Search This Blog

07/04/2013

ઍનકાઉન્ટર 07-04-2013

* આજ સુધી તમને પૂછાયેલો સૌથી વિચિત્ર પ્રશ્ન ક્યો?
- 'અશોક દવે, તમે સ્માર્ટ છો?' આ સવાલનું પ્રશ્નાર્થ ચિહ્ન મને નડી ગયું હતું.
(હિમાની/શિવાની વોરા, જોરાવરનગર)

* આપણો દેશ ઈઝરાયલ જેવો લડાયક બની શકશે ખરો?
- એક વાર મનમોહનને ત્યાં જઈ આવવા દો... ઈઝરાયલ ઈન્ડિયા જેવું થઈ જશે.
(નૈતિક ઓઝા, ભાવનગર)

* 'બા ખીજાય... બા ખીજાય... બા ખીજાય...!' હવે એ તો કહો બા રાજી ક્યારે થશે?
- એ પૂછવા ગયો એમાં ડબ્બલ ખીજાણા...!
(વિસનજી જાદવજી ધરોડ, મુંબઈ)

* સતત ધ્યાનાવસ્થામાં રહેતા દેવાધિદેવ મહાદેવ કોના ધ્યાનમાં હશે?
- આપણા.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* પરદેશ રહેતી પત્ની ફક્ત ફોનથી સંપર્ક રાખતી હોય એવા ગોરધનને ભાગ્યશાળી કહેવાય ખરો?
- એનો આધાર કોની પત્ની કોનો સંપર્ક રાખે છે, એની ઉપર છે!
(બાબુભાઈ દસાડીયા, ભાવનગર)

* કસાબ-અફઝલને ફાંસી આપી દીધી... સુઉં કિયો છો?
- યસ. કોંગ્રેસે પહેલીવાર થોડું ય કોઈ મર્દાનગીનું કામ કર્યું કહેવાય!
(ઉષ્મા એચ. ઓઝા, ભાવનગર)

* શહેનશાહ અકબરે એના દરબારમાં નવ રત્નો ભેગા કર્યા હતા... અને ડો. મનમોહનસિંઘે?
- 'હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામ-એ-ગુલિસ્તા ક્યા હોગા?'
(સુરેન્દ્ર પારેખ, વલસાડ)

* બિનસાંપ્રદાયિકતા સામે લડવા બાલ ઠાકરે પછીનો ફાલ સક્ષમ છે?
- ઠાકરે સાંપ્રદાયિકતા સામે લડયા હતા... 'બિન' નહીં!
(સાધના નાણાવટી, જામનગર)

* નેતા પધારે ત્યારે રસ્તા સાફ... અને ગયા પછી ખાક... ઐસા ક્યું?
- પનોતિ જાય એનો આનંદ હોય!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* લગ્નના પહેલા વર્ષોમાં જ યુગલો ખુશ હોય છે... પછી?
- ત્યાં સુધી 'એક ગુણ્યા એક, બરોબર બે' હોય છે... પછી દાખલા ખોટા પડી શકે છે!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* હાલ શ્રી અટલબિહારી બાજપાઈ સક્રીય રાજકારણમાં હોત તો?
- અટલજી બોલતી વખતે બે શબ્દો વચ્ચે બહુ લાંબુ અંતર રાખે છે...એ ''મૈં'' બોલ્યા પછી શું બોલશે, એની રાહ જોવામાં ભાજપે બીજાને તખ્તનશીન બનાવી દીધા!
(પિયુષ પી. પટેલ, કલોલ)

* ખેતર છે નહિ ને મારો સાંવરિયો હળનો ભાવ પૂછે છે... આવા માણસને શું કહેવું?
- તમારો હોય તો જાવા દિયો... નહિ તો 'બળદીયો' કહેવાય!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* આપણી ચલણી નોટો ઉપર બાપૂ હસતા કેમ દેખાય છે?
- ફોટો પડાવતી વખતે ફોટોગ્રાફરે 'સ્માઈલ પ્લીઝ' કીધેલું...!
(રાજેન્દ્ર દવે, જીટોડીયા-આણંદ)

* ભ્રષ્ટાચારી નેતાની અવસાન પછી સ્થિતિ શું હોય છે?
- ફક્ત 'નેતા' લખો, એમાં બધું આવી ગયું.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* આપનામાં કોઠાસૂઝ ઘણી હોય એમ લાગે છે. આ અફવા સાચી છે?
- હું અમદાવાદના મ્યુનિ. કોઠા સિવાય કોઈ કોઠામાં જતો નથી. હું એવો માણસ નથી.
(ક્ષમા પાર્થિવ પટેલ, વડોદરા)

* દુષ્કૃત્ય કરનારને રોકવામાં જોખમ છે, છતાં એની સામે અવાજ કેમ ઉઠાવી શકાતો નથી?
- મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી અવાજ પાછો આવી જશે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* આવી કાળઝાળ ગરમીમાં તમે એ.સી.ને બદલે પંખો ચાલુ કરવાનું કેમ કહો છો?
- એ.સી.માં બા ખીજાય છે!
(શશીકાંત મશરૂ, જામનગર)

* હું દર બુધવારે 'બુધવારની બપોરે' નિયમિત વાંચું છું, એટલે મારા ઘરે બુધવારની બપોરે જ લક્ષ્મી પધાર્યા (પુત્રી અવતરી...) સુઉં કિયો છો?
- હવે પછી 'ઍનકાઉન્ટર' ન વાંચશો.
(વિભૂતિ આર. જોશી, કરમલા-સુરત)

* આપણી ભાષામાં 'સાડી સત્તરવાર કીધા'નો ઉલ્લેખ આવે છે... એટલે શું?
- મને 'સાડા બાર' સુધીની જ ખબર છે!
(હરિઓમ જોશી, ભાવનગર)

* સર્જરી કરાવવા સોનિયાજી પરદેશ કેમ જાય છે?
- જાય છે એનું ક્યાં દુઃખ છે...?
(બિપીન બી. પટેલ, ધ્રાંગધ્રા)

* દરેક જીવને પ્રભુએ બે આંખો આગળ જ કેમ આપી છે?
- ચાલવાનું આગળ આગળ હોય છે... પાછળ પાછળ નહીં!
(દેવાંશી/પાર્થ પટેલ, આણંદ)

* સવાલના જવાબો આપનો પટાવાળો આપે છે, એ વાત સાચી?
- આવો સહેલો સવાલ ઘરની કામવાળી પાસે ન પૂછાવાય...!
(નીતા વિજયાનંદ પટેલ, ઉમરેઠ)

* ગાંધીજી તો રાષ્ટ્રપિતા હતા, તો પછી દારૂબંધી માત્ર ગુજરાતમાં જ કેમ?
- અબજોપતિ પોલીસવાળા પણ કેવળ ગુજરાતમાં જ છે ને?
(રણજીતસિંહ ગોહિલ, રાજકોટ)

* દેશના અનેક લોકોના ઘરમાં ટોઈલેટ નથી, પણ મોબાઈલ ફોન છે. એવું કેમ?
- મોબાઈલ બહાર જઈને કરાય...!
(રમેશ આર. સુતરીયા 'ટ્રોવા', મુંબઈ)

* આપના અન્ય લેખોની સરખામણીમાં 'ઍનકાઉન્ટર' જ બેસ્ટ હોવાનું કારણ શું?
- બાકીની બન્ને કોલમોમાં તો વાંચકોએ પણ બુદ્ધિ વાપરવી પડે છે!
(રૂપાભાઈ ચૌહાણ, ઉંદરેલ)

* ભારતની ક્રિકેટ ટીમ જીતે છે, ત્યારે કેમ કોઈ એમની સંપત્તિ વિશે સવાલ ઉઠાવતું નથી? હારે ત્યારે જ કેમ?
- સવાલ ઉઠાવો... કે નીચે પછાડો... સાંભળે છે કોણ?
(કૌશલ પટેલ, ધોરાજી)

No comments: