* હેમા માલિનીના ઘરમાં દીપડો ધુસી ગયેલો... પછી શું થયું ?
- દીપડો ધરમ જેટલો બેવકૂફ નહોતો... આમાં હવે કાંઈ મળે એવું નથી, એવી અક્કલ હતી એનામાં, એટલે દીપડો બહાર નીકળી ગયો.. ધરમો હજી અંદર છે...!
(જનક રાવલ, રાંધેજા)
* અનેક પ્રયત્નો છતાં નિષ્ફળતા જ મળતી હોય તો સફળ થવાનો કોઈ ઉપાય ખરો ?
- આમરણાંત ઉપવાસ પર ઉતરી જવું... અને બે-ચાર દિવસમાં તમને કોઈ પારણાં કરાવી લે, એવી ગોઠવણી કરી લેવી.
(હિતેશ એસ. દેસાઈ, તલીયારા- નવસારી)
* ભ્રષ્ટાચાર રોકવાનો આપનો અંગત અભિપ્રાય શું છે ?
-ભ્રષ્ટાચારની વ્યાખ્યા ઊલટાવી દેવી.
(યોગેશ કૃ. દલાલ, સુરત)
* ‘ઍન્કાઉન્ટર’ હાંસિયામાં કેમ આવી ગયું ?
- સાવ નીચેનું પતન યથાવત રાખીને ઊન્નતિ થઈ છે...
ધીરજ ધરો મારા વીર... ફરીથી પતનમાં પાછા ફરવા માટે હું સમર્થ છું.
(પ્રશાંતવદન એમ. વોરા, ભાવનગર)
* પશુઓની જેમ માણસ પોતાના કાન કેમ હલાવી શકતો નથી ?
- એને જીભ હલાવવાની ફાવટ છે...!
(વિરલ જાની/યાના ચૌહાણ, આલીદર : કોડિનાર)
* સાસુ કાયમી ધોરણે ઘેર રહેવા આવી જાય તો શું કરવું ?
- મેં પૂછતા હું, જો સાલી આધી ઘરવાલી થતી હોય તો સાસુ આધી મા ક્યું નહિ ?
(દિલીપ જે. ધંઘુકીયા, અમદાવાદ)
* પ્રેમ લગ્ન કરવા માટે શું કરવું જોઈએ ?
- એ બેમાંથી એક.
(ધર્મેશ વેકરીયા, વિસાવદર)
* ફેશનને નામે ક્યાં સુધી હિંદુ દેવી-દેવતાઓના અપમાનો થતા રહેશે ? વિહિપ, RSS કે બજરંગદળવાળા ક્યાં ગયા ?
- એ લોકો ઍક્ટિવ હોત તો દિવસો આજે આ જોવા પડ્યા હોત ?
(હરેશ એસ. શાહ, ઉમરેઠ)
* લોકો મહેનત કરતા નસીબમાં કેમ વધારે માને છે ?
- બાપ બનવા માટે એકલું નસીબ ના ચાલે..!
(બી. આર. શેખ, ખંભાત)
* હવે ફક્ત બે સંતાનોથી જ સંતોષ.... મતલબ, સમય જતા રક્ષાબંધન જેવા તહેવારો નામશેષ થઈ જશે ?
- હિંદુઓ સમૃદ્ધ થતા જાય છે, એમાં આ સંતોષનો ફાળો મોટો છે.
(ઉષા જગદિશ સોતા, મુંબઈ)
* આજકાલ બોલબાલા સ્વામીજીઓ અને ગુંડાઓની છે... સુઉં કિયો છો ?
- ગુંડાઓથી આપણે છેતરાતા નથી. એ મહાનુભાવો કમસેકમ પ્રગટ તો છે કે, દેશને કોઈ કામમાં આવવાના નથી...!
(જગજીવન સોની, ઉલ્હાસનગર)
* અશોકજી, અમારા સવાલો કરતા તમારા જવાબો મજાના હોય છે...
- એવું નથી. કૂવામાં હોય છે, એટલે હવાડામાં આવે છે.
(શલુ/ગુની, અમદાવાદ)
* સાચો જવાબ આપજો... ખરેખર ‘ભારત રત્ન’ કોણ કહેવાય... સચિન તેંડુલકર કે અન્ના હજારે ?
- એક લાખ વાર સચિન તેન્ડુલકર જ !
(સતિષ વકીલ, નડીયાદ)
* દેશને ક્રિકેટનો વળગાડ ક્યારે દૂર થશે ?
- શુક્ર કરો ક્રિકેટનો કે, એને લીધે દુનિયા આખીને આપણી સામે સર ઝુકાવીને વાત કરવી પડે છે.. છે... બાકીનું ક્યું ફિલ્ડ એવું છે ?
(કાન્તિલાલ દીપચંદ શાહ, માહેજ)
* પનિહારીની એ મદમસ્ત ચાલ અને રૅમ્પ-વૉક પર મૉડેલ્સની ચાલ વચ્ચે શો ફેર ?
- પનિહારીની ચોળીનો છેડો કદી ય સરકરી જતો નથી... ત્યાં તો છેડા જ નહિ, નાડાં ય છૂટી જાય છે.
(રૂદ્રેશ અઘ્વર્યું, અમદાવાદ)
* પ્રેમ કરતા યુગલોને પોલીસ બળજબરીપૂર્વક છુટાં શા માટે પાડે છે ?
- એ ઊભા થાય તો બીજાનો નંબર લાગે !
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)
No comments:
Post a Comment