* મોહન ભાગવતજીની
ઈચ્છા આખી દુનિયા 'ભારત માતા કી જય' બોલે એવી છે, પણ પહેલા
૧૨૫-કરોડ ભારતીયો પાસે તો 'જય' બોલાવો!
- ભાગવતજીએ આવું
કહ્યું હોય, એની મને ખબર
નથી પણ કીધું હોય, તો ખોટું શું
છે? ૧૨૫-કરોડમાંથી જે લોકો ભારતીયો છે, એ સહુ તો બોલે જ છે.
(મનોજ ગાંધી, રાજકોટ)
* વિજય માલ્યા
માટે શું માનો છો?
-મારે માનવાનું કાંઈ નથી... ફક્ત એની ઈર્ષા કરવાની છે.
(મિતુલ રામપરીયા, સુરત)
* પહેલાના
સમયમાં બિરબલ અને તેનાલી રામા જેવા હસાવનારા હતા... આજે કોણ?
-રાહુલ ગાંધી.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)
* આપણા બધા જ્યોતિષીઓને ગોલ્ડ-મેડલ કોણ આપે છે?
-એ લોકો દયાળુ છે કે, 'ભારત રત્ન'નું લેબલ જાતે લઈ નથી લેતા!
(કૃતાર્થ આઈ. વૈષ્ણવ, રાજકોટ)
* રમુજ-રમુજમાં કોઈ
વાત દિલમાં ઉતરી જાય અને આપના વાચકોને કાયમ યાદ રહી જાય એવી કોઈ વાત...?
-લખી નાંખો, 'અશોક દવે બ્રિલિયન્ટ છે.'
(સંદીપ ભટ્ટ, અમદાવાદ)
* આંધ્ર પ્રદેશે
ત્યાંના બ્રાહ્મણો માટે ₹ ૧૦૦-કરોડ ફાળવ્યા. સુઉં કિયો છો?
- ગુજરાતનો એક
બ્રાહ્મણ તો એક કરોડમાં ય માની જાય એવો છે...
(દીપક એસ. માછી, વડોદરા)
* ઓસ્ટ્રેલિયાને
ક્રિકેટમાં 'કાંગારૂ' કહેવાય છે.
ન્યુઝીલેન્ડને 'કિવી' અને વેસ્ટ
ઈન્ડિઝને કેરિબિયન, તો ભારતીય
ટીમને...?
-ભારતીયોને 'વિરાટ' કહેવાય.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
* જીવનમાં કરવા
જેવું અને નહિ કરવા જેવું કામ કયું?
-લગ્ન.
(રહીમ મલકાણી, ભાવનગર)
* આજના જમાનામાં
લાગણીનું પ્રમાણ કેમ ઘટી ગયું હશે?
- પૂરો પગાર ઘેર
આપવાનું રાખો... નહિ ઘટે!
(દીપક પંડયા, બિલિમોરા)
* દિવસે દિવસે
પ્રજાનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠતો કેમ જાય છે?
- મોદી સિવાય
વડાપ્રધાન બનાવા માટે તમારી દ્રષ્ટિએ લાયક હોય, એવું એક નામ આપો... કોઈ પણ પાર્ટીમાંથી!
(મિરલ વાઘેલા, જૂનાગઢ)
* અનેક ભારતીયોને
અમેરિકા જઈને વસવાનું મન છે. અમેરિકામાં એવું શું છે, જે ભારતમાં નથી?
-સ્વચ્છતા.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* વિરાટ કોહલીની
સફળતા માટે એની પાછળ કોણ છે?
- મોટે ભાગે તો
દુશ્મન ટીમનો વિકેટ કીપર એની પાછળ ઊભો હોય છે.
(પ્રણવ કારીયા, મુંબઈ)
શું બ્રહ્મચર્યનું
પાલન ફક્ત પુરુષોએ જ કરવાનું હોય છે?
-હા. સ્ત્રીઓનું કામ કરાવવાનું હોય!
(વૈભવ અંધારીયા, ભાવનગર)
* પહેલાના વડિલો
બોલતા પહેલા સો વખત વિચાર કરવાનું કહે.... તમે કેટલી વખત વિચારો છો?
-હું વડિલ થઉં, પછી વિચારીને
કહું.
* મારે IAS બનવું છે, પણ મારા પપ્પા
મને ડૉક્ટર બનાવવા માંગે છે. શું કરવું?
- બડોં કી બાત
કા બુરા નહિ માનતે, પગલે...!
(સાહિલ પટેલ, ગાંધીનગર)
* 'ભારત માતા કી જય' ન બોલે, એ ભારતમાં
રહેવાને લાયક નથી. તમે શું કહો છો?
- હા, પણ બીજો એકે ય દેશ એમને, ત્યાં રહેવા દે એમ નથી.
(કુ. દધિચી ડી.ગોહિલ, ઉમરેઠ)
* નરેન્દ્ર મોદીએ
કહ્યું હતું કે, જો તમે
૧૨-કલાક કામ કરશો, તો હું
૧૩-કલાક કામ કરીશ. કારણ કે પ્રધાનમંત્રી નહિ, પણ 'પ્રધાન-સેવક' છે. તમે શું કહો છો?
- હું તો બહુ
લાગણીપ્રધાન છું.
(રિધ્ધિ પટેલ, ચિખોદરા)
* પાકિસ્તાનની ટીમ
આવીને પઠાણકોટ હુમલાની તપાસ કરે, એ કેટલી હદે
વ્યાજબી કહેવાય?
- આપણે કાંઈ
મહાત્મા ગાંધીની હત્યાની તપાસ માટે પાકિસ્તાનથી ટીમ બોલાવી?
(હરદીપસિંહ ઝાલા, રાજકોટ)
* ચીને આપણી સાથે જધન્ય ગૂન્હો કર્યો છે.
દરેક ચીની વસ્તુ ખરીદવાનો દેશવાસીઓએ બહિષ્કાર કરવો જોઈએ કે નહિ?
- આપણો તો
બહિષ્કારે ય ચાયનીઝ પ્રોડક્ટ જેવો હોય... 'ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!'
(નીલેશ કણજરીયા, જામનગર)
* તમે બૉલીવૂડમાં કેમ ઝંપલાવતા નથી?
- હાસ્ય લેખક
તરીકે ૪૪-વર્ષથી ચાલુ છું... ત્યાં ૪-મહિનામાં ય ઘેર પાછા આવતા રહેવું પડે!'
(સોહમ બી. દવે, અમદાવાદ)
* તમને રાષ્ટ્રપતિ
બનાવવા માટે હું ભલામણ કરું?
- એક ધૂળજી લાવી
આપો ને, ભ'ઈ...! ભલે પછી હું એને રાષ્ટ્રપતિ બનાવીશ!
(ડૉ. મયંક છાયા, અમદાવાદ)
* આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ઉપરવાળાએ આટલી બધી
બુધ્ધિ આપી, એના બદલે એક
ટકો ઓછી આપી હોત, તો કેટલા બધા
અક્કલમઠા સચવાઈ જાત!
- સીધું કહો ને, આઈન્સ્ટાઈને કોંગ્રેસમાં જોડાવા જેવું હતું...!
(ઘનશ્યામ ડી. પટેલ, મીરા રોડ)
* નોકરી કે ધંધો, બેમાંથી સારું શેમાં?
- તમે નરેન્દ્ર
મોદી હો તો નોકરી અને વિજય માલ્યા હો તો ધંધો.
(પ્રજ્ઞોશ પંડયા, મહિસાગર)
No comments:
Post a Comment