Search This Blog

27/01/2013

એનકાઉન્ટર 27-01-2013

૧. તમને પાન ખાતા જોઈને તમારા પત્ની, 'પાન ખાયે સૈંયા હમારો...' ગાય છે ખરા?
- કેટલાક પવિત્ર કામો અમે પહેલેથી જ નથી કરતા... એ ગાતી નથી અને હું પાન ખાતો નથી.
(રણધીર કે. દેસાઈ, પિપલોદ)

૨. દર ચાર વર્ષે આવતી આપની જે જન્મતારીખની શુભેચ્છા ચાર ગણી મળે છે કે ૧/૪...?
- હવે ૬૦ થયા પછી આશીર્વાદ આપનારા બહુ ઓછા રહ્યા હોય... શુભેચ્છાઓને આશીર્વાદ ગણીને ખુશ થાઉં છું.
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

૩. 'ફલાઈંગ કિસ' બાબતે આપ શું માનો છો?
- કંઈજ નહિ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

૪. કાયદો એક ખૂન માફ કરે, તો તમે કોને પ્રાધાન્ય આપશો? રાજકારણી, ક્રિકેટર કે ફિલ્મસ્ટાર?
- કાયદામાં સુધારો લાવો. વાત મશિનગનથી પતવી જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

૫. કસાબને તો ફાંસી અપાઈ ગઈ... હવે શું?
- એમાં મારી સામે આમ ડાઉટથી શું કામ જુઓ છો?
(ઉષ્મા એચ. ઓઝા, ભાવનગર)

૬. બજારૃ લોભામણી જાહેરાતોમાં ગ્રાહકો કેમ આટલા લલચાય છે?
- મારાથી આમાં કાંઈ બોલાય એવું નથી. વર્ષો પહેલાં હું ય લગ્નવિષયક જા.ખ.માં પરણી ગયેલો, બોલો!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૭. ધર્મસ્થાનો પર કરોડો રૃપિયા ખર્ચવાને બદલે એટલા પૈસા દેશના કામ માટે વપરાય તો?
- એક આપણો જ દેશ એવો છે, જેની પ્રજા પાસે ધર્મદાઝ છે, દેશદાઝ નથી... એમાં ય, ચુસ્તપણે ધર્મમાં ડૂબેલાઓ પાસે તો નામની ય દેશદાઝ નથી.
(રમેશ પી. શાહ, વડોદરા)

૮. ડોસા થઈ જવા છતાં રાજકારણીઓ નિવૃત્ત કેમ થતા નથી?
- 'બુઢ્ઢા હોગા તેરા બાપ...'એવું કહી દે છે એ લોકો, બોલો!
(વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઈ)

૯. નેતાઓ ભ્રષ્ટાચારમાં પકડાય કે સૅક્સ લીલામાં... ફરક શું છે?
- ભ્રષ્ટાચારમાં પહેરેલે કપડે પકડાય...!
(ડો. સનત જાની, ખેડબ્રહ્મા)

૧૦. પૈસો સાધનને બદલે સાધ્ય કેમ બની ગયો છે?
- મારા માટે તો એ એક 'સાધના' છે, બેન...હરિ ઓમ...!
(સંધ્યા પુરોહિત, અમદાવાદ)

૧૧. શું તમને નથી લાગતું પ્રજાએ હવે કાયદો હાથમાં લેવો જોઈએ?
- એ તો તમે સારા કામ માટે કહી રહ્યા છો... એનો ફાયદો ઉઠાવનારાઓ સામે આપણે ન ટકી શકીએ.
(ડો. ભાર્ગવી પરાગ પંડયા, રાજકોટ)

૧૨. રસ્તા ઉપર છુટાં ફરતા જનાવરો સામે પોલીસ કે કાયદો કેમ કાંઈ કરી શકતા નથી?
- કેમ જાણે પોલીસ કે કાયદો બીજા કામોમાં તોડીને ભડાકા કરી લેતા હોય...!
(જયેશ ચાવડા, અમદાવાદ)

૧૩. તમને ખડખડાટ હસવું ક્યારે આવે છે?
- કોઈપણ ફિલ્મમાં ખાસ કરીને મેહમુદની સાથે ધુમાલને જોઉં છું ત્યારે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

૧૪. પૂજ્ય બાપૂના ઉપવાસ પરિણામલક્ષી હતા, જ્યારે અન્ના હજારેના ઉપવાસ...?
- મીડિયાલક્ષી.
(સલમા મણીયાર, વિરમગામ)

૧૫. શું મનમોહન કરતા બાજપાઈની સરકાર વધુ સારી હતી?
- એમાં બાજપાઈએ શું ધાડ મારી? મનમોહન કરતા તો ગામનું કૂતરું ય વધારે સારું હોય...!
(પરેશ પંચોલી, વલ્લભ વિદ્યાનગર)

૧૬. સાંભળ્યું છે કે, ઈમાનદારીનો પણ એક નશો હોય છે...!
- હું નશાખોર નથી.
(મહેશ માંકડ, અમદાવાદ)

૧૭. સ્ત્રીની જિંદગીમાં પ્રવેશવું સહેલું છે, પણ બહાર નીકળવું અઘરું છે. તમે સુઉં કિયો છો?
- એ તો જે પુરુષ, પોતાના કરતા સ્ત્રીને વધારે ચણા આલતો હોય એને માટે આ બધું અઘરું-ફઘરું હોય!
(ભરત ડી. સાંખલા, ડીસા)

૧૮. તમે કદી પોરબંદર આવ્યા છો? આવ્યા હો તો અહીનું શું ગમે છે.
- દરિયા કિનારે મળતો ગરમાગરમ 'કાવો'
(રૂચિરા વાય. દવે, પોરબંદર)

૧૯. તમને તમારા ગુરુ પ્રત્યે કેટલો આદર છે?
- ગુરુ રાખવા પડે, એટલો કાચો માણસ હું નથી. પણ સ્કૂલના શિક્ષકો મારા માટે ઈશ્વરથી કમ નથી.
(જગજીવન ટાકોલિયા, સુરેન્દ્રનગર)

૨૦. વાતવાતમાં ગુસ્સો કરનારને નાથવાનો કોઈ ઉપાય?
- સારો દિવસ જોઈને, 'જય અંબે' બોલીને એક દિવસ એને ઊંધા હાથની વળગાડી દો...!
(હિતેશ દેસાઈ, તલીયારા)

૨૧. કોઈ મકાનનું નામ 'ગોરધન નિવાસ' હોય, એનો શું મતલબ સમજવો?
- ખોદકામ કરો તો ત્યાંથી વાસ મારતા ગોરધનના અવશેષો મળી આવે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

૨૨. કોંગ્રેસમાં નમૂનાઓ ઘટતા હતા, તે હવે પ્રિયંકાનો પ્રવેશ થઈ રહ્યો છે?
- જોકર પોતાની ટોપી ઉપર ગમે તેટલા બિલ્લાં ભરાવે, તેથી એ કાંઈ 'તાજ' થઈ જતો નથી.
(નૂતન એમ ભટ્ટ, સુરત)

૨૩. ઘણા લોકો એમનો મોબાઈલ બદલતા રહે છે, એનું શું કારણ?
- ઘરમાંથી જે કાંઈ શક્ય હોય, એ બદલવું... બીજું શું?
(શશીકાંત મશરૂ, જામનગર)

૨૪. બ્રાહ્મણો સિવાય તમામ કોમોમાં એક્તા છે, એવું તમે માનો છો?
- બ્રાહ્મણોના બધું મળીને ૮૪ - પ્રકાર છે, જેમાં નાગરો પણ આવી ગયા...! બાકીના ૮૩ - કરતા અમે સૌથી ઊંચા છીએ, એ તમામ પ્રકારના બ્રાહ્મણોની બેવકૂફી સાફ નહિ થાય ત્યાં સુધી બ્રાહ્મણોને બધા હડસેલતા રહેવાના...!
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

૨૫. પૈસા આપીને દર્શન કરવા જવાના ધંધા કરનારા મંદિરોની યાદી બહાર પડાય તો?
- એવું ન બોલો... ફક્ત ને ફક્ત પૈસાને ખાતર તો ઘણા ધર્મો ટકી ગયા છે...!
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા)

No comments: