વચમાં એક લેખકે ગુજરાતના સાહિત્યકારોને પ્રશ્ન પૂછ્યો હતો, ‘‘તમારી અંગત લાયબ્રેરીમાં
કેટલા પુસ્તકો ?’’
જવાબ તો બધાએ યથાશક્તિ આપ્યો હતો, પણ જે સાહિત્યકારોને આ રીતે પણ
મોટા ગણાવવું હતું. તેમના જવાબમાં ઘણી ભવ્યતા
દેખાઇ આવતી હતી, અને કેટલાકે તો ‘‘ઓહ...હશે કોઇ ૪-૫ હજાર !’’ એવો જવાબ લખી માર્યો હતો.
એક લેખકના ઘરમાં ૪-૫ હજાર પુસ્તકો...?? ખૂબ અંજાઇ જવાય એવી વાત છે ને ? એક તો એ લેખક હોવા છતાં આટલું મોટું
મકાન કઇ કમાણી ઉપર ઉપાડી લાવ્યો હશે કે, જેમાં ૪-૫ હજાર પુસ્તકો સમાવી શકાય, એની ગતાગમ ન પડે.
બીજો પ્રશ્ન : એક પુસ્તકની સરેરાશ
કિંમત રૂ.૧૦૦/- ગણીએ તો ૪-૫ હજારનો ખર્ચો જરા ગણી જુઓ તો કેટલો આવે ? સહેજે રૂ. ૪-૫ લાખ થઇ ગયા ? આ તો વાચકોને ખબર ન હોય, એટલે ભાંડો ફોડી નાંખું છું કે, ગુજરાતના એકે ય લેખકને એની લખાણપટ્ટીના મહિને સરેરાશ રૂ. ૫,૦૦૦/-થી વધારે શકોરૂં ય મળતું નથી. (આ તો મોટા લેખકોની કમાણીની વાત
છે...જેમનું હજી બહુ નામ થયું નથી, એવા નવોદિત લેખકોને તો વર્ષના બે હજારે ય
મળતા નથી...એમાંના ઘણાને સામેથી આપવા પડતા જરૂર હશે !) પછી એ કૉલમ લખવાની આવક હોય, કે બહાર પડેલા એના પુસ્તકોની ટોટલ રૉયલ્ટી. તમે જે કોઇ મોટા લેખકને
ઓળખતા હો, તે પણ આટલી આવકમાં આવી ગયો.
અમેરિકાના લેખકો પોતાના પુસ્તકોની
રૉયલ્ટીમાંથી એટલું કમાય છે કે, એમાંના કેટલાક પાસે પોતાની માલિકીના પ્રાયવેટ
ઍરપૉર્ટ અને વિમાનો હોય છે. (અહીં તમે ધારો તો મજાક કરી શકો છો, ગુજરાતી લેખકોની પ્રાયવેટ
માલિકીનું શું શું હોય છે, તે મુદ્દે...!) અમેરિકાના વાચકો
ખુશ થાય તો એમના પ્રિય લેખકને કાર કે બંગલો ગિફટમાં આપી દે છે. આપણે ત્યાં વાચક ઘરે આવ્યો હોય તો સાલા
ઘરઘાટીને ય ઉપાડતા જાય છે...!
બીજી વાત. ગુજરાતનો માંડ એકાદ અપવાદ બાદ
કરતા કોઇ સાહિત્યકાર ખાધે-પીધે સુખી ઘરનો નથી. (‘ખાધે’ તો કદાચ ૪-૫ ટકા ય સુખી હશે, બાકી ‘પીધે’ તો બધા મફતીયાઓ હોય છે...! એમને પીવડાવનારા ‘પીધે’ દુઃખી થઇ જાય છે !) મોટા ભાગના સાહિત્યકારો લૉઅર-મિડલ કલાસમાંથી માંડમાંડ બે
પાંદડે થયેલા છે અને આ બે પાંદડે એટલે પોતાના ખર્ચે ગાડી ખરીદી શકે એટલા નહિ. ગાડી લઈ આવ્યો હોય તો એની
બીજી કોઇ આવકના જોર પર. હિસાબ સીધો છે.
ખાધે-પીધે સુખી ઘરનો હોય તો લેખક બનવાની જરૂરે શી પડે ? બેઠો બેઠો ધીકતી કમાણી ન કરે ?
મતલબ કે, આ રૂ. ૪-૫ લાખ પુસ્તકો પાછળ ખર્ચવાની વાતમાં ગોટાળો મોટો છે. ઍક્ચ્યૂઅલી થાય છે એવું કે, મોટા ભાગના લેખકોને પુસ્તકો
મફતમાં મળે છે. કાં તો નવો લેખક આની પાસે પોતાના
પુસ્તક વિશે ક્યાંક બે લાઇનો લખાવવાની લાલચે ભેટ આપી જાય ને કાં તો પ્રકાશકો ‘અવલોકનાર્થે’ મોકલાવે. આ આપણો મોટો લેખક ગાન્ડો થોડો થઇ ગયો છે તે
એમાંનું એકે ય પુસ્તક વાંચે ? ઇચ્છા હોય તો ય મફતમાં એટલા બધા પુસ્તકો આવતા
હોય કે, પ્રૅક્ટિકલી એ વાંચી ય ન શકે. બસ. એમાં આંકડો પેલા ૪-૫ હજાર પુસ્તકો
ઉપર પહોંચ્યો હોય અને ઘેર આવેલાને આંજી નાંખવા માટે ડ્રૉઇંગ-રૂમની દિવાલો પર પુસ્તકો પૂરતા છે. દિવાલને
રંગરોગાન કરાવવા કરતા પુસ્તકો
ઈન્ટરીયર-ડૅકોરેશનમાં સસ્તા પડે. (સસ્તા...?? આઇ મીન, મફતમાં પડે !)
બીજી વાત.
માની લો કે, અંગત લાયબ્રેરીના તમામ પુસ્તકો
એણે વાંચ્યા છે, તો સવાલ થયો કે હજી રાખી કેમ મૂક્યા છે ? એ કાંઇ બીજી વાર વાંચવાનો તો નથી.
આવું બઘું વાંચવા, ઘરમાં એના જેવા બીજા નવરા ન હોય.
આ કોઇ સીડી કે MP3 નથી કે, વારંવાર સાંભળવાના કામમાં આવે. રૅફરન્સ-બૂક્સ સમજ્યા કે, રાખી મૂકવી પડે. એની જરૂર પડે. પણ બાકીના
પુસ્તકો એમને એમ જીંદગીભર પડ્યા રહેવાના છે, એ જાણવા છતાં કોઇ જરૂરતમંદ વાચક કે લાયબ્રેરીને ભેટ કેમ આપી દેતો નથી ? સાલા, તેં પૈસા ખર્ચ્યા નથી. તું
વાંચવાનો નથી કે, ઠાઠઠઠારો કોઇને બતાવવા થાય એટલે, તું એને પસ્તીમાં ય આલી દેવાનો નથી, તો શું કામ ખોટો દંભ કરશ, ભા’આય...?
આ લોકો
મૂંઝાઇ ત્યાં જાય છે, જો ઘરમાં પુસ્તકો ન દેખાય તો પ્રજા એને સાહિત્યકાર કેમ માનશે ? એમાં ય, કોઇ સાહિત્યિક પ્રવચનમાં બીજા કોઇ લેખકે આના સંદર્ભમાં મંચ
પરથી કીઘું કે, ‘‘તેઓશ્રીનું ઘર, એટલે જીવતું જાગતું પુસ્તકાલય...! અહો, અહો, અહો....! કેટલા માતબર પુસ્તકો છે
એમને ત્યાં...!’’ બસ. કોઈ આવા વખાણ કરે, એટલે પૈસા વસૂલ.
અચ્છા.
મેહમાનોને દેખાય એવા પુસ્તકો પાછા કોઇ
ઑર્ડિનરી ન હોય...પ્રભાવ પડે એવા હોય... (શું પડે એવા હોય ? જવાબઃ પ્રભાવ પડે એવા હોય ! જવાબ
પૂરો) મેહમાનો જોઇ શકે, એ શૉ-કૅસમાં તમે અંજાઇ જાઓ, એવા એવા વિષયના પુસ્તકો લટકતા હોય. જે. કૃષ્ણમૂર્તિ, બર્ટ્રાન્ડ રસેલ કે ‘ઍરક્રાફટ-મિકેનિઝમ’ નામના પુસ્તકો જોઇને સાલી હેડકી આવે કે, આવડો આ અત્યાર સુધી તો વાચકોને
બનાવતો હતો...અચાનક વિમાન બનાવતો ક્યારથી થઇ ગયો ? તારી ભલી થાય, ચમના....!
અહીં લેખક થઉ-થઉ કરતા મજૂરોને સૂચના કે, સારા તો જાવા દિયો, પણ જાણિતા લેખક થવું હોય તો ફોરેનના
સાહિત્યકારો-કવિઓના નામો ગોખી જ મારો. તમારા લખાણોમાં વિધાઉટ-ફૅઇલ પરદેશના સર્જકોના
નામો ઝળકવા જરૂરી છે. અલબત્ત, એ સીસ્ટમ થોડી જૂની થઇ ગઇ છે, કારણ કે, પરદેશમાં ય હમણાં હમણાંથી કોઇ નવા
સર્જકો બન્યા નથી, એટલે એકના એક નામો લઇને બૉર થઇ
જવાય છે. સોસ્યૂર, ચોમ્સ્કી, કાફકા, મોલિયર કે શૅક્સપિયર શું કહેતો હતો, એનો ઉલ્લેખ પોતાના પ્રવચન કે
લેખમાં કરવો પણ, રણછોડભ’ઇ મફાભ’ઇ પટેલ શું કહેતા હતા, તેનો કોઇને અણસાર ન આવવા દેવો. (રણછોડ કે’તો તો કે, આપણા ઍરિયામાં બે દહાડા વીજળી બંધ
છે....!)
ભારે દોડધામ અને હૈયાવરાળો પછી ગુજરાતી
કાવ્ય અને ગઝલ સાહિત્યમાં નવો શબ્દ મળી આવ્યો છે, જે હરકોઇ ગુટખાની માફક વાપરે રાખે
છે. શબ્દ બહુ અંજાઇ જવાય એવો છે. એના અર્થની મને ખબર
નથી-રિક્તતા. આ ‘રિક્તતા’ જ્યાં સુધી તમારી કવિતા ગઝલમાં ન આવે, ત્યાં સુધી તમે કોઇ સાયકલ-મીકેનિકે
ય ન ગણે...ગઝલકાર તો બહુ દૂરની વાત છે. હજી સુધી એકપણ
ગુજરાતી કવિડો જન્મ્યો નથી, જેની રચનામાં તમને ‘કૂંપળ’ જોવા ન મળે. મોટી થઇને એજ કૂંપળ હળકડી બને છે, ફૂલ બને છે, ઘાસ બને છે, એમાંનું કાંઇ જોવાની જરૂરત
નથી-કૂંપળ આવવું જોઇએ. ગુજરાતીમાં મૌલિકતાનો ખૂબ ખ્યાલ રખાય છે-બીજાની મૌલિકતા...બીજાની રિક્તતા.
હા. એક બીજો ખ્યાલ પણ રાખવાનો.
સાહિત્યજગતમાં તમને કોઇ મોટો હોદ્દો-બોદ્દો મળે...(આ ‘બોદ્દો’ શબ્દ અત્યારે જ આપણે શોધેલો છે.
નવોદિત કવિઓને એમની સંરચનાઓમાં મારો આ ‘બોદ્દો’ વાપરવાની મારી અનુમતિ છે...‘રચના’ અને ‘સંરચના’ વચ્ચે શો ફેર, એ મને ખબર પડશે તો તમને જણાવી દઇશ
!!!) તો સમગ્ર સાહિત્ય-જગત અંજાઇ જાય તમારી
નમ્રતા ઉપર, એવું નિવેદન હોદ્દો સ્વીકારતા પહેલા આપી દેવાનું કે, ‘‘મારી તો લગીરે ઇચ્છા, ખેવના કે મહત્વકાંક્ષા આ સ્થાન શોભાવવાની નહોતી. પણ
મિત્રોનો આગ્રહ, વાચકોનો પ્રેમ અને આ બાજુ મારી કેડનો દુઃખાવો...મારે કમને આ
સ્થાન સ્વીકારવું પડ્યું...!’’
તમે
સાહિત્યકારોને રૂબરૂ મળો તો રાજકારણીઓ ઓછા દંભી લાગશે...!
સિક્સર
એક
રીક્ષાની પાછળનું લખાણ વાંચીને હું ખડખડાટ હસી પડ્યો,
‘‘આવો તો વૅલકમ, જાઓ તો ભીડ કમ.’’
No comments:
Post a Comment