1 સ્ત્રીઓ કરતા પુરુષો વધારે ખોટું બોલે છે. સુઉં કિયો છો?
- હા. તમે જુઠ્ઠું બોલ્યા છો.
(ભરત ડી. સાંખલા, ડીસા)
2 આપણા નેતાઓ પાસે એકબીજાને ગાળાગાળી કરવા સિવાય બીજો કોઇ ઍજન્ડા નથી?
- ગુજરાત કોંગ્રેસ પાસે અત્યારે ઉજળી તકો છે, મતદારોને પોતાના કરવાની, પણ મોદી સિવાય બીજું કાંઈ બોલતા જ આવડતું નથી. સત્તા પર આવો તો તમે શું કરી શકો એમ છો, એ તો કહો. અત્યારે તો એમ લાગે છે કે, શબ્દ કોષમાંથી ‘મોદી’ કાઢી નાંખો તો આ લોકો પ્રજાને ‘હેલ્લો’ પણ કહી નહિ શકે.
(બી.જે. પરમાર, તરેડ-મહુવા બંદર)
3 બધા હાસ્યલેખકો બ્રાહ્મણો છે... બીજો વ્યવસાય કેમ નહિ?
- જે ઊંચાઈ અન્યોએ વિચારી પણ ન હોય, ત્યાં શાસન કરવાની બ્રાહ્મણોને ફાવટ છે. હાસ્યલેખન જ નહિ, તમે જોઈ જુઓ, ભારતના મોટા ભાગના વડાપ્રધાનો બ્રાહ્મણો હતા. અમિતાભ બચ્ચન પણ બ્રાહ્મણ છે.
(નીલકંઠ વજીફદાર, વલસાડ)
4 ગુપ્તદાનનો મહિમા કેમ ઘટવા લાગ્યો છે?
- મને કરો... વધી જશે.
(હારૂન ખત્રી, જામ ખંભાળીયા)
5 ‘વહુના લક્ષણ બારણામાંથી’, એ કહેવત આજના સંદર્ભમાં કેટલી યથાર્થ?
- એકલી વહુઓ શું કામ...? કેટલી સાસુઓ જમાઈને પુત્ર અને વહુને દીકરી ગણે છે? ડોબાઓએ પોતાના ભવિષ્ય માટે પણ વહુ કે જમાઈને હાથ પર રાખવા જોઈએ, જેથી વૃઘ્ધાવસ્થામાં તમે ખાટલે પડ્યા હો, ત્યારે આ જ લોકો કામમાં આવશે.
(અરિવંદ આર. પટેલ, જામનગર)
6 શું તમારા સાસરે તમને ‘અશોક કુમાર’ કહે છે?
- ....... હજી બેવકૂફ જમાઈઓ પોતે નામની પાછળ ‘કુમાર’ કહેવડાવવાનો આગ્રહ રાખે છે. સાલાઓમાં શિક્ષણ નામનું રહી ગયું છે. સાસરે અમુક માનપાન તો મળવા જ જોઈએ, એવા બેવકૂફીભર્યા ખયાલોમાં રાચે છે. મારા સાસરે તો મારી સાળીઓ-સાળાઓ આજે પણ મને તુંકારે બોલાવે છે. હું વહાલથી મારા સાસુના ખોળામાં સુઈ જતો અને મારા સસુરજી (કે ઇવન પિતાશ્રી) સામે સિગારેટ પણ પીતો. ક્યાંય મારૂં માન ઓછું થયું નથી.
(કાજલ પટેલ, નડિયાદ)
7 તમે ટીવી પર જોવા મળો છો, ફિલ્મોમાં કેમ નહિ?
- યૂ સી... મારી પાસે ઈ.સ. ૨૦૧૫ સુધી તો શૂટિંગ માટેની કોઈ ડૅટ્સ જ નથી. યૂ નો!
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ-વિસાવદર)
8 પેલા રણછોડભ’ઈ મફાભ’ઈ પટેલને કેમનું છે?
- જેન્તી જોખમ અને પરવિણ ચડ્ડી જેવું જ.
(જે.કે. ઝાંઝમેરા, ભાવનગર)
9 તમારા જીવનને મહેંકતું રાખે, એ રહસ્ય શું છે?
- હું દરેકને એના વ્યક્તિત્વ મુજબ પૂરતું માન આપું છું... અપમાન હજી સુધી તો કોઈનું કર્યું નથી.
(ચેતન એચ. પટેલ, અમદાવાદ)
10 ‘કોઈ પંખો ચાલુ કરો’, ‘જવાબ પૂરો’, ‘ગોરધન’ અને ‘બા ખીજાય...’ તમારા આ તકીયા-કલામો રજીસ્ટર્ડ કરાવી લો છો કે હું કરાવી લઉં?
- રણછોડભ’ઈ મફાભ’ઈ પટેલને પૂછી જુઓ.
(પરેશ વી. સલોત, ડોમ્બીવલી)
11 ડૉક્ટર, વકીલ કે એન્જીનીયરો બનાવતી અનેક સંસ્થાઓ છે, માનવ બનાવતી એકેય સંસ્થા છે?
- તે આ પ્રશ્ન તમે કોને પૂછ્યો છે?
(જયેશ અંતાણી, ભાવનગર)
12 છેલ્લા વરસાદમાં તમારા પત્ની મોરની જેમ નાચ્યા હતા?
- માંડમાંડ પડતો વરસાદ ડરનો માર્યો સાવ પડવાનું ભૂલી જાય, એવા સવાલો ન પૂછો!
(અસલમ ગામેતી, વંથલી-જુનાગઢ)
13 શાંતિના દૂત કહેવાતા કબુતરો ય ચણતી વખતે એકબીજાના સાથે મારામારીઓ કેમ કરે છે?
- કારણ કે કબુતરો છે. કોંગ્રેસીઓ કે ભાજપીઓ હોત, તો બઘું ચણી લીધા પછી બધા સંપીને કહેત, ‘‘અમે તો કાંઇ ખાઘું જ નથી!’’
(ઝૂબૈદા યૂ. પૂનાવાલા, કડી)
14 શું આપણા દેશમાં લોકશાહી છે?
- ગાલી મત દો...!
(મનસુખ જતાપરા, મદાવા-જસદણ)
15 પ્રજા ઝંખે છે, એવો એકે ય નેતા દેશમાં છે કે નહિ?
- આમંત્રણ આપવાની તમારી સ્ટાઈલ ગમી!
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર)
16 ઑલિમ્પિકમાં છ મૅડલો જીતીને આપણે ‘‘ઈતિહાસ રચ્યો...!!!’’ આ હિસાબે અમેરિકા અને ચીન શું રચતા હશે?
- ઉત્તમ રાજવ્યવસ્થા.
(રજનીકાંત મણીયાર, રાજકોટ)
17 કેશુબાપાની ‘પરિવર્તન પાર્ટી’ના ઉદય થતા પહેલા જ અસ્ત થતો કેમ દેખાય છે ?
- મોદી સિવાયનો એક મુદ્દો તો હોવો જોઈએ ને? લોકો વૉટ કઈ આશાથી આપે?
(હરસુખ વ્યાસ, રાજકોટ)
18 સાસરે જતા પહેલા યુવતી રડે છે કેમ?
- ગયા પછી સાસરીયાઓ ન રડે માટે.
(વિમલ ચંદારાણા, વડોદરા)
19 લગ્ન પ્રસંગે સ્ત્રીઓના હાથમાં મહેંદી કેમ મૂકાય છે?
- મોંઢા ઉપર સારી ન લાગે માટે.
(શ્રીમતી ઈન્દુ ચંદારાણા, વડોદરા)
20 સતત પોતાનું ભલું ઈચ્છતો માણસ અંતે તો દુઃખી જ કેમ હોય છે?
- એ દુઃખી બુઃખી તમે હશો... અમારે તો આ વખતે દિવાળીમાં ઘૂળજી દેસમાં જવાનો નથી... ઢીંકાચીકા... ઢીંકાચીકા... હુઈ હુઈ..!
(શ્રીમતી ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)
21 કોલસાની દલાલીમાં હાથ કાળા, એ કહેવત તમામ કોંગ્રેસીઓને લાગુ પડી ગઈ... હવે?
- હાથ તો જવા દિયો... મોંઢા કાળા થયા તો ય શરમ કોને છે?
(પ્રશાંતવદન વોરા, ભાવનગર)
22 ‘‘લાખ લાખ અભિનંદન’’ કહેવાય છે, પણ અભિનંદન તો એક આપો કે લાખ, શું ફરક પડે છે?
- સવાલ પૂછવા માટે તમારો ‘‘અડધો’’ આભાર.
(કિશોર વ્યાસ, ઘોઘા)
23 ગમે તેવો અર્થ વગરનો મુદ્દો ઉઠાવીને અવારનવાર સંસદ ખોરવી કેમ નાંખવામાં આવે છે?
- થોડી ગેરસમજ થાય છે. ખોરવી નાંખવામાં ‘સંસદ’ નથી આવતી, એનું સત્ર આવે છે... કાશ એ સંસદ હોત!
(વિશનજી ઠક્કર, થાણા)
****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : ‘એનકાઉન્ટર’,
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)
No comments:
Post a Comment