* આપણો દરેક સાઘુ-બાવો કરોડોપતિ છે... સુઉં કિયો છો?
- પૈસાનો મોહ ન હોત તો ભિખારી ન બનત?
(કે.એ. ઉપાઘ્યાય, સાવર-કુંડલા)
* ગુજરાતમાં ગણીને કોઈ ૪-૫ હાસ્યલેખકો છે. તમે બધા મળો ત્યારે વાતાવરણ હળવું ફૂલ રહેતું હશે ને?
- હાસ્યલેખકો એકબીજાને ડૉ. મનમોહનસિંઘ અને મુશર્રફ મળતા હોય, એવી નિખાલસતાથી મળે છે... (જો મળે તો!)
(વિનંતિ શ્યામરાવ ગોખલે, વડોદરા)
* ભ્રષ્ટાચાર નાબુદી અભિયાનમાં આપનો ફાળો કેટલો છે?
- ડૉ. મનમોહનસિંઘ જેટલો.
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)
* ડૉક્ટરો દર્દીઓનો ઈલાજ નૈતિકતાથી ક્યારે કરશે?
- ખૂબ હસવું આવે, એવી એક જૉકબુક વાંચો, ‘મૅડિકલ-ઍથિક્સ’.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)
* તમે કોઈની ખબર કાઢવા જાઓ, ત્યારે મોંઢું હસતું રાખો છો કે ઢીલું?
- ડ્યૂટી પરની નર્સ કેવી છે, એ જોયા પછી નિર્ણય લેવાય!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
* મને આપણા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ સંવેદનહીન રોબો જેવા લાગે છે...!
- તમે રોબો લોકોનું અપમાન કરી રહ્યા છો.
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)
* દુઃખને ભૂલવાનો સૌથી ઝડપી રસ્તો કયો?
- એકવાર બારણાંમાં આંગળી ભરાવી દેવી...!
(મયૂરી ભાવેશ વોરા, સુરેન્દ્રનગર)
* ...સપનામાં વાઇફ કેમ કદી આવતી નથી?
- એનો ટેસ્ટ ઊંચો હશે.
(અજય પી. પંચાસરા, રાજકોટ)
* લગ્નના ફેરા કેમ સાવ ધીમે ફેરવવામાં આવે છે?
- આમાં ‘વહેલો તે પહેલો’ના ધોરણે ૧૦૦ મી.ની દોડ લગાવવાની ના હોય.
(ધર્મેશ બી. વેકરીયા, વિસાવદર)
* ચાલુ સ્કૂટર પર ખભે મોબાઈલ દબાવીને વાતો કરનારાઓ માટે શું સજા હોય?
- પોલીસને પાવર્સ મળવા જોઈએ. રસ્તા વચ્ચે એને ઊભો રાખીને એક થપ્પડ ઝીંકી દેવી જોઈએ.
(જે.એમ. સોની, અમદાવાદ)
* ‘ગુજરાતનો નાથ’ નવલકથાના પાત્રો ‘કાક’ અને ‘મંજરી’ હતા, તેમ તમારા પાત્રો ‘હકી’, ‘ગોરધન’ અને ‘બા’ કહેવાય કે નહિ?
- એ તો હું, ‘નારણપુરાનો નાથ’ નવલકથા લખું, પછી ખબર પડે.
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)
* રખડતા કૂતરાંનો કોઇ ઈલાજ?
- પાછળ ભલે આ મોટાં બચકાં તોડી લે.... મૂંગા પશુઓની સેવા કરવી જ જોઈએ...!
(પૂર્વી એ. કોટેચા, પોરબંદર)
* નામ પૂનમ પાંડે, પણ વિચારો અમાસ જેવા કેમ?
- તમે નકોડો ખેંચી નાંખો.
(કનુ જે. પટેલ, સંધાણા)
* તમે કદી રાજકારણ કે ભ્રષ્ટાચાર વિશેના હાસ્યલેખો કેમ લખતા નથી?
- આ બન્ને ચીજો કુવામાં છે નહિ, એટલે હવાડામાં આવતી નથી.
(તિલોત્તમા બી. ગુણસાગર, વડોદરા)
* મારા ઘરમાં એકેય બારી નથી. વીજળીના ઉપયોગ વિના અમને હવા અને પ્રકાશ મળી રહે, એવો કોઈ ઉપાય ખરો?
- તમારે તો દરવાજાની ય જરૂર નથી.
(પ્રિતી મિસ્ત્રી, ભરૂચ)
* ‘ઍનકાઉન્ટર’ના જવાબો આપતા તકલીફ ક્યારે પડે?
- મારો જવાબ મને ન સમજાયો હોય ત્યારે.
(શીલા વિઠલાણી, અમદાવાદ)
* મારો સવાલ છે, ‘સાયન્સ એટલે શું?’
- વિજ્ઞાન.
(શ્રીની ઉપાઘ્યાય, અમદાવાદ)
* ભારત ક્રિકેટનો વર્લ્ડ-કપ જીતે તો નિર્વસ્ત્ર થવાની જાહેરાત કરનાર મૉડેલ પૂનમ પાંડે ફસકી કેમ ગઈ?
- ફસકી જ જાય ને? વળતા હૂમલા તરીકે પેલા ૧૧-જણાઓએ નિર્વસ્ત્ર થવાની ‘હા’ પાડી હતી.
(સુબોધ નાણાવટી, રાજકોટ)
* પુરૂષોમાં સ્ત્રી-સન્માનની ભાવના ઊંચી હોવાનું કારણ શું?
- પુરૂષો સ્ત્રીઓ કરતા એક-બે ઈંચ ઊંચા હોય છે માટે.
(સુમન વડુકૂળ, રાજકોટ)
* શ્રી મુકેશ અંબાણી હમણાં એકનું એક શર્ટ પહેરેલા દેખાય છે... શું કારણ હશે?
- સાવ ઉઘાડા તો સારા ન લાગે ને?
(રોમા પટેલ, નવસારી)
* હમણાં હમણાં મારી જમણી હથેળીમાં ચળ આવે છે, બીજી વારના હસ્તમેળાપ માટેની. શું કરૂં?
- તમારે કૌચાપાક ખાવાની જરૂર છે.
(નલિન એચ. ત્રિવેદી, રાજકોટ)
* સ્ત્રીઓ મહેનત કરે તો પણ શબ્દ ‘પુરૂષાર્થ’ વપરાય! આ કેવો ન્યાય?
- મારે હવે શબ્દકોષમાંથી ‘પુરૂષ’ નામનો શબ્દ જ કઢાવી નાંખવો છે. પુરૂષ માટે પણ હવે પછી ‘સ્ત્રી’ શબ્દ જ વાપરો. ‘રમેશ ક્યાં ગઈ હતી?’ ... પુરૂષ ક્યારે સ્ત્રી-સમોવડીયો બનશે?
(ભરત ડી. સાંખલા, ડીસા)
* મુંબઈની ફિલ્મોમાં કામ કરતા ગુજરાતી કલાકારો પોતાને ગુજરાતી તરીકે ઓળખાવતા શરમ કેમ આવે છે?
- ઇંગ્લૅન્ડ-અમેરિકામાં કેટલાકને પોતાને ભારતીય કહેવામાં શરમ આવે છે.
(શ્રીમતી સાધના નાણાવટી, જામનગર)
* તમારી લોકપ્રિયતા જોઈને મારો સુપુત્ર પણ હાસ્યલેખક બનવાની હઠ લઈને બેઠો છે. કેમ સમજાવવો?
- એને કાંઇ નહિ સમજાવવા માટે મારે તમને સમજાવાના રહ્યા!
(જયેશ અંતાણી, ભાવનગર)
* ચીજવસ્તુઓની વધી રહેલી કિંમત અને માણસની ઘટી રહેલી કિંમત! સમાજ ક્યાં જઈ રહ્યો છે?
- જેણે વિરોધ કરવો જોઈએ, એ ભાજપ પણ ચૂપ બેઠો છે, એમાં બઘું આવી ગયું ને?
(શીતલ મિસ્ત્રી, ભરૂચ)
* પાછલી ઉંમરે માણસો ધાર્મિક કેમ બની જાય છે?
- પ્રભુને મામુ બનાવવાની પ્રૅક્ટિસ.
(ચિરાગ કે. પટેલ, મધવાસ તા.લુણાવાડા)
No comments:
Post a Comment