Search This Blog

23/03/2014

ઍનકાઉન્ટર : 23-03-2014

* દેવદર્શને જતા ભાવિકોને પણ જીવલેણ અકસ્માત નડે, તેનું કારણ શું?
- દેવોને ય કોકવાર ઝોકાં આવી જાય ને?
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* રાજેશ ખન્ના સુપરસ્ટાર, અમિતાભ 'ઍન્ગ્રી યંગમન', ધર્મેન્દ્ર 'હીમૅન' અને શાહરૂખખાન 'કિંગખાન'... તો 'અશોક દવે?'
- સુપર સ્ટાર કે હીમૅનો બદલાતા રહે છે... અશોક દવે... 'વન અન્ડ ઑન્લી.'
(સલમા મણીયાર, વિરમગામ)

* પાર્લામેન્ટમાં મરચાંની ભૂકી...?
- દારૂગોળો નહિ મળ્યો હોય!
(ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* લઘુમતિનો લાભ બ્રાહ્મણોને કેમ નહિ?
- શું કામ આપણને અંદરોઅંદર ઝગડાવી મારવાની રાજનીતિનો ભોગ બનવું છે? આપણે ભારતીય પહેલાછીએ- બ્રાહ્મણ પછી.
(પૂર્વી પી. દવે, વડોદરા)

* સ્ત્રીઓ સાધુસંતોને પગે લાગતી હોય છે, ત્યારે સાધુ ગર્વ અનુભવતા કેમ હોય છે?
- સ્ત્રીએ પગે લાગવાનું કેવળ એના પતિ, માતા-પિતા કે સાસુ-સસરાને હોય, પરપુરુષને નહિ... પણ એનો વર પોણીયો હોય, ને આ બધું ચલાવી લેતો હોય, એમાં સાધુઓનો શું વાંક? સાચો સંત સ્ત્રીઓને પગે લગાવડાવતો નથી.
(રૂદ્રેશ અધ્વર્યૂ, અમદાવાદ)

* આપની દ્રષ્ટિએ ભારતના આજ સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?
- અફ કોર્સ ડૉ. મનમોહનસિંઘ, જેમના લીધે દુનિયાભરમાં ખબર પડી કે, વડાપ્રધાન 'કેવા ન હોવા જોઈએ?'
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* તમે શિવરાત્રીનો જૂનાગઢનો મેળો કદી માણ્યો છે?
- એક વાર જ...! ભક્તો મને 'બાવો' માની બેઠા હતા...!
(અસલમ ગામેતી, વંથલી-જૂનાગઢ)

* મારે 'મૌન' ઉપર પીએચડી કરવું છે. આપશ્રી કોઈ સારા ગુરુની ઓળખાણ કરાવી શકો?
- !
(ક્રિષ્ના મૌલિક જોશી, જૂનાગઢ)

* બુધ, શુક્ર અને રવિવારોએ રાજ કરો છો, તો સ્વ. બકુલ ત્રિપાઠી બનીને સાતે ય દિવસ રાજ કરો ને?
- અત્યારે એકલો બેઠો બેઠો રાજ કરૂં છું, તે કમ છે?
(વિદુર પંડયા, ગાંધીનગર)

* જીવવા માટે શેની જરૂરત વધારે પડે છે? પૈસાની કે બુદ્ધિની?
- હું તો બન્ને વગર જીવી ગયો છું.
(શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

* તમારી બા સાચ્ચે જ ખીજાય છે કે વાચકોને હસાવવા ગપ્પું મારો છો?
- આ સવાલ તમારી બાએ પૂછ્યો હોત તો મારી બા જવાબ આપત!
(ભૂમિકા આર. લાડ, વલસાડ)

* લગ્ન પછી કોની અક્કલ ઘટી જાય છે? પતિની કે પત્નીની?
- તમારા ગોરધનજીને મળું પછી ખબર પડે!
(શ્રીમતિ ઇંદુ ચંદારાણા, વડોદરા)

* સ્ત્રી વિનાના વિશ્વની કલ્પના થઈ શકે?
- કલ્પના વિનાની સ્ત્રીઓથી આ વિશ્વ ઉજળું છે.
(ભરત ડી. સાંખલા, ડિસા)

* પરિણિત સ્ત્રીના માથામાં સિંદૂર હોય છે તો પરિણિત પુરુષના માથામાં?
- ધૂળ.
(ધ્રૂવિકા નાકરાણી, કુંકાવાવ-અમરેલી)

* લગ્ન પછી પુરુષ દુઃખી થઈ જવાનું કારણ?
- સાલો જુઠ્ઠું બોલતો હોય છે!
(બિપીન રાચ્છ, જામનગર)

* ભિખારીઓ મંદિરોની બહાર બેસે છે, બન્કની બહાર કેમ નહિ?
- બન્કમાંથી બહાર નીકળતા અડધા આ લોકોની લાઈનમાં આવી ગયા હોય છે.
(કનુ ભાવસાર, વડનગર)

* 'તારી ભલી થાય, ચમના' લખ લખ કરો છો. અમારા ગામમાં ચમનાની વાઈફ ભાગી ગઈ! શું ભલી થઈ??
- એ જ.
(મણીલાલ રૂધાણી, રાણાવાવ-પોરબંદર)

* ઘસાયેલો સાવરણો બદલવાની કેજરીવાલને જરૂરત લાગતી નહિ હોય?
- ન બદલે તો સારું. ચૂંટણી પછી સફાઈ-કામદારોની મોટા પાયે જરૂરત પડશે.
(અજય મુંજપરા, લીંબડી)

* 'ઍનકાઉન્ટર'ના સવાલો ઈ-મઈલમાં કેમ પૂછવા દેતા નથી?
- જ્યાં વ્હિસ્કી જોઈએ, ત્યાં દૂધની કોથળી ન ચાલે.
(હાર્દ એમ. કબીર, ગાંધીનગર)

* ઘણા લોકો વાત કરતી વખતે, 'આમ જુઓ તો...' બોલતા હોય છે. આપણને ક્યાં જોવાનું કહે છે?
- એ લોકો 'આમ' જોવાનું કહે ત્યારે આપણે 'તેમ' જોઈ લેવાનું. જવાબ એ જ આપશે.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* અનામતની છુટથી લહાણી...?
- આપણને તો આપણા કર્મો અને મેહનત પર વિશ્વાસ છે ને?
(શ્રીમતી કોકીલા પંડયા, ભાવનગર)

* સત્ય તો સત્ય છે... પછી એને 'નગ્ન સત્ય' કહેવાનો કોઈ મતલબ?
- એનો નગ્ન મતલબ તો મને ય ખબર નથી.
(ઓ. વી. સાગર, રાજકોટ)

* મંદિરો અને દરગાહો પર સોનું ચઢાવવાનો મતલબ?
- દરગાહોની મને ખબર નથી, પણ મંદિરોમાં સોનું ચઢાવવાથી ટ્રસ્ટીઓ પાયમાલ થતા અટકી જાય છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આ સંસાર શું છે?
- એના બાપનું તગારું.
(હિતેશ દેસાઈ, ગણદેવી)

* એક પછી એક ધનાઢ્યો જેલ ભેગા થવા માંડયા છે... આપનું કેમનું છે?
- હું ધનાઢ્ય થઈ જઉં, તો જેલ ભેગા થવાનો વાંધો નથી!
(પરેશ અંતાણી, રાજકોટ)

* સ્ત્રીને ઘરની લક્ષ્મી કહે છે, તો પુરુષ?
- પોઠીયો.
(ઓમકાર જોશી, ગોધરા)

* ઉપેન્દ્ર ત્રિવેદી હવે કેમ નથી દેખાતા?
- એ માણસ સ્ટેજનો સર્વોત્તમ સમ્રાટ છે. એક વાર મેઘાણીભાઈની વાર્તાનું એમની પાસે એકપાત્રીય મંચન સાંભળો. આવા કલાકાર વારંવાર નથી થતા.
(શ્રેયા જ. પટેલ, અમદાવાદ)

* તમારી વાત સાચી પડી. અન્ના હજારે માત્ર પબ્લિસિટીનો ભૂખ્યો માણસ નીકળ્યો !
- આખા દેશનું મીડિયા એ ડોહાથી છેતરાઇ ગયું હતું. ત્યારે સૌ પ્રથમ આ જ કોલમમાં કહેવાયું હતું કે, ''આ માણસ ભરોસો કરવા જેવો નથી.''
(રાજશ્રી પટેલ, અમદાવાદ)

No comments: