Search This Blog

07/07/2013

ઍનકાઉન્ટર 07-07-2013

* ગુજરાતના વરસાદની વેધશાળાઓએ કરેલી આગાહી ક્યારે સાચી પડશે ?
- એની આગાહી પણ એ લોકો નહિ કરે ત્યારે !
(રમેશ સુતરીયા- ટ્રોવા, મુંબઇ)

* શું રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકશે ?
- આમ તો કુંવારા વડાપ્રધાન સારા ! બોલી તો શકે !!
(અજીત એ. ઠાકોર, પાલનપુર)

* ગામમાં અઢાર વરણ હોવા છતાં યુધ્ધમાં ફકત રાજપુતો જ કેમ લડતા ?
- બાકીની ૧૭-વરણો એ રાજપુતોની પાછળ ખડે પગે ઊભી રહેતી !
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* પુનર્જન્મ કયો લેવા ઇચ્છો છો ?
- આવતા જન્મે વાંદરો થવાનો વિચાર છે. લોકો દૂર પણ રહે અને પ્રેમ પણ કરે !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* સાંભળ્યું છે કે, 'ઍન્કાઉન્ટર'માં ઍડ્રેસ અને મોબાઈલ નં. ઉપરાંત સવાલ પૂછનારના ફોટા ય મંગાવવાના છે ?
- ના. વાચકોને સવાલો વાંચીને હસવું આવે, એટલું કાફી છે !
(શબ્બીર તરવાડી, ચલાલા)

* કૉંગ્રેસીઓ ફકત ગુજરાત ઉપર જ કેમ પ્રહારો કરે જાય છે ?
- ઘો મરવાની થાય ત્યારે...
(ધીરેન ડોડિયા, ભાવનગર)

* ઇશ્વર તો સદા ય જાગૃત છે, છતાં મંદિરે જતા ભક્તો ઘંટ કેમ વગાડે છે ?
- હિંદુઓએ આ કામ કરવા જેવું છે. મંદિર પરમ શાંતિનું સ્થળ છે, ઘોંઘાટનું નહિ. ત્યાં બેસીને, આંખો મીંચીને પરમ શંતિનો અનુભવ થવો જોઇએ. ઢોલ-નગારાં- ઘંટથી અન્યને કેટલો ત્રાસ પહોંચે છે, એ હિંદુઓએ જ જોવું જોઈએ. સારા ટ્રસ્ટીઓએ તો મંદિરોમાં ભક્તોને વાત કરવાની પણ છુટ ન આપવી જોએ. પરમેશ્વરના સામિપ્યની ઘેર આટલી શાંતિ ન મળે, માટે માણસ મંદિરમાં આવતો હોય છે, પણ ત્યાં કેવી ધક્કા-મુક્કી, ઘોંઘાટ, ઢોલ-નગારાં...! આમાં તો સ્વયં પ્રભુને 'મનુષ્યપ્રાપ્તિ' કરવી હોય તો ય ન કરી શકે !
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* ઘણા લોકો જમ્યા પછી સોપારી, વરીયાળી કે ધાણાની દાળ ખાય, છતાં એને 'મુખવાસ' કેમ કહે છે ?
- 'મુખસુગંધ' બોલવામાં ફાવે એવું નથી.
(શા. ગોવિંદલલ બી., પુના-મહારાષ્ટ્ર)

* શું નરેન્દ્ર મોદી તમારા લેખો વાંચે છે ?
- You tube પર Narendra Modi on Ashok Dave સર્ચ કરી જુઓ.
(પ્રયાગી એમ. શાહ, અમદાવાદ)



* સાસુઓ ભેગી થઇને બીજાની વહુઓના વખાણો કેમ કરતી હોય છે ?
- આપણા ઘરના પગલૂછણીયા કરતા બાજુવાળીના ઘરના પગલૂછણીયા ઉપર પગ વધુ સારા લૂછાય છે.
(શિવાની/હિમાની વોરા, જોરાવરનગર)

* સંસદમાં તોડફોડ કરનારા સભ્યો ભાષમોમાં પ્રજાને શાંતિ અને ભાઇચારાની અપીલો કરે, એ કેટલું સહ્ય ?
- એ લોકો તોડફોડમાં સ્વાવલંબી છે, ભાઇચારામાં નહિ !

* 'ટૉપલેસ' અને 'હોપલેસ' વચ્ચે શું ફરક ?
- 'ટૉપલેસ' કદી 'હોપલેસ' ના હોય !
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ફરી એક વાર વડા પ્રધાન બનવાની અડવાણીની શક્યતા ધૂળમાં મળી ગઇ...!
- માણસે દિવાસ્વપ્નો જોતા પહેલાં પોતાની હૈસીયત, પ્રજા ઉપર પ્રભાવ, છાપ તેમ જ લાયકાત જોઇ લેવી જોઈએ. હાલ પૂરતી તો એમની પાસે એક જ લાયકાત છે કે, ચેહરો બિલકુલ ડૉ. મનમોહનસિંઘને મળતો આવે છે... પાઘડી અને સફેદ દાઢી-મૂઢવાળા અડવાણી ધારી જુઓ... મનમોહનમાં અને અડવાણીમાં કોઇ ફરક નહિ લાગે ! કોઇ પંખો ચાલુ કરો....!
(જવાહર પટેલ, મુંબઈ)

* સંત એમના નામની આગળ ૧૦૦૮-લખાવે છે, એનું શું કારણ ?
- આવું નહિ કરવું જોઇએ. સંત હોય તો મહિમા નામનો નહિ, એમના સદ્કાર્યોનો હોવો જોઇએ.
(શૈલેષદાસ જી. વૈષ્ણવ, અમદાવાદ)

* ભાજપ-કૉંગ્રેસ લડી મરવાને બદલે એક થઇને દેશને વધુ કામમાં ન આવે ?
- ત્યાં એક એકથી ચઢે, એવા બહુ બધા નાલાયકો બેઠા છે.... આપણને તો ઈશ્વરે ય બચાવી શકે એમ નથી !
(રૂપા ચૌહાણ, ઉંદરેલ-દશક્રોઈ)

* રૂપિયાની નોટો ઉપર વર્ષ લખવાનું કારણ શું ?
- એમ પૂછો કે મહાત્મા ગાંધીને બદલે રાહુલ ગાંધીનો ફોટો નહિ છપાવાનું કારણ શું ?
(યોગેશ કૃ. દલાલ, સુરત)

* ડાયાબીટીસ મટાડવાના તમારા લેખે દુનિયાભરના ગુજરાતીઓમાં રચનાત્મક હલચલ મચાવી દીધી છે..
- ભાવનગરના એક દીપકભાઇએ ઘઉં, કલૌંજી, જવ અને ગુંદરના ૧૦૦૦-પૅકેટ બનાવડાવી જરૂરતમંદોને વિના મૂલ્યે વહેંચ્યા છે. અમદાવાદના કેટલાક કરિયાણાવાળા ગાંધીઓ આમાંથી પૈસા બનાવવાને બદલે વિના મૂલ્યે પૅકેટો વિતરણ કરી રહ્યા છે.
(પ્રણાલિ વિક્રમ શાહ, અમદાવાદ)

* પોષાક પરથી માણસ કેવો છે, તે જાણી શકાય ?
- પોષાક સાથે જાણવો વધુ સારો.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મારી પડોસણ કાયમ એના પતિની જ વાતો કરતી રહે છે. શું સમજવું ?
- એ બિચારીને સારો પડોસી મળ્યો ન કહેવાય !

* સૂર્યનારાયણને લાઇટનું બિલ મોકલીએ, તો કેટલું આવે ?
-રાતનું નહિ મોકલવાનું.
(બિંદુ દોશી, વડોદરા)

* તમે કઇ ચક્કીનો આટો ખાઓ છો, તે ઘમા ઢંગધડા વગરના સવાલોના જવાબો ય સ્માર્ટ આપો છો ?
- મારા જવાબો ઢંગધડા વગરના હોય છે, 'એટલે' આ કૉલમ આજ સુધી ચાલી છે !
(અકસત ઇદ્રીસભાઈ, પાલીતાણા)

* પ્રધાનમંત્રીઓના સૂત્રો : 'આરામ હૈ હરામ-પંડિતજી', 'જય જવાન, જય કિસાન'-શાસ્ત્રીજી... આ મનમોહનજીનું કોઈ સૂત્ર સમજાતું નથી !
- કામ નહિ કરવાનું સૂત્ર... 'ન-કામસૂત્ર'
(કરમી સોઢા, સુરેન્દ્રનગર)

* જુગાર રમવાના ગૂન્હા સબબ પાંડવો-કૌરવોને પોલીસે પકડી લીધા હોત, તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાત ?
- કહે છે કે, એ પછી તમામ કૌરવો પોલીસખાતામાં જોડાઇ ગયા હતા..!
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

* તમારા લેખોમાં તમે સ્ત્રીઓની ઘણી મજાક ઉડાવો છો, તો ઘરમાં વાઈફ કે બા ખીજાતા નથી ?
- વાઇફને મજાકમાં સમજ પડતી નથી એટલે ખીજાતી નથી.
(અફરોઝબેન રમજાનભાઈ મીરાણી, મહુવા)

* સ્ત્રીનું કયું સ્વરૂપ સૌથી વધુ મહાન હોય છે ?
- એનું સ્ત્રી હોવું જ.
(ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

No comments: