Search This Blog

26/07/2013

દિલ્લગી (૪૯)

ફિલ્મ : 'દિલ્લગી' ('૪૯)
નિર્માતા-દિગ્દર્શક : એ.આર.કારદાર
સંગીત : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૩-રીલ્સ
થીયેટર : ? (અમદાવાદ)
કલાકારો : સુરૈયા, શ્યામ, શામકુમાર, અમીરબાનો, આગા મેહરાજ,ગુલામ હસન, બેબી શ્યામા, ગુલઝાર, ચંદાબાઇ અને અમર.





ગીતો
૧. મુરલીવાલે મુરલી બજા, સુન સુન મુરલી કો નાચે જીયા.....સુરૈયા
૨. લે કે દિલ, ચુપકે સે ક્યા મજબૂર હૈ.... સુરૈયા
૩. મેરી પ્યારી પતંગ, ચલી બાદલ કે સંગ..... ઉમા દેવી-શમશાદ
૪. દુનિયા ક્યા જાને મેરા અફસાના, ક્યું ગાયે દિલ ઉલ્ફત કા તરાના....સુરૈયા
૫. તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, નહિ દિલ કા લગાના કોઇ.....સુરૈયા-શ્યામ
૬. તેરા ખયાલ દિલ સે ભૂલાયા ન જાયેગા......સુરૈયા
૭. ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત હૈ.....સુરૈયા
૮. નિરાલા મુહબ્બત કા દસ્તુર દેખા, વફા કરનેવાલો કો મજબૂર દેખા....સુરૈયા
૯. જાલીમ જમાના મુઝ કો તુમ સે છુડા રહા હૈ.....સુરૈયા-શ્યામ
૧૦. તેરે કૂચે મેં અરમાનો કી દુનિયા લે કે આયા હૂં.... મુહમ્મદ રફી
૧૧. ઇસ દુનિયા મેં અય દિલવાલો, દિલ કા લગાના ખેલ નહિ....મુહમ્મદ રફી

ઇંગ્લિશમાં વાંચતા એટલું જ આવડે કે, ફિલ્મ શરૂ થતા પહેલા સેન્સર સર્ટિફિકેટ બતાવે, એના જમણા ખૂણામાં નીચે ૧૬, ૧૭ કે જેટલી લંબાઇની ફિલ્મ હોય, એટલા રીલ્સ લખ્યા હોય. એ સર્ટિફિકેટ દર્શાવાતા જ સિનેમામાં બેઠેલા ઇંગ્લિશ જાણનારાઓ એક સાથે મોટેથી વાંચે, ''સતરાઆઆઆ....હ.''આમ બોલવાથી બાજુવાળા ઉપર છાપ સારી પડતી કે, આને ઇંગ્લિશ આવડે છે, હો. ! એમાં ય, સમજ એવી કે, જેટલા રીલ્સ વધારે હોય, એટલા પૈસા વસૂલ ! 'સંગમ'કે 'મુગલ-એ-આઝમ'જેવી ફિલ્મો ૨૦-૨૨ રીલ્સની બની હતી, એમાં પબ્લિક ખુશ ! 'બો'ત પૈસા ખર્ચેલા હે, ભાઇ...ઉન્નીસ ભાગ કી હૈ...!''

એ હિસાબે '૪૯-ની સાલમાં આ ફિલ્મ 'દિલ્લગી'ના માત્ર ૧૩- જ રીલ્સ વાંચીને પ્રજાના પૈસા પડી ગયા હશે ! ઘણાને આજે ૬૪-વર્ષ પહેલાની આ ફિલ્મ જોયા પછી એના ૧૩ રીલ્સ ૧૩૦૦ જેટલા લાગ્યા. ફિલ્મ અબ્દુર રશિદ કારદારે બનાવી હોય, એટલે જાણતા તો સહુ હોય કે, ફિલ્મમાં કોઇ ઢંગધડા ના હોય ! તદ્દન ફાલતુ ફિલ્મો બનાવવા ઉપર એમનો જંગી હાથ બેસી ગયો હતો. તમે માની ન શકો, એવી વાહિયાત ફિલ્મો કારદાર બનાવી શકતા, એ આંચકો નથી, પણ એવી ફિલ્મો ય ટિકીટબારી ઉપર છલકાઇ ઉઠતી, એનો આંચકો છે...

....અને એ છલકાવાનું કારણ કારદાર કે એમની ફિલ્મો...? માય ફૂટ...! અમારા ખાડીયાની લિંગોમાં કહીએ તો કારદારના નામના કોઇ ચણા ય ના આલે...!' બસ, એક કામ કારદારે ઘણું ઊંચા ગજાંનું કર્યું હતું...એકાદ-બે અપવાદોને બાદ કરતા પોતે બનાવેલી તમામ ફિલ્મોનું સંગીત ધી ગ્રેટ નૌશાદ સા'બને સોંપવાનું કામ ! અને નૌશાદ અને શંકર-જયકિશનને બાદ કરતા બીજું કોઇ ગ્રેટ હતું પણ કોણ ? અફ કોર્સ, કોઇ નહિ ! આ બન્નેને બાદ કરતાં બાકીના મારા-તમારા તમામ ફેવરિટ સંગીતકારો આ બન્નેની તોલે નહિ આવે. (આ બન્નેનો વધારાનો એક આભાર તો એટલે ય માનવાનો કે, બન્ને માટે લતા-રફી પહેલા ખોળાના હતા. લતા-રફીના સર્વોત્તમ ગીતો આ બન્ને જોડીએ આપ્યા છે. નૌશાદે આ ફિલ્મ 'દિલ્લગી'માં કમાલો કરી છે સુરૈયા પાસે નયનછલક ગીતો ગવડાવીને. સુરૈયા છવાઇ ગઇ હતી. 'દિલ્લગી'ની હીરોઇન કે ગાયિકા-બન્ને મેદાનોમાં. અને રફી સાહેબના ચાહકોને બે મસ્તધુરા કેવા ગીતો નૌશાદે બનાવી નાંખ્યા હતા ! કોઇ તો ગાઇ જુઓ જરા...મને ફાવે એવા નથી !!!

''દિલ્લગી''નામની આ પહેલી ફિલ્મ 'દિલ્લગી'૧૯૪૯માં આવી. એ પહેલા ૧૯૪૨માં ય આપણા એક ગુજરાતી બળવંત ભટ્ટે 'દિલ્લગી'બનાવી હતી. જેની હીરોઇન હતી હંસા વાડકર. આ હંસા એટલે વ્હી.શાંતારામની એક સમયની પ્રેમિકા. શાંતારામને ખુલ્લા પાડવા હંસા વાડકરે આત્મકથા લખી અને અમોલ પાલેકર-સ્મિતા પાટીલ અભિનીત ફિલ્મ 'ભૂમિકા'બની. '૪૨-વાળી 'દિલ્લગી'નો હીરો કુમાર હતો, જે 'મુગલ-એ-આઝમ'માં ફાંસીએ ચઢતા સલીમ માટે રફીના સ્વરમાં 'અય મુહબ્બત ઝીંદાબાદ' ગાય છે. આ ફિલ્મમાં આગા પણ હતો. ત્રીજી ફિલ્મ 'દિલ્લગી' માલા સિન્હા અને સંજય ખાનની આવી. લક્ષ્મી-પ્યારેના મધુર સંગીતમાં આ 'દિલ્લગી' જ્હોની વોકરે પોતે પ્રોડયુસ કરી હતી. લતા-મૂકેશનું એક ગીત મૂકેશના ચાહકોને યાદ હશે, 'હમ જી લેંગે બીન તુમ્હારે, તુમ ફિર યે કભી ન કહેના, તુમ મેરી જીંદગી હો..'

ચોથી 'દિલ્લગી'ધર્મેન્દ્ર-હેમા માલિનીની હતી, જેમાં લતાનું ખૂબ્બ મીઠું ગીત હતું, 'મૈં કૌન સા ગીત સુનાઉ ક્યા ગાઉ...'છવાઇ-ઉવાઉ કરતી અને છવાઇ જશે એવી મીઠી લાગતી બંગાળની એક હીરોઇન ' મીઠુ મુકર્જી' આ ફિલ્મમાં આવ્યા પછી ખોવાઇ ગઇ. પાંચમી 'દિલ્લગી' ધર્મેન્દ્રએ પોતાના છોકરાઓને ઊંચે લાવવા બનાવી હતી- ઉર્મિલા માતોંડકરને લઇને... ધરમો તો કારદાર કરતા ય વધુ ફાલતુ ફિલ્મો બનાવી શકે છે, એ આપણે ક્યાં નથી જાણતા ? સુરત-વડોદરાના ફિલ્મી ચાહક શ્રી ભરત દવે માર્કેટમાં કોઇ પણ જૂની ફિલ્મ આવે, એટલે ગમે એટલા પૈસા ખર્ચીને એ ડીવીડી લઇ આવે જ. બહુ મોટું કલેકશન છે એમની પાસે. મને એમણે આ ચારે ય 'દિલ્લગી'ની ભેગી બહાર પડેલી ડીવીડી મોકલી. હવે આપણી આજની 'દિલ્લગી'ની વાત કરવી જ હોય તો હું તૈયાર છું. નાનકડા ગામમાં સુરૈયા એના વિધૂર પિતા અને મામુ સાથે રહે છે. કામકાજ કાંઇ નહિ કરતા રખડુ દિયર (શ્યામ)ને એની નાલાયક ભાભી (અમીરબાનુ) કાઢી મૂકે છે. રસ્તામાં સૂરૈયા મળી જતા, બન્ને પ્રેમમાં પડે છે. સુરૈયાનો મામુ (અમર) વિલન હોવાથી સંબંધ તોડવા આમાદા બને છે, ને હીરો શ્યામને બદલે વિલન શામ (કુમાર) સાથે જબરદસ્તી પરણાવી દે છે, જેથી રોજ રાત્રે એકલી પડે ત્યારે સુરૈયા કરૂણ ગીતો ગાઇ શકે. પતિનું ઘર છોડીને ભાગી ગયેલી સુરૈયા પ્રેમી શ્યામને મળવા જાય છે, એ ત્યાં મરેલો પડેલો હોય છે, એ જોઇને લેવા-દેવા વગરની એ ય ગૂજરી જાય છે. સુરૈયા જમાલ શેખ (૧૫ જૂન, ૧૯૨૯- ૩૧ જાન્યુ. ૨૦૦૪)મતલબ, સુરૈયા લતા મંગેશકર કરતા એક્ઝેક્ટ ૧૦૫ દિવસ મોટી. લતા ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯. હાલમાં મુંબઇનાં ફોર્ટ વિસ્તારમાં ન્યૂ ગર્લ્સ સ્કૂલ તરીકે ઓળખાતી ને એ જમાનાની ન્યૂ પેટીટ હાઇસ્કૂલમાં સૂરૈયા ભણી હતી. ઉર્દુ ઉપરાંત એ ફાંફડું ગુજરાતી અને ઇંગ્લિશ બોલતી હતી. એણે તો પર્શીયન ભાષાનું ઇસ્લામનું ધાર્મિક શિક્ષણ પણ લીધું હતું.

ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયેલા બાળકાર્યક્રમમાં નૌશાદે સુરૈયાને પહેલી વાર સાંભળી અને બોલાવી લીધી. (બહુ ઓછાને ખબર હશે કે, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કુમાર પણ ''બાલ-કલાકારો'' જ હતા...એ ત્રણે ય ના શરીર ઉપર રીંછ જેટલા 'બાલ' હતા, માટે !) ફિલ્મ 'શારદા'માં એને પહેલું ગીત આપ્યું. નૌશાદ અલીએ સુરૈયા પાસે ૫૧- ગીતો ગવડાવ્યા હતા. પહેલા નંબરે સંગીતકારો હુસ્નલાલ-ભગતરામ હતા.

દેવ આનંદ સાથે સુરૈયાની સાત ફિલ્મો આવી- વિદ્યા ('૪૮), જીત ('૪૯), શાયર ('૪૯) અફસર ('૫૦), નીલી ('૫૦), દો સિતારે ('૫૧) અને સનમ ('૫૧).

દેવ આનંદે પોતે કબુલ્યા મુજબ, એ બન્ને પ્રેમમાં પડયા ત્યારે સુરૈયા અનેકગણી મોટી સ્ટાર હતી. દેવ આનંદને માંડ કોઇ ઓળખતું હતું. બસ. દેવ આનંદના સંસ્કાર, શિક્ષણ અને મેનર્સને કારણે એ પ્રેમમાં પડી. રેડીયો સીલોનના પૂર્વ ઉદ્ઘોષક ગોપાલ શર્માને આપેલા અંગત ઇન્ટરવ્યૂમાં સુરૈયાએ દેવ સાથે લગ્ન નહિ થવાના કારણમાં દિલીપ કુમારનાં કાવતરાં હતા, એવું બિનધાસ્ત જણાવ્યું હતું. મુસલમાન યુવતી (અને એ ય સુરૈયા જેવી નામવર હસ્તિ !) એક હિંદુને પરણે એ તો કેમ ચલાવી લેવાય ? દિલીપે કે.આસીફ, મેહબૂબખાન, કારદાર અને નૌશાદને ઉશ્કેર્યા... ખૂબ ઉશ્કેર્યા. પણ એક માત્ર નૌશાદને બાદ કરતા આ ટુકડીને હર કોઇ દેવ આનંદની વિરૂધ્ધ થઇ ગયું. સુરૈયાએ અક્ષરસઃ દિલીપ માટે આટલું કહ્યું હતું. Dev was a decent man... Dilip wasn't! જો કે, દેવ અને સુરૈયાની ગુપ્ત મુલાકાતોને છાની રાખવામાં કામિની કૌશલ અને દુર્ગા ખોટે, પોતાના માટે બહુ મોટા જોખમો લઇને પણ પેલા બન્નેને મળવાના સ્થળોની ગોઠવણો કરી આપતા હતા. અલબત્ત, સંઘ કાશીએ ન પહોચ્યો. પેલી ટોળકીએ છેવટે ઇસ્લામના નામ પર સુરૈયાની નાનીને ખૂબ ઉશ્કેરી, એમાં બન્નેના લગ્ન કરાવી આપવાની વાત તો દૂર રહી, નાનીએ તો, દેવ આનંદે સુરૈયાને એ જમાનામાં રૂ. ૩,૦૦૦/-માં ખરીદેલી ડાયમન્ડ વીંટી દરિયામાં ફેંકી દીધી.... દેવ આનંદ ઉચકાયો નહિ હોય...! ફિલ્મનો હીરો શ્યામ પણ સુરૈયાની જેમ પાકિસ્તાનમાં જન્મ્યો હતો. એનું અસલ નામ, 'સુંદર શ્યામ ચઢ્ઢા'. દેખાવડો તો ખૂબ હતો પણ દેખાવમાં એ આપણા વિલન સજ્જન જેવો દેખાતો. હિંદી ફિલ્મોની આદર પાત્ર ડાન્સર-એક્ટ્રેસ હેલનની જે પહેલી ફિલ્મ હતી, એ આ શ્યામની છેલ્લી ફિલ્મ બની, 'શબિસ્તાન', (જે અમદાવાદની અશોક ટોકીઝમાં આવ્યું હતું) આ જ ફિલ્મના શૂટિંગ દરમ્યાન શ્યામ ઘોડા ઉપરથી પડી ગયા પછી ઘોડાએ પાછલા પગે નિઃસહાય શ્યામને લાતો મારીમારીને મારી નાંખ્યો. (કહે છે કે એ સમયે હિંદી ફિલ્મોની પરણેલી ઘણી હીરોઇનો એ ઘોડાને બ્લેકમાં ય ખરીદવા તૈયાર હતી !) જો કે, હવા એવી પણ ચાલી હતી કે, શ્યામના મૃત્યુને આ રીતે એક્સીડેન્ટમાં ખપાવીને મોટી રમત રમાઇ હતી. એના જ કોઇ હરિફે 'મોતી'નામના સફેદ ઘોડાને પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવડાવ્યો હતો. એમાં શ્યામ બેસતા જ ઘોડો કાબુ બહારનો થઇ ગયો હતો.

શ્યામ એક મુસલમાન યુવતી મુમતાઝ કુરેશીને પરણ્યો હતો. હાલના પાકિસ્તાનની ટીવી-ચેનલો ઉપર ધૂમ મચાવતી એન્કર સાયરા કાઝમી આ શ્યામની સુપુત્રી થાય. જે રાહત કાઝમીને પરણી છે. શ્યામે હિંદુ ધર્મ છોડયો ન હતો, પણ એના અવસાન પછી એની પત્ની મુમતાઝ કુરેશી અન્સારી નામના એક પાકિસ્તાનીને પરણી, એટલે સંતાનો મુસલમાન થયા. અલબત્ત, મુમતાઝ કુરેશી એ પછી લંડનમાં સેટલ તો થઇ, પણ ત્યાં કોકની સાથે લફરૂં કર્યું, એમાં કોઇએ લંડનના ભરબજારમાં એની ગોળી મારીને હત્યા કરી નાંખી. શ્યામ પોતે સ્ત્રીઓનો ભારે શોખિન હતો. એના આડસંબંધો ભારતથી માંડીને પાકિસ્તાન સુધી વિસ્તર્યા હતા. શ્યામ સ્ત્રીઓનો શોખિન હોવાનું ગળે ઉતરે એવું બીજું કારણ બે વિશ્વવિખ્યાત લેખકો સઆદત હસન મન્ટો અને કૃષ્ણચંદર શ્યામના ખૂબ નજીકના દોસ્તો હતા, એ નહિ હોય ?? મન્ટો અને શ્યામ તો એક જ રૂમમાં ભાડે રહેતા હતા. મન્ટોની ઘણી વાર્તા કેવળ શ્યામને ધ્યાનમાં રાખીને લખાઇ હતી. આ બન્ને લેખકો ય પૂરા લફરેબાજ હતા! શ્યામ ખૂબ હેન્ડસમ હીરો હતો, પણ ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં પૈસા ભી જાયેગા, ઔર સોના ભી જાયેગા'ની દાદાગીરી પછી ફાયર પ્લેસ પાસે દેવ આનંદના હાથે માર ખાતો વિલન 'શ્યામકુમાર' પાછો જુદો. આ શ્યામકુમારે જ આ ફિલ્મનું 'તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની'સુરૈયા સાથે ગાયું હતું.બિયરના પીપડાં જેવી પહોળી છાતી ધરાવતા શામકુમારનું સાચું નામ 'સઇદ ગુલ હમીદ'હતું. ફિરોઝખાને મુમતાઝવાળી ફિલ્મ 'અપરાધ'માં આ શ્યામકુમારને કંઇક કરી બતાવવાનો ચાન્સ આપ્યો હતો અને શામકુમારે ફિરોઝનો વિશ્વાસ તોડયો નહતો. ફિલ્મ 'દિલ્લગી'નો આપણા માટેનો ઉત્તમ હિસ્સો ફક્ત નૌશાદના મધુર ગીતોનો કહેવાય, એમાં ય સુરૈયા તો હતી જ એમની લાડકી, એટલે અથવા તો એમની હરએક ફિલ્મમાં ઉત્તમ સંગીત આપવાની જ દાનતને કારણે 'દિલ્લગી'ના તમામ ગીતો મુલ્ક મશહૂર થયા હતા. અલબત્ત, એક જમાનામાં મુહમ્મદ રફી એમના મોટા ભાઇ હમીદ રફી સાથે નૌશાદને મળવા, નૌશાદના પિતાની ચિઠ્ઠી લઇને આવ્યા, એ પછી નૌશાદે રફીને ચાન્સ આપ્યો, એવું નૌશાદ ફૌજી ભાઇયો કા જયમાલા કાર્યક્રમમાં કહીને, રફીના આ ફિલ્મના બહુ ઓછા જાણિતા છતાં રફીના ચાહકોને પાગલ-પાગલ કરી મૂકે એવા બે ગીતો, 'ઇસ દુનિયા મેં અય દિલવાલો, દિલ કા લગાના ખેલ નહિ...'અને 'તેરે કૂચે મેં અરમાનો કી દુનિયા લે કે આયા હૂં...'સંભળાવ્યા હતા. આમ તો સગપણમાં મજરૂહ સુલતાનપુરી નૌશાદના વેવાઇ થાય, પણ નૌશાદને શબ્દની સમજ ખરી, એટલે ગીતકાર તરીકે કોને લેવાય, એના કરતા કોને ન લેવાય, એની પાક્કી સમજ. પરિણામે શરૂઆતમાં ફિલ્મ 'અંદાઝ'માં એકવાર ભૂલ કર્યા પછી એની એ જ ભૂલ દાયકાઓ પછી વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સાથી'માં દોહરાવીને મજરૂહ પાસે ગીતો લખાવ્યા. પણ શબ્દના અસલી મોરને પારખવાની નૌશાદમાં અક્કલ હતી, એટલે જીવનભર-શક્ય હોય ત્યાં સુધી એમણે પોતાની ઓલમોસ્ટ બધી ફિલ્મોના ગીતો શકીલ બદાયૂની પાસે લખાવ્યા. અલબત્ત, આખી ફિલ્મોના શુટિંગ માંડ કોઇ દસ-બાર દિવસમાં...સોરી, રાતમાં પતી ગયું હશે. એ સમયે દિવસની શિફ્ટમાં કામ કરનારો કોઇ કલાકાર નહિ મળ્યો હોય, એટલે ફિલ્મમાં જરૂરત હોય કે ન હોય કારદારે આખી ફિલ્મ રાતના દ્રષ્યોવાળી જ બનાવી છે ને એમાં ય, એક વાર કેમેરા શરૂ થયો, એટલે હીરો-હીરોઇન થાકે ત્યારે જ શોટ પૂરો થયેલો સમજવાનો. 'તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, હોઓઓઓ...'બસ કોઇ ૩-૪ સળંગ શોટમાં પૂરૂં થયું છે.

એ ખબર ન પડી કે, આ દિલોજાન ગીત બે ભાગમાં છે, તો શ્યામની સાથે બીજા ભાગમાં કઇ ગાયિકાએ ગાયું છે, તેની કદાચ કોઇને ખબર નથી !

No comments: