Search This Blog

09/02/2014

ઍન્કાઉન્ટર: 09-02-2014

* ધર્મસ્થાનોમાં મહિમા ત્યાગ અને દાનનો જ કેમ ગવાય છે ?
- ભક્તો માટે જ, ગુરૂઓ માટે નહિ !
(કનૈયાલાલ ભાવસાર, વડનગર)

* 'ઍન્કાઉન્ટર'માં તમારો ફોટો કેમ નથી મૂકતા ?
- નૅગેટીવ છાપવી પડે !
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* 'જીનકે સર હો ઈશ્ક કી છાંવ... પાંવ કે નીચે જન્નત હોગી..' આપનો અનુભવ ?
- અમારામાં બહારના ઑર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપી શકાતું નથી એટલે ડામરની સડક ઉપર જ રહીએ છીએ.
(દિપક આશરા, ગાંધીનગર)

* પિતૃઓ માટે મૂકેલ શ્રાધ્ધ એમના સુધી પહોંચતું હશે ખરૂં ?
- ના, પણ જીવતા હોય ત્યાં સુધી ઘરમાં જ જમાડો ને !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* અન્ના હજારે જેવા દેશપ્રેમી સરકાર સામે ઝૂકી કેમ ગયા ?
- પબ્લિસિટીની જેટલી ભૂખ હતી ને તુલના મહાત્મા ગાંધી સાથે કરાવવી હતી... એ બધી વાસનાઓ સંતોષાઇ ગઇ !
(ભાસ્કર સોલંકી, પાટણ)

* વસ્ત્રાહરણના કૅસમાં દ્રૌપદીને બદલે મલ્લિકા શેરાવત હોત તો ?
- કોણ મલ્લિકા શેરાવત... ? અરે, એ હવે બુઢ્ઢી થઇ ગઈ...! હવે સની લિયોનની વાત કરો, સેઠજી !
(પુષ્ટિ ધવલ શાહ, વડોદરા)

* સમાજ વિધવાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવે, પણ વિધૂરોની અદેખાઇ કરે. એવું કેમ ?
- વિધવા કોક 'દિ કામમાં આવે....વિધૂરો પાસેથી શું લાટા લેવાના ?
(ભુપેન્દ્ર ટી. શાહ, વડોદરા)

* 'કરવા ચોથ'ની રાત્રે ગૃહિણીઓ ચાળણીના કાણાઓમાંથી ચંદ્ર જુએ છે...એમના ગોરધનો પાસે ચાળણી ન હોય ?
- આજુબાજુના ઘરની બારીઓના કાણા કે તિરાડોમાંથી જોઇ લેવું વધુ સલાહભર્યું છે.
(ડૉ. પ્રફૂલ્લ કાચા, મોરબી)

* દવાની સાથે જ દારૂ કેમ બોલાય છે ?
- ડૉક્ટરની સાથે દર્દી જ બોલાય....દરજી નહિ !
(સલમા મણીયાર, વિરમગામ)

* માણસ જીવનના ઉત્તરાર્ધમાં સાચું બોલતો હોય છે....તમારે કેમનું છે ?
- એવું કાંઇ નથી. હું ય ઘણી વાર સાચું બોલતો હોઉં છું.
(કરસન મોઢવાડીયા, પોરબંદર)

* બ્રાહ્મણો દર વર્ષે જનોઇ કેમ બદલાવે છે ?
- જનોઇ બ્રાહ્મણો માટે અતિ પવિત્ર ચીજ છે. એ ચોખ્ખી હોવી જરૂરી છે...મૂળ કારણ આ.
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

* 'હિંદુ-મુસ્લિમ ભાઇ-ભાઇ' એટલે શું ?
- ગમ્મત.
(કોકિલા પંડયા, ભાવનગર)

* શું ગીરનાર પર્વત પર રોપ-વે નાંખવો હિતાવહ છે ?
- પ્રૅક્ટીસ પાડવી સારી. રોજેરોજ જામ થતા ટ્રાફિકને જોયા પછી રસ્તો પાર કરવા ય રોપ-વેની જરૂર પડશે.
(રાજેન્દ્ર જ. ઠાકર, જૂનાગઢ)

* એક સરકારી મહિલા કર્મચારી અને બીજી બોલીવૂડની હીરોઇન...બંનેમાંથી કોણ વહેલી ડોસી થઇ જાય છે ?
- સમજું છું, ભાઇ બધું સમજું છું. તમારા માટે પણ આવો આઘાત સહન કરવો સહેલો તો ન હોય ને ?
(મધુકર માંકડ, જામનગર)

અશોકજી, તમારે પ્રેમમાં H ની સાથે વધારે બને કે D ની સાથે ?
- A, B, C, D માં કેટલા અક્ષરો હોય ?
(કરન/સીમા/પ્રકાશ, અમદાવાદ)

* મુંબઇમાં ઑટો-કાર શો થયો, એમાં નવીનક્કોર ગાડીની બાજુમાં એક સુંદર મોડેલ ઊભી રાખવામાં આવી. એક ગુજરાતી ગ્રાહક તરીકે આપનું મંતવ્ય શું ?
- જરા... 'ગ્રાહક' શબ્દ બદલી નાંખોને, ભ'ઇ !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* દિવસે દિવસે નરેન્દ્ર મોદીના દુશ્મનો કેમ વધતા જાય છે ?
- એ બધા ટ્રકોવાળા છે. ટ્રકની પાછળ પેલું સુવાક્ય લખેલું એમને યાદ હોય છે, 'ઇર્ષાળુને આશીર્વાદ.'
(અજય મુંજપરા, લીમડી)

* ઉત્તરાખંડની કુદરતી આફત વખતે દાઉદી વ્હોરા ધર્મગુરૂ ડૉ. સૈયદના સાહેબે રૂ. ૧૪-કરોડ ૨૧-લાખની સહાય કરી હતી. સુંઉ કિયો છો ?
- આવા પૂજનીય ભારતીયો હંમેશા સલામને પાત્ર હોય.
(સાદીકઅલી માકડા, ગારીયાધાર)

* 'સાઠે બુધ્ધિ નાઠે'. તમારે કેમનું છે ?
- હું તો ત્રણ વર્ષ પહેલા એને ભગાડી ચૂક્યો છું.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આપની કૉલમને પ્રતાપે અનેકનો ડાયાબીટીસ દૂર થયો... તમને નથી લાગતું, એમાં વાંચકોની દુઆ પણ કામ કરી ગઇ છે ?
- બસ... આવી કોઇ કૅન્સરની દવા નીકળે !
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* તમે એકવાર જવાબ આપો છો, એમાં અડધું ગામ અમને અહોભાવથી પૂછે છે, 'હેં... અશોક દવે તમને ખરેખર ઓળખે છે ?' પ્રસિધ્ધિ તમને કેવી લાગે છે ?
-'સાલા, મૈં તો સાહબ બન ગયા...!'
(પૂર્વા મોહન પટેલ, સુરત)

* 'સુખ'ની વ્યાખ્યા શું ?
- આ ક્ષણે તમે એ વ્યાખ્યા વાંચી રહ્યા છો.
(બબુ દફતરી, રાજકોટ)

* આપણા નિરાધાર દેશના નાગિરકોને આધાર-કાર્ડની શી જરૂર ?
- ડાયનિંગ-ટૅબલ પર ચા-પાણી માટે નીચે મૂકવાના કામમાં આવે.
(કનુ ભાવસાર, વડનગર)

* દુનિયામાં સૌથી મધુર શું ?
- કોણ ખવડાવે/પીવડાવે છે, એના ઉપર આધાર છે.
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* તમે જૂની પ્રેમિકાને યાદ કરો ખરા ?
એટલી એની હૈસિયત હોય તો કરીએ ય ખરા...!
(સુજ્ઞા ચી. પલવણકર, મુંબઇ)

* 'અ-શોક'નાં નૅગેટીવ છે. આપનું નામ તો 'આનંદ દવે' હોવું જોઇએ. સુઉં કિયો છો ?
આનંદ દવે મારો સાળો થાય.. હવે કહો, મને કઇ કમાણી ઉપર આનંદ થાય ?
(ભૈરવી અંજારીયા, રાજકોટ)

No comments: