Search This Blog

31/07/2011

ઍનકાઉન્ટર : 31-07-2011

* ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમમાં ફી આટલી મોંઘી કેમ ?
- આપણે ત્યાં ‘દેસી’ કરતા ‘ઇંગ્લિશ’ મોંઘી છે.
(જગદીશ બી. સોતા, મુંબઈ) 

* હમણાં હું ડિમ્પલ ભાભીને મળી, પણ સાથે અશોકજી નહોતા.. કોક બીજું હતું. આમ કેમ ?
- એ તો કોક એનો ભ’ઇ- બઈ હશે...! 
(મેઘાવી હેમંત મેહતા, સુરત) 

* વાઇફનો ચેહરો એની મા જેવો લાગવા માંડે, તો શું કરવું ?
- આ તમારા સસુરજીએ ચિંતા કરવા જેવો સબ્જેક્ટ છે, તમારે નહિ ! 
(વંદિત નાણાવટી, રાજકોટ) 

* જન્માષ્ટમીને જુગાર સાથે શું લેવા- દેવા હશે ?
- લેવા-દેવાની 
(નૈષધ દેરાશ્રી, જામનગર) 

* હજી હમણાં સુધી દૂધ લિટરના રૂા. ૮/- હતા તેના રૂા. ૩૫/- થઈ ગયા, તો ક્યાં જવું ?
- દૂધ લેવા તો દૂધવાળાની દુકાને જ જવું પડે...! 
(ઉષા જે. સોતા, મુંબઈ) 

* ભારત માટે કેવા રાજકીય પરિવર્તનો સંભવિત છે ?
- દેશના પ્રધાનમંત્રી માનનીય અજમલ કસાબ સાહેબે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી પ્રવચન કરતા દેશની જનતાને જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશા ભારતની કોંગ્રેસ સરકારની શુક્રગુઝાર રહેશે. 
(નયન ભટ્ટ, મુંબઈ) 

* માયા, મમતા, શીલા, અને જયલલિતા... આ બધા વચ્ચે શું સામ્ય છે ?
- એ જ કે, આ ચારે ય ડોસીઓ ‘ઓફિશીયલી’ કુંવારી છે. 
(મણિબેન પટેલ, ઊંટડી- વલસાડ) 

* અન્ના હજારે મહાત્મા ગાંધીની નકલ કરવા જાય છે. શું કાગડા કદી હંસ થાય ?
- કાગડા- કૉમ્યુનિટીનું આવું અપમાન ન કરો. 
(રજાહુસૈન બચુભાઈ, મહુવા) 

* ઍન્કાઉન્ટર ઊભું હતું... હવે પાછું આડું... ! હવે આડે હાથે દેવા માંડી કે શું ?
- પાનાની બહાર જતું ન રહે, એટલી જ મારે ચિંતા. 
(ફ્રાન્સિસ પરમાર, નડિયાદ) 

* મંદિરોની બહાર ઘાસ ફક્ત ગાયોને ખવડાવવામાં આવે છે, ભેંસોને કેમ નહિ ?
- આવું કોઈનામાં બહ ઊંડુ ન ઉતરવું....! ભેંસોને ખાવું હોય તો આવે... આપણે શું યાર ? 
(ઇન્દ્રવદન શિવલાલ જોગી, મુંબઈ) 

* લગ્ન પછી સ્ત્રીની ભૂગોળ અને ઇતિહાસ વિશે કેવી રીતે જાણવું ?
- સીઘ્ધા ઇતિહાસના શિક્ષક પાસે પહોંચી જવું... એને ખબર હશે કે કયા મોરલાએ પેલીની ભૂગોળ બગાડી છે ! 
(નયન લિંબાચીયા, વીરમગામ) 

* ‘મને નબળો માનનારા ભૂલ કરે છે’- ડૉ. મનમોહનસિંઘ.
- કૌચાપાક ખાઈને કંઈક કરી બતાઓ, કાકા ! 
(નિરત ઉનડકટ, રાજકોટ) 

* ઇશ્વર દયાળુ હોવા છતાં ઘણાંની જિંદગીમા દુઃખો બેશુમાર આવે છે...શું કારણ હશે ?
- સૉરી... હમણાં એ મારા પર્સનલ કામોમાં રોકાયેલો છે. 
(શમીમ ઉસ્માની, મુંબઈ) 

* હવામાન ખાતાની આગાહીઓ કાયમ ખોટી કેમ પડે છે ?
- કાયમ નહિ... મને યાદ છે, આજથી સો વર્ષ પહેલાં, સો વર્ષ પહેલાની એક આગાહી સાચી પડી હતી...! 
(સંદીપ દવે, જૂનાગઢ) 

* જીવનમાં કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે છે... શું ગુમાવવું પડે છે ?
- મારું કામકાજ ગુજરાતી વાર્તાના હીરો જેવું નથી... મને તો કાયમ બઘું મળ્યું છે... ગુમાવ્યું હજી સુધી કાંઈ નથી. 
(સુમન વડુકૂળ, રાજકોટ) 

* આ ‘ઍનકાઉન્ટર’નો કેવો પ્રતાપ... ! ચાર- પાંચ વાર અમારા સવાલો છપાયા, એમાં આખા ગામમાં અમારા માન વધી ગયા. ‘તમે પેલા ઍનકાઉન્ટર’માં આવો છો, એ ?
- એ પ્રતાપ આખા ગુજરાતી વિશ્વમાં સૌથી મોટું નામ ધરાવતા આ વિશાળ અખબારનો છે. 
(શ્રુતિ અમીન, નડિયાદ) 

* બીજાનું નુકસાન એ આપણું જ છે અને બીજાનો ફાયદો એ આપણો જ છે, એવું માણસ ક્યારે સમજતો થશે ?
- તમે એકલા સમજે રાખો... ! કાલ ઉઠીને બાજુવાળો સાલો પૈણીને ઘેર આવે, એમાં એ આપણો જ ફાયદો છે ને ? એવું અમારાથી તો ના સમજાય... બા ખીજાય. 
(હિતેશ દેસાઈ, તલીયારા- નવસારી) 

* દેશની અધોગતિનું કારણ ?
- હું નથી. 
(નિકુલ એમ. પાઠક, જામનગર) 

* ‘ડૉક્ટર’ શબ્દમાં ‘કટર’ સમાયેલો હોવાનું કોઈ કારણ ? 
- એ લોકો એમના નામની આગળ ફક્ત ‘ડૉ.’ જ લગાવે છે. 
(ઝુબેદા યુ. પુનાવાલા, કડી) 

* સૌરાષ્ટ્રમાં પહેલા ‘પાળિયા’ બાંધવામાં આવતા, તે હવે બંધ કેમ થઈ ગયા ?
- શૂરવીરોને હવે તલવારો વીઝવી નથી પડતી... દસની એક નોટમાં કામ પતી જાય છે ! 
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ) 

* તમારા સાસુના કેટલા સવાલોના જવાબ આપી શકો છો ?
- હું આખી સાસુ આપી દેવાનો આગ્રહી છું. 
(મૃદુલ ચિત્તરંજન વરીયા, સુરેન્દ્રનગર) 

* બોલીવુડની જેમ હોલીવુડમાં પણ સંતાનો માટે અનામત પ્રથા ખરી ?
- હૉલી જ નહિ, બોલીવુડમાં પણ ફક્ત લાયકાતના ધોરણે આવવું અને ટકવું પડે છે. 
(રેણુકા ચિત્તરંજન વરીયા, સુરેન્દ્રનગર) 

* સફેદ કપડાવાળાઓએ આખા દેશને કાળો કરી નાખ્યો છે... આપનો અભિપ્રાય ?
- સૉરી... આજે હું સંપૂર્ણ વ્હાઇટ ડ્રેસમાં છું. 
(આનંદ ધીરૂભાઈ વાઢાળા, ગારીયાધાર) 

* તમે મારા સવાલોના જવાબ કેમ આપતા નથી ?
- તમે પ્રશ્ન પૂછો છો કે નિબંધ લખો છો એ સમજી શકતો ન હોવાથી ! 
(ડૉલી પટેલ, અમદાવાદ) 

* ‘બુધવારની બપોરે’માં તમે સ્વામીઓ, બાપુ, મહારાજશ્રીઓ, ગુરૂજીઓ કે ભાઈઓને હિંમતપૂર્વક ઉઘાડા પાડ્યા, એ પછી તમને ડર નથી લાગતો ?
- એક ગેરસમજ દૂર કરો. મારા માટે આજે પણ એ લોકો પવિત્ર સંતો છે- ભલે પવિત્રતાનો અનુવાદ અબજો રૂપિયા ભેગા કરવામાં થતો હોય, પણ મારી અપેક્ષા એ લોકો પોતાની પ્રચંડ લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને ભક્તોમાં દેશદાઝ સ્થાપે એટલા પૂરતી છે. એ વાત જુદી છે કે, ‘‘એક પણ’’... રીપિટ... ‘‘એક પણ’’ સંત દેશદાઝ તો બહુ દૂરની વાત છે, ભારત દેશ માટે ગર્વ થાય એવું ભૂલેચૂકે ય બોલતો નથી, એટલે દુઃખ થાય છે. 
(ચેતના કસ્તુરભાઈ, અમદાવાદ)

No comments: