Search This Blog

09/12/2012

ઍનકાઉન્ટર 09-12-2012

1 ઘણા સરકારી કર્મચારીઓ રજાને દિવસે પણ ઑફિસે આંટો કેમ મારી આવતા હશે ?
- ઘેર બેઠા ખર્ચો ને ઑફિસે આવક....!
(મઘુકર પી. માંકડ, જામનગર)

2 .....ચારે બાજુ નિર્મલબાબા જેવાના કૌભાંડો ટીવી પર આવે રાખે છે....આપનો અભિપ્રાય ?
- કાશ....એમાંનો એક ‘અશોકબાબો’ હું હોત....!
(ચાર્વી નિર્મેશ બલવાણી, અમદાવાદ)

3 પૂર્વ કેન્દ્રીયમંત્રી નારાયણ તિવારીને આખરે નાજાઇઝ ઔલાદ સ્વીકારવી કેમ પડી ?
- એમના નામે અનાથાશ્રમો બંધાય, એના કરતા આ એકમાં પતે એ સારૂં.
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

4 તમારે અમિતાભના ‘ચીની કમ’ કે ‘નિઃશબ્દ’ જેવું થઇ જાય તો શું કરો ?
- બન્ને ફિલ્મો બેશક સારી હતી, પણ એમની થીમ સાથે હું સહેજ પણ સહમત નથી. દીકરીની ઉંમરની છોકરીને મળીને પિતાતુલ્ય વાત્સલ્ય જ ઊભરાવું જોઇએ.
(ડૉ. દીપક સી. ભટ્‌ટ, બોડેલી)

5 પ્રેમમાં પરીક્ષા હોય છે, પણ પરીક્ષામાં પ્રેમ કેમ નથી હોતો ?
- બન્ને વ્યવસ્થામાં ‘પાસ થવું’ જરૂરી હોય છે, માટે.
(વૃત્તિ અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

6 પરદેશ જવાનું ખૂબ વધી કેમ ગયું છે ?
- ‘ઈમ્પોર્ટેડ’ માલ વાપરવા કરતા ઇમ્પૉર્ટેડ ‘બનવામાં’ વટ વધારે પડે !
(ભાવના અનિલ કારીયા, મુંબઇ)

7 શિયાળામાં તો સમજ્યા, પણ ઉનાળામાં પણ શૉલ ઓઢાડીને સ્વાગત કરવાનો શું મતલબ ?
- મેં સમાજને સૂચનો કર્યા જ છે કે, હવે નવા જમાના પ્રમાણે શૉલને બદલે લૅપટૉપ, BMW કે ફ્રીજ ઓઢાડો....મારે ઘેર તો શૉલના ગાદલે-ગાદલાં ભરાઇ ગયા છે !
(ડૉ. નિષ્મા પી. નાણાવટી, જામનગર)

8 લંડનના મૅડમ તુસાડ્‌ઝના મ્યુઝિયમમાં ‘અશોક દવે’નું સ્ટૅચ્યૂ ક્યારે મૂકાશે ?
- અચ્છા અચ્છા...તો આ લોકો હવે ગમે તેના સ્ટેચ્યા મૂકવા માંડ્યા છે...એમ ?
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

9 મારા પતિને સન્યાસમાં રસ છે, મને સંસારમાં. તમે એમને કાંઇ સમજાવો !
- તમારો ગોરધન કરોડો કમાશે, એમાં તમને વાંધો શું છે ?
(ચેતના પંડ્યા, ભાઇંદર-થાણા)

10 સારી પત્ની મેળવવા પુરૂષે ક્યું વ્રત કરવું જોઇએ ?
- શું કામ પણ તમારે કોઇની તૈયાર પત્ની જોઇએ છે....?
(પંકજ કે. દવે, ગોધરા)

11 કોઇપણ નિર્ણય લેતા વડાપ્રધાન ખચકાટ કેમ અનુભવે છે ?
- મગજ તોતડાય છે.
(રિતેશ સુખડીયા, ખંભાત)

12 ધીમે ધીમે માણસની માણસાઇ ઘટી રહી છે, તેનું કારણ શું હશે ?
- ‘ગૂગલ’માં તપાસ કરો.
(ભદરૂ કાનજીભાઈ, ગોલગામ)

13 બીજાની મજબુરીનો લાભ ન લે, એવો માણસ ક્યાંય હશે ?
- આવો સવાલ એવા સ્ટુપિડને શું કામ પૂછો છો ?
(સુનિલ નાણાવટી, રાજકોટ)

14 ઘર જમાઈએ કોના આદેશો માથે ચઢાવવા ? પત્ની કે સાસુ-સસરાના ?
- બૅગર્સ હૅવ નો ચૉઈસ.
(દિલીપ ધંઘૂકીયા, અમદાવાદ)

15 પત્નીઓ ૧૬-૧૬ કલાક સુતી રહે તો વિશ્વશાંતિ થાય કે નહિ ?
- થતી હશે, પણ એ બધીઓને જુદી જુદી સુવડાવવી....!
(વંદિત નાણાવટી, રાજકોટ)

16 પત્ની પિયર જાય તો ગોરધન ખુશ કેમ થતો હશે ?
- ખુશ તમારી બાજુ થતા હશે....અમારી બાજુ તો ગાન્ડા થયાના દાખલા છે !
(મીના નાણાવટી, રાજકોટ)

17 ઘરઆંગણે શાકભાજી ઊગાડવાથી મોંઘારત ઓછી થઇ શકે ?
- વધારે ઊગાડો તો ગામમાં પોતાની લારી ય ફેરવી શકાય !
(ડૉ. બી.એમ. મહેતા, વડોદરા)

18 પેટ સાફ કરવાના ચૂરણોની જાહેરખબરો વાંચીને શું નિર્ણય લેવો ?
- ચૂરણ લીધા પછી, યોગ્ય સ્થળ પગવગું છે કે નહિ તેનો !
(હિતેન્દ્ર જી. તાડ, અમદાવાદ)

19 ભક્તોની ભીડ શ્રાવણ માસમાં જ થવાનું કારણ શું ?
- દરેક ધર્મમાં ધાર્મિકોએ પોતે એક સગવડ ઊભી કરી છે...૧૧-મહિના પાપો કરવા અને બારમે મહિને બીજાને બતાડવાનું પ્રાયશ્ચિત !
(ભાનુ જી. સોની, અમદાવાદ)

20 મારી પ્રેમિકા નાલાયક હતી, માટે મને છોડી ગઇ હશે કે એને બીજું મળી ગયું હોય માટે ?
- જેને એકવાર પણ પ્રેમ કર્યો હોય, એને વિશે કદી ખરાબ શબ્દો વિચારવા પણ ન જોઇએ. કાયમી સંબંધો તો ઇશ્વર સાથે ય ટકતા નથી ત્યાં માણસ શું ચીજ છે ?
(શિરીષ પટેલ, અમદાવાદ)

21 અન્ના હજારે કેમ ચૂપ થઇ ગયા ?
- એ મીડિયાએ બનાવેલો હીરો હતો. પ્રજાને મૂરખ અન્ના કરતા ઇલેકટ્રોનિક્સ-મીડીયાએ વધારે બનાવી છે.
(જીનેશ મહેતા, જામનગર)

22 નાનપણના દોસ્ત માટે ‘લંગોટીયો મિત્ર’ કહેવાય છે, તો નાનપણની સખી માટે ?
- મારી એવી સખીને તો હું પરણી ગયો છું, એટલે એ સબ્જૅક્ટ વિશે બોલવાની મારામાં હવે હિંમત નથી.
(મીના પી. સ્વામી, વલ્લભ વિદ્યાનગર)

23 મૉડૅલ્સ માટેના રૅમ્પ-વૉકના સ્ટૅજ ઊંચા કેમ રાખવામાં આવે છે ?
- બઘું જોવાની તક મળે.
(પરેશ નાયક, નવસારી)

24 પુરૂષોને સ્ત્રીઓ જેટલો અસરકારક અભિનય કરતા કેમ આવડતું નહિ હોય ?
- સ્ત્રીને એક ફાયદો ઇશ્વરે મોટો આપ્યો છે....બેતહાશા જુઠ્‌ઠું બોલી શકવાનો !
(અજય પી. પંચાસરા, રાજકોટ)

25 ગૂન્હેગારોના અને પીડિતોના મોંઢે કપડું ઢાંકવામાં આવે છે...આમાં સમાચાર ક્યાં કહેવાય ?
- સમાચાર કોને કહેવાય, એ એ લોકો નક્કી કરતા હોય છે.
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

26 ફાયદાકારક શું વધારે ? બોલવું કે ચૂપ રહેવું ?
- એનો આધાર તમે પતિ છો કે પત્ની....એની ઉપર છે.
(સેજલ સોલંકી, આટકોટ)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

No comments: