* કલાકાર અને કારીગરનું ઍનકાઉન્ટર થાય તો સ્વર્ગ કોને મળે અને નર્ક કોને મળે ?
- એ બન્નેને એમના કરેલા કામની ન્યાયી મજૂરી મળે તો ય બહુ છે...!
(રમેશ ચાંપાનેરી, વલસાડ)
* ભારતના અમુક સ્થાનો ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છે, એવું ગાઈ-બજાવીને કહેવાય છે, પણ અમુક ત્રાસવાદીઓ અમારા હિટલિસ્ટમાં છે, એવું ભારત સરકાર કેમ કદી કહેતી નથી ?
- કોંગ્રેસના ભાવિ સંસદ સભ્યોને એમ કાંઈ ત્રાસવાદી થોડા ગણાય છે ?
(વિજય વિકાસ, બોઇસર)
* ‘ઍનકાઉન્ટર’ આટલું અસરકારક બનવાનું કારણ એક જ છે, તમારા જવાબો સાવ ટૂંકા હોય છે....
- એમ ?
(વિદિશા જી. પટેલ, નડીયાદ)
* જ્યોતિષીઓ ત્રણ કલાકમાં ઘેર બેઠા ઉકેલ લાવી આપે છે, છતાં તમે ૩૦-વર્ષથી કેમ ખેંચે રાખ્યું છે ?
- અમારે તો પાછી હકી ય ખુદ જ્યોતિષી છે ને....?
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)
* વૅકેશન માણવાનો સર્વોત્તમ રસ્તો કયો ?
- ઘરથી ઍરપૉર્ટ સુધીનો.
(કિંજલ જયસુખ ધામી, ડોંબિવલી)
* પહેલાના જમાનામાં રૂપિયો ગાડાંના પૈડાં જેવડો દેખાતો...આજે ?
- રૂપિયાની સાઈઝ બાબતે મૂકેશ અંબાણીના વિચારો મારી સાથે ઘણા મળતા આવે છે...એ માણસ બહુ આગળ આવશે.
(શા. ગોવિંદલાલ બલદેવદાસ, પૂના)
* આટલા પ્રોબ્લેમો છતાં હજી શ્રીકૃષ્ણ અવતાર કેમ લેતા નથી ?
- ગીતામાં એ ‘ઑફ લેવાનું’ બોલ્યા’તા....આપણે ‘અવતાર લેવાનું’ સમજ્યા’તા....!
(જયેશ અંતાણી, ભાવનગર)
* સહુ કહે છે, ‘‘જેટલું હસીએ, એટલું રડવું પડે છે,’’ એ વાત સાચી ?
- રડવાના વિચારો કરનારાઓને રડવું આવે છે.
(આમીર બંગલાવાલા, અમદાવાદ)
* મલ્લિકા શેરાવત તમને લગ્નની ઑફર કરે, તો શું કહો ?
- ‘માજી થાઓ ત્યારે આવજો, બેન.’
(રૂપેશ લાલજીભાઈ પરમાર, મોરબી)
* સફળ હોવું અને સારા હોવા વચ્ચે શો તફાવત ?
- મારે હજી એ બન્ને બનવાનું બાકી છે.
(પલક મહેશભાઈ નાણાવટી, રાજકોટ)
* ઓછું ભણેલાઓ રાજકારણમાં કેમ સચવાઈ જાય છે ?
- એમને સાચવનારા ઓછું ભણેલા નથી હોતા.
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)
* તમારા જીવનનો યાદગાર પ્રસંગ કયો ?
- મારો રૂપિયાનો ખોવાયેલો સિક્કો પાછો મળી ગયેલો એ.
(નિરવ બી. ગેડિયા, સાવર-કુંડલા)
* તમને તનથી સુંદર લોકો ગમે કે મનથી સુંદર હોય એવા ?
- ગમાડવા પૂરતું જ પતાવવાનું હોય તો મનના સુંદરોને શું ધોઇ પીવાના છે ?
(ફખરી એન. બારીયાવાલા, ગોધરા)
* મૌન કયારે લાભદાયી અને ક્યારે નહિ ?
- ભીડમાં કોઈને ટપલી મારી દીધા પછી એ પૂછે, ‘‘કોણે ટપલી મારી ?’’ ત્યારે મૌન લાભદાયી....!
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ.)
* ‘વાંચે ગુજરાત’ પછી ‘ગાશે ગુજરાત’ ક્યારે આવશે ?
- પેલા લોકો ‘નહાશે ગુજરાત’નું અભિયાન ન ચલાવે ત્યારે.
(નિકિતા પુરોહિત, રાજકોટ)
* મંદિરમાં દર્શન કરતી વખતે ય ભક્તોનું ઘ્યાન એમના જૂતાંમાં કેમ હોય છે ?
- આજ સુધીના એકે ય ભગવાનોએ કોઇના જૂતાં સાચવ્યા નથી.
(ઓમકાર કે. જોષી, ગોધરા)
* એક ઘરમાં ત્રણ પેઢીનો પરિવાર રહેતો હોય, એવા દિવસો શું ગયા ?....
- રાહુલબાબા પરણે પછી ખબર પડે.
(જગદિશ બી. સોતા, મુંબઇ)
* એક માણસે કમાવા માટે બબ્બે-ત્રણ ત્રણ કામો કરવા પડે છે. શું મોંઘવારી વધી છે કે લાલચ ?
- લાલચ અમીરોનો શોખ છે.
(મોના જે. સોતા, મુંબઈ)
* મારી પત્ની સાથે મને બનતું નથી. શું એને ઘરમાંથી કાઢી મૂકું કે છૂટાછેડા લઉં ?
- મને એ સમજાતું નથી, જેને એકવાર ચાહી છે, એને ધિક્કારી કેવી રીતે શકો ?
(એસ.કે.પી. નડીયાદ)
* ઉધાર અને લોન વચ્ચે શું ફરક ?
- લોન પાછી ન ચૂકવો તૉ બૅન્કો કાંઇ તોડીને ભડાકા કરી લેતી નથી....!
(મહેન્દ્ર એચ. ટોડાઈ, મુંબઈ)
* દહેજથી ન ધરાતા સાસરીયાને સંતુષ્ઠ કરવાનો કોઇ ઉપાય ખરો ?
- બહુ ખુમારી સાથે દીકરીને પાછી લઇ આવવાની.
(હિતેશ એસ. દેસાઈ, તલીયારા-નવસારી)
* આરોપીની સાથે પોલીસ પણ ફોટા કેમ પડાવે છે ?
- એ બેમાંથી પોલીસ કોણ છે, એની ખબર પડે માટે.
(વિમલ એલ. સવજીયાણી, જામજોધપુર)
* તમને કેવા માણસો સૌથી વઘુ ગમે ?
- ડૂંગળી ખાઈને નજીકમાં ન ઊભા રહે એવા.
(ટીના એ. સોલંકી, ગોંડલ)
* ભગવાન હૃદયમાં હોવા છતાં ભક્તો જ્યાં ત્યાં કેમ ભટકે છે ?
- હૃદયરોગવાળાઓને એવું ભટકવું પડે, ભ’ઈ !
(કપિલ જે. સોતા, મુંબઈ)
* યુવાનોની રહેણીકરણીમાં ખૂબ દેખિતો ફેર આવી ગયો છે, તેનું શું કરવું ?
- આમ....એવી કોઈ....ચિંતા કરવી પડે એવા ફેરફારો મને તો નથી દેખાતા...બધાને મૂછો ઊગે જ છે !
(નયના શૈલેશ માણેક, મુંબઈ)
* મોબાઈલ ફોનનો સર્વોત્તમ ઉપયોગ કયો ?
- બંધ રાખો એ.
(નીતિન સોમૈયા, મુંબઈ)
* દેશને તદ્દન નિરૂપયોગી ક્રિકેટરો અમનચમન કરે છે, જ્યારે આતંકવાદીઓ સામે જાન આપી દેનાર સૈનિકોની વિધવાઓની અવગણના થાય છે...બેવકૂફી કે બદનસીબી ?
-પૂરી દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર ક્રિકેટરો અમનચમન કરતા હોય, એ એમનો હક્ક છે...થૅન્ક ગૉડ, એ લોકોને વિધવાઓની માફક સરકારની મેહરબાની પર જીવવાનું નથી હોતું.
(દેવાંગી પરીખ, વડોદરા)
No comments:
Post a Comment