Search This Blog

17/02/2016

ઍન્જીઓગ્રાફી

હું ૧૦૦-ટકા જીવિત છું, એનો એક માત્ર પુરાવો ધબકતું હૃદય છે. છાતી ઉપર હાથ દબાવું ત્યારે અંદરથી કોક દરવાજો ખખડાવતું હોય, એવા ધબકારા જણાય છે. કોકને બહાર આવવું હોય, એવું આપણને લાગે. આવું મગજ ઉપર હાથ દબાવવાથી થતું નથી, એટલે મને પહેલો ડાઉટ મગજ બંધ પડી જવાનો થયો. જો કે, મગજ માથામાં જમણી તરફ હોય કે ડાબી, એની બહુ ખબર નથી. મેં તો મીનાકુમારીની માફક બન્ને હથેળીઓ બન્ને લમણાં ઉપર દબાવી જોઇ, તો ય કોઇ નક્કર અવાજ આવ્યો નહિ, એટલે ડાઉટ મગજ કામ કરતું નહિં હોય, એવો પડયો. અલબત્ત, મારા લેખો વાંચનારા ઘણાએ કીધું કે, ''....તો ય, આટલા વર્ષોથી તમે લખી રહ્યા છો, એ ચમત્કાર જ કહેવાય !''

અને એક સુંદર સવારે, એ જ હૃદય નાના બાળકની જેમ ખફા થઈ ગયું. ધબકવાનું તો બંધ ન કર્યું પણ, ''હવે બધું હૃદયથી કામ લેશો તો આખી ફૅક્ટરી બંધ કરી દઇશ,'' એવી ધમકી આપવા અંદર પડયા પડયા એણે તોફાનો શરૂ કરી દીધા. ઘરમાં બધા અને બહારના દોસ્તો ઉપરથી ઠપકો આપવા માંડયા, ''દાદુ, તમે બધા કામો હૃદયથી કરો છો....એનો વપરાશ વધી ગયો છે, એટલે એ ય થાકે ને ?''

એટલે મને વિશ્વાસ બેઠો કે, આ ધોરણે તો મને મગજની કોઇ બિમારી નહિ થાય....એકે ય કામમાં મગજ વાપર્યું હોય, તો તકલીફ ! એ તો વળી સારૂં છે કે, હું એક સામાન્ય કક્ષાનો લેખક છું, એટલે મગજ વાપર્યા વગર ફક્ત હૃદયથી બધું લખાઈ જાય છે....ગુજરાતી સાહિત્યવાળાઓને થોડા વખતથી એક નવો શબ્દ મળ્યો છે, તો વાપર વાપર કરે છે, ''હૃદયસ્થ.'' પણ મારા કૅસમાં કોઇ ''મગજસ્થ'' શબ્દ વાપરે, એવી શક્યતા દેખાતી નથી.

પણ હવે મારૂં હૃદય ખબર નહિ, મહીં પડયું પડયું કોઇ ખરાબ સંગતે ચઢી ગયું હશે. લીવર દારૂડીયું છે. ફેફસાં બરફના પહાડો ઉપર વહેતા ધૂમ્મસ જેવા છે (લોકો એને ધૂમ્મસ નહિ, સિગારેટનો ધૂમાડો કહે છે !) ગોલબ્લૅડર બહુ ડાહ્યું થતું'તું, એટલે પહેલેથી કઢાવી નાંખ્યું હતું અને બન્ને કીડનીઓ સારા ઘરની હોવાથી પરફૅક્ટ કામ આપે છે, એ જોઇને ઘણાએ ઑફર મોકલી હતી, ''બોલો, કેટલામાં કાઢવાની છે ?''

મતલબ, યે તો એક દિન હોના હી થા ! મારા જેવા અનેક લોકો છે, જેમને હૃદયરોગ આવે ત્યારે સમાજને ખબર પડે છે કે, આને તો હૃદય હતું ! મને પોતાને ય, હૃદય આડું ફાટયા પછી વિશ્વાસ બેઠો કે, ''એમ તો હું દિલવાળો માણસ છું.''

''કોઇ હૂમલો-બૂમલો આયો કે નહિ....?'' એક સંબંધીએ મારા ખભે હાથ પછાડીને પૂછ્યું. ''બે સુધી ધ્યાન રાખવાનું હોય છે...ત્રીજામાં ધ્યાન રાખવાનો મોકો મળતો નથી....!''

મેં એમને સમજાવ્યા કે, હજી હું હૂમલાના સ્ટેજે પહોંચ્યો નથી...આળસ ! મૂળભૂત રીતે હું મારામારી કે હુલ્લડોનો માણસ જ નહિ. હજી મને એકે ય ઍટેક આવ્યો નથી, એ સાંભળીને એમને થોડી નિરાશા થઇ. આવે તો એમને ગમે, એવું ય સાવ નહોતું, પણ પહેલો આવ્યા પછી શું કરવાનું, બીજા વખતે કયા ડૉક્ટર પાસે તો નહિ જ જવાનું, ને ત્રીજો આપણા હાથમાં કેમ નથી હોતો, એ બધી ડીટૅઇલ્સ એ મને આપવા માંગતા હતા, પણ મને હજી એકે ય આવ્યો ન હોવાથી એમનું હૃદય બહાર-બહારથી ઘવાયું.

''તમે ઍન્જીઓગ્રાફી કરાવી લો.'' મારા ફૅમિલી-ડૉક્ટરે સલાહ આપી. ''અહીંથી નીકળ્યા છો, તો દાઢી કરાવી લો,'' એવું ઓળખીતો સલૂનવાળો કહે, એટલી આસાનીથી ડૉક્ટરે મને ઑફર મૂકી હતી.

''સર...મેં એકે ય વાર કરાવી નથી....મને એવી હૉબી જ નથી. વળી-''

''અરે ભ'ઇ, આ કોઇ બાબરી ઉતરાવવા જેવી સહેલી વાત નથી. ઍન્જીઓગ્રાફી એટલે તમારૂં હૃદય ઠીક કામ કરે છે કે નહિ, તે ચૅક કરાવવાની વાત છે.'

અમારે બા'મણભ'ઇઓને તો દિવાળી ટાણે ઘરમાં સાફસૂફી કરાવવાની આવે, એ ય સાલી મોંઘી પડતી હોય, ત્યાં આ કંઇ નવું લાયા, ઍન્જીઓગ્રાફી !

''દાદુ, આમાં કાંઇ થતું નથી. જરા ય ગભરાશો નહિ !'' એકાદ વાર કરાવી ચૂકેલાઓ મને સમજાવવા આવ્યા. ''....કાંઇ...થતું નથી ? તો પછી...આટલો બધો ખર્ચો શું કામ કરવો ?''

''અરે ભ'ઇ, કાંઇ થતું નથી, એટલે ઍન્જીઓગ્રાફી કરાવતી વખતે કાંઇ થતું નથી. કોક નળીમાં લોહી ગંઠાઇ ગયું હોય, તો ખબર પડે. એવું હોય તો એ લોકો સ્ટૅન્ટ મૂકશે અને -'

''સ્ટૅન્ટ ? નસમાં ??....તો તો બહુ દુઃખે ને ?'' મેં ગભરાઈને પૂછ્યું.

''અરે, તમને ખબરે ય નહિ પડે કે ઑપરેશન થઇ ગયું છે...''

''ખબરે ય નહિ પડે ? ખબર જ ના પડવાની હોય તો તો ખોટા પૈસા પડી ના જાય ?''

''ઉફ...ઓહ...આ માણસથી તો-અરે, કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ !''

મેં જીવનમાં કદી કોઇને ખબર ન પડે, એવું કામ કર્યું નથી અને અહીં તો ડૉક્ટરો જ આવા-ખબર ન પડે-એવા ધંધામાં પડયા હોવાનું મને ન ગમ્યું. એ તો પછી ખબર પડી કે, આમાં તો આપણને ખબર ન પડે, એ સારૂં કહેવાય. હું આમ મરદ ખરો, પણ દવાખાનામાં બીજા કોઇને ઇન્જેકશન આપતા હોય, એ હું જોઇ શકતો નથી. એવો મારો ઈર્ષાળુ સ્વભાવ નહિ કે, ''તમે (ઇન્જેકશન) લઇ ગયા ને અમે રહી ગયા'' પણ, એ ઇન્જૅકશન મને અપાતું હોય એવો ફફડી જઉં છું. ઘણી વાર તો ડૉક્ટર મને ઇન્જૅકશન આપવા

આવ્યા હોય, તો મોટું મન રાખીને વિનમ્રતાથી કહી દઉં છું, ''મને નહિ....આ બાજુમાં બેઠા છે, એ ભ'ઇને આલી દો....મેં તો લાઇફમાં બહુ ઇન્જૅકશનો જોઇ નાંખ્યા.'

''જુઓ દાદુ, મોટે ભાગે તો કશું નહિ નીકળે...પણ ન કરે નારાયણ ને એકાદી ગાંઠ નીકળી, તો એ લોકો ઍન્જીઓપ્લાસ્ટી કરીને ગાંઠ કાઢી નાંખે છે.''

''પણ મારા મનમાં તો કોઇના માટે ગાંઠ નથી રાખતો. જે ઉકેલતા ન આવડે, એવું કશું વાળવાનું જ નહિ.''

''મનમાં નહિ રાખતા હો....આ તો હૃદયમાં છે. એટલે તમને ઝીણકો ઝીણકો દુઃખાવો છાતીમાં રહે છે ને ?'' વાત તો સાચી હતી. ઉધરસ ખાતી વખતે છાતીમાં થોડું દુઃખે, એને આ લોકો પાપની નિશાની ગણે છે. એનો અર્થ એવો ય થયો કે, ઇશ્વરે તમને ચેતવણી આપી દીધી છે. એ ધારત તો વગર ચેતવણીએ ગૅટ-પાસ મોકલી આપ્યો હોત, પણ બહુ ઓછા લોકોને એ આવા-બબ્બે તત્તણ ઍટેકોવાળા-ચાન્સ આપે છે. આમાં, પહેલો હજી ન આવ્યો હોવાથી, એની રાહ જોવાની હોતી નથી કે ખોટું ય લગાડાય નહિ,

''બાજુવાળાને તો બબ્બે આઈ ગયા...ને અહીં હાવ નવરા બેઠી છીએ.'' આમાં તો 'દિલ' મોટું રાખવું પડે.

ને તો ય, ઍન્જીયોગ્રાફી કરાવવાની તો છે જ, એટલે મેં'કુ...વસીયત-બસીયતનામું કરતા જઇએ. મારા તો અક્ષરે ય બહુ સારા આવે છે. પણ એમાં તો ઘરના છોકરા બગડયા. 'ડૅડ...(પહેલી વાર મને ઉચ્ચાર 'ડેડ' સંભળાયો) ખોટી ઉતાવળો ના કરો...આપણા ફૅમિલી-વકીલ અમેરિકા ગયા છે...ઠેઠ માર્ચમાં આવશે....અત્યારે તમારે વિલ-બિલનો વિચાર જ ના કરવાનો હોય !''

વાઇફ બહુ બગડી, ''અસોક...આ સુઉં માંઈડુ છે...? તમે ગામ આખામાં ઢોલ પિટી આઇવા છો, એમાં ઇ લોકો મારા લોહીડાં પીએ છે, 'ભા'આયને ક્યારે લઈ જવાના છે ?''

એ ભોળુંડાઓ મને 'હૉસ્પિટલ' ક્યારે લઇ જવાના છે, એવું પૂછતા હતા ને આ અમથેઅમથી ઉત્સાહમાં આવતી હતી....આ તો એક વાત થાય છે !

સિક્સર
- અમારા નારણપુરા ચાર રસ્તા ઉપર રોજ એકાદો ઍક્સિડૅન્ટ થાય છે...ટ્રાફિક સિગ્નલ ક્યારે આવશે ?
- કોઇ મોટાને મરવા દો....!
- ઓહ...તો તો તમે જ આવી જાઓ ને!

14/02/2016

ઍનકાઉન્ટર : 14-02-2016

* જો તમારી ઉંમર કાયમ માટે અહી જ અટકી જાય તો ?
- 'કાયમ રહી જો જાય તો, પયગમ્બરી મળે, 
દિલમાં જે એક દર્દ કોઇ વાર હોય છે.' (મરીઝ)
(ઋત્વિક ભટ્ટ, મુંબઇ)

* તમારા મતે બોલિવૂડનો આજનો બેસ્ટ એક્ટર કોણ છે ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર અક્ષય કુમાર. તમે ય ફિલ્મ 'ઍરલિફ્ટ' જોઇ લો એટલે પેદા થઉ-થઉ કરતો આ સવાલ અટકી જશે.
(મુશ્તકિમ ઘડિયાળી, ભરૂચ)

* પતિ ઘણી બધી સ્ત્રીઓ સાથે ફરે, તો શું કરવું ?
- ઘણા બધા પુરુષો મરી ગયા છે, શું ?
(જ્યોતિ રાણા, વડોદરા)

* મારો એક મિત્ર સલાહ માંગે છે કે, એની વાઇફના બર્થ-ડે પર ગિફ્ટ શું આપવી ?
- એનો આધાર હાલમાં એ બન્નેને કેટલા બાળકો છે, એની ઉપર છે.
(મયંક બી. ભટ્ટ, આણંદ)

* 'અશોકના સત્યના પ્રયોગો'ક્યારે બહાર આવશે ?
- જગતમાં ગાંધીજી સિવાય કોઇને સત્ય વિશે બોલવાનો અધિકાર નથી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* નેતાઓ વગર દેશ ચાલે કે નહિ ?
- એ તપાસી જોવાનો સાલો.. એક ચાન્સ મળતો નથી.
(કલ્પેશ કારંગીયા, બામણાસા- કેશોદ)

* ઘડપણમાં માથાના વાળ સફેદ ન થાય, એનો કોઇ ઉપાય બતાવશો ?
- ઘડપણ આવે, પછી કહું.
(ખ્યાતિ ધરોડ, મુંબઇ)

* વધતી મોંઘવારીમાં કોઇ ઇનામ મળવાની યોજના કરો ને !
- દેશ માટે કંઇક કરી બતાવો, એ ઇનામ જ છે.
(ભગવાનદાસ મકવાણા, મુંબઇ)

* નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇરફાન ખાન માટે શું અભિપ્રાય છે ?
- અત્યારના લોટમાં આ બન્ને સર્વોત્તમ કલાકારો છે.
(રાકેશ વારીયા, સુરત)

* 'આ બૈલ, મુઝે માર...' નું કોઇ ઉદાહરણ ?
- ''મારી મમ્મી થોડા દહાડા રહેવા આવે ?'' એવું વાઇફ પૂછે અને તમે હા પાડો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* યાદશક્તિ વધારવાનો કોઇ ચોક્કસ ઉપાય ખરો ?
- ચારે બાજુથી ઉધાર લેવાનું ચાલુ કરો.. જુઓ, તમારા લેણદારોની યાદશક્તિ કેટલી સોલ્લિડ વધે છે.
(શશીકાંત દેસાલે, વડોદરા)

* મારી પાસે કાતર છે. એમાંથી તમે કેટલી સૉય બનાવી શકો ?
- તમે કોઇ પરફૅક્ટ વાળંદને પકડો... મને તો ટેભા મારતા ય નથી આવડતું.
(રોહિત દરજી, હિમ્મતનગર)

* રિવરફ્રન્ટ પર પાર્કિંગ- પ્લોટ ઓહિયા થઇ ગયો.. કોઇ આંદોલન ?
- 'કહાં તક નામ ગીનવાયેં, સભી ને હમકો લુટા હૈ...'
(ચિરાગ સુવેરા, નારણપુર- અરાવલિ)

* સંતાનો અને મા-બાપ વચ્ચે આજકાલ અંતર કેમ વધી રહ્યું છે ?
- તમે તમારા મા-બાપને સારી રીતે રાખ્યા હશે, તો એ તમારા સંતાનોએ જોયું હશે... એ લોકો ય તમને પૂરતા પ્રેમ-આદરથી રાખશે... જે દીકરાઓ મા-બાપને હડધૂત કરે, એમને ય હડધૂત થવાના દિવસો બહુ દૂર નથી. સ્વર્ગ-નર્ક બધુ અહી જ છે, ઉપર કાંઇ નથી.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* સ્કૂલમાં તમે બ્રિલિયન્ટ હતા કે સીધાસાદા ?
- હું તો બસ... એક સીધોસાદો બ્રિલિયન્ટ હતો.
(ધીમંત ભાવસાર, બડોલી- ઇડર)

* રાધે મા એ ફેશનેબલ કપડાં માટે કહ્યું કે, 'ભક્તોએ આપ્યા છે, માટે પહેરૂં છું.'
-કોક્વાર ભક્તો કશું ન આપે, એવી પ્રાર્થના કરો.
(દીપક પટેલ, અમદાવાદ)

* પૈસો, પત્ની, મોબાઇલ અને દોસ્ત... તમારી પસંદગી પ્રમાણે ક્રમમાં ગોઠવશો?
-પૈસો.. બસ, પછી કાંઇ નહિ ! એ જ કાયમ તમારી સાથે રહે છે, પેલા ત્રણ કાયમ નહિ.
(દીપક આશરા, ગાંધીનગર)

* એક હિન્દી ન્યુસ-ચેનલમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ માટે લખેલી લાઇનમાં સ્પેલિંગની ભૂલ હતી..
-આ વાત મને કહેવાને બદલે એ ચેનલને કહો, જેથી બીજીવાર આવી ભૂલ ન કરે.
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

* સરકાર કૉમન મેનને હજી કેટલું લૂટશે ?
-'લૂંટવું' આપણા દેશમાં બહુ કોમન છે.
(મોહિત મર્થક, રાજકોટ)

* તમને મંગળના ગ્રહ પર રહેવા મળે, તો જાઓ ખરો ?
-બે રૂમ રસોડાનું ભાડું કેટલું છે, એ જોઇ લેવું પડે.
(મિતુલ પ્રજાપતિ, અરોડા-ઇડર)

* ઘેર બનાવેલી પાણી-પૂરી અને બહાર ભૈયાઓની પાણી-પુરી વચ્ચે ફરક ખરો ?
-ઘેર પાણીપુરીના ચટાકેદાર પાણીમાં સાલો જલદ એસિડ નથી નાંખી શકાતો.
(અજય ધામેલીયા, શામપરા, ભાવનગર)

* તમે ૨૦ વર્ષની ઉંમરે કેટલી દેવી- મિત્રો રાખતા ?
-૨૦ની ઉંમરે હું ૬૦ની ઉંમરવાળી દેવી-મિત્રો ઘણી રાખતો... કંઇક શીખો મારામાંથી, યુવાન !
(આશિષ પાનસેરીયા, નેસડી- સાવરકુંડલા)

* લાગવગ વધુ ફાયદાકારી કે ઇમાનદારી ?
-ઇમાનદારી એટલે શું વળી ? નામ જ આજે સાંભળ્યું. એ શું કોઇ છોકરીનું નામ છે ?
(જયપાલ ગોહિલ, લવરાડા-સિહોર)

* તમારા વાઇફનું નામ શું છે ?
-'રામપ્યારી'
(કિશન મોરડીયા, ઊગામેરી- ગઢડા)

* તમને મળવા માટે મેં ફ્લાઇટ બૂક કરાવી હતી પણ એ પ્લેન જ કેન્સલ થયું..
-ઓહ... મારા નાનપણથી પ્રિય ઊંઝામાં એરપોર્ટ આવી ગયું ?
(આભા પંચાલ, ઊંઝા)

* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
-કોકનો એવો સ્વભાવ... ! આપણે તો કેટલું ખીજવી શકીએ !
(હિતેશ પરમાર, મુંબઇ)

* આ વર્ષે તમારી ૧૬મી બર્થ ડેટ ૨૯ ફેબ્રુઆરીએ આવશે. મોરારજી દેસાઇની જેમ... તમારા વચ્ચે કોઇ ફર્ક ખરો...?
-એમને જે પીણું ફાવતું હતું, એ મને ફાવતું નથી... જે પીણું મને ફાવે છે, એની રાજ્ય સરકારે બંધી ફરમાવી છે. 
(ગૌતમ વ્યાસ, અમદાવાદ)

13/02/2016

'સિંગાપુર' ('૬૦)

ફિલ્મ : 'સિંગાપુર' ('૬૦)
નિર્માતાઃ એફ.સી. મેહરા
દિગ્દર્શકઃ શક્તિ સામંત
સંગીતઃ શંકર-જયકિશન
ગીતકારોઃ શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમઃ૧૬-રીલ્સઃ ૧૩૫-મિનિટ્સ
કલાકારોઃ શમ્મી કપૂર, પદ્મિની, શશીકલા, મારિયા મીનાડો (મલેશિયન અભિનેત્રી), કે.એન. સિંઘ, મદન પુરી, હેલન, આગા, રાજન કપૂર, ગૌતમ મુકર્જી, લિલિયન, રતન ગૌરાંગ, અવતારસિંઘ, ભગવાન, મોહન વડોદીયા અને દ્વારકા દિવેચા.


ગીતો
૧ યે શહર બડા અલબેલા, હર તરફ હસિનોં કા મેલા.... મૂકેશ-કોરસ
૨ આને લગા જીને કા મઝા....... લતા મંગેશકર
૩. જીવન મેં એક બાર આના સિંગાપુર..... લતા-કોરસ
૪. હટ જાઓ, દીવાને આયે, મસ્તી લેકર...... લતા-રફી
૫. તુમ લાખ છુપાના ચાહોગે પર પ્યાર છુપાના..... લતા-રફી
૬. હો રાસા સાયંગ રે રાસા સાયંગ સાયંગ રે.... લતા-રફી
૭. ધોખા ખાયેગી ન યારોં કી નઝર.... મુહમ્મદ રફી
૮. અરે તુ કહાં ખો ગયા બાલમ મતવાલા....... લતા મંગેશકર

શમ્મી કપૂરની ફિલ્મો ગમાડવાની પહેલી શર્ત એ કે, શમ્મી તમને ગમતો હોવો જોઇએ. કારણ કે, ફિલ્મો તો એ જમાનાની ઑલમોસ્ટ બધી ફાલતુ આવતી (ને આજે ય કઇ વળી લીમડાના ઝાડ ઉપર ચઢીને બ્યુગલો ફૂંકવા જેવી આવે છે ? શમ્મી કપૂર-મને યાદ છે, આપણા જમાનામાં બહુ બધાનો કાંઇ લાડકો નહતો-ઉછળકૂદ માટે એને બદનામ કરવામાં આવતો. એ વખતે પ્રજાને રાજ-દિલીપ-દેવ કે રાજેન્દ્ર કુમાર ગમતા. શશી કપૂરે ય ખરો. અશોક કુમાર ધી ગ્રેટેસ્ટ ઍક્ટર ખરો, પણ એ કોઇ હીરો-મટીરિયલ નહિ, એટલે ચાહકો-બાહકો ના મળે. બાકીનો જે ઘાણ ઉતર્યો હતો, તે પ્રદીપ કુમાર, મનોજ કુમાર, વિશ્વજીત, ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણોનો...એ બધા આખે આખા કોઇને ગમ્યા હોય એવું ન બને....હપ્તે હપ્તે ગમતા હોય કે, કોઇ મનપસંદ ફિલ્મમાં વળી પ્રદીપ કુમારે ય ગમી જાય, પણ આ આખા ઘાણનો કોઇ સાગમટે લેવાલ ન નીકળે. પેલા ત્રણ ગ્રેટને પાછળ મૂકીને કોઇને સૌથી વધુ વિશ્વજીત ગમ્યો હોય, એવો ચાહક હજી સુધી તો જોયો નથી. આ બધા હપ્તે-હપ્તે ગમે એવા, જ્યારે શમ્મી કપૂરને સુશિક્ષિત ઘરોના દર્શકોએ સહેજ પણ ન સ્વીકાર્યો.... પણ એક વખત શમ્મીનો જમાનો પૂરો થયો અને બીજા નવાઓ આવવા માંડયા, તેમાં પ્રેક્ષકોને પછીથી ખબર પડી કે, આ બધા કચ્ચરધાણ કરતા તો શમ્મી લાખો દરજ્જે સારો હતો. આ બધા ય ક્યાંક ને ક્યાંક નકલ તો શમ્મીની જ કરતા. શમ્મીનું મૂલ્ય એના નિવૃત્ત થયા પછી સમજાયું. આજે પણ ઉછળકૂદ તો ઉછળકૂદ, ટીવી પર શમ્મીનું કોઇ ગીત આવતું હોય તો બીજા બધા કરતા એને જોવો વધારે લોકોને ગમે છે.

ઉછળકૂદના મૂલ્યાંકનોમાં શમ્મી એક અભિનેતા તરીકે કોઇનાથી ય ઉતરતો તો નહતો. બલ્કે....ઍટ ટાઇમ્સ, તદ્દન ફાલતુ ફિલ્મોમાં ય એની ઍક્ટિંગ માટે કડવા બે બોલ તમે બોલી ન શકો. 'ઉજાલા'થી વધુ ફાલતુ ફિલ્મો ય બની છે, ને એમાં ય શમ્મીએ એક ઍક્ટર તરીકે એ કેટલો સ્વાભાવિક હતો, તે અભિનય શીખેલા ન હો, તો ય ખબર પડે ! દાખલો મળે તો સાહજીકતાથી સમજાઇ જશે. શમ્મી રાજ કપૂર કરતા ૮-૯ વર્ષ નાનો અને શશી કપૂર કરતા ૭ વર્ષ મોટો હતો. એની જન્મ તા. ૨૧ ઑક્ટોબર, ૧૯૩૧ : મૃત્યુ તા. ૧૪ ઑગસ્ટ, ૨૦૧૧ હતી) જરા હિસાબ માંડી જુઓ, એમના પિતા પૃથ્વીરાજ સળંગ કેટલા વર્ષ 'કાર્યરત' હતા...!

અદાયગીની વાત નીકળે ત્યારે શમ્મીનું મૂલ્ય સમજાય. આપણા સહુના ખૂબ ગમતીલા ગીત 'મન રે તૂ કાહે ન ધીર ધરે...' (રફી-રોશન-સાહિર-ફિલ્મ 'ચિત્રલેખા')ને ફિલ્મના પરદા પર પ્રદીપ કુમાર આખા શરીરમાં ફક્ત હોઠ ફફડાવીને ઍક્ટિંગ કરે છે, શરીરના અન્ય સ્નાયુઓનો ઉપયોગ જ નહિ, ત્યારે શમ્મી કપૂરનું આ જૉનરનું કોઇ ગંભીર ગીત યૂ-ટયૂબ ઉપરે ય જોઇ જુઓ, 'જિંદગી ક્યા હૈ, ગમ કા દરિયા હૈ, ન જીના યહાઁ બસ મેં, ન મરના યહાં બસ મેં, અજબ દુનિયા હૈ' (ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા ?' સંગીત : રવિ) કે પછી ભરપુર ઉછળકૂદ સાથેનું 'તારીફ કરૂં ક્યા ઉસકી....' યાદ કરો...વાર્તા પૂરી. ગીતની અદાયગી કોઇ નાની વાત નથી. આ ફિલ્મ 'સિંગાપુર'ની વાર્તા ક્યારે પૂરી થાય, એની રાહો જોવામાં ઍક્ઝૅક્ટ ૧૩૫-મિનિટ્સ ખર્ચાઇ જાય છે. પદ્મિનીને રાજ કપૂરની ઘર બહારની પણ પ્રેમિકા ઉપરાંત 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં એનું માદક રૂપ આપણે જોઇ લીધું હતું...બીજું કરી ય શું શકીએ ! રાજ કપૂરની એક સમયની 'ઑફિશિયલ પ્રેમિકા' રાજના નાના ભાઈ સાથે (ફિલ્મ પૂરતી) ઇશ્કબાજી કરે છે. લગ્ન અને લફરાં પછી નિવૃત્ત થઈને અમેરિકાના ન્યુ જર્સીમાં એના ડૉક્ટર પતિ ડૉ. રામચંદ્રન સાથે સૅટલ થવા ઉપરાંત અમેરિકાની સૌથી મોટી ભરત નાટયમની સ્કૂલ 'પદ્મિની સ્કૂલ ઑફ ફાઇન આટર્સ' ન્યુ જર્સીમાં જ શરૂ કરી હતી. સાઉથની આ 'બક્સમ બ્યુટી'નો અવાજ ઘેરો અને થોડો પૌરૂષત્વસભર હતો. અહીં અફ કૉર્સ, એના કરતા દેખાવમાં પ્રેક્ષકોનું મોટું ધ્યાન તો શશીકલા ઉપર ગોઠવાયેલું રહે છે, જે રાબેતા મુજબ ફિલ્મની હીરોઇન કરતા વધુ ખૂબસુરત લાગે છે. શશીકલાના પ્રેમી બનતા ગૌતમ મુકર્જીને બુઢ્ઢો થયા પછી અનેક ફિલ્મોમાં ચરિત્ર-અભિનેતા તરીકે જોયો હોય. એમ તો, થોડીવાર માટે આ ફિલ્મના કૅમેરામૅન દ્વારકા દિવેચા પણ આવે છે. આ એ જ દિવેચા હતા, જે સુરૈયાના મરિન લાઇન્સ સ્થિત 'કૃષ્ણ મહલ'ની અગાસી ઉપર રાત્રે દેવ આનંદ-સુરૈયાની 'ખૂફીયા' મુલાકાતો ગોઠવી આપતા....કોઇ પણ ઍકસ્ટ્રા-ચાર્જ લીધા વગર. વચમાં આગા આવીને આપણને હસાવવાના વલખા મારે જાય છે. એક તબક્કે તો બન્ને કૉમેડિયનો આગા અને મેહમુદ એકબીજાના વેવાઇ પણ થતા....આઇ મીન, આજ સુધી થાય છે. ફિલ્મમાં સિંગાપુરની કોઇ સામાન્ય ઍક્ટ્રૅસ મારીયા મીનાડોને લઇ આવ્યા છે. એના ઉપલા હોઠની સરખામણીમાં નીચલો આગળ આવતો હોવાથી દર્શકોને એમાંથી કાંઇ કમાવવા જેવું લાગતું નથી.

મદન પુરી એના ઘેરા અવાજ અને મોંગોલિયન-ચેહરાને કારણે આવી સિંગાપુર-ચાઇનાવાળી તો બધી ફિલ્મોમાં હોય જ. હૅલન તો જન્મે પણ બર્મીઝ હતી અને મૂળ નેપાળનો બટકો રતન ગૌરાંગ પણ મોંગોલિયન ચેહરો ધરાવતો હોવાને કારણે આવી ફિલ્મોમાં આ ત્રણ તો હોય જ. એક બીજો, કેશવ રાણા પણ મૂળ નેપાળી, જે દેવ આનંદની ફિલ્મોમાં (જ્વૅલ થીફ) જોવા મળતો. આ ફિલ્મમાં એ નથી. મદન પુરી અનેકગણો સારો વિલન અને ચાલ્યો પણ ખૂબ. મદન પુરીએ એની ૫૦-વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ૪૩૦-ફિલ્મોમાં ખૂનો-બળાત્કારો કર્યા છે, પણ એ વખતે ફિલ્મોમાં હજી અસહિષ્ણુતા આવી નહોતી, એટલે મદનલાલ પુરી અમર ગાયક કે.એલ. સાયગલ ના સગા કાકાનો દીકરો થતો એની ખબર બહુ ઓછાને હશે. સાયગલ સાહેબ જ મદનને ફિલ્મોમાં લઇ આવ્યા હતા. મદન પુરી પણ માટુંગાના કિંગ-સર્કલ ઉપર બહુ જાણીતી 'પંજાબી-ગલી'માં રહેતો હતો. આગળ લખ્યું તેમ, આ ગલીમાં જ સાયગલ, પૃથ્વીરાજ અને કે.એન. સિંઘ પણ રહેતા હોવાથી આટલો ઍરિયો મશહૂર થયો હતો. ૧૯૪૬-માં ફિલ્મ 'અહિંસા'માં પહેલી વખત જોવા મળ્યો હતો, એવું વિકીપીડિયામાં લખે છે, તે સદંતર ખોટું છે. મદન પુરીને તો ગુજરાતના હળવદના આપણા બા'મણભ'ઈ દલસુખ પંચોલી ફિલ્મ 'ખજાનચી'માં લઇ આવ્યા હતા. શમશાદ બેગમના કંઠે ગુલામ હૈદરે કમ્પૉઝ કરેલા, 'સાવન કે નઝારે હૈ, આહા હાહા હાહા'એ સાયકલ-ગીતમાં ફિલ્મના હીરો એસ.ડી. નારંગની સાથે સાથે સાયકલ ચલાવતો મદન પુરી સ્પષ્ટ ઓળખી શકાય છે.

પણ અસલી મોરલો તો આપણો ખૂંખાર ખલનાયક કે.એન. સિંઘ જ ! ગમે તેમ કહો, પણ એ જોવો ગમતો હતો-એનો ચેહરો નહિ, એની અદભુત પર્સનાલિટીને ! આંખો ઉપર એની ભ્રમરો કદાપિ 'હખણી' રહી નથી, છતાં એ હીરોઇનોને તો પછી, પહેલા આપણને ડરાવી દેતો. પૃથ્વીરાજ કપૂરને રોજ મળતા આ દોસ્ત માટુંગાના કિંગ સર્કલ ઉપર રહેતા. એ બન્ને નવરા પડે, એટલે કુંદનલાલ સાયગલ સાહેબને ત્યાં જાય.... ''અમે મરી જઇશું, પણ કદી ગાઈશું નહિ,' એવી સાંત્વના આપવા જતા હોવા જોઇએ. 'આરાધના' અને 'અમર' જેવી ફિલ્મો ઉતારનાર દિગ્દર્શક શક્તિ સામંત '૫૦-ના દશકમાં આવી ક્રાઇમ ફિલ્મો બનાવતા. એમની બધી ફિલ્મોના ગુંડાઓનો યુનિફૉર્મ એક જ હોય. આડા પટ્ટાવાળી જરસી, ગળે રૂમાલ બાંધેલો, હાથમાં ચાકુ, ખભા ઉપર જૅકૅટ, કાળા ગૉગલ્સ.....અર્થાત, દિગ્દર્શકો પ્રેક્ષકોને એટલા બેવકૂફ સમજતા હતા કે, નૉર્મલ કપડાંમાં વિલનોને બતાવીશું તો પ્રેક્ષકોને હીરો અને વિલન વચ્ચેના તફાવતની ખબર નહિ પડે. અલબત્ત, પ્રદીપ કુમાર, શેખર, સુરેશ કે એ કૅટેગરીના અન્ય હીરો માટે આ લાગૂ પડતી વાતે ય હતી. શક્તિ સામંતનું ફાલતુ ફિલ્મો બનાવવાનું ઝનૂન '૬૯-સુધી બરકરાર રહ્યું હતું, જે વર્ષમાં તેમણે રાજેશ ખન્નાને લઈને 'આરાધના' બનાવી. ફિલ્મ સુપરડૂપર હિટ થઇ, એટલે કટિ પતંગ બનાવી. એ તો એથી ય વધુ ચાલી. પછી એમણે સીરિયસ લવસ્ટોરી 'અમર પ્રેમ' પણ ખન્નાને લઇને બનાવી.... બહુ જામી. બસ, એ પછી એમણે ખન્નો સદી ગયો અને આવનારી મોટા ભાગની ફિલ્મોમાં ખન્નો જ હોય, છતાં એમણે પોતાના લાડકા હીરો શમ્મી કપૂરને છોડી ન દીધો. 'જાને-અન્જાને' અને 'પગલા કહીં કા'માં શક્તિ દા એ શમ્મીને જ લીધો. એ વખતે તો શમ્મીના વળતા પાણી શરૂ થઇ ગયા હતા. બસ, એકલો ખન્નો જ ચાલ્યો...જ્યાં સુધી ધ ગ્રેટ મિસ્ટર બચ્ચન આવ્યા !

શક્તિ દા એ ફિલ્મનો કૅમેરા પહેલી વાર સિંગાપુર લઇ જઇને ભારતીય પ્રેક્ષકોને આંજી તો નાંખ્યા, પણ નવાઇ બે-અઢી વાતોની લાગે કે, '૬૦-ના' દશકની શરૂઆતમાં રંગીન ફિલ્મો શરૂ તો થઇ ગઇ હતી અને નિર્માતા એફ.સી. મેહરાને શમ્મી કપૂરે અનેક ફિલ્મોમાં લાખો રૂપિયા કમાવી આપ્યા હતા, છતાં આ ફિલ્મને રંગીન કેમ ન બનાવાઇ, જ્યારે પરદેશના દ્રશ્યો કૅમેરાને મળવાના હતા. સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચાએ કીધું કેમ નહિ હોય કે, કૅમેરા વિદેશની ધરતી પર ફરી રહ્યો છે તો બહારી દ્રશ્યોનું શૂટિંગ દિવસના ભાગમાં થવું જોઇએ, જેથી સ્પષ્ટ દ્રશ્યો મળે, ત્યારે અહીં તો મૂકેશ પાસે શમ્મીના પ્લૅબૅકમાં શંકર-જયકિશને 'ઉજાલા'ની જેમ ફરી એક વાર ગવડાવ્યું - 'યે શહર બડા અલબેલા, હર તરફ હસિનોં કા મેલા....'એ ગીતનું શૂટિંગ મલેશિયાની નાઇટ-લાઇફનું છે.

શંકર-જયકિશને કમાલો તો રાબેતા મુજબની કરી છે, પણ સામાન્ય સંગીતપ્રેમીઓ સુધી આ ફિલ્મનું એકે ય ગીત ન પહોંચ્યું. આપણે ચાહક હોઇએ, એટલે આપણને તો બધા ગીતો માણવા ગમે-જેમ કે, મલેશિયન ભાષાના એક-બે શબ્દો ઉઠાવીને લતા-રફીના કંઠે, 'હો રાસા સાયાંગ પ્યાર કા હી નામ રાસા સાયાંગ રે' પણ ત્યાંના લોકસંગીત પર આધારિત છે. મજાની વાત એ ખરી કે, 'સિંગાપુર'ના તમામ ગીતોમાં શંકર-જયકિશને એમના ફૅવરિટ વાદ્ય ઍકૉર્ડિયનનો ખૂબસુરત ઉપયોગ કર્યો છે, ખાસ કરીને ઑબ્લિગેટોમાં, એમના કાયમી ઍકૉર્ડિયન-પ્લેયર હતા, ગુડ્ડી સિરવાઈ.

ઘણા પૂછે છે, '૪૬-થી '૬૬ સુધીના બે દસકાઓ હિંદી ફિલ્મસંગીતના આજ સુધીના સર્વોત્તમ કેમ રહ્યા ? સમજો ને, ઑલમોસ્ટ ૮૦-ટકા ફિલ્મોના ૮૦-ટકા ગીતો આજ સુધી આપણા જહેનમાં ગૂંજતા રહ્યા. એ પછી અને એ પહેલા વિરાટ કદના બેસૂરા ભોપાળા શરૂ થયા. લતા, રફી, મૂકેશ, આશા, કિશોર, સુમન, તલત, ગીતા તેમ જ શંકર-જયકિશનથી માંડીને નૌશાદ જેવા સંગીતકારો શું પેલા બે દશકોને પહેલા કે પછી નહોતા ? ફ્રૅન્કલી કહું તો લતા-રફીને બાદ કરતા બાકીના ગાયકો પહેલા ય હતા અને આજે ય છે. આજના સંગીતકારો એક ઇંચે ય કમ નથી. (બધાની વાત નથી થતી !) આજની શ્રેયા ઘોષાલ કે અરિજીતસિંહ જેવા ગાયકો આપણા જમાનાથી કમ નથી....તો પછી, કેમ એકે ય ગીત, એકાદ-બે મહિનાથી વધારે લોકપ્રિય રહેતું નથી ? બહુ નકશીકામો કર્યા પછી, અંગત રીતે હું એ તારણ પર પહોંચ્યો છું કે, '૪૬-થી '૬૬ના એ બે દાયકાઓ કુદરતી રીતે જ મહાન સંગીતના પુરસ્કર્તા બન્યા. એમાં કમાલ ગાયકો કે સંગીતકારોની નહોતી...નહિ તો '૪૬ પહેલા અને '૬૬-પછી ય આ તમામ સંગીતકારો અને ગાયકો મૌજૂદ હતા..કેમ પેલી મધુરી કમાલ કોઇ કરી શક્યું નહિ ? આજે ય, એ જ લૅવલના ગાયકો-સંગીતકારો છે જ ને તો ય ક્યાં એક પણ ગીત પેલા બે દશકો જેવું બને છે ? માટે, મને લાગે છે કે, કમાલ કુદરતી દ્રષ્ટિએ એ ૨૦-વર્ષોની જ આવી ગઇ. જેણે જેણે મેહનત કરી, એ બધા ગાયકો-સંગીતકારો છવાઇ ગયા...અને આજે ગમે તેટલી મેહનત કરે, તો એકે ય છવાતો નથી. હિસાબ સાફ છે...કારણ કોઇ જાણી ન શકે, છતાં ય એ બન્ને દાયકાઓમાં ૯૦-ટકા ફાલતુ ફિલ્મો બનવા છતાં, સંગીત એની ચરમસીમાએ શ્રેષ્ઠ હતું.

ફિલ્મની વાર્તા કોઇ ગ્રેટ હોવાની અપેક્ષા તો તમે ય ન રાખી હોય, છતાં એના અંશો જોઇ લઇએ : સિંગાપુરમાં આવેલી પોતાની રબ્બર-ઍસ્ટેટને વેચી નાંખવા શ્યામ (શમ્મી કપૂર) તેના દોસ્ત રમેશ (ગૌતમ મુકર્જી)ને મોકલે છે. રમેશ ત્યાં શશીકલાના પ્રેમમાં પડી જાય છે. શશીકલાની બહેન પદ્મિની શમ્મીના પ્રેમમાં પડી જાય છે, એટલે ક્યાંય કોઇ મનદુઃખ ન થાય. એમના કાકા શિવદાસ (કે.એન.સિંઘ) શમ્મીની ઍસ્ટેટનો ગુપ્ત ખજાનાનો નકશો ચોરીને ભાગે છે, શશીકલા અને શમ્મી બન્ને પીછો કરે છે ત્યાં જંગલમાં જ સિંઘ કિંગ રહેતો નથી અને ચાન્ગ (મદન પુરી)ના ગુંડાઓ એને શૂટ કરી નાંખે છે. છેલ્લી ઝપાઝપી પહેલા સિંઘના ખૂનનો ઇલ્ઝામ શમ્મી ઉપર આવે છે, પણ ચાચા (કૉમેડિયન આગા) બધું સમુંસુતરૂં પાર પાડી દઇ, આપણો અને શમ્મીનો જાન છોડાવે છે.

10/02/2016

અય જીંદગી...

જીંદગી વિશે હું શું માનું છું, એવી ફાલતુ વાતો હું કરવાનો નથી... તમે શું માનો છો, એની વાતો કરવી છે. હું જે માનું છું, એ મારા ઘરમાં ય કોઈ માનતું નથી (આમ તો રામ કસમ... તમારી ય એ જ હાલત છે !) અને ઘરમાં બધા ચોક્કસપણે માની ગયા છે કે, ''બુઢ્ઢા સઠીયા ગયા હૈ...!''

હાથમાં માઇક કે કલમ મળી, એટલે જે ટેસ્ટનો ઘાણ ઉતારવો હોય, એ મુજબનો માલ અમારા લેખકો- કવિઓ ઉતારે છે. 'જીંદગી એટલે કાગળની હોડી... ઝંઝાવાતી દરિયામાં પલળી પલળીને અશક્ત બની જાય ત્યાં સુધી ઝીંક ઝીલીને તરતી રહે છે...એના જેવી બીજી સેંકડો હોડીઓ એકબીજીને અફળાતી આગળ વધતી જાય છે... જેનું પેટ્રોલ ખલાસ થઈ જાય, એ જીંદગી બસ.. પૂરી થઈ જાય છે....!'

તારી ભલી થાય ચમના. આમાં દરિયો ને હોડકું ક્યાંથી આવ્યા ? કાલ ઉઠીને તું તો એમે ય કહીશ કે, 'જીંદગી બગલનો એક વાળ છે... જેને આપણા ક્રૂર હાથો અને નાપાક પડખા ભેગા મળીને રહેંસતા રહે છે. (પાછું સમજાવે, હાથો એટલે સમય અને સંજોગો અને પડખાં એટલે આ મનખો દેહ ! આપણી જીંદગી આ બન્નેની વચ્ચે ભીંસાતી રહે છે.. એને બહાર નીકળવું છે, પણ નીકળી શકતી નથી...'

તારી બીજી વાર ભલી થાય ચમના... તારે એને બહાર કાઢવી હોય તો એક ઝટકે પેલો વાળ ખેંચી જો, એટલે ખબર પડે કે, જીંદગી જ્યાં છે ત્યાં જ ઠીક છે... બહાર કાઢો એટલે સીધા ઉપર !

અમારા સાહિત્યકારોનું કેવું છે... કે બસ, એવું જ છે ! શબ્દો એમને મળ્યા છે એટલે જેની સાથે ચોકઠું બેસે એમ હોય, એની સાથે સરખામણી કરીને આપણને ઇમ્પ્રેસ કરી શકે. આમાં ખૂબ કામમાં આવે છે, ગુજરાતી વ્યાકરણનો 'સજીવારોપણ અલંકાર'. કોઈ પણ નિર્જીવ પદાર્થને મનુષ્ય કે જીવજંતુદેહ આપી દો... બાત જમ જાયેગી. દા.ત. 'વૉટ્સઍપ' મેસેજો તો અનાથ બાળકો જેવા છે. એમ મેસેજના ફાધર- મધર કોણ છે.. વો કોઈ નહિ જાનતા... બિચારાઓને કોઈ પોતાની પાસે રાખવા તૈયાર નથી, બીજાને પધરાવી દે, છતાં દાતાશ્રીમાં નામ એનું રોશન થાય કે, 'આવો મસ્ત વૉટ્સએપ આપણા સંજયે મોકલ્યો હતો.' હર બચ્ચે કા બાપ કોન હૈ, વો સિર્ફ ઉસકી માં હી બતા સકતી હૈ, એમ આવો વૉટ્સએપ મોકલનાર અસલી કયો મોરલો કળા કરી ગયો છે, એ કોઈ જાણતું નથી... એની માંને...! (સૉરી, આમાં તો માંઓ ય ન જાણતી હોય !)

આ અલંકારથી લખનારને ફાયદો એ થાય છે કે, વાચકો ઇમ્પ્રેસ એકદમ થઈ જાય. ગુલઝાર બે આંખોને જોડકી બહેનો કહે, એ ચાલી બહુ એટલે પછી જ્યાં ને ત્યાં એ 'જુડવા' શબ્દ વાપરતા રહે છે. હવે તો આપણે ય કહી શકીએ કે, 'પગમાં પહેરવાની આપણી ચંપલો જુડવા બહેનો છે..' (તાળીઓ) લોકો ઇમ્પ્રેસ થવાના જ છે. અમારા એક લેખક લખતા, 'એના ટેરવામાંથી ટહૂકા ફૂટયા ને... ને સૂરનું સરોવર ઊભરાણું.'

હું ઇમ્પ્રેસ થઈ ગયો, 'વાહ... આંગળીના ટેરવામાંથી મોરના ટહૂકા ફૂટે ?' જસ્ટ... સેમ્પલ ખાતર મેં મારા ડાબા હાથની આંગળીનું એક ટેરવું નજીકથી તપાસ્યું, કે આમાંથી કાંઈ ફૂટે-બૂટે એવું છે કે નહિ ! દસેદસ ટેરવા ખખડાવી જોયા. એવું તો કાંઈ ન દેખાણું પણ નખમાં થોડો મેલ ભરાયેલો દેખાયો. વધુ તપાસ નિરર્થક હતી કારણ કે, પેલામાં સૂરનું સરોવર ભરાય તો મારા નખના મેલમાંથી સાલું શું શું ભરાય ? કોઈ મને પોતાની બાજુમાં જમવા ય ન બેસવા દે.

હવે તો હું ય કહી શકું ને કે, સાહિત્ય એ શબ્દની રમત સિવાય બીજું કાંઈ નથી. સહુ પોતપોતાની આઇપીએલ-ટીમોમાંથી રમે રાખે છે. શબ્દ-ફિક્સિંગ પણ એમાં જ થાય છે. કોઈ લેખકનું કોઈ પુસ્તક ખૂબ્બજ ગમ્યું, ત્યાં વાત પતી જાય છે. એણે જ લખેલું બીજું ભંગારના પેટનું ય હોઈ શકે. (વાહ અશોક દવે વાહ... કેવો સોલ્લિડ અલંકાર લઈ આવ્યા છો... 'ભંગારના પેટનો !') આમાં લેખકની કમાલ સમજાઇ ખરી ? : (જવાબ - સમજાઇ... ભંગારના પેટની કમાલ સમજાણી ! જવાબ પૂરો) અમારા કાઠિયાવાડમાં આવા અલંકારો શેરીને નાકે નાકે કે પાનના ગલ્લે ગલ્લે સ્યવંભૂ ફરતા હોય છે. ''આ જોયો નંઇ આપણો જાડેજો... ? ઠેરીવાળી સોડાની બોટલની ઘોડે બરોબરનો હલવાણો છે.'' (ગુજરાતી અનુવાદ : 'ઘોડે' એટલે 'જેમ'... 'માફક'...! સૌરાષ્ટ્રમાં લખોટીવાળી સોડાની બોટલો મળે. એ લખોટી આપણે બહારે ય ન કાઢી શકીએ કે, બોટલની નીચે ય ઉતરી ન શકે. અર્થાત્, જાડેજો બાટલની લખોટીની જેમ બરોબરનો ફસાયો છે. બહુ વર્ષો પહેલાં આ કૉલમમાં લખાયું હતું કે, 'કાઠીયાવાડી રસ્તે મળે ને છૂટો પડે પછી ખબર પડે કે, 'ઇ આપણને સુઉં કઈ ગીયો ?'વાતવાતમાં કહી દે, 'જુઓ ભા'આય... ગામમાં તમારા હાટું જી કાંઈ વાતું થાતી હોય... બાકી આપણને તમારા માટે માટે માન છે !' (હાટું એટલે 'માટે')

એમ કહેવાય છે કે, વાત-વ્યવહારમાં તમે કેવી ભાષા બોલો છો એના ઉપરથી તમારા કલ્ચરનો ખ્યાલ આવી જાય. ઇવન, તમે કઈ જ્ઞાતિના છો, એનો ય સંદેશો તમારી બોલી અને ભાષા આપી દે છે. પણ સામાન્ય વ્યવહારોમાં ય શુદ્ધ ઉચ્ચારો સાથે કાળજીપૂર્વક ચોક્કસ શબ્દ ઉપર ભાર મૂકીને બોલનારા મને બહુ બોર કરે છે. સાહિત્યકારો કે સ્કૂલમાં ભાષા ભણાવતા શિક્ષકો વધુ પડતી શુદ્ધતા ઉમેરવામાં આપણને અકળાવી મારે છે. દરેક વિષયમાં સાહિત્યિક દ્રષ્ટાંત આપવું આપણને જરૂરી ન લાગતું હોય, પણ એમનું તો જીવન જ આ છે.

''સર-જી, આપ ચા લેશો કે કોફી ?''

''કોણ હું... ? ઓહ, હું કૉફી લઈશ. જીવનના મધ્યાહ્ને કોફી એક સખીસરીખી સાબિત થાય છે... ખાસ ગરમ હોય નહિ અને મદકમદક સુવાસ દેતી રહે... ને ક્યાંય નડે નહિ !''

તારી ભલી થાય ચમના, તું આખી વાતનો જવાબ એક શબ્દમાં આપી શક્યો હોત, પણ -

- પણ આવાઓ માટેનો ઉપાય આપણા મહાન જગતગુરૂ અશોકાનંદજીએ શોધ્યો છે કે, આવાઓ પાસે તમારું નોનસૅન્સ હોવું બહુ ફાયદેમંદ રહે છે. એની સાથે સીધી વાત જ નહિ કરવાની.

- હા સર-જી.. કૉફી એટલે સાલી એની બૉનને...બસ, કૉફી જ ! તમને ખબર છે, લોખંડના કપમાં કૉફો પીઓ તો કોફો વધુ લોખંડી લાગે !

- કોફો....? હું કાંઇ સમજ્યો નહિં !

- કોફો નહિ કૉફૉ. ઉચ્ચાર કૉઓ-ફો કરવાનો. કૉફો એટલે, યૂ નો... કૉફીનો ગોરઘન... આઇ મીન હસબન્ડ !

- પણ ચા- કૉફીમાં પતિ- પત્ની ક્યાંથી આવે ?

- આવે સર-જી, આવે જો કૉફી તમારી સખીસરખી સાબિત થતી હોય તો અમે તો સીધી વાઇફો જ બનાવીએ ને ?

- ક્ષમ્ય.. પરંતુ, કૉફીનો કપ લોખંડનો શાને કાજે ?

- લીલા ઘાસવાળી ચામડી ઉપર બેઠેલા તકલોભી કબાટો અને હૅરડ્રાયરોને વશ કરવા કૃષ્ણની સૅક્સોફોન વધુ માદક લાગે.... સૉરી, તમે વધુ પૂછો એ પહેલા કહી દઉં, કૃષ્ણ વાંસળી તો વૃંદાવન- દ્વારકાના દિવસોમાં વગાડતા'તા... ને એમાં ય -

- બસ મિત્ર. હું સઘળું સમજી ગયો.

- શું સમજ્યા ?

- ઝાલર...!

સિક્સર
ખૂબ ઝડપથી યુવાન બની ગયેલા કવિ શ્રી.ભાવિન ગોપાણીનો આ શૅ'ર દેશની હાલની સ્થિતિને અડે છે ?

એક માણસ ક્યાંય ઘરડો ના થયો, વાળ ધોળા, કાંસકો રંગીન છે,
કોઈ સો નંબર કરો ડાયલ, બાંકડા પર એકલું ટીફિન છે.

07/02/2016

ઍનકાઉન્ટર : 07-02-2016

*'ઇન્ડિયા'ને બદલે 'ભારત' બોલાવવું જોઇએ કે નહિ ?
- ના. બ્રાહ્મણ કે જૈનને બદલે ''ભારતીય'' બોલાવવું જોઇએ.
(ડૉ. ધવલ કથિરીયા, આણંદ)

* 'ગોરધન' શબ્દ પૂરા શબ્દકોષમાંથી ન મળ્યો.
- ગોરધનને શબ્દકોષમાં નહિ...રસોડામાં શોધવાનો હોય !
(મહેન્દ્ર પરીખ, મુંબઈ)

* ભગવાન બે શાપિત આત્માઓને પતિ-પત્ની કેમ બનાવે છે ?
- જગતના તમામ યુધ્ધો શાંતિ સ્થાપવા માટે થાય છે.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* ભૂદેવોને અનામતની જરૂર ખરી કે નહિ ?
- હવે આ શબ્દની પણ સૂગ ચઢે છે. (હવે પછી અનામત વિશે સવાલો કોઇ ન પૂછશો.)
(હિમાંશુ શુક્લ, અમદાવાદ)

* ધર્મ અને જાતિના નામ પર થતી લડાઇઓથી દેશની મિલ્કતને કેટલું નુકસાન થાય છે....!
- તો પછી અમારી લડાઇઓ કરવાની હૉબી વાપરવી ક્યાં ?
(દેવાંગ કબુતરવાલા, સુરત)

* તમે હૅર-ડાઇ કરો છો ખરા ?
- ના. કેટલાક લોકો જન્મથી જ હૅન્ડસમ હોય છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મોદી પાકિસ્તાન સામે લાલ આંખ ક્યારે કરશે ?
- કન્ઝક્ટિવાયટીસ થશે ત્યારે.
(દિવ્યા સાણંદીયા, સુરત)

* 'એક બિહારી, સો ને ભારી...' તો એક ગુજરાતી ?
- પાણી-પુરી ખઇ લે, પછી ખબર પડે !
(બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)

* સાત દિવસ નૅટ બંધ હતું, ત્યારે તમે શું કર્યું ?
- પોતાની બુધ્ધિથી કામ કર્યું.
(દીપક સોલંકી, નિકોલ)

* ૪૫-૫૦ ની ઉંમર સુધી સુંદર શર્ટ-જીન્સ પહેરનારાઓ એ પછી લેંઘા-કફની ઉપર કેમ આવી જાય છે ?
- લોકલાજને ખાતર એટલું તો પહેરવું પડે !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* બપ્પી લાહિરી મહાચોર હોય તો ફિલ્મ 'ઍતબાર'નો ઓરિજીનલ ખજાનો કોનો ?
- આવું એના સંતાનો વિશે પૂછો, તો તપાસે ય કરાવીએ...બાકી તો, 'સારા જહાં હમારા...'
(વિક્રાંત એચ. દળવી, વડોદરા)

* નવી પડોસણ દૂધનું મેળવણ માંગીને સંબંધ શરૂ કરે તો ?
- તમારે ધ્યાન દૂધમાં રાખવાનું... દહીમાં નહિ !
(મધુકર માંકડ, રાજકોટ)

* આપને કાનુડાની જેમ મટકીઓ ફોડતા આવડે છે ?
- એ પછી તો અમારા જમાનામાં મટકીને બદલે પિત્તળના ઘડા આવી ગયા... આજ સુધી માંજમાંજ કરૂં છું.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* મૂર્ખાની નિશાની એ કે, પોતાને બુદ્ધિશાળી માને... મોટા ભાગના નાગરો પોતાને બુધ્ધિશાળી માને છે. તમે સુઉં કિયો છો ?
- નાગરો પોતાને બુદ્ધિશાળી માને છે, પણ બીજાનો ય એટલો આદર કરે છે. મારી મનગમતી કૌમ છે.
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય-અમેરિકા)

* આજકાલ ફૅસબૂક પર બનતા સંબંધો વિશે તમે શું માનો છો ?
- મને એટલી ખબર છે કે, હું ફૅસબૂક, ટ્વિટર, બ્લૉગ કે વૉટ્સઍપ કદી ય વાપરતો નથી...
(હરેકૃષ્ણ સાધુ, સુરત)

* અશોકજી, તમે કેટલું ભણ્યા છો ?
- મને ડર હતો જ કે, ક્યારેક તો ભાંડો ફૂટશે જ...!
(સચિન ભટ્ટ, કોસંબા)

* ...વજન વધારવા શું કરવું જોઈએ ?
- પૈસા ટૅબલની નીચેથી સરકાવવા.
(નિમોશ કાલરીયા, અમદાવાદ)

* તમે કોઇ છોકરીને પ્રેમ કરતા હો, પણ એ આપણને કરે છે કે નહિ, એની ખબર કેમ પડે ?
- આમાં તમે વચ્ચે ક્યાંથી ઘુસી આવ્યા ?
(રજનીકાંત કે. જોશી, સરઢવ)

* પત્ની અને ત્રાસવાદી વચ્ચે શું ફરક ?
- ત્રાસવાદીને બચ્ચીઓ ના ભરાય....!
(વિજય સંઘવી, મુંબઇ)

* ક્રિકેટમાં ફક્ત ૧૧-ખેલાડીઓ જ કેમ હોય છે ?
- ભારત આમ ને આમ હારતું રહ્યું, તો જોનારા ય એટલા જ હશે.
(કુશ કાલરીયા, સિધ્ધપુર)

* મારે એક છોકરી સાથે લગ્ન કરવા છે, પણ છોકરીની ઉંમર નાની પડે છે, તો શું કરવું?
- જોઇ જુઓ...એની મમ્મીની ઉંમરની કોક કૂંવારી ફિટ બેસતી હોય તો.
(નૅલ્સન પરમાર, નવચેતન)

* 'મેરા ભારત મહાન.' તો એ મહાન થશે કે નહિ ?
- સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા...'
(દર્શન સોંડાગર, સુરત)

* શું તમે તમારા લગ્ન પછી ક્યારે ય હસ્યા છો ?
- રૂલાઓગે ક્યા....?
(મહમદ તકી દાતારી, ભાવનગર)

* શું યુવાશક્તિ સારા કામો માટે વપરાઇ રહી છે ?
- 'વૉટ્સઍપ'ને તમે સારૂં કામ નથી ગણતા ?
(અભિજીત પાલેકર, દમણ)

* શું લોકનેતા બનવા માટે લોકોની નજીક રહેવું જરૂરી છે ?
- ચૂંટણી પહેલા બેશક જરૂરી છે. હવે તમે ક્યાંય કિરણ બેદીનું નામે ય સાંભળો છો?
(મિહિર બી. ત્રિવેદી, અમદાવાદ)

05/02/2016

'સીમા' ('૫૫)

ફિલ્મ : 'સીમા' ('૫૫)
નિર્માતા : અમીયા ચક્રવર્તી
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ : ૨ કલાક ૨૫ મિનિટ્સ
કલાકારો : નૂતન, બલરાજ સાહની, શુભા ખોટે, સુંદર, સુરેન્દ્ર, પ્રતિમા દેવી, શિવરાજ, કૃષ્ણકાંત, સુરેન્દર, પરવિન પૉલ, સીમા શાહ, જગદિશ રાજ, મુમતાઝ અલી, જી.બી.સિંઘ અને સી.એસ.દૂબે.


ગીતો
૧. સૂનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની... લતા મંગેશકર
૨. યે દુનિયા હૈ.. હમે ભી દે દો સહારા... મુહમ્મદ રફી- કોરસ
૩. તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે.. મન્ના ડે- કોરસ
૪. બાત બાત મેં રૂઠો ના, અપને આપ કો લૂટો ના... લતા મંગેશકર
૫. કહાં જા રહા હૈ, તૂ અય જાનેવાલે, અંધેરા હૈ.. મુહમ્મદ રફી
૬. મનમોહના બડે ઝૂઠે, હાર કે હાર નહિ માને... લતા મંગેશકર

આ કોલમ શરૂ કર્યા પછી આજે પહેલી વાર એવું બની રહ્યું છે કે, ફિલ્મ 'સીમા'માં નૂતન-બલરાજ સાહનીનો અભિનય, શંકર-જયકિશનનું સંગીત અને અમીયા ચક્રવર્તીનું બિમલ રોયની કક્ષાનું દિગ્દર્શન જોયા પછી, હું મારી જાતને આ મહાન લોકો માટે એક અક્ષરે ય લખવા માટે કાબિલ માનતો નથી. પ્રશંસા કરવા માટે ય પાત્રતા જોઇએ, એ સાચું હોય તો આવી અદ્ભૂત ફિલ્મનું મૂલ્યાંકન કરવા માટે હું બહુ નાનો પડું. ખાસ તો, નૂતનનો અભિનય જોયા પછી એવા સપના આવવા માંડયા છે કે, આવતા જન્મે મારી સગી મા ઉપરાંત બીજી વધારાની એક મા તરીકે ભગવાન મને નૂતન જ આપે. બલરાજ સાહનીના ચરણસ્પર્શ કરવા ઝૂકવું જ પડે, એવો એમનો પવિત્ર ચહેરો અને એમની અન્ય કોઇ પણ ફિલ્મ કરતાં 'સીમા'માં એમણે કલાના ચોસઠે ચોસઠ દરવાજા ખોલી નાંખ્યા હતા.

અને તમને હક્ક છે, તમારી દ્રષ્ટિએ હિંદી ફિલ્મોની આજ સુધીની સર્વોત્તમ અભિનેત્રી કોણ છે, એ બેધડક કહી દેવાનો, પણ આ ફિલ્મ 'સીમા'માં નૂતનનો અભિનય જોયા પછી તમારી પાસે કોઇ વિકલ્પ જ રહી જતો નથી, એ સ્વીકાર્યા સિવાય કે, બીજી બધીઓ બેશક નંબર વન... પણ એ નંબર-વનથી ય કોઇને ઊંચું સ્થાન આપવું હોય તો નામ નૂતનનું જ બાકાયદા લેવું પડે. આ છોકરીએ ફિલ્મની પ્રત્યેક ફ્રેમમાં જે હાવભાવ આપ્યા છે, એ પણ કોઇ હીરોઇનને લઘુતાગ્રંથિ આપવા માટે સક્ષમ છે. ચોરીનો આક્ષેપ, કાકા-કાકી (શિવરાજ અને પરવિલ પૉલ)એને ઘરની બહાર કાઢી મૂકે છે. ત્યારે અથવા તો 'હમેં ભી દે દો સહારા...' એ ભિક્ષુક ગીત દરમ્યાન પેલા ભિખારીઓ માટે ફેંકાયેલો રૂપિયાનો સિક્કો રગડતો- ગગડતો નિરાધાર બેઠેલી નૂતન પાસે આવે છે. ઘરમાંથી કાઢી મૂકાયા પછી ભૂખ તો ઠીક, તરસ પણ છુપાવી શકાઇ નથી ને એમાં ય એ સિક્કો શોધતા ભિખારીના છોકરાની નજર ચૂકાવીને,પોતાના પગ પાસે પડેલા એ સિક્કાને પગની નીચે ચોરી છૂપી દાબી દેતા પહેલા, આવી ચોરી કરવી કે નહિ, નહિ કરૂં તો ખાઇશ શું ? ચોરીના ઇલ્ઝામને કારણે ક્યાંય કામ મળતું નથી. એમાં આ બીજી વખત પકડાઇશ તો શું, એ તમામ નૂતન સિવાય, હું નથી માનતો અન્ય કોઇ એક્ટ્રેસ આટલી સાહજીકતાથી લાવી શકી હોત ! એ ઘડીએ રફીના કંઠે શબ્દો ગવાતા હોય છે, 'સતાયે ભૂખ તો ઇમાન ડગમાતા હૈ...' મૂળ સંસ્કાર જાય નહિ, એ મુજબ લાચારીમાં એ સિક્કો પગ નીચે દબાવી દીધો તો હતો, પણ એ ભિખારી (મુમતાઝ અલી)ને પાછો ય આપી દે છે... ભૂખ કરતા ઇમાનદારી કેટલા ઊંચા શિખરો ચઢી ગઇ !

અરે, નૂતનને આ ફિલ્મમાં 'મનમોહના બડે ઝૂઠે...' ગીતમાં ફક્ત લિપ-સીન્ચિંગ (હોઠ ફફડાવવાના) જ હતા. છતાં આજ સુધીની કોઇ પણ હિંદી ફિલ્મના શાસ્ત્રીય રાગ ઉપર આધારિત કોઇ પણ ગીત કરતા સર્વશ્રેષ્ઠ સાબિત થઇ ચૂકેલું આ ગીત ગાતી વખતે લતાના ગળાની નસો કેવી ફૂલતી હશે, એવી નસો ફિલ્મી પરદા પર ફૂલાવવા નૂતન આ ગીતના રીહર્સલોમાં અચૂક જતી અને તાજ્જૂબી ત્યાં થાય કે ફક્ત લિપ-સીન્ચિંગમાં પણ પરદા ઉપર નૂતને એવી નસો ફૂલાવી બતાવી છે, એનો સીધો અર્થ એ થયો કે, નૂતન પણ આવું અઘરૂં ગીત ગાવા માટે સમર્થ હતી, ફક્ત અટકથી જ સમર્થ નહોતી. અને આ મહાન બંગાળી બાબુ અમીયા ચક્રવર્તીએ ઉતારેલી ફિલ્મોના નામો તો વાંચો, 'કઠપૂતલી', પતિતા', 'સીમા', 'દેખ કબીરા રોયા' અને 'દાગ' અને બીજી ય થોડીઘણી ! પણ આટલી જ ફિલ્મોના નામો એટલે લખ્યા કે, આમાંની તમામ ફિલ્મો 'સીમા'ની કક્ષાની હતી. એક 'દેખ કબીરા...'ને બાદ કરતા અમીયાએ માત્ર શંકર-જયકિશનને ય પોતાની કરિયર સોંપી દીધી હતી અને છાપું નજીક લઇને એ ફિલ્મોના નામો ફરી વાંચી જુઓ, આ બન્ને સંગીતકારોએ કેવી જાત નિચોવી દીધી.

હતી...! અને તો ય, હું પૂરતી જવાબદારી સાથે કહું છું કે, હિંદી ફિલ્મોમાં એક પણ શાસ્ત્રીય ગીત 'મનમોહના બડે જૂઠે' (રાગઃ જયજયવંતી)થી વધુ સારૂ બન્યું નથી. એ તો આપણી આખી પેઢી નસીબદાર કે, જે સદીમાં લતા જન્મી હતી, એમાં જ આપણે પેદા થયા, નહિ તો આ ગીતની જેમ આવી કઠિન તાનો બીજી કઇ ગાયિકા (કે ઇવન, ગાયક) મારી શકવાનો હતો ? એક મન્ના ડેનું 'તૂ પ્યાર કા સાગર હૈ ' સાંભળતી વખતે હું રડયો ન હોઉં, એવું હજી સુધી તો બન્યું નથી. એ જ સ્પર્શનું મુહમ્મદ રફીનું 'કહાં જા રહા હૈ, તૂ અય જાનેવાલે...' સાંભળ્યા પછી મન હજી માનતું નથી કે, આવો મહાન ગાયક ગૂજરી પણ જઇ શકે ? આપણા એના માટેના પ્રેમ-ઇબાદતનો કોઇ વિચાર જ નહિ કરવાનો ? અમિતાભ બચ્ચનને ફિલ્મ 'કૂલી' વખતે મોટો અકસ્માત થયો અને એ સાજો થયા પછી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર ફિલ્મ સ્ટાર્સની ક્રિકેટ મેચમાં ભાગ લેવા નૂતન આવી હતી. સ્પોર્ટસ ક્લબમાં મેં એના દીકરા મોહનીશ બહેલને રીક્વેસ્ટ કરી કે, 'મારે મમ્મીનો ઇન્ટરવ્યૂ લેવો છે. રૂમની બહાર બોલાવી શકશો ?' તો એ વિવેકી છોકરાએ ખૂશ થઇને સામી મને રીક્વેસ્ટ કરીને કહ્યું, ''આપ.. પ્લીઝ, થોડી દેર રૂકીયે... મેં મમ્મા કો બુલા લાતા હૂં.'' વાચકો માનશે નહિ,પણ નૂતન તરત આવી અને એવા સૌજન્યથી મારી સામે ઊભી રહી, જેમ સ્કૂલના પ્રિન્સિપાલની સામે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની ઊભી હોય. અદબ વાળી મોંઢું નીચું રાખીને ધીમેથી બોલી, 'જી... પૂછીયે' હું અનેક ફિલ્મ કલાકારોને આવી રીતે રૂબરૂ મળ્યો છું, પણ આવો સાહજીક વિનય અન્ય કોઇની પાસે જોયો નથી.

લતા તો પોતે બનાવેલી ફિલ્મ હોય, એટલી હદે છવાઇ ગઇ હતી ને તો ય સઘળી કમાલ શંકર-જયકિશનની જ. રાગ ભૈરવી પર બનેલા 'સુનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની'માં એમણે ઉસ્તાદ અલીઅકબરખાનના સરોદવાદનનો ઉપયોગ કર્યો છે. મુહમ્મદ રફીના બહુ ઓછા જાણિતા થયેલા 'હમે ભી દે દો સહારા કે બેસહારે હૈ' ગીત કોમેડિયન મેહમુદના પિતા મુમતાઝ અલી ઉપર ફિલ્માયું છે. શૈલેન્દ્રના શબ્દો કેવા હલાવી નાંખે એવા લખાયા છે, 'તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ...' પરમેશ્વર તો પ્રેમનો સાગર છે ને આપણી અપેક્ષા એમાંથી એક ટીપું પામવાની જ છે અને તું એ ય નહિ આપે, તો અમે જઇશું ક્યાં ?... 'ખુશી કે ચાર ઝોંકે ગર ઇધર સે ભી ગૂઝર જાયેં !

ફિલ્મની વાર્તા કંઇક આવી છે :

મા-બાપનું છત્ર ગુમાવી ચૂકેલ અનાથ ગૌરી (નૂતન) એના દૂરના ગરીબ કાકા- કાકીના જુલમો સિતમ સહી સહીને પણ ઘરની ગુલામડીની માફક કામ કરે જાય ને અપમાનો સહન કરે જાય. ઉપરાંત કમાવી લાવવાનું ફરજિયાત હોવાથી, જે ઘરમાં એ કામવાળી તરીકે નોકરી કરતી હોય છે, ત્યાંનો બીજો નોકર હલકટ બાંકેલાલ (સી. એસ. દુબે) નૂતનને એ જ ઘરમાં ચોરીના ઇલ્જામમાં ફસાવી દે છે. નૂતનને પોલીસ પકડીને લઈ જતા, એની મરજી વગર અનાથાશ્રમમાં જવું પડે છે, જેના સંચાલક બલરાજ સાહની અત્યંત સજ્જન હોવા છતાં, બાંકેલાલની બદમાશીઓથી વિફરેલી વાઘણ બનેલી નૂતન બદલો લેવા ઝનૂને ચડે છે, પણ બલરાજ અને આશ્રમની દીદી (પ્રતિમા દેવી) અને કોમેડિયન સુંદર એને બહાર જવા ન દેતા, એક રાત્રે તે શુભા ખોટેની મદદ લઈ ભાગી જાય છે અને બાંકેલાલને ફટકારી આવે છે. બલરાજની સજ્જનતા એને સ્પર્શી જાય છે. ફિલ્મના અંતે બંને પ્રેમવિવાહના બંધનોમાં બંધાય છે.

શુભા ખોટે ભારતની તાજી તાજી સાયકલ ચેમ્પિયન બની હતી. અમીયા ચક્રવર્તીએ આ ફિલ્મથી તેની આપણને ઓળખાણ કરાવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. અમીયા ચક્રવર્તીએ શુભાની આ સાયકલ-સ્કીલ દર્શકોને બતાવવા જ એક પ્રસંગ ઉભો કર્યો છે, ચોર (જી. બી. સિંઘ)નો સાયકલ ઉપર પીછો કરવાનો. અલબત્ત તેના કારણે પ્રેક્ષકોને એક ફાયદો એ જરૂર થાય છે કે, આખી ફિલ્મમાં પહેલીવાર કેમેરા મુંબઈના અંધેરીના મોડર્ન સ્ટુડિયોઝની બહાર (આઉટડૉર) લઈ જવાયો છે. શુભાના પિતા નંદુ ખોટે મરાઠી નાટયજગતના પીઢ અભિનેતા અને કાકી દુર્ગા ખોટે મૂંગી ફિલ્મોના જમાનાના એક્ટ્રેસ. શુભાનો ભાઈ વિજુ એટલે ફિલ્મ 'શોલે'નો 'કાલીયા'. ગીરગાંવની સેન્ટ ટેરેઝા કન્વૅન્ટમાં ભણેલી શુભાએ મુંબઈની વિલ્સન કૉલેજમાં ઇંગ્લિશ સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થઈ છે. 'દીદી, ખાના ખાઓ ના...' કહેતો નાનો છોકરો મોટો થઇને ફિલ્મ 'વાપસ' (એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ)માં હીરો બનીને, કોઈ ૫- ૭ ફાલતુ ફિલ્મો કરીને હોલવાઈ ગયો હતો. આપણા સુરતના ગૌરવ સમા હિન્દી ફિલ્મોના પીઢ કલાકાર શ્રી. કૃષ્ણકાંત ભૂખણવાલા અહીં કૅમિયો રોલમાં છે, જે અનાથાશ્રમમાં પોતાની પત્નીને મારવા આવે છે. આજે એ ૯૩ વર્ષની ઉંમરે સુરતમાં જ રહે છે. બ્લેક એન્ડ વ્હાઇટના જમાનાથી '૭૦ના દશક સુધી મોટા ભાગની દરેક ફિલ્મોમાં તબલા વગાડતો ટાલીયો કલાકાર સુરેન્દર છે, જે અહીં ફિલ્મના પ્રથમ દ્રષ્યમાં બારમાસી રોતડ-ક્લબના સભ્યશ્રી શિવરાજ સાથે દેખાય છે. કૉમેડિયન સુંદરે એની લાઇફનો શ્રેષ્ઠ કિરદાર કર્યો છે. નોર્મલી, સુંદરને તદ્દન ફાલતુ સાઇડી- કૉમિકના રોલ મળતો હોય છે. અહીં તો તેને અર્થપૂર્ણ રોલ મળ્યો છે, જેમ સી. એસ. દૂબેને મુખ્ય વિલનના રોલ ભાગ્યે જ મળ્યા છે અને અહીં તો એની પહેલી જ ફિલ્મમાં ધૃણાસ્પદ ખલનાયકનું એનું પાત્ર મજબૂત રીતે ભજવ્યું છે. મોટા ભાગની ફિલ્મોમાં ભડવાનો રોલ ભજવતો સી. એસ. દુબે એક્ટર તરીકે ઘણો સારો હતો. એનો એક તકિયા કલામ સંવાદ 'ઢક્કન ખોલ કે' બહુ ફેમસ થયો હતો. યાદ હોય તો મનોજકુમારની ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન'માં ઘઉંનો લોટ ભરેલા ગોદામમાં મૌસમી ચેટર્જી ઉપર બળાત્કાર કરે છે. અલબત્ત, વ્યક્તિગત રીતે, એ સારો માણસ હતો. માત્ર ભાષણો આપીને નહિ, સાચા અર્થમાં એ ગરીબ વિદ્યાર્થીઓના ભણતર માટે ફંડ એકઠું કરીને સંસ્થા ચલાવતો. આઝાદીની લડતમાં એ જેલ જઈ આવ્યો હતો. રેડિયો વિવિધ ભારતી ઉપર રાત્રે નવ કે સવા નવ વાગે વર્ષોથી આવતા 'હવા મહલ'માં એણે ખૂબ નામના મેળવી. (બાય ધ વે, આ ચંદ્રશેખર 'દૂબે' અને 'દવે' એક જ અટક છે. દૂબેનું ગુજરાતમાં અપભ્રંશ થઈને દવે થયું હતું. એમ તો અમારી અસલી અટક 'દ્વિવેદી', પણ અંગ્રેજોને એટલું અઘરું બોલતા ન ફાવે એટલે અપભ્રંશ (distortion) કરીને 'દૂબે' અને પછી 'દવે' કરી નાખ્યું.. ને તો ય હું અમેરિકા ગયો ત્યાં બધા ધોળિયાઓ મને 'ડૅવ' કહીને બોલાવતા... આ જમાનામાં તો સાલી અટકો ય રાખવા જેવી નથી !) એક મોટો ડાઘ અમીયાએ અજાણતામાં રાખી દીધો છે. બધો દારોમદાર નૂતન પર રાખવાને કારણે બલરાજનું પાત્રાલેખન અત્યંત નબળું બન્યું છે કે, આટલો કરોડપતિ હોવા છતાં ફાટલા-તૂટલા કોટ-પાટલૂનમાં અનાથામશ્રમ કેમ ચલાવે ? એ લંગડાતો કેમ હોય છે ? આખી ફિલ્મમાં એના વ્યક્તિત્વમાં વેદના દર્શાવવાનો મતલબ શું ? આ તો એક વ્યક્તિ અને અદાકાર તરીકે આ મહાન માણસ પરદા પર જ્યારે આવે છે, ત્યારે છવાઈ જાય છે. ફિલ્મમાં નૂતન કામવાળીનો કિરદાર કરે છે અને એની શેઠાણીઓ એની શેઠાણીઓ એને મારવાની હદ સુધી તતડાવતી હોય છે, એ વાત આજની કામવાળીઓ સાથે બંધ બેસતી નથી. હા, કામવાળી આપણી વાઇફોને તતડાવતી હોય, એ દ્રષ્યો તો રોજના છે...!

આવી મનોહર ફિલ્મ હજી ન જોઈ હોય તો પૂરા પરિવાર સાથે જોવી જ.

03/02/2016

ઍરલિફટથી વધુ સારી ફિલ્મ હોઇ શકે ? અફ કૉર્સ, નૉટ !

લાઇફમાં પહેલી વાર કોઇ સિનેમા જોતા પ્રેક્ષકોને ભારતનો તિરંગો પરદા ઉપર દેખાય, ત્યારે પ્રણામ કે સલામ કરતા જોયા, અક્ષય કુમારની ફિલ્મ 'ઍરલિફટ'માં. એ હજી યાદ છે કે, અમારા વખતમાં ફિલ્મ પૂરી થાય ત્યારે રાષ્ટ્રગીત દર્શાવાય, જેની ઉઘાડેછોગ અવહેલના થતી જોઇ, એ બંધ કરવામાં આવ્યું. આજે પણ આપણો તિરંગો કે રાષ્ટ્રગીત બહુબહુ તો આપણી ક્રિકેટ ટીમ પરદેશમાં મૅચ શરૂ થતા પહેલા જોવા મળે છે... બાકી તો એ બન્નેને શોધવા પડે. મોટા ભાગના ભારતીયોને તિરંગામાં ઉપર કેસરી આવે કે નીચે, અથવા તો અશોકચક્રમાં કેટલા આંકા છે, અથવા તો ૨૬ જાન્યુઆરી અને ૧૫મી ઑગસ્ટ વચ્ચે શું ફર્ક, એ ગૂગલમાં જોઇને કહેવું પડે.

અને.... આપણા દેશનો જ ગૌરવવંતો વર્લ્ડ-રૅકૉર્ડ અને આપણને જ ખબર નહિ ! સદ્દામ હુસેનવાળા યુધ્ધ વખતે કુવૈતમાં રહેતા અને ફસાયેલા આપણા ૧ લાખ ૭૦ હજાર ભારતીયોને 'ઍર ઇન્ડિયા'એ સતત ૫૯-દિવસ અને ૪૮૮-ફલાઇટ્સ દ્વારા સલામતીથી દેશમાં પાછા લાવી આપ્યા, જે એક વિશ્વવિક્રમ છે. આવી અભિમાન લેવા જેવી ઘટના અને મીડિયાવાળાઓએ રાજકારણ, ખૂન, આતંકવાદ, બળાત્કાર અને કૌભાંડો (ને એની પાછી ગ્રૂપ-ચર્ચાઓ !)ના સમાચાર આપે રાખ્યા, પણ ઍરલિફટવાળા સમાચાર દેશમાં કેટલાને પહોંચ્યા ? ઍટ લીસ્ટ, હું નહોતો જાણતો.

બેશક વાંક મીડિયાનો છે, ત્યારે જમીન પર લાંબા થઇ જઇને ફિલ્મ 'ઍરલિફટ'ના તમામ બનાવનારાઓને પ્રણામ કરવા પડે કે, આવા ગૌરવવંતા સમાચાર એણે આખા વિશ્વને આવી સુંદર ફિલ્મ બનાવીને આપ્યા. હીરો માટેની આપણી સમજ હજી સુધી અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરથી આગળ વધી નથી, ત્યારે આ ફિલ્મ ખુમારીપૂર્વક અસલી જીંદગીના હીરો સની મૅથ્યૂઝની સત્યઘટના સુધી આપણને લઇ જઇ, દેશદાઝ શું છે, એની સમજ આપે છે.

મને હજી એકાદ-બે વીક પહેલા 'ઍનકાઉન્ટર'માં કોઇએ પૂછ્યું હતું, મેં આજ સુધી જોયેલી સર્વોત્તમ ફિલ્મ કઇ ? અને મેં જવાબ આપ્યો હતો, 'મુગલ-એ-આઝમ.' પણ એ એકાદ-બે અઠવાડીયામાં જ મારી આખી સોચ બદલાઇ ગઇ. હવે તો એટલે સુધી કહીશ કે, આજ સુધીની જ નહિ, આવનારી મારી બાકી જીંદગીમાં ય 'ઍરલિફટ'થી વધુ સારી કોઇ ફિલ્મ જોવાની ઇચ્છા નથી. રાષ્ટ્રઝનૂન પેદા કરવાનું એકે ય કામ દેશના તમામ ધર્મોના સાધુમહાત્માઓએ કરી બતાવ્યું નથી. (એમની પોતાની આવક જાય...!) એ આ ફિલ્મે કરી બતાવ્યું છે. પાકિસ્તાન રોજ આપણા દેશમાં ઘુસીને રાબેતા મુજબ તમાચા મારી જાય છે ને આપણી મોદી સરકાર હજી 'રાધે-રાધે' કરે રાખે છે ત્યારે, 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપીશું'ની ગુલબાંગો છીછરા રાજકારણથી વિશેષ લાગતી નથી, રાજકારણને નામે નપુંસકપણાનો લૂલો બચાવ લાગે છે. અમને કમસેકમ ઝનૂન ચઢે, એવું એક વાક્ય તો બોલો. દુશ્મનો સામે રાષ્ટ્રભક્તિ બતાવવાને બદલે હલકટ રાજકારણ રમતી કૉંગ્રેસ ઉપરથી માન ઉતરી જાય છે. કોંગ્રેસ પણ એટલી જ ધિક્કારને પાત્ર છે કે, દેશની ચારો તરફ આતંકવાદીઓ હાથમાં સળગતો દારૂગોળો લઈને ઊભા છે, ત્યારે તમારી જાત બતાવવાને બદલે દેશભક્તિની તો કોઇ વાત કરો !

અને એટલે જ, આ ફિલ્મ જોયા પછી એ ભાન પડે છે કે, આપણા દેશને જ નહિ, આપણી જાતને બચાવવા આ નિર્માલ્ય રાજકારણીઓ ઉપર સહેજ પણ ભરોસો મૂકાય એમ નથી. જાતને કે દેશને બચાવવા હોય, તો આપણે જ દેશભક્તિ બતાવવી પડશે. હવે એ દિવસો દૂર નથી કે પાકિસ્તાન આપણા ગુજરાતમાંય ઘુસીને મારી જશે. કમ-સે-કમ બે વર્ષ માટે ધર્મ કે ભગવાનને બાજુ પર મૂકી દેશદાઝ ચઢાવીશું તો જ બચી શકીશું. આવી નમાલી રાજનીતિના દેશમાં, આપણા ભારત દેશ માટે ગર્વ મેહસૂસ કરાવતી આ એક જ ફિલ્મ આવી, જેને જોયા પછી એક ઇન્ડિયન હોવાનું અભિમાન ચઢે છે.

આપણે ત્યાં કરમુક્તિ ગુજરાતી ફિલ્મો પૂરતી રહી ગઇ છે, ત્યારે 'ઍરલિફટ' તો જોવા જનાર દરેક ભારતીયનું ય રાષ્ટ્રીય સન્માન થવું જોઇએ, એવી ફીલિંગ્સ તમને પોતાના માટેય થાય. 'ઍરલિફટ' કોઇ ફિલ્મ નથી.... દેશદાઝની આગ ઓકતી તંદુરસ્ત વિચારધારા છે. એક કવિતા છે-સૉરી, કવિતાય નાનકડો શબ્દ કહેવાય.... 'ઍરલિફટ' ભારતના રાષ્ટ્રગીત જેટલું સન્માન્નીય ગૌરવ છે. ફિલ્મનો હીરો કોઇ અક્ષય કુમાર નથી, ફિલ્મ પોતે જ હીરો છે.

એકલા અક્ષય કુમાર કે ફિલ્મના દિગ્દર્શક રાજા મૅનન જ નહિ, 'ઍરલિફટ' સાથે સંકળાયેલા હરકોઇને ભેટી પડવાનું નહિ, પ્રણામ કરવાનું મન થાય. (ભેટી પડવાની છૂટ આપીએ, એટલે ફિલ્મની અત્યંત ખૂબસુરત હીરોઇન નિમ્રત કૌરને ભેટી પડવાનો આદેશ થયો લાગે છે, એમ સમજીને ઘણા તો અત્યારે જ આ છાપું પડતું મૂકીને થીયેટર તરફ ધસી જશે....ભલે જતા... એક વાર ફિલ્મ જોઇ લેશે, તો નિમ્રત કૌરને ભેટવાને બદલે ભારત માતા સરીખી ગણીને એના ય ચરણસ્પર્ષ કરી આવીને ઘેર પાછા આવશે. ખાસ કરીને ફિલ્મના એક દ્રષ્યમાં નિમ્રત ફિલ્મના કાયમી ફરિયાદી રહેતા એક પાત્ર જ્યૉર્જ કુટ્ટી (પ્રકાશ બેલાવડી-જેણે વળી એક અદભુત ફિલ્મ 'તલવાર'માં ફિલ્મનો સર્વોત્તમ રોલ કર્યો હતો)ને ખખડાવી નાંખે છે, ત્યારે આ છોકરી ઉપર ગર્વ થવાનો ફૉર્સ આવી જાય છે.

સદ્દામ હુસેનના આતંકી ઇરાકે કુવૈત પર હૂમલો કરી અને કબ્જે કરી લીધું, એમાં ત્યાં કાયમી રહેતા ૧-લાખ ૭૦-હજાર ભારતીયોના જાન ત્યાંના કુવૈતીઓ જેટલા જ ખતરામાં હતા. ને તો ય પોતાને ભારતીય નહિ, 'કુવૈતી' ગણાવવામાં ગૌરવ લેતા પોણા બે લાખ ભારતીયોએ સાબિત પણ કરી દીધું હતું કે, જે દેશનું ખાઇએ છીએ, તેને દગો નથી કરતા. કૂતરો ય એને ટુકડો નાંખનાર ઉપર કદી કરડતો નથી. પણ સદ્દામ હુસેને કુવૈત કબ્જે કર્યું, ત્યારે એ ભારતીયોને રીયલાઇઝ થયું કે, અહીં આપણે એક નિર્વાસિતથી વિશેષ કાંઇ નથી..... ભારતીય તરીકે એકજૂટ રહીશું, તો ઘેર સલામત પાછા જઇ શકીશું, એવો એહસાસ (આ ફિલ્મ સત્યઘટના ઉપર આધારિત છે) કુવૈતના મૂળ ભારતીય શક્તિશાળી અબજોપતિ બિઝનૅસમૅન સની મૅથ્યૂઝને થાય છે અને સાચા અર્થમાં સની મૅથ્યૂઝ અજાણતામાં જ ત્યાંના ભારતીયોનો મસીહા બની જાય છે ને છેલ્લામાં છેલ્લો ભારતીય ભારત પાછો ન પહોંચે ત્યાં સુધી પોતે કુવૈત રોકાઇ રહે છે.

અક્ષય કુમારે કેવું પ્રણામયોગ્ય કામ આ ફિલ્મમાં કર્યું છે ! એની ફિલ્મ 'બૅબી,' 'હૉલી ડે', 'સ્પૅશિયલ ૨૬' કે 'ગબ્બર' પણ આવી જ રાષ્ટ્રભાવના ઉપસાવે એવી ફિલ્મો હતી, પણ 'ઍરલિફટ' તો ફિલ્મ જ નથી, એક રાષ્ટ્રગાન છે જે તમને ભારતીય હોવાનું માત્ર ભાન જ નહિ, ગૌરવ પણ અપાવે છે.

બહુ ઓછાના ધ્યાન પર એ વાત ગઇ હશે કે, અક્ષય કુમાર (મૂળ નામ, રાજીવ હરિઓમ ભાટીયા) આજથી ૨૪-વર્ષ પહેલા રાખી ગુલઝાર સાથેની ફિલ્મ 'સૌગન્ધ'માં હીરો તરીકે આવ્યો હતો અને આજે ૪૮-વર્ષની ઉંમરે ય શરીરથી પરફૅક્શન સાથે ફિટ છે. એક એક ફ્રૅમમાં આપણે એનાથી અંજાતા રહીએ, એવી પર્સનાલિટી છે. આમિર ખાન કે શાહરૂખ ખાનોએ અસહિષ્ણુતાનું છીછરૂં રાજકારણ રમી પોતાની રાષ્ટ્રીયતા (!) બતાવી દીધી ને પછી 'ધંધો' જાળવી લેવા ભૂલ સુધારી. એ બન્નેની ફિલ્મો જોવા ભારતપ્રેમીઓ જતા નથી, એ જ બતાવે છે કે, આપણે સહિષ્ણુ જરૂર છીએ, મૂર્ખ નહિ. એ બન્નેની સામે સલમાન ખાન (ફિલ્મ 'બજરંગી ભાઈજાન') અને અક્ષય કુમાર જેવાઓને દેશ માટે સંપૂર્ણ ગર્વ છે.

'ઍરલિફટ'ના દિગ્દર્શક રાજા કૃષ્ણ મૅનને આ ફિલ્મ બનાવવા પાછળ કેવી જાત ધસી નાંખી છે, કેવા અસરકારક સંવાદો લખાયા છે ને ક્યાંય 'ફિલ્મી' ન લાગે, એવી વાસ્તવિક રજુઆતને કારણે ફિલ્મ રીલિઝ થવાના પહેલા ચાર જ દિવસમાં રૂ. ૫૦-કરોડ મેળવી લીધા હતા. હજી એ રૂ. ૫૦૦-કરોડની ફિલ્મ બને તો એટલું સમજજો કે, આ રૂપિયા ભારતીયોએ કોઇ ફિલ્મને નહિ, દેશને પાછા આપ્યા છે. ગુસ્સાથી તમે થીયેટરની સીટો ફાડી નાંખો, એવું ઊંધુ કામ આ જ ફિલ્મના ઇન્ટરવલમાં બતાવાતા ફિલ્મ 'મસ્તીજાદે'ના ફાલતુ અને નીચ કક્ષાની કૉમેડી બતાવતા ટ્રેલરે કર્યું છે. હજી તો ઇન્ટરવલ સુધી જોયેલી 'ઍરલિફટ'ના જૂસ્સામાંથી બહાર ન આવ્યા હોઇએ, ત્યાં આવી હલકી ફિલ્મનું ટ્રેલર જોવું પડે એટલે ત્યાં જ બેઠા બેઠા એ ફિલ્મનું નામ બદલીને 'હરામજાદે' કરી દેવાનું મન થાય. ક્યારેક જગતમાં આજ સુધી જોયેલી સર્વોત્તમ સુંદર સ્ત્રીને જોઇ લીધાની બીજી જ પળે કોઇ માળીયા-ભોંયરાનો કાટમાળ જોવો પડે, એવી દશા પ્રેક્ષકોની થાય છે. જેમ 'મુગલ-એ-આઝમ' બીજી નહિ બને, એમ 'ઍરલિફટ' પણ કદીય નહિ બને.

સિક્સર
'અગર પરછાઇયાં કદ સે ઔર બાતેં ઔકાત સે બડી હોને લગે, તો સમઝ લીજિયે, સૂરજ ડૂબને હી વાલા હૈ.'