એટલું સારું હતું કે, ઈશ્વરનો ઈન્ટરવ્યૂ લેવા જાતે મરવું પડે એમ નહોતું. ઈશ્વર નીચે આવે નહિ ને આપણને ઉપર જવું પોસાય નહિ. મરીને મળવાની પધ્ધતિ ખોટી. મારા તો આ જન્મના ય સંસ્કાર સારા... (આપણે શું કામ ખોટું બોલવું...?), એ હિસાબે થોડીઘણી ઓળખાણ નીકળી એટલે સ્વર્ગના દરવાજા સુધી ઘુસ મારવા મળી. અંદર તો ફ્રી-પાસ હોય તો ય આપણે ક્યાં જવું'તું...?
''ક્યાં જવું છે ?'' એક સૉલ્લિડ બૉડી-બીલ્ડરે મને પૂછ્યું. મેં પૂછ્યું, ''આપ કોણ ?''
''હું ભગવાન શ્રીકૃષ્ણનો 'બાઉન્સર' છું...''
''બા---બાઉન્સર...? યૂ મીન, બૉડી-ગાર્ડ ?... મારા શામળાને એની શી જરૂર પડી ?''
''યૂ સી... આજકાલ સ્વર્ગમાં ગમે તેવા લલ્લુ-પંજુઓ ઘુસી આવે છે... શ્રીનાથજી બાવાને જોયા નથી કે ઑટોગ્રાફ માંગ્યો નથી...! કેટલાક તો વળી ચીઠ્ઠીઓ લઈને આવે છે, ''જન્માષ્ટમીમાં આ વખતે જીતાડજો, પ્રભુ !'' આવાઓને દૂર રાખવા મારી હાલમાં ૫૦૦૦-૨૫૦-૮૦૦૦ ના સ્કૅલ પર SC/ST ક્વૉટામાં હંગામી ધોરણે નિમણુંક થઈ છે...!... એ ચલ... બાજુ હટ... પ્રભુશ્રી નટવર ગીરધરની મર્સીડીસ-બૅન્ઝ આવી રહી છે... હટ્ટ...!!!''
''એ... આઆઆઆ...ગઈ, એ મારા કન્હૈયાની કાર હતી...? મર્સીડીસ-બૅન્ઝ...? પપપ...પણ એ તો રથ ચલાવતા હોય છે...!''
''રથો આજકાલ બહુ ઍવરેજો નથી આલતા... વળી, એના પૈડાંમાં પંક્ચર પડે તો અહીંના તમામ ટાયર-પંક્ચરવાળા કૅરાલિયનો શ્રીતિરૃપતિ બાલાજીવાળા છે... જલ્દી ના કરે... અહીં ય નૉર્થ-સાઉથનું બહુ છે...!''
''ઓકે, સરજી... મારે મોડું થાય છે... ઈન ફૅક્ટ, હું અહીં પરમેશ્વરનો ઈન્ટરવ્યૂ લેવા આવ્યો છું...''
''કોણ મહાદેવજીનો ?... તું તો બ્રાહ્મણ છે, એટલે પૂછ્યું... જો... બ્રાહ્મણો અને પટેલો ભગવાન શંકરની બારી ઉપર ! ત્યાં સાત નંબરની બારી ઉપર જા...! ૨૮-નંબરની સોને મઢેલી બારી પર જૈનોના ભગવાન મહાવીર... જલાબાપાને મળવું હોય તો ગોરાચીટ્ટા લોહાણાઓ તમને ૧૮-નંબરની વિન્ડો પર મળશે... અને સ્વામી બાપાની વિન્ડો પર એકલા પુરૃષોએ જવાશે... કોઈ છોકરી-બોકરી સાથે લાયો નથી ને ? બાય ધ વે... તું કોણ છે ?''
''જી ?''
''આઈ મીન... તું પુરૂષ છે કે સ્ત્રી...?''
''ઓહ... સર જી, અહીં આવ્યો ત્યાં સુધી તો પુરૂષ છું... આગળનો ખેલ માતા બહુચરાજી જાણે...?''
''વૉટ...?''
''સર જી, આ બધી બારીઓ તો ચોક્કસ ધર્મ કે જ્ઞાતિના ભગવાનોની છે... મારે તો ભારત માતાને મળવું છે. અમારા ભારતવાસીઓના ભગવાન ભારત માતા છે...''
''નૉન સૅન્સ...! એવી કોઈ ખિડકી અહીં ખુલી જ નથી... ગૅટ લૉસ્ટ, યૂ સ્ટુપિડ...!''
''ઉફ... બધા ભગવાનોની ભાગે પડતી બારીઓ છે... ભારત માતાની કેમ નહિ ?''
''ઈડિયટ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંતજીનું મંદિર તો અહીં ય છે. અમ્મા... આઈ મીન, જયલલિતા દેવીના મંદિરનું ઉદઘાટન ગયા વીકમાં જ થયું... પણ આ તું કહે છે, એ ભારત માતા કોઈ દેવી-બેવી છે ?''
''જી...???''
''જો ભ'ઈ... એક વાત સમજ. ભગવાનની વાત કરવી હોય તો વાણીયા, બ્રાહ્મણ, લુહાણા કે જૈનોના ભગવાનોની વાત કર... આઈ મીન, કૃષ્ણ, શંકર, રામ, જલારામ બાપા, મહાવીર સ્વામી... પણ''
''આ બધામાં મારા ભારત દેશને બચાવવાની શક્તિ ક્યા ભગવાનમાં છે ?''
''વ્હૉટ...? જરા ફરીથી બોલ તો--- જો ભ'ઈ, તાકાત-ફાકાતની વાત કરવી હોય તો અમારા હનુમાનજી હાજરાહજુર છે... બહુ લેંચુ તો મારતો જ નહિ...!''
''એવું નથી, સર જી. અમારા દેશમાં હજારો ભગવાનો અને માતાજીઓ છે... પણ એમાંના એકે ય ભગવાનમાં ભારત નથી... અને આજકાલ મારો દેશ બહુ બુરી રીતે રિબાઈ રહ્યો છે... માટે અહીં ઉપર સુધી લાંબા થવું પડયું...''
''તે કેમ... એ બધા છે તો ભારતના ભગવાનો જ ને ? અરે, અવાજ કર ને... એક સાથે બધા ભગવાનો ભારત દેશની લાજ બચાવવા હાજર થઈ જશે...''
''ના થાય, બૉસ. એટલી હદે આ સહુ ભગવાનોના ભક્તો તો જાવા દિયો... સ્વયં ભગવાનો ય તૈયાર નથી. અમારા દેશના ખેતરો, સ્કૂલો, મોટા બંધો કે ૪૦-માળનું બીલ્ડિંગ (જો હોય તો) દુશ્મનો ઉડાડી મારે તો કોઈ ફિકર નહિ... અમારા મંદિર-દેરાસર કે ગુરૂદ્વારા ઉપર હૂમલો થયો તો... મારી નાંખીએ મારી...!''
''કેમ વળી...! બળાત્કારીઓ ફફડી જાય એવો કાયદો ધીમે ધીમે આવી રહ્યો છે ને ?''
''સર જી... એમાં જરી જોવું પડશે કે, દિકરી અમારી જ્ઞાતિની છે છે કે બીજાની...! બીજાની હોય તો બીજાના કામમાં અમે પછી બહુ માથું મારતા નથી...! કોઈ બોલાવવા આવે તો, હાથમાં મીણબત્તીવાળા સરઘસમાં એકાદ આંટો મારી આઈએ, મારા ભ'ઈ !''
''તારું ભાષણ પત્યું...?''
''કેમ ? કેમ એવું પૂછો છો ?''
''આ મહીંથી હનુમાનજીનો મોબાઈલ છે... પૂછે છે કે, બહાર ઊભો ઊભો કોઈની સાથે ખપાય નહિ... જે હોય એને મહી લેતો આય...!''
''ઓહ નો સર જી નો... મારે કંઈ અંદર આવવું નથી. એમને કહો કે, પ્રભુશ્રી રામને મારા ચરણસ્પર્શ મોકલાવજો. સીતા માતા ય બાજુમાં બેઠા હોય તો એમને ય મારા પાયલાગણ કહેજો...''
''હું તારા બાપનો નોકર છું ?''
''જીજી...જી...???''
''આ સ્વર્ગ છે... બિગ-બાઝાર નથી. તારે જે કોઈ ભગવાનનો ઈન્ટરીયો લેવો હોય એમને માટે ફૉર્મ ભરીને જે તે બારીએ આલી આય...!''
''પણ બૉસ જી... આમ... અચાનક... આ ઉતાવળનું કોઈ કારણ ?''
''બધા ભગવાનો ટીવી પર મૅચ જોવા બેસી ગયા છે... ત્યારે ઈન્ડિયાના ઢીંઢા ભાંગી ગયા છે ને કોઈ બચાવનારૃં નથી... એનાં દેવી-દેવતાઓ અંદરોઅંદર ઝગડે છે... ''આ મારી જવાબદારી નથી...'' એવું કહી કહીને !''
''સર જી... ક્ષમા કરજો. હું તો કોઈ ઈશ્વરનો ઈન્ટરવ્યૂ લેવા આવ્યો હતો ને...''
''ડોબા, મને ન ઓળખ્યો...? હું જ સાક્ષાત ઈશ્વર છું... હું તારી પરીક્ષા લેતો હતો. મારે એ જોવું હતું કે, ધર્મને બાજુ પર રાખીને દેશને પોતાનો ધર્મ બનાવનારા આપણે ત્યાં છે કેટલા ?''
''ઓહ પ્રભુ... આપ હતા... સ્વયં...? તો એક રીક્વૅસ્ટ છે, પ્રભુ...''
''બોલ બોલ... ગભરાયા વગર બોલ...''
''સર જી, આપ જ સ્વયં પરમેશ્વર હો, તો આ દાનની પેટીમાં મેં પચ્ચાની નોટ નાંખી છે, એ પાછી ખેંચી આલો ને...!''
''હનુમાનજીઈઈઈઈઈઈઈઈઈઈઈ... આ ગધેડાને તાત્કાલિક બહાર કાઢો... આઈ મીન... નીચે પૃથ્વીલોકમાં પાછો જમા કરાઈ દો...!''
સિક્સર
''કોંગ્રેસે પોતાની નીતિઓ 'મૉડીફાય' કરી હોત, તો આ દિવસો જોવાના ન આયા હોત...'' મેં રાકેશને પૂછ્યું.
''એ લોકો 'મોદી-ફાય' કરવા ગયા, એમાં ભરાયા...!''
No comments:
Post a Comment