Search This Blog

24/07/2011

ઍનકાઉન્ટર : 24-07-2011

* ચાર ભાઈઓ એક જ રૂમમાં બાળપણથી સાથે રહેતા હોય, પણ પરણ્યા પછી એકબીજાથી દૂર અને અલગ કેમ થઇ જાય છે ?
- એ આઠે ય જણાએ રોજ નહાતા હોય તો અલગ થવું સારૂં....અને નહાતી વખતે દૂર તો થવું જ જોઈએ. આ તો એક વાત થાય છે !
(ઉષા જગદીશ સોતા, મુંબઈ)

* અન્ના હજારે ગુજરાતમાં આવીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કરે તો આપ આગેવાની લેશો?
- આવા નાટકીયાઓને ગુજરાતમાં ધૂસવા ય ન દેવાય.
(ધવલ સોની, ગોધરા)

* ગુજરાત બાજુની મણીબેન સાથે લગ્ન કરાય કે સૌરાષ્ટ્ર સાઇડની ઝમકુ સાથે ?
- જે કાંઈ કરો, એ પપ્પાને પૂછીને કરજો.
(મીના નાણાવટી, રાજકોટ)

* ગુજરાતમાં અજાણ્યા પુરૂષને ‘કાકા’ કહે છે, તો સ્ત્રીને ‘કાકી’ કેમ નહિ ?
- જુઓ કાકા...મારા કાકીને ખાસ કહેજો, હું વઘુ સારૂં લખું, એવા મને આશિર્વાદ આપે.
(મઘુકર પી. માંકડ, જામનગર)

* ગાંધીજીને સપનું રામરાજ્યનું હતું....ને આવી ગયું રાવણરાજ્ય. હવે શું થશે ?
- સ્વીકારી લો.
(બચુભાઈ સોની, ધોરાજી)

* શીલા કી જવાની...બઘું બરોબર, પણ પછી શું ?
- શીલાજીત.
(રમીલા પી. રાવળ, રાજપિપળા)

* સંતાનો પાછળ પિતાનું નામ લખાય છે, માતાનું કેમ નહિ ?
- લોકો ધારણાઓ કરતા બંધ થાય માટે.
(દુષ્યંત એન. કારીઆ, મોરબી)

* દિલ લૂંટવાવાળાને જાદુગર કહેવાય તો દિલ તોડવાવાળાને શું કહેવાય ?
- જૂનાં ભંગારવાળો.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* ટીવી-સીરિયલો બનાવનારા સૅન્સિબલ ક્યારે બનશે ?
- એમણે નહિ, આપણે બનવાનું છે.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* અમેરિકાવાળાએ ઘેરબેઠા ઓસામા બિન લાદેનને પતાવી દીધો...આપણે ત્યાં આપણા ઘેર બેઠેલા કસાબને કોંગ્રેસ સરકાર ઉછેરી રહી છે....!
- ઘો મરવાની થાય ત્યારે ક્યાં જાય...?
(જગદિશ વાળા, સુરેન્દ્રનગર)

* દરેક દેશમાં ‘ડીફૅન્સ મિનિસ્ટર’ હોય છે, ‘ઍટેક મિનિસ્ટર’ કેમ નહિ ?
- Defense is the best form of attack. 
(સાધના પી. નાણાવટી, જામનગર)

* પત્ની અને માં-બાપ વચ્ચે અટવાતા પુરૂષે કોનું માનવું જોઈએ ?
- પહેલાં માં-બાપ અને ‘બીજી’ પત્નીનું !
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

* ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,’ એ કહેવત આજની દીકરીઓ માને ખરી ?
- આજની ગાયોને પૂછી જોવું.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના વડાપ્રધાન તો ચૂપ હોય, પણ પ્રજા શેની ચૂપ છે ?
- હું ય ક્યાં કંઈ બોલ્યો...? કોઇની વચ્ચે પડવાની આપણી આદત જ નહિ.
(રવિરાજ જે.વાળા, છત્રીયાળા)

* મારે પત્નીઘેલાની છાપ ભૂંસવા શું કરવું ?
- રબ્બર સારૂં વાપરો.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* તારીખ પહેલી ઍપ્રિલે કીધેલું ‘આઇ લવ યૂ’ સાચું હોય ?
- પહેલી ઍપ્રિલ સુધી રાહ જોઇ જુઓ....!
(મંજુલા પરમાર, ગાંધીનગર)

* ઈ.સ. ૨૦૧૨માં તો પૃથ્વીનો વિનાશ થઇ જવાનો છે, છતાં ઘણી દવાઓમાં ‘ઍક્સપાયરી-ડૅટ’ ઇ.સ. ૨૦૧૪-ની કેમ લખવામાં આવે છે ?
- પૃથ્વીનો ભલે વિનાશ થઈ જાય...અમારી કંપની ચાલુ રહેશે.
(શીતલ કે. દેવલૂક, કોડિનાર)

* ‘પ્રેમઘાટ લે ચલો,’ એનો મતલબ શું ?
- આ કોઇ રીક્ષાવાળાને કહેવાયેલી વાત છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સ્વભાવ સૅન્સિટીવ હોવાથી મને વાતવાતમાં ખોટું લાગી જાય છે.. કોઇ ઉપાય ?
- કાચી ડૂંગળી ચાવવાની આદત પાડો...ખોટું તમને નહિ, બીજાઓને લાગશે.
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

* અગાઉ સંબંધ બાંધતા પહેલા ‘કૂળ’ જોવાતું...આજે શું જોવાય છે ?
- પાર્ટી-પ્લોટ.
(જયંતિ એમ. પટેલ, પાટનાકુવા)

* ગુજરાતના ઘણા ફાસફૂસીયાઓ શ્રી નરેન્દ્ર મોદી માટે એલફેલ કેમ લખે છે ?
- એ બહાને ય મોદીની નજરમાં તો અવાય...!
(ભગવાનદાસ મકવાણા, મુંબઈ)

* મારી પત્ની ખોવાઇ ગઈ છે. શું કરૂં ?
- મારૂં કોઇ કૉલ્ડ-સ્ટોરેજ નથી.
(વિવેક એ. રાવળ, બોટાદ)

* સવારે બારેમાસ ઠંડા પાણીથી નહાવાની મજા આવે છે....
- એકલા...?
(શ્વેતા ઝેડ. પટેલ, સુરત)

* સૂરજ તો એનો એ જ છે, તો પછી આથમતા સૂરજને પૂજવાની ના કેમ?
- વૃદ્ધાશ્રમો કૉફી-હાઉસનું સ્થાન ન લઇ શકે.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* પશ્ચિમના કૉટ-પૅન્ટ આપણે સ્વીકાર્યા....એ લોકોએ આપણા ધોતી-ઝભ્ભા કેમ ન સ્વીકાર્યા ?
- એમને ઊતરેલું પહેરવાની આદત નહિ ને ?
(જે.એમ.જોશી, ગાંધીનગર)

* ભાઈઓ સોયની અણી જેટલો લાગભાગ આપવા તૈયાર ન હોય, ત્યાં મહાભારત સર્જાય, એ વાત સાચી ?
- હું હાલમાં ઘૃતરાષ્ટ્રના રોલમાં છું. તમે અમારા માહિતી નિયામક સંજય પાસે ફાઈલ લઈ જાઓ.
(ભવ્યા એ. બારોટ, અમદાવાદ)

No comments: