Search This Blog

04/09/2016

ઍનકાઉન્ટર : 04/09/2016

* ઘણી જીંદગીઓ મેચિંગમાં જ પૂરી થઇ જાય છે. 'મેચ નથી થતું !' બહુ વાર સાંભળવા મળે છે. તમારે કેમનું છે ?
- હાઆઆ... ! વર્ષો પહેલા મારૂં નક્કી થતું'તું, એ ઘરમાં આ ઘુસપુસ-ઘુસપુસ સંભળાઈ હતી તો ખરી !
(કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

* તમારા સુખી લગ્નજીવનનું રહસ્ય... ?
 - 'પોતાની' પત્નીથી દબાઈ નહિ જવાનું !
(જયેશ અંતાણી, ભાવનગર)

* મને બમ્પ નડે છે. કોઈ ઉપાય ?
- આમાં તો કોઈ સારા ગાયનૅકની સલાહ જ લેવાય !
(રોહિત દરજી, હિંમતનગર)

* તમારી કૉલમનું નામ 'બુધવારની બપોરે' જ કેમ રાખ્યું ? સવાર કે સાંજ માટે કોઈ વાંધા હતા ?
- બપોરને કારણે જ મારી કૉલમો રાજકોટ-જામનગરમાં વધારે વંચાય છે ! સવાર-સાંજ તો એ લોકો ઊંઘમાં હોય !
(કાશ્મિરા ગણાત્રા, અમદાવાદ)

* આપણા દેશની હાલની રાજકીય પરિસ્થિતિમાં મોદીના વિરોધ સિવાય બીજું કાંઈ નહિ ?
- એમની સિધ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી ભાજપની છે.
(મધુકર મેહતા, ભાવનગર)

* દિલ્હીની ઑડ-ઇવન ફોર્મ્યુલા ગુજરાતમાં ચાલે ?
- હા, પણ રોજરોજ દિલ્હીથી ગાડીઓ અહીં બોલાવવી ને પાછી મોકલવી કેવી રીતે ફાવે ?
(સંદીપ ઝાલા, રાખેજ-ગીરસોમનાથ)

* અગાઉના મારા પાંચ સવાલો 'ઍનકાઉન્ટર'માં આવ્યા નથી. કોની બાધા રાખું ?
- તમારા સવાલો પચ્ચીસ વખત છપાઈ ચુક્યા હોય 'તો પણ,' દરેક સવાલ સાથે સરનામું અને મોબાઈલ નંબર લખવાના જ !
(જયેશ મુકુંદલાલ સંઘવી, અમદાવાદ)

* અમદાવાદની સરખામણીમાં ગાંધીનગર આટલું શાંત કેમ છે ?
- એની તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને ય ખબર નહિ હોય !
(રાહુલ દેસાઈ, પાટણ)

* કાળઝાળ ગરમીથી બચવાનો ઉપાય ?
- કોઇ પંખો ચાલુ કરો.
(પિયુષ પટેલ, માંડવી-સુરત)

* છાપું, કટાર અને જીભ... આ ત્રણમાંથી વધારે ધારદાર શું ?
- એ તો, રોજનું કામ કેટલું રહે છે, એની ઉપર આધાર છે !
(વર્ષા જે. સુથાર, પાલનપુર)

* તમે જામનગર ક્યારે આવશો ? મળવાની બહુ ઈચ્છા છે !
- માઉન્ટ ઍવરેસ્ટ પણ દુરથી જ રળિયામણો લાગે... !
(હેમાંગી કાકુ, જામનગર)

* તમારી ડીગ્રી સાચી છે કે ખોટી ?
- 'ઍનકાઉન્ટર' સાચું કે ખોટું ?
(પિનાક બામણીયા, વેરાવળ)

* એવો કયો પતિ હશે જે પત્નીથી ડરતો ન હોય ?
- ઓ ભ'ઇ... જે ગામ જવું નહિ, એની મ્હેલોને માથાકુટ...! શાંતિ ગમતી જ નથી તમને...?
(સૈયદ ફરહાઝ ઇબ્રાહિમભાઈ, ભાવનગર)

* 'હંસ મત પગલી... પ્યાર હો જાયેગા...!' તમે શું કહેશો ?
- હું તે કાંઈ પાગલ થઇ ગયો હોઉં કે કોઈ પગલીને પ્રેમ કરૂં...?
(હરેશ બી. લાલવાણી, વણાકબોરી)

* પિત્ઝા અને મૅગી વિશે તમે શું માનો છો ?
- બન્નેનો ભાવ પૂછ્યા પછી ઓર્ડર આપવો સારો !
(મૃત્યુંજયસિંહ પઢિયાર, દાંતા)

* તમને અમેરિકાના પ્રેસિડૅન્ટ બનાવીએ તો...?
- ધેટ્સ ફાઈન... ! એક કામ કરો. ઓબામા અને મોદી-બન્નેને મારા નારણપુરા મોકલો. અમે 'ચાય પે ચર્ચા' કરી લઈશું.
(પ્રણવ માંડલીયા, મુંબઇ)

* કોલમનું નામ 'ઍનકાઉન્ટર' કેમ રાખ્યું ?
- મને કોઈ સારા બસ્સો-ચારસો નામો લખી મોકલો ને... !
(ફૈઝ સૈયદ, પેટલાદ)

* મહાભારત કાળમાં દ્રૌપદી પાંચ કોસ દૂરથી આવતી, તો ય ઓળખાઈ જતી... ને આજની હીરોઇન ?
- ભાઈ ભીમ... તમે ચારે ય ભાઈઓ મારા સુધી એની થોડી સુગંધ તો આવવા દો, બાપા !
(મધુકર માંકડ, જામનગર)

* ટૂથપૅસ્ટમાં નમકની જેમ, શૅમ્પૂમાં દહીં હોવું જોઇએ કે નહિ ?
- એમ તો, સાયકલના ટાયરમાં ય ફૂલવડી નંખાય...!
(કિશન બદીયાણી, પોરબંદર)

* દીકરી વહાલનો દરિયો, તો દીકરો ?
- આ બધું અમારા સાહિત્યકારોનું પાગલપન છે. મા-બાપ માટે તો દીકરો ય વહાલનો દરિયો જ હોય.
(મયૂરી એ. રાઠોડ, પોરબંદર)

* 'કાગડા બધે કાળા' કહેવાય, તો 'બગલા બધે ધોળા' કેમ કહેવાતું નથી ?
- કાગડામાં પતી જતું હોય તો સારૂં... પછી બગલા સુધી તો ક્યાં એટલું લાંબું ખેંચવું?
(જીજ્ઞાાસા માંકડ, મુંબઇ)

* ટીવી આપણો પીછો ક્યારે છોડશે ?
- આપણો પીછો, ફ્રીજ, હિંચકો, સોફા કે બારીઓ કરતી હોય, એના કરતા ટીવી કરે એ વધુ સારૂં !
(અપર્ણા ભદ્રેશ દેસાઈ, નાલાસોપારા)

* 'આઈપીએલ' હવે પહેલા જેવી રહી નથી... સુઉં કિયો છો ?
-  ટીવીને બદલે ફરી પાછા પહેલાની જેમ વાનખેડે સ્ટેડિયમ જવાનું રાખો ને!
(મધુલતા માંકડ, મુંબઇ)

* આજકાલ સંબંધોમાં આત્મીયતાનું પ્રમાણ કેમ ઘટતું જાય છે ?
- કોક બડી ચોટ ખાધી લાગે છે, મારા શામળીયાએ...!
(દીપક પંડયા, નવસારી)

02/09/2016

'બેદર્દ ઝમાના ક્યા જાને ?' ('૫૯)

ફિલ્મ : 'બેદર્દ ઝમાના ક્યા જાને ?' ('૫૯)
નિર્માતા  :  સુભાષ દેસાઈ - મનમોહન દેસાઈ
દિગ્દર્શક  :  સુભાષ દેસાઈ
સંગીતકાર  :  કલ્યાણજી વીરજી
ગીતકાર  :   ભરત વ્યાસ
રનિંગ ટાઇમ  :  ૧૪ રીલ્સ
કલાકારો  :  અશોકકુમાર, નિરૂપા રૉય, પ્રાણ, જબિન જલિલ, સુદેશકુમાર, અમીરબાઈ કર્ણાટકી, શેખ, રત્નમાલા, હૅલન, ઇફ્તેખાર, માસ્ટર ચીકુ


ગીતો
૧. ટાઇટલ સોન્ગ મુહમ્મદ - રફી
૨. મૈં યહાં, તું કહા, મેરા દિલ તુઝે પુકારે - લતા- રફી
૩. દૂર કહીં તુ ચલ, દિલ રહા હૈ મચલ  - લતા- રફી
૪.  નૈના હૈ જાદુભરે, હો ગોરી તોરે - મૂકેશ
૫. કૈદ મેં હૈ બુલબુલ સૈયાદ મુસ્કુરાયે - લતા મંગેશકર
૬. ક્યૂં મિલે તુમ હમ, બેવફા ઓ સનમ - લતા રફી
૭. ઊંચી એડીવાલોંને કટેકટે બાલોં ને - ગીતા- રફી

મારા જામનગરમાં ત્યારે થિયેટરોનો દબદબો હતો. શહેર નાનું પણ ફિલ્મી જાહોજલાલી તગડી. વસ્તીના પ્રમાણમાં સિનેમાઘરોની સંખ્યા સારા પ્રમાણમાં. અનુપમ, જયશ્રી, દીપક, શત્રુશલ્ય, દિગ્વિજય... એકાદુ હજી રહી જતું હોય તો અહીં જગ્યા કરીને તમે લખી નાખજો.

આમે ય, આખા શહેર માટે (લાખોટા) તળાવની પાળ સિવાય ફરવાનું બીજું કોઈ સ્થળ પણ ન મળે. લોકોને નવરા પડે બીજે જાય ક્યાં, એટલે આટલા મોટા તળાવમાં આપઘાત કરવા આવનારા એસ.ટી.ની બસ પકડીને અમદાવાદ આવે, પણ લાખોટામાં ન ઝંપલાવે... તરત કોઈ બહાર કાઢી લે, કારણ કે આખું શહેર (અમારી ભાષામાં) તીયાંનું તીયાં ગુડાણું હોય !

સમર-વૅકેશનમાં મામાને ત્યાં અમે જઈએ. મારો કઝિન નીરૂ પણ ફિલ્મોનો શોખિન, એટલે આ વખતે દિગ્વિજયમાં અશોકકુમાર- પ્રાણની ફિલ્મ 'બેદર્દ ઝમાના ક્યા જાને' જોવા અમે બે ભાઈઓ ગયા. (એ વખતે જામનગરની ટૉકિઝોમાં ઇન્ટરવલ પછીના પિક્ચરની ટિકિટો બહાર આવેલા પ્રેક્ષકો વેચી દે- કિફાયતી ભાવમાં, પણ અમે આખી આખી ટિકિટો લઈને ગયા.

મારી ઉંમર ફક્ત સાત વર્ષની, એટલે અડધે સુધી તો વાંધો ન આવ્યો, પણ ઇન્ટરવલ પહેલાં હીરોઇન નિરૂપા રૉય આપઘાત કરવા રેલવેના પાટે પાટે ચાલતી હોય છે, તે મારાથી ન જોવાણું ! ને એમાં ય, કોક નાની બાળકી (જે મોટી થઈને જબિન જલિલ બને છે.) નિરૂપા રૉયથી પહેલા રેલની પટરીયાનું બુકિંગ કરાવીને બેઠી હોય છે. આ બાજુ ટ્રેન આવે છે ને ભાઆ'ય ભાઆ'ય મારાથી તો ન જોવાણું.

ધ્રૂસકે ધ્રૂસકે રડતો હું ચાલુ ફિલ્મે બહાર નીકળી ગયો. (સિનેમાની બહાર રેલવેના પાટા ન હોવાથી નીરૂને ધરપત હતી કે, અશોક (એટલે કે હું) નિરૂપાને પગલે તો નહિ જાઉં. 'એટલે કે હું' લખવાનું કારણ એ કે, ફિલ્મના હીરોનું નામ અશોકકુમાર હતું, ફિલ્મમાં પણ એનું નામ 'અશોક' હતું, એટલે દિગ્વિજય ટોકિઝની બહાર રડતો રડતો હું અશોક પાન હાઉસના ઓટલે બેસી રહ્યો. (આ બતાવે છે કે, સંસારનું છેલ્લું સર્વોત્તમ નામ બસ.. એ વખતે પડી ગયું એ પડી ગયું !)

ફિલ્મ જોઈને બહાર આવેલા નીરૂને મેં નીરૂભાભીના (આઇ મીન, નિરૂપા રૉયના) સમાચાર પૂછી લીધા કે, એ સલામત છે ને ? અમે લોકો લાગણીવાળા બહુ !...

બસ. એ પછી આ ગયા અઠવાડિયે આ ફિલ્મ મેં આખી મેં જોઈ.. એટલે કે ૫૬ વર્ષ પછી. ત્યારે રીયલાઇઝ થયું કે સાત તો સાત વર્ષની ઉંમરે ય ફાલતુ ફિલ્મો ઓળખતા મને કેવું આવડી ગયું હતું ! આમે ય, ફિલ્મ મનમોહન દેસાઈના ખાનદાનમાંથી આવતી હતી, એટલે મોટી અપેક્ષાઓ રાખવાની નહોતી.

વિધુર અને ધનવાન બૅરિસ્ટર અશોકકુમાર મુંબઈમાં એના એક પુત્ર અને સાળી (અમીરબાઈ કર્ણાટકી) સાથે વૈભવી જીવન જીવે છે. એક દિવસ પોતાની કારમાં ઘેર પાછા ફરતા એ રસ્તે રઝળતી વાર્તા જેવી કમલા (નિરૂપા રૉય) સાથે એક્સિડૅન્ટ કરી બેસે છે અને કમલા પોતાના ઘેર લાવે છે. પોતાના નાના બાળક રમેશ ને કમલા ગમી જવાથી અશોક કમલા સાથે લગ્ન કરી લે છે. થોડા વખતમાં કમલા ફરી પ્રેગનન્ટ બને છે.

શહેરનો ધનિક છતાં લુખ્ખો સફેદ ગુન્ડો પ્રાણ અશોકની સાળીને ફોડી લઈને સાળી દ્વારા નાના રમેશને ઝેર પીવડાવી દે છે અને ઇલ્ઝામ કમલા ઉપર આવતા અશોક તેને કાઢી મૂકે છે. પ્રાણે એક જમાનામાં નિરૂપા ઉપર બળાત્કારનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. કમલાને થયેલા પુત્રનો કબ્જો અશોક લઈ લે છે અને તેને મોહનને (સુદેશ કુમાર)ને નામે ઉછેરી એડવોકેટ બનાવે છે, જે કમલાની પાલક પુત્રી રાધા (જબિન જલિલ)ના પ્રેમમાં પડે છે. અલબત્ત, મોહનનું માંગુ લઈને અશોક કમલા પાસે જાય છે પછી ડ્રામાબાજી શરુ થાય છે ને ફિલ્મ સુખાન્ત સાથે સમાપ્ત થાય છે.

અશોકકુમાર જેવો ગ્રેટ એક્ટર આ ફિલ્મનો હીરો હોવા છતાં દિગ્દર્શક એમની પાસેથી એક્ટિંગના નામે કશું કઢાવી શક્યા નથી. સાવ સામાન્ય કિરદાર છે. દાદામોનીનો. એ જમાનામાં દાદા કાં તો શૂટ પહેરીને મકાનના ધાબેય ફરતા હોય ને કાં તો બુશશર્ટ પહેરીને. બુશશર્ટ એટલે ઇન્સર્ટ કર્યા વિનાનું ખૂલતું શર્ટ અને બાંયો ફિટોફીટ બીડેલી.

નિરૂપા રૉય એ જમાનામાં આમ તો ધાર્મિક ફિલ્મોની સતી હતી. કોક વાર હવાફેર માટે આવી સામાજિક ફિલ્મોમાં ય ચાન્સ મળી જતો. પણ ઘણી નબળી એક્ટ્રેસ ! રોના-ધોના તો એના ગોરધન પાસેથી શીખીને આવી હશે, એટલે એ તો એની લાઇફની છેલ્લી ફિલ્મ સુધી ચાલુ રાખ્યું. યસ. ફિલ્મમાં જોવો- સાંભળવો માણવો ગમે એવો પ્રાણ છે.

આખી ફિલ્મમાં એકનો એક શુટ પહેરી રાખતો હોય એવું લાગે.. પણ અશોકકુમાર આટલો નજીકનો દોસ્ત હોવા છતાં પ્રાણ શેના માટે એને બર્બાદ કરી નાખે છે એ ખબર પડતી નથી. અશોક પણ ભણેલોગણેલો બેરિસ્ટર હોવા છતાં ૨૫-૨૫ કે ૩૦- ૩૦ વર્ષ સુધી પ્રાણની નાલાયકીઓ સમજી ન શકે ? પ્રાણ એની ઉપર બળાત્કારની કોશિષ કરી ચૂકેલો હલકો માણસ છે, એવું નિરૂપા એના વરજી અશોકને કઈ કમાણી ઉપર કહેતી જ નથી ?

જબિન જલિલનું નામ આજની પેઢીએ ન સાંભળ્યું હોય, પણ સાઇડી તો સાઇડી... એના જમાનામાં એનું નામ નોંધપાત્ર હતું. દેખાવ કે સુંદરતામાં બેન માર ખાઈ ગયેલા, એટલે આમ તો સાઇડી તરીકે ય બહુ ન ચાલ્યા.

૧ એપ્રિલ, ૧૯૩૬ના રોજ દિલ્હીમાં જન્મેલી જબિન અશોક કાક નામના બિઝનેસમેનને પરણી છે અને એનો 'દ્વિજ' નામનો પુત્ર હિંદી ફિલ્મોમાં ૨૦૦૮માં આવેલી પહેલી ફિલ્મ 'પહેલી નજર કા પ્યાર'ના હીરો હતો. પર્સનલ લાઇફમાં આજે ય બહુ હસમુખી અને ખેલદિલ જબીનને પોતાના જમાનાની યાદો વાગોળવા પૂછ્યું તો હસતા હસતા કહે, 'ઐસા કુછ હૈ હી નહિ..

કોઈ યાદ કરને જૈસા હો તો મૈં બતાઉં...!' મનોજકુમાર સાથે શરુઆતની ફિલ્મોનો ઉલ્લેખ પૂછવામાં આવ્યો તો જબિન કહે, 'હાં... લેકીન ઉન કે ઇન્ટરવ્યૂ વગૈરહ મેં કભી વો મેરા જીક્ર તક નહિ કરતે... કરના ચાહિયે, ના ?'

હિંદુ સાથે લગ્ન કર્યા પછી જબિને પોતાનો ઇસ્લામ ચાલુ રાખ્યો, પણ એના કાશ્મીરી બ્રાહ્મણ પંડિત વરજી અશોક કાક પાસે તે મઝહબ બદલવાની માગણી કરી નથી. એ બન્નેનો દિકરો પણ હિંદુ ધર્મ પાળે છે. જબિન કહે છે, એ પોતે ધર્માંતરણની વિરુદ્ધ છે.

વિરોધની જ વાત નીકળી છે તો, આ ફિલ્મનો સૅકન્ડ હીરો સુદેશકુમાર રામ જાણે કેમ, પણ મને ક્યારેય ગમ્યો નથી. એણે ગમે તે ફિલ્મમાં રોલ કર્યો હોય, એક હીરો તરીકે મને એ સ્ત્રૈણ્ય વધારે લાગ્યો છે. ફિલ્મ 'સારંગા'ના મૂકેશના બે અદ્ભુત ગીતો એ લઈ ગયો હતો, એમાં મૂકેશ કરતા મારો જીવ વધારે બળ્યો હતો. સહેજ પણ જીવ ન બળે એવું કામ આ વખતે સંગીતકાર કલ્યાણજીએ કરી બતાવ્યું છે.

એવી ભાગ્યે જ ફિલ્મો એમની આવી છે જેમ સળંગ બધા ગીતો સુપરહીટ ગયા હોય. અહીં કેવી સુંદર અને કર્ણપ્રિય તરજો કલ્યાણજીભાઈએ બનાવી છે ! નવાઈ અથવા નવાઈ શબ્દો કાઢી નાખો 'વિક્રમ'ની વાત એ છે કે, મુહમ્મદ રફીએ ગાયેલા આ ફિલ્મના ટાઇટલ-સોન્ગમાં એક અજાણ્યો વિક્રમ બની ગયો છે.

કોઈ ગીતના પ્રારંભમાં હાઇ-પિચ (તારસપ્તક)માં સાખી ગવાય (જેમ કે અહીં રફીએ 'લકડી જલી કોયલા ભયી...' ગાયું છે.) એ ભારતભરના કોઈ પણ ગીતમાં એક જ સાખી હોય જેમ કે રફીના જ 'વતન પે જો ફીદા હોગા, અમર વો નૌજવાં હોગા...' ગીતના પ્રારંભે રફી 'હિમાલા કી બુલંદી સે, સુનો આવાઝ હૈ આઇ...' સાખી ગાય છે.

આ ફિલ્મનું ટાઇટલ સોન્ગ એકમાત્ર વિક્રમ છે જેમાં એક જ ગીતમાં ત્રણ ત્રણ સાખીઓ ગવાઈ છે. એ વખતે એકલા સંગીતકાર બનેલા કલ્યાણજીભાઈના નાનાભાઈ આણંદજી અહીં આસિસ્ટન્ટ છે અને એમની સાથે બીજા આસિસ્ટંટ છે, સંગીતકાર લક્ષ્મીકાંત (પ્યારેલાલ...વાળા) એ છાંટ તો તરત જોવા આઇ મીન... સાંભળવા મળી જાય છે, જ્યારે ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકના એક દ્રષ્યમાં જ્યારે જબિનને મુકવા સુદેશકુમાર આવે છે, ત્યારે મૅન્ડોલિન પર લક્ષ્મીકાંતનો એક ટુકડો 'નઝર ન લગ જાયે, કિસી કી રાહો મેં, છુપાકે રખ લું આ...'

એ વર્ષો પછી આવેલી માલા સિન્હા- વિશ્વજીતની ફિલ્મ 'નાઇટ ઇન લંડન'નું ટાઇટલ સોન્ગ બન્યું હતું. બીજી એક રૅરિટી એ પણ દેખાઈ કે, 'કલ્યાણજી- આણંદજીના સમગ્ર ગીતમાં તમને ગીતાદત્તનો કંઠ ભાગ્યે જ સાંભળવા મળે એ અહીં ઊંચી એડીવાલે ને કટે કટે બાલોં ને...' મુહમ્મદ રફી સાથે યુગલ- સ્વરમાં સાંભળવા મળે છે.

બાકી તો ગર્વ લેવા જેવું લાગતું હોય તો એ વાતે લઈ શકાય ખરું કે, આખી ફિલ્મ 'બેદર્દ જમાના ક્યા જાને ?' મોટા ભાગના ગુજરાતીઓથી બની છે. નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર, હીરોઇન... અને ફિલ્મના ટાઇટલ્સ વાંચો તો બીજા અનેક ગુજરાતી નામો મળે. (સૉરી... હું વળી રાજ ઠાકરેની માફક ગુજરાતી ફુજરાતીમાં ક્યાં પડયો... ? મારે ખરેખર તો ગૌરવ લેવડાવવું જોઈતું હતું આ બધામાંથી કેટલા બ્રાહ્મણો છે, પટેલો છે, જૈનો કે દલિતો છે... ગુજરાતી હોવાનું ગૌરવ... ?

સોરી, છૂટા નથી... આગળ જાઓ!