Search This Blog

21/08/2016

ઍનકાઉન્ટર : 21-08-2016

* વિશ્વાસ અને શ્રધ્ધા વચ્ચે શું ફર્ક છે ?
- હું ઓળખું છું ત્યાં સુધી, બન્ને મામા-ફોઇના સંતાનો છે.
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)

સર, તમે ઇન્સ્પૅકટર હોત તો બધા પ્રશ્નો કેવી રીતે સૉલ્વ કરત ?
- પોલીસખાતામાં ઉપરથી કહેવામાં આવે, તે રીતે કામ કરવાનું હોય છે - જાતે નિર્ણયો લેવાના નહિ !
(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)

સરકાર ભણતર ફ્રી કરી નાંખે તો કેટલા ગરીબ લોકોના બાળકો ભણી શકે !
- હા, પણ ભણી લીધા પછી ય એ લોકો ગરીબ જ રહેવાના હોય તો યૂ-ટયૂબ પર એમના વિશે કાંઈ વિચારાય !
(રૂપેશ સોની, વડોદરા)

ભારત કી જય અને ભારત માતા કી જય.. બેમાંથી વધુ સારૂં શું ?
- અફ કૉર્સ, ભારત માતા કી જય જ બોલાય... શંકા પડતી હોય તો જાવેદ અખ્તરનું રાજ્યસભામાં ભાષણ સાંભળો.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

પોલીસ નેતાની ધરપકડ કરે, એ પછી જ એમને છાતીમાં દુઃખાવો કેમ ઉપડે છે ?
- બીજે જ્યાં ઉપડે છે, ત્યાં આપણાથી જોવાય એવું હોતું નથી !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

દરેક સવાલનો જવાબ ફેરવીને આપવો જરૂરી છે ? કોઈ જવાબ સરળ આપી ન શકાય ?
- તમારા નામ-અટકમાં ક્યાંય કાનો-માત્ર આવતા નથી... આટલું સરળ નામ ફેરવીને મૂકી ન શકાય ?
(ધવલ અનડકટ, રાજકોટ)

દીકરી પરણીને સાસરે જાય, ત્યાં પૂછાય છે, શું શું લઇને આવી છે ? પણ એ શું છોડીને આવી છે, એ કેમ કોઈ પૂછતું નથી ?
- ના સારૂં લાગે એ બધું... ! આપણે એને વધારે રોવડાવવી છે ?
(દીપક સોલંકી, નિકોલ ગામ)

માણસે પહેલા માણસ બનવું જોઇએ કે નહિ ?
- શરીરમાં કોઈ પણ અજાણ્યા ફેરફારો દેખાય તો તાબડતોબ ડૉક્ટરની સલાહ લેવાનું કહો.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

પ્રેમનો એકરાર કરવાનો સૌથી સારો દિવસ કયો ?
- મને ડર છે... રીક્ષા તમે ઊભી રાખો છો ને બેસી જશે કોક બીજો !
(સમીર પટેલ, વડોદરા)

* * બધી મજાઓ હતી રાતે રાતે,ને સંતાપ એનો સવારે સવારે...?
-પીવાનું ઘરે રાખ્યું હોય ને જવાનું લૉક-અપમાં... એની વાત છે.
(કનુભાઈ પરમાર, દામનગર)

ફિલ્મ નવરંગમાં મહિપાલની મોહિની, એ જ શું તમારી ડિમ્પલ...?
- અચ્છા અચ્છા... તો તમને અમારા ગયા જન્મનું ય બધું યાદ છે...!
(ડૉ. મુકેશ પંડયા, જેતપુર)

ગૌતમ ગંભીર આટલું સારૂં રમે છે, છતાં ધોની એને ટીમમાં કેમ નથી રાખતો ?
- આ જુઓ ને... મોદી ક્યાં મારી સામું ય જુએ છે ?
(રાહુલ સપ્રા, બોટાદ)

ગુજરાતમાં તોફાનો બીજા લોકો કરે, એમાં સરકાર અમારૂં ઈન્ટરનૅટ કેમ બંધ કરી નાંખે છે ?
- એવું ના હોય ભઇ...! બીજાઓના ઈન્ટરનૅટ ચાલુ હોય ત્યારે તમે તોફાનો કરવા જાઓ છો ?
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

વિજય માલ્યા આટલા બધાનું આટલું બધું કરી ગયો, એમાં વાંક કોનો ? રોકાણકારોનો કે બૅન્કોનો ?
- આપણે તો માલ્યાને શાબાશી આપવી જોઇએ... યાદ છે, નાની નાની વાતમાં બૅન્કવાળા આપણને કેટલું ટટળાવતા હતા ?
(ભાવીન પી. વ્યાસ, જામનગર)

ઈન્ટરનેટ પર પ્રતિબંધ દરમ્યાન વોટ્સએપીયાઓની શું હાલત થતી હશે ?
- સેલ્ફી ચાલુ ને... !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

ઉપપત્ની માટે રખાત શબ્દ વપરાય છે, તો બીજા પુરૂષ સાથે સંબંધો રાખતી સ્ત્રીને શું કહેવાય ?
- ઘાલખાધ.
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)

શું ઇંગ્લિશમાં ઇન્ડિયાનું નામ ભારત થઇ ન જવું જોઇએ ?
- ના. ઇન્ડિયા પણ કેવો ગૌરવવંતો શબ્દ છે !
(ધર્મિલ એમ. દેસાઈ, જૂનાગઢ)

પત્ની કેટલી બુધ્ધિશાળી છે, એ જાણવાનું કોઈ પ્રમાણ ખરૂં ?
- એણે તો તમારી બુધ્ધિ માપી લીધી... તમે એને પરણ્યા ત્યારથી !
(હિરેન વઘાશીયા, રાજકોટ)

કહે છે, જીવનમાં બધા અનુભવો કરી લેવા જોઇએ...!
- હા, પણ એને માટે પરણવું તો પડે જ !
(કપીલ મોનાણી, પોરબંદર)

હવે તો ગમે તે આલીયો-માલીયો મોદી વિશે મનફાવે એમ બોલે છે...
- મફત કોઈ બોલતું નથી. એવું બોલવાના એને પૈસા અને ટીવીમાં પબ્લિસિટી મળે છે !
(મધુકર મહેતા, વિસનગર)

એક કપ ચા તમને કેટલો સમય સ્ફૂર્તિમાં રાખે છે ?
- ચા... ?
(જગદિશ આર. શાહ, રાજકોટ)

મારે પણ લેખક બનવું છે, શું કરવું ?
- આવું કદી બીજા લેખકને ન પૂછવું.
(વૈભવ ડી. મેહતા, ભાવનગર)

દહેજ એટલે શું ?
- ભીખ.
(પિન્ટુ ઝાલા, અમદાવાદ)

કન્હૈયાકુમાર વિશે શું માનો છો ?
- એની એટલી હૈસીયત નથી કે, મારા/તમારા જેવાએ એને વિશે કાંઈ પણ માનવાનું હોય !
(મિતેશ પંડયા, સુરત)

લગ્ન ક્યારે કરવા ?
- કોઈ લગ્ન કરવાની હા પાડે ત્યારે.

(ઈમ્તિયાઝ બાદી, ટંકારા)

19/08/2016

'પરિણીતા' ('૫૩)

ફિલ્મ : 'પરિણીતા' ('૫૩)
નિર્માતા  :  અશોકકુમાર
દિગ્દર્શક  :  બિમલ રૉય
સંગીત  અરુણકુમાર મુકર્જી
ગીતો  :  ભરત વ્યાસ
રનિંગ ટાઇમ  :  ૧૫ રીલ્સ
કલાકારો  :  અશોકકુમાર, મીના કુમારી, આસિત બરન, નઝીર હુસૈન, પ્રતિમા દેવી, બદ્રીપ્રસાદ, મનોરમા, એસ. એન. મુખર્જી, તિવારી, મંજૂ, નૈના, ભૂપેન કપૂર, વિક્રમ કપૂર, કૉલિન પાલ, ગોપીકૃષ્ણ, રાધેશ્યામ, શૈલેન બોઝ અને બેબી શીલા.




ગીતો
૧. ચલી રાધેરાની, અખીયો મેં પાની, અપને મોહન સે... - મન્ના ડે
૨.ગોરે ગોરે હાથો મેં મેંહદી રચાય કે, આંખો મેં - આશા ભોંસલે
૩.ચલી રાધે રાની, અખીયોં મેં પાની, અપને મોહન સે.. - મન્ના ડે
૪.અય બાંદી તુમ બેગમ બની ખ્વાબ દેખા હૈ - આશા-કિશોરકુમાર
૫.તૂટા હૈ નાતા મીત કા, ફલ યે જો મિલા હમે -આસિત બરન
૬.કૌન મેરી પ્રીત કે પહલે જો તુમ યાદ આ રહે હો... - આશા ભોંસલે
૭.    ચાંદ હૈ વહી, સિતારે હૈ વહી, ગગન...- ગીતા દત્ત

આપણા જમાનામાં શરદબાબુ બહુ મોટું અને લાડકું નામ ગણાતું. ગુજરાતી લેખકો કરતાં ય એમની નૉવેલો વાંચવી વધારે ગમતી, એમાં આપણો વાંક ઓછો ને શરદબાબુની સિદ્ધિ વધારે, કારણ કે એ જમાનો હોય કે આજનો, કોઈ ગુજરાતી લેખક રાષ્ટ્રીય ફલક પર આટલો વંચાયો નથી. અફ કૉર્સ, એમને દોમદોમ ચાહનારા ગુજરાતી વાચકો આજે ય સ્વ. શ્રીકાંત ત્રિવેદીનો આભાર માને છે. જેમણે શરદબાબુની તમામ જાણીતી નવલકથાઓ કે ટૂંકી વાર્તાઓનો ગુજરાતીમાં રસપ્રદ અનુવાદ કર્યો છે, ત્યારે શરદબાબુ આપણા સુધી પહોંચી શક્યા છે. મને યાદ છે, કૉલેજમાં હતો (હા, હું એટલે સુધી તો ભણ્યો છું !) ત્યારે શરદબાબુની બિરાજ બહુ, દેવદાસ, શ્રીકાંત, પરિણીતા, ચંદ્રનાથ, કાશીનાથ (ટૂંકી વાર્તા), ગૃહદાહ અને બડી દીદી જેવી નવલકથાઓ વાંચવી માત્ર ઊંચો ટેસ્ટ નહિ, આપણા વ્યક્તિત્વ ઘડતરમાં ય મોટો ભાગ ભજવતી.

ને પછી બાકી શું રહે, જો એમની નૉવેલ પરથી ફિલ્મ અશોકકુમારે બનાવી હોય, મીનાકુમારીનો ટાઇટલ રોલ હોય અને... યસ, ધી ગ્રેટ ફિલ્મ સર્જક બિમલ રૉય દિગ્દર્શિત એ ફિલ્મ હોય !

બિમલ રૉય કલકત્તાથી મુંબઈ ફિલ્મોમાં કેરિયર બનાવવા આવ્યા, ત્યારે એમની સાથે દિગ્દર્શક અસિત સેન, લેખક નબેન્દુ ઘોષ, એક્ટર નઝીર હુસૈન, સંગીતકાર સલીલ ચૌધરી, કેમેરામેન કમલ બૉઝ, લેખક પાલ મહેન્દ્ર અને બિમલ દાના માનીતા શિષ્ય ઋષિકેશ મુકર્જી ઠેઠ ન્યુ થીએટર્સથી સાથે. એમ તો વહિદા રહેમાન- રાજેશ ખન્નાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'ખામોશી'ના કેમેરામેન કમલ બૉઝ પણ સાથે હતા, જેમનો કેમેરા આ ફિલ્મમાં પણ દર્શકોને શરદબાબુનો શબ્દદેહ પણ આપે છે. આ ટીમે દો બીઘા જમીનથી માંડીને પરિણીતા, બિરાજ બહુ, મધુમતિ, સુજાતા અને નંદિની જેવી ફિલ્મો બનાવી.

જો કે, આ ફિલ્મ 'પરિણીતા' બનાવવાની વિનંતી સ્વ. અશોકકુમારે કરી હતી. એમને શરદબાબુ માટેનું તો પાગલપન હતું. મીનાકુમારી ય 'બૈજુ બાવરા'ની સફળતા પછી આખા દેશમાં પોપ્યુલર થઈ ગઈ હતી અને આમે ય એનો ચહેરો અને સમગ્ર વ્યક્તિત્વ એવું હતું કે, શરદ બાબુની મોટા ભાગની નાયિકાઓના કિરદારમાં બિલકુલ પરફેક્ટ લાગે. હિંદી ફિલ્મના પ્રેક્ષકોએ ખાસ નામ ન સાંભળ્યું હોય, પણ બંગાળી ગાયક- અભિનેતા આસિત બરનને આ ફિલ્મમાં ઑલમોસ્ટ હીરોનો રોલ (ગીરીન બાબુ) અપાયો છે.

...અને એટલે જ, હિંદી ફિલ્મોના આજ સુધીના ધી ગ્રેટેસ્ટ એક્ટર અશોકકુમાર- દાદામોની માટે આશ્ચર્ય ઉપજે કે, પોતાના જમાનામાં એ સુપરસ્ટાર હોવા છતાં (અને ફિલ્મો બનાવતા ય ખરા) મોટા ભાગે એમણે આ ફિલ્મની જેમ એન્ટી હીરોના રોલ જ ભજવ્યા છે. એન્ટી-હીરો... મતલબ, વિલનની છાંટવાળો હીરો એને હીરોઇન સાથે ગીતો ન ગાવાના હોય, પ્રેક્ષકોની ખાસ સહાનુભૂતિ ન મળે અને છેલ્લે સેકન્ડ હીરો ખાતર ભવ્ય બલિદાન આપી કાં તો ગુજરી જવાનું હોય ને કાં તો હસતા મોઢે હાથ ઘસતા રહી જવાનું હોય. ફિલ્મ 'પરિણીતા'માં દાદા મોનીએ શેખર બાબુનો મુખ્ય કિરદાર કર્યો છે, પણ સામાજિક દ્રષ્ટિએ ફિલ્મનો સાચો હીરો આસિત બરન લાગે છે. ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી દર્શકો દાદા માનીને ધિક્કારતા રહે અને આસિત બરન માટે સહાનુભૂતિ આપતા રહે. એ વળી જુદી વાત છે કે, વાર્તા શરદબાબુની હોવા છતાં ફિલ્મના હીરોને ફિલ્મને અંતે હીરોઇન સાથે મેળવી આપ્યા છે.

યસ. 'પરિણીતા' બની હતી ૧૯૫૩-માં. શરદબાબુની આ વાર્તાનું બ્રેકગ્રાઉન્ડ' '૩૦-'૪૦ની આસપાસનું છે, એટલે આજના સંદર્ભમાં વાર્તા ફિક્કી અને ક્યાંક અવાસ્તવિક લાગે. વિધુ વિનોદ ચોપરાએ વિદ્યા બાલન, સૈફઅલી ખાન અને સંજયદત્તને લઈને આ જ ફિલ્મ ઇ.સ. ૨૦૦૫માં બનાવી હતી. મેં જોઈ નથી અને એટલે અમથી ય સરખામણીનો સવાલ ઉભો થતો નથી. ચોપરાએ ફિલ્મ સારી બનાવી હતી, એવું સાંભળ્યું છે. આનંદ એ વાતનો છે કે '૩૦- '૪૦ની આસપાસના સંદર્ભવાળી વાર્તા ઇ.સ. ૨૦૦૫-ના વર્ષમાં ય પ્રસ્તુત લાગે ! જો કે, ફિલ્મ 'કહાની' જોયા પછી એ વિશ્વાસ હતો જ કે, વિદ્યા બાલન એક્ટ્રેસ તરીકે મીનાકુમારીથી સહેજ પણ ઉતરતી નહિ હોય. વિધુ વિનોદની કાબેલિયત પર શંકા કરી શકાય એમ નથી.

જો કે, શંકા હતી કે, ચરિત્ર અભિનેતા નઝીર હુસૈન શું જન્મથી જ આવો રોતડો હશે ? (અશોક દવે... જન્મથી બધા જ રોતડાં હોય !) પણ કોલકાતાથી બિમલ રૉયની સાથે મુંબઈ આવેલા નઝીર હુસૈનનો આ ફિલ્મમાં કિરદાર રોતડાંનો એટલો બધો સફળ થયો કે, બાકીની જિંદગી એમને આવા જ રોલ કરવાના આવ્યા ! અહીં એ, મીનાકુમારીના ગરીબ અને લાચાર મામા બને છે અને હીરો અશોકકુમારને પડેલા ડાઉટ મુજબ પૈસા ખાતર આ મામા મીનાને આસિત બરનને વેચી દે છે અને ચલો, એમાં મજા નહિ આવે. આપણે વાર્તાના અંશો જોઈ લઈએ.

મા-બાપ વિનાની લલિતા (મીનાકુમારી) એના મામા- મામી સાથે પૈસાપાત્ર જમીનદાર બદ્રીપ્રસાદની બાજુના મકાનમાં રહે છે. બદ્રીપ્રસાદ શેખર (અશોકકુમાર)ના પિતા અત્યંત લુચ્ચા અને કપટી વ્યાજખાઉં છે અને મામા નઝીર હુસેનનું મકાન હડપ કરી જવાના પેંતરામાં છે. મતલબ કે મામાને ઉધાર આપી પૈસે ટકે લાચાર બનાવી દે છે.

અલબત્ત, બાજુબાજુમાં રહેતા હોવાના કારણે મામાની ભાણેજ મીનાકુમારીની અવરજવર પરિવારના સદસ્યની જેમ આ ઘરમાં રહે છે, જેનો મોટો પુત્ર અશોકકુમાર આ મીનાકુમારીને મનોમન ચાહે છે, પણ વ્યક્ત થતો નથી, એમાં સંજોગોવશાત, બદ્રીપ્રસાદના દેવામાંથી બચવા મામા એમને ત્યાં આવતા- જતા રહેતા ગીરિનબાબુ (અસિત બરન) પાસેથી પૈસા લઈ બદ્રીપ્રસાદનું દેવું ચૂકવી દે છે અને ઇચ્છે છે કે, આસિત બરન મીનાકુમારીને પરણે. આ બાજુ સંબંધિત ઘટનાના દોઢેક વર્ષ પહેલા મીના- અશોકે મકાનની અગાસી ઉપર ગાંધર્વ-વિવાહ કરી લીધા હોય છે, પણ જાણ કોઈને કરી હોતી નથી.

વાર્તાના આ હિસ્સા પૂરતા સવાલો પૂછવાના થાય ખરા કે, હિન્દી ફિલ્મોમાં પરદા પર જે ઘટનાઓ દર્શાવાય છે, જે દ્રષ્ય મારી- તમારી નજર સામે છે, એની આજુબાજુનું કે એ પછી / એ પહેલાનું દિગ્દર્શક મોઘમમાં રહેવા દે છે. ફિલ્મોની અન્ય વાર્તાઓની જેમ અહીં પણ વ્યક્ત કરેલા અવ્યક્ત રહીને - એના પાત્રોને જ નહિ, પ્રેક્ષકોને ય અંધારામાં રાખે, ગૂંચવતા રાખે અને પ્રેક્ષકો સ્વયં જવાબ શોધી લે તો એ પ્રશ્ન રહેતો નથી, જેમ કે, એકબીજાને મળવા- હળવાની સ્વતંત્રતા અહીં સાહજિકતાના રૂપમાં છે. એકબીજાને પૂરી સરળતાથી હીરો-હીરોઇન મળી શકે છે, છતાં પણ પરદા પર કેવળ એટલું જ દર્શાવાય છે કે, હજી તો બંનેના ગાંધર્વ-વિવાહ થયા છે ને થઈ ગયા પછી ય ઇચ્છે એટલીવાર મળી શકાય એમ છે, છતાં બંને પાત્રો પાસેથી ઘટનાઓ સરકી શેની જાય છે ? તદઉપરાંત, ગીરિનબાબુ, મીનાકુમારીના ઘરે આવ-જા કરે છે, એ અશોકને ગમતું નથી અને બધી પૂછપરછ અડધી કરીને મૂંઝાયેલો પાછો આવતો રહે છે. પરણવાનું તો ગૃહલક્ષ્મીને છે તો પણ એને ગણકાર્યા વિના અશોક જતો રહે છે.

કિશોરકુમારના ગાઢ ચાહકોએ પણ માંડ સાંભળ્યું હોય, એવું આશા ભોંસલે સાથેનું કોમિક ગીત 'અય બાંદી તુમ બેગમ બની ખ્વાબ દેખા હૈ...' આ ફિલ્મમાં છે. વધારે કોમિક વાત એ છે કે, ફિલ્મમાં આ ગીત વિશ્વવિખ્યાત નૃત્યવિદ ગોપીકૃષ્ણ અને મંજુ પર ફિલ્માવાયું છ, જે પૂર્ણતઃ શાસ્ત્રીય નૃત્ય છે. ફિલ્મ અશોકકુમારની પોતાની હતી અને એમણે નાના ભાઈ કિશોરને આ ફિલ્મમાં રોલ કરવાની પણ ઑફર કરી હતી, પણ ભાઈને એક્ટિંગ- ફેક્ટિંગનો શોખ જ નહોતો.

સાફ ના પાડી દીધી. પણ એમ કાંઈ મોટા ભાઈનો જીવ ઝાલ્યો રહે ? ફિલ્મમાં એણે એવી કોઈ જરૂરત નહોતી છતાં, ગોપીકૃષ્ણવાળું આ નૃત્ય ગીત ઉમેરી દીધું. યસ. ગીત ગાવાનો કિશોરને કોઈ વાંધો નહોતો, ડીવીડી-માં જો કે, હવે તો એ રહેવાનું કે, એકાદ-બે ગીતો (કે વધુ) એ લોકો કાપી નાંખે છે, પરિણામે ગીતા રૉયનું 'ચાંદ હૈ વહી સિતારે હૈ વહી, ગગન...', આશા ભોંસલેનું 'કૌન મેરી પ્રીત કે પહલે જો તુમ યાદ આ રહે હો...' અને આસિત બરનનું 'તૂટા હૈ નાતા મીત કા...' ડીવીડી-માં મળતું નથી. અલબત્ત ગીતા રૉયના ગીતને બાદ કરતાં એમાં ગુમાવવા જેવું ય કશું નથી.

ફિલ્મના સંગીતકાર અરુણકુમાર મુકર્જી સહુ જાણે છે એમ દાદામોનીનો નિકટનો ભાણિયો- ભત્રીજો હતો. એ એક્ટર પણ હોવાને નાતે દિલીપકુમારની સર્વપ્રથમ ફિલ્મ 'જ્વારભાટા'માં મહત્ત્વનો રૉલ હતો. આંચકો લાગી શકે, પણ આ ફિલ્મનો હીરો દિલીપકુમાર નહિ, કૉમેડિયન આગા હતો દાદામોનીનો એ બહુ લાડકો હતો. કમનસીબે અરુણનું મૃત્યુ દાદામોનીના ખોળામાં થયું હતું.

લેજન્ડરી ફિલ્મ 'કિસ્મત'ના બધા ગીતો અશોકકુમારે પોતે ગાયા હતા, એ વાત સાચી પણ ફિલ્મની પટ્ટી પૂરતા જ. અનિલ બિશ્વાસને દાદામોનીના કંઠમાં જામ્યું નહિ એટલે ૭૮ આર.પી.એમ.ની રેકર્ડસમાં પ્રખ્યાત ગીત, 'ધીરે ધીરે આ રે બાદલ ધીરે, મેરા બુલબુલ સો રહા હૈ' સહિત બધા ગીતોનું પ્લૅબૅક અરુણકુમારે આપ્યું હતું. નવાઈની વાત છે કે, અરુણકુમારનો કંઠ દાદામોનીના કંઠને પરફેક્ટ મળતો આવતો હતો.

ગાયક - અભિનેતા ઉપરાંત સંગીતકારના રૂપમાં પણ આ ફિલ્મના તમામ ગીતો અરુણકુમારે હિટ આપ્યા હતા, જેમાં મન્ના ડેનું 'ચલી રાધે રાની, આખીયો મેં પાની' (બે પાર્ટમાં) આજદિન તક મશહૂર છે. ફિલ્મમાં આ ભજન રાધેશ્યામ ગાય છ, જેને તમે ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં મંદિરમાં 'ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો' ગાતા જોયો છે. નવાઈની વાત એ છે કે, 'પરિણીતા' પછી તો ૧૭ વર્ષે 'જ્હોની...' આવ્યું હતુ, છતાં રાધેશ્યામ બંનેમાં એકસરખો ઘરડો લાગે છે. મનમોહનકૃષ્ણ, નાના પળશીકર, નઝીર હુસેન, કે એ.કે. હંગલ... બધા પૈદાઈશી બુઢ્ઢાઓ હતા, જેમને આપણે યુવાનીમાં જોયા જ નથી.

ફરી એકવાર શત શત પ્રણામ, શરદબાબુ, બિમલ રૉય, અશોકકુમાર અને મીનાકુમારીને આવી સુંદર ફિલ્મ બતાવવા બદલ !

17/08/2016

શોભા ડે... બદનામ હોંગે, તો ક્યા નામ ન હોગા ?

મારી ઍનકાઉન્ટરકૉલમમાં ઘણા સવાલ પૂછે છે, મારે તમારા જેવા પ્રખ્યાત બનવું છે.. તો રસ્તો બતાવશો ?’

હવે તો રસ્તા સાવ આસાન થઇ ગયા છે. ટીવી કે અખબારો સામે તદ્દન વાહિયાત વાત કરો. બીજે દિવસે તમારા નામના ડંકા ! જુઓ. આટલા બધા રસ્તા નીકળી આવ્યા છે.

(૧) શોભા ડે મુંબઇની એક પત્રકાર છે. આજ સુધી મુંબઇ સિવાય એને કોઇ ઓળખતું નહોતું. એને પબ્લિસિટી જોઇતી હતી. તરત એણે કહી દીધું, ઑલિમ્પિકમાં ગયેલી ભારતીય ટીમો દમ વિનાની છે. આપણા ખેલાડીઓ ત્યાં સૅલ્ફી લેવામાંથી જ ઊંચા આવતા નથી. આનાથી ય વધારે આપણે ઉશ્કેરાઇ જઇએ એવું ય એણે કીધું છે. તે જાણતી હતી કે, એના આ નિવેદનોથી દેશભરમાં ભોચાલ મચશે. વૉટસએપીયાઓ મજાક કરી કરીને એને પબ્લિસિટી આપશે. ફિર ક્યા ? જેને મુંબઇની બહાર કોઇ ઓળખતું નહોતું, એને માટે નૅશનલ ન્યૂસથી માંડીને વૉટ્સઍપ કે ફૅસબૂક ઉપર ધૂમધામ પબ્લિસિટી ! શોભાને એ ખબર નથી કે, રિયો-ડી-જાનેરો ઑલિમ્પિકમાં ભાગ લેવા ગયેલી આપણી ટીમોમાંથી અનેક ખેલાડીઓને ત્યાં રમવાના શૂઝ પોતાના ખર્ચે ખરીદવા પડયા છે. ત્યાં આખી ટીમને એક ઓરડામાં માત્ર ખુરશીઓ કે જમીન પર લંબાવીને રાત કાઢવી પડી છે. શોભાને અફ કૉર્સ, બધાએ ઝાડી નાંખી છે, પણ એ તો એને જોઇતું હતું. બદનામ હોંગે, તો ક્યા નામ ન હોગા ? બે-ચાર જણા ગાળો દઈને રહી જવાના છે, પણ ચારે બાજુ શોભા... શોભા.. શોભા... તો વગર મફતનું થઇ ગયું ? બેવકુફ પત્રકારો અને સુપર-બેવકૂફ વૉટ્સઍપીયાઓ એક પૈસા લીધા વગર આવા લાકોને ફ્રી-ઑફ-ચાર્જ પબ્લિસિટી આપી દે છે ને દેશભરમાં એનું નામ થઇ જાય છે. (આ જુઓ, લેવાદેવા વગરની મેં ય પબ્લિસિટી આપી દીધી ને ?)

(
૨) જુઓ, હું ભારત દેશને ચાહું છું, એવું કહીશ તો કોઇ નોંધે ય લેવાનું નથી. પણ હું ભારત માતાની જય નહિ બોલું, એટલું કહેવામાં તો ટીવી પર મોટી મોટી ચર્ચાઓ શરૂ થાય. બે જણાની આની તરફ ને બે જણા પેલાની તરફ... કલાકની ચર્ચામાં પેલાનું તો નામ થઇ ગયું ? અસદુદ્દીન ઓવૈસી રોજબરોજ આવું કાંઇ ગતકડું શોધી લાવે છે ને પૂરૂં મીડિયા એની પાછળ ! એને જે પૈસા ખર્ચીને ન મળે, એ બધું એના ફોટા સાથે આખા દેશમાં ચમકે. ૧૫-મિનિટ માટે પોલીસ હટાવી લો, પછી જુઓ અમે શું હાલત કરીએ છીએ ! એવા મતલબનું કાંઈ નાનો ઓવૈસી અકબરૂદ્દીન હૈદ્રાબાદની એક મહોલ્લાની સભામાં બોલ્યો હતો. એ ત્યાં જ શમી જાત, પણ આપણા મીડિયાએ એના ભાઈ અસદુદ્દિનને આનો આ સવાલ પૂછી પૂછીને આખી દુનિયામાં પબ્લિસિટી અપાવી દીધી. ધર્માંતરણ કરાવવાનો ખેપાની ઝાકીર નાયકને કોઈ મહત્વ જ આપવાનું ન હોતું, એને બદલે મીડિયા રોજ એના ઇન્ટર્વ્યૂ લેતું, ટૉક-શો યોજતું. એને સામે ચાલીને ફ્રી પબ્લિસિટી મળી ગઈ.

બીજી બાજુ, સલીમવાળા ગીતકાર લેખક જાવેદ અખ્તરે રાજ્યસભામાં ટૅબલ પર મુઠ્ઠી પછાડી પછાડીને ભારત માતા કી જય બે વખત ઘાંટા પાડીને પૂરા દેશાભિમાનથી કીધું... કોઇ છાપા કે ટીવીએ એની નોંધ પણ ન લીધી !

(૩) માયાવતી એક સામાન્ય નેતા હતા. એ ઘણું બધું બોલતા, તો ય કોઇ કશું છાપતું નહોતું. પછી એક દિવસ એણે ઍલાન કરી નાંખ્યું, બ્રાહ્મણોની વિરૂધ્ધ... ફિર ક્યા..? આખા દેશની ટીવી-ચૅનલો પર માયાવતી જ માયાવતી ! એ પાછું હોલવાવા માંડયું, એટલે નવેસરથી એણે નવું નિવેદન આપ્યું, હું ને મારી પાર્ટી બ્રાહ્મણોને લઇને આગળ વધીશું. ફરી પાછું મીડિયા એના ઘરે !

(૪) તમારામાંથી હવે તો બહુ ઓછાને યાદ હશે કે, આચાર્ય રજનીશ શરૂશરૂમાં અમદાવાદના પ્રિતમનગરના અખાડામાં માંડ કોઇ ૫૦-૬૦ શ્રોતાઓની હાજરીમાં પ્રવચનો કરતા. હું નાનો અને મને યાદ છે કે, ફિલ્મ નવરંગનો હીરો મહિપાલ પણ ત્યાં આવતો અને હું એમની સાથે બેસીને રજનીશજીને સાંભળતો. એ પછી સાધારણ લોકપ્રિયતા વધી, એટલે રજનીશજીના પ્રવચનો ઍચ.કે. કૉલેજના હૉલમાં યોજાવા માંડયા, પણ હૉલની કૅપેસિટી જ માંડ ૪૦૦-૫૦૦ની, એટલે એમની લોકપ્રિયતા કેવી હશે ?

પણ અચાનક એક દિવસ એમણે મહાત્મા ગાંધીના વિરૂધ્ધમાં કોઇ વાત કરી. બસ... ! એક અઠવાડીયામાં રજનીશજી દેશભરમાં ચર્ચાતા થઇ ગયા. લોકો એમના પ્રવચનોમાં ભીડ કરવા માંડયા. એ જ્ઞાાની હતા, એમાં બે મત નથી, પણ નામ રોશન કરવા માટે ઉશ્કેરણીજનક કંઈક તો બોલવું પડે, એની એમને ખબર !

(૫) નસિરુદ્દીન શાહના ફિલ્મોમાં આમ તો સંપૂર્ણ કલાકાર કહી શકાય એવો તગડો અભિનેતા છે, પણ એણે કેવો મસ્ત મજાનો સ્ટંટ કર્યો ? એણે પ્રેસને એવું કાંઇ કહી દીધું, કે આ દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચનને હું પરફૅક્ટ ઍક્ટરો માનતો નથી. અસલી ઍક્ટર તો શમ્મી કપૂર છે. દિલીપ-અમિતાભે જે કાંઇ કર્યું છે, તે અમે બધા ઍક્ટરો કરી શકીએ, પણ શમ્મી જેવું કરી બતાવવું કોઇના હાથની વાત નથી. એણે તો રાજેશ ખન્ના માટે ય એવું કહી દીધું કે, એ બહુ નબળો ઍક્ટર હતો. દેશભરના મીડિયાએ એ વાતને ચગાવી.

ખૈર, નસિરે જે કાંઇ કહ્યું, એ નસિરે કીધું હતું માટે મીડિયાએ ચગાવ્યું અને રાતોરાત દેશભરના ટીવી-છાપાઓમાં એને પબ્લિસિટી મળી ગઇ. આ જ નસિરે આમિરખાન અને એ.આર. રહેમાનની માફક એમ પણ કહ્યું હતું કે, ભારતમાં મુસલમાનો માટે અસહિષ્ણુતા છે. બસ. ધાર્યા કરતા ય વધારે પબ્લિસિટી મળી ગઈ.

બીજી બાજુ, અનુપમ ખેર કાશ્મિરી પંડિતોના પુર્નવસન માટે ચીસો પાડી પાડીને બોલે છે... કોઇ ટીવીવાળો ફરકતો નથી !

(૬) વિવાદાસ્પદ કમૅન્ટ કરીને લાઇમ-લાઇટમાં આવવાની શરૂઆત ઇંદિરા ગાંધીના ખાસ ચમચા દેવકાંત બરૂઆએ, ઇન્દિરા ઈઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા કહીને કરી હતી. કૉંગ્રેસમાં તો એ સિલસીલો આજ દિન સુધી ચાલતો રહ્યો છે. દિગ્વિજયસિંઘને તો પરાણે બંધ કરવા પડયા છે, નહિ તો બાફવામાં એ રાહુલ ગાંધીના ય કાકા થાય એમ છે. પણ એ જે કાંઇ બોલતા, બધું ટીવી-છાપાઓમાં આવતું અને એમને એટલું તો જોઇતું હતું. લાલુ-મુલાયમ બેવકૂફીભર્યા નિવેદનોથી જ મશહૂર થયા છે.

(૭) નરેન્દ્ર મોદી ય કોઇનાથી કમ નથી. આટલા વખત પછી એ ગૌરક્ષકો માટે બોલ્યા અને ખખડાવી નાંખ્યા કહેવાતા ગૌરક્ષકોને ! બરોબર છે, પણ ગૌહત્યા કરનારાઓ માટે બે શબ્દ તો બોલો, ભાઈ ! પાકિસ્તાનના આતંકવાદીઓ રોજ આપણા ૫-૭ સૈનિકોને મારી નાંખે છે ને મોદી એક અક્ષરે ય બોલતા નથી. લોહી આપણું ગરમ થઇ જાય છે, પણ મોદી તો શાંતિદૂત બનીને, નોબેલ પારિતોષિક મેળવવાની લાઇનમાં ઊભા હોય એમ પાકિસ્તાનને એક નાનકડી ય સંભળાવતા નથી... સામે ચાલીને મારી આવવાની વાત તો દૂર રહી !

(૮) બે બદામના નેતાઓની ગાડીની પાછળ કૅમેરા સાથે ભમભમભમ દોડતા જઈને, કારની બારીમાંથી એમનો લૂછલૂછ ઈન્ટરવ્યૂ લેવો, એમાં મીડિયાનું સ્વમાન ક્યાં ગયું ? મીડિયાને તો ચોથી જાગીર કહેવાય છે. સત્તર વાર પૂંછડી પટપટતી હોય તો નેતો હાથ જોડતો તમારી પાસે આવે, એને બદલે મંદિરમાં પ્રવેશતા જ પંડાઓ ભક્તની આજુબાજુ હાથ જોડતા આજીજીઓ કરે છે, એ કક્ષાએ આપણું ઇલૅકટ્રોનિક મીડિયા પહોંચ્યું છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન એકબીજાને મળ્યાં,  નૅશનલ ન્યૂસ થયા ? ઉત્તર પ્રદેશના છેવાડાના ગામની ભાગોળે ૩૦-ફૂટ ઊંડા ખાડામાં નાનું બાળક પડી ગયું, એ ઘટના દુઃખદ ચોક્કસ છે, પણ એનું લાઇવ-ટૅલીકાસ્ટ...??? રોજ બળાત્કાર અને ગૅન્ગરૅપ સિવાય તમારી પાસે બીજી કોઇ સ્ટોરી જ નથી ? દેશમાં કોઇ સારી ઘટનાઓ બનતી જ નથી ? કબુલ કરો કે, ટીવી પર રોજ ન્યૂસ જોઇને આપણું મગજે ય વિકૃત થઈ જાય છે !

(૯) યૂ-ટયુબ પર પાકિસ્તાનને લગતી ચૅનલો જુઓ તો ખ્યાલ આવશે કે, ત્યાંનું નાનું છોકરૂં ય ભારતને ગાળો દે છે. ત્યાંના હરકોઈ નાગરિકના રોમેરોમમાં ઝેર વ્યાપેલું છે ભારતની વિરૂધ્ધમાં, ત્યારે આપણે સામે ચાલીને ત્યાં વાટાઘાટો કરવા જઇને મોંઢું કાળું કરીએ છીએ ! આપણા ધર્મગુરૂઓ આપણને કેવળ ઑમ નમઃશિવાય અને જય જીનેન્દ્ર જ બોલતા શીખવે છે... ભારત માતા માટે કેમ એક શબ્દ પણ નહિ ? એક માત્ર જૈન મુનિ ચંદ્રશેખર વિજયજી ભારત દેશ માટે કે દેશની ભક્તિ માટે જૈનોને સાચી સલાહ આપતા હતા. આજે કયા મુનિ દેશનો ઉલ્લેખ ય કરે છે ?

(
૧૦) દાયકાઓ પહેલા-જ્યારે ફિલ્મસ્ટાર માલા સિન્હા ટૉચની ઍકટ્રેસ હતી, ત્યારે એના ઘેર ઇન્કમટૅક્સનો દરોડો પડયો અને એના બાથરૂમની છત તોડતા એમાં છુપાવી રાખેલી કાળાધનની નૉટોનો વરસાદ થયો. માલા કોઇને મોઢું બતાવી શકતી નહોતી, એટલી શરમ આવી ગઇ હતી અને આજે ? જેને બંગલે દરોડો પડે છે, એ ઘરના છોકરા-છોકરીના લગ્નના બજારમાં ભાવ ઉચકાઇ જાય છે. પાર્ટી ખમતીધર છે ! દરોડો પડવો એ હવે ગૌરવ ગણાય છે.

(૧૧) આ બાજુ કૉંગ્રેસ પાર્ટીને જુઓ. નૅકસ્ટ ઇલૅક્શનમાં મારે/તમારે ભાજપને બદલે કૉંગ્રેસને વોટ આપવો હોય તો કયા મુદ્દા ઉપર આપવો ? ભાજપને ભાંડવા સિવાય બીજો એક્કે ય મુદ્દો જ નથી એમની પાસે ? દેશ માટે કે પાકિસ્તાન માટે કે દેશના વિકાસ માટે તમે શું કરી શકો એમ છો, એનું એક વાક્ય તો બોલી જુઓ ! મોદીને હટાવ્યા પછી, ખુદ તમારી પાસે એકે ય એવો ખમતીધર માણસ છે, જે દેશનો વડાપ્રધાન બની શકે ? અને આ બાજુ, મીડિયા કોઇ નહિ ને આપને માથે ચઢાવી રહ્યું છે. ભઇ જુઓ તો ખરા કે, કેજરીવાલમાં નામનો ય કોઈ ભલીવાર છે ? મીડિયા ભૂલી ગયું છે કે, જે અન્ના હજારેને લેવાદેવા વગરના તમે હીરો બનાવી દીધા હતા, એ ક્યાં ગયા ? દેશ માટે શું કરે છે ? શું કર્યું ? મીડિયા ફોટા પાડવા આવતું હતું, તે મહાત્મા ગાંધીની સમાધિ પાસે એ ય એ જ મુદ્રામાં પલાંઠી વાળીને બેસી ગયા ને મીડિયાએ દેશભરમાં ચમકાવી દીધા... પણ પછી શું થયું ? આજે એ કેમ કાંઇ બોલતા નથી ? ને બોલે તો ય એમનું કોઈ માન છે ?

(
૧૨) અમારા લેખકો ય ઓછા નથી. આજ સુધી કોઇએ નામ ન સાંભળ્યું હોય, એવાએવાઓને મોટા ઍવૉર્ડસ મળે ને કાંઇ છાપા કે વાચકે નોંધ પણ ન લીધી હોય, એ બધાએ કહેવાતી અસહિષ્ણુતાના નામ પર એ ઍવૉર્ડસ પાછા આપવા માંડયા ને, લો કલ્લો બ્બાત....દેશભરના મીડિયાએ આવા લેખકોને રાતોરાત હીરો બનાવી દીધા. નૅશનલ લૅવલે જેમને આવા ઍવૉર્ડસ મળ્યા છે, એમનું પ્રદાન વિચારવા જઈએ તો ગૂંચવાઈ જવાય કે, આમનું તો કોઇએ નામ પણ સાંભળ્યું નથી !

સિક્સર
ધી ગૉડફાધર ફિલ્મનો ત્રીજો ભાગ જોતા ડૉન માઇકલ કૉર્લિયોન કહે છે, તમારા દુશ્મનને ધિક્કારો નહિ. એનાથી તમારા જજમૅન્ટને અસર પડે છે.’