Search This Blog

25/11/2012

ઍનકાઉન્ટર - 25-11-2012

1 સ્ત્રીને ગૃહલક્ષ્મી કહે છે, તો પુરૂષને ?
- એને અંબાણી કહો કે ઘૂળજી, હાલત એની એ જ રહે છે.
(ઓમકાર જોષી, ગોધરા)

2 યુપીએ સરકારનું જહાજ કોણ ડૂબાડશે ? રાહુલ, વાડ્રા, સલમાન, દિગ્વિજય
- સ્ટોપ ઈટ. કેટલા નામ લખશો ?
‘બર્બાદ ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લુ કાફી હૈ,
હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામે ગુલિસ્તા ક્યા હોગા ?’
(ડૉ. વી. પી. કાચા, અમદાવાદ)

3 તમને ઊંઘમાં બોલવાની બીમારી ખરી ?
- છે તો નહિ, પણ થઈ જાય તો સારૂં. માણસને ઘરમાં ક્યારેક બોલવાની છૂટ તો મળવી જોઈએ કે નહિ ?
(રક્ષા ઉપાઘ્યાય, અમદાવાદ)

4 તમારૂં ફેવરિટ મૂવી અને ગીત ક્યું ?
- નાગેશ કુકુનૂરનું ‘ડોર’ અને ગીત તો બદલાતું રહે. હમણાંની ફિલ્મ ‘વીકી ડૉનર’નું સુકન્યા પુરકાયસ્થે ગાયેલું ‘પાણી દા, રંગ વેખ કે...’ ખૂબ્બ ગમ્યું છે.
(સ્નેહ ભાવસાર, અમદાવાદ)

5 ‘લાખ રૂપિયાની ‘નેનો’ કે સવા કરોડની BMW, બન્નેમાં પેટ્રોલ રૂ. ૮૦/-એ લિટર જ...?’
- આમાં વાઈફો જેવું હોય છે. ઘરમાં ફિટ કરાવેલી વાઈફ કૅટરિના કૈફ જેવી લાગતી હોય કે કચ્ચરઘાણ લાગતી હોય... લોહી સરખું જ પીએ !
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

6 આપણી પાર્લામેન્ટમાં જ્ઞાતિ-જાતિ કે સ્ત્રી-પુરૂષ જેવી અનામતો રાખવાને બદલે બુદ્ધિ, શિક્ષણ, કલ્ચર કે પોલીસખાતામાં સ્વચ્છ રૅકોર્ડ જોઈને સીટો રખાતી હોય તો ?
- આ બધી કચરાપટ્ટી અનાથાલય ચલાવવાના ય કામમાં ન આવે.. દેશ તો બહુ દૂરની વાત છે ! (બીજા કોઈ ‘મોઢવાડિયા’ને ઓળખતા હો તો પૂછી જુઓ !)
(કરસન મોઢવાડિયા, પોરબંદર)

7 મુસલમાનોને સૌથી વઘુ નુકસાન કોંગ્રેસે અને હિંદુઓને ભાજપે પહોંચાડ્યું છે. તમે સુઉં કિયો છો ?
- હિંદુઓને ભાજપ જેટલું નુકસાન કોંગ્રેસે નથી પહોંચાડ્યું. કમ-સે-કમ, કોંગ્રેસ ઉઘાડેછોગ મુસ્લિમ તરફી તો છે...!
(ભાલચંદ્ર એમ. દવે, અમદાવાદ.)

8 સંસદસભ્યો કે ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં ૫૦- ટકા ય કાપ મૂકાય, તો દેશને કેટલી રાહત રહે ?
- એ લોકો તો કેમ જાણે દેશને રાહતો આપવા ત્યાં ગયા હશે, નહિ ?
(જયંત છિછિયા, રાજકોટ)

9 આપણી પાર્લામેન્ટે હમણાં ૬૦ વર્ષ પૂરા કર્યા.... શું એનામાં ઉંમર પ્રમાણે મૅચ્યોરિટી આવી છે ?
- અમારા બાળ-સાપ્તાહિક ‘ઝગમગ’ને લગતા સવાલો ત્યાં જ પૂછવા.
(ઝરા અનુરાગ દવે, અમદાવાદ)

10 ‘યુનો’ ભારત-પાકિસ્તાન વિવાદનો ઉકેલ કેમ લાવી શકી નથી ?
- વિવાદ હોય તો ઉકેલ લાવે ને ? કાશ્મિર ભારતનું જ છે, એમાં વિવાદ શેનો વળી ?
(સૌરભ પરમાર, કરજણ)

11 તમે અશોક ‘દવે’ તરીકે આટલા વિખ્યાત છો તો ‘દેવ’ થયા પછી કેટલા થશો ?
- તારી ભલી થાય ચમના.. ! તમે તો ઘણા બધાના દિલની વાત કરી દીધી !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

12 તમને જીન મળે તો દેશના ઉદ્ધાર માટે શું માંગો ?
- બસ... કાળા ચોરને દેશનો વડો પ્રધાન બનાવી નાંખ, પણ આને કાઢ...!
(ઓવી સાગર, રાજકોટ)

13 લાઈફમાં સુખી થવા માટે શું દુઃખી થવું અનિવાર્ય છે ?
- એ તો જે દુઃખી થયું હોય, એને ખબર પડે !
(રમેશ સુતરીયા, મુંબઈ)

14 તાળી બે હાથે પડે પણ તમાચો એક જ હાથે કેમ ?
- બે હાથના તમાચા જાતે ખાવાના કામમાં આવે !
(દિનેશ જોષી, દહીંસર)

15 માં દીકરાને સો વર્ષનો થવાના આશિષ કઈ ગણત્રીથી આપે છે ?
- ઘરના સહુ પોતાનું મૃત્યુ ભલે જુએ, પણ પોતાને કોઈનું જોવું ન પડે, એ ગણત્રીથી !
(નિકુલ શાહ, પૂના-મહારાષ્ટ્ર)

16 આપના નારણપુરામાં કૂતરાઓનો ત્રાસ કમ કરવા શું કરો છો ?
- હવે એ લોકો આપણી પાછળ નથી પડતા... નવીનક્કોર ગાડીના રૂફ પર બેસી જાય છે, એ બઘું સાફ કરવામાં સાલો ટાઈમ ક્યાં જતો રહે છે, એની જ ખબર પડતી નથી. બોલો !
(પારસ એલ. મારૂ, અમદાવાદ)

17 આપણા દેશનું રાષ્ટ્રીય પીણું ક્યું ?
- ગુજરાતમાં બીતા બીતા પીવું પડે એ.
(રાજેન્દ્ર ડી. શાહ, અમદાવાદ)

18 આજ સુધી તમે પત્નીથી ક્યો રાઝ છુપાવી રાખ્યો છે ?
- એ જ કે, એને હું પત્ની ગણુ છું.
(અજય વ્યાસ, બિલખા)

19 બેસણાંની જાઠખમાં ‘ફર્મ’ લખવાનો મતલબ શું ?
- તમારી વાંચવામાં ભૂલ થાય છે. એ ‘કન્ફર્મ’ લખ્યું હોય છે, જેથી વાંચનારાને ધક્કો પડવાની બીક ના રહે !
(સલમા જી. મણીયાર, વિરમગામ)

20 મારા પતિ છે તો સાવ સીધા, પણ એણને મોતીયો ઊંધો આવે છે, એનું કારણ શું ?
- મોતીયો સીધો આવે કે વાંકા વળી જાય, એ પાછું તમને નહિ ગમે !
(જાગૃતિ ગોસ્વામી, પોરબંદર)

21 ચાદરથી વઘુ લાંબા પગ કરવા માટે શું કરવું જોઈએ ?
- ટુવાલ ઓઢીને સુવું.
(પ્રબોધ જાની, વસઈ-ડાભલા)

22 અંગ્રેજીના પ્રભાવમાં આપણે હિંદી કેમ ભૂલતા જઈએ છીએ !
- કેમ જાણે ગુજરાતીના તો આપણે બાદશાહો હોઈએ...!
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

23 મેનકા ગાંધી વર્ષોથી સંસદમાં ચૂંટાય છે, પણ માણસોની ચિંતા કરવાને બદલે જીવજંતુ કે પશુપક્ષીઓની ચિંતા કરે છે. આપનો અભિપ્રાય ?
- આમે ય, પશુપક્ષીઓ સિવાય એમનું સાંભળે એવું કોઈ છે ય નહિ !
(સાધના નાણાવટી, જામનગર)

24 દેશ માટે અણછાજતી વાતો કરનારા ફિલ્મી હીરો ઉપર કડક પગલાં કેમ ભરાતા નથી ?
- એકલી સરકાર જ શું કામ ? આપણી પ્રજા ય આવી હીરો પાછળ ગાંડી થઈ જાય છે ને ?
(મહેશ વી. વ્યાસ, પાલનપુર)

25 ‘બોલે તેના બોર વેચાય’ ને ‘ન બોલવામાં નવ ગુણ’નો મતલબ ?
- અરવિંદ કેજરીવાલ અને મનમોહન.
(હુસેન હૂઝેફા મર્ચન્ટ, નાસિક)

26 અશોકજી, તમારા પછી ‘ઍનકાઉન્ટર’ની ખુરશી પર કોણ બેસે એવું લાગે છે ?
- આ બધી ખુરશીઓ હૅરકટિંગ સલૂન જેવી હોય છે... એક ખાલી થઈ પછી ભરાતી જ હોય છે !
(તસનીમ હકીમુદ્દીન વ્હોરા, ગોધરા)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

No comments: