ફિલ્મ
: ‘દેસ-પરદેસ’ ('૭૮)
નિર્માતા-દિગ્દર્શક
: દેવ આનંદ-અમિત ખન્ના
સંગીત
: રાજેશ રોશન
ગીતકાર
: અમિત ખન્ના
છબિકલા
: ફલી મિસ્ત્રી
ગીતો
: અમિત ખન્ના
રનિંગ
ટાઈમ્સ : ૧૮-રીલ્સ : ૧૬૯-મિનિટ્સ
થિયેટર
: અજંતા
કલાકારો
: દેવ આનંદ, ટીના મુનિમ (પહેલી ફિલ્મ), પ્રાણ, અમજદ
ખાન, અજીત, મેહમુદ, ડૉ.
શ્રીરામ લાગુ, ટૉમ ઑલ્ટર, બિંદુ, ઈન્દ્રાણી
મુકર્જી, પેન્ટલ, સુધીર, રાજ
મેહરા, મૃદુલા, બિરબલ. પ્રેમ ચોપરા, એ.કે.
હંગલ, ગજાનન જાગીરદાર, જાનકી
દાસ, ભરત
કપૂર, સુજીત કુમાર, કીથ સ્ટીવન્સન, બિરબલ, બૅબી
કોમલ, ગુફી પેન્ટલ, શરત સક્સેના. મા. અલંકાર
અને મૃદુલા.
ગીતો
૧.
દેશ...પરદેસ, હે ખુશીયાં યહીં પે, મિલેંગી
હમેં રે... કિશોર-કોરસ
૨.
નઝરાના, ભેજા કિસી ને પ્યાર કા, હૈ
દીવાના... કિશોર કુમાર
૩.
જૈ દેસ વૈસા ભેસ, ફિર ક્યા ડરના... લતા-કિશોર
૪.
તૂ પી ઔર જી, સર્દી મેં જબ પિયોગે યોરાં... કિશોર કુમાર
૫.
આપ કહેં ઔર હમ ના આયે, ઐસે તો હાલાત... લતા મંગેશકર
૬.
અરે નઝર લગે ના સાથીયો... કિશોર, અમિત, મનહર, વિજય
(અનુરાધા
પૌડવાલ પાસે ભજનની એકાદ લાઈન ગવડાવી છે)
ફિલ્મનગરીમાં
કોઈ કોઈનું નથી. કોઈ એહસાન-ફેહસાનની કિંમત નથી. તમારું કામ પડે, ત્યાં
સુધી જ તમે કામના... બસ, પછીનો ઈતિહાસ તો ગવાહ છે કે, સેંકડો
સુરમાઓ છેલ્લે છેલ્લે ભીખ માંગતા થઈ ગયા અથવા તો દારૂના રવાડે ચઢી જઈ જીંદગી પૂરી
કરી બેઠા.
નહિ
તો, દેવ
આનંદની પ્રોડક્શન કંપની 'નવકેતન ઈન્ટરનેશનલ્સ'ની
કોઈપણ ફિલ્મ માટે સચિનદેવ બર્મન સિવાય બીજું કોઈ નામ વિચારી ન શકાય, પણ
તબિયતના મામલે કાકા હાલકડોલક થવા માંડયા, એટલે દેવ આનંદે એમના દીકરા
રાહુલદેવને સંગીત સોંપવા માંડયું. એણે ઉતારાય એટલી વેઠ ઉતારી, પછી
આ ફિલ્મની જેમ રાજેશ રોશન આવ્યો.. એણે એકાદ-બે ફિલ્મોમાં ચમકારા બતાવ્યા પછી એ ય
હોલવાઈ ગયો ને દેવ આનંદને છેક બપ્પી લાહિરી સુધી જવાનો વખત આવ્યો... (આમાં તો
બપ્પીના ય ભોગ લાગ્યા કહેવાય!) પણ આ ફિલ્મ 'દેશ-પરદેશ' સુધી
તો દેવ આનંદની ફિલ્મોનું સંગીત મજેદાર હતું.
આખી
ફિલ્મમાંથી લોકોને ચર્ચા કરવી ગમે, એવા બે જ ફેક્ટર હતા, રાજેશ
રોશનનું સંગીત અને ફલી મિસ્ત્રીના કેમેરામાં દેખાયેલા લંડનના રંગીન દ્રષ્યો.
બ્રાન્ડ ન્યુ ગુજરાતી હીરોઈન ટીના મુનિમ તમામ પ્રેક્ષકોને અનહદ ગમી ગઈ હતી અને
પ્રાણ, અજીત, પ્રેમ ચોપરા, મેહમુદ
અને બિંદુ જેવા ટિકીટબારીઓ ભરચક કરાવી દેનારા કલાકારો ય હતા. નહિ તો, આ
જ ફિલ્મ 'દેસ પરદેસ'માં બુઢ્ઢા પ્રાણની આધેડ વાઇફનો
કેરેક્ટર રોલ કરતી ઈંદ્રાણી મુકર્જી રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ 'આખરી
ખત'ની
હીરોઈન હતી, જે દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદે બનાવી હતી ને અહીં એ
પ્રાણની આધેડ વયની પત્ની બની છે. દેવ આનંદની મા બનતી મૃદુલા '૪૧-માં
બનેલી ફિલ્મ 'નિર્દોષ'માં ગાયક-હીરો મૂકેશની હીરોઇન હતી અને
અહીં એનાથી ય ઉંમરમાં મોટા દેવની મા બને છે, જે 'જ્હોની
મેરા નામ'માં દેવની સાસુ બને છે. રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ 'રાઝ' રીલિઝ
થઈ, પણ
ખન્નાના કહેવા મુજબ, એની પહેલી ફિલ્મ 'આખરી
ખત' હતી.
વાસ્તવમાં એ પહેલા ફિરોઝ ખાન, પદ્મિની અને પ્રાણની ફિલ્મ 'ઔરત' ખન્નાની
પહેલી ફિલ્મ હતી, પરંતુ એમાં એ મેઈન હીરો ન હોવાથી
ખન્ના એને ગણતો નથી. જમાનો પૂરો થવા આવ્યો એટલે એ જ ઈન્દ્રિાણી મુકર્જીને આવા ભાભી
કે માં ના રોલ કરવા પડયા. (શીના બોરા હત્યાકાંડની ઈંદ્રાણી
મુકર્જી પાછી જુદી.)
શિક્ષિત
ખેડુત સમીર સાહની (પ્રાણ) ગામમાં માં-બાપ, ભાઈ
વીર (દેવ આનંદ), પત્ની (ઈન્દ્રાણી મુકર્જી) અને નાની દીકરી સાથે રહે છે, પણ
નોકરી ધંધા અર્થે લંડન સેટલ થવું પડે છે. થોડા પત્રવ્યવહાર પછી સમીર તરફથી કોઈ પણ
પત્રવ્યવહાર બંધ થઈ જાય છે. વીરને આ માટે લંડન મોકલવામાં આવે છે કે, ભાઈ
ક્યાં છે? એ શોધવામાં વીરને એટલી ખબર પડે છે કે, લંડનમાં
રહેતા લાખો ભારતીયો ગેરકાયદેસર લંડનમાં રહે છે. બનાવટી પાસપૉર્ટ સાથે લઘુત્તમ
પગારમાં એ લોકો કારમા દિવસો કાઢે છે. બનાવટી પાસપોર્ટ્સ અને દોમદોમ ગરીબીને કારણે
એમના જ ભારતીયોના પંજામાં એ લોકો સપડાયેલા છે. દેવ આનંદ પ્રાણની વ્યર્થ શોધખોળ
કરતા મોટા ગૂન્હાઓના ચૂંગાળમાં ફસાઈ જાય છે. બારમાસી વિલન અજીતે પ્રાણનું ખૂન
કર્યું હોય છે. એની સાથીદાર બિંદુ અને વધારાના સાથી-ગુંડાઓમાં પ્રેમ ચોપરા અને
અમજદ ખાન છે. પ્રાણની તપાસ કરવા લંડન ગયેલા દેવ આનંદને વિમાનમાં નવીનવેલી દુલ્હન
ટીના મુનિમ મળે છે, જેને અજીતે ફસાવી હોય છે. આ બન્ને
ભેગા મળીને અજીતનો પર્દાફાશ કરે છે.
દેવ
આનંદ જે ફિલ્મમાં હોય, એનું દિગ્દર્શન પણ એ જ કરતો હોય, ત્યાં
સુધી સમજ્યા, પણ જે સ્પીડ અને અંદાજથી દરેક ફિલ્મમાં એ સંવાદો બોલે
છે, એ
જ સ્ટાઈલથી બાકીના કલાકારોએ પણ બોલવા પડે. અહીં પ્રાણ હોય કે અજીત, ટીના
મુનિમ હોય કે પ્રેમ ચોપરા... સહુ કલાકાર બોલે છે, દેવના
મેનરિઝમ્સ અને સ્પીડથી જ.
યસ.
પ્રાણ સા'બને પ્રણામ એમની ફક્ત એક્ટિંગ નહિ, એમના
વ્યક્તિત્વ માટે ય કરવા પડે. આવી વાતને કોઈ રેકોર્ડ ન ગણે, પણ
આજ સુધીની પૂરી ફિલ્મનગરના તમામ કલાકારોમાંથી ''એક
માત્ર'' પ્રાણ એવા અભિનેતા હતા, જેમણે
રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ-ત્રણે સરખે
હિસ્સે પસંદ કરતા હતા. મનોજ કુમાર હોય કે જૉય મુકર્જી કે છેલ્લે છેલ્લે અમિતાભ
બચ્ચન... પ્રાણ આ તમામને ગમ્યા છે, નહિ તો ફિલ્મોમાં રીતસરના કેમ્પ પડી
ગયા હોય કે, મોટા સ્ટાર્સની સાથે ફક્ત એમના માનિતા સહકલાકારો જ હોય!
એક માત્ર રાજેશ ખન્ના આડો ફાટયો હતો ને પ્રાણ અને મેહમુદ વિના પોતે એકલો આખી
ફિલ્મને ખેંચી જઈ શકે છે, એ સાબિત કરવા એ બન્નેને શક્ય હોય
ત્યાં સુધી પોતાની ફિલ્મોમાં આવવા ન દેતો. ખન્નાએ તો અમિતાભ બચ્ચનનો ચઢતો સૂરજ
જોઈને એને ય ખેંચાવી નાંખવાનો કોઈ પ્રયત્ન બાકી નહતો રાખ્યો, પણ
બચ્ચન તો આજે ય સુપ્રીમ છે.
દેવ
આનંદ ઉપર પહેલા નવાઈઓ લાગતી, પછી આઘાતો લાગવાના શરૂ થયા
અને છેલ્લે છેલ્લે તો ધરખમ ગુસ્સાઓ આવ્યા કરે, એવી
તદ્દન ફાલતુ ફિલ્મો બનાવવા માંડયો હતો, એવી ફિલ્મોની શરૂઆત આ
ફિલ્મથી થઈ હતી. ફિલ્મ જોતી વખતે, 'આવું તે કાંઈ હોતું હશે?' એવી
મૂંઝવણો પાર વિનાની થયે રાખે છે. જેમ કે, હીરોઈન ટીના મુનિમને દેવ
ખુદ અજીતની પાસે પકડાવી દે છે, એનું કાંઈ કારણ શોધ્યું ન મળે. વાર્તા
સાથે તો આમેય દેવને કોઈ લેવાદેવા નહોતી. પ્રશ્ન એ થાય કે, એ
ફિલ્મો બનાવતો હશે, ત્યારે કોઈને વાર્તાના લૉજીક-ફૉજીકનો
વિચાર નહિ આવ્યો હોય?
એ
તો ઠીક, સ્વયં ટીના મુનિમને આ ફિલ્મમાં શા માટે લીધી છે, એ.કે.
હંગલ, જાગીરદાર, ડૉ. શ્રીરામ લાગુનું આ
ફિલ્મમાં શું કામ હતું, તે કોઈ કહી શકે તેમ નથી. લાગુનો
મેક-અપ એટલી હદે લાઉડ કર્યો છે કે, એનું મોંઢું જોઈને ચીતરી ચઢે. ટાલ
બતાવવા કપાળ ઉપર બાંધેલી પ્લાસ્ટિકની પટ્ટી ઉઘાડી આંખે દેખાઈ જાય છે ને એમાં ય, લાગુ
અત્યંત ઑવર-એક્ટિંગનો ફિલ્મે-ફિલ્મે નમૂનો હતો.
દેવ
આનંદ એની પત્ની કલ્પના કાર્તિક સાથે એક મકાનમાં રહેતો હતો, પણ
લોકોના કહેવા મુજબ, બન્ને વચ્ચે 'હેલ્લો-હાય'' જેટલા
ય બોલવાના સંબંધો નહતાં, છતાં દેવની ફિલ્મોની એ
એસોસિએટ-પ્રોડયુસર હતી. શક્ય છે, ઈન્કમટૅક્સથી બચવાનો આ એક રસ્તો હોય.
દેવ
આનંદ માટે માન થાય કે એની પાસેથી કાંઈ શીખવા જેવું હોય તો એનો સ્પિરીટ હતો.
માનવામાં આવશે? વ્યવસાયી દ્રષ્ટિએ થોડીઘણી સફળ ગણીએ તો એની ફિલ્મ 'હરે
રામા, હરે ક્રિશ્ના' પછી કેન યુ બીલિવ...? એનું
અવસાન થયું ત્યાં સુધીમાં એની ૪૦-ફિલ્મો બુરી રીતે પિટાઈ ગઈ હતી, તે
એટલે સુધી કે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર કે છેલ્લી ફિલ્મ 'ચાર્જશીટ' સુધીની
એકોએક ફિલ્મમાં આબરૂના ધજાગરા થવા છતાં આ માણસે હિંમત ખોઈ નહોતી. સલામ એના
સ્પિરિટને કે, દેવ આનંદે પોતે એની એક પણ ફિલ્મ માટે કબુલ કર્યું નથી
કે, એની
ફલાણી કે ઢીકણી ફિલ્મ પિટાઈ ગઈ હતી. એ તો દરેક ફિલ્મના વખાણ કરીને કહેતો, 'મારી
દરેક ફિલ્મે મને કમાવી આપ્યું છે.'
એ
વાત સાચી પણ હશે, કારણ કે, એ
જીવ્યો ત્યાં સુધી પોતાના મકાનમાં જ રહેતો હતો. છોકરાઓ માટે દેવું કરીને ગયો નથી.
સુનિલ ગાવસકર કે વિજય મર્ચન્ટની જેમ ગ્રેસફૂલી રીટાયર થતા બહુ ઓછાને આવડયું છે.
'પ્રેમ
નામ હૌ મેરા...પ્રેમ ચોપરા' એ
નામે બહાર પાડેલી આત્મકથામાં ચોપરાએ દેવની શિસ્ત અને કામ કરતા રહેવાની લગનના વખાણ
તો ખૂબ કર્યા છે, પણ હિંમત રાખીને એ પણ લખી નાંખ્યું છે
કે, દેવ સાબે દિગ્દર્શન એમના ભાઇ વિજય આનંદને સોંપીને, પોતે
ફક્ત એક્ટિંગમાં ધ્યાન રાખ્યું હોય તો સારૂં હતું.
(ફિલ્મે ફિલ્મે આટલો કચરો ન થાત!)
No comments:
Post a Comment