Search This Blog

06/06/2011

ઍનકાઉન્ટર : 06-06-2011

* કહેવત છે, ‘સૂતેલા સિંહ ને ન જગાડાય’. તમારે કેમનું છે ?
- એ તો જે સિંહ હોય, એને ખબર પડે.
(માધવી કે. પટેલ, વડોદરા)

* અશોક જાડેજા, એ.રાજા, અભય ગાંધી... મેષ રાશિનું શું થવા બેઠું છે ?
- મેં એવો બધો કારભાર અમિતાભને સોંપ્યો છે.
(અકબરઅલી સૈયદ, ઇલોલ)

* ભારતના વડાપ્રધાન જેવા વડાપ્રધાન બીજા ક્યા દેશમાં છે ?
- ‘આદેશમાં’ છે.
(કાનજી એસ. ભદરૂ, ગોલગામ-બનાસકાંઠા)

* લગ્ન અને લોન વચ્ચે શું તફાવત છે ?
- હપ્તા ભરાઈ ગયા પછી લોનમાંથી છુટકારો મળે છે...
(જય સોની, આકરૂંદ- સાબરકાંઠા)

* આપ સુઉં કિયો છો-ના જવાબમાં સુઉં પૂછો છો ?
- કાંય નંઈ... બા ખીજાય !
(દિનેશગીરી ગોસ્વામી, પોરબંદર)

* નેહરૂ ગાંધી ટોપી પહેરતા, તો એને ‘નેહરૂ ટોપી’ કેમ ન કહેવાઈ?
- એ પછી તો નેહરૂજીના પૂરા વંશવેલાએ આખા દેશની પ્રજા પાસે ટોપી જેટલું કપડું ય રહેવા ન દીઘું... !
(ધીમંત ભાવસાર, બડોલી)

* દાઢીધારી મૌલવીઓ અને ભગવાધારી સાઘુ મહારાજો વચ્ચે શું સામ્ય છે ?
- બન્ને દેશ કરતા ધર્મ વઘુ વહાલો છે... અને એટલે એ ટકી ગયા છે.
(ઝુબૈદા યુ. પૂનાવાલા, કડી)

* આપણા આટલા સુંદર રાષ્ટ્રને બચાવવા હરએક ભારતીયે ભગવાન પરશુરામની જેમ ફરસી લઈ ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ નામનું શસ્ત્ર ઉગામવાની જરૂર નથી લાગતી ?
- પહેલો સવાલ એ ઉઠશે, ‘‘આ પરશુરામ જૈન હતા, વૈષ્ણવ હતા કે બ્રાહ્મણ હતા... ?’’
(ભાર્ગવી એ. પંડ્યા, રાજકોટ)

* તમે ભારતના વડાપ્રધાન થાઓ તો ભ્રષ્ટાચારનો નાશ કરવા શું કરો ?
- ટુંકમાં, તમને એટલી ખબર તો છે જ કે, વડાપ્રધાન મર્દ હોવો જોઈએ... !
(ક્રિસ્ટલ પી. જયસ્વાલ, પાટડી-સુરેન્દ્રનગર)

* ભય જોતા જ કૂતરાં દૂમ દબાવીને ભાગી કેમ જાય છે ?
- એકવાર તમે અમારા નારણપુરા ચાર રસ્તે આવો... કૂતરાંને જોતા આજુબાજુની ૨૦૦- સોસાયટીઓ વાળા પોતાના ઘરમાં ય દૂમ દબાવીને ભાગે છે... !
(દિક્ષિત પંડ્યા, કપડવંજ)

* ‘એનકાઉન્ટર’ના રીજેક્ટેડ પોસ્ટ-કાડર્સ હું લેવા તૈયાર છું. આપશો ?
- હવે તો ‘એનકાઉન્ટર’ના રીજેક્ટેડ લેખક પણ તૈયાર છે... બોલો, મારે કેટલા ચૂકવવાના છે ?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* મુંબઈમાં તમારી ‘બુધવારની બપોરે’ ગુરૂવારે કેમ આવે છે?
- ૫૫૦ કી.મી.
(સ્વનિક મોદી, મુંબઈ)

* અફઝલ કે કસાબને ફાંસી દેતા કોંગ્રેસને કોણ રોકે છે ?
- એ બન્નેને લટકાવવા હોય તો એમને હિંદુ બનાવવા પડે.
(તખુભા સોઢા, મુંદરા-કચ્છ)

* કહે છે કે, હાસ્યલેખકોના હૃદય ઉપર બહુ ઘા હોય છે... આપને કેમનું છે ?
- આપણે લીલાલહેર... હઓ !
(ડૉ. સાબિર વરતેજી, ભાવનગર)

* જ્યોતિષ મુજબ, આપની નિવૃત્તિ પછી આપની હાસ્યની કોલમો મને મળે એમ છે. રાહ જોઉં ?
- હોમિયોપેથી મુજબ, કોઈ સારી કોલમો લેશો તો પેટ સાફ આવશે.
(નટવર ઠક્કર, વારાહી-પાટણ)

* મૃત્યુની અંતિમ ઘડીએ માણસને જીવનની કિંમત સમજાતી હશે ખરી?
- મેં એ ઘડી જોઈ નથી.
(ઝુલ્ફિકાર એ. રામપુરવાલા, મુંબ્રા)

* ભ્રષ્ટાચાર જેવી સડેલી સિસ્ટમને અન્ના હજારે દૂર કરી શકશે ?
- અફ કોર્સ... અન્ના પોતે દૂર થઈ ગયા છે !
(સેજલ રમેશભાઈ ગાંધી, સુરેન્દ્રનગર)

* વરરાજા લગ્નમાં લાલ બૂટ પહેરે છે, કાળા કેમ નહિ?
- કાળા તો પછી ઘેર બેઠા ખાવાના જ છે ને ?
(ચતુર પોસ્ટમેન, અંકલેશ્વર)

* બીજાઓને વાઢી નાંખો છો, નરેન્દ્ર મોદી માટે કેમ ક્યારે પણ ખરાબ લખતા નથી ?
- ગુજરાતમાં સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ છે.
(યશસ્વિની અમીન, વડોદરા)

* મઘુબાલા, હેમા માલિની અને માઘુરી દીક્ષિત પછી કોણ ?
- બેન કાંતાલક્ષ્મી.
(કે.એ. ભાવસાર, દમણ)

* લગ્ન માટે મળ્યા ત્યારે તમે અને હકીભાભીએ એકબીજા પાસે શેની અપેક્ષા રાખી હતી ?
- બે બાળકોની.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* તમારો તકીયા કલામ, ‘તારી ભલી થાય ચમના’ વાંચવાની મઝા આવે છે... ભલે બા ખીજાય !
- ‘બહોત શુક્રીયા, બડી મેહરબાની... હોઓઓઓ’
(શશિકાંત મશરૂ, જામનગર)

* તમારો ગુસ્સો સાતમા આસમાને ક્યારે પહોંચે છે ?
- છઠ્ઠા પછી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* કાનૂનના હાથ લાંબા હોય તો ગૂન્હેગારના શું પગ લાંબા હશે ?
- કાનૂનવાળી કહેવત ભારતમાં લાગુ પડતી નથી.
(લિયાકતહૂસેન મલેક, મહેમદાવાદ)

* કન્યાદાન શ્રેષ્ઠદાન હોવા છતાં, જેમને બધી દીકરીઓ જ હોય, એમને લોકો અભાગી કેમ કહે છે ?
- માળા મોતીની હોય, હીરાની નહિ... એની એમને ખબર ન હોય, એટલે.
(સૌ. સુધા બી.ગોલે, વડોદરા)

* ચેતતો નર સદા ય સુખી, તો નારીનું શું ?
- નારીની બબાલ ન હોય તો નરે ચેતવાની જરૂર જ ક્યાં છે ?
(પ્રબોધ જાની, વસઈ-ડાભલા)

* ઢોંગી બિનસાંપ્રદાયિકોની ટોળી ગુજરાત સિવાય બીજે ક્યાં જોવા મળે છે ?
- ‘બિનસાંપ્રદાયિક’ લખો પછી ઢોંગી લખાવાની ક્યાં જરૂર છે ?
(બી.કે. મહેતા, રાજકોટ)

* ઓહ માય ગોડ... હું મોડી પડી. તમે સુરેન્દ્રનગર આવીને જતા રહ્યાં. મારે તમને જોવા હતા... !
- આમાં તો આપણે બે ય બચી ગયા !
(રૂપાંદે અશ્વિનરાય મેહતા, સુરેન્દ્રનગર)

No comments: