Search This Blog

23/11/2012

ઝનક ઝનક પાયલ બાજે

જો તુમ તોડો પિયા, મૈં નાહી તોડું રે

ગીતો 

૧...ઝનક ઝનક પાયલ બાજે, પાયલીયા કી રૂનક... આમિરખાન સાહેબ
૨...કૈસી યે મુહબ્બત કી સઝા..... લતા મંગેશકર
૩...રૂત બસંત આઈ વન ઉપવન....?
૪...હમેં ગોપગોવાલા કહેતે હૈ, કોઈ નટવર ગીરધર...મન્ના ડે
૫...સૈંયા જાઓ, તોસે ન બોલું....લતા મંગેશકર
૬...નૈન સો નૈન નાહિ મિલાઓ, દેખત સૂરત, આવત...લતા-હેમંત કુમાર
૭...સુનો સુનો જી, મેરે રસિયા, મનબસિયા...લતા મંગેશકર
૮...ઉઘડત નવરસ રંગ, ઢંગ, લય, ગત.....લતા મંગેશકર
૯...મેરે અય દિલ બતા (૨) પ્યાર તૂને કિયા, પાઈ મૈંને...લતા મંગેશકર
૧૦...સીતા બનકો ચલી.....લતા-મન્ના ડે
૧૧...છિયોરામ છિયોરામ, રંગ રંગ કી ચુનરી પ્યારી...મુહમ્મદ રફી-સાથી
૧૨...બના ધરતી ગગન તેરા ગૂંજેગા ઘર.....
૧૩...જો તુમ તોડો પિયા, મૈં નાહિ તોડું રે, તોરી પ્રીત...લતા મંગેશકર
ગીત નં. ૨ અને ૪ ના ગીતકાર દીવાન શરર : ગીત નં. ૧૦ : દીપક : ફિલ્મના ટાઈટલ્સમાં ઉલ્લેખ નથી, પણ વિશ્વામિત્ર-મેનકા નૃત્ય, વિરહિણી નૃત્ય તેમ જ સન્તુર નૃત્યમાં કંઠ આશા ભોંસલેનો છે. 


ફિલ્મ : ઝનક ઝનક પાયલ બાજે (’૫૫)
નિર્માતા : રાજકમલ કલામંદિર
નિર્દેશક : વ્હી. શાંતારામ
સંગીત : વસંત દેસાઈ
ગીતો : હસરત જયપુરી, દીવાન શરર, દીપક
રનિંગ ટાઈમ : ૯-રીલ્સ (ડબલ)
થીયેટર : મોડેલ (અમદાવાદ) 

કલાકારો : સંઘ્યા, ગોપીકૃષ્ણ, કેશવરાવ દાતે, મદનપુરી, મનોરમા, ચંદ્રકાંતા, ચૌબે મહારાજ, નિમ્બાલકર, નાના પળશીકર, મુમતાઝ બેગમ અને મા. ભગવાન. 

વ્હી. શાંતારામની (મારા ય જન્મના દસેક વર્ષ પહેલાની) ફિલ્મ ‘દુનિયા ન માને’ બનાવીને મને એમનો કાયમી ભક્ત બનાવી દીધો હતો. હજી હાથ જોડીને સજેસ્ટ કરૂં છું કે, કાળા ચોરના ઘરેથી પણ મળતી હોય તો ફિલ્મની સીડી મંગાવીને જોઈ લેજો, આવી ઉત્તમોત્તમ ફિલ્મો આખી લાઈફમાં તમે માંડ બે-ચાર કે ચાર-પાંચ જોઈ હોય. એ ફિલ્મથી ય એના એન્ટી-હીરો કેશવરાવ દાતે (કે.દાતે) નો હું પર્મેનૅન્ટ ચાહક થઈ ગયો હતો અને ફિલ્મ ‘નવરંગ’માં (હીરો મહિપાલના પિતાનો રોલ) એ જ દાતેએ મારા પૂરતું સાબિત કરી દીઘું હતું કે, હું જેનો ચાહક હોઉં, એ બેશક ચાહવા જેવી હસ્તી હોય ! 

શાંતારામની જ આ ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં કે.દાતેએ મને ફરીવાર ખુશ કરી દીધો. રીતસર અશોક કુમારના લેવલનો આ કલાકાર અભિનયનો સર્વાંગ સુંદર હીરો હતો. એ કમનસીબી આપણી કે, આપણી બાકીની હિંદી ફિલ્મોમાં એ આવ્યા નહિ અને આવવું હશે તો કોઈએ આવવા દીધા નહિ હોય... લૉસ તો આપણને થયો ને ? 

એવો બીજો લૉસ શાંતારામે નહિ, એમની વાઈફ સંઘ્યાએ કરાવ્યો. આટલી પરફેક્ટ ડાન્સર હીરોઈન પણ વ્હી. સિવાય બહારની ફિલ્મોમાં કામ જ ન કર્યું, નહિ તો એ સમયની નૂતનો કે મીના કુમારીઓથી સંઘ્યા સવા ઈંચ પણ કમ નહોતી. વ્હી.ની જ ફિલ્મ ‘તીન બત્તી ચાર રસ્તા’માં કાળી ભઠ્ઠ હીરોઈન બનવા છતાં મેદાન મારી ગઈ હતી. 

‘ઝનક ઝનક...’માં હીરો અનકન્વેન્શનલ છે, ગોપીકૃષ્ણ. ફિલ્મની વાર્તા નૃત્યગીતો ઉપર આધારિત હોવાથી અહીં દેવ આનંદ કે રાજ કપૂરો ન ચાલે, ગોપીકૃષ્ણ જ જોઈએ. અહીં ગોપીનું બહુવચન ‘કૃષ્ણો’ એટલા માટે નથી કર્યું કે, ગોપીકૃષ્ણ કેવળ એક જ હોય અને એક જ હતો... ધી વન એન્ડ ઓન્લી. નૃત્ય નિર્દેશક તરીકે તમે એમનું નામ અનેક ફિલ્મોના ટાઈટલ્સમાં વાંચ્યું હોય, પણ હીરો તરીકે એમની આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી... જો કે, છેલ્લી હતી, એ સારૂં પણ થયું કારણ કે, હીરો તરીકે ગોપીકૃષ્ણ ફક્ત આ એક જ ફિલ્મમાં ચાલી શકે એમ હતું. પેલી દેવ આનંદ કે રાજ કપૂરોવાળી ફિલ્મોમાં પાછા ગોપીભ’ઈ ય ના ચાલે. કારણ એ છે કે, અત્યંત ખૂબસુરત ચેહરો અને શરીરનું ફિગર પરફેક્ટ હોવા છતાં ભારતીય શાસ્ત્રોક્ત નૃત્યમાં પડેલા પુરૂષ કલાકારો મહીંથી ગમે તેટલા મર્દ હશે, પણ બહારથી સાવ સ્ત્રૈણ્ય લાગે. એમની ચાલ, બોલવાના લહેકા કે તમારી સામે જોવાની રીતભાત ઓલમોસ્ટ સ્ત્રીઓ જેવી હોય. ચાલમાં તો મોટે ભાગે એ અસર આવી જ જાય છે. વ્હી.ની કોઈપણ ફિલ્મ યાદ કરી જુઓ... હીરો સાલા પોણીયા જેવા-સ્ત્રૈણ્ય પ્રકૃતિના જ લીધા હોય ! વ્હી. શાંતારામ પોતે ય કોઈ મહાન હીરો નહોતા-સર્જક મહાન ખરા, પણ હીરો બનવા જાય ત્યારે એમનો અભિનય અને અંગભંગીઓ સ્ત્રૈણ્ય રહેતી. (વ્હી. એટલે ‘વાનકુદ્રે’. શાંતારામ રાજારામ વાનકુદ્રે.) વ્હી પાછા દેવ આનંદ સ્ટાઈલના ડાયરેક્ટર હતા. દેવ આનંદ ઍક્ટર તરીકે સારો પણ દિગ્દર્શક તરીકે ગાંવની બહાર મૂકી આવવો પડે. કારણ કે, પોતે જે અંદાજ (આપણી ભાષામાં, સ્ટાઈલો)થી સંવાદો બોલાવે, તે ફિલ્મના તમામ કલાકારો પાસે ય એમ જ બોલાવે. વ્હી.નું ય એવું જ હતું, પરિણામે દરેક કલાકારના હાવભાવ બહુ નહિ, ઘણાં લાઉડ દેખાય. જેમ કે, હીરોઈન દુઃખમાં હોય તો ચેહરાનું એકેએક અંગ રડતું લાગવું જોઈએ. છલકાવવાનો પ્રેમરસ હોય તો નૈણો ઊંચી નીચી કરવાની, હોઠ દબાય દબાય કરવાના, આંખોના ભાવો શ્રુંગારથી છલકાવતા રહેવાના... વગેરે વગેરે.

ફિલ્મના હીરો ગોપીકૃષ્ણ છે. ગોપીકૃષ્ણ બનારસ ઘરાણાના કથ્થક નૃત્યોના પંડિત છે. જન્મ તા. ૨૨ ઓગસ્ટ, ૧૯૩૫ કલકત્તામાં. મતલબ, આ ફિલ્મના હીરો તરીકે એમની ઉંમર ફક્ત ૨૦ વર્ષની હતી. ગોપીજી બહુ નાની એટલે કે, ૫૯ ની ઉંમરે તા. ૧૮ ફેબુ્રઆરી, ૧૯૯૪ના રોજ ગૂજરી ગયા. માત્ર ૧૭ વર્ષની ઉંમરે, ૧૯૫૨માં મઘુબાલાને ફિલ્મ ‘સાકી’ના નૃત્ય ગીતોનું નિર્દેશન આપી ગોપીકૃષ્ણ સૌથી નાની ઉંમરે નૃત્ય નિર્દેશક બની ગયા. યસ. હવે, આજની પેઢીનું જો કોઈ આ લેખ વાંચતું હશે તો ખુશ થશે કે, રેખાની ફિલ્મ ‘ઉમરાવજાન’ના નૃત્યો રેખાને ગોપીજીએ કરાવ્યા હતા. ગોપીકૃષ્ણનો એક વર્લ્ડ રેકોર્ડ આજેય કાયમ છે. સળંગ ૯ કલાક અને ૨૦ મિનીટ કથ્થક નૃત્ય કરતા રહેવાનો ! ગોપીકૃષ્ણે ’૫૪માં સાવિત્રી સાથે લગ્ન કર્યા અને ૧૯૮૧માં એમને ઘેર ઘોડીયું બંધાયું. ‘શમ્પા સોન્થાલીયા’ નામની દીકરી હમણાં ટીવી પર ‘ઝલક દિખલા જા’ શોમાં ફર્સ્ટ રનર અપ તરીકે વિજેતા બની હતી. 

ફિલ્મની હિરોઈન સંઘ્યા (મૂળ નામ, વિજયા એસ. દેશમુખ) એની ફિલ્મો : અમર ભૂપાલી, પરછાંઈ, તીન બત્તી ચાર રસ્તા, ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારહ હાથ, નવરંગ, સ્ત્રી, સેહરા, લડકી સહ્યાદ્રી કી, જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી, અને પિંજરા. ૧૯૯૮માં બોબી દેઓલ અને નેહાની ફિલ્મ ‘કરીબ’માં કહે છે કે, સંઘ્યા હતી. મેં એ ફિલ્મ જોઈ છે, પણ મને યાદ નથી આવતું એમાં સંઘ્યા કઈ હતી ? 

પ્રેમ-પ્રેમ-પ્રેમના ફાંકા મારતા આજના કે ગઈ કાલના યુવક-યુવતીઓને તો ‘પ્રેમ કેવો મહાસાગર છે ?’ એ ફક્ત સંઘ્યાના અસલી જીવનના પ્રેમને જોઈને સમજવા જેવો છે... સમજવો હોય તો ! સંઘ્યા વ્હી. શાંતારામની ત્રીજી પત્ની હતી. પહેલી પત્નીનું મોટે ભાગે તો વિમલાબાઈ નામ હતું. બીજી જયશ્રી (જેની દિકરી હીરોઈન રાજશ્રી છે) અને ત્રીજી આ સંઘ્યા. જયશ્રીથી રાજશ્રી ઉપરાંત તેજશ્રી પણ દીકરી. એવી જ રીતે, પંડિત જસરાજના પત્ની ‘મઘુરા’ શાંતારામના દીકરી. હજી આગળ બાકી છે. ચારૂશીલા, પ્રભાતકુમાર અને સરોજની. કેટલા થયા ? છ સંતાનો થયા ? તો, ‘દો આંખે બારહ હાથ’નો મેળ પાકો બેસી જાય છે. રહી બે આંખો, જે એમણે આ જ ફિલ્મમાં આખલા સાથે જીવસટોસટની ફાઈટિંગના શૂટિંગમાં ગુમાવી હતી, જે ફિલ્મ ‘નવરંગ’ સુધીમાં પાછી આવી ગઈ હતી. 

કલાકારો કે સર્જકો એમની કલા અને સર્જનશક્તિ લગ્ન બહારની લાઈફમાં પણ બતાવતા હોય છે. શાંતારામે ય રાજ કપૂરો, દિલીપ કુમારો કે દેવ આનંદોથી કમ નહોતા. સ્ત્રીઓના મામલે આમના ય મામલા ચારેકોર ફિટ રહેતા. યાદ હોય તો સ્મિતા પાટીલની ફિલ્મ ‘ભૂમિકા’ મરાઠી હીરોઈન હંસા વાડકરની આત્મકથા પરથી ઉતરી છે. એમાં અમોલ પાલેકરવાળો અસલી જીવનનો રોલ શાંતારામનો કહેવાય છે. ‘કૂવે કૂવે નહાવા બેસતા શાંતારામને ઓળખવા છતાં સંઘ્યાએ પોતાનું સમગ્ર આયખું શાંતારામના ચરણોમાં સમર્પિત કર્યું છે. (સંઘ્યા હજી હયાત છે.) એક તો, નખશીખ કલાકાર હોવા છતાં, પતિ સિવાય બહારની કોઈ ફિલ્મ સંઘ્યાએ કરી નથી- દેવ આનંદની પત્ની કલ્પના કાર્તિકની માફક. બીજું, એ હયાત હતા ત્યારે પણ શ્રૂંગારની આટલી શોખિન આ સ્ત્રીએ આજ દિન સુધી તમામ ઘરેણાં કે મોંઘાદાટ વસ્ત્રો ત્યાગીને કેવળ સફેદ સાડીમાં જીવન ગાળ્યું છે... (તાકી, જમાને કી બુરી નઝર ન લગ જાયે...?) અને વ્હી. જીવતા હતા કે ગૂજરી ગયા પછી પણ સંઘ્યા કદી ય જાહેરજીવનમાં આવી નહિ... એ તો હજી હમણાં શાંતારામના જ સુપુત્ર (પણ સંઘ્યાના નહિ!) કિરણ શાંતારામે ફિલ્મ ‘નવરંગ’ ૫૦ વર્ષ પૂરા થયા, તે નિમિત્તે સંઘ્યાને એક મોટો એવોર્ડ આપીને બહુમાન કર્યું, ત્યારે આપણા જેવા ચાહકોને આટલા વર્ષે સંઘ્યાનો ફોટો જોવા મળ્યો. એક કલાકાર તરીકે તો શાંતારામથી અંજાઈને એ એની ‘એ વખતે નાજાઈઝ) પ્રેમિકા અને પછી જાઈઝ પત્ની બની હતી. આ જ ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં શાસ્ત્રીય નૃત્યો શીખવા પોતાનાથી ઘણી નાની ઉંમરના ગોપીકૃષ્ણ પાસે તાલીમ લીધી અને તાલીમ પણ કેવી આકરી ? આ વાંચતા તમે વિચારી ન હોય એવી રોજની ! 

યસ. બાય ઓલ મીન્સ.. કલાના શોખિનોએ આજે પણ સંઘ્યા-ગોપીકૃષ્ણના બેનમૂન નૃત્યો માટે આ ફિલ્મ જોવી જ જોઈએ નહિ, જોવી જ પડે. આજની ફિલ્મોની વાત જાવા દિયો, પણ આપણા જમાનાની ફિલ્મોમાંય આવા કલાસિકલ-ડાન્સ કઈ ફિલ્મમાં જોવા મળ્યા ? એમાંય, ગોપીનું શિવતાંડવ અને બન્નેનું વિશ્વામિત્ર- મેનકા નૃત્ય તો શુક્ર કરો ભગવાનનો કે હજી ડીવીડીઓમાં સચવાયા છે. 

શાંતારામની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં કલા આપણા ગુજરાતી કનુ દેસાઈની હોય. વ્હી. મોટે ભાગે આઉટડોર શૂટીંગ નહોતા કરતા, એટલે ફિલ્મની તમામ ઘટનાઓ માટે સેટ્‌સ બનાવવા પડે. કનુભાઈના સેટ્‌સ મનમોહક રંગોવાળા જ નહિ, પ્રસંગને અનુરૂપ હોય. ફિલ્મ ‘નવરંગ’ યાદ કરી જુઓ. 

અને આ ફિલ્મ ‘ઝનક ઝનક પાય બાજે’ તો નૃત્ય પ્રધાન હતી અને એ ય કલાસિકલ નૃત્યોથી બનેલી. સ્વાભાવિક છે, સંગીત પણ એ જ કક્ષાનું હોય ! વસંત દેસાઈ કનુ દેસાઈની જેમ ગુજરાતી નહોતા, મહારાષ્ટ્રીયન હતા. સ્વ. ઈંદિરા ગાંધીના ૨૦ મુદ્દાના કાર્યક્રમની ખુશામત કરતા ગીતોનું રેકોર્ડીંગ કરાવીને પોતાના ફલેટમાં પાછા ફરતા હતા એમાં ઉપર પહોંચી ગયા પછી લિફ્‌ટ અચાનક ધડાકા સાથે નીચે પછડાઈ. એમાં એક જમાનાના બોડી-બીલ્ડર વસંત દેસાઈ ઘટનાસ્થળે ગૂજરી ગયા. 

પણ એમની તમામ ફિલ્મોની જેમ એમનું સંગીત આસમાનની ઊંચાઈઓને અડે એવું આહલાદક હતું. ‘ઝનક ઝનક...’ના તમામ ગીતો વસંત દેસાઈની પ્રતિષ્ઠાને છાજે એવા મઘુરાં હતા. જીવ ત્યાં બળી જાય છે કે, મુહમ્મદ રફી સાહેબનું એક અત્યંત દુર્લભ ‘ધોબી-ગીત’ ‘‘છિયોરામ... છિયોરામ, રંગ રંગ કી ચુનરી પ્યારી યે ફૂલવારી મસ્ત હવા મેં ઉડાના ઉડાના...’’ પ્રયત્નો કરવા છતાં મળતું નથી. ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે. અફકોર્સ, મેદાન મારી જાય છે, લતા મંગેશકર જેનું ‘જો તુમ તોડો પિયા, મૈં નાહી તોડું રે...’ (જે પાછળથી અમિતાભ-રેખાની ફિલ્મ ‘સિલસિલા’માં ય લતાએ ગાયું હતું.) એના અંત ભાગમાં લતાએ આપણને તેની કેપેસિટી બહાર લાગે, એવા ઊંચા તારસપ્તકમાં ગાયું છે. લતા-હેમંતના, ‘‘નૈન સો નૈન નાહી મિલાઓ...’’ ને તો કોઈ વખાણની જરૂર જ ન પડે, એવું ગળચટ્ટું ગીત છે. 

તો એવું શું હતું આ ફિલ્મમાં કે, પિટ-કલાસના પ્રેક્ષકો પિટાઈ ગયા પણ કલાને સમજનારો ને માણનારો આપણે ત્યાં આખો કલાસ જુદો છે, એવા પ્રેક્ષકોએ મન ભરીને આ ફિલ્મ માણી. નૃત્યગુરૂ આદરણીય સ્વ. ગોપીકૃષ્ણ સ્વયં એના હીરો હોય, એટલે ફિલ્મમાં નૃત્યો જોવામાં તો કેવા રંગો છલકાયા હશે ? એમાંય, આ ફિલ્મ ટેકનિકલર હતી, જેનો ખર્ચો ઈસ્ટમેન કલરની ફિલ્મો કરતા ઘણો વધારે આવે. આ ફિલ્મની ડીવીડી પણ વ્હી. શાંતારામના ડાયહાર્ડ ચાહક સુરતના શ્રી ભરત દવેએ મોકલાવી છે. સમગ્ર ભારતમાં સૌથી મહાન ગણાતા નૃત્યવિદ (કે.દાતે) તેમના સુપુત્ર ગોપીકૃષ્ણ ઉપર મોટો આધાર રાખીને બેઠા છે, નૃત્યની આ કલાને ઊંચા શિખરે લઈ જવા માટે. પોતે ગુરૂ છે, એટલે શિસ્ત તો પ્રથમ પ્રાયોરિટી હોય અને દ્રઢપણે માને છે કે, શિષ્ય સાધના પૂરી થતા પહેલા પ્રેમમાં પડવો ન જોઈએ. ગોપી સંઘ્યાને શીખવવાની ઘૂનમાં એના પ્રેમમાં પડી જાય છે ને કાકાનો ગુસ્સો સાતમાં આસમાને ! પોતાના પ્રેમી અને એક પિતાના પુત્રની સાધના ભંગ ન થાય અને દેશનોં આખરી કિર્તીમાન ‘ભારત નટરાજ’નો ખિતાબ ગોપી જીતી જાય, એ ખાતર પ્રેમનું બલિદાન આપવા સંઘ્યા ગોપીને છોડીને જોગન બની જાય છે. પછી તો ફિલ્મોમાં અંત તો સુખદ લાવવો પડે, એટલે ફિલ્મના અંતે બઘું સારાવાના થાય છે.

No comments: