Search This Blog

29/12/2013

ઍનકાઉન્ટર : 29-12-2013

* જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતની ગાદી છોડવી પડે. એ સંજોગોમાં ગુજરાત માટે 'ગઢ આલા, પણ સિંહ ગેલા' જેવું નહિ થાય?
- હા, પણ ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો જોયા પછી કોંગ્રેસ માટે તો ગઢે ય ગયા... અને સિંહ પણ ! ખૈર... સિંહો તો એમની પાસે હતા ય ક્યાં? એક નાનું અમથું આમ આદમું મારી ગયું...!!
(વલ્લભ પારેખ)

* આજના મા-બાપ સંતાનોને હાસ્યલેખક બનાવવા કરતા ડૉકટર, વકીલ કે એન્જિનિયર બનાવવાની ઇચ્છા જ કેમ રાખે છે?
- હાસ્યલેખક બનવું એક કોઇ 'કાચાપોચા'નું કામ નથી.
(ભારતી કાચા, મોરબી)

* લગ્ન પછી ગોરધનો સાવ લઘરવઘર કેમ દેખાવા માંડે છે?
- ઘરમાં તો અમે બધા એવા જ રહેવાના... હઓ! પણ બહાર નીકળ્યા પછી જોઇ લો, ભાયડાના ભડાકા, હઓ હઓ..!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* અશોકભાઇ, તમે કોઇ સ્ત્રીને પ્રેમ કર્યો છે ખરો?
- સાલો આવો મસ્ત સવાલ કોઇ સ્ત્રીએ પૂછ્યો હોત તો ભવિષ્યની કોઇ આશા ય બંધાઇ હોત..!
(પુનિત ડી. ઠક્કર, ભુજ-કચ્છ)

* હવે તો સંસદમાં ગુન્હેગારો ય વટથી બેસી શકશે... આપનો અભિપ્રાય?
- ... નગર શેઠનો વંડો, જે આવે એ મંડો...!'
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* શું સ્મશાન ગામની વચ્ચે હોવું જોઇએ, જેથી ત્યાંથી પસાર થનારને ય મૌતનો મલાજો રહે?
- જંગલ સિવાયનું સઘળું ગામની વચ્ચે હોય છે... કોના કેટલા મલાજા રખાયા?
(રમેશ સુતરીયા 'ટ્રોવા' મુંબઇ)

* કોઇને ઉતારી પાડવા લોકો 'ગધેડા' સાથે કેમ સરખાવે છે.
- શરીરની શક્તિ 'હોર્સ પાવર'થી માપી શકાય... મગજની શક્તિ માટે 'ડોન્કી પાવર' ચાલી જાય!
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* જાન વિદાય વેળાએ કન્યાના કાનમાં એની માતા શું કહે છે?
- પેલાની ચોયણીનું નાડું બહાર લટકે છે, એ સીધું કરાય..!'
(દુષ્યંત કારીયા, મોરબી)

* આપણા દેશમાં પત્ની એના પતિનું નામ કેમ બોલતી નથી?
- હા, પણ બીજીના પતિનું નામ બોલે, એ સારૂં તો ન જ કહેવાય ને!
(અસલમ ગામેતી, વંથલી-જુનાગઢ)

* ભૂલથી કોઇ પાગલને 'ડાહ્યો' કહેવાઇ જાય તો?
- ડાહ્યો માણસ તો આવી ભૂલ કરે જ નહિ ને?
(ચાર્મી જાગાણી, જૂનાગઢ)

* તમે 'બા ખીજાય... બા ખીજાય.. લખો છો, પણ વાસ્તવમાં તો બધા બાને જ ખીજાતા હોય છે'....!
- જે ઘરોમાં બા ખીજાઇ શકતા હોય, એ ઘરો સુખ, શાંતિ, અને સમૃદ્ધિથી ભરચક હોય!
(શોભા ટી. પટેલ)

* રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની ક્ષમતા કેટલી ગણાય?
- કમસે કમ મનમોહન કરતા તો એ સારા વડાપ્રધાન બની શકશે.
(પંકજ દફતરી, રાજકોટ)

* મારે ધો. ૧૦માં સમગ્ર ગુજરાતમાં 'ટોપ ટેન'માં આવવું છે. શું કરવું?
- પરીક્ષા આપવી.
(આરતી એમ.ઠાકોર, સુરત)

* કોઇ વ્યક્તિ તમારી દોસ્ત છે કે દુશ્મન, તેનો અંદાજ કેવી રીતે મેળવો છો?
- દોસ્તોના અંદાજ મેળવવાના ન હોય, પણ એક તાજા અનુભવ મુજબ, દુશ્મનને આદર આપવાની મેં ભૂલ કરી, એ હવે નહિ કરૂ. દુશ્મન કાયમ દુશ્મન જ રહે છે.
(મોના ગજાનન મેહતા, વડોદરા)

* તમે ગુજરાતના મુખ્યમંત્રી બનો તો પહેલું કામ કયું કરો?
- ટીવી ન્યુસ- કેમેરાઓ સામે હસીને હાથ હલાવવાનું.
(ભૂમિકા આર. લાડ, વલસાડ)

* આપણા દેશમાં 'રાધે-ક્રિષ્ણા... રાધે ક્રિષ્ણા..' બોલાય છે.. 'રૂક્ષ્મણી-ક્રિષ્ણા' કેમ નહિ?
- સ્પેલિંગ લખવામાં છોડીયા ફાટી જાય, ભ'ઇ!
(સુમિત પટેલ, ગોઝારીયા-મહેસાણા)

* જેસલ- તોરલની કથામાં જેસલ 'જવ ભાર' ખસે છે ને તોરલ 'તલ ભાર' ખસે છે અર્થાત્ ?
- ખસવાનું વજનના માપથી ન હોય..... અંતરના માપથી હોય! મને એટલી તો ખબર છે કે મારા ઘરની તોરલ મને ધારે ત્યાં ખસેડી મૂકે છે... ને મારાથી ભારે-વજનદાર ચીજો ખસતી નથી.
(મનિષા ઘેડીયા, જૂનાગઢ)

* કસોટી કાયમ સત્યવાદીઓની જ કેમ થાય છે?
- એવું નથી.. મારી ય થાય છે!
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* અનીતિનું ખાનારાઓનો વર્તમાન સુખમય હોઇ શકે છે, પણ શું ભવિષ્ય સુખમય હોય ખરૂં?
- અનીતિનું ન જ ખાતો હોય, એવો તો દેશનો કોઇ નાગરિક નથી! ઇવન, આપણે લગ્નના રીસેપ્શનમાં રૂ. ૧૦૦/-નો ચાંદલો કરીને રૂ.૫૦૦/-નું ઠોકી આવીએ છીએ, એ ય અનીતિ જ છે ને?
(રાજેશ કે. ખાંદલા, સરધાર- રાજકોટ)

* મન ધોધમાર વરસતા વરસાદમાં પતંગ ચગાવવાનું મન થાય છે... શું કરૂં?
- તમે પંખાને બદલે ફ્રીજ ચાલુ કરો ને મહીં અગરબતી કરી લો.
(ડો. અમિતા ચૌધરી, ભાવનગર)

* દરેક સંતાનને મા-બાપ આશીર્વાદ આપે જ, છતાં સંતાનો દુઃખી કેમ થતા હોય છે?
- એમના પોતાના સંતાનોને કારણે... મોટા ભાગના કેસોમાં!
(હિતેશ અડવાળીયા, સુરેન્દ્રનગર)

* ગાંધીનગરમાં જ રેલવે કેમ નહિ?
- અમદાવાદમાં દરીયો નંખાવીએ, ત્યારે ત્યાં રેલવેનું ગોઠવીશું.
(શશીકાંત મશરૂ, જામનગર)

* કોઇ સુંદર સ્ત્રી સાવ ફાલતુ પુરુષના પ્રેમમાં પડે, તો તમને કયો વિચાર આવે?
- પ્રણવ પંડયાનો શે'અર છેઃ
'તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને,
થયા હતાશ બધા આસપાસના ફૂલો.'
(વૈભવી દવે, અમદાવાદ)

* 'હલકુ લોહી હવાલદાર'નું... આ કયા ડોકટરનું સંશોધન છે?
- આવા સંશોધનો ડોકટરો ન કરે... ઉપરી પોલીસ અધિકારીઓ કરે!
(અરવિંદ આર. પટેલ, જામનગર)

* તમારૂં જેમ ડિમ્પલ સાથે ડીંડવાણું છે, એમ તમારા પુત્રનું ખરૂં?
- એ નોર્મલ છે.
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* ... 'નમે તે ગમે'.. તમારે કેમનું?
- હું પરણેલો છું.
(કિશોર વ્યાસ, ઘોઘા)

No comments: