૧. જેમ્સ બૉન્ડની જેમ તમને, 'લાયસન્સ ટુ કિલ'ની છુટ મળે, તો પહેલા કોને મારો ?
- ભારતનું રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેસી રહેનારને.
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)
૨. અમદાવાદમાં રસ્તાઓ ખોદવાનું બંધ ક્યારે થશે ?
- પૂરવાનું ચાલુ થશે ત્યારે.
(નિમિષ પટેલ, અમદાવાદ)
૩. કેજરીવાલનું શું થશે ?
- એ મીડિયાનું બાળક છે...મીડિયા જ એને મારશે.
(સુનિલ દવે, કલોલ : હાર્દિક ભટ્ટી, રાજકોટ)
૪. શું ગયા જન્મમાં તમે બિરબલ હતા ?
- બિરબલે આ જન્મ અશોક દવેનો લીધો છે.
(વર્ષા જે. સુથાર, ભૂજ-કચ્છ)
૫. ભાજપના પ્રમુખ બન્યા પછી અમિત શાહ 'ફૂગ્ગો' બની ગયા છે, એમ નથી લાગતું?
- એ મારે/તમારે નહિ....એમના પત્નીએ જોવાનો વિષય છે.
(મનન પટેલ, આણંદ)
૬. મારે 'ગુજરાત સમાચાર'માં દર સપ્તાહે એક લેખ છપાવવો છે. શું કરવું ?
- જે બધા કરી રહ્યા છે એ....'ગુજરાત સમાચાર' વાંચો.
(કેતન પોલારા, નવસારી)
૭. વડીલો કહેતા કે, બોલતા પહેલા સો વખત વિચારો. તમે લખતા પહેલા કેટલું વિચારો છો ?
- લેખ લખતા પહેલા એકે ય વાર નહિ....ચૅક લખતા પહેલા સો વાર !
(હર્ષદ પ્રજાપતિ, સુરત)
૮. મારે તમારા જીવન પર એક પુસ્તક લખવું છે. આપ મને શું હૅલ્પ કરશો ?
- છપાઇ ગયા પછી વાંચી જોઇશ.
(ઉમેશ નાવડીયા, જલિલા-બોટાદ)
૯. ગુલાબ 'વૅલેન્ટાઈન-દિને' જ કેમ અપાય છે ?
- બસ...વર્ષમાં એક વાર એટલો ખર્ચો કરવો સારો !
(જયેશ ચૌહાણ, હાલોલ)
૧૦. તમે ગલ્ફ દેશોમાં ગયા છો ?
- બધા ગલ્ફ દેશો ઉપરથી ઊડયો છું...નીચે ગયો નથી.
(અનંત વ્યાસ, ગાંધીધામ)
૧૧ તમે સહમત છો કે શાહરૂખ ખાન ઓબામાં કરતા વધુ પોપ્યુલર છે ?
-કોણ શાહરૂખ ખાન....?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)
૧૨. પાકિસ્તાનનું હવે તમારે જ કંઇ કરવું પડશે...! મોદી તો ઠરી ગયા...!!
- આપણે 'અચ્છે દિન આને વાલે હૈં...' પાકિસ્તાનમાં અચ્છે દિન ચાલી રહ્યાં છે.
(કિરીટ ગોસાઇ, ખેરવા-મહેસાણા)
૧૩ કેજરીવાલને ફિલ્મ 'નાયક'ના અનિલ કપૂર બતાવતા 'વૉટ્સઍપ' ફરે છે. સુઉં કિયો છો ?
- તમારી ભૂલ થાય છે. જીતેન્દ્રની ફિલ્મ 'નાલાયક' પણ આવી હતી.
(નીરજ પુરોહિત, ઊના-ગીર સોમનાથ)
૧૪ મોટા ભાગના હાસ્યકલાકારો બ્રાહ્મણ જ કેમ હોય છે ?
- મોટા ભાગના વડાપ્રધાનો પણ બ્રાહ્મણો હોય છે.
(અંજના ભગદેવ, વેરાવળ)
૧૫. તમારા જીવન પર ફિલ્મ બનવાની હોય તો ક્યા કલાકારો પસંદ કરો ? ફિલ્મનું નામ શું રાખો ?
- ડિમ્પલ માને પછી કંઇક આગળ વિચારૂં.
(કોશાલ છાપીયા, જામનગર)
૧૬. અશોકજી, તમારૂં પૅટ-નેઇમ શું છે ?
- સંસારનું સર્વશ્રેષ્ઠ નામ મને મળ્યું છે...પૅટ-નૅઇમની કાંઇ જરૂર....?
(વિશાલ કુમાવત, નવસારી)
૧૭. ચમચો વધારે ઉપયોગી ક્યો ? કિચનનો કે કચેરીનો ?
- એ તો ઘર કે ઑફિસમાં જેનું ઉપજતું હોય, એને ખબર !
(રોહિત દરજી, હિમ્મતનગર)
૧૮. તમારા ફોઇ જાણતા હશે કે, તમે હાસ્યલેખક જ બનશો...માટે તમારૂં નામ 'અશોક' રાખ્યું ?
- એ થોડું ઓછું જાણતા હશે...નહિ તો મારૂં નામ 'મૂકેશ, અનિલ કે ગૌતમ' ન રાખ્યું હોત ?
(હનીફ છાયા, પોરબંદર)
૧૯ આખા વિશ્વમાં ભાઈચારો ક્યારે આવશે ?
- આપણા આપણા ઘરોમાં આવે પછી !
(બ્રિજેશ ભદ્રા, જામનગર)
૨૦. ૨૬ જાન્યુઆરીએ અતિથી વિશેષમાં તમને આમંત્રણ કેમ નહિ ?
- બસ...પછી તો એમને સારો માણસ મળી ગયો !
(નિકેતન સુથાર, ગોધરા)
૨૧. કોઇ મહાન વ્યક્તિ બિમાર પડે, એટલે મૃત્યુ પામી હોય, એમ એની જીવન-ઝરમર કેમ પ્રકાશિત થઇ જાય છે ?
- બીજું કાંઇ ખોટું લખી/બોલી શકાય એવું હોતું નથી !
(મધુકર માંકડ, જામનગર)
૨૨ ઍરપૉર્ટ પર કૂલી કેમ હોતા નથી ?
- ના રે ના...બધે હસબન્ડોઝ જ હોય છે !
(સાધના નાણાવટી, જામનગર)
૨૩ હવે તો 'સમ્રાટ અશોક'ની ટીવી-સીરિયલ પણ આવી ગઇ....તમારી ક્યારે ?
- એ ક્યાં કમ છે કે, હું સમ્રાટનો ય બાપ છું !
(સાગર ગૌરાંગી, વસો-નડિયાદ)
૨૪ જૂનાગઢમાં તમારા 'શિલાલેખો' કોઈ વાંચી શકતું નથી. કોઇ ઉપાય ?
- મારા ગયા જન્મનું મને કાંઇ યાદ ન દેવડાવો, ભાઇ !
(સ્મિત આચાર્ય, અમદાવાદ)
૨૫ સ્ત્રીઓ પોતાની હાર ક્યારે સ્વીકારતી થશે ?
- મને 'સ્ત્રીઓ'નો અનુભવ નથી...એકમાં જ હારી ગયો છું.
(દીપક આશરા, ગાંધીનગર)
૨૬ 'ઍનકાઉન્ટર'માં ભાવનગરવાળાઓના જવાબ વધુ આપો છો, એનું કારણ ?
- તમે 'ભરૂચ'નો સ્પૅલિંગ ખોટો લખ્યો છે ....?
(મિત દવે, ભરૂચ)
૨૭ ઍવૉર્ડ ફંકશનોમાં લતા મંગેશકર જેવી લૅજન્ડરી પ્રતિભાની મિમિક્રી કરનારા હાસ્યાસ્પદ લોકો વિશે આપનો શું અભિપ્રાય છે ?
- કોઇને ઉતારી પાડવાના ઇરાદાથી થયેલા વખાણ પણ ન ચાલે. મિમિક્રી પણ શુધ્ધ હેતુથી થતી હોય, તો ખોટું કશું નથી.
(દીપ્તિ કે. રાવલ, આણંદ)
No comments:
Post a Comment