Search This Blog

19/12/2012

લેખક મરવો ન જોઇએ....

શક્ય છે, આજના લેખનો ઉઘાડ અગાઉના મારા કોઇ લેખમાં નીકળી ચૂક્યો હોય. પણ સબ્જેક્ટ એવો છે કે,આપણા મૂર્ધન્ય સાહિત્યકારોય આમાં નવું કાંઇ લાવી શક્તા નથી, તો હું શું કામ અદ્વિતીય બનું?

વાત તો સિમ્પલ છે કે, અમારે ત્યાં કોઇ કવિ કે લેખક ટપક્યો, એટલે એનો પ્રતિભાવ આપવામાં હજી ૧૦૦-વર્ષ જૂની પ્રથાઓ જ ચાલી આવે છ. કોઇ નવું કાંઇ લાવતું નથી. વિસ્તારથી સમજાવું.

- દાદુ, રમણભ’ઇ ગયા...!

- રમ...રમ...રમણ...? યૂ મીન, આપણા રમણભ’ઇ....?? શાસ્ત્રી..??? ના હોય....!!!

- હા... આજે સવારે જ છેલ્લું ડચકું આવ્યું ... (બોલનારના ગળામાં ડૂમો ભરાવવો) ... ને બસ... આપણને બધાને છોડીને ... (બીજો નાનો ડૂમો)...!
બસ. અહીંથી અમારી યાત્રા શરૂ થાય છે. છેલ્લા છ-એક મહિનાથી ભાવવાહી બન્યા વિનાના નવરા બેસી રહ્યા હતા, એ સહુમાં ચેતના આવી જાય છે. અમારા ફિલ્ડમાં તો કેવુ કે, બહું લાંબા સમય સુધી કોઇ ‘ગયું’જ ન હોય, તો પ્રેક્ટિસ છૂટી જાય છે ને સરખા શબ્દોમાં શ્રઘ્ધાંજલિ અપાતી નથી. નહિ તો ચાહકો કહેતા હોય છે, ‘‘સ્વ.ભોગીભ’ઇની શોકસભામાં તમે ખૂબ રસમઘુરૂં બોલ્યા હતા... તેમના નાક ઉપર મસો હતો, એ તો તમારૂં શાસ્ત્રીજી અમારા બહુ મોટા ગજાના સાહિત્યકાર. એમના જવા છતાં હજી આપણે તો સલામત છીએ ને, એવા સંતોષ સાથે અમે લોકો નાટકો શરૂ કરીશું ... કંઇક આ રીતે ...’’

‘‘સવારે બરોબર ૯ ને ૪૫ વાગે મારા ઉપર કવિશ્રી. ‘મંદગતિ’નો ફોન આવ્યો. હું તો નહાવા બેઠો હતો. પત્નીશ્રીએ તાકીદનો ફોન હોવાનું જણાવી બાથરૂમના બારણાંની આડશમાંથી ફોન આપ્યો. ઓહ ..મારા તો માનવામાં જ ન આવ્યું રમણભ’ઇ.. બસ, આમ જ ચાલ્યા જશે? હું ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયો... ઓહ... ઉહ... હવે રમણભ’ઇની ખોટ ક્યાંથી પૂરાશે?’’

સંસ્થાનો વિરોધ આ એકના એક છાપેલા કાટ્‌લાંસમાં શબ્દો માટે છે. કોઇ કાંઇ નવું લાવતું જ નથી. અમારો સાહિત્યકાર ૧૦૦- વર્ષો પહેલા ગૂજરી ગયેલો, ત્યારે પણ આ જ પઘ્ધતિ હતી. એ બાથરૂમમાં નહાવા બેઠા હોય કે વાળ કપાવવા સલૂનમાં ગયા હોય અથવા ... મોટા ભાગે તો લખવા બેઠા હોય, ત્યાં એમની ઉપર આવો ફોન અચાનક આવે. સાલું... જગતભરમાં એકેય ફોન ‘અચાનક’ કેવી રીતે આવી શકે, તે તમને ન સમજાય. એવડો એ સવારે દસ-પોણા દસ સુધી શોકની લાગણીમાં ડૂબ્યા કેવી રીતે હશે? શું સાબુની ભીની ગોટી હાથમાં સજડબંબ પકડાઇ ગઇ હશે? એમની નજર થત પર સ્થિર થઇ ગઇ હશે? વાત ઘેરા શોકમાં ડૂબવાની એમણે કાઢી છે તો બંધ બાથરૂમે નળ ચાલુ રહી ગયો હોય ને પગ બોળાય એટલા સાબુવાળા(ઘેરા) પાણીડાં ભરાઇ ગયા હશે? અને છેલ્લો સવાલ ઝનુની ઉપડે. એ કહે છે ને કે, હવે રમણભ’ઇની ખોટ કોણ પૂરશે? એ તો તું બાથરૂમની બહાર નીકળે પછી ખબર પડે ને? તું નીકળી જાય ને આવનારા હજારો વર્ષો સુધી એ બાથરૂમનો કોઇ ઉપયોગ કરવાનું ન હોય તો, બાથરૂમમાં તારે કારણે પડેલી ખોટ કોણ પૂરશે, એ સવાલ વ્યાજબી છે. ઘરવાળા અડધી કલાકમાં તો આવી ખોટો પૂરી જ નાંખતા હોય છે. આજકાલ કાંઇ નહાયા વિના કાંઇ રહેવાય છે?

કવિશ્રી ‘મંદગતિ’ની વાત ઉપર આપણને ત્રણ ખાટા ઘચરકાઓ આવી જાય કે, શાસ્ત્રીજી આપણને બધાને મૂકીને જતા રહ્યા...!

તારી ભલી થાય ચમના... ‘આપણા બધા’માં તું અમને પૂછ્‌યા વિના અમને શેનો ભેળો ગણી લે છે? તું ઉપડ, રમણીયાની સાથે... સાથ આ પીસને ય લેતો જા. દિવંગત સાહિત્યકાર આપણને બધાને મૂકીને જતા રહ્યા, એ તો જીવનભરનું એકમાત્ર સારૂં કામ સદગતે કર્યું છે... ઘણીવાર સંબંધોમાં ના નથી પાડી શકાતી. પણ બારોબાર સંભવિત સહયાત્રીઓની યાદીમાં તું અમારૂં નામ શેનો ઠોકી દે છે કે, ‘આપણને બધાને મૂકીને ગયા..?’ હજી ઘેર અમારી આ બેઠી છે... એને પૂછી આય .. ને પંખો ચાલુ કરતો આય.. !

અલબત્ત, હવે બહ થયું. હવે આ શબ્દો ને આ પ્રતિભાવમાં ફરફારો કરવા જરૂરી છે. ક્યાં સુધી એકના શબ્દો વાપરીને આમ ઢીલાં થતા રહીશું? શોકસંદેશા એવા હોવા જોઇએ કે, એકવાર નીકળી ગયા પછી સદગતને પાછા ફરવાનું મન ન થાય. શ્રઘ્ધાંજલિઓમાં મરનારના જે હદે વખાણ થાય છે, એમાં ફફડાટ થઇ જાય કે, ઉપર જવામાં પેલો હજી અડધે ય નહિ પહોચ્યો હોય ને એને માટેનો તારો કરૂણ સંદેશ સાંભળી, ભાવવિભોર થઇને પ્રવાસ ટૂંકાવીને અડધેથી પાછો આવશે તો, સાહિત્યજગત તો ઘેર ગયું, એના ઘરવાળા તને મારવા આવશે. છેલ્લાં અઢી વરસથી ડોહો ખોં-ખોં-ખોં કરે જતો હતો ને ૧૫-૨૦ લાખ તો એની સારવારમાં હળગાઇ માર્યા હોય, એ રીટર્ન થયો તો તારા ઘેર રાખવાનો છું? હિંચકે બેઠા બેઠા ખોટી હુંશિયારીઓ ના માર ને પેલો જતો હોય તો જવા દે. સદગતના જવાથી ખોટ પૂરાવાની કે નવી ઊભી કરવાની હોય તો તારૂં નામ લખાઇ દે...!

એટલું યાદ રાખો કે, તમને જેવા સમાચાર મળે કે તરત વહેતા કરી દો. પાસે નહિ રાખી મૂકવાના. તાબડતોબ ફોનો જોડવાથી, શોકસભામાં દિવંગત કરતા ય પહેલું નામ તમારૂં બોલાશે, ‘‘મારા ઉપર કવિ ‘મંદગતિ’નો ફોન આવ્યો કે રમણભ’ઇ ગયા..!’’... યૂ સી. ફોન કરવામાં મોડા પડો તો સમાચાર વેડફી નાંખવાનો કેવો ઝટકો લાગે? આમાં તો,‘વહેલો તે પહેલો ની સ્કીમ મુજબ, આપણી પહેલા કોક બીજો પહોચી ગયો હોય, તો આપણે આપેલા આવા માઠા સમાચાર વાસી થઇ જાય છે. એવા ભરાઇ પડાય છે કે, પછી ફોન ચાલુ રાખીને વાત કઇ કરવી તેની સુઝ પડતી નથી અને, ‘‘શું .. હવે મોદીનું શું લાગે છે?’’ત્યાંથી વાત શરૂ કરવી પડે છે. જો કે, કવિ ‘મંદગતિ’જેવા મૂર્ધન્ય સ્મશાનકારોનો તો આવા સમાચારો ઝડપથી પહોંચાડવા ઉપર એવો સરસ હાથ બેસી ગયો હોય છે કે, ક્યારેક તો બે કે ચાર મિનીટનું જ છેટું રહે.... આઇ મીન, કવિ સમાચારો બધે પહોચાડી દે, એ પછી ડોહાએ પ્રાણત્યાગ કર્યો હોય!

ઇન ફેક્ટ, જો તમે સાચું બોલવાના હો તો કહો, કેટલા અવસાનના સમાચાર સાંભળીને તમે ઘેરા શોકની કાલિમામાં છવાઇ ગયા હતા? કોઇ ખૂબ પોતાનું કે યુવા- મૃત્યુ હોય તો અહી ચર્ચા નથી. બાકી લેખકો છાપઓમાં શ્રંઘ્ધાજલિઓ આપતી વખતે જે ગ્રેટ-ગ્રેટ શબ્દો વાપરે છે કે, ‘‘હવે બીજ રમણ નહિ થાય...!’’ એ વાસ્તવિક્તામાં કેટલું સાચુ છે? રમણીયો બીજો તો હવે નહિ જ થાય, એની તો એની બાને ય ખબર હશે, પણ રમણ-ભાગ બીજો લાવીને તારે કામે ય શું છે? પહેલાને તો હરખો વાપર્યો નહિ. જીવતો ત્યારે આજ લોકો એની પાછળ કેવું બોલતા હતા? વાસ્તવિક્તા તો એ છે કે, આવા કવિ-લેખક મરવાના સમાચાર સાંભળીને, શોકબોક તો જાવા દિયો...તત્ક્ષણે ચેહરાનો કોઇ ભાવ બદલાતો નથી ને એટલું જ પૂછાય છે, ‘‘ક્યારે કાઢી જવાના છે?’’ ધોળા લેંઘા-ઝભ્ભામાં સદગતના ઘેર પહોચ્યા પછી અદબ વાળીને એક ખૂણામાં ઊભા રહી જવાનું હોય છે. બે-ચાર તો તમારી પાસે આવશે. એ વખતે, અદબવાળો એક હાથ છોડીને, દિલીપકુમારની જેમ ગાલ ઉપર ચાર આંગળા અડાડીને જે ઊભું હોય એને પૂછી લેવાનું, ‘‘ખરૂં થયું, નહિ?’’એટલે પેલાનો પાસે ખરૂં થયું કે ખોટું થયું, સંદર્ભમાં જે ઇન્ફોર્મેશન હશે, તે આપશે. બીજો સવાલ તૈયાર રાખવાનો, ‘‘આમ.. બિમાર તો ...નહોતા, નહિ?’’

અહીં કોમિક એ ઊભું થાય કે, જેને સવાલ પૂછાયો હોય, એને તો એ ય ખબર ન હોય ભ’ઇ, એ બહાને બે-ચાર નવી ઓળખાણો થાય..! આ તો એક વાત થાય છે.

સાહિત્યકારો સાયન્ટિસ્ટો નથી, છતાં આવું કશું એમના માનવામાં જ ન આવે. ‘‘મને તો કાલે રાત્રે ખબર પડી કે, રમણભ’ઇ હવે આપણી વચ્ચે નથી... મારા તો માનવામાં જ ન આવ્યું!’’એમના માનવામાં આવે,એ માટે ઉપસ્થિત ડાધુઓએ શું કરવું, તે નક્કી, તે નક્કી કરવું અઘરૂં પડે છે.બહુ બહુ તો એમને ડેથ-સર્ટીફિકેટ બતાવી દેવાય, સદગતના અંતિમ ડચકાંની વેળાએ ઉપસ્થિત સગાસંબંધીઓને ફરી પૂછી જોવાય કે, ‘‘અમારા સાક્ષરશ્રી. ગગનવિહારીજીના માનવામાં આવતું નથી કે, કાકા ખરેખર ગયા કે મહીં હિંચકે બેઠા છે? બહાર બધા રાહ જુએ છે... જે કાંઇ હોય તે જલ્દી કહો, અમારે નોકરી-ધંધે જવાનું હોય ને? વળી, આમના માનવામાં ન આવે ત્યાં સુધી, મરનારના છોકરાઓ ટેન્શમાં ન આવી જાય? હાળી કોઇ ભૂલ તો થઇ ગઇ નથી ને? આપણે બાળી આયા કોને?’’

અમારા સાહિત્યજગતની ખૂબી એ છે કે, શોકસભા કે શોકસંદેશમાં મરનાર ગમે તે હોય, શ્રધ્ધાંજલિ પહેલો ‘હું’ આવે. ‘‘હજી ગયા મંગળવારે તો રમણભાઇ મને મળ્યા છે... અમે સાહિત્યોત્થાનની વાતો કરી...અમારો પરિચય’’૫૪ની સાલથી. એક વાર તો એમના ઘેર મેહમાનો આવવાના હતા, તે મારા ઘેરથી હિંચકો લઇ ગયેલા...! એમની દીકરીનું ક્યાંય પતતું નહોતું ...બહુ દુઃખી રહેતા ...મે બચુભ’ઇના ભાણેજ સાથે ગોઠવી આપ્યું. ખૂબ મીઠા સંસ્મરણો છે...’’

બસ, સાચી શ્રંઘ્ધાજલિ એ જ છે કે, વાતો સદગત વિશે કરો ... તમારી નહિ.. તમે હજી જીવતા છો. તમે જશો ત્યારે તમારા સંસ્મરણો ય નિયમ મુજબ આવશે. સુઉં કિયો છો?

સિક્સર

- સચિન બ્રેડમેન કે ગાવસકરનો બસ....એક રેકોર્ડ તોડી ન શક્યો.... સન્માનપૂર્વક નિવૃત્ત થઇ જવાનો !

No comments: