Search This Blog

28/07/2013

ઍનકાઉન્ટર 28-07-2013

* સરદાર પટેલનો સ્વર્ગવાસ થયો ત્યારે બચેલી મિલકતમાં રૂ. ૭૦૦/-, એક પૅન અને પહેરવાનું જાકીટ હતા.આજના નેતા માટે આવું કહી શકાય ?
- સરદારની આ બધી ચીજો આ નેતાઓના ઘરમાંથી નીકળે !
(વિજય રમણભાઈ પટેલ, અમદાવાદ)

* ટીવીમાં જાહેરાત હતી, 'ફિર સુબહ હોગી', આજ રાત નૌ બજે.'
- વચમાં જાહેરખબરોને કારણે રાત્રે ૯ વાગે શરૂ થયેલી ફિલ્મ સવારે ૯ સુધીમાં પૂરી થતી હોય છે.
(ભૈરવી અંજારીયા, રાજકોટ)

* વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ. આ પ્રથા લગ્નમાં કેમ નહિ ?
- કન્યાના પિતાના ઘેર મોટા ગોડાઉનની સગવડ ન હોય માટે !
(ભારતી કાચા, મોરબી)

* હું જેને ચાહતો હતો, એને મેળવીને જ જંપ્યો. આપનું કેવું છે ?
- હું તમારા જેટલો બદનસીબ નથી.
(મહેશ નારણભાઈ, અમદાવાદ)

* ઘણી હીરોઈનો પરિણિત હીરોને જ કેમ પરણે છે ?
- ઍપ્રેન્ટીસ કરતા અનુભવી મૂરતીયો સારો.
(શમીમ ઉસ્માની, મુંબઈ)

* તમારો મનપસંદ પોશાક ક્યો ? જીન્સ પહેરો છો ?
- હા. જીન્સની ઉપરે ય કાંઈક પહેરવું પડે !
(જયેશ અંતાણી, ભાવનગર)

* શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની તોલે આવી શકે ?
- સવાલ પૂછવામાં તમારે અમિતાભનું નામ પહેલા મૂકવું જોઈએ.
(રશ્મિ સુખિયાણી, અમદાવાદ)

* ગાંધીજી જીવિત હોત તો શું બોલતા હોત ?
- 'હે રામ'.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ પ્રજાને લૂંટે છે. કોઈ ઉપાય ?
- થોડા વખતમાં હું સાધુ બની જવાનો છું, આખિર... મુઝે ભી સબ કુછ ચાહિયે, જે મને નેતાઓ આપશે.
(યુસુફ માકડા, દામનગર)

* પંખા ચાલુ હોવા છતાં વધારે ગરમી 'બુધવારનું બપોરે' જ લાગવાનું કોઈ કારણ ?
- હા, હમણાં મને ય બહુ ગરમી ચઢી ગઈ છે...!
(મયંક સુથાર, નાની નરોલી. જી. સુરત)

* જર, જમીન ને જોરૂ-ની કહેવતમાં જમાઈને પણ જોડી દેવા ન જોઈએ ?
- તમે જોડો. અમે તો અમારા જમાઈથી ખુશ છીએ.
(પ્રફુલ્લ હરિયાણી, તાલાલા-ગીર)

* સાસરામાં બે દહાડા સ્વર્ગ જેવું લાગે... પછી ?
- સ્વર્ગવાસી જેવું.
(રમેશ વી. મોદી, ઈટાદરા- ગાંધીનગર)

* નિઃસ્વાર્થ સેવામાં જ સ્વાર્થ સમાયેલો છે... સાચું ?
- હોઓ..વે !
(હેમાંગ પ્રફુલ્લચંદ્ર વ્યાસ, પેટલાદ)

* મારા ગોરધન ધૂમ્રપાન બહુ કરે છે. કેમ સમજાવું ?
- એને દારૂ ઉપર ચડાવી દો. કાચી સેકંડમાં સીધા થઈ જશે... હઓ!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* રાજેશ ખન્નાના ગયા પછી તમને શાંતિ હશે ને ?
- ના. અમારી કામવાળીનું નામ તો 'ગોદાવરી' છે !
(નૂતન એમ. ભટ્ટ, સુરત)

* માં-બાપની ભાવનાઓ ન સમજતા સંતાનો સાથે કેવો વ્યવહાર કરવો ?
- રાહુલ-સોનિયા જેવો.
(મણીસિંહ દરબાર, સુરત)

* ગુજરાતમાં હજી સુધી મહિલા મુખ્યમંત્રી કેમ નહિ ?
- અગાઉના ઘણાં મુખ્યમંત્રીઓ મહિલા જેવા હતા !
(ઝુબૈદા પૂનાવાલા, કડી)

* ભારતની વર્તમાન સ્થિતિ જોતા કલામનું 'વિઝન-૨૦૨૦' સફળ થશે ખરૂં ?
- કલામ કોણ હતું. એની ખબર પડે તો કદાચ થાય !
(સરોજ બી. સલાડ, કુકરાસ-વેરાવળ)

* કોની ભક્તિ કરવી વધુ ઈચ્છનીય ? માં-બાપ, ગુરૂ કે પરમેશ્વર ?
- પોતાને ઓળખી શકાય તો બીજાની ભક્તિ કરવાની જરૂર નહિ પડે !
(શીતલ શાહ, પાલનપુર)

* હાર્ટ-ઍટેક પુરૂષો કરતા સ્ત્રીઓને કેમ ઓછા આવે છે ?
- સ્ત્રીઓને બ્રેઈન-ઍટેક વધુ આવે !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સુખી દાંપત્ય જીવન કોને કહેવાય ?
- આવું પૂછવાની જરૂર ન પડે, એને !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* ધર્મ ધંધો કરે એ સારૂં કે ધંધામાં ધર્મ હોય એ સારૂં ?
- કોઈકે પાકે પાયે કરી નાંખ્યું લાગે છે તમારૂં...! હેં ને...??
(દિનેશ જોશી, દહીંસર)

* 'ઍનકાઉન્ટર' માટે તમને સરકાર તરફથી કોઈ ઍવોર્ડ કેમ નથી મળ્યો ?
- એ લોકો 'ઍનકાઉન્ટર'ને ધાર્મિક કૉલમ ગણે છે.
(રજાહુસેન બચુભાઈ, મહુવા)

* મારા હમણાં જ લગ્ન થયા છે. આપની સલાહ લેવી છે. મારે વહુઘેલો ગોરધન થવું કે માવડીયો ?
- તમને શું ફરક પડે છે હવે ? બન્ને અવસ્થામાં તમારે તો કોઈ બુદ્ધિ વાપરવાની નથી !
(યોગેન્દ્ર જોશી, અમદાવાદ)

* ગુજરાતના 'નંબર વન' હાસ્યલેખક હોવાનું કેવું ગૌરવ અનુભવો છો ?
- ગૂડ જૉક.
(નિશી જે. પટેલ, મુંબઈ)

No comments: