Search This Blog

25/08/2013

ઍનકાઉન્ટર 25-08-2013

1 આપની આત્મકથા લખવાની ક્યારે શરૂ કરશો ?
- મને જુઠ્ઠું બોલવાની હૉબી નથી.
(અરવિંદ આર. પટેલ)

2 શું 'ઍનકાઉન્ટર'માં બુદ્ધિશાળી વાચકો પ્રશ્ન પૂછી શકે ?
- તમને છૂટ છે.
(રસેન્દુ પાઠક, વડોદરા)

3 રાજ ઠાકરે કહે છે, મુંબઈ અમારૂં છે. મોદી કહે છે, 'ગુજરાત અમારૂં છે.' તમે સુઉં કિયો છો ?
- એ બન્નેની વફાદારી પરફેક્ટ છે. જેનું ખાય છે, એનું ખોદતા નથી.
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

4 ધર્મગુરૂઓ અને નેતાઓના પ્રવચનો વચ્ચે શો ફરક ?
- બન્ને આપણા દેશને માથે પડેલા છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

5 રાજા દશરથે કાન પાસે થોડા સફેદ વાળ જોયા ને ગાદી છોડવાનો નિર્ણય લીધો. મનમોહનનું કેમનું છે ? એમનું તો બધું ધોળું છે.
- ડોહા ! રોજ બંડીના ખિસ્સા તપાસી લે છે. એમાં ય ધોઇ આવી ગયા નથી ને ?
(ઘનશ્યામ આચાર્ય, આંબરડી- જસદણ)

6 પાકિસ્તાને પાછા પાંચ જવાનોને મારી નાંખ્યા. સરકાર આટલી નમાલી ?
- નમાલી નથી. મોટા ભાગે તો ૮-૧૦ વર્ષમાં પાકિસ્તાનને કડક ચેતવણી આપવાની છે.
(ડી. એમ. ચીતલીયા, મુંબઈ)

7 આજના ભારતમાં પણ અમીચંદો અને મીર જાફર જેવા ગદ્દારોની કમી નથી, છતાં જનતાની આંખ ઉઘડતી કેમ નથી ?
- કોંગ્રેસ નામનો 'કન્ઝક્ટિવાઈટીસ' લાગ્યો છે.
(યુસુફ મનસુરી, મેહસાણા)

8 સંકટ સમયે 'ઓય માં' બોલાય જાય છે.. 'ઓ પિતાજી' કેમ નહિ ?
- સંકટ સમયે પિતાજી પણ આપણી માંને જ યાદ કરે છે !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

9 ભારતમાં ક્રિકેટ પાછળ સમયની આટલી બર્બાદી કેમ ?
- કારણ કે, સમય કિંમતી છે.
(અજીત/અજય ટાકોર, પાલનપુર)

10 શું હાસ્યલેખકો સદા ય હસતા રહે છે ખરા ?
- યસ. આપણો એકએક હાસ્યલેખક ખૂબ હસમુખો છે. પોતે ય હસે છે ને બીજાઓને ય હસાવે છે.

11 મર્યા પછી જ માણસ ફૅમસ કેમ થાય છે ?
- આવી ઉતાવળ શું કામ કરો છો ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

12 એકે ય રાજકારણીએ આપઘાત કર્યો હોવાનું જાણમાં નથી. સુઉં કિયો છો ?
- વાહ. ખેડબ્રહ્મામાં બેઠા બેઠા ય તમને કેવા આદર્શ વિચારો આવે છે ? ત્યાં જ માતાજીને પ્રાર્થના કરો કે, કોક રાજકારણીને સદબુદ્ધિ આપે.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

13 જુઠને સફેદ જુઠ પણ કહેવાય છે, કાળું કેમ નહિ ?
- હવે તો માંગો એ રંગોમાં મળે છે, બૉસ... ખાલી કરવાનો ભાવ છે !
(ઓ. વી. સાગર, રાજકોટ)

14 ભારતમાં મંદિરો અને મસ્જીદોનો વહિવટ કરનારા બન્નેને પોતાની મિલ્કત સમજે છે ?
- છેલ્લે પ્રશ્નાર્થ કાઢી નાંખો, ભ'ઈ !
(ઈબ્રાહીમ દીવાન, મીયાંગામ-કરજણ)

15 પહેલાના જમાનામાં છોકરો છોકરીનો ફોટો જોઈને પણ લગ્ન માટે પસંદ કરી લેતો. આજ ?
- આજે એટલો બેવકૂફ નથી.
(મહેશ સી. શાહ, અમદાવાદ)

16 જો તમને વ્યંઢળોના સમાજમાં પ્રવચન આપવાનું આવે તો સંબોધનમાં શું કહો ?
- મારી સમજ મુજબ, સમાજનો આ પણ સન્માન્નીય વર્ગ છે.
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

17 પહેલાના જમાનામાં પત્ની શા માટે પતિનું નામ દઈને ન બોલાવતી ?
- એને એના કામમાં રસ હોય, નામમાં નહિ !
(જયેશ અંતાણી, ભાવનગર)

18 ફાંસી પહેલા અંતિમ ઈચ્છા કેમ પૂછાય છે ?
- બોલો. તમારી ઈચ્છા બોલો.
(દિનેશા મોદી, પાટણ)

19 ફિલ્મોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ રાજ કપૂર કે સત્યજીત રેની જેમ મૃત્યુ સમયે જ કેમ અપાય છે ?
- એટલે જ મને નથી મળતો.
(સાધના નાણાવટી, જામનગર)

20 તમારા પત્નીનું સાચું નામ તમે કેમ લખતા નથી ?
- તમારા વિનયની કદર કરૂં છું કે, એવું નથી પૂછ્યું કે, 'તમારી સાચી પત્નીનું ખોટું નામ કેમ લખતા નથી ?' જય હો.
(ડૉ. મીનાક્ષી નાણાવટી, જૂનાગઢ)

21 મારા સવાલમાં મારી અટક 'દેશપાડે'ને બદલે 'દેસાઈ' લખી છે.
- માણસોને ઉકલે એવા અક્ષરો કોઈ દેશપાડે પાસે કઢાવી સવાલ લખાવશો.
(અરવિંદ દેશપાંડે, વિજલપુર)

22 સાચા સંતપુરૂષની પરખ શું ?
- આ સવાલ સંતપુરૂષને જ પૂછાય. તમારામાં એ પરખ છે.
(સુમન વકુકૂળ, રાજકોટ)

23 પાનેતર લાલ રંગનું જ કેમ હોય છે ?
- પુરોહિત તમે છો ને પૂછો છો મને !
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

24 ડિમ્પલ કાપડીયા વિધવા થયા પછી આશ્વાસન માટે તમે એમને અમદાવાદ બોલાવ્યા હતા ?
- અમારામાં અમારે જવાનું હોય... ત્યાંથી ન બોલાવાય !
(અરૂણકુમાર વ્યાસ, અમદાવાદ)

25 રાજકારણીઓના સફેદ કપડાંનું રહસ્ય શું ?
- ઈન ઘેટ કેસ... તમને એમના કપડાં દેખાય છે ખરા...! ગૂડ.
(અશોક અરોરા, આણંદ)

26 મોટી ઉંમરનાં પુરૂષને મહિલા સાથે દોસ્તી હોય, છતાં એને 'બૉયફ્રેન્ડ' કેમ કહેવાય છે ?
- તમે.. આમ.. અમને બધાને.. લલચાવો નહિ...! કોઈ પંખો ચાલુ કરો.
(તુલસીભાઈ ભાટીયા, મુંબઈ)

No comments: