ ગયા હોય.

બધી વાતનો સરવાળો એક જ સમજવો.... ઘર જેવી શાંતિ ક્યાંય નહિ. પરણ્યા હો છતાં પ્રેમ બીજે થઇ ગયો હોય, આપણા પતિ કે પત્ની જેટલી માનસિક શાંતિ બીજું કોઇ આપી શકવાનું નથી. એક સીધો જ હિસાબ છે. તમારી છેલ્લી ઘડીએ તમારી સેવા કરવા માટે તમારો પ્રેમી કે પ્રેમિકા નથી આવી શકવાના.... ત્યાં અંતિમ ક્ષણ સુધી પતિ કે પત્ની જ સાથે રહેશે....

(એ બધું તો બરોબર, દવે સાહેબ... પણ હાળું ઉપર જઇએ ત્યારે તમે કહો છો, તેમ આપણી સાથે ઘરવાળી કેમ નથી આવતી...?)

સિક્સર
કાર લઇને પ્રેમિકાને મળવા જનારાઓ ઓછા કેમ થઈ ગયા 
 હવે એ લોકો ટારઝન  ટારઝન રમે છે.... મોંઘા પેટ્રોલને બદલે દોરડે દોરડે મળવા જવું સસ્તું પડે!