Search This Blog

08/09/2013

ઍનકાઉન્ટર 08-09-2013

* સમ્રાટ અશોક તો મહાન હતો...તમે ?
- હું સમ્રાટનો ય બાપ છું. મારા પુત્રનું નામ 'સમ્રાટ' છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આપણા દરેક ભગવાન પાસે એક પશુ-પક્ષી કેમ હોય છે ?
- અર્થ એવો થયો કે, આપણા તો પશુ-પક્ષીઓ પાસે ય એક એક ભગવાન હોય છે.
(મંજૂલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)

* પુરૂષોની ભ્રમરવૃત્તિ કહેવાય તો સ્ત્રીઓની કઇ વૃત્તિ ?
- ફ્લિટવૃત્તિ... ઊડતા ભમરા ઉપર ફ્લિટ પંપ છાંટવાની વૃત્તિ.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* શું તમે એકે ય વખત પર્સનલી ભૂત જોયું છે ?
- અરીસો જોઇ લઉં છું.
(દીપા સોની, અમદાવાદ)

* ગૅસ કે ઍસિડીટી મટાડવાની જાહેરાતો કેટલી સાર્થક ?
- ગૅસ માટે અદાણીને પૂછો. બાકી મારા ઘરમાં મારા માટે જે ચા બને છે, તે 'ઍસિડીટી' કહેવાય છે. ઇંગ્લિશમાં મારૂં ટૂંકું નામ ACD છે... આથી મારી T 'ને' 'ઍસિડીટી' કહે છે.
(જીગ્નેશ પટેલ, કઠલાલ)

* આપણા દેશના ઢોંગી બાવાઓ હવે હદ વટાવવા માંડયા છે... એમને રોકી ન શકાય ?
- દરેક બાવો એક વિરાટ 'વૉટ બૅન્ક' છે. એમના ભક્તસમુદાયની સંખ્યા દરેક રાજકીય પક્ષને નાલાયક બનાવે છે.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ)

* પ્રેમમાં નાસીપાસ થયેલાઓ માટે આપનો કોઇ સંદેશ ?
- આવાઓ મારી નજરમાંથી ઉતરી જાય છે, અરે, પ્રેમ રીક્ષા જેવો છે... એક જતી રહે તો પાછળ બીજી આવતી જ હોય !
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* ગુજરાતના શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે અમારે આપને 'બિરબલ ઍવોર્ડ' આપવો છે...
- એને બદલે રોકડાની વ્યવસ્થા કરો ને, ભ'ઇ !
(નવનીત વી. પરમાર, રાજકોટ)

* દેવ આનંદના પુસ્તકમાં મુહમ્મદ રફીનું નામ જ કેમ નહિ ?
- બંને વચ્ચે મનદુઃખ ચોક્કસ થયું હતું, પણ બંને પરફૅક્ટ જૅન્ટલમૅન હતા. એકબીજાને જલિલ કરવાને બદલે ચૂપ રહીને કેવી સજ્જનતા દાખવી !
(રમેશ મીશ્રીમલ જૈન, અમદાવાદ)

* આપણું મગજ લાખો મૅગાબાઈટ્સ મૅમરી સંગ્રહી શકે છે, પણ ખરે વખતે યાદશક્તિ ગૂમ કેમ થઈ જાય છે ?
- આમાં તમારે મને જે પચ્ચી લાખ આલવાના છે, એ ભૂલી ન જશો !
(વિનોદ એ. મોદી, અમદાવાદ)

* ગત ૨૧ ડીસેમ્બરે પૃથ્વીનો વિનાશ થવાનો હતો, તે ન થયો...હવે ?
- કૉંગ્રેસ સરકાર છે ને સામે માયકાંગલો ભાજપ છે, ત્યાં સુધી પૃથ્વીનું જાવા દિયો... આપણે ભારતના વિનાશની રાહ જોવાની !
(તેજસ હાલાણી, અમદાવાદ)

* ફિલ્મો કે ટીવીમાં વિલનો કે રાક્ષસો અટ્ટહાસ્ય જ કેમ કરતા હોય છે ?
- હીરોલોગ કરતા આ લોકો દાંત વધુ ચોખ્ખા રાખતા હોય છે.
(યોગેશ દવે, આદિપુર-કચ્છ)

* આપના એક 'ઍનકાઉન્ટર'ની બાજુમાં પેટના દુઃખાવાના ચૂરણની જાહેર ખબર પણ છપાઇ હતી. તેનું શું કારણ ?
- ઇન ફૅક્ટ, જાહેર ખબરોની બાજુમાં અમારા લેખો છપાય છે, માટે અમારી કૉલમો ચાલે છે !
(ડૉ. મનોજ વાસન, જૂનાગઢ)

* તમારા પત્ની તમારા માટે કદી ફિલ્મી ગીતો ગાય ખરા ?
- ચોક્કસ ગાય, પણ કાઠીયાવાડી ઉચ્ચારોમાં, દરેક શબ્દ ઉપર મીંડા મૂકીને, દરેક ફિલ્મી ગીત ત્રણ તાળીઓ પાડતા પાડતા માતાજીની આરતીના ઢાળમાં ગાય. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે, દરેક ગીત પૂરૂં થયા પછી 'કેવું ગાયું ?'નો ઘણી શ્રધ્ધાથી મારે જવાબ આપવો પડે છે.
(તપસ્યા ધોળકીયા, અમદાવાદ)

* જયા બચ્ચન અને રેખા રાજ્યસભામાં, યૉર કૉમૅન્ટ, પ્લીઝ.
- પરમેશ્વરે અમિતાભ ઉપર ખાસ્સી દયા કરી કહેવાય....કેટલી શાંતિ એને ?
(ભરત જી. ભૂસડીયા, સુરેન્દ્રનગર)

* સીતા અને રામ, રાધા અને શ્યામ....તમારે કેમનું છે ?
- અમારે હવે બધું, 'જે સી ક્રસ્ણ.'
(મનુ પંડયા, મુંબઈ)

* કોઈ ગુજરી જાય ત્યારે એના, 'રામ રમી ગયા' બોલાય છે. મરવાને રામ સાથે શું સંબંધ ?
- હિંદુઓના કોઇપણ ભગવાન વિશે ગમે તે બોલો, કોઇ ચિંતા નહિ. કૃષ્ણ, મહાદેવ કે મહાવીરવાળો એટલું જ વિચારશે, 'આપણે કેટલા ટકા ?'
(નરેન્દ્રગીરી ગોસ્વામી, અમદાવાદ)

* એક આંખમાં દયા અને બીજી આંખમાં કરૂણા હોય તો શું સમજવું ?
- મોતીયો.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સ્કૂલ-કૉલેજની પરીક્ષાઓ સાર્થક ખરી ?
- હવે નહિ. હવે તમારા પિતાશ્રી પાસેથી કેટલા ખંખેરી શકાય એમ છે, એના ઉપર સાર્થકતા નિર્ભર છે.
(મનાલી અશોક મેહતા, મોરબી)

* હિંદી ફિલ્મોમાં હવે છુટથી ગાળો બોલાવા માંડી છે. શું મનોરંજન પણ નિર્દોષ નથી રહ્યું ?
- બેશરમ આપણો યુવા વર્ગ કહેવાય... આવી ફિલ્મોનો વિરોધ કેમ નથી કરતો?
(મસઉદ લક્ષ્મીધર, મહુવા)

* ફાંસીની સજાના કેદીઓને ફાંસી માટેના વિલંબનો ખર્ચો સંસદમાં બેઠેલાઓ પાસેથી કેમ વસૂલવો ન જોઈએ ?
- તમે બહુ ગુસ્સામાં લાગો છો. એ લોકોને પણ ફાંસીવાળા કેદીઓ પાસેથી મોડું મરવાના હપ્તા વસૂલવા હોય ને ?
(કુસુમ/અશોક જમોડે, જૂનાગઢ)

* નમે તે સહુને ગમે કે નમો તો ગમે ?
- બંને અવસ્થા બધાને ગમે એ જરૂરી છે.
(ડૉ. મનહર વૈષ્ણવ, અમદાવાદ)

* ભારતીય પ્રજાનો મીજાજ, 'ટૂંકમાં પતાવો'નો રહ્યો છે. આમાં ભ્રષ્ટાચાર દૂર થવાના ચાન્સીઝ કેટલા ?
- આમાં 'ભ્રષ્ટાચાર' પણ ટૂંકમાં પતાવવાની વાત આવી ગઈ !
(સાધના પી. નાણાવટી, જામનગર)

* અશોક દવે, આપ લાખોપતિ છો કે કરોડોપતિ ?
- હકીપતિ.
(સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

* માણસ, વાંદરા અને ગધેડાને સીંગડા કેમ નથી હોતા ?
- રખાવીને તમારે કામે ય શું છે ?
(ભારતી દેસાઈ, અમદાવાદ)

* પ્રેમિકા સ્વાર્થી અને મતલબી હોય છે. આપનો અનુભવ શું કહે છે ?
- આવી સ્ત્રી મારા સુધી પહોંચી પણ ન શકે !
(સાદીકઅલી માકડા, ગારીયાધાર)

No comments: