Search This Blog

01/09/2013

ઍનકાઉન્ટર - 01-09-2011

* પરમેશ્વર પાણી આકાશમાંથી અને અનાજ જમીનમાંથી મોકલી આપે છે, છતાં સરકાર એ બન્નેના પૈસા આપણી પાસેથી કેમ લૂંટે છે ?
- લૂંટે તો આપણને જ લૂંટે ને ! એ લોકો અંદરોઅંદર થોડી લૂંટફાટ મચાવે ?
(સપના સુરેશ ઠક્કર, મુંબઈ)

* પહેલા આખો દિવસ વાત કરવાનો ફોનમાં ચાર્જ એક રૂપિયો થતો, આજે એક ફોનનો એક રૂપીયો થાય છે. શું કરવું ?
- ફ્રીજમાં મોંઢું રાખીને વાત કરો તો રૂપિયો ય નહિ લાગે !
(કપિલ જે. સોતા, મુંબઈ)

* પ્રજા સુખી તો રાજા સુખી. કેટલું સાચું ?
- મને એ કહો કે, તમે મને પ્રજામાં ગણ્યો છે કે રાજામાં !
(શ્રેયા ઠક્કર, મુંબઈ)

* 'ટૉપલૅસ' અને 'હૉપલૅસ' વચ્ચે શો ફરક ?
- બન્ને 'શૅઇમલૅસ' છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* જીવનમાં બધું હોવા છતા બધે અંધારૂં જ લાગતું હોત, તો શું કરવું ?
- ટયુબલાઇટ ચાલુ કરવી.
(જીતેન્દ્ર કેલ્લા, મોરબી)

* 'ઍનકાઉન્ટર'માં આજ સુધી પૂછાયેલો સર્વોત્તમ સવાલ કયો ?
- ઢૂંઢતે રહ જાઓગે....!
(કેશવ કક્કડ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલો સાદા પોસ્ટકાર્ડ પર જ કેમ ? આંતરદેશીય પત્ર કે કવરમાં કેમ નહિ ?
- તમને મની ઑર્ડર સાથે મોકલવાની છુટ.
(બીપિન ગરાસીયા, નાર-પેટલાદ)

* જન્માષ્ટમીના પવિત્ર દિવસે લોકો જુગાર કેમ રમે છે ?
- જુગારે ય પવિત્ર જ છે ને, ભાઇ ! ન હોત તો પાંડવો શું કામ રમતા હોત ?
(ઓમકાર જોશી, ગોધરા)

* આપ અમિતાભ બચ્ચનથી અંજાઇ ગયા લાગો છો, નહિ તો સંજીવ કુમાર વધુ સારો ઍક્ટર હતો !
- ધીમેથી બોલો....કોઇ સાંભળી જશે તો આખા વલસાડ-બંધનું ઍલાન ઠોકશે!
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

* શહેરમાં વાંદરા જોવા લોકો ટોળે કેમ વળી જાય છે ?
- 'ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર, દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે ?'
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* 'પ્રાણ જાય પર વચન ન જાય'... એવું પહેલાના વખતમાં હતું. આજે ?
- આજે ય એ જ છે...ફેરફાર પ્રાણ પૂરતો છે....બીજાના પ્રાણ જાય તો ભલે જાય, પણ એણે વચન ન તોડવું જોઇએ.
(મોના જે. સોતા, મુંબઈ)

* તમારા હસ્તે 'સહનશક્તિ'નો કોઇને ઍવૉર્ડ આપવો પડે એમ હોય તો કોને આપો ?
- 'ચૅન્નઈ એક્સપ્રૅસ' ફક્ત દસ મિનિટ સુધી પણ જોઇ શકનારાને !
(વિનુ ભટ્ટ, બાબરા-અમરેલી)

* કહેવાય છે કે, પડોસીને પ્રેમ કરો. આપની સલાહ ?
- મફતમાં જે થતું હોય એ કરી લેવું. કિંમત મોટી ચૂકવવાની ન આવે, એ જોવું.
(મફત પ્રજાપતિ, રાજકોટ)

* "An apple a day, keeps doctor away" કહેવતમાં ડૉક્ટરોને અન્યાય નથી ?
- કહેવત સાચી હોત તો, દુનિયાભરના ડૉક્ટરોની વાઇફો રોજ અથાણાંને બદલે ઍપલ ખાતી હતી !
(મહેશ માંકડ, અમદાવાદ)

* તમને વરસાદમાં ભીંજાવું ગમે ? ગમતું હોય તો બા ખીજાતા નથી ?
- બાના ખીજાવાનો આધાર હું કોની સાથે ભીંજાઇને આવ્યો છું, એના ઉપર છે. એકવાર વાઇફ સાથે ભીંજાઇને આવ્યો ત્યારે બહુ ખીજાણા હતા....!
(ડૉલી વ્યાસ, નડિયાદ)

* ''મૈં અન્ના હૂં''વાળી ટૉપીઓ ક્યાં અદ્રષ્ય થઇ ગઇ ?
- આખા ય ભારતમાં ફક્ત આ કૉલમમાં અન્ના અને કેજરીવાલ વિશે સહુને ચેતવ્યા હતા કે, આ બન્ને ફૂગ્ગાઓ છે....!
(રીતેશ જી. ત્રિવેદી, મોડાસા)

* કાચિંડો ચોમાસામાં રંગ બદલે અને માણસ...?
- કાચિંડો બેવકૂફ છે. માણસ પાસેથી કાંઇ શીખ્યો હોત તો કામ આપણું કરવાનું, રંગ બીજા પાસે બદલાવવાનો !
(કાયલ/પૂજા ભાટીયા, વીંછીયા-જસદણ)

* 'નસીબ આડે પાંદડું'.....પણ એ પાંદડું કેળનું હોય તો ?
- ભોગ તમારા !
(કિશોર વ્યાસ, ઘોઘા)

* ઘણી હૉટેલોમાં ડિનર વખતે ઝાંખો પ્રકાશ કેમ રખાય છે ?
- ખાવામાં કાંઇ પડયું-બડયું હોય તો ગ્રાહક ઊંચો થઇ ન જાય !
(મૌલિક ગઢીયા, રાજકોટ)

* 'વૅલૅન્ટાઇન ડે'ના રોજ પ્રેમિકાને ગુલાબનું ફૂલ જ કેમ અપાય છે...બીજું કાંઇ કેમ નહિ ?
- બાપાનો બગીચો હોય તો ફૂલના કુંડા ય મોકલાય !
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

* પુરૂષ કરતા સ્ત્રીઓ ચેહરા વધુ યાદ કેમ રાખી શકે છે ?
- પોતાના શિકારનો ચેહરો યાદ રાખવાની દરેક ગૂન્હેગારની જવાબદારી છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ભગવાન પ્રસન્ન ક્યારે થાય ?
- આપણે પ્રસન્ન હોઇએ ત્યારે.
(રમાકાંત વી. પટેલ, વડોદરા)

* મુંબઇની ટ્રેનોની હાડમારીનો કોઇ ઉપાય ?
- એકાદી ટ્રેન ખરીદી લો.
(અરવિંદ પી. પંડયા, ભાઇંદર)

* પરીક્ષામાં ઉચ્ચ ગુણો મેળવનારા સ્માર્ટ વિદ્યાર્થીઓ ડૉક્ટર-ઍન્જીનીયર બનવા માંગે છે, રાજકારણી કેમ નહિ ?
- એ લોકો એટલા સ્માર્ટ નથી હોતા !
(ભૂષણ ત્રિવેદી, વાંકાનેર)

* લગ્ન અને યુધ્ધ વચ્ચે શું ફરક ?
- એટલી ય ખબર ના પડતી હોય તો બન્ને માંડી વાળો, ભ'ઇ !
(ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા)

* તમને દગો કરી જનાર વ્યક્તિને તમે કઇ રીતે મૂલવો છો ?
- હું એનું મૂલ્યાંકન પણ કરૂં, એટલી મૂલ્યવાન એ રહી ન હોય !
(સ્વાતિ પટેલ, વડોદરા)



No comments: