Search This Blog

17/01/2016

ઍનકાઉન્ટર : 17-01-2016

* આજનો યુવાવર્ગ ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીનું મહત્વ કેમ ભૂલતો જાય છે ?
- પહેલા એ બન્ને વચ્ચેનો ભેદ પૂછી જુઓ.

* પત્ની અડધી રાત્રે ઉઠાડીને પૂછે, 'સવારે જમવાનું શું બનાવવું છે ?' તો શું કરવું ?
- તમારૂં ઘરમાં ઉપજતું બહુ લાગે છે ! અમારી તો પડોસણો મને આવું પૂછી જાય છે, બોલો !
(બ્રિજેશ એસ. પારેખ, મુંબઈ)

* સફાઈ-અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પરિણામ તો શૂન્ય આવ્યું !
- સમજવામાં તમારી કોક ભૂલ થતી લાગે છે. આ સફાઈ-અભિયાન ભાજપમાંથી કચરો સાફ કરવા માટેનું હતું.
(ધવલ સોની, ગોધરા)

* તમે કદી કરી ન શક્યા હો, એવું કોઈ કામ ખરૂં ?
- લાઇફમાં એક વખત ઘરના માળીયા પરથી ભૂસકો મારવો છે, પણ હિમ્મત નથી ચાલતી.
(અજય ધામેલિયા, શામપરા)

* સાધુ મહારાજોના આટઆટલા કરતૂતો બહાર પડવા છતાં, ભક્તોનો અહોભાવ કેમ ઘટતો નથી ?
- ભક્તોને ય થોડું-ઘણું વધેલું-ઘટેલું મળે છે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* પાટીદારોના અનામત-આંદોલન વિશે તમે શું માનો છો ?
- મળવી જ જોઈએ ! પછી રહ્યા તો બ્રાહ્મણો અને વૈષ્ણવો જ ને ?
(મિલન પિપળીઆ, સુરત)

* હોલ તોતિંગ 'મેગા-સિટી'માં હોય, છતાં કહેવાય 'ટાઉન' હોલ ?
- રજવાડાં તો રહ્યા નહિ... તો હવે કાંઈ જામનગર બદલીને 'અશોકનગર' કરી શકાય છે ?
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* સાઉથ ઈન્ડિયન ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો વચ્ચે તમારી દ્રષ્ટિએ શું ફરક હોય છે?
- ગુજરાતી ફિલ્મો સાઉથ ઈન્ડિયન ભાષામાં બનાવી શકાતી નથી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* નિર્મલ બાબા, આસારામ બાપુ, રાધે માં... આ બધાના ભક્તો વિશે બે શબ્દો કહેશો?
- મેરા ભારત મહાન.
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* મોદીજીના અખાતી દેશોના પ્રવાસ વિશે કાંઈ કહેશો ?
- મને લઈ કેમ ના ગયા ?
(વીરેન્દ્ર જાની, જામનગર)

* મોદીને વડાપ્રધાનને બદલે વિદેશ પ્રધાન બનાવવાની જરૂરત હતી કે નહિ ?
- દેશ આખાને બનાવવાને બદલે એ વડાપ્રધાન બની રહે, એ વધુ ઈચ્છનીય છે.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* આજના સંદર્ભમાં પ્રેમ એટલે શું ?
- ખર્ચો.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* આદ્યશક્તિ માં અંબા પાસે, વિદ્યા સરસ્વતીજી પાસે, પૈસા લક્ષ્મીજી પાસે, તો પુરૂષો પાસે શું ?
- આ બધું વાપરવાનું.
(વસંતિકા પરીખ, વડોદરા)

* ૬૦-વર્ષની શાંતિ પછી એક વર્ષનો હિસાબ લેવાની ઉતાવળ કેમ ?
- એમને હિસાબ આપવાની ચિંતા નથી, માટે !
(સિદ્ધાર્થ છાયા, અમદાવાદ)

* લિવ-ઈન રીલેશનશીપ અને લગ્ન વચ્ચે શું ફર્ક ?
- કામ પતે ઘર ભેગું થઈ જવાય... લગ્નમાં ન થવાય... બા ખીજાય !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* હવે તો એવું લાગે છે, કે સરકારી નોકરી એક સપનું બની જશે... !
- સપના જુઓ તો કોઈ ઊંચા કલાસના જુઓ...
(જયદીપ ડી. વાલા, અમરેલી)

* મુંબઈમાં 'બુધવારની બપોરે' ગુરૂવારે આવે છે, પણ 'એનકાઉન્ટર' રવિવારે જ આવે છે, એવું કેમ ?
- પૂર્વમાં સૂરજ વહેલો ઊગે.
(અંકુર મિસ્ત્રી, અજરાઈ-નવસારી)

* અનામત રદ થાય, એવી રાજકારણીઓ પાસેથી આશા રાખી શકાય ?
- એમની પાસેથી જે કાંઈ રાખવું હોય, તે પહેલા આશા, ભાવના અને કૃપાના ઘરવાળાઓને પૂછવું પડે.
(મધુકર મહેતા, વિસનગર) અને (કુમકુમ ઠાકર, ગોધરા)

* ગુજરાતમાં સંખ્યા પોલીસોની વધારે કે ગુન્હેગારોની ?
- એ બધા ય ને ટપી જાય, એટલી સંખ્યા દરેક ધર્મના હરિભક્તોની છે... જે પણ દેશને કોઈ કામમાં આવવાના નથી.
(મહિપાલસિંહ જાડેજા, ગાંધીનગર)

* તમે રાજકારણમાં કેમ ટ્રાય નથી કરતા ?
- હું પોતાની બુદ્ધિથી ચાલી શકું એમ છું.
(હિતેશ પ્રજાપતિ, નિકોલ)

* અનામતને નામે ઓપન-કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓને થતો અન્યાય ક્યારે બંધ થશે ?
- અનામત વગર રહી ગયેલા તમામ લોકો એક થશે ત્યારે.
(ઈશાન આર. શેઠ, સુરત)

* મારે નરસિંહ મહેતા બનવું છે... શું કરવું ?
- છાપામાં ટચુકડી જા.ખ. ઉપરાંત સરકારી ગેઝેટમાં નામ-અટક બદલાવવા પડે.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* મને પણ તમારી જેમ ફની જવાબો આપતા આવડે છે, પણ તમારા જેવું ફેમસ થતા નથી આવડતું...
- બસ, એનું કોઈ ફની કારણ લખી મોકલો.
(દર્શક આર. પટેલ, આણંદ)

* તમને નથી લાગતું, દેશમાંથી જાતિવાદ નાબૂદ કરવો જોઈએ ?
- હા, પણ એ નાબૂદ કરીને દેશમાં 'અશોકવાદ' કેવી રીતે લાવીશું ?
(પૃથ્વીરાજ કોરડિયા, અમદાવાદ)

* ભારતમાં રહેવા છતાં લોકો વિદેશી ચીજોની તારિફ કરે છે, ભારતની કેમ નહિ ?
- સારી વસ્તુની તારિફ કરવામાં શરમ શેની ?
(સલમાન દહી, ગોધરા)

* તમે 'બુધવારની બપોરે'માં લખેલી 'સોલ્ટી'ની સ્ટોરી તમારી જ હોય, એવું લાગે છે... !
- એમ તો, સોલ્ટી ય આપણી જ !
(અનિરૂદ્ધ ચાવડા, વઢવાણ)

No comments: