Search This Blog

08/02/2015

'એનકાઉન્ટર' : 08-02-2015

* નાગરો વિશે તમારૂં શું માનવું છે ?
- મારૂં બધું માનવાનું ફક્ત ભારતીયો સુધી જ પહોંચે છે.
(ઉર્વી ભટ્ટ, અમદાવાદ)

* મારે લગ્ન પછી એક બાબો છે, પણ ભણવાનું ચાલુ હોવાથી વાંચવામાં ધ્યાન રહેતું નથી, તો શું કરવું ?
- મતલબ....વાઇફનું ધ્યાન રાખવાનો તો તમને વિચારે ય નથી આવતો, એમ...?
(રજનીકાંત ગજ્જર, અમદાવાદ)

* નેતાઓ ચૂંટણી પછી કેમ દેખાતા નથી ?
- આખા માણાવદરમાં એકે ય ચેહરો સારો નથી ? નેતાઓને દેખીને ક્યા વાવટા ફરકાવવા છે ?
(પ્રતિક શોભાષણા, માણાવદર)

* કહે છે કે, જ્યારે તમે હસો છો ત્યારે એ ઇશ્વરની પ્રાર્થના બની જાય છે, પણ કોઇને હસાવો છો, ત્યારે સ્વયં ઇશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે... સાચી વાત ?
- બિલકુલ સાચી વાત... અમારા જેવાઓથી વાચકોને બચાવવા ઇશ્વર રોજ પ્રાર્થના કરતો હશે.
(વર્ષા જે. સુથાર, ભુજ- કચ્છ)

* જમવા કરતા ફાસ્ટફુડનું પ્રમાણ કેમ વધી ગયું છે ?
- ચૂડામાં ફાસ્ટફૂડનું કોઇકે શરૂ કર્યું... ગ્રાહકો પિત્ઝા સાથે ચમચી માંગવા મંડયા. બીજે બધે તો હવે ખીચડી ખાવા ય લોકો સ્ટ્રો માંગે છે...
(દિવ્યેશ પટેલ, ઓઢવપુરા- દેત્રોજ)

* ૧૪ વર્ષની ઉંમરના ચીનાએ ૧૪ વખતના ચેમ્પિયન પંકજ અડવાણીને હરાવ્યો... આને શું કહેવાય ?
- પરાજય.
(અમિતગીરી ગોસ્વામી, જામનગર)

* યુવાની સજા છે કે મજા ?
- એમ કહો ને...હજી બેમાંથી એકે ય શરૂ થઇ નથી...!
(ભાવિક મકવાણા, પાદરા- વડોદરા)

* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછવાની લાયકાત જણાવશો.
- એક જ. ભારતમાતા માટે પ્રેમ.
(હર્ષદીપસિંહ ઝાલા, વડોદરા)

* એકલી સ્ત્રી ભયમુક્ત થઇને ઘરની બહાર નીકળી શકે, એવું રામરાજ્ય ફરી આવશે ખરૂં ?
- એવું રામરાજ્ય કેવળ ગલ્ફ દેશોમાં છે...પણ એને 'રામરાજ્ય'ના કહેવાય !
(ડૉ.પ્રીતિ સોનૈયા, ખંભાળીયા)

* ઘરના વાવાઝોડાને મનાવવા શું કરવું ?
- વાઇફે મનાવવો પડે, એવો ગોરધન તો આખા ય દેશનો એક માત્ર 'મર્દ' માણસ કહેવાય... બાકીના બધાઓ પોતપોતાને ભાગે આવેલી ત્સુનામીઓને મનાવવામાં પતી જાય છે.

* એક રૂપિયા બરોબર એક ડોલર ક્યારે થશે ?
- બસ.... એક પાઉન્ડ બરોબર એક રૂપિયો થઇ ગયા પછી તરત જ...!
(તેજસ કાચા, ધોરાજી)

* સાહિત્ય અકાદમી હાસ્ય સાહિત્યનો પુરસ્કાર કેમ આપતી નથી ?
- બસ... છેલ્લે મારા પુસ્તકને આપી દીધા પછી એ લોકોને પોતાની ભૂલ સમજાઇ.

* આપણે ભારતના અનેક શહેરોમાં નામો બદલી શક્યા, તો 'ઇન્ડિયા'નું 'ભારત' ક્યારે થશે ?
- 'ઇન્ડિયા' પણ હિન્દુસ્તાનનું જ અંગ્રેજોએ અપભ્રંશ (Distort) કરેલું નામ છે... હિંદી ઉપરથી ધીમે ધીમે 'હિન્ડીયા' ને છેવટે 'ઇન્ડિયા' થઇ ગયું. 'ઇન્ડિયા' સરસ લાગે છે... બદલાવવાની જરૂર નથી.
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* હાસ્યલેખિકા બનવા માટે તમારા પાસેથી ટ્રેનિંગ લેવી છે... શું કરવું ?
- ઓહ... હજી હું એટલો મોટો હાસ્યલેખક નથી થયો.
(આયેશા રાણાવાડીયા, હિંમતનગર)

* જે લોકો ડ્રીન્ક્સ નથી લેતા કે તીનપત્તી નથી રમતા, એ પોતાને જરા ઊંચા કેમ સમજે છે ? કે એવા વહેમમાં હોય છે ?
- 'પરમિટ લઇને કે લીધા વગર...ક્યાં ચાલે છે કોઇને પીધા વગર ?'
(નૈમિષ સિધ્ધપુરા, મૅલબોર્ન-ઓસ્ટ્રેલિયા)

* 'એનકાઉન્ટર'માં બુધવારની બપોરની જેમ 'સિક્સર' કેમ નથી આપતા ?
- આપણી ત્રણે ય કોલમોમાં મને સૌથી અઘરી સિક્સર લખવી પડે છે... માટે !
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* 'ઍનકાઉન્ટર' નામ બદલવા જેવું નથી લાગતું ? ક્યાંક સોનિયાજી તમને 'મૌત કા સૌદાગર' કહી દેશે...
- યૂ મીન... સોનિયાજી હવે પછી મને પ્રાઇમ મિનિસ્ટર બનાવશે...? આવા બફાટો કરીને ???
(જયદેવસિંહ ઠાકોર, વ્યાસડા- કલોલ)

* હાસ્યની દુનિયામાં જ્યોતિન્દ્ર દવે અને પછી અશોક દવે... પણ પછી કોણ ?
- એ જ દુઃખની વાત છે કે નવા કોઇ આવતા નથી ને હાલમાં જે સરસ લખે છે, એમને યોગ્ય માધ્યમ મળતું નથી.
(મૂકેશ એમ.પંડયા, વડોદરા)

* સાંભળ્યું છે કે, તમે હવે રાજકોટમાં સેટલ થવાના છો ?
- અમદાવાદ માટે ઘણા ઉત્સાહજનક સમાચાર કહેવાશે ને...?
(રવિ કવા મહેશભાઇ, રાજકોટ)

* ભારત મહાસત્તા ક્યારે બનશે ?
- ક્યારેય નહિ. જે દેશમાં દેશ સૌથી છેલ્લો આવતો હોય ને પહેલા પોતાનો ધર્મ આવતો હોય એવા હજારો ધર્મો પાળનારાઓને દેશની શું પડી હોય ?
(મિતેશ આર.શ્રીમાળી, વડોદરા)

* મારે શ્રી નરેન્દ્ર મોદીને મળવું હોય તો શું કરવું ?
- 'હ' ઊડાડીને તમારું નામ અને અટક ભેગા કરી નાંખો.
(પ્રતિક શાહ, જોરાવનગર)

* હું એક શિક્ષક છું. શિક્ષકો પ્રત્યે તમારા વિચારો જણાવશો ?
- મારું એક વાક્ય તો ચાણક્યે ઉઠાવીને પોતાના નામે ચઢાવી દીધું હતું કે, 'શિક્ષક કભી સાધારણ નહિ હોતા...' બસ... આ જે મેં કર્યું, એવું શિક્ષકોએ નહિ કરવાનું.
(સંજય ડી. ભોગાયતા, જામ ખંભાળીયા)

* લોકો તડકા વગેરે ય ગોગલ્સ કેમ પહેરી રાખે છે ?
- બહેરાઓને કાનનું મશિન ભરાવી રાખવું પડે છે... એવી કોઇ તો મજબૂરી હશે ને ?
(હિતેશ આહિર, મુંબઇ)

* વચ્ચે એક રવિવારે 'એનકાઉન્ટર' ઉભું આવ્યું હતું... કારણ ?
- હું જરા આડો પડયો'તો...!
(ખુશ્બુ જોશી ઠાકોર, વડોદરા)

* શિયાળામાં ગરમ પાણીથી નહવાય કે ઠંડા પાણીએ ?
- આવી ખબર ન પડતી હોય ત્યારે અમે લોકો તો નહાવાનું માંડી વાળીએ છીએ.
(રાજેશ તવેથીયા, સુરત)

No comments: