Search This Blog

17/03/2013

ઍનકાઉન્ટર 17-03-2013

૧ ભારતનો ભવ્ય ઈતિહાસ વાંચ્યા પછી દેશની અત્યારની હાલત જોઈને દુઃખ થાય છે.
- અત્યારે આપણે દેશનો ઈતિહાસ નહિ, ભૂગોળ બચાવવાની છે.
(જીનેશ મેહતા, જામનગર) 

૨ મંદિરમાં જતા ભક્તો બારણે હાથ અડાડી નમન શેને માટે કરે છે?
- બીજી વાર બારણે માથું ભટકાય નહિ માટે.
(બાલુભાઈ સંપટ, જામનગર) 

૩ કૂંવારી છોકરી માતા બની જાય તો સંતાનને મંદિરના દ્વારે મૂકી આવે છે, એના કરતા નિઃસંતાન સ્ત્રીને આપી આવતી હોય તો?
- ગૌરવપૂર્વક એ સંતાનને એની માતાએ જ ઊછેરવું જોઈએ. ભલે જમાનો તાના મારે. પોતાના ઘેર પરમેશ્વર પધાર્યા હોય, એને કોઈ મંદિરે મૂકી આવે?
(વંદિત નાણાવટી, રાજકોટ) 

૪ દરેક ફિલ્મમાં નોકરનું નામ રામુચાચા જ કેમ હોય છે?
- 'અશોક ચાચા' ફિટ ન બેસે માટે !
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર) 

૫ બહુ પૈસાવાળા બહુ કંજૂસ હોવાનું કારણ શું ?
- એ એમના પૈસાદાર હોવાનું કારણ છે.
(કિરણ ભાવસાર, દમણ) 

૬ હૉરર ફિલ્મમાં સ્ત્રી જ હૉરરનું પાત્ર કેમ ભજવે છે ?
- જુદો મૅક-અપ કરવો ન પડે માટે!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

૭ કસાબ-અફઝલની પાછળ આટલો જંગી ખર્ચો કરીને સરકારે સિધ્ધ શું કર્યું ?
- 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ... હોઓઓઓ...'
(હેમંત સરખેદી, ભાવનગર) 

૮ પાકિસ્તાન માટે જાન લગાવી દેનારા ભૂટ્ટો પરિવારને વીણી વીણીને કે ફૂંકી માર્યા હશે ?
- એનો ગીન ગીન કે... ચૂન ચૂન કે બદલો આસિફ જરદારી લઈ રહ્યો છે... અબજો રૂપિયાના ગોટાળા કરીને! જરા નજર દોડાવો... પાકિસ્તાનના પડોસી દેશમાં આ જ હાલત છે ને?
(પલક નાણાવટી, ઓખા) 

૯ માંડ આંખ મીચાણી હોય એવી ખરી બપોરે જ વાસણવાળી શું કામ ચીલ્લાતી હશે?
- ઘેર જઈને એ નિરાંતે આંખ મીંચી શકે માટે.
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર) 

૧૦ તમારી કારકિર્દીનો સર્વ પ્રથમ લેખ, 'એક પત્ર, યાહ્યાખાનને' વાંચવા મળી શકે!
- અમદાવાદ કૉમર્સ કૉલેજ (ઘીકાંટા)ની ૧૯૬૯-ની કચરા ટોપલીમાં એ પડયો હશે. એ વખતે તો ક્યાં કાંઈ ઝૅરોક્સ જેવું હતું ?
(ડી.સી. પ્રજાપતિ, ભૂતીયા-ઈડર) 

૧૧ મોદી વડાપ્રધાન બને તો ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ બનશે ?
- તો ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળે ખરા... !
(તુષાર સુખડીયા, હિંમતનગર) 

૧૨ કૂંવારો અને વિધૂર પરણવા માટે દોડધામ કરે છે ને પરણેલા મરવા માટે... ! સાચું શું ?
- આ ત્રણેમાં નસીબનો બળીયો એક માત્ર વિધૂર કહેવાય કારણ કે, એ પેલા બન્નેની હાલતમાંથી ગૂજરી ચૂક્યો છે. કૂંવારો કદી વિધૂર થઈ ન શકે અને પરણેલાને ''બીજી વખત'' મરવાની જરૂર નથી.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા) 

૧૩ ઘેર મારા સગાં આવે છે, ત્યારે પત્ની અને કામવાળી બન્ને પોતપોતાના ઘેર જતા રહે છે. કોઈ ઉપાય ?
- ધીમે બોલો જરા... ! તમારા આવા સગાઓના તો માર્કેટમાં બ્લૅક બોલાશે બ્લૅક!
(પરેશ નાણાવટી, રાજકોટ) 

૧૪ શ્રી હનુમાનજીની કોઈ પણ ફિલ્મ કે ટીવી-સીરિયલમાં વાનરો બતાવે, એમને પૂંછડી હોય છે, પણ એકે ય વાંદરીને પૂંછડી કેમ હોતી નથી ?
- એ સ્ત્રી જાતિની જ વાંદરી છે, એવું તમે કેમ માની લીધું ? એમાંની એકે ય ને લવારો, કકળાટ કે લોહી પી જતી બતાવાઈ ?
(પ્રતિક રમેશ મોદી, અમદાવાદ) 

૧૫ પતિ તો પતી ગયો, તો પત્ની ?
- નથી પતતી તે પત્ની.
(હેમાંગ પી. ત્રિવેદી, પેટલાદ) 

૧૬ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા હોય તો હૃદયરોગના ચાન્સ વધી જાય એ વાત સાચી ?
- હાર્ટ-ઍટેકથી મરતી વાઈફો વિશે મેં બહુ સાંભળ્યું નથી.
(ભરત ડી. સાંખલા, ડીસા) 

૧૭ ટેસ્ટ ક્રિકેટમાં લાલ દડો ને વન-ડેમાં સફેદ દડો કેમ?
- પાકિસ્તાને લીલા દડાની કોઈ માંગણી કરી'તી ખરી... !
(બદ્રિક રાવલ, અમદાવાદ) 

૧૮ 'નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ...' મગર કોની સાથે મિલાવવી, એની સમજ પડતી નથી... !
- તો પછી તમે તો સાવ રહેવા જ દો... આમાં તો જેને સમજ પડતી હોય, એ ય બધા ભરાઈ જાય છે.
(મોહન બદીયાણી, જામનગર) 

૧૯ આપ અવારનવાર વાચકોને 'પંખો ચાલુ કરવાની' સૂચનાઓ આપો છો, પણ અહીં પશ્ચિમ ગુજરાતની વીજ કંપનીઓના કાન કેમ આમળતા નથી... છાશવારે વીજળી જતી રહે છે... !
- એ લોકોને પંખો ચાલુ કરવાનું કહું છું... !
(શશીકાંત મશરૂ, જામનગર) 

૨૦ હવે તો અણસમજુ લોકો ય 'ઍનકાઉન્ટર' વાંચવા મંડયા છે... શું કરવું ?
- કોઈ તમારૂં નામ લે તો લાવો એને મારી પાસે ! ગભરાઈ નહિ જવાનું...!
(સુબોધ નાણાવટી, રાજકોટ) 

૨૧ સંસારચક્ર મુજબ, કલીયુગની પૂર્ણાહૂતિ થઈને સતયુગ પાછો ક્યારે આવશે ?
- કલીયુગમાં મને તો ભ'ઈ... ફાવી ગયું છે! ન જાણે સતયુગમાં ઘણી બધી સગવડો પાછી ખેંચાઈ જાય... !
(અરવિંદ આર. પટેલ, જામનગર) 

૨૨ ઉપર તો ખાલી હાથે જ જવાનું છે, તો ભ્રષ્ટાચારીઓ બિલ ગૅટ્સની માફક ભારતના ઉદ્ધાર માટે તગડી સખાવતો કેમ નથી કરતા ?
- તેઓશ્રીઓ હજી ધન સુધી પહોંચ્યા છે... ધર્મ સુધી નહિ !
(ડૉ. રતિલાલ પટેલ, વડોદરા) 

૨૩ ધ્વજા મંદિરો ઉપર ફરકે છે, ઘરો ઉપર કેમ નહિ ? શું ઘરમાં ઈશ્વર નથી હોતો ?
- મંદિરો ઉપર કદી ધોતીયા-લેંઘા સૂકાતા જોયા... ? નથી જોયા ને ? તો ઘરો ઉપરે ય ધજાઓ ના ફરકતી હોય !
(પ્રવીણ એમ. પટેલ, ગડત-નવસારી) 

૨૪ આપના મતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકી શકેએવું મોટું પરિબળ ક્યું?
- નસીબ.
(જીતેન્દ્ર જી. કેલ્લા, મોરબી) 

૨૫ તમે કોઈ સ્ત્રીને સખ્ત નફરત કરો છો ખરા ?
- અહીં સાલો પ્રેમ કરવાનો ય ચાન્સ મળ્યો નથી, ત્યાં નફરત તો બહુ દૂરની વાત છે... ! કોઈને પણ એક વખત દિલોજાનથી પ્રેમ કર્યો હોય, પછી નફરત આવે જ કેમ ? જૂની પ્રેમિકા/ પ્રેમીને નફરત લૂઝ કૅરેક્ટરના લોકો કરતા હોય છે !
(સ્મિતા નિખિલ કાકડે, મુંબઈ)

**** 

સવાલોનું સરનામું:
'એનકાઉન્ટર'માં સવાલ સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : 'એનકાઉન્ટર',
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

No comments: