Search This Blog

31/03/2013

ઍનકાઉન્ટર 31-03-2013

* સિંહ શિકાર નહિ કરતા... સિંહણ કરતી હૈ... તો પછી 'ઍનકાઉન્ટર' સિંહ કરે છે કે તમારી સિંહણ?
- બહારના કામો એ પતાવે છે ને ઘરના હું.
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા જવાનોને શ્રીનગરમાં વીંધી નાંખ્યા ને તો ય આપણે ચૂપ...?
- પાકિસ્તાની આતંકવાદીઓએ અમેરિકાને (અને આખા જગતને) એક ચસચસતી થપ્પડ મારતા કહ્યું હતું, 'અમારે ત્યાં મૂલ્કને ખાતર 'કન્ફર્મ્ડ' મૌત વહોરી લેનારા એક-બે નહિ, લાખો લોકો છે... તમારા આખા અમેરિકામાંથી ફક્ત એક તો બતાવો...!' વાત પણ સાચી છે ને? આપણા દેશમાંથી ય એવો એક નીકળે એવો છે કે, જે લાહોરમાં જઈને બોમ્બ ફોડી આવે...?
(શુભાંગિની રાવલ, વડોદરા)

* ૨૨- દેશોની પોતાના ફેમિલી સાથે ફક્ત યાત્રાઓ કરી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે દેશના પાંચ કામો ય કર્યા છે ખરા?
- એમણે રાષ્ટ્રપતિની 'પ્રતિભા' સાવ છેલ્લી 'પાટલી'એ બેસાડવાનું મહાન કામ કર્યું જ છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* તમારી જિંદગી ઉપર કોઈ ફિલ્મ બનાવી શકાય, એવું તમને લાગે છે ખરું?
- ફિલ્મ ઉતારી શકાય.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* લગ્ન એક કરાર છે, તો સગાઈ શું?
- લગ્ન છેકછાકવાળો કરાર છે અને સગાઈ મોટા ભાગે ખોટી વિગતો ભરેલું અરજીપત્રક છે.
(કાનજી ભદરૂ, ગોલગામ)

* જીતેલાને હાર કેમ પહેરાવાય છે?
- હારેલાઓ હાર સ્વીકારતા નથી માટે.
(મોના રમજાનભાઈ મીરાણી, મહુવા)

* કહેવાય છે કે, હસતો માણસ ભીતરથી રડતો હોય છે... સાચું?
- હસતા માણસની દાઢ દુઃખતી હોય તો સાચું.
(રૅનિસ રમજાનભાઈ મીરાણી, મહુવા)

* 'બુધવારની બપોરે' વાંચ્યા પછી અમારું માથું દુઃખે છે...!
- માથામાં મગજ હોય, એમને માટે આ કોલમ છે... તમારે ક્યાં ચિંતા કરવાની છે?
(રજનીકાંત દવે, વાસદ-આણંદ)

* તમારા અમોલ પુસ્તક 'ઓળખ-પરેડ'માં વિભિન્ન જ્ઞાતિઓ વિશે લખ્યું હતું. એ બધામાંથી તમારી લાડકી જ્ઞાતિ કઈ લાગી?
- એકે ય નહિ. એમાંના એકેએ ભારતીય હોવાનું ગર્વ બતાવ્યું નથી. મને હું બ્રાહ્મણ હોઉં કે હરિજન, એમાં કોઈ રસ નથી... ભારતીય હોવાની દેશદાઝ મારામાં બેશક હોવી જોઈએ અને છે. મેં મારા બન્ને સંતાનોને ફાવે ત્યાં પરણવાની છુટ આપી હતી... કોઈ જ્ઞાતિબાધ નહિ, પણ આવનારી વહુ કે જમાઈ ભારત માટે દેશદાઝ રાખનારા છે કે નહિ, તે જોજો અને કૃપા ભારતમાતાની કે, અમને વહુ અને જમાઈ બન્ને સખ્ત દેશદાઝ રાખનારા મળ્યા છે.
(પ્રણાલિ મેહતા, મુંબઈ)

* ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય, એવી કેટલી હીરોઈનો છે?
- આઈ ડોન્ટ થિન્ક... એક ય હીરોઈન એમ તમારા ઘરે આવે!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* હેડકી આવે એટલે કોક સંભારતું હોય, એ વાત કેટલી સાચી?
- કહે છે કે, સૌથી વધારે હેડકીઓ જેલના કેદીઓ ખાય છે...!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* શું અક્ષર સારા હોવા જરૂરી છે?
- અક્ષર બહુ સારા હોય તો બહુ નબળા હાસ્યલેખક બની શકાય છે, એટલી મને ખબર છે!
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)

* પૂજ્ય સ્વામી અશોકાનંદજી, હવે દેશભક્તિનું જૂનુન ચઢાવવા તમે ઝૂકાવો તો...?
- કમનસીબી એ જ છે ને કે, દેશના જેટલા 'પૂજ્ય', 'સ્વામી' કે નંદજીઓ દેશભક્તિને બદલે ધર્મભક્તિના ઝનૂનો ચઢાવીને દેશને ખોખરો કરી રહ્યા છે.
(ડૉ. પ્રવિણગિરી ગોસ્વામી, પોરબંદર)

* આજ સુધી તમે કોઈને 'ટોપી પહેરાવી' છે?
- દર રવિવારે આશરે ૨૫ જણને ટોપીઓ પહેરાવું છું.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* તોરણે ઊભેલા વરરાજાને ફક્ત સાસુ જ પોંખે છે, સસરા કેમ નહિ?
- સસુરજીને ખબર છે કે, એક વાર પોંખાવામાં હું આખેઆખો ભરાઈ ગયો છું.
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* ઘેર આવેલા ગોરધનને પાણીનો ગ્લાસ ધરતી વખતે ગોરધન 'હુ, પીને આયો છું' કહે તો?
- બોચીથી ઝાલીને એવા ગોરધનને હેઠા પછાડીએ નહિ કે, 'એકલો-એકલો શેનો પીને આયો છું...? હું મરી ગઈ'તી...?' એવી ચોપડાઈ દેવાય... હઓ!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* સાસુ-વહુ વચ્ચે સંપ હોઈ શકે ખરો?
- જે વહુ પોતાની સાસુને સગી માંના સ્થાને જુએ, એ ઘરમાં કદી પ્રોબ્લેમ ન હોય!
(દિલીપ જે ધંધુકીયા, અમદાવાદ)

* કેન્દ્રીય મંત્રી જયસ્વાલે, પત્ની જૂની થાય પછી મજા નથી આવતી, એવું ક્યા સંદર્ભમાં કીધું હશે?
- એ એમની આત્મકથાનો ભાગ હતો.
(સુધીરસિંહ રાજપુત, જમડા-બનાસકાંઠા)

* લગ્ન પછી શાંતિ ન હોવા છતાં લોકો લગ્ન શું કામ કરે છે?
- જખ મારવા.
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

* દસ રૂપીયાના વેફરના પેકેટમાં પાંચ રૂપીયાની હવા ભરી હોય છે...
- આમ કહીને જાડી સ્ત્રીઓનું તમે અપમાન ન કરો.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ડીસેમ્બરમાં પૃથ્વીનો પ્રલય અટકી કેમ ગયો?
- આપણા બન્નેના પૂણ્યો કામમાં આવી ગયા...!
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

* આપને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરો?
- બીજે દિવસે ઉતરી જઉં.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)
* પત્નીને કન્ટ્રોલમાં રાખવાનું રીમોટ-કન્ટ્રોલ મળી જાય તો?
- એને પૂછી પૂછીને વાપરવું.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* તમને પ્રેમ કરનારી સ્ત્રી બીજાને પ્રેમ કરવા માંડે તો શું કરો?
- ... પછી તો, એ બીજા પુરુષ સાથે જે કરતી હોય, એ તો મારાથી ન કરાય ને?
(વંદના ઝવેરી, મુંબઈ)

***
સવાલોનું સરનામું
'એનકાઉન્ટર'માં સવાલ
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : 'એનકાઉન્ટર',
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

No comments: