Search This Blog

15/02/2013

રફીનું, ''મૈં વો હી, વો હી બાત, મેરે લિયે તો હર દિન, નયા દિન, હર રાત, નઈ રાત...''

ગીતો

૧...દીદી તેરી શાદી દેખના, જબ હોએગી, તુ ડોલી મેં બૈઠેગી.... લતા મંગેશકર
૨...મૈં વો હી, વો હી બાત, મેરે લિયે તો હર દિન નયા દિન... મુહમ્મદ રફી
૩...એક પહેલી તુમ સે પૂછું, સોચ સમઝકર બતલાના.... લતા મંગેશકર
૪...ક્રિશ્ના ક્રિશ્ના, બોલો ક્રિશ્ના, રાધે રાધે બોલો ક્રિશ્ના.... કિશોરકુમાર
૫...બહોત ગૂઝર ચૂકી, થોડી સી રાત બાકી હૈ, સનમ ન જાઓ... આશા ભોંસલે


ફિલ્મ : 'નયા દિન, નઈ રાત' ('૭૪)
નિર્માતા : એન.પી.અલી
દિગ્દર્શક : એ બીમસિંઘ
સંગીતકાર : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ 
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : સંજીવકુમાર, જયા ભાદુરી, સુંદર, બૅબી પિન્કી, જહૉની વ્હિસ્કી, દિલીપ દત્ત, પૉલસન, કેશવ રાણા, મુકરી, વી.ગોપાલ, શિવરાજ, નર્મદા શંકર, લલિતા પવાર, ફરીદા જલાલ, નાઝનીન, મનોરમા, ઈંદિરા બંસલ, ટુનટુન, દેવિકા, શ્યામા, ડૅવિડ, ઓમપ્રકાશ.

'યે તો વો હી મિસાલ હો ગઈ... માલ કીસિ કા, કમાલ કીસિ કા...' ૧૯૭૪-માં આવેલી ફિલ્મ 'નયા દિન, નઈ રાત'માં સંજીવકુમારે એક સાથે ૯-રોલ એક જ ફિલ્મમાં કર્યા, એને બહુ મોટી પબ્લિસિટી અપાઈ ને એ જ ફિલ્મમાં અસલી મોરલી કળા કરી ગઇ હોય-ઍક્ટિંગની, તો એ તો જયા ભાદુરી હતી ! એને ભાગ્યે જ કોઈએ મહત્વ આપ્યું. અધૂરામાં પૂરૂં, કાંઈ બાકી રહી જતું હોય એમ ધી ગ્રેટ દિલીપકુમારે ફિલ્મની શરૂઆતમાં બે મિનીટની કૉમેન્ટરીમાં સંજીવકુમારની આવા ૯-રોલ કરી શકવાની કાબિલિયત ઉપર સોનામોહરથી માંડીને ગુલમોહર... બધી મોહરો વરસાવી દીધી, જયા ભાદુરીનો ક્યાંય કોઈએ ઉલ્લેખમાત્ર કર્યો નહિ.

નો ડાઉટ, સંજીવે કોઈ અનોખું કામ કર્યું હતું, પણ એમાંથી થોડા પોળાં કાઢી શકાય એમ છે કે, સંજીવના આ કિરદારો મૌલિક નહોતા. એણે ય કોઈનું જોઈજોઈને આ કામ કર્યું હતું. મદ્રાસમાં આ જ કથાવસ્તુ પરથી ૧૯૬૪-માં શિવાજી ગણેશને તમિળ ફિલ્મ 'નવરાત્રી'માં આ રોલ કર્યા, એ જોઈને તેલુગુમાં આ જ નામથી એ.નાગેશ્વરરાવે પણ આ જ કિરદારો બખૂબી નિભાવ્યા હતા. બીજો મુદ્દો એ છે કે, સંજીવના નવેનવ રોલમાં માથાની વિગ કે શરીરનો લિબાસ બદલાતા રહે છે, તેનાથી અભિનયમાં ઝાઝો ફેરફાર કે સિદ્ધિ દેખાતી નથી. અફ કૉર્સ, સંજીવે શક્ય હોય ત્યાં અવાજ બદલવાની કોશિષ કરી છે, ક્યાંક મૅનરિઝમ્સ પણ બદલ્યા છે, પણ તેથી ઍક્ટિંગને વધારાની શક્તિ મળી નથી. મોટો પ્રોબ્લેમ એના લાઉડ મૅઈક-અપનો છે. સંજીવકુમારે જીવનભર એક જ મૅઈક-અપમૅન લીધો છે, સરોશ મોદી. સરોશ કાબિલ ખરો પણ થોડાક અપવાદોને બાદ કરતા ચેહરો આખો ભરીને મૅઈક-અપ લાઉડ બનાવી દેતો. અસલી મિસાલ તો જેણે હૉલીવૂડની ફિલ્મ 'ધી ઑડેસા ફાઈલ' જોયું હોય એને મળે કે, જહૉન વૉઈટ (આજની સખ્ખત સૅક્સી હીરોઈન ઍન્જેલિના જૉલીના પપ્પા)નું આખું કૅરેકટર બદલવાનું હતું, એના મૅઈક-અપમાં કોઈ વિગ-બિગ વાપર્યા વગર કેવળ હૅરસ્ટાઈલ બદલી, મોંઢા ઉપર રીમલૅસ ચશ્મા પહેરાવીને ઈવન આપણે પણ ઓળખી ન શકીએ એટલો ફેરફાર લાવી દીધો હતો.

તો બીજી બાજુ જયા ભાદુરી તો બૉર્ન ઍક્ટ્રેસ હતી. ફિલ્મ જોવા બેસો તો વગર દાવે જયાએ આ ફિલ્મમાં ૯-કરતા ય વધારે શૅડ્સ એની ઍક્ટિંગમાં બતાવ્યા છે. પૂના ફિલ્મ ઈન્સ્ટિટયુટમાંથી શત્રુઘ્ન સિન્હા, અનિલ ધવન અને જયા ભાદુરી એક સાથે ઍક્ટિંગનો કૉર્સ પતાવીને બહાર પડયા હતા અને આ લોકોના આવ્યા પછી, હિંદી ફિલ્મોના ટ્રેડિશનલ હીરો-હીરોઈનોની ઍક્ટિંગના અલગ પાસાં ભારતના પ્રેક્ષકોને જોવા મળ્યા હતા. જયા ભાદુરી ભારતને મળેલી સૌ પ્રથમ 'ઑર્ગેનાઈઝડ ઍક્ટ્રેસ' હતી. નૂતન, મીના કુમારી, વહિદા રહેમાન કે નંદા, એ સમયની તમામ હીરોઈનો રોલ સારા મળ્યા હોય ત્યારે સર્વોત્તમ ઍક્ટ્રેસ બની હતી, પણ એ લોકો પહેલી વાર કૅમેરાની સામે આવ્યા પછી ઍક્ટિંગ શીખી હતી, જ્યારે પૂના ફિલ્મ ઈન્સ્ટિટયુટના તમામ કલાકારો પધ્ધતિસરની ઍક્ટિંગ શીખીને આવ્યા હતા. નવા-જૂના વચ્ચેનો તફાવત ચોખ્ખો દેખાતો હતો. તો શું, સંજીવકુમારે આ ફિલ્મ 'નયા દિન, નઈ રાત'માં કાંઈ સત્વ બતાવ્યું જ નહોતું ? એ કોઈ સામાન્ય ઍક્ટર હતો ? એ જયા ભાદુરી કરતા ય ઉતરતો ઍક્ટર હતો...? 

નો વૅ... માય બૉય ! સંજીવ બાકાયદા બહુ સક્ષમ અને પરફૅક્ટ ઍક્ટર હતો. એની સરખામણી જ ન થાય. જે લોકો ઍક્ટિંગ વિશે બોલવા માટે થોડા ઘણા ય અધિકારી છે, તેઓ સહુ ઉઘાડેછોગ કહે છે, 'શોલે'માં અમિતાભ, ધરમ કે અમજદ... સહુ કરતા સંજીવ જ સર્વોત્તમ હતો. ખાસ કરીને ગુલઝારની ફિલ્મ 'મૌસમ'માં એ અસાધારણ સાબિત થયો હતો. આપણે આ લેખની શરૂઆતની ચર્ચા ફક્ત આ ફિલ્મના સંદર્ભમાં કરી છે કે, જેટલું ગાયું-વગાડ્યું, એવી કોઈ સુપરહિટ ઍક્ટિંગ સંજીવની નહોતી, જેટલી જયા ભાદુરીની હતી. મીડિયા ગમે તેને ગમે ત્યારે મહાન અને મુફલીસ બનાવી શકે છે, એનું આ ખતરનાક ઉદાહરણ છે.

'નયા દિન, નઈ રાત' મદ્રાસની ફિલ્મ હતી. એ દિવસોમાં હજી એ ચૅન્નઈ થયું નહોતું ને મુંબઈના ફિલ્મ કલાકારોને મદ્રાસમાં બનતી હિંદી ફિલ્મોમાં કામ કરવાનું આમંત્રણ મળે, વાત બહુ મોટી ગણાતી. બહુ નસીબદાર હોય તો જ ત્યાથી આમંત્રણ આવે. આજે ય ગુણવત્તા કે પ્રોડક્શનની દ્રષ્ટિએ મુંબઈમાં સાઉથ જેવી ફિલ્મો તો હજી ય નથી બનતી. ત્યાંની ફિલ્મો લૅવિશ પ્રોડક્શનમાં બનતી. ભવ્ય સૅટ્સ હોય, ધૂમ પૈસા ખર્ચાયેલા તમે જોઈ શકો અને એથી ય મોટી વાત તો એ કે, આખા સાઉથની પ્રજા માટે આજની તારીખે પણ ફિલ્મો તો લાઈફનો સર્વાધિક હિસ્સો કહેવાય. અમિતાભ કે એના જમાનામાં રાજેશ ખન્ના માટે ય હજી સુધી કોઈ મંદિરો બન્યા નથી, ત્યારે સાઉથમાં આપણને ફાલતું લાગતા હિરો-હીરોઈનો માટે ય ઠેરઠેર મંદિરો બનતા રહે છે. આપણે ચાલતા અંબાજી-ડાકોર જવાની કે શિવરાત્રીનું વ્રત કરવાની માનતા માનીએ, એમ ત્યાં 'ભગવાન' કમલાહાસન, રજનીકાંત કે ખૂશ્બુ માતાના મંદિરો ભક્તોથી ભરચક હોય !

'નયા દિન, નઈ રાત'ની વાર્તામાં મગજમાં ઉતરે એવું કાંઈ શોધવા જશો, તો બાકી રહ્યું હશે, એ ય ગૂમાવશો. કૉલેજમાં ભણતી જયા ભાદુરી આનંદ નામના એક યુવાનના પ્રેમમાં હોય છે, પણ તેના કરોડપતિ પિતા ઓમપ્રકાશ એને જબરદસ્તી પરણાવી દેવા માંગે છે. વિરોધ નાકામયાબ સાબિત થતા જયા ઘર છોડીને ભાગે છે ને કરોડપતિ વિધૂર સંજીવકુમાર એને આપઘાતમાંથી પરાણે બચાવે છે. ભારતીય હીરોઈનો લાઈફટાઈમમાં ફક્ત બે જ વાર ''છોડ દો મુઝે... મૈં કહેતી હૂં, છોડ દો મુઝે...'' બોલતી હોય છે. એક તો ઊંચા પર્વતની કિનારી ઉપર અને બીજું, વિલન બળાત્કાર કરવા ઘસડીને લઇ જતો હોય ત્યારે. છેલ્લા ૮૨- વર્ષોથી વર્ષની સરેરાશ ૧૦૦- ફિલ્મો નિયમિત બનતી આવી છે, એ ૮- હજાર ફિલ્મોમાંથી દસ હજાર હીરોઇનોએ આપઘાત કરતા કે બળાત્કાર થતા પહેલા આવી શાયરી ''છોડ દો મુઝે.... મેં કહેતી હૂં, છોડ દો મુઝે...'' .....વિલનની તાળીઓના ગડગડાટ સાથે સંભળાવી છે, પણ હજી સુધી આપઘાતમાંથી એને બચાવનાર એકે ય હીરોએ એની વાત માની નથી અને બળાત્કાર કરવા માંગતા ઉત્સાહી વિલને એની બધી વાતો માનવી પડી છે. અહીંથી એ ભાગે છે તો કોઠેવાલી મૌસી શ્યામા એને ઉલ્લુ બનાવીને પોતાના કોઠા ઉપર લઈ જાય છે. ત્યાં દારૂડીયો સંજીવ ભટકાય છે, બીજા બધા સંજીવકુમારો કરતા આ સંજીવનું ગળું વધારે સારૂં હોવાથી આ એકલો જ રફી સાહેબનું સુંદર છતાં શરાબી ગીત, ''મૈં વો હી, વો હી બાત, મેરે લિયે તો હર દિન, નયા દિન, હર રાત, નઈ રાત'' ગાઈને જયાને સંભળાવે છે. જયાને જેટલું ગીત ગમે છે, એટલો સંજીવ નથી ગમતો એટલે એને છોડીને ભાગે છે, તો રસ્તામાં કોઢી અને રક્તપિત્તીયો સંજીવ મળે છે. એનાથી છુટયા પછી ડાકુ સંજીવ, પાગલખાનાનો વૃધ્ધ ડૉક્ટર સંજીવ, નૌટંકીનો બાયાછાપ કલાકાર સંજીવ... એમ સહુથી ભાગતી-ફરતી જયાને આખારે તેનો અસલી પ્રેમી આનંદ (એ ય સંજીવકુમાર) મળી જાય છે ને પ્રેક્ષકોનો છુટકારો થાય છે.

ઓકે. આ એ જમાનો હતો જ્યારે અગાઉના તમામ સ્થાપિત હીરો-હીરોઈનો ભૂંસાઈ ચૂક્યા હતા. રાજ-દિલીપ અને દેવ તો બહુ પહેલાના ફેંકાઈ ગયા હતા, પણ '૬૦-ના દાયકામાં જે આવ્યા, તેમાંથી એકમાત્ર શમ્મી કપૂરને બાદ કરતા જમાનો એકેયનો શરૂ નહોતો થયો કે ચાલતો ય નહતો. નવાઈ લાગશે પણ '૭૦-ના દાયકામાં સંજયખાન અને સાયરાબાનુનો દબદબો ઠીકઠાક હતો. ખાસ તો, સાયરા પુરબહારમાં ખીલી હતી. ઘાતક ઘટનાઓ એ થયે જતી હતી કે, એક પછી એક તમામ સંગીતકારો આ સમયમાં બહુ શરમજનક રીતે એમના આખરી દિવસો ગણી રહ્યા હતા. આમાં કોઈ અપવાદ જ નથી અને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને બાદ કરતા એકે ય સંગીતકાર એમની પ્રતિષ્ઠા મુજબનો માલ પિરસી શકતો નહતો. બધા હવાતીયાં મારતા હતા. લક્ષ્મી-પ્યારે બીજા હરિફો કરતા સારો માલ બનાવતા હતા, પણ એમની ગૂડવિલ શોભાવે એવો ઘાણ તો એમનો ય નહતો ઉતરતો. આ ફિલ્મમાં મુહમ્મદ રફીનું ગીત અને પછી કિશોર-લતાનું ભજન 'ક્રિશ્ના ક્રિશ્ના...' બહુ મધુરા બન્યા છે. બાકી બધામાં વેઠ ઉતરેલી દેખાય.આપણે ખુશ એ વાત પર થવાનું કે, આ ફિલ્મના સહાયક સંગીતકાર આપણા ગુજરાતના ગૌરવસમા સ્વ. દિલીપ ધોળકીયા હતા.

આઈ.એસ. જોહર ઉઘાડેછોગ કહેતો, ''ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે. એક ખરાબ અને બીજી બહુ ખરાબ.'' આ 'નયા દિન...' બહુ ખરાબમાં ન આવે...! ફિલ્મના દિગ્દર્શકો થિયેટરના પ્રેક્ષકોને કેવા સ્ટુપિડ ધારી લેતા હશે કે, ઘટનાઓમાં કોઈ લૉજીક-બૉજીક ભૂલી જવાનું. જયા પાસે દર નવા દ્રષ્યે કપડાં ક્યાંથી આવી જાય છે ? એ તો ઘેરથી ભાગીને નીકળી હતી ! જયા પાખંડી બાબા સંજીવકુમારને સળીયા વડે ફટકારે છે, એ તમે આસાનીથી જોઈ શકો છો કે, સળીયો મારવાને નામે માત્ર અડાડે છે, એમાં ય પેલો પડી જાય છે. પાગલખાનામાંથી જયા ભાદુરી ભાગે અને બુઝુર્ગ ડૉક્ટર સંજીવકુમાર પોલીસને ફોન કરે, એમાં મારતી-ભાગતી પોલીસ જીપ હાથોમાં ભરી બંદૂકોએ શું કામ પાછળ પડે ? ભારત બહુ મોટો દેશ છે પણ આપણી ફિલ્મોનો હીરો કે હીરોઈન ભાગતા ભાગતા જે ખૂફીયા સ્થળે પહોંચ્યા હોય, ત્યાં જ પોલીસ પહોંચે, બોલો ! વાસ્તવિકતામાં માણસ ગાન્ડો થઈ જાય એટલે એ જીવે ત્યાં સુધી કોઈ એકની એક હરકત જ કરે, જેમ કે જ્યાં ઊભો-બેઠો હોય ત્યાં આકાશમાંથી તારા તોડે, તો એ મરે ત્યાં સુધી આવા કાલ્પનિક તારા જ તોડતો રહે. આપણી ફિલ્મોના ગાન્ડાઓ ગીતો ગાય, ગાન્ડાવેડાં ય કરે, અવનવા તોફાનો કરે કે બાળક જેવી વાતો અને હરકતો કરે, જેવી ડાયરેક્ટરની ઈચ્છા. અસલી ગાન્ડાઓ આવા ન હોય, એ તો તમારામાંથી જે એકાદવાર થયું હશે, એને ય ખબર હશે...! 

ફિલ્મી ગીતોના મુજરાઓમાં બેઠેલા સાજીંદાઓ કેમ આવા પસંદ થાય, જેમને સુર-તાલનું રતિભાર જ્ઞાન ન હોય. જાણકારોને કેમ ન બેસાડી શકાય ? આપણે એટલું સંગીત તો જાણતા હોઈએ કે, જે જોઈએ છીએ એ આંગળીઓ સાઝ પર ફરતી નથી ને તો ય સુર બદલાયે રાખે. હીરો પિયાનો, ગીટાર કે વાંસળી વગાડતો હોય ત્યારે એના સુરતાલ આપણે ભૂલી જવાના.

આવું દારૂડીયાના રોલમાં ય ધ્યાન રખાતું નથી. વાસ્તવિકતામાં પીધેલાઓ ફિલ્મમાં બતાવે છે. એવા નથી હોતા. ચિક્કાર ઢીંચેલાઓની વાત જુદી છે. અહીં તો સંજીવે દારૂ પીને મુહમ્મદ રફી પાસે એક ગીયે ય ગવડાવ્યું છે, ''મૈં વો હી, વો હી બાત...'' ને રફીએ પણ અવાજ પીધેલાનો કાઢ્યો છે. વાત હવે સલામની બની જાય છે કે, રફી સાહેબે કદી ય દારૂ, સિગારેટને હાથ કે હોઠ અડાડયા નથી, પણ ગાવાનું આવે ત્યારે અસલમાં રફીએ પીધો હશે અને હીરો એમની નકલ કરતો હશે, એવી છાપ એમના મધુરા કંઠથી ઊભી થાય !

મુહમ્મદ રફી મકાનો બદલવાના બહુ શોખિન હતા. એ જ્યારે બાંદરા બૅન્ડસ્ટૅન્ડ પર આવેલી 'સી-બર્ડ' ફ્લેટ્સમાં રહેવા ગયા, ત્યાં ઉપરના માળે અભિનેત્રી રેખા રહેતી હતી, જે કાયમી લંડનમાં રહેતા રફી-પુત્ર ખાલિદની બહુ માનિતી હતી. એકવાર લિફ્ટમાં બેગમ બિલ્કીસ (જેને રફી 'અનિસા'ના નામે બોલવતા) સાથે બાપ-દીકરો ઉતરી રહ્યા હતા, ત્યારે કાલા થઈને ખાલિદે અબ્બાને સૂચન કર્યું, ''અબ્બા, અબ યે મકાન નહિ બદલના...'' અમ્મા તરત સમજી ગઈ ને પોતાના શૌહરને પૂછ્યું, ''દેખ લી અપને બેટે કી કરતુત...? વો ક્યું યે મકાન બદલવાના નહિ ચાહતા ? ક્યું કી રેખા યહાં રહેતી હૈ...!'' તો જવાબમાં છોટે મીયાં તો છોટે મીયાં, બડે મીયાં સુબહાન અલ્લા'ના ધોરણે રફી સાહેબે ડબલ-કાલા થઈને કીધું, ''અચ્છા, રેખા ઈસી બિલ્ડિંગ મેં રહેતી હૈ...?'' અમ્મા ચાલાક હતી. લિફ્ટમાં સાથે રફી સાહેબની પુત્રવધુ યાસમિન પણ હતી, જેને અમ્માએ કીધું, ''જોયું ? બાપ ભી બેટે સે કમ નહિ !'' ત્યારે રફીએ દીકરાને મશવરો આપતા મજાકમાં કહ્યું, ''દેખો બેટે... અબ ઈસ બિલ્ડીંગ મેં મેરા વો ગાના કભી નહિ ગાના, ''રેખા ઓ રેખા, જબ સે તુમ્હેં દેખા, ખાના પીના સોના દુશ્વાર હો ગયા...''!

સૉરી યાર... બહુ બકવાસ ફિલ્મ હતી આ !

No comments: