Search This Blog

18/11/2016

મરીન ડ્રાઈવ (૧૯૫૫)

ફિલ્મ  :  મરીન ડ્રાઈવ (૧૯૫૫)
નિર્માતા-નિર્દેશક  :  જી.પી.સિપ્પી
સંગીત     :  એન.દત્તા
ગીતકારો     :  સાહિર-કમર
રનિંગ ટાઈમ  :  ૧૪ રીલ્સ
કલાકારો  :  બીના રૉય,અજીત, જ્હોની વૉકર, કે.એન.સિંઘ, મોહના, રાજેન કપૂર, ખટાના, હરિ શિવદાસાણી, ઉમાદેવી, નમક, ગુલાબ, બંસી, મુસા અને રૂપમાલા  :  મહેમાન કલાકારો  :  અનવર હુસેન અને વિજય લક્ષ્મી.


ગીતો
૧.    અજી હમ ઔર તુમ હો સાથ સાથ...    આશા ભોંસલે
૨.    મૈં હૂં ફુલઝડી, તૂ હૈ શોલા...    આશા ભોંસલે
૩.    અપને ખયાલોં કો સમઝા દીજીયે...    લતા મંગેશકર
૪.    અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં...    મુહમ્મદ રફી
૫.    મુહબ્બત યૂં ભી હોતી હૈ...    આશા ભોંસલે-મુહમ્મદ રફી
૬.    દિલ ભી મીટ જાયે તો ઉલ્ફત દિલ સે...    આશા ભોંસલે
૭.    રાત સુનસાન હૈ, જીંદગી વીરાન હૈ...    આશા ભોંસલે
૮.    કરમ કી ભીંખ માંગી, બતા અય આસમાં...    મુહમ્મદ રફી
ફક્ત પહેલા બે ગીત કમર જલાલાબાદી, બાકીના સાહિર લુધિયાનવી

જેણે સદીની સર્વોત્તમ સફળ ફિલ્મ 'શોલે' બનાવી, એ સિંધી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક જી.પી.સિપ્પી '૫૦ના દાયકામાં આ ફિલ્મ 'મરીન ડ્રાઈવ' દ્વારા પહેલી વાર ફિલ્મ નિર્માતા દિગ્દર્શક બન્યા.

આની તો વાર્તા ય એમણે લખી. સાચું સિંધી નામ અટક તો હતા, ગોપાલદાસ પરમાનંદ સિપહમલાણી... આ નામ છે કે નિબંધ એ લોકો સમજી નહિ શકે, એ માટે લોકકલ્યાણાર્થે આટલું લાંબુ નામ ટુંકાવીને એમણે 'જી.પી.સિપ્પી' કરી નાંખ્યું. નિર્માતા તરીકે સિપ્પીએ એ સમયમાં થોડીઘણી સફળ/નિષ્ફળ ફિલ્મો બનાવી હતી.

જેમાં 'સઝા' ('તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે'), 'મરિન ડ્રાઈવ', ગુરૂદત્તવાળી ૧૨ 'ક્લોક, ભાઈ-બહેન, મિ. ઇન્ડિયા (આઇ.એસ.જોહર), બંધન (રાજેશ ખન્ના) અને બ્રહ્મચારી (શમ્મી કપૂર) મેરે સનમ, અંદાઝ, સીતા ઔર ગીતા, શાન,સાગર અને શોલે પછી બધી વગેરે વગેરેમાં આવે !'

'મરિન ડ્રાઈવ'ની વાર્તા કંઇક આવી હતી  :

દુનિયાભરનો કાતિલ બદમાશ કે.એન.સિંઘ એના કરોડપતિ સગા ભાઈ હરિ શિવદાસાણીને અગાસીમાંથી નીચે ફેંકી એટલા માટે દે છે કે, હરિભાઈની દીકરી બીના રૉયને પ્રેમમાં ફસાવી સિંઘનો સાથી ગુંડો અજીત બીનાને મારી નાંખે. પ્રેમમાં તો બન્ને પડી જાય છે, પણ અહીં વળી સાચો પ્રેમ થઇ જાય છે. ગુસ્સે થયેલા સિંઘને એક બાજુ એના લેણદારો ઉઘરાણીઓ કરે રાખે ને બીજી બાજુ, એનો બીજો સાથી સેઠ કરોડીમલ (ખટાના) ફિલ્મ બનાવવાની પાછળ બર્બાદ થવા નીકળેલા જ્હૉની વૉકરને ફસાવીને રૂ. ૨૫ હજાર પડાવી લે છે, જે જ્હૉનીભાઈ ટુનટુનને પરણવાનું પ્રોમિસ આપીને એની પાસેથી પચીસ હજાર પડાવે છે. એક વાતની કોઈને સમજ ન પડે કે, કે.એન.સિંઘ એના આસિસ્ટન્ટ ગુંડા અજીતને હીરોઇન બીના રાયના પ્રેમમાં પડીને એનું ખૂન કરવાની છુટક મજૂરીનું કામ સોંપે છે. સમજ એ ન પડે કે, પેલીને મારી જ નાંખવી છે, તો હીરોને એના પ્રેમમાં પાડવાની જરૂર જ ક્યાં છે ? સિંઘની બદમાશ આસિસ્ટન્ટ મોહના લેવાદેવા વગરની ફિલ્મમાં ચક્કરો મારતી રહે છે, એ જ રીતે એ જમાનાના નામી કલાકારો વિજયલક્ષ્મી અને અનવર હુસેન પણ મેહમાન કલાકારો તરીકે કોઈ કારણ વિનાના આંટો મારી જાય છે. અજીતને બીના રૉય સાથે પ્રેમ કરતા આવડે છે પણ ગીત ગાતા નથી આવડતું, એટલે દારૂ પીધો ન હોવા છતાં, 'અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં...' નામનું ગીત વગર લથડીયે ખાય છે. એ સમયની મોટા ભાગની ફિલ્મોનું કથાનક ક્લબ, જુગાર, ગુંડા અને કાળા કોટ, કાળા ચશ્મા અને ઓવરકોટવાળા વિલનોથી બનેલી હોવાથી સિપ્પીએ આ યુનિફોર્મ કે.એન.સિંઘને પણ પહેરાવ્યો છે. કોમળ કળી જેવી બીના રોય સાથે પ્રેમદ્રષ્યોમાં મોના કે સાથ સોનાવાળો લોયન અજીત દેખાય એટલે, ફેરારી કારમાં પચ્ચા રૂપિયાનું પેટ્રોલ નંખાવવા આવ્યો હોય એવું લાગે ! બીના રૉય પાસે બીજો વિકલ્પે ન હતો કે, અજીતને છોડી બીજા કોઈ વટદાર હીરો સાથે કામ કરવા જાય.

બીના રૉય ઉર્ફે કૃષ્ણા સરિન પ્રેમનાથની પત્ની હતી, એ બીનાનું નહિ પણ પ્રેમનાથનું ક્વૉલિફિકેશન ચોક્કસ ગણાય. જન્મે અટક સરિન અને પરણી પ્રેમનાથ મલ્હોત્રાને, તો પછી વચમાં આ 'રૉય' અટક ક્યાંથી આવી ? ૧૩મી જુલાઈ, ૧૯૩૧ના રોજ પાકિસ્તાનના લાહૌરમાં એ જન્મી હતી (મૃત્યુ  :  ૬ ડિસેમ્બર, ૨૦૦૯ મુંબઇ) ફિલ્મો જોઇન કરવા માટે બીનાને મહાત્મા ગાંધીનો એક સિધ્ધાંત કામમાં આવ્યો, ભૂખ હડતાલનો. એના મમ્મી-પાપા ફિલ્મોની વિરૂધ્ધમાં હતા અને આ છોકરીને પોતાની સુંદરતા ઉપર પૂરો ગર્વ કે, હીરોઇન ન શું બનાય ? બનીને બતાવું ! એના જન્મ પછી કૌમી તોફાનોને કારણે પાકિસ્તાન છોડીને ભારતના કાનપુરમાં વસેલા બીનાના પરિવારે ઇન્કાર કરતા બીના ભૂખ હડતાલ પર ઉતરી ગઈ.જોવાની ખૂબી નહિ, ખામી એ છે કે, બીના રૉયે જેની સાથે પ્રેમમાં પડીને લગ્ન કર્યા તે પ્રેમનાથ સાથેની તેની બધી ફિલ્મો શગૂફા, બાદલ, ચંગેઝખાન, ઔરત અને ગોલકોંડા કા કૈદી ટિકીટબારી ઉપર બુરી રીતે પિટાઈ ગઈપણ પ્રદીપકુમાર સાથેની ત્રણ ફિલ્મો અનારકલી, તાજમહલ અને ઘુંઘટ સુપરહિટ થઇ, જેમાં ઘૂંઘટ માટે તો તેને બેસ્ટ ઍકટ્રેસનો ફિલ્મફૅર એવોર્ડ પણ મળ્યો. દુ:ખ ગણવું હોય તો એ વાતનું ગણી શકાય કે, ૧૯૬૦ની ફિલ્મો માટે બીના રૉયને ફિલ્મ 'ઘૂંઘટ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો પણ સાચું પૂછો તો આ ઍવોર્ડ ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ની અનારકલી એટલે કે મધુબાલાને મળવો જોઇતો હતો.

થોડા ઊંચા ય થઇ જવાય, અભિનેત્રી શ્યામાની એ વાત સાંભળીને કે, ભલે લોકો મધુબાલાને સર્વોત્તમ સુંદરી કહેતા હોય, પણ મારી જેમ મારા સમયની અનેક અભિનેત્રીઓ બીના રૉયને સંપૂર્ણ સુંદર સ્ત્રી ગણાવી છે. એ વાતે ય માન્ય રાખીએ, તો હજી એક આ ઘાત લાગવાનો બાકી છે. એ વખતે 'ફિલ્મફેર' જેવા કોઈ મૅગેઝિને એ સમયની સૌથી સુંદર અભિનેત્રીની પસંદગી કરવા માટે વાચકો પાસે મત મંગાવ્યા હતા. નવાઈ લાગી શકે પણ વાચકોએ મધુબાલા, વૈજયંતિમાલા, નરગીસ, માલા સિન્હા, નિમ્મી, બેગમ પારા, નિગાર સુલતાના, નૂતન કે આશા પારેખને બાજુ પર મુકીને નલિની જયવંતને સર્વોત્તમ સુંદરી જાહેર કરી હતી. ... વાચક તરીકે આપણે તો એટલું જાણીએ કે, આપણને તો ત્રણેય પસંદ હતી. કોઈ ઝગડો ન જોઇએ !

થોડું વધુ ખેંચ્યું હોત તો મોટા ભાગની ફિલ્મોમાં પોલીસ-ઇન્સ્પૅકટરના રોલ કરીને ગીનેસ બૂક ઓફ રેકોર્ડર્સમાં નામ અંકિત કરાવનાર જગદિશરાજનો રૅકોર્ડ રાજન કપૂર નામના કલાકારે તોડયો હોત. એ સમયની મોટા ભાગની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં આ રાજન કપૂર યા તો પોલીસવાળો બન્યો હોય ને યા તો ગુંડો ! ફિલ્મવાળાઓને પોલીસ કરતા ગુંડા મવાલીઓની વધારે જરૂરત હોવાથી રાજન પાસે ગુંડાના રોલ વધુ આવવા મંડયા એમાં એ રેકોર્ડ કરી ન શક્યો.

અજીત (જન્મ તા. ૨૭ જાન્યુઆરી, ૧૯૨૨  :  ગોલકોન્ડા - મૃત્યુ તા. ૨૨ ઓક્ટોબર, ૧૯૯૮) ફિલ્મોમાં આવ્યો ત્યારે પોતાના અસલી નામ હમીદઅલી ખાનથી ઓળખાતો હતો. હીરોમાંથી વિલન બનેલા અજીતે પહેલા લગ્ન ફ્રેન્ચ છોકરી ગ્વૅન ડી'મોન્ટી સાથે કર્યા હતા, પણ તેનાથી કોઈ સંતાન ન હોવાથી બીજા લગ્ન શાહિદાઅલી ખાન સાથે કર્યા (જે ઇ.સ. ૨૦૧૨માં મૃત્યુ પામ્યા) અને એના ત્રણ પુત્રો શાહિદ, શેહઝાદ અને અરબાઝઅલી ખાન છે.

કે.એન.સિંઘની સાઇડકિક બનતી ઍકટ્રેસ મોહના એ સમયની ઘણી ફિલ્મોમાં આવો જ બિંદુ જેવો રોલ કરતી. ડાયરેકટર એને સિગારેટ પીવા આપે ખરા, પણ બેનને સિગારેટ પકડતા ય આવડે નહિ, એ દેખાઈ જાય. કે.એન.સિંઘે ફિલ્મી પરદા ઉપર બધું મળીને જેટલી સિગારેટો પધી હશે, એ ન પીધી હોત તો, એટલા જ પૈસામાંથી મુંબઇનો એ જ મરિન ડ્રાઇવ વિસ્તાર આખેઆખો ખરીદી શક્યો હોત ! એક વાર તો ભર એપ્રિલ મહિનામાં મુંબઇનું આકાશ વાદળોથી ભરાઈ ગયું હતું ને લોકો સમજ્યા કે, 'એપ્રિલમાં વરસાદ...???' પછી ખબર પડી કે, સિંઘ સાહેબ શૂટિંગ કરી રહ્યા છે.

એ જે હોય તે, એ વાત ક્લિયર છે કે, એ જમાનાની ફિલ્મોમાં કોઈ ક્લબ-હોટેલનો બોસ કે.એન.સિંઘ પરફૅક્ટ લાગતો. સરસ મઝાના સ્ટિચ કરેલા શૂટ અને બો-ટાઈવાળા સફેદ શર્ટ ઉપરાંત ક્યારેય સખણી ન રહેતી અને છટપટી આંખો દર્શકોમાં ધાર્યો ખૌફ પેદા કરી શક્તી. એ સિગારેટના ગૂંચળા કાઢે જાય, ને સિનેમામાં બેઠા દાઝો આપણને ચઢતી જાય ! કે.એલ.સાયગલની ફિલ્મોમાં કામ કરી જનાર આ ચરીત્ર અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો જીગરી દોસ્ત હતો. બન્ને માટુંગાના કિંગસર્કલ વિસ્તારમાં સાથે રહેતા.

સાહિર લુધિયાનવીના કેસમાં તો એવું જવલ્લે જ બન્યું છે કે, જે ફિલ્મનો ગીતકાર એ હોય ત્યાં બીજા કોઇને આવવા ન દે, પણ અહીં કમર જલાલાબાદીને બે ગીતો મળ્યા છે. નામ પરથી મુસ્લિમ શાયર હોવાનું લાગે પણ કમર જલાલાબાદીનું સાચું નામ ઓમપ્રકાશ ભંડારી હતું. સાહિર સાથે હોવાનું કમરને તો નુકસાન જ થયું છે કે, આશા ભોંસલેએ ગાયેલા આ ફિલમના પહેલા કેબરે-સોંગના વાહિયાત શબ્દો વાંચો  :  'અજી તુમ ઔર હમ, હો સાથ સાથ ઔર મસ્ત રાત, દુનિયા કો માર દો બમ...' તારી ભલી થાય ચમના... પેલા બન્ને રાતભર સાથે રહે, એમાં આખી દુનિયાને બોમ્બથી ઉડાવી દેવાનો તને ખ્યાલ શેનો આવ્યો ? ફિલ્મમાં તો આ ડાન્સ હૅલન કે કક્કુ-બક્કુ નહિ, રૂપમાલા કરે છે. આ એ જમાનો હતો જ્યારે મોટા ભાગના ક્લબ-સોંગ્સ ગીતા દત્તને ગાવા મળતા. પણ એક વાર આશા ભોંસલે આવી, એવી જ છવાઈ ગઈ ને ગીતાના બધા ક્લબ-સોંગ્સ આશા લઇ ગઇ ! અલબત્તકમર જલાલાબાદી અંગત જીતનમાં... યાદ હોય તો એક જમાનામાં મહર્ષિ મહેશયોગીનું Transendental Meditation વિશ્વભરમાં વિખ્યાત થયું હતુ, તેના એ પ્રખર હિમાયતી હતા. આ લાગણીસભર શાયરની સગી બેનને લગ્નજીવનનું કોઈ દુ:ખ હશે, તો મુંબઇના ખારમાં પોતાનો આખો બંગલો બેનને ભેટ આપીને પોતે પત્ની લીલાવતી અને સાત દીકરીઓને લઇને જુહુમાં અત્યંત સાદા મકાનમાં રહેવા જતા રહ્યા.

ફિલ્મના સંગીતકાર એન.દત્તા ઉપર ચોક્કસ દયા ઉપજે. ખૂબ સારો સંગીતકાર અને એના ગોડાઉનમાં એક પછી એક ચઢે એવી કેવી સૂરિલી ફિલ્મો, છતાં ફિલ્મોમાં ચાર પૈસા ય ન કમાયા અને ગરીબીમાં ગુજરી ગયા ! દેવ આનંદની ફિલ્મ 'મિલાપ'માં પહેલી વાર સંગીત આપનાર ગોવાના આ સંગીતકાર દત્તા નાઇક (ગુજરાતી 'નાયકો'... 'નાઇક' છે... નાઇકો અને નાયકો જુદા ! અલબત્ત, બન્નેનો અર્થ તો એ જ થાય  :  લીડર) 'મિલાપ'માં હેમંત-ગીતાનું 'યે બહારોં કા સમા,ચાંદ તારોં કા સમા, ખો ન જાયે' જામ્યું, એમાં આજની આ ફિલ્મ 'મરિન ડ્રાઈવ' મળી. આખી ફિલ્મમાંથી એક મુહમ્મદ રફીનું જ ગીત, 'અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં' કેવળ રફીના જીગરી ચાહકો પૂરતું ઉપડયું, પણ એટલું નહિ, જેટલું ફિલ્મ 'ચંદ્રકાંતા'નું, 'મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, મુઝકો રાતોં કી સિયાહી કે સિવા કુછ ના મિલા...' ઉપડયું. એક ગુન્હો માફ થાય એવો નથી દત્તા નાઇકનો કે ફિલ્મ 'મોહિની' ('૫૭)માં 'ક્યા ક્યા ન સહે તુમને સિતમ મહેલોં કી રાની...' ઉપરથી બેઠ્ઠી પોતાની જ ચોરી કરીને એક્ઝેક્ટ એ જ ગીત ફિલ્મ 'ધૂલ કા ફૂલ'માં, 'તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા...' બનાવ્યું, તો સાથે સાથે રફી-લતાનું એક ડયૂઍટ 'મૈં તુમ્હી સેપૂછતી હૂં, મુઝે તુમસે એ પ્યાર ક્યૂં હૈ' પણ દત્તાએ જ ફિલ્મ 'બ્લેક કૅટ' માટે બનાવ્યું, જે ફિલ્મના પરદા ઉપર મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ હીરો બલરાજ સાહની માટે ગાય છે. દત્તાના અન્ય તો અનેક કમ્પોઝીશન્સ સર આંખો પર, પણ આમ મહેન્દ્ર કપૂરનો કોઈ ભાવ પણ ન પૂછે, પરંતુ યશ ચોપરાની ફિલ્મ 'ધર્મપુત્ર'માં શશી કપૂર ઉપર ફિલ્માયેલા બે ગીતો મહેન્દ્ર કપૂરે લાઈફ-ટાઈમ બેસ્ટ ગાઈ નાંખ્યા છે, 'ભૂલ સક્તા હૈ ભલા કૌન યે પ્યારી આંખે' અને 'આજ કી રાત નહિ શિકવે શિકાયત કે લિયે' ઍટ લીસ્ટ, મારા તો બહુ ફૅવરિટ છે. કિશોર કુમાર-આશા ભોંસલેનું ફિલ્મ 'જાલસાઝ'માં 'પ્યાર કા જહાં હો, છોટા સા મકાં હો, જીસમેં રહે હમ...' મધુરૂં છે. ગોવાએ અદ્ભુત સંગીતકારો આપ્યા છે, દત્તારામ (શંકર-જયકિશન ફૅઇમ) ઍન્થની ગોન્સાલવીસ, રોબર્ટ કોરીયો અને કેટલા બધા ! એમાંના એક આ એન.દત્તા પણ ગરીબી અને પાઈપાઈના મોહતાજ થઇને ગુજરી ગયા.

એક અચરજ કરવું હોય તો થાય એવું છે કે, વિશ્વવિખ્યાત ફીલહાર્મોનિક ઓરકેસ્ટ્રા સંચાલક રિચર્ડ વાગ્નરની ધૂનોની એન.દત્તાએ આ ફિલ્મમાં સીધી ઉઠાંતરી કરી છે... પોતાનું કાંઈ પણ ઉમેર્યા વગર !

ફિલ્મ કે.એન.સિંઘનો એક મળતીયો લાલા કિરોડીમલ આવે છે, એને ઇન્ટરનૅટવાળાઓ પણ ફિલ્મ શ્રી ૪૨૦નો સેઠ નેમો સમજી બેઠા છે, હકીકતમાં એ જાડીયો 'કઠાના' છે. ઘણી ફિલ્મોના ટાઈટલ્સમાં એનું નામ 'ખટાના' પણ લખાય છે. મોટા ભાગે મારવાડી કંજૂસ સેઠીયાના રોલમાં એ હોય !

ઘણી મહેનત અને લાંબા વિચારો કર્યા પછી એ નક્કી થઇ શક્તું નથી કે, આ ફિલ્મ 'મરીન ડ્રાઈવ' જોવા માટે તમને કયા ગ્રાઉન્ડ ઉપર ભલામણ કરવી ?

16/11/2016

હું, ગાંધીજી અને મુગલ-એ-આઝમ

એક પુસ્તક તરીકે મેં મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' મિનિમમ ૧૨-૧૩ વખત વાંચ્યું છે અને હજી સમય મળે, ત્યારે એ જ વાંચતો રહું છું. મને કાંઇ સમજણ પડતી નથી, માટે વારંવાર વાંચવું પડે છે, એવું નથી પણ જેટલી પડે છે, એમાં આનાથી વધુ અસરદાર પુસ્તક વિશ્વમાં બીજું કોઇ હોઇ શકે નહિ, એવી મારી માન્યતા દ્રઢ થતી જાય છે.

બાપુની આત્મકથા વધુ ને વધુ ગમવાનું બીજું કારણ એ પણ છે કે, બદલાતી ઉંમરોએ ફરી વાર વાંચતો જઉં છુ, એમ દર વખતે નવા અર્થઘટનો મળે છે અને આવું સુંદર પુસ્તક પસંદ કરવા બદલ હું પોતે ય 'અશોક દવે'નો ચાહક બની ગયો છું. (આ આજ સુધી, હું મારી જાતને લેખક તરીકે જ ઉમદા માનતો હતો...!)

મારા માટે, આમાં બીજી રીતે જોવા જઇએ તો ફિલ્મ 'મુગલ-એ-આઝમ' જેવું છે. આ ફિલ્મ પહેલી વાર ઇ.સ. ૧૯૬૦માં અમદાવાદમાં રીલિઝ થઇ (કૃષ્ણ અને નોવેલ્ટીમાં, એક સાથે) ત્યારે મારી ઉંમર ૮ વર્ષની હતી, એ વખતે પપ્પાનો તમાચો ખાધા પછી જોઇ તો ખરી, પણ તો ય મને ખૂબ ગમી ગયેલી. (તમારા મધુભાભીની વાત નથી. એની વાત આ ચૅપ્ટરમાં નહિ આવે... અત્યારે સારી વાતો ચાલી રહી છે, પ્રેમલા-પ્રેમલીની નહિ!) મુહબ્બતને ખાતર શાહજાદા સલીમને તોપના ગોળાથી ઊડાડી દેવાનો હૂકમ શહેનશાહ અકબર આપે છે, એ મને બહુ ગમી ગયું અને હવે પછી મરવું તો કોઇ રીક્ષાની ટક્કર-બક્કરથી નહિ પણ સલિમની માફક તોપના ભડાકે મરવું, એવા વીરતાભર્યા વિચારો આવતા હતા. પણ એ વાતમાં ઝાઝો મેળ પડયો નહતો.

સલિમનો પ્રોબ્લેમ એ હતો કે શહેનશાહ-એટલે કે, એના ફાધર એને અનારકલી સાથે પરણવા દેતા નહોતા ને પરણવાની હઠ કરી તો સીધો તોપના નાળચે ઊભો કરી દીધો હતો. મારે સાવ સલિમ જેવું નહોતું. સલિમ મારા કરતા વધારે દુ:ખી હતો. (અહીંના કર્યા અહીં જ ભોગવવાના હોય છે!) મારા ફાધર તો હું જે કોઇ અનારકલી કે કોઇ બી કલી લઇ આવું, એની સાથે પરણાવી દેવા તૈયાર હતા. મારા માટે એમણે કોઇ જ્ઞાતિ બાધ નહતો રાખ્યો... સ્ત્રી મનુષ્ય જાતિની જોઇએ, એટલી પૂર્વશરત એમણે રાખી હતી.

(
એમાં ય ક્યાં કોઇ મળતું'તું?.... કોઇ પંખો ચાલુ કરો!) મને યાદ છે, 'મુગલ-એ-આઝમ'માં સલિમ અનારકલીના મોંઢા ઉપર કબુતરનું પીંછું ફેરવે છે ને પેલી હસીહસીને ગલીપચીથી વાંકી વળી જવાને બદલે કમરનો દુખાવો થયો હોય એવી આડી પડી રહે છે, પણ મને એ હરગીઝ યાદ નથી કે મારા લગ્નના ૪૦-૪૦ વર્ષોમાં વાઇફે એકે ય વાર એના કે કોઇના બી મોંઢા ઉપર આવા પીંછા ફેરવવા દીધા હોય! આમાં આશાસ્પદ માણસો ક્યાંથી આગળ આવે?... હા, કોઇ એનાં મોંઢે  પીંછું ફેરવી ગયું હોય તો મને ખબર નથી!.

એ પછી મારી ઉંમર વધતી ગઇ અને રીપિટમાં આ ફિલ્મ જેટલી વાર આવે, એટલી વાર જોતો રહું, એમાં ય ઓછામાં ઓછી અત્યાર સુધીમાં ૨૦-૨૨ વખત જોવાઇ ગઇ છે... (ડીવીડી પર તો જોવી હોય એટલી વાર જોવાય ને?)

આ બન્ને મહાન ચીજો જેટલી વાર વાંચતો-જોતો ગયો છું, એટલી વાર મને નવા નવા અર્થઘટનો મળે ગયા છે. પહેલા જે જોયું-વાંચ્યું હોય, એ કદાચ બરોબર હોય તો પણ નવેસરથી જોવા-વાંચવામાં નવા અને અદભૂત અર્થઘટનો મળે.''ઓહ હો... આમાં તો આમ હતું... લે!'' કોઇ ફિલ્મ કે કોઇ પુસ્તક, હજી સુધી તો આ બન્ને કૃતિઓથી મહાન મને લાગ્યા જ નથી.

એમાં બાપુની આત્મકથા હમણાં ફરીથી વાંચતા નવું પણ ખતરનાક અર્થઘટન મળ્યું. વાત બાપુની હોય, એટલે જીવનમાં ઉતારવી તો પડે જ! મેં ય પ્રયત્નો કર્યા....

હતું એવું કે, નાનપણમાં બાપુ એક ચુસ્ત વૈષ્ણવધર્મી હોવા છતાં દોસ્તોના ચઢાવવાથી (કે, માંસ ખાવાથી મજબુત બનાય છે અને પૌરૂષત્વ આવે છે), બાપુ માંસ ખાવાના રવાડે ચઢી ગયા.

બાપુએ કન્ટ્રોલ તો ખૂબ રાખ્યો, છતાં ક્યાંક ભરાઇ પડયા અને હા-ના હા-ના કરતા આખરે મટન ખાવા તૈયાર થઇ ગયા અને ખાધું પણ ખરૂં. જ્ઞાતિમાંથી બહાર મૂકાવા ઉપરાંત ઘેર મા-બાપના હૈયાં કેવા કચવાતા હશે, એનો ડર છતાં બાપુએ છાનુંમાનું પણ માંસ ખાવાનું ચાલુ રાખ્યું. ભાવતું તો નહોતું, પણ શરીરને મજબુત બનાવવા આ એમને જરૂરી લાગ્યું!

હું તો બાપુનો પૂરો ભક્ત. એ કરે એ મારે કરવા જોઇએ જ... પણ એમના જેવી તાકાત તો જગતના કોઇ પુરૂષમાં નહોતી, ત્યાં હું તો એક સામાન્ય બાળક! (અત્યારની નહિ... પહેલાની વાત થાય છે! આઇ મીન, અત્યારની ગણો તો ય મારી બુધ્ધિપ્રતિભા વિશે તમારો મત બદલાય એવું લાગતું નથી!)

હું બ્રાહ્મણનો દીકરો એટલે માંસ-મચ્છીની લારી સામે ય ન જોવાય, સૂગ ચઢે એ જુદું! બાપુએ ક્યારેક ખાઇ લીધું હતું, એટલે મારે ય માંસ ખાવું, એવું તે કાંઇ ન હોય ને ? આપણે એમનું સારૂં લક્ષણ જોવું.

આરોગ્યશાસ્ત્રમાં દરેક દુષણના વિકલ્પો આપ્યા છે. હું માંસ-મચ્છી ભલે ન ખાઇ શકું, પણ શરાબમાં શો વાંધો ? શરાબ માંસ જેવી ખતરનાક નથી, એ પાછો હું જાણું અને દુષણ તો દુષણ, મહાત્મા ગાંધીએ પણ પ્રયોગ ખાતર એક દુષણ હાથમાં લીધું હતું, એટલે મને ય વાંધો નહિ આવે.

પણ ગુજરાતમાં રહીએ એટલે દારૂ તો ફોટામાં ય જોવા ન મળે. કહે છે કે, કોક પોલીસવાળો ઓળખીતો હોય તો એના ઘેરથી એકાદ બૉટલ મળી રહે... વ્યાજબી ભાવે!  પણ પોલીસના ગળામાં ઘંટ બાંધવા જાય કોણ? પૂછવું કેવી રીતે કે, ''જમાદાર... કોઇ વ્હિસ્કી-બિસ્કી પડી છે?'' શરૂઆતથી જ મારા લક્ષણ સારા નહિ, એટલે કોઇ બુટલેગરને ઓળખું પણ નહિ,

એટલે બૉટલ લાવવી ક્યાંથીવળી, મારે કેવળ શરાબ પીવાની નહોતી, એ પીવા પાછળ મારો હેતુ પણ જનતાને જાહેર કરવાનો હતો કે, એવું તે શું દુ:ખ આવી પડયું કે, મારે શરાબને સહારે જવું પડયું? શું પ્રેમમાં મને કોઇ પ્રેમિકાએ (એક અથવા એકના ગુણાંકમાં) દગો કર્યો હતો? શું મારૂં ફૅમિલી દેવાના ડૂંગર નીચે દબાઇ ગયું હતું? શું હું ખરાબ દોસ્તોની સોબતે ચઢી ગયો હતો? શું હું ક્યારેય મટી ન શકે એવા કોઇ  રોગથી પીડાતો હતો?

તારી ભલી થાય ચમના... એવા કોઇ કારણો નહોતા, છતાં જાલીમ જમાનો કાલ ઊઠીને જવાબ માંગે તો કંઇક તો કહેવું ને? એટલે જવાબો તૈયાર રાખ્યા કે, મારે શરદીનો કોઠો રહે છે, એટલે ડૉક્ટરે થોડી થોડી બ્રાન્ડી લેવાનું કીધું છે! ખાલી બૉટલને ગળાથી પકડીને મોંઢું લૂછતાં લૂછતાં 'ગાંવવાલો'ને વાંકા પગે ઊભા ઊભા કહેવાનું હતું કે, પતંજલીનો કોઇ સીરપ કે મિનિસ્ટ્રોન સુપ-બુપ પીવાને બદલે શા માટે હું શરાબના સહારે ચઢી ગયો! થોડી વધુ રાહ જોઇ હોય તો પતંજલી-દેસી ય મળી જાત (એટલે કે, દેસી છાશ!)

માણસ દુ:ખમાં આવી પડે ત્યારે કપાળ ઉપર હાથનું ઊંધું કાંડુ અડાડીને દુ:ખદ ચેહરે બારણાને અડીને ઊભો રહી જતો નથી કે નથી કાળા રબ્બરનું ટાયર ચાવવા માંડતો, પણ હાથના એજ ઊંધા કાંડા વડે નીચલો હોઠ લૂછતા લૂછતા દારૂ પીવા માંડે છે. આની પાછળ કોઇ લૉજીક-ફૉજીક નથી કે, દુ:ખમાં દારૂ જ કેમ ને ગંઠોડાનો રસ કેમ નહિ? પત્ની રિસાઇને જતી રહી હોય તો, પહેલા તો એ દુ:ખ કહેવાય કે છુટકારો, એ આપણી ચર્ચાનો વિષય નથી,

છતાં જો એને દુ:ખ કહેવાતું હોય તો એનો ગોરધન ગ્લુકોઝની માફક દારૂના બાટલા ચઢાવવા માંડે, એના કરતા અઢીસો ઉઠબેસ કે પચાસ સૂર્યનમસ્કારો કેમ ન કરી શકે? પૂરજોશ ઝનૂની ગુસ્સો આવ્યો હોય તો શરાબના સહારે જવાને બદલે શા માટે વાઇફની જ કોઇ સુંદર સખી પાસે જઇને, એના ખભે માથું મૂકીને આપણી યાતનાઓ ન વર્ણવવી? દારૂ તો મોંઘો કેટલો છે, એ ખબર પડે છે? આ તો એક વાત થાય છે!

'
મુગલ-એ-આઝમ' ૨૫-૨૬ વાર જોઇ લીધા પછી બોધ લીધો કે, પ્યાર કર્યા પછી ડરવાનું હોતું નથી. પ્યાર કરવો કોઇ ચોરી નથી અને કોઇ બંધ દુકાનની પછવાડે જઇને નિ:સાસા નાંખવા નહિ, સિવાય કે આપણા ફાધર પેલીને જીવતી ચણાવી દે એવા ક્રૂર હોય! (એવું હોય તો, એના ફાધર પાસે સ્ટૉકમાં બીજી દીકરીઓ પડી છે કે નહિ, તે જોઇ લેવું!) ખાસ તો એ શીખ મળી કે, હવે તો અમારા લગ્ન થઇ ગયે ૪૦-૪૦ વર્ષો થઇ ગયા છે, એટલે ઈશ્કમેં જીના, ઈશ્કમેં મરનાવાળી કરીને-જે થઇ ગયું એ થઇ ગયું-નો હસિન ઉકેલ લાવીને ડોસીના માથામાં ગુલાબનું ફૂલ ખોસી આપવું સારૂં. બીજી વખતે ધ્યાન રાખવાનું!

અને 'સત્યના પ્રયોગો'માંથી એ બોધ લીધો કે, પ્રયોગ કરવા ખાતરે ય દારૂ નહિ પીવો. સાચો માનવી એ છે, જે આવેલા દુ:ખો સામે ટક્કર ઝીલી લે. એમની સામે લડે, મર્દાનગીથી ઊભો રહે..... સિવાય કે કોઈ પીવડાવતું હોય તો બહુ નાઓ નહિ પાડવાની!

સિક્સર
પોતાની એક જાહેરસભાનું પહેલું જ વાક્ય, ''ધીસ મોર્નિંગ.... આઇ ગોટ અપ ઍટ નાઇટ'' બોલનાર ''રાહુલ ગાંધી લગ્ન માટે તમને 'પ્રપોઝ' કરે તો તમારૂં પહેલું રીઍકશન શું હશે?'' એવો સવાલ એક ટીવી ચૅનલવાળાએ મુંબઇની અનેક છોકરીઓને પૂછ્યો, એમાંથી એકની પણ 'હા' તો ન આવી, પણ બે-ચાર ઇન્ટરેસ્ટિંગ જવાબો છોકરીઓએ જરૂર આપ્યા  :

(
૧) હા પાડવા કરતા હું આપઘાત કરવાનું પસંદ કરીશ!
(
૨) (ટીવી-ઍન્કરને) 'તમારો 'આઇ-ક્યૂ' વધારો, પ્લીઝ!''
(
૩) 'રાહુલ, પહેલા જરા મોટો થા (ગ્રો અપ) અને તારી મમ્મીના ખોળામાંથી બહાર નીકળ!'
(
૪) અગર યે પ્રપોઝલ મુઝે નરેન્દ્ર મોદી સે મિલી હોતા, તો એક બાર મૈં સોચું ભી...લેકીન રાહુલ... એ બિગ 'નો'!
(
૫) બિલકુલ નહિ. એ આપણા દેશ માટે કશું કરી શકતો નથી તો અમારે માટે શું કરવાનો છે?
(
૬) પપ્પુ કભી પાસ નહિ હોગા...!

13/11/2016

ઍનકાઉન્ટર : 13-11-2016

* તમને શું લાગે છે, બધા તમને સવાલો કેમ પૂછતા હશે ?
- સૌથી અસરકારક જૂઠ્ઠું હું લખી શકું છું, એવો એમને દ્રઢ વિશ્વાસ !
(રાહુલ યાદવ, રાજુલા)

*
વગર વિચારે કયું કામ કરવું જોઇએ ?
- બોલો... બીજું કામ...?
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* મુંબઇમાં તમારૂં પ્રવચન ક્યારે છે, તે જણાવશો ? મરતા પહેલા તમને સાંભળવાની-જોવાની ઇચ્છા છે.

- એવું હોય તો કાલે જ આવી જઉં.

(પ્રભાગ સોની, મુંબઇ)


* બિનસાંપ્રદાયિકતા એટલે શું ?
- જે હિંદુઓએ પાળવાની હોય છે એ.

(ડો. અમિત વૈદ્ય, ડેમાઇ-બાયડ)


* ફિલ્મ 'નાયક'ના અનિલ કપૂરની જેમ તમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવાય તો શું કરો ?
- ઉફ્ફ... હવે ગુજરાતમાં માણસ મુખ્યમંત્રી ક્યાં જોવા મળે ? હવે તો પટેલ, બ્રાહ્મણ, જૈન, ઘાંચી, મુસલમાન કે વિચરતી જનજાતિમાંથી મુખ્યમંત્રી બનાવવા પડે.

(જયેશ જરીવાલા, સુરત)


* ભણવાનો મોટો ગેરફાયદો શું છે ?
- ધંધે વળગવું પડે છે.

(મિત ધામેલીયા, સુરત)


* કથાઓ સાંભળાય પછી ય શ્રોતાઓના સ્વભાવ સુધરતા કેમ નથી ?
- સળંગ ચાર કલાક બેસીને નીચે કાંકરા ખૂંચતા હોય, પછી ભલભલાના મોંઢા તરડાઈ જતા હોય છે !
(ભાસ્કરરાય એ. દવે, અમદાવાદ)


* માર્કેટમાં હવે છ-સાત ફ્લૅવરની પાણી-પુરી મળે છે...
- રાહ જુઓ. થોડા વખતમાં પતંજલી પાણીપુરી પણ મળશે.

(મીનલ કક્કડ, કુવાડવા-રાજકોટ)


* હાથીને એક હાથે કેવી રીતે ઉંચકવો ?
- ફોટો પાડીને ફોટો ઉંચકી લો.
(તરૂણ ગઢવી, અમદાવાદ)


* મારી મમ્મી કહે છે, હું બહુ આળસુ છું અને ગર્લફ્રેન્ડ કહે છે, હું સખ્ત મેહનતુ છું. કોનું માનું ?
- ગર્લફ્રેન્ડ તમારી પાસે કયા પ્રકારની 'સખ્ત મહેનત કરાવે છે, તે જોવું પડે !
(સિધ્ધાર્થ કનોજીયા, નિકોલ)


* મોદી સાહેબના ગયા પછી ગુજરાતને કોનું ગ્રહણ લાગ્યું છે ?
- મોદી સાહેબ હજી ગયા નથી...!

(પ્રતાપસિંહ ચાવડા, મહેસાણા)


* શું સાચા અર્થમાં સ્ત્રી સ્વતંત્ર વિચારસરણીવાળી બની શકી છે ?
- આ સવાલ કોઇએ તમને લખાવ્યો ?
(રૂચિ દલાલ, ભરૂચ)


* પોતાની જાનના જોખમે આપણું રક્ષણ કરતા ભારતીય જવાનો ઉપર પણ નેતાઓ છીછરૂં રાજકારણ ખેલી રહ્યા છે...

- એક વિકૃત જોક સાંભળેલી. આતંકવાદીઓએ ભારતની પાર્લામૅન્ટ ઉપર 'નિષ્ફળ' હુમલો કર્યો, એ ખોટું થયેલું !

(જયેશ કબુતરવાલા, સુરત)


* મારા સવાલનો જવાબ ન છપાય ત્યારે તમારૂં ઍનકાઉન્ટર કરવાનું મને મન કેમ થઇ જાય છે...?
- રોજ સવારે વહેલા ઉઠીને છ લોટા પાણી પી જવાનું રાખો. ઠીક થઇ જશે.

(રાધિકા મયૂર ઢોલા, ભાવનગર)


* પ્રભુ સાથે સંપર્ક કરવામાં વચ્ચે કોઈ પૂજારી કે ગુરૂની જરૂર પડે ખરી ?
- પ્રશ્ન પૂછવામાં પ્રભુ તમારૂં ઍડ્રેસ અને મોબાઈલ નંબર ન માંગતા હોય તો કોઈ જરૂર નથી.

(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)


* તમને કેવો સવાલ પૂછીએ તો ગુસ્સો આવે ?
- મહાત્મા ગાંધી અને ભારત દેશ માટે સહેજ પણ આડું બોલાય ત્યારે !

(મયૂરી અર્જુનભાઈ રાઠોડ, પોરબંદર)


* હવે પછીની ચૂંટણીઓમાં તમારે ઊભા રહેવું જોઇએ. સુઉં કિયો છો ?
- હું તો સારો માણસ છું.

(કૃતાર્થ આઈ.વૈષ્ણવ, રાજકોટ)


* ગુજરાતમાં રાજકીય રોટલા શેકાતા બંધ ક્યારે થશે ?
- પ્રજાની દાળ ગળે ત્યારે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


* સારો ઍક્ટર કોને ગણવો ? ખરાબ કોને ગણવો ?
- એ તો સારા પ્રેક્ષકને ખબર !
(અ.રહેમાન બોગલ, ગોધરા)


* શું ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાનો સમય આવી ગયો છે ?
- મને... સાંજે... આઠ પછી... કોઈ... સવાલ ન પૂછવો !... (હેડકી)

(ભરત પટેલ, હિંમતનગર અને વિપુલ સોજીત્રા, અમરેલી)


* ગુજરાતીઓ હોટલમાં વૅઇટરો સાથે હિંદીમાં કેમ વાત કરે છે ?
- વૅઇટરો... ઇંગ્લિશ તો સમજતા હોય ને...?
(મૂકેશ નાયક, એથાણ-નવસારી)


* માણસ નડે એ સમજાય... ગ્રહો નડે એનું શું કરવું ?
- માણસવાળા નડવામાં શું કરવાનું હોય છે, તે પ્લીઝ કહેશો ?
(મધુરી જીમુલીયા, રાજકોટ)


* સાહેબ, તમે સૌથી વધારે કોને નમો છો ?
-ભારતીય તિરંગાને.
(લક્ષ્મણ આહિર, પાટણ)


* ભાભી તમને તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ હોટલમાંથી પકડી પાડે, તો બહાનું શું કાઢો ?
- એ કોની ભાભી છે, એ જોવું પડે !

(આબિદ ગગન, સુરત)


* બાયપાસ સર્જરી પહેલા અને પછીની આપની વિચારધારામાં કોઈ ફરક પડયો ?
- હવે કોઇને ઉધારે આપેલા પૈસા પહેલા પાછા માંગી લઉં છું !

(પુલિન શાહ, સુરેન્દ્રનગર)