Search This Blog

14/07/2013

ઍનકાઉન્ટર 14-07-2013

* ઈશ્વરને રૂ. ૧/- ચઢાવીને રૂ. ૧૦૦/- પામવાની આશા રાખતા ભક્તોને શું કહેવું?
- આજકાલ સ્વયં ભગવાનો ય ખાખી થઇ ગયા છે... છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું ય એમની પાસે દસેક લાખ રૂપીયા માંગુ છું... ડિક્કો ડમ્મ...!

* મહાન માણસો ધનવાન કેમ નથી હોતા?
- આમાં તમે મને બેમાંથી એકે યમાં રહેવા ન દીધો!
(વિમલ ચંદારાણા, વડોદરા)

* કોઇ તમને પાગલ માને, તો શું કરો?
- એની સત્યપ્રિયતા માટે માન થાય!
(કરણ જોબનપુત્રા, જૂનાગઢ)

* ઝગડા પછી એક મહિના સુધી અબોલા રાખતા પતિ-પત્નીમાંથી ફાયદો કોને થયો કહેવાય?
- અફ કૉર્સ પત્નીને! વગર ઝગડે ય ગોરધનને વળી બોલવાની તક ક્યારે મળે છે?
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)

* ગુસ્સો કરવાનો ઇજારો માત્ર ગોરધનોને જ કેમ? પત્નીઓને કેમ નહિ?
- પત્નીઓને તો બુધ્ધિવાળા ય કામો નિપટાવવાના હોય છે, બહેન!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* મારો એક મિત્ર રૂ. ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ રાખવાના સપનાં જુએ છે. એને જમીન પર કેમ લાવવો?
- સપનામાં એને ૨૫ કરોડ પકડાઇ દઇને ભાગીદારી કરી નાંખો!
(જગદિશ રાવલ, રાજુલા સિટી)

* જેની મનાઇ કરવામાં આવી હોય, એ જ કામો કરવાનો અભરખો કેમ થતો હશે?
- કાંઇ ખોટું નથી. નાના નાના વિજયો એમ જ પ્રાપ્ત થાય!
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

* વ્યસન નુકસાનકારક છે, એ જાણવા છતાં માણસ વ્યસન છોડી કેમ શકતો નથી?
- એમ આખી જીંદગીમાં કેટલી વાર છુટાછેડાઓ લેવા?

* કિસાનો માટે માટી સોના સમાન છે અને ઋષિમુનીઓ માટે સોનું માટી સમાન છે. આવું કેમ?
- હું બ્રાહ્મણ છું. મારા માટે સોનું સોના સમાન જ છે. આપના ઘેર માટી પડી હોય તો મોકલાવશો.

* સીબીઆઇ સરકારના સકંજામાંથી ક્યારે પણ છટકી નહિ શકે?
- એની તપાસ સરકારે સીબીઆઇને સોંપેલી છે.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* તમને વડાપ્રધાન બનાવવામાં આવે તો દેશ માટે શું કરો?
- બોલું. (આ જવાબ આ પહેલા પણ આપી ચૂક્યો છું, પણ તો ય... ઉપરવાળો હજી કાંઇ બોલતો નથી!)
(દેવાંશી મણિયાર, વડોદરા)

* જાહેરસભાઓમાં નેતાઓ ઢંગધડા વગરની પાઘડી ને ફેંટા પહેરે છે ને કેવા જોકરો લાગે છે, એની શરમ પણ નહિ આવતી હોય?
- વાંક પ્રેસ ફોટોગ્રાફરોનો છે... ફોટા પાઘડી પહેરતા નહિ, એકબીજાની પાઘડીઓ ઉછાળતા હોય, એવા પાડવાના હોય!

* મોટા ભાગના દેશોમાં 'મૅઇડ ઈન ચાયના'ની ચીજો કેમ વપરાય છે?
- ચાયનાની ચીજો યુવાનોના તાજા તાજા પ્રેમો જેવી હોય છે, 'ચાલે તો ચાંદ તક, નહિ તો શામ તક...!'
(જયદીપ વાજા, ભાવનગર)

* ગામમાં વસાહત વધતા સ્મશાન ગામની વચ્ચે આવી ગયું... તો શું હવે ભૂતપ્રેતની વચ્ચે રહેવાનું?
- અમે ગાંધીનગરની બાજુમાં રહીએ છીએ, તો ય કાંઇ બોલીએ છીએ???

* મનમોહન અને મોદી વચ્ચે તફાવત કેટલો?
- આજ અને આવતી કાલ જેટલો!
(બંસી રાવત, ભૂતીયા-ઈડર)

* જબ આપ કા દિલ ઉદાસ હોતા હૈ, તો આસપાસ કૌન હોતા હૈ?
- મારી બા.
(વી.કુમાર નાયી, હિંમતનગર)

* આજના જમાનામાં ગરીબો પાસે પહેરવાના કપડાં નથી ને અમીરોને પહેરવા નથી. એવું કેમ?
- બસ. તમારા ગામથી શરૂઆત કરો.
(કમલકુમારી રાવત, ભુતીયા-સાબરકાંઠા)

* તમામ દાનોમાં સર્વોત્તમ દાન કયું?
- ભીખુદાન.
(કવિતા કપિલ સોતા, મુંબઇ)

* અવાર નવાર પૅટ્રોલ-ડીઝલના ભાવ...!
- આપણા દેશમાં પૅટ્રોલને બદલે છીંક-ઉધરસથી ચાલતી ગાડીઓ બનશે, તો આ સરકાર છીંક-ઉધરસના ભાવો ય વધારી દેશે... એ ય મફતમાં ખાવા નહિ દે!
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

* કૂતરૂં હિંદુ છે કે મુસલમાન, તેની ખબર કેવી રીતે પડે?
- એક વાર એના મોંઢામાં હાથ નાંખી જોવાનો... કરડીને ઊભું રહે તો હિંદુ અને જતું રહે તો મુસલમાન!
(કનુ ભટ્ટ ધર્મજીયા, નડિયાદ)

* વિદેશીઓને ભારતમાં વેપાર કરવાની છુટ બાદશાહ જહાંગિરે આપી અને આપણે ગુલામ બની ગયા... હવે ડૉ. મનમોહન એ જ (FDI) ભૂલ કરી રહ્યા છે...!
- જહાંગિર તો ન્યાયી હતો.

* 'ઍનકાઉન્ટર' બંધ થઇ જાય તો તમારી આજીવિકાનું શું?
- બ્રાહ્મણ છું... ઘેર વાડકો રાખી મૂક્યો છે!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* 'ઍનકાઉન્ટર'માં કોઇના સવાલો ઉપર પ્રતિબંધ મૂકાય છે ખરો?
- પોતાના ફેમિલીના અંગત કાવાદાવાઓને આડકતરી રીતે સવાલ રૂપે આ કૉલમમાં પૂછનાર બે-ત્રણ પાર્ટીઓ આ કૉલમમાંથી ઉઠી ગઇ, એ જોયું હશે!
(કલ્યાણી મૌલિક શાહ, અમદાવાદ)

* અશોકજી, સવાલ વિવાહમાં પૂછીએ છીએ ને જવાબ વરસીમાં મળે છે... એવું કેમ?
- અત્યારે કઇ અવસ્થામાં પૂછયો છે?

* ટીવીની બધી સીરિયલોમાં આવતા છળકપટોને લીધે ઘરસંસાર ઉપર અસર પડે ખરી?
- બુધ્ધિમાનોએ ક્યાં આ સીરિયલો જોવાની હોય છે?
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

No comments: