Search This Blog

09/03/2014

ઍનકાઉન્ટર : 09-03-2014

* અશોક દવે, તમે અત્યારે ગુજરાત કોંગ્રેસ પાસે ટીકીટ માંગી જુઓ... કદાચ તમને પક્ષ-પ્રમુખ પણ બનાવી દે...!
- ગણત્રીમાં હું ઉંદર જેવો છું. જહાજ ડૂબવાનું હોય ત્યારે પહેલો હું જહાજ છોડું...!
(નૈમિષ સિદ્ધપુરા, મૅલબોર્ન-ઑસ્ટ્રેલિયા)

* અમેરિકા તમે પત્નીને લઈને કેમ નથી જતા?
- હું અમેરિકા જોવા જઉં છું. ત્યાં લોકો મારી સામે દયાથી જુએ રાખે, એવું નથી ઈચ્છતો!
(રમેશ સુતરીયા 'ટ્રોવા' મુંબઈ)

* 'હું કેટલો સુખી છું', એ જાણવાનો રસ્તો ક્યો?
- કોઈ દુઃખીને જોયે રાખો.
(યોગેશ ગણાત્રા, જામનગર)

* લોકસભાની ચૂંટણી માટે સુઉં કિયો છો?
- આજકાલમાં નવા નવા પપ્પા બનનારાઓ ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસનો ફોટો બતાવીને બાળકને કહેશે, 'જો બેટા... આપણા દેશમાં આવું ય કંઈક હતું...!'
(કુ. પી. ડી. કોટક, રાજકોટ)

* પ્રેમ એ તો ભાવનો મેળો છે. ભાવમાં તણાઈ ગયા પછી બાકી શું રહે?
- બસ... બાળક ન રહેવું જોઈએ
(મહેશ મકવાણા, અમદાવાદ)

* (આસા) રામ રાખે, એને કોણ ચાખે?
- (હ)રામ બરોબર, જો મને આની ખબર હોય તો!
(લલિત ઓઝા, જુનાગઢ)

* સલમાન ખુરશિદ કહે છે, 'મોદી નપુંસક છે.'
- તે... એમને ખબર કેવી રીતે પડી?
(કમલેશ ત્રિવેદી, અમદાવાદ)

* ઈશ્વરે પુરુષ સર્જ્યા પછી તેના મનમાં શું વિચાર આવ્યો હશે?
- એ જ કે, હવે મને આનાથી વધુ સારો વિચાર નહિ આવે!
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

* દવે સાહેબ, તમે રાજકારણમાં પણ ચાલો એવા લાગો છો...
- ગાલી મત દો!
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* શું તમને વિશ્વાસ છે કે, બ્રાહ્મણો એક થશે?
- એક થવાની જરૂરત બ્રાહ્મણોને નહિ, તમામ દેશવાસીઓને છે. સરહદ પર દુશ્મનો બ્રાહ્મણ કે જૈનને નહિ ઓળખે.
(શ્રદ્ધા દવે, અમદાવાદ)

* કેજરીવાલને બીજા પક્ષો કામ કરવા નહિ દે. સુઉં કિયો છો?
- કેજરીવાલ મીડિયાએ બનાવેલો પરપોટો હતો... ફૂટી ગયો!
(હસમુખ રાજાણી, રાજકોટ)

* આખું છાપું વાંચનારાઓ ય બોલતા હોય છે, 'છાપામાં કંઈ નથી...!'
- આવું એ લોકો બેસણાંની જા.ખ. જોઈને બોલી પડે છે.
(મધુકર પી. માંકડ, જામનગર)

* 'બીઝી' માણસો 'ઈઝી' કેમ હોતા નથી?
- ક્રૅઝી હોય છે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* સુખી હોવા છતાં દર વર્ષે નવા લગ્નનો વિચાર કેમ આવતો હશે?
- બહુ આળસુ છો... અહીં તો દર મહિને નહિ, દર રોજ આવે છે!
(રાજેશ વી. શુકલ, ભરૂચ)

* પાપ-પૂણ્ય કે નીતિ-અનીતિનું સૂત્ર ભારતમાં જ કેમ છે?
- 'મેરા ભારત મહાન'.
(ડો. રસિક ત્રિવેદી, સણોસરા)

* રાજકારણીઓનું આયુષ્ય જ વધારે હોવાનું કારણ શું?
- આયુષ્યો ભલે વધારે હોય, પણ સત્તા છુટી ગયા પછી મરે ત્યાં સુધી રિબાવાની ઈશ્વર એમને સજા કરે છે.
(ધર્મેશ વેકરીયા, આણંદ)

* પત્નીઓ એમના પતિ માટે 'કરવા ચોથ' જેવા વ્રત રાખે છે, પતિઓ આવા વ્રતો કેમ ન રાખે?
- બીજા બધા કામધંધા હોય કે નહિ? વાત કરે છે તે...!
(નૈનેષ પી. ભાવસાર, અમદાવાદ)

* થાક ઉતારવા તમારી મનપસંદ પ્રવૃત્તિ કઈ? સંગીત, વાંચન કે લેખન?
- મારા ફલૅટની નીચે જ શાકવાળાની દુકાન છે. હાથમાં થેલીઓ પકડીને સબ્જી લેવા આવતા લાચાર ગોરધનોને જોઈને રાજી થાઉં છું કે, ભગવાને મને આવો પતિ તો નથી બનાવ્યો...!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ફિલ્મી કલાકારો કે નેતાઓ સાથે ફોટા પડાવતા લોકો સાહિત્યકારો સાથે કેમ ફોટા પડાવવા રાજી નથી?
- અરે, હમણાં કોક વાચકે ઉત્સાહભેર મારી સાથે ફોટો પડાવ્યો ને પછી કીધું, 'થૅન્ક યૂ, ભવેન કચ્છી.'
(રસીલા દિલીપ શાહ, અમદાવાદ)

* 'સાધુ સંત કે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિન પૈસા રે...' એવું હનુમાન ચાલીસામાં કીધું છે, તે આસારામને હનુમાનજી મદદ કરતા હશે?
- હનુમાનજીએ સાધુ સંત માટે કીધું છે.
(કાંતિ ખખ્ખર, રાજકોટ)

* 'ભારત રત્ન' સરકારની ભાટાઈ કરવા અપાય છે?
- મેં પણ ઘરમાં બધાની વાહવાહી કરી, ત્યારે મને 'ફૅમિલી-રત્ન' એનાયત થયો.
(કનુ બારોટ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ મોકલ્યા પછી આટલી બધી રાહ કેમ જોવી પડે છે?
- એકાદ અઠવાડીયું તે કાંઈ રાહ જોઈ કહેવાય?
(પૂજા ભાટીયા, જસદણ-રાજકોટ)

* એક ધોબીની વાત માનીને શ્રીરામે સીતાજીનો ત્યાગ કેમ કર્યો?
- એની તો ખબર નથી, પણ એ ઘટના પછી પરણેલા પુરુષો રોજ ધોબીઓના ઘેર પહોંચી જાય છે...!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સમાજમાં આપની મથરાવટી કેવી છે?
- રૂ. દસ લાખ રોકડા મોકલો તો જવાબ આપું.
(જગદીશ આર. શાહ, રાજકોટ)

* સાંભળ્યું છે કે, તમારી જૂની પ્રેમિકાઓનું લિસ્ટ ઘણું લાંબુ છે...!
- કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
(દિવ્યા સી. પટેલ, સુરત)

No comments: